વિદ્યાર્થિનીઓ પોતાના હક માટે અવાજ ઉઠાવે તો સાચા શિક્ષકે પ્રતિઆરોપ મૂકવાને બદલે હરખાવું જોઈએ
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીની છેડતીનો બનાવ અને ત્યાર બાદના ઘટનાક્રમમાં સાથે સંકળાયેલા મુદ્દા મનને અસ્વસ્થ કરનારા છે. વિદ્યાર્થિનીઓની સલામતી, સત્તાધીશોમાં સલામતીના મુદ્દે પ્રતિબદ્ધતાનો અભાવ અને જાતીય ભેદભાવ છતું કરતું વલણ કોઈ પણ જાતના ઢાંકપીછોડા વગર સામે આવ્યાં, એ મનને વ્યગ્ર કરનારાં છે. એ પણ ઉલ્લેખનીય છે કે આ એ રાજ્યની ઘટના છે જ્યાં હજુ છ મહિના પહેલાં જ નવી સરકારે સત્તા સંભાળ્યાની સાથે જ મહિલાઓની જાહેર સ્થળો પર થતી જાતીય સતામણી રોકવા ‘એન્ટિ-રોમિયો સ્ક્વૉડ’ની સ્થાપના કરી હતી. એના મુખ્ય હેતુરૂપે તો મહિલાની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા જ દર્શાવાઈ હતી.
સ્ત્રી શિક્ષણ અને વિકાસ વચ્ચેના સીધા સંબંધને હવે પુરવાર કરવાનો રહેતો નથી. ઉચ્ચ શિક્ષણ સુધી માત્ર 18 ટકા છોકરીઓ જ પહોંચી શકી છે. તેમને શિક્ષણ લેતાં રોકવામાં દારુણ ગરીબી અને સંલગ્ન પરિબળોની ભલે સૌથી અગત્યની ભૂમિકા ભજવતાં હોય, સતત ભમતો અસલામતીનો ભય પણ તેમને શિક્ષણથી દૂર રાખે છે એ પણ હકીકત છે — ખાસ કરીને ઉચ્ચ શિક્ષણથી. કારણ કે કૉલેજ શિક્ષણ ઘરઆંગણે પહોંચાડવું શક્ય નથી હોતું, એટલે ઘરથી દૂર જવું પડે. જુવાન દીકરી ઘરની બહાર યુનિવર્સિટીમાં ભણવા જાય. ત્યાં જાતભાતનાં છોકરાછોકરીઓ આવતાં હોય. અજાણી જગ્યાએ અજાણ્યા લોકોના ભયથી બચાવવા ઘણી વાર માતા-પિતા પોતાની દીકરીઓને આગળ ભણવા જતાં રોકે છે. છોકરીઓની છેડતીના અવારનવાર સંભળાતા કિસ્સાઓને કારણે તેમના નિર્ણયને પુષ્ટિ મળે છે.
સ્ત્રીઓને શિક્ષણની સમાન તક પૂરી પાડવી હોય તો શાળા, કૉલેજ અને યુનિવર્સિટીના કેમ્પસમાં સઘન સલામતીની વ્યવસ્થાને પ્રાધાન્ય આપવું જ પડશે, જેથી વિદ્યાર્થિનીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકે અને તેના વાલી નિશ્ચિંત થઈ પોતાની દીકરીઓને ભણાવી શકે. હોસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે ખાસ વ્યવસ્થા કરવી પડે, કર્ફ્યૂનો સમય વહેલો કરવો એ કોઈ યોગ્ય ઉપાય નથી. એમ કરવાથી પાંજરે તો છોકરીઓ જ પુરાય છે.
કેમ્પસમાં જાતીય સતામણી અને હિંસા રોકવાની દિશામાં છેલ્લા દોઢ દાયકામાં આછાપાતળા પ્રયત્નો થયા છે. યુ.જી.સી.એ આ પ્રયત્નોને ઘનિષ્ઠ બનાવવા માટે 2015માં બધી શૈક્ષણિક સંસ્થાઓને પરિપત્ર પાઠવી નિર્દેશન આપ્યું હતું કે દરેક યુનિવર્સિટી અને તેની કૉલેજોમાં જાતીય હિંસાને રોકવા એક સમિતિ હોવી જોઈએ તેમ જ એક ખાસ સેલ હોવું જોઈએ, જે જાતીય હિંસા કે સતામણીના કિસ્સાઓ સામે પગલાં લઈ શકે. આ ઉપરાંત જાતીય હિંસા વિરુદ્ધ સંવેદનશીલતા ઊભી કરવાનું ખાસ કામ પણ સેલને સોંપવાનું એ નિર્દેશિકામાં છે.
તેનું કામ કેમ્પસમાં જાતીય સતામણી અને હિંસા પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ (‘આવું તો બિલકુલ ન ચલાવી લેવાય’) એવી નીતિ ઘડવામાં યુનિવર્સિટીને મદદ કરવાની રહેશે. આખી વ્યવસ્થા ગોઠવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ ગુનેગાર સજામાંથી છટકી ન શકે, તેમ જ ગુના અંગે ચુપકીદી સેવવાની કે તેની પર ઢાંકપિછોડો કરવાની સંસ્કૃિત સંપૂર્ણપણે નાબૂદ થાય. એ માટે શૈક્ષણિક સંસ્થાના મેનેજમેન્ટ અને શિક્ષકોમાં સંવેદનશીલતા ઊભી થાય, એ માટે જરૂરી કાર્યક્રમો ઘડવાનું પણ નિર્દેશન છે.
બનારસ હિંદુ યુનિવર્સિટીના કિસ્સામાં સિક્યૉરિટી ગાર્ડથી લઈને કુલપતિ સુધીના લોકોમાં જાતીય સતામણી પ્રત્યેની સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ જણાયો. યુનિવર્સિટીના પરિસરમાં સાંજે છ -સાડા છના અરસામાં હોસ્ટેલ પરત ફરતી એક વિદ્યાર્થિનીનાં કપડાંમાં હાથ નાખવા જેવી બદસલૂકી કરી બાઇક પર આવેલાં માણસો ફરાર થઈ જાય, સમગ્ર ઘટના હોસ્ટેલથી થોડાક જ મીટર દૂર બને, ત્યાં ઊભેલો ગાર્ડ મદદની બૂમો સાંભળીને પણ ન આવે, ઉલટું સામેથી એને અંધારું થતાં સંભાળીને રહેવાની સલાહ આપે! હોસ્ટેલના પ્રોક્ટરને ફરિયાદ કરવામાં આવે તો પીડિતાને જ વઢવામાં આવે, સાંજે છ વાગ્યા સુધી બહાર રખડવા બદલ એને ઠપકો આપવામાં આવે, હોસ્ટેલના કર્ફ્યૂનો સમય સાતથી બદલી ને છ કરી દેવો જોઈએ એ મતલબનાં સૂચનો કરવામાં આવે, સુરક્ષાના મામલે કુલપતિને મળવા માગતી વિદ્યાર્થિનીઓ પર પોલીસ લાઠીચાર્જ કરે. આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત દુ:ખદ અને કરુણ છે. કારણ કે, કુલપતિ સહિત યુનિવર્સિટીના કોઈ પણ સત્તાધીશોમાં જાતીય સતામણી સામેના ઝીરો ટોલરન્સ અંગે પ્રતિબદ્ધતાનો આછોપાતળો અણસાર પણ તેમાં દેખાતો નથી. ઉલટું સૌનું વલણ પીડિતાને ઠપકો આપવાનું જ જણાયું. કુલપતિએ એક ઇન્ટરવ્યૂમાં વળી એમ કહ્યું કે આ કિસ્સો શારીરિક છેડછાડનો નહિ, પણ ઈવ-ટીઝિંગનો હતો.
પીડિતાએ સ્પષ્ટપણે શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવી હોય તેમ છતાં પ્રશ્નની ગંભીરતાને મહત્ત્વ આપવાને બદલે પોતાનો ચહેરો બચાવવાનું કુલપતિને વધુ ઉચિત લાગ્યું. ગુનાની તીવ્રતા ઓછી બતાવવાથી યુનિવર્સિટીની જવાબદારી ઓછી નથી થવાની. સૌથી આશ્ચર્યજનક તો એ હતું કે સલામતીના પ્રશ્ને દેખાવો કરતી વિદ્યાર્થિનીઓને ઉદ્દેશીને કુલપતિએ કહ્યું કે જાહેરમાં પોતાના પ્રશ્નો ચર્ચીને તેણે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. પોતાના હક વિશે ને અન્યાયની વિરુદ્ધમાં નહીં બોલવાની ચુપકીદીને તે સંસ્કાર માનતા હશે? કુલપતિકક્ષાની વ્યક્તિ જ્યારે સંસ્કારની સંકુચિત પરિકલ્પનામાં બંધાયેલી જણાય, તો એની અસર ત્યાંના શિક્ષણ પર કેવી પડતી હશે?
યુનિવર્સિટીનું મુખ્ય કામ ડિગ્રી વહેંચવાનું નહીં, યુવા પેઢીમાં નવા વિચારોનું ચણતર કરવાનું તેમ જ સમાજની સ્વસ્થતા અને મજબૂતી ટકાવી રાખે તેવા સંસ્કારોનું ઘડતર કરવાનું અને તેને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું છે. સમાજમાં સ્ત્રીઓ મુક્તપણે હરીફરી શકે એ પણ આધુનિક સંસ્કાર છે. કારણ કે એમાં સમાનતાની ભાવના છે અને સ્ત્રીના આગવા વ્યક્તિત્વ પ્રત્યેનો આદર છે. આ સંસ્કાર યુનિવર્સિટી જેવી જગ્યાએ જ સારી રીતે ઘડાઈ શકે. શિક્ષણની સાથે નવી ચેતના આવે છે, આત્મવિશ્વાસ આવે છે, સાચાખોટાનો ભેદ પારખવાની ક્ષમતા આવે છે, અન્યાય સામે જાગૃતિ આવે છે.
કૉલેજમાં ભણતી છોકરી સ્પષ્ટ રીતે જાણે છે કે કેમ્પસમાં સલામતી પૂરી પાડવી એ યુનિવર્સિટીની મૂળભૂત ફરજમાં આવે છે અને કેમ્પસ પર થતી શારીરિક છેડછાડ એના વિદ્યાર્થી તરીકેના મૂળભૂત હકનો ભંગ છે. જો વિદ્યાર્થિનીઓ પોતાના હક માટે અવાજ ઉઠાવે તો એનો અર્થ તો એ થયો કે શિક્ષણે પોતાનું કાર્ય યોગ્ય રીતે કર્યું છે. શિક્ષણની પ્રક્રિયા એ મૂંગા રમકડાં નહિ પણ ધબકતાં નાગરિકો ઘડવાની છે. આવી ઘટનાથી તો સાચા શિક્ષકે હરખાવું જોઈએ. બચાવમાં પ્રતિઆરોપ કરવા કરતાં વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી એમની સાથે મળીને સમસ્યાના નવીન ઉપાયો શોધી કાઢવા જોઈએ.
સૌજન્ય : ‘સાચું શિક્ષણ’, “દિવ્ય ભાસ્કર”, 06 અૉક્ટોબર 2017