ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ-અનલૉફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ (UAPA) ૧૯૬૭માં, ૨૦૧૯ના વર્ષમાં બહુ મોટા સુધારા કરવામાં આવ્યા છે, જે ગેરબંધારણીય છે તેવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. પરંતુ ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં આ સુધારા અમલી બન્યા છે. આ સુધારા કે કુધારા શું છે?
• આ કાયદા અંતર્ગત હવે માત્ર સંસ્થાઓ જ નહીં, પણ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરી શકાય છે. એટલું જ નહીં, શંકાને આધારે કોઈને પણ આતંકી જાહેર કરી શકાય. વિશેષ વાત એ છે કે આમ કરવા માટે તે વ્યક્તિનો કોઈ પણ આતંકી સંગઠન સાથે સંબંધ બતાવવો જરૂરી રહેશે નહીં.
• વ્યક્તિ પર આતંકવાદીનો આરોપ લાગે તો, હવે પ્રથમ તેણે આરોપ હટાવવા માટે કોર્ટની જગ્યાએ સરકાર દ્વારા બનાવેલ રિવ્યુ કમિટીમાં જવું પડશે. બાદમાં કોર્ટમાં અપીલ કરી શકાય.
• નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એન.આઇ.એ.)ના ડાયરેક્ટ જનરલ (ડી.જી.) પણ આતંકવાદી જાહેર કરાયેલી વ્યક્તિ અથવા જૂથની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપી શકશે. અત્યાર સુધી, જે રાજ્યમાં મિલકત હોય ત્યાંના ડી.જી.પી.ની મંજૂરીથી મિલકત જપ્ત કરી શકાય એવું હતું.
• એન.આઇ.એ.ના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે. હમણાં સુધી આ તપાસનો અધિકાર ફક્ત ડી.એસ.પી. અને મદદનીશ કમિશનર અથવા તે કક્ષાના અધિકારીને હતો.
• યુ.એ.પી.એ. એક્ટની કલમ 43 ડી (2) વ્યક્તિને આ કાયદા હેઠળ, 30 દિવસ પોલીસ કસ્ટડી મળી શકે છે. ઉપરાંત અદાલત 90 દિવસ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકે છે. (ટૂંકમાં આરોપીને ચાર્જશીટ વિના લાંબો સમય જેલમાં રાખી શકવાની જોગવાઈ છે.)
કોરોના લોકડાઉનના સમયમાં પણ પત્રકારો, કર્મશીલો સામે આ કાયદા હેઠળ કેસ દાખલ થયા છે. જે.એન.યુ.ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ, જામિયા મિલિયા ઇસ્લામિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ શિફા-ઉર-રહેમાન તેમ જ જમ્મુ-કશ્મીરમાં ‘ધ હિન્દુ’ અખબારના શ્રીનગરના સંવાદદાતા પીરઝાદા આશિક સામે, પત્રકાર ગૌહર ગિલાની અને 26 વર્ષીય ફોટોગ્રાફર મશરત જાહરા સામે સોશિયલ મીડિયા પોસ્ટને કારણે યુ.એ.પી.એ. અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા કર્મશીલો અને પ્રશ્નો ઉઠાવતા કાર્યકરોને ચૂપ કરી દેવા આ કાયદા અંતર્ગત હેરાન કરવામાં આવે છે. સરકારી આંકડા મુજબ 67 ટકા કેસમાં આરોપી નિર્દોષ સાબિત થયા છે. માત્ર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે આવા ગંભીર આરોપો લગાવવા કેટલા યોગ્ય છે? આ વ્યક્તિઓ દોષી છે કે નહીં તે ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ ભારતીય દંડ સંહિતાની બીજી ઘણી કલમો અંતર્ગત તેમની સામે કેસ દાખલ કરીને તપાસ કરી શકાય તેમ હોય, ત્યારે યુ.એ.પી.એ. શા માટે?
ન્યાય અને કાયદાની પ્રક્રિયા જટિલ અને સમય લેનારી બને કે જેથી વ્યક્તિની શક્તિઓ ક્ષીણ થઇ જાય, ફરી પોતાની વાત મૂકતાં અચકાય અને પ્રશ્નો પૂછવાનું ટાળે તે હેતુથી સરકાર કાયદાઓમાં ફેરફાર કરીને વધુને વધુ સત્તા પોતાના હાથમાં લઇ રહી છે.
એક તરફ સુપ્રીમ કોર્ટમાં આ કાયદાથી વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે તે અંગે કેસ દાખલ થયો છે અને કોર્ટે સરકારને નોટિસ બજાવી છે, તો બીજી તરફ સરકાર આ કાયદાનો ઉપયોગ કરીને પત્રકારો અને સવાલ ઉઠાવતા લોકોને હેરાન કરી રહી છે. આ કટોકટીના સમયમાં સરકાર પોતાની ટીકા કે મર્યાદા તરફ ધ્યાન દોરવણીને હકારાત્મક લઈને શું વધુ અસરકારક કામ ન કરી શકે?
e.mail : yuvaparth@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020