લ્યો! ફરી એક મંત્રી – અને આ વખતે તો મુખ્યમંત્રી – બોલ્યા કે ભારતમાં તો ઇન્ટરનેટ મહાભારતકાળમાં પણ હતું. સંજયે ધૃતરાષ્ટ્રને જે યુદ્ધવર્ણન કર્યું, તે પોતે ઇન્ટરનેટની મદદથી જોઈને કરેલું.
ફરી એક વાર આપણું મિથ્યાભિમાન પ્રદર્શિત થયું. સામાન્ય માણસ તો ઠીક છે, પણ આ તો કહેવાતા નેતા – મુખ્યમંત્રી દ્વારા પ્રગટ થયું.
ફરી એક વાર આપણે શા માટે પછાત છીએ અને શા માટે પછાત રહેતા આવ્યા છીએ, તેનું કારણ પ્રગટ થયું.
ભારતનો ઇતિહાસ ભવ્ય છે એમ કહવાય છે, પણ હકીકતે ભારતનો ઇતિહાસ મિથ્યાભિમાનથી છલકાય છે. હા, ઇતિહાસમાં કેટલાક ભવ્ય અને ઉત્તમ બનાવો બન્યા છે, પણ મહદ્ અંશે જોશું તો મિથ્યાભિમાનના બનાવો વધારે બન્યા દેખાય છે. સમગ્ર ઇતિહાસ બણગાં ફૂંકવાનો ઇતિહાસ છે.
ભારતે ઇન્ટરનેટની તો નહીં, એક પ્રાઇમસની પિન પણ શોધી નથી. આજે આપણે જે વસ્તુઓનો કે સગવડોનો ઉપયોગ કરીએ છીએ, તે બધી વસ્તુઓ આપણે જેને ધિક્કારીએ છીએ તે દુષ્ટ ભોગવાદી પશ્ચિમે શોધી છે. આપણે તો કેવળ દંભ અને મિથ્યાભિમાનની જ શોધ કરી છે.
દુઃખ લાગે છે ને વાંચવાનું ? પણ સત્ય છે. તપાસીએ.
આપણે અભિમાનથી કહીએ છીએ પહેલું વિમાન ભારતમાં શોધાયું છે – પુષ્પક વિમાન, રામાયણમાં. રામ તેમાં બેસી લંકાથી અયોધ્યા પાછા આવ્યા હતા. રામાયણમાં તેનો ઉલ્લેખ છે તે સાચું, પણ તે વાલ્મીકિની કલ્પના છે – સાહિત્યિક કલ્પના! હકીકતે કશું નથી શોધાયું. કદાચ સવાલ પૂછાય કે કેમ? તે તેનો જવાબ છે જો રામાયણ સમયમાં પુષ્પક વિમાન હતું, તો પછીના કોઈ જ સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ કેમ નથી? પછીના રાજાઓ પણ એવા જ જબરા હતા. મહાભારતનું રાજ્ય એટલું સમૃદ્ધ હતું કે તે પુષ્પક વિમાન રાખી શકતું હતું. કેમ નથી તેમાં ? કારણ કે તે કલ્પનામાં જ ન હતું. વાસ્તવમાં ન હતું. વાસ્તવમાં એક વાર જે વસ્તુ તૈયાર થાય, તેની નકલ પછી સતત થાય. તેમાં પણ સગવડની નકલ તો થાય જ. જો રામ કે રાવણ જેવા રાજા પુષ્પક વિમાન રાખી શકતા હતા, તો પછીના રાજા કાં ન રાખી શકે? રામાયણને બાદ કરતાં કોઈ જ સંસ્કૃત – સાહિત્યમાં ક્યાં ય વિમાનનો ઉલ્લેખ નથી. તે હોવાનો કોઈ જ નક્કર પુરાવો નથી. અરે, વાલ્મીકિએ કલ્પના કરી તો પણ પછી કોઈએ તેને બનાવવાનો પુરુષાર્થ કર્યો હોય તેવું નથી દેખાતું. આ કહેવાતું ગૌરવ પણ મિથ્યાભિમાન જ છે!
તો બ્રહ્માસ્ત્ર કે વાયવાસ્ત્ર કે અન્ય બાણો? એ પણ કેવળ કલ્પના છે. જો એ હતાં તો પછીના કાળમાં તેનો ઉપયોગ કેમ નથી દેખાતો? રામાયણ કે મહાભારત તો માની લઈએ કે કાલ્પનિક છે, પણ જ્યારથી ઇતિહાસ લખાવો શરૂ થયો ત્યાર પછી ક્યાં ય આ બધાંનો ઉલ્લેખ કેમ નથી? એક શોધ થાય તે પછી સતત ઉપયોગમાં લેવાતી હોય છે. રથ શોધાયો તો પછી હજારો વર્ષો સુધી રથ રહ્યો છે – આજ સુધી. તો પુષ્પક વિમાન કે આ બાણો કેમ ન રહ્યાં ? કારણ કે તે હતાં જ નહીં!
ભારત શોધ બાબતમાં તદ્ન પછાત હતું અને આજે પણ છે.
ભારતમાં જો આવાં અદ્ભુત શસ્ત્રો હતાં, તો ભારત સદીઓ સુધી કેમ વિદેશી આક્રમણોમાં સતત હારતું રહ્યું? હકીકતે તે શસ્ત્રો બાબતમાં તદ્દન પછાત હતું – છેક ૧૯૬૨ સુધી. જેને આપણે ગાળો આપીએ છીએ તે બાબર કેમ જીત્યો? અને બહાદુર રાણા વિક્રમ સંગ કેમ હાર્યો? કારણ માત્ર શસ્ત્રો! રાણા સંગ હાથી પર બેસી તલવારથી લડતો હતો અને બાબર ઘોડા પર બેસી તોપથી લડતો હતો. બોલો, કોણ જીતે? મહાન રાણા સંગ! નાનો, લબરમૂછિયો બાબર જ. અને મિથ્યાભિમાન પણ કેવું કે બાબરની તોપની મદદથી જીત જોયા પછી પણ પછીના કોઈ રાજાએ તોપનો ઉપયોગ ન કર્યો. હાથી પર જ અને તલવારથી જ લડતા રહ્યા. છેક શિવાજીને તોપનો ઉપયોગ કરવાનો પહેલો વિચાર આવ્યો અને તાનાજી આંગ્રેની સરદારી હેઠળ એક તેની ટુકડી બનાવી. પણ તેમના પછી પાછા બધા હાથી પર જ આવી ગયા, અને તલવાર પર! ખુદ ૧૮૫૭માં પણ ઝાંસી રાણી લક્ષ્મીબાઈ પણ તલવારથી જ લડી. તોપ સામે જીતે?
માત્ર શસ્ત્રોમાં જ નહીં, બીજી પણ કોઈ બાબતોમાં શોધો નથી થઈ ભારતમાં. જે જે સગવડો આવતી હતી, તે બધી કોઈ વિદેશી આક્રમણ પછી ભારતમાં વસી ગયેલ વિદેશીઓ દ્વારા આવી હતી. આધુનિક શોધો બધી બ્રિટિશરોએ આપી છે. અત્યારની બધી શોધો અમેરિકા કે યુરોપના વિજ્ઞાનીઓની શોધો છે. ભારતની તો એક શોધ છે – મિથ્યાભિમાન!
સમગ્ર ઇતિહાસ વાંચી જાવ, મેં વાંચ્યો છે, તો કોઈ જ શોધ નથી. હા, પ્રાચીન જમાનામાં શૂન્યની શોધ કે આઠમી સદીમાં થોડી ગણિતની કે ખગોળની શોધો કે આધુનિક સમયમાં કોઈ સી.વી. રામન કે રામાનુજમ્ કે ચંદ્રશેખર જેવા ભૂલા પડ્યા છે. પણ આ બધાએ પણ પશ્ચિમમાં જઈ શોધો કરી છે. પશ્ચિમે તેમને ઉતેજન આપ્યું છે. વિક્રમ સારાભાઈ કે ભાભા પણ પશ્ચિમમાં ભણ્યા, માટે જિજ્ઞાસુ થયા. અને તેમને જવાહરલાલ નેહરુએ પ્રોત્સાહન આપ્યું. કારણ કે તે પણ પશ્ચિમમાં ભણ્યા હતા. આધુનિક ભારતમાં જે પણ વિજ્ઞાનની સંસ્થાઓ છે, તે બધી નેહરુએ શરૂ કરેલ છે. ત્યાર પછી કોઈ બની દેખાય છે ? આજે જે પણ શોધો થાય છે, સિદ્ધિઓ દેખાય છે, ઇસરો વગેરે દ્વારા, તે બધી નેહરુની ભેટ છે – જેમને આજે મિથ્યાભિમાનીઓ દ્વારા ગાળો આપવામાં આવે છે. આજે પણ જેમને સંશોધન કરવું છે, તે બધાને અમેરિકા જવું પડે છે કે જર્મની જવું પડે છે. ભારતમાં તો જે આગળ વધે તેને ઉતારી પાડવાનો મોટો રાષ્ટ્રીય ધંધો ચાલે છે. આવા વાતાવરણમાં સંશોધન કેમ થાય? કોઈ રડ્યાખડ્યા કરી જાય છે તે જાદુ માની શકાય.
ભૂતકાળમાં કોઈ રાજા જયસિંહ જેવાને બાદ કરતાં કોઈ જ રાજાએ સંશોધનને પ્રોત્સાહન નથી આપ્યું. રાજાઓનો લગભગ સમય વિલાસમાં કે લડવામાં જતો હતો. અને કેમ આટલા બધા વિદેશીઓ જીતી શકતા હતા? કહેવાતા મહાન રાજપૂત યુગમાં એક પણ રાજા સંગઠિત ન હતા. બધા અંદરોઅંદર ઝઘડતા હતા. તેનો જ લાભ વિદેશી રાજાઓ લેતા હતા. ચાણક્યને કોણે મદદ કરી? તે એકલા જ લડ્યા – ચંદ્રગુપ્તની મદદથી. સિકંદર સામે પોરસને કોણે મદદ કરી? કોઈએ નહીં. કદાચ તેની મશ્કરી કરી હશે. બાબર તો લડીને ચાલ્યો જતો હતો, પણ તેને કોણે દિલ્હીની ગાદી પર બેસી જવા કહ્યું? ભારતીય હિંદુ રાજાઓએ! તેમને બીક હતી કે બાબર જશે પછી ફરી ઇબ્રાહીમ લોદી ગાદીએ બેસી જશે. તેમનામાં આંતરિક તાકાત ન હતી કે તેને અટકાવી શકે અને પોતે બેસી જાય. સંગઠિત તો હતા જ નહીં, માટે બાબરને જ કહી દીધું. અને પાછો બાબર ખરાબ!
અરે! સ્વાતંત્ર્યસંગ્રામ પણ કોણે શરૂ કર્યો? કૉંગ્રેસ કોણે સ્થાપી? અંગ્રેજે! અને કૉંગ્રેસ ટિળક કે ગાંધી દ્વારા બરાબર લડતી હતી, ત્યારે કોણ તેને નડતું હતું? આપણા જ લોકો! ધાર્મિકો, ઝીણા, સામ્યવાદીઓ, આ બધા આપણા જ હતા. તે સંગ્રામમાં રોડાં નાખતા હતા. અને આજે તેઓ જાણે પોતે લડ્યા હોય તેમ બણગાં ફૂંકે છે. ત્યારે લડેલા આજે દેશદ્રોહીઓ કહેવાય છે!
આજે પણ સંશોધન બાબતે આપણે કંઈ બહુ આગળ નથી. યુનિવર્સિટીઓમાં કામ કરનારા લાખો રૂપિયા પગાર લે છે, જે તેમને સંશોધન કરવા માટે મળે છે. પણ કરે છે? ભારતની કોઈ જ યુનિવર્સિટી વિશ્વમાં બસોમા નંબરે પણ નથી આવતી. કેમ? મિથ્યાભિમાન! સંશોધનોના લાભ લેવામાં પહેલા નંબરે, પણ કરવામાં છેલ્લા નંબરે! અને કેવું અદ્ભુત મિથ્યાભિમાન!
પશ્ચિમમાં જે પણ શોધ થાય કે તરત આપણે શોધી કાઢીએ કે આ શોધ તો વેદમાં થઈ ગઈ છે. પુરાણોમાં થઈ ગઈ છે. અને ઉતારી પાડીએ તેમને. આ જ આપણો મુખ્ય ધંધો છે. ‘હું કરું નહીં અને તને યશ આપું નહીં’ – આ આપણો રાષ્ટ્રીય શોખ! આપણા રાજાઓએ વિરાટ મંદિરો બંધાવ્યાં છે, પણ એકાદ પણ પ્રયોગશાળા બનાવી હતી? આપણા જૂના રાજાઓ લડવા જતા હતા, ત્યારે લૂંટો કરી આવતા, પણ સૈન્યમાં કોઈ સંશોધક રાખતા હતા? નેપોલિયને ઇજિપ્તમાં ચડાઈ કરી, ત્યારે તેના સૈન્યમાં દોઢસો સંશોધકો હતા. જ્યારે નેપોલિયન લડતો હતો, ત્યારે આ સંશોધકો ઇજિપ્ત બાબતે સંશોધન કરતા હતા, જે પાછળથી ‘ઇજિપ્તોલૉજી’ નામે શાસ્ત્ર બની ગયું. સમગ્ર ભારતનો પ્રમાણભૂત નકશો કે ભારતની જમીનની ઇંચેઇંચની માપણી અંગ્રેજોએ કરી. આપણા કોઈ રાજાએ કરી? પુરાતત્ત્વ શાસ્ત્રનું સંશોધન અંગ્રેજોએ કર્યું – મોહન જો ડેરો સહિત – કોઈ ભારતીયે કર્યું? આજે પણ ભારત વિશે ગાઢ સંશોધનો પશ્ચિમમાં થાય છે. આયુર્વેદનું સંશોધન જર્મનીનું શ્રેષ્ઠ ગણાય છે.
પરિણામે આપણે હજારો વર્ષ સુધી પછાત રહ્યા. આજે પણ આપણાં શહેરો કે ગામડાં જુઓ. છે આધુનિક? રસ્તા પણ બરાબર નથી. લોકો પાસે કામ નથી. હજારો યોજનાઓ અને બણગાં પછી પણ બધો જ વહીવટ પછાત છે. કેમ ?
આપણે તો આજે પણ ભદ્રંભદ્ર જ છીએ, જે કૂવામાંનાં દેડકાં જેમ ભૂતકાળનું પૂંછડું પકડીને બેઠા છીએ અને વારંવાર મિથ્યાભિમાનની બિલાડી જેવી ગર્જનાઓ કરીએ છીએ. આપણા ગુજરાતી સાહિત્યમાં ભદ્રંભદ્ર, મિયાં ફૂસકી અને જીવરામ ભટ્ટ આ ત્રણ પાત્રો મિથ્યાભિમાનનાં પ્રતીકો ગણાય છે.
આજે એ ત્રણે ચારે બાજુ દેખાય છે.
નવી પેઢી આ નેતાઓ કે મિથ્યાભિમાનીઓનાં ભ્રમણાત્મક વિધાનોને વખોડી સંશોધન કરવા તરફ જવાનું છે. નહીં તો આપણો દેશ હંમેશ બસોમો, ત્રણસોમો કે ચારસોમો જ રહેશે. કદાચ પાછળ જતો જશે.
હાથ મૂછ પર ફેરવવાને બદલે તેની મદદથી પ્રયોગશાળામાં કામ કરવાનું છે!
ભૂજ-કચ્છ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 13-14