મારી પેઢી કિશોરાવસ્થામાં પ્રવેશી ત્યારે ફેસબુક પર એકાઉન્ટ બનાવવાનું યુવાનોમાં આકર્ષણ રહેતું. જો કે એવું નિર્દોષ માધ્યમ તો તે હવે ક્યારનું મટી ચૂક્યું છે અને એક પછી એક ગંભીર વિવાદોમાં સપડાતું આવ્યું છે. તાજો વિવાદ ભારતીય જનતા પક્ષ સાથે ફેસબુકના ‘મૈત્રીપૂર્ણ’ સંબંધોને લગતો છે.
શું છે ફેસબુક-ભા.જ.પ. વિવાદ?
ગત 14મી ઑગસ્ટે અમેરિકાના વિખ્યાત સમાચારપત્ર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં આરોપ હતો કે ફેસબુક ભારતમાં પોતે બનાવેલા ‘હેટ સ્પીચ’ – ધિક્કારજનક લખાણો – સામગ્રીને લગતા નિયમોના અમલમાં પક્ષપાતી વલણ અપનાવે છે અને શાસક પક્ષ ભા.જ.પ.ની તરફેણ કરે છે.
અહેવાલ મુજબ, ભા.જ.પી. ધારાસભ્ય ટી. રાજાએ ફેસબુક પર મુસલમાનોને દેશના ગદ્દાર કહ્યા, રોહિંગ્યા મુસલમાનોને ભડાકે દેવાની વાત કરી તથા મસ્જિદો તોડી પાડવાની ધમકીઓ આપી. ફેસબુકના ધ્યાન પર આ વિધાનો આવ્યાં અને પ્રાથમિક તપાસમાં તે ફેસબુકની કમ્યુનિટી ગાઇડલાઇન્સનો ભંગ કરતા હોવાનું તારણ નીકળ્યું. આ પ્રકારના વિધાનો બદલ અમેરિકામાં ફેસબુક વપરાશકર્તાઓને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવે છે અને એ રીતે ધારાસભ્યને પણ ફેસબુક પરથી કાયમી ધોરણે પ્રતિબંધિત કરવાનું સૂચવાયું. પરંતુ, અહેવાલ પ્રમાણે ફેસબુકનાં ભારત એકમનાં હેડ અંખી દાસે તેમની ટીમને ટી. રાજા વિરુદ્ધ કોઈ પગલાં લેતાં રોક્યા. અંખી દાસની દલીલ હતી કે શાસક પક્ષને ઉશ્કેરવાથી ફેસબુકના ભારતમાં ધંધા પર નકારાત્મક અસર થશે. ઉલ્લેખનીય છે કે વસતિના કારણે ભારત ફેસબુક માટે ખૂબ મહત્ત્વનું બજાર ગણાય છે. ભારતમાં ઇન્ટરનેટ વાપરતા ૫૦.૮ કરોડ લોકોમાંથી આશરે ૩૨.૮ કરોડ લોકો ફેસબુકના વપરાશકર્તા છે અને આશરે ૪૦ કરોડ લોકો ફેસબુકની માલિકીના વોટ્સએપના વપરાશકર્તા છે. વળી, ફેસબુક માટે જાહેરાતો દ્વારા થતી કમાણીનો મોટો રાજકીય સ્રોત ભા.જ.પ. છે.
‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલમાં અન્ય બે ભા.જ.પી. નેતાઓની પણ વાત છે, જેમની સામે ફેસબુક તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. તેમાં ‘ગોલી મારો સાલોંકો’-ખ્યાત કપિલ મિશ્રા પણ સામેલ છે. ખુદ માર્ક ઝકરબર્ગે કપિલ મિશ્રાની એ વીડિયોને હેટ સ્પીચનું ઉદાહરણ ગણાવ્યું હતું. તે ઉપરાંત પણ હેટ સ્પીચ ગણી શકાય એવી ઘણી પોસ્ટ મિશ્રાએ મૂકી હતી. તેની પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. જો કે ‘વૉલ સ્ટ્રીટ જર્નલે' એ બાબતે સવાલ ઉઠાવ્યા પછી ફેસબુકે તેમાંની થોડી પોસ્ટ હટાવી લીધી છે.
અહેવાલમાં ત્રીજું નામ અનંતકુમાર હેગડેનું છે, જેમણે મુસલમાનો કોરોના-જેહાદ કરે છે એ મતલબનાં કેટલાંક કાર્ટૂન મૂક્યાં હતાં. આ મામલે ફરિયાદ પછી ટ્વીટરે તેમનું એકાઉન્ટ બંધ કરી દીધું, પણ ફેસબૂકે કોઈ પગલાં લીધાં નહિ. ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલના પગલે આખરે ફેસબુકે તેમની પણ કેટલીક પોસ્ટ હટાવી લીધી છે.
‘ટાઇમ’નો પૂરક અહેવાલ
‘વૉલ સ્ટ્રીટ જર્નલ'ના વિસ્તૃત અહેવાલો પછી ‘ટાઇમ’ સાપ્તાહિકમાં પણ ફેસબુક-ભા.જ.પ. સાંઠગાંઠ વિશે વિગતવાર અહેવાલ પ્રગટ થયો. તેમાં અગાઉ જણાવેલાં નામ ઉપરાંત આસામના ભા.જ.પ. નેતા શિલાદિત્ય દેવનો ઉલ્લેખ છે. તેમણે એક કિશોરીના મુસ્લિમ યુવક દ્વારા કથિત બળાત્કારના સમાચાર શૅર કરીને લખ્યું હતું કે બાંગલાદેશીઓ આ રીતે આપણા દેશમાં આપણા લોકોને નિશાન બનાવે છે. વર્ષ 2019ની આ પોસ્ટને ફેસબુકના ધ્યાને લાવવામાં આવી હતી, પરંતુ તેની પર એક વરસ સુધી કોઈ પગલાં લેવાયા નહોતાં. આખરે ‘ટાઇમ’ના સવાલો પછી ફેસબુકે ભૂલ સ્વીકારી અને એ પોસ્ટને હેટ સ્પીચ ફેલાવતી હોવાના કારણસર દૂર કરી.
ફેસબુકનો ગરબડિયો ભૂતકાળ
ફેસબુક પર ભા.જ.પ.ની તરફેણના આરોપો અગાઉ પણ લાગી ચૂક્યા છે. ગઈ લોકસભા ચૂંટણી વખતે ફેસબુકે જાહેર કર્યું હતું કે તેણે પાકિસ્તાની લશ્કર અને કૉંગ્રેસને લગતાં નકલી એકાઉન્ટ બંધ કર્યાં છે. ખરેખર આ સૂચિમાં અનેક ભા.જ.પી. એકાઉન્ટ પણ સામેલ હતાં. પરંતુ ફેસબુકની જાહેરાતથી એવી છાપ પડતી હતી કે જાણે માત્ર કૉંગ્રેસ જ તેમાં સામેલ હોય.
‘ધ રીયલ ફેસ ઓફ ફેસબુક ઇન ઇન્ડિયા’ના લેખક પરંજોય ગુહા ઠાકુરતાનો આરોપ છે કે ફેસબુક-ભા.જ.પ. વચ્ચેનું ગઠબંધન તો કાઁગ્રેસ સત્તામાં હતી ત્યારનું સ્થપાઈ ચૂક્યું હતું અને ફેસબુકનો ભા.જ.પ.તરફી ઝોક વર્ષ 2013થી જ જોવા મળે છે.
‘ટાઇમ’ના અહેવાલ મુજબ, ફેસબુકના પૂર્વ પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલ 2014 લોકસભા ચૂંટણી દરમિયાન ભા.જ.પ. માટે કામ કરી ચૂક્યા હતા. તેમ છતાં 2019 લોકસભા ચૂંટણી દરમિયાન તેમને ફેસબુકમાં ડિરેક્ટરના પદે રાખવામાં આવેલ હતા. ડિરેક્ટર તરીકે તેમનું કામ હેટ સ્પીચના કિસ્સામાં પગલાં લેવાનું અને સાથોસાથ ધંધામાં પ્રગતિ માટે સરકાર સાથે વાટાઘાટો કરવાનું પણ હતું. આમ, તે દેખીતી રીતે જ હિતોના ટકરાવનો મામલો બનતો હતો. ત્યાર પછી ઠુકરાલ બઢતી મેળવીને હવે વોટ્સએપના ભારત એકમના ડિરેક્ટર બની ચૂક્યા છે.
કર્મચારીઓ દ્વારા જ કંપનીની ટીકા
તાજા વિવાદ પછી ફેસબુકના કેટલાક કર્મચારીઓએ કંપનીની નીતિની ટીકા કરી છે અને રાજકીય દબાણમાં આવ્યા વગર હેટ સ્પીચ સહિત તમામ કમ્યુનિટી ગાઇડલાઇન્સનો અમલ કરવાની માગ કરી છે. તેમની ફરિયાદ છે કે કંપનીમાં એક જ વ્યક્તિ ગાઇડલાઇન્સના અમલ તથા ધંધામાં પ્રગતિ માટે જવાબદાર હોવાને કારણે તટસ્થતાથી નિર્ણય લેવાય એ શક્ય નથી. ઉપરાંત, કમ્યુનિટી ગાઇડલાઇન્સ પર કામ કરતી ટીમમાં એક પણ મુસ્લિમ કર્મચારી નથી. શાસક પક્ષને ખુશ રાખવા કંપનીમાં નીચલા પદે પક્ષના કાર્યકરોની જ મોટા પાયે ભરતી કરવામાં આવે છે, એવો દાવો પણ એક નિવૃત્ત ઉચ્ચ પદાધિકારીએ કર્યો છે.
અંખી દાસઃ ચર્ચાસ્પદ પાત્ર
અંખી દાસ ફેસબુક-ભારત ખાતે પબ્લિક પૉલિસી ડિરેક્ટર છે. અગાઉ તેઓ માઇક્રોસોફ્ટના ભારત એકમમાં પણ આ જ પદે કામ કરી ચૂક્યાં છે. વખતોવખત તેમના લેખો પણ વિવિધ માધ્યમોમાં આવતા રહે છે. વર્ષ 2014ના એક લેખમાં તેમણે પ્રચારમાં ચતુરાઈપૂર્વક ફેસબુકના ઉપયોગને મોદીના વિજય માટે જવાબદાર ગણાવ્યો હતો.
ભા.જ.પ.તરફી પક્ષપાત બાબતે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. આ દિવસો દરમિયાન તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર તેમણે એટલું જ લખ્યું કે ‘તમે ભલે બીજાના વાંક કાઢો, પણ પોતાની સફળતા કે નિષ્ફળતા માટે તમે પોતે જવાબદાર છો. બીજાના વાંક જોવા બહુ સહેલા છે.’ ભૂતકાળમાં તેમણે મુસ્લિમો પ્રત્યે દ્વેષ ભરેલી કહી શકાય તેવી પોસ્ટ પણ શેર કરી હતી. તે ચર્ચામાં આવતા તેમણે કંપનીના મુસ્લિમ કર્મચારીઓની માફી માગીને તે પોસ્ટ હટાવી લીધી હતી.
વૉલ સ્ટ્રીટના અહેવાલ પછી ફેસબુક-ટ્વીટર પર અંખી દાસ વિશે ટીકા ઉપરાંત ભદ્દી ને ભડકાઉ ટિપ્પણીઓ પણ થઈ. તેની સામે અંખી દાસે ફરિયાદ નોંધાવી છે. સાથોસાથ, છત્તીસગઢમાંથી અંખી દાસ સામે વિસંવાદ ભડકાવવાના આરોપસર એક કેસ નોંધાયો છે.
વ્યાપક ટીકાઓના જવાબમાં ફેસબુકના ભારત એકમના વાઇસ-પ્રેસિડેન્ટ અજિત મોહને એક બ્લોગ-પોસ્ટમાં ફેસબુકનો બચાવ કર્યો છે. તેમનો દાવો છે કે કંપની પોતાની નીતિઓને નિષ્પક્ષ રહીને અમલ કરે છે. જો કે કોઈ ચોક્કસ સવાલના સ્પષ્ટ જવાબ વિના આ જવાબ તદ્દન પોલો લાગે છે. તેમણે લખ્યું છે કે ટી. રાજાનું એકાઉન્ટ બંધ નહીં કરવાનો નિર્ણય આખરી નથી.
સંસદીય તપાસ
અહેવાલ પછી સંસદની ઇન્ફર્મેશન ટૅક્નોલોજી કમિટીના અધ્યક્ષ શશિ થરૂરે ફેસબુકને બીજી સપ્ટેમ્બરે હાજર થવા જણાવ્યું છે. તૃણમૂલ કાઁગ્રેસના સાંસદ મહુઆ મિત્રાએ શશિ થરૂરના પગલાંને સમર્થન આપ્યું છે, તો ભા.જ.પ.ના નિશિકાંત દુબેએ સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા વિના પગલું ભરવા બદલ શશિ થરૂરની ટીકા કરી છે અને એ બાબતે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી છે.
જો કે સંસદીય સમિતિઓ પાસે શિક્ષાત્મક પગલાં ભરવાની સત્તા હોતી નથી. ઉપરાંત, સમિતિઓમાં એન.ડી.એ. બહુમતી ભોગવતી હોવાને કારણે તેના તરફથી સંસદમાં આખી ઘટના પર ઠેકાણાસરનો અહેવાલ સુદ્ધાં રજૂ થાય તેની શક્યતા નહીંવત્ છે. દેશના કેટલાંક નિવૃત્ત સનદી સેવા અધિકારીઓએ માર્ક ઝકરબર્ગને પણ આ અંગે ફરિયાદ કરીને ગાઇડલાઇન્સને લગતા નિર્ણયો પરથી અંખી દાસનો પ્રભાવ દૂર કરવા માગણી કરી છે. કાઁગ્રેસે પણ એ મતલબનો પત્ર લખીને યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી હતી. સંસદીય સમિતિ ઉપરાંત દિલ્હી વિધાનસભાની ‘શાંતિ અને સૌહાર્દ સમિતિ’એ પણ ફેસબુક સત્તાધીશોને હાજર થવા ફરમાન કર્યું છે.
આ બધી તપાસો ઊહાપોહ શમાવવાની કવાયતો બને છે કે પછી તેમાંથી નિષ્ઠાપૂર્વક ઊંડા ઊતરીને ફેસબુક-ભા.જ.પ.ની સાંઠગાંઠના તળ સુધી જવાની કોશિશ થાય છે, તે જોવાનું રહે છે. પણ આવી તપાસોનો અત્યાર લગીનો ઇતિહાસ ખાસ આશા જન્માવે એવો નથી.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 06-08