Partition – The Forgotten story નામક દસ્તાવેજી ચિત્ર BBC2 પર કેટલાક દિવસો પહેલાં પ્રસારિત થયેલું, જેના પરિપાકરૂપે આ લખાણ લખાયું છે. તેમાંની કેટલીક સંબંધિત વાતો અહીં સમાવવા કોશિશ કરી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો હોત તો? કોઈ કહેશે, એ તે કોઈ સવાલ છે? એ શક્ય જ નહોતું, જુઓને હજુ પણ લડાઈઓ ચાલે જ છે ને? જ્યારે ધર્મને આધારે એક ભૂમિના બે ભાગ પડે, પછી મૈત્રી ક્યાંથી કેળવાય? સામાન્ય રીતે એક દેશના અલગ અલગ રાજ્યો તેમાં વસતી કોમ પ્રત્યે કેન્દ્રીય સરકારે દાખવેલી બેદરકારી, તેમને સહેવા પડેલા અન્યાય કે આર્થિક-રાજકીય અસમાનતાને કારણે અખંડ દેશનું ભંગાણ થતું હોય છે.
ભારતના ભાગલા થયા, પણ એ બે દેશો વચ્ચે જન્મતાની સાથે જ દુ:શ્મનાવટ કેમ પેદા થઇ? મૈત્રી કેમ ન વિકસી? એનાં કારણો અનેક છે. બીજા વિશ્વયુદ્ધમાં ભારતે મોટી સંખ્યામાં સૈનિકો પૂરા પાડ્યા. તેના શિરપાવરૂપે બ્રિટિશ સરકારે ભારતને સ્વાયતત્તા આપવાનું વચન આપેલું. 1948ના જૂન માસમાં ભારતને સ્વતંત્ર બનાવવાની જાહેરાત થઇ, તો એ ઘડી દસ મહિના વહેલી કેમ આવી? શું તેમની પાછળ કોઈ માનવભક્ષી વાઘ પડેલો? જો બ્રિટિશ સરકારે વિશ્વયુદ્ધ જૂન 1945માં ખત્મ થયું, ત્યારથી આયોજન કર્યું હોત, તો ત્રણ વર્ષમાં અખંડ ભારતને પરસ્પરનું સ્વમાન જળવાય તે રીતે છોડી શક્યા હોત. દુનિયાના ઇતિહાસમાં હજુ સુધી જેનો જોટો નથી મળ્યો, તેટલી સંખ્યાની જાનહાનિ અને વિસ્થાપિત થયેલ શરણાર્થીઓની યાતના પાછળ સ્વતંત્રતાની તારીખ અચાનક આગળ લાવવાનો નિર્ણય પણ કારણભૂત રહ્યો છે. લોર્ડ માઉન્ટબેટન અખંડ ભારતને સ્વતંત્રતા બક્ષી શકશે, તેમ સહુએ ધારેલું, પણ તેમણે 1947ના માર્ચમાં ભારતની ભૂમિ પર પગ મૂક્યો ત્યાં સુધીમાં તો વાઇસરોય વેવેલની મંત્રણા નિષ્ફળ થયેલી અને વિભાજનની અનિવાર્યતાની વાત ફેલાઈ ગયેલી. પરિણામે હિન્દુ, મુસ્લિમ અને સીખ કોમ વચ્ચે હિંસા ફાટી નીકળેલી. ગાંધીજીની અહિંસાની પ્રતિમા સ્મશાનની ચિતામાં ભડભડ બળવા લાગી અને કબરોમાં દટાવા લાગી. આથી જ તો એવા અત્યંત જોખમભર્યા સમયમાં બ્રિટિશ સત્તાધારીઓ હાજર રહે, તો તેમની સલામતી જોખમાય અને કદાચ એ માનવ સંહાર માટે તેમને જવાબદાર પણ ઠેરવાય, એમ ભાસ્યું તેથી ધાર્યા કરતાં વહેલા ઉચાળા ભરવામાં જ ડહાપણ લાગ્યું.
માર્ચ 1947માં માઉન્ટબેટનની વાઇસરોય તરીકે નિમણૂક થઇ, ત્યારે તેઓ અખંડ ભારતને જેમ બને તેમ જલદીથી બ્રિટનના તાબામાંથી મુક્ત કરી શકશે તેવી તેમની પાસે અપેક્ષા હતી. દસ અઠવાડિયામાં તેમણે આ કામ પતાવવાનું હતું. ભારતને આઝાદ કરવાનું ઠેરવાયું અને તેના ભાગલા પણ અનિવાર્ય લાગ્યા, તો એ કામ માટે જરૂરી સમય આપ્યો હોત, કુશળ વહીવટકર્તાઓને એ જવાબદારી સોંપી હોત અને પ્રજાને પૂરેપૂરી જાણકારી આપી તેમને પોતાના પસંદગીના દેશમાં રહેવા કે છોડવા માટે સમય આપ્યો હોત, તો આટલી મોટી સંખ્યામાં જાન-માલની હાનિ ન થઇ હોત; અને સંભવ છે કે હિન્દુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય પેદા ન થયું હોત. તો કદાચ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બે પાડોશી દેશો તરીકે વિકસ્યા હોત. વિચાર તો કરો, ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમારેખા નિશ્ચિત કરવાનું કામ સીરિલ રેડક્લિફને સોંપાયું, જેણે ભારતની ભૂમિ પર કદી પગ નહોતો મૂક્યો, એ દેશની ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃિત, લોકોના રહન સહન વિષે કાઈં જાણતો નહોતો, તેને કોઈ દેશની સીમા નક્કી કરવાનો અનુભવ માત્ર નહોતો. સીરિલ રેડક્લિફને સલાહ આપનાર કોઈ નહોતું. બ્રિટિશ સરકારે યુનાઇટેડ નેશન્સની મદદ લેવા જેટલી રાહ પણ ન જોઈ, કેમ કે બીજા વિશ્વયુદ્ધ બાદ દેવાળિયું કાઢી બેઠેલ દેશને દુઝતી ગાય સમાણું ભારત હવે મોંઘુ પડવા માંડ્યું હતું. અધૂરામાં પૂરું આવું મહા મુશ્કેલ કામ કરવા માટે રેડક્લિફને માત્ર પાંચ અઠવાડિયાનો સમય અપાયો. દલીલ એ હતી કે ભારત દેશથી અજાણ વ્યક્તિને આ કામ સોંપવાનું કારણ એ હતું કે એ તટસ્થ નિર્ણય લઇ શકે. એ કેવી રીતે તટસ્થ હોઈ શકે? એ તો પૂરેપૂરો બ્રિટિશ હતો અને ઉપરાંત ભારતથી તદ્દન અનભિજ્ઞ હતો. સહુથી વધુ સમૃદ્ધ એવા બંગાળ અને પંજાબના ભાગલા પાડવાની ઘડી આવી. લોકોને ખબર નહોતી કે તેઓનું ગામ, ખેતર, નદી, તળાવ, જંગલ, પહાડ, અરે પોતાનું ઘર કે આંગણાનું ઝાડ સુધ્ધાં સ્વતંત્ર ભારતમાં હશે કે નવા બનેલ પાકિસ્તાનમાં જશે. હજારો લોકોને હિજરત કરવાની ફરજ પડી. એકાદ કરોડ સ્ત્રી-પુરુષ-બાળકોએ જાન ગુમાવ્યાં અને બાર-પંદર કરોડ પ્રજા વિસ્થાપિત થઇ તે વિભાજન કરવાની આવી ક્રૂર નીતિ-રીતિને પરિણામે.
ઘડીભર કલ્પના કરીએ કે જે થયું તે થયું એ સમજીને કાશ્મીરના કબજાનો પ્રશ્નનો બંને દેશોને કબૂલ હોય તેવો તોડ કાઢ્યો હોત, તો બે દેશો વચ્ચે કેવા સંબંધો હોત? આજે પાકિસ્તાન દુબઇ થઈને ભારત સાથે વેપાર કરે છે. તેથી બંને દેશોને કેટલું આર્થિક નુકસાન થાય છે? કારણ? રાજકીય દુશ્મનાવટ. વેપાર કર્યા વિના ચાલે તેમ નથી અને વેર ભૂલી શકાતું નથી. પાકિસ્તાનનું તો લશ્કર જ કાશ્મીરના પ્રશ્ન પર જીવે છે. બંને દેશની નિર્દોષ પ્રજા મરે છે, તો રાજા શું કરે છે? પાકિસ્તાનની રચના ધર્મને આધારે થઇ, તેથી ત્યાંની સરકારને ધર્મ હોય અને સત્તા અને ધર્મને સીધી સાંઠ-ગાંઠ હોય તે સ્વીકાર્ય, પરંતુ હવે તો ભારત સરકાર પણ સત્તાને ધર્મની લગામના અંકુશમાં મુકવા લાગી છે.
કરુણતા તો જુઓ, ભારતને પાકિસ્તાન સાથે કાશ્મીરના પ્રશ્ને દુશ્મનાવટ છે, તો ચીન સાથે પણ સરહદી મામલે વિખવાદ છે. એ બંને દેશો ભારતના સાર્વભૌમત્વને અવગણે છે અને કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન આ મડાગાંઠ ઉકેલવા સક્ષમ નથી. પાડોશી દેશ મિત્ર ન બન્યો એટલે હાલમાં પાકિસ્તાન ચીન સાથે હાથ મિલાવી રહ્યું છે. કારાકોરમ પર્વતમાળામાં 800 માઈલનો ધોરી માર્ગ છેક ચીન લઇ જાય. એ વ્યાપારી માર્ગ પર વરસે દહાડે 11 બિલિયન પાઉન્ડનો વેપાર થાય છે, એ બંને દેશો વચ્ચે. એ વિસ્તારમાં પાકિસ્તાન-ચીન ઝિંદાબાદના બોર્ડ જોવા મળે છે. ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના નારા ક્યાં ગુમ થઇ ગયા? 200 બિલિયન પાઉન્ડના ખર્ચે ચીને પાકિસ્તાન જતાં રસ્તાઓ, ટનલ અને પૂલો બનાવ્યા. દોસ્તી હોય તો વિકાસ થાય અને દુશ્મનાવટ હોય તો વિનાશ તેનો આ પુરાવો. ચીન પાકિસ્તાન સાથે મૈત્રી વધારે એ ભયે ભારતે પાકિસ્તાન અને ચીન સાથે સારાસારી રાખવી તેમ કહેવાનો આશય નથી, પણ જો બંને પડોશી દેશો સાથે સમજણપૂર્વક સુલેહભર્યા રાજદ્વારી સંબંધો રહ્યા હોત અને સીમાના પ્રશ્નો વાટાઘાટો દ્વારા સમયસર ઉકેલી લીધા હોત, તો દુશ્મનાવટમાં ફસાયેલા આ ત્રણેય દેશો મળીને દુનિયામાં એક શાંતિપૂર્ણ આર્થિક અને સાંસ્કૃિતક મહા સામ્રાજ્ય ઊભું કરી શક્યા હોત. આ તો હવે ચીન પાકિસ્તાનનું આર્થિક માળખું મજબૂત કરશે અને પોતાના ખર્ચે તેને આધુનિક બનાવીને છેક યુરોપ સુધી પગપેસારો કરશે. ત્યારે ભારત બંને દેશોથી બચવા વધુને વધુ શસ્ત્રો બનાવીને અથવા બીજા દેશો પાસેથી વેંચાતા લઈને સતત લડાઈના ભયમાં જીવતું રહેશે.
પાકિસ્તાનનું સંરક્ષણનું બજેટ છ બિલિયન પાઉન્ડથી વધુ છે, જે ત્યાંના શિક્ષણના બજેટ કરતાં દસ ગણું વધારે છે. ભારતનું સંરક્ષણનું બજેટ 2.75 લાખ કરોડ રૂપિયા છે જ્યારે શિક્ષણનું અંદાજી ખર્ચ માત્ર 80 હજાર કરોડ રૂપિયા જેટલું છે. બંને દેશોમાં ગરીબી, અપૂરતું શિક્ષણ અને સ્વાસ્થ્યના પ્રશ્નો મોં ફાડીને ઊભા છે, તો દુશ્મનાવટને પાળી પોષીને મોટી કાં કરે છે?
હકીકત તો એ છે કે બંને દેશના જવાનો દેશ ખાતર મરવા તૈયાર છે એટલા જ એકબીજાને મારવા પણ આતુર. સરહદ પરના એક કંદોઈની આંખમાં “બંને પક્ષે નિર્દોષ માણસો મરે છે, એ બધા છે તો આખર ઇન્સાન ને?’ એમ કહેતા આંસુ આવે છે, પણ બેમાંથી એક પણ દેશના નેતાઓનું દિલ દુ:ખે છે? 2016માં પંજાબનો એક ખેડૂત પાક સરહદ પરથી બૉમ્બ પડતાં પોતાનો જમણો હાથ અને તાજો પરણેલો પુત્ર ગુમાવે અને તેનું જીવન બરબાદ થઇ જાય. એ યુવાનની વિધવાની ખાલી આંખો પૂછે છે, “કાશ્મીરના કબજાનું મહત્ત્વ અમારા જીવન કરતાં આટલું બધું વધારે?” તેમને કોણ સમજાવે કે ભારત-પાક વચ્ચે કાશ્મીરના પ્રશ્ને જે હુતાશન સળગતો રહે છે, તેનું પરિણામ બધા ભોગવે છે? કારગિલ પાસેની ખીણમાં જ્યાં લાઈન ઓફ કંટ્રોલ પસાર થાય છે, ત્યાં લગભગ 15 હજાર જેટલા કુટુંબો વિભાજિત થયાં. બે દેશની સીમા રેખાને કારણે 8-10 કિલોમીટર દૂર રહેતા ભાઈને મળવા 1,600 માઈલનો પંથ પંદર દિવસની સફર કરીને કાપ્યા પછી મળી શકે એ કેવી કરુણતા? જર્મનીની બર્લિનની દીવાલે કુટુંબો, જમીન અને પ્રજાના દિલો દિમાગના વિભાજનનું આવું જ ક્રૂર કામ કરેલું.
ભારત-પાકિસ્તાન વચ્ચે આશરે 200 માઈલની સીમા રેખા, જે પ્રદેશની આબોહવા, પ્રજાનાં પોશાક, ખોરાક, ભાષા, ખાણી-પીણી, કળા, શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃિતમાં એટલું બધું સામ્ય હતું, તેમને દુ:શ્મન થતા રોકી ન શક્યા એ કયું તત્ત્વ હતું? ધર્મને આધારે એક જ ધરતીના બે ટુકડા થયા, પર્વતો ભાંગ્યા એટલે કાલનો પોતાનો હતો એ પર્વત આજે પારકાનો, દુશ્મનનો થયો અને તેના જ પથ્થરો ઉપાડી જેની સાથે કાલ સુધી ભાઈચારો હતો તેનું લોહી વહાવ્યું.
સવાલ તો એ થાય છે, ભારત અને પાકિસ્તાને પાડોશીને દુશ્મન બનાવ્યા કે દુશ્મનને પાડોશી? માનો કે ભારત સ્વતંત્ર થયું ત્યારે હિન્દુ-મુસ્લિમ વચ્ચે સદ્દભાવના મરી પરવારી હતી, બ્રિટિશરોએ પોતાનું સામ્રાજ્ય જાળવવા બે કોમને વિભાજિત કરવાનું કામ કર્યું, એટલે બે દેશ જુદા થાય તો જ ટકી શકે તેમ હતું, પણ ત્યાર બાદ આટલાં બધાં વર્ષો સુધી વેરભાવ રાખવાનું કારણ? જો કાશ્મીર કોના તાબામાં જાય એ પ્રશ્ન હલ થઇ જાય તો શું બંને દેશ વચ્ચે સુમેળ સધાય ખરો? કે પછી હવે તો પાકિસ્તાન અને ઇસ્લામ અને ભારત અને હિંદુઓ પ્રત્યે દુશ્મનાવટ એવી ફાવી ગઈ છે કે તે વિના બંને દેશને ચૈન ન પડે?
વિચાર કરતાં એટલું સમજાયું કે અખંડ ભારતમાં બધી કોમ અને ધર્મના લોકો સદીઓ સુધી સામાન્યતઃ સંપીને શાંતિથી રહેતા આવેલા. જ્યારે ભારતના ભાગલા થયા ત્યારે ધર્મને રાજકારણનું પ્યાદું બનાવી, જમીનના એક સુંદર ટુકડા માટે બે દેશો હક જમાવવા સંઘર્ષનો આશ્રય લેવા માંડ્યા, અને તેથી જ ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો ના વિકસી શક્યા.
આગામી વર્ષોમાં આ સ્થિતિનો શાંતિમય ઉકેલ લાવવો છે તે નિર્ણય બન્ને દેશની પ્રજા અને તેમના રખેવાળોએ કરવાનો છે. ઈશ્વર અને અલ્લાહ બંનેને સન્મતિ આપે એવી પ્રાર્થના-દુવા.
e.mail : 71abuch@gmail.com