જ્યાં ‘ના’ પાડવાનો અવકાશ ન હોય એવા સંજોગોમાં ઇચ્છા વિરુદ્ધ અપાયેલી મંજૂરીને મંજૂરી ગણાય ?
‘ડેરા સચ્ચા સોદા’વાળા બાબા રામ રહીમની કરતૂતોના પડઘા હજી કાનમાં સંભળાય છે. તેમની સામે પોતાના હોદ્દાનો ઉપયોગ કરી બે સ્ત્રીઓના જાતીય શોષણ કર્યાનો આરોપ સી.બી.આઈ. કોર્ટે મંજૂર રાખીને તેમને વીસ વર્ષની સજા સંભળાવી, ત્યારે એવી આશા જાગે કે લોકોની આંખો પર બંધાયેલી અંધવિશ્વાસની પટ્ટી હવે ખૂલશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક પછી એક આવી ઘટનાઓ આવતી જ રહી છે.
આસારામ બાપુ અને નારાયણ સંાઈ, નિત્યાનંદ પરમહંસ, યુ.પી.ના બાબા પરમાનંદ, કેરળના સ્વામી ગણેશાનંદ અને એવા તો બીજા દેશના ચારે ખૂણામાં ફેલાયેલાં અનેક નામોની યાદી લંબાતી જ ગઈ છે. જમીન પચાવી પાડવી, ધાકધમકી આપવી, ખૂન અને બળાત્કાર જેવા ગુનાઓમાં એમનાં નામ સંડોવાયેલાં છે. તેમનાં દુષ્કર્મોનાં પોટલાં એક પછી એક ઉઘડતાં જ જાય છે, તો પણ હજી તો એવા કેટલા ય બની બેઠેલા ગુરુ, સ્વામી, બાબા, મૌલવી, ફકીર હશે જેમની પાપલીલા બહાર નથી આવી. છતાં ય આપણા દેશમાં દરેક બાબા અત્યંત શ્રદ્ધાભાવથી પૂજાય છે. એક જાય તો બીજા દસ ઊભા થઈ જાય છે. તેમને એટલાં બધાં અનુયાયીઓ મળી રહે છે કે તેઓ એક સંપ્રદાય ઊભો કરી શકે!
મોટા સંપ્રદાય પર સામ્રાજ્ય ચલાવતા ગોડમેન / ગુરુનાં કરતૂતની વાત જાહેરમાં લાવવી અઘરી છે. તેની પાછળ ઘણાં કારણ કામ કરતાં હોય છે. સમાજની સમજણ જ એવી કે ગુરુજી સામે ના બોલાય. ગુરુ તો જાણે સાક્ષાત્ ઈશ્વર. ગુરુના ચેલાઓ પણ એ જ રીતે પ્રચાર કરતાં હોય છે. ગુરુ સાથેના સંબંધને ઈશ્વરને પામવાની સીડી સમજાવીને રજૂ કરવામાં આવે છે અને એમ માની લેનારા લોકો નીકળે પણ છે! ભોગ બનેલી વ્યક્તિ પણ મનેકમને તેમની સાથે થતા વ્યવહારને સ્વીકારી લે છે.
તેમાં ભણેલાગણેલા લોકો પણ આવી જાય. શૈક્ષણિક લાયકાત અને અંધશ્રદ્ધાને કોઈ સંબંધ નથી હોતો. માનસિક પછાતપણાને દૂર કરવા અક્ષરજ્ઞાન જરૂરી છે પણ ડિગ્રીલક્ષી ભણતરથી માનસિક પછાતપણું જાય જ, એ જરૂરી નથી. એ વાત સાચી કે આવી પાપલીલાનો ભોગ માત્ર સ્ત્રીઓ જ બને એવું નથી. ઘણી વાર બાળકો અને કેટલાક કિસ્સામાં પુરુષો પણ આધ્યાત્મિક ગુરુની જાતીય સતામણીનો ભોગ બનતા હોય છે. પરંતુ સ્ત્રીઓ અને બાળકોની હાલત પુરુષોની સરખામણીએ ઘણી વધારે કફોડી હોય છે. ગુરુની મહેરબાની સ્ત્રીઓ પર વધુ વરસતી હોય છે.
એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે સંપ્રદાયમાં સ્ત્રીઓના શારીરિક શોષણની વાત બહાર આવી, ત્યારે ગુરુ દ્વારા થતી જાતીય સંબંધની માગણીને એ સ્ત્રીના ગૌરવ તરીકે રજૂ કરવામાં આવતી હતી — જાણે કે એને કોઈ ઈશ્વરીય ભેટ મળી હોય અથવા પરમાત્માને પામવાનો આ એક રસ્તો હોય! ઘણાં કુટુંબો તો શ્રદ્ધાના રંગે એવા રંગાયેલા હોય છે કે પોતાની વહુ – દીકરીઓને આશ્રમમાં ગુરુની સેવા કરવા સામેથી મોકલતાં હોય છે. ગુરુ સેવાને જ ઈશ્વર સેવા ગણતાં લોકો પોતાની દીકરીઓને ગુરુને પ્રસન્ન રાખવાનું જ શીખવાડે છે.
સ્ત્રીને ગુરુના બીજા ચહેરાનો સાક્ષાત્કાર થાય ત્યારે ભગવાન સમાન ગુરુને નારાજ કર્યાનો ડર અને સાથેસાથે સમાજ તથા કુટુંબને પણ નારાજ કર્યાના ડરનું એવું મિશ્રણ થાય છે કે સ્ત્રીઓ પોતાનું શોષણ થવા દે છે. તેની સામે અવાજ ઉઠાવવાને બદલે તે ચૂપ રહેવાનું પસંદ કરે છે. આ જ ડરનો ઉપયોગ વારંવાર એની સામે કરવામાં આવે છે. બળાત્કાર એટલે મંજૂરી વિના જબરદસ્તીથી બંધાયેલો શારીરિક સંબંધ. જરૂરી નથી કે જબરદસ્તીના સંબંધ માટે હંમેશાં શારીરિક બળનો પ્રયોગ થાય જ.
જ્યારે એવા સંજોગો રચાયા હોય કે જ્યાં ‘ના’ પાડવાનો અને ‘ના’ સાંભળવાનો અવકાશ ન હોય એવા સંજોગોમાં ઈચ્છા વિરુદ્ધ અપાયેલી મંજૂરીને મંજૂરી ગણાય? જ્યારે સત્તાના સમીકરણમાં એક પલ્લું ભારે હોય અને બીજા પાસે બોલવાનો કે વિરોધ કરવાનો કોઈ અવકાશ જ ન હોય તેવા સંજોગોમાં બંધાયેલા સંબંધ પણ બળાત્કાર જ ગણાય. વળી, છેલ્લાં થોડાં વર્ષોમાં જે કિસ્સા ઉઘાડા પડ્યા છે, તેમાં ગુરુ અને તેમના આશ્રમ પાસે હથિયારની તાકાત અને રાજકીય વગ હોવાનું પણ બહાર આવ્યું છે. તેનાથી ડર બેવડાય છે. ગુરુ/બાબા સામેના આક્ષેપો સાબિત થયા અને તેમને સજા થઇ ત્યારે તેમના ઘણા અનુયાયીઓએ આશ્રમમાં ચાલતી ગુનાઈત પ્રવૃત્તિઓના આક્ષેપોનું સમર્થન કર્યું.
સવાલ એ ઊભો થાય છે કે કયા કારણથી આટલા બધા લોકો આ ગુરુઓ અને તેમની સંસ્થાઓ તરફ આકર્ષાય છે? કેટલાક સમાજશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ આ ગુરુઓ / બાબાઓના સામાજિક કામ પ્રત્યે લોકો આકર્ષિત થતા હોય છે. શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં રાજ્ય જ્યાં નિષ્ફળ ગયું હોય ત્યાં રાહતના દરે મળતી સુવિધાઓ લોકોને આકર્ષવાની જ. વળી, ગુરુઓ દ્વારા ચાલતા વ્યસનમુક્તિ જેવા કાર્યક્રમથી સચવાઈ જતાં કુટુંબો તેમ જ ક્યારેક આશ્રમમાં રોકટોક વગર મુક્ત રીતે આવવા-જવાની છૂટને કારણે મળતો સામાજિક સ્વીકાર લોકોને તેમના ભણી દોરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે.
સાંપ્રદાયિક ગુરુઓના સમાજ પર પ્રભાવ પર થયેલા અભ્યાસો કહે છે કે સામાજિક રીતે વધારે નિર્બળ વ્યક્તિની બાબાઓ પ્રત્યે વધુ આકર્ષિત થવાની શક્યતા વધી જાય છે. સામાન્ય સંજોગોમાં ડગલે ને પગલે હડધૂત થતા-અપમાન અનુભવતા લોકોને સામાજિક સ્વીકાર અને સન્માનની લાગણી મળતી હોય ત્યારે આંખે પાટા બાંધી તેઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે. સ્ત્રીઓની હાલત પણ કંઈક એવી જ હોય છે. એકધારી ઘરેડમાં ચાલતી, જેની ઉપર તેમનો પોતાનો ખાસ કોઈ અધિકાર પણ ન હોય તેવી જિંદગીને અાધ્યાત્મિક પ્રવૃત્તિ એક અર્થ આપતી હોય છે. એટલે તે આવી પ્રવૃત્તિઓમાં સંકળાતી રહે છે. તેમના માટે બે ખરાબ વિકલ્પમાંથી એકને પસંદ કરવાની વાત હોય છે.
જો કે, આર્થિક-સામજિક તેમ જ શૈક્ષણિક રીતે સધ્ધર લોકો પણ બાબાઓના ચમત્કારિક ઉપાયો અજમાવવા માટે તત્પર હોય છે. વધતી જતી અસલામતી અને અસમાનતાને કારણે તે અાધ્યાત્મિક બાબાઓનું શરણું શોધતા હોય છે. મૂળે સામાજિક સ્તરે વૈજ્ઞાનિક ઢબે વિચારવાની પ્રકૃતિ જરા નબળી જ છે. છેક સ્કૂલથી જ બાળકને સવાલ નહિ પૂછવાની ટેવ આપણે પાડીએ છીએ. ‘ટીચર જે કહે એ સાચું’ એ વલણ સાચા-ખોટાનો ભેદ પારખતા રોકે છે.
વર્ષો સુધી ગોરખધંધા કરતાં આશ્રમોની હકીકત રાજ્યના ધ્યાનમાં ન આવે એ બનવાજોગ નથી. ‘બેટી બચાવો’ના સૂત્રમાં રાચતા આપણા રાજકારણીઓને પણ બળાત્કારી બાબાઓના આશીર્વાદની જરૂર પડે, સત્ય સામે આવે ત્યારે પણ તેમને છાવરવાની જરૂર પડે અને તેઓ છાવરે પણ ખરાં! વોટબેંકની સામે નાગરિકહકોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા નબળી પડી છે, તે વાસ્તવિકતા છે.
સૌજન્ય : ‘મજબૂરીનું નામ …’, “દિવ્ય ભાસ્કર”, 22 સપ્ટેમ્બર 2017