બજેટનો એક ઉદ્દેશ અર્થતંત્રમાં જો કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો એનો ઉકેલ શોધવાનો હોય છે. આ દૃષ્ટિએ એ જોઈએ તો આગામી વર્ષ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર વાસ્તવિક્તાથી વિમુખ રહીને તૈયાર કરવામાં આવ્યું છે. નોટબંધીથી શરૂ કરીને જેને અર્થતંત્રનું બિનસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા જેને અર્થતંત્રનું અનૌપચારિક ક્ષેત્ર કહેવામાં આવે છે તે સંકોચાતું જાય છે. અર્થતંત્રના આ વિભાગમાં લગભગ ૮૫ ટકા લોકોને રોજગારી મળે છે. આનો અર્થ એવો થાય કે લોકોને મળતી રોજગારી ઘટતી રહી છે. એમાં જી.એસ.ટી.ના અમલથી વધારો થયો છે. કોવિડની મહામારી દરમિયાન એક વધુ ફટકો લાગ્યો છે. આમ અર્થતંત્રના બિનસંગઠિત વિભાગમાં રોજગારી ઘટી રહી છે. અને પરિણામે લોકોની ગરીબીમાં વધારો થયો છે. આ ગરીબો અને બેકારોને એમનાં નસીબ ઉપર છોડવાાં આવ્યાં છે. બજેટમાં એના માટે કોઈ પગલાં સૂચવાયાં નથી.
અર્થતંત્રની બીજી સમસ્યા બેકારીની છે. જે યુવાનો અર્થતંત્રમાં રોજગારી શોધવા માટે આવે છે એમને રોજગારી પૂરી પાડી શકાતી નથી. એને પરિણામે અર્થતંત્રમાં છેલ્લાં ચાર કે પાંચ વર્ષોમાં બેકારીનું પ્રમાણ બેવડું થઈ ગયું છે અને બેકારી ઝડપથી વધી રહી છે. ત્યારે બજેટમાં આગામી પાંચ વર્ષોમાં કેટલાંક ક્ષેત્રોમાં રોજગારીમાં ૬૦ લાખનો વધારો થશે એ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. પણ દર વર્ષે જે ૯૦ લાખથી વધારે યુવાનો રોજગારી શોધવા માટે આવે છે એમના માટે રોજગારીનો કોઈ પ્રબંધ કરવામાં આવ્યો નથી. રોજગારીના અભાવમાં કેટલાક લોકો નિરાશ થઈને રોજગારી શોધવાનું જ માંડી વાળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં એ લોકો શ્રમના બજારમાંથી બહાર નીકળી જાય છે એને પરિણામે ભારતમાં શ્રમનો સામેલગીરીનો દર બીજા વિકાસશીલ દેશોની તુલનામાં ઓછો છે. આને પરિણામે આપણે આપણી શ્રમશક્તિનો ઉપયોગ કરીને ગરીબીમાંથી બહાર આવી શકતાં નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો માત્ર વાતો જ રહી છે.
અર્થતંત્રમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યું છે. એવા કેટલાક નિર્દેશો મળ્યા છે ભારતમાં સરકારની કરવેરાની આવકમાં બજેટમાં મૂકવામાં આવેલા અંદાજની તુલનામાં ઘણી વધારે આવક થઈ છે. પણ એના પરિણામે રાજકોષીય ખાધમાં જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નથી. વિશ્વમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યાંના નિર્દેશો સાંપડે છે. એને પરિણામે વ્યાજના દરમાં ઘટાડો કરીને મૂડી રોકાણને ઉત્તેજન આપી શકાશે નહીં. એ માટે રાજકોષીય ખાદ્યનું પ્રમાણ ઘટાડવું જ પડશે.
બધો મદાર બજેટમાં સરકાર દ્વારા પાયાની સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ મૂડી રોકાણમાં વધારો કરવામાં આવ્યો છે, એના ઉપર રાખવામાં આવ્યો છે. એ પાયાની સવલતોમાં આગલા વર્ષમાં કરવામાં આવેલા મૂડીરોકાણમાં ૫૦ ટકાનો વધારો સૂચવાયો છે. એની સાથે ‘મનરેગા’ જેવી કલ્યાણ યોજનાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એના પરિણામે વધનાર મૂડીરોકાણથી આવક અને રોજગારીમાં કેટલો વધારો થશે તે અનિશ્ચિત બાબત છે. પાયાની સવલતો જેવી કે રસ્તાઓ, બંદરો, વીજળી એ બધાં પાછળ થનાર મૂડીરોકાણ સમય જતાં ફળદાયી નીવડતું હોય છે. તેથી એ મૂડીરોકાણને પરિણામે તાત્કાલિક જે રોજગારી સર્જાય એની અસર અર્થતંત્ર પર પડે છે.
દરમિયાન, દેશનું શેરબજાર ઘણા સમયથી તેજીની અવસ્થામાં છે. પણ એ અર્થતંત્રની પારાશીશી નથી. એ માત્ર દેશનાં કોર્પોરેટ વિભાગની પારાશીશી છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રમાં એના સંદર્ભમાં જે રીકવરી ચાલી રહી છે. તેને અંગ્રેજી K આકાર જેવી વર્ણવી છે. એનો અર્થ એ કે કેટલાંક ક્ષેત્રોમાં તેજીની સ્થિતિ પ્રવર્તતે છે. પણ અન્ય ક્ષેત્રોમાં મંદીની સ્થિતિ પ્રવર્તે છે. દેશના અર્થતંત્રના અસંગઠિત વિભાગમાં હજી રીકવરી નથી આવી એનો આ નિર્દેશ છે.
ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે અસમાનતા ધરાવે છે. તે હકીકત તાજેતરમાં બહાર પાડેલા અસમાનતાના રિપોર્ટમાં પ્રગટ થઈ છે. ભારતનું અર્થતંત્ર તીવ્ર અસમાનતા ધરાવે છે. તેની સાથે એ એક ગરીબ અર્થતંત્ર છે એ પણ હકીકત નોંધવામાં આવી છે. આવા અર્થતંત્રમાં સમાનતાની દિશામાં કોઈ પગલાં ભરવામાં ના આવે એ ગરીબોની કમનીસીબી છે. ભારતનું અર્થતંત્ર આજે સમાજના ઉપલા વર્ગો માટે કામ કરી રહ્યું છે. આને સર્વસમાવેશી બનાવવા માટે અનેક ઉપાયો કરવા પડે એને બદલે વાતોથી સંતોષ માનવામાં આવે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 02