ભાવાંજલિ
તૃપ્તિએ આપણી વચ્ચેથી ૨૬મી મે ના રોજ વિદાય લીધી. ગુજરાતમાં માનવ અધિકારનું પાયાનું કામ કરનાર તૃપ્તિ દોઢ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. છેલ્લા દિવસો સુધી શરીરે સાથ આપ્યો એમ એણે કામ ચાલુ રાખ્યું. એણે કેન્સર સામેનો સંઘર્ષ છોડ્યો નહિ પણ રોગને, એની અસાધ્યતાને અને એના પરિણામને સ્વસ્થતાથી સ્વીકારી લીધાં હતાં. જ્યારે કેન્સરનું નિદાન થયું ત્યારે એક હળવાશ ભરી પળે એણે એક મિત્રને કહ્યું હતું કે “આપણે કહેતા જ રહ્યાં છીએ કે આ પ્રદૂષણયુક્ત પર્યાવરણથી કેન્સરની શક્યતા વધી જાય છે, જુઓને આ તો આપણને જ થઈ ગયું.” હું આમ કહેતી તૃપ્તિની કલ્પના કરું છું ત્યારે પણ એનો હૂંફાળો સસ્મિત ચહેરો જ દેખાય છે. આવું વિધાન પણ એની સમાવર્તી સમજનું જ પરિણામ સ્તો!! ‘હું જ કેમ?’’ ‘મારી જ સાથે આવું કેમ?’ એવાં સ્વકેન્દ્રી સવાલો નહીં, પણ ભોગ બનનાર અન્ય કોઈની જેમ આપણે પણ હોઈ જ શકીએ છે એ વાત નો તટસ્થતાપૂર્વક સ્વીકાર.
બાળપણથી તૃપ્તિ અમારે માટે રોલ મોડેલ જેવી જ ભૂમિકામાં હતી. એના માતા-પિતા (ઠાકોરભાઈ અને સૂર્યકાન્તાબહેન શાહ) સાથે મારા માતા-પિતા(ઘનશ્યામભાઈ અને કલ્પનાબેન શાહ)નો ઘનિષ્ઠ કૌટુંબિક સંબંધ. અમે સૌ જોડે મોટાં થયાં. અમારી પેઢીમાં એ સૌથી મોટી અને ખૂબ પ્રતિભાશાળી એટલે સ્વાભાવિક રીતે અમારા મનમાં એને માટે ખૂબ આદર. હું જ્યારે વડોદરા ભણવા ગઈ ત્યારે એમનું જગમાલની પોળનું ઘર મારે માટે હંમેશાં ખુલ્લું રહેતું. હું ઘણી વાર ત્યાં પહોચી જાઉં અને ત્યાં જ રોકાઈ પડું. હું એમના ઘરે પહોચી જાઉં એટલે ‘આવ ને ..’નો રણકો મને આવકારે. એ સમય દરમ્યાન સાગબારા બળાત્કાર કેસ પૂરો થયો હતો અને એ ‘સહિયર’ને આકાર આપવામાં ગળાડૂબ હતી. સાથે સાથે ‘મંથન’ યુવા સંગઠનમાં પ્રવૃત્ત. હું પણ આ પ્રવૃત્તિઓમાં જોડાતી ગઈ.
અમે સૌએ ભેગા થઈને “દીકરી આવી રે …” નાટક કરી ‘સહિયર’ માટે ફંડ ભેગું કર્યું. અલબત્ત, સમગ્ર આયોજનની મુખ્ય શિલ્પી એ જ હતી. ત્યાર બાદ ‘સહિયર’ અને ‘મંથન’માં ઘણાં કામ અમે જોડે કર્યાં. ૮ માર્ચની નિયમિત ઉજવણી, ભ્રૂણહત્યા વિરોધી આંદોલન અને જાતિ પરીક્ષણ પર પ્રતિબંધની માંગ, આંબેડકર નગર ઝૂંપડાવાસીઓના રહેણાંક હક માટે આંદોલન, નાનાપુરા ગામમાં રસ્તો બનાવવાનું કામ, કોમી હિંસા વખતે વસ્તીઓમાં જઈને કરેલાં કોમવાદ વિરોધી નાટકો, ‘પરિવર્તન’ સાથે કરેલ શેરી નાટ્ય મહોત્સવ, માંડલ પંચની ભલામણ પછી અનામત વિરોધી આંદોલન દરમ્યાન પત્રિકાઓ લખવી અને વહેંચવી પત્રિકાઓ ઘણું બધું. આ દરમ્યાન જ એ અને રોહિત મળ્યાં અને તેમણે જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું. મને યાદ છે અમે સૌએ કૂદકાઓ મારી-મારી ને તાળી વગાડી હતી અને એમના નિર્ણયને વધાવી લીધો હતો.
આ દરમ્યાન અમે એક ગીત ગાતાં … “અમે ચાલતાં રહ્યાં …પંથ હો વેરાન હો .. ચરણ ચિન્હ ચાંપતા રહ્યાં …” કદી ના અટકવાનું ગીત. મૃત્યુ આવે તો ય કામ અટકવું ના જોઈએ એવાં જોશનું ગીત. પ્રત્યેક જીવનનું મૃત્યુ નિશ્ચિત જ છે અને તો ય જીવન તો ચાલ્યા જ કરે છે. આ ફિલોસોફી તૃપ્તિ અને રોહિત બંને સમજીને જીવ્યાં છે. તૃપ્તિએ સૌ મિત્રોને સંબોધીને છએક મહિના પહેલા લખ્યો હતો. સમગ્ર લખાણમાં જીવનના સાતત્યનો ભાવ હતો. જીવનમાં જે કરવા ધાર્યું એ કાર્ય કર્યાનો સંતોષ વ્યક્ત કરવાની સાથે આગામી સમયમાં કરવાના બાકી કામોની યાદી હતી. આ સાથે એણે એની આજુબાજુ ધબકતા જીવનનું વર્ણન કર્યું હતું. હોસ્પિટલના બિછાનેથી માતા સાથે ગેલ કરતા વાનર બચ્ચાની ચેષ્ટાઓ માણવાનું એ કેન્સરના દર્દ સાથે પણ ચૂકી નહીં. બાજુના વૉર્ડમાંથી આવતા નવજાત શિશુના રૂદનનો અવાજ સાંભળી એને ધવડાવવામાં મુંઝાતી માતાની મદદ કરવાનું એને સહજ સ્ફૂર્યું હતું. આજ તૃપ્તિ હતી, જીવન માત્રને વધાવનારી, જીવન માત્ર પ્રત્યે સંવેદનશીલ.
તૃપ્તિની અંતિમયાત્રા એના કામ અને વિચારધારાને છાજે એવી જ રહે એની રોહિતે (તૃપ્તિના જીવન સાથીએ) પૂરતી કાળજી રાખી. ખૂબ હિંમતપૂર્વક અને પૂરી સ્વસ્થતા સાથે સમગ્ર આયોજનની જવાબદારી એણે પોતે જ સંભાળી. એટલે જ આવા પ્રસંગોમાં સામાન્ય રીતે જે ધાર્મિક ભાવો છવાઈ જતા હોય છે તે ખૂબ જ વિનમ્રતાપૂર્વક અસ્થાને થઈ ગયા. અને ક્રાંતિકારી વાતાવરણ જળવાઈ રહ્યું. ગુજરાતભરથી સૌ સ્વજનો ભેગા થયા હતા. સ્વજનો એટલે કુટુંબીજનો તો ખરા જ પણ સાથે સાથે ગુજરાતભરના માનવ અધિકાર માટે નિસબત ધરાવનારા લોકો. એમાં ગાંધીવાદી ઝોક ધરાવનારા સર્વોદયી કાર્યકરો પણ હતા, ડાબેરી વિચારધારાથી રંગાયેલા કોમરેડ પણ હતાં તેમ જ માત્ર તૃપ્તિની સંવેદનાથી ભીંજાયેલા આત્મજન પણ હતા. સૌના મન ભારે હતા, અને આંખો ભીની હતી પણ તૃપ્તિને જોમવંતી વિદાય આપવાની હતી. કાર્યકર બહેનોએ ‘સહિયર’નું બેનર ઓઢાડ્યું. કોઈ ફૂલ કે ધૂપની જરૂર જ ક્યાં હતી, બેનરના જાંબલી રંગમાં જ જરૂરી રંગ અને સુગંધ ભળેલાં હતાં. મિત્ર ચારુલ અને વિનયે અંજલિ આપવા આશાવાદી ક્રાંતિકારી ગીતો ગાયાં. “હમ લોગ : વી ધ પીપલ ….” ભારતના બંધારણના સર્વ સમાવિષ્ટ ભાવને રજૂ કરતું આ ગીત અને ત્યાર બાદ કિશોરકુમારનું “આ ચલ કે તુઝે, મેં લેકે ચલું …” સૌએ ભેગા થઈ ને ગાયું. વિચારધારા કોઈ પણ હોય પણ ત્યાં મોજુદ સૌ આ જ સપનાંથી જોડાયેલાં હતાં એટલે તાળીના તાલે સૌ એના ભાવમાં રંગાયા. નિર્ધારિત સમયે શબવાહિની આવી ત્યારે સૌ શિસ્તબદ્ધ બે હરોળ બનાવી ઊભા રહ્યાં. પતિ રોહિત, પુત્ર માનવ, ભાઈ ચિરાગ, તેમ જ સહિયર દિપાલી અને શિલ્પાએ કાંધ આપી. સૌ એ તૃપ્તિને માટે ક્રાંતિકારી સલામ પાઠવી. એની બીમારીને કારણે હોસ્પિટલે એના મૃતદેહને સ્વીકાર્યો નહીં, એટલે દેહદાનની એની ઈચ્છાનો આદર ન થઈ શક્યો. એના દેહની અંતિમક્રિયા કારેલીબાગ ખાતેના સ્મશાનમાં ક્રાંતિકારી સલામ સાથે કરવામાં આવી.
તૃપ્તિ આજે દૈહિક રીતે આપણી વચ્ચે નથી, પણ ન્યાયપૂર્ણ સમાજ માટે એણે શરૂ કરેલ સંઘર્ષ માટે લાંબી મજલ બાકી છે. એની વિદાયથી જરૂર એક ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે. પણ સંઘર્ષ અટક્યો નથી. તૃપ્તિના જીવન અને કામ ઘણાંને પ્રેરણા આપી છે. અને ભવિષ્યમાં પણ એ પ્રેરણા આપતાં રહેશે.
સલામ તૃપ્તિ. તું હંમેશાં અમારી સાથે જ હોઈશ.
e.mail : nehakabir00@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 16 & 14