સ્થાયી ભાવ :
૮ સ્થાયી ભાવ છે : રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય.
એને એ કારણે સ્થાયી કહ્યા છે કે એ આદિથી અન્ત સુધી રહેનારા છે, કાયમી છે, માણસના ભાવજગતમાં પહેલેથી વસ્યા છે.
મને એ ૮ સંજ્ઞાઓ એટલા માટે ગમે છે કે એથી મનુષ્યના ભાવજગતની સમ્પૂર્ણતા સૂચવાઈ છે.
ગમવાનું બીજું કારણ એ છે કે આ બધા જ સ્થાયી ભાવ સાર્વત્રિક છે – યુનિવર્સલ. જે તે સ્થાયીને કોઈપણ માનવબાળ અનુભવતો હોય છે. રતિ, એટલે કે પ્રેમ, આ પૃથ્વી પરનો કયો મનુષ્ય નથી અનુભવતો? ભારતવાસી હસે ને જપાની ન હસે, કે શોક આફ્રિકાવાસી અનુભવે ને ફ્રૅન્ચ ન અનુભવે, એવું કદીપણ ન બને. અમેરિકા જમાદારની જેમ દુનિયાને ભય પમાડે છે, પણ અમેરિકન વ્યક્તિ તો ઘરમાં નાનું જીવડું – બગ – જોઈને ય ગભરાઇ ઊઠે છે ને બૂમો પાડે છે ! વગેરે.
બે હકીકતો ધ્યાનાર્હ છે :
૧ :
ભાવો સાર્વત્રિક છે એ ખરું પણ ભાવો સાપેક્ષ છે. મારો ભાવ મારો છે, તમારો તમારો. દરેક ભાવ સાથે હું-પદ અથવા મમત્વ સંકળાયેલું છે. એ જરૂરી નથી કે તમે અનુભવો એ હું અનુભવું કે તમારાથી અનુભવાય એ મારાથી પણ અનુભવાય ! તમે રતિ અનુભવો પણ મને ચીડ થતી હોય. કોઈના ઊલટા ચશ્માં જોઈને તમને હસવું આવે, મને ન આવે. તમે ભયભીત હોવ, હું ન હોઉં. તમે વિસ્મિત હોવ, હું ન હોઉં. ઘૂંટણેથી હેતુપૂર્વક ફાડી નંખાયેલા ‘રિપ્પડ્’ અથવા ‘ડિસ્ટ્રેસ્ડ જીન્સ’-માં કોઈ યુવતી હોય, એને જોઈને પ્રથાપરમ્પરાવાદીને જુગુપ્સા થાય, કૉલેજિયનને ન થાય. ભાવ સાથે જેમ મમત્વ સંકળાયેલું છે તેમ પરત્વ પણ સંકળાયેલું છે. શેરીના કોઈ પરિવારમાં મરણ થયું હોય તો મને ‘શોક’ ન થાય, કેમ કે એ પરિવાર અને એ મૃત વ્યક્તિ મારા માટે ‘પર’ હોય. ટૂંકમાં, એમ કહેવું જોઈએ કે ભાવો સાપેક્ષ છે તેથી એનું સ્વરૂપલક્ષણ મમત્વ-પરત્વ છે.
૨ :
ભાવ ભાવ છે, ક્રિયા નથી. તેમછતાં ભાવનું અન્તિમ પરિણામ મોટે ભાગે ક્રિયા હોય છે. રતિ અનુભવનારી વ્યક્તિ બેસી નથી રહેતી, ચુમ્બન આલિંગન વગેરે ક્રિયાઓમાં પ્રગતિ સાધે છે. રમણીને ‘ડિસ્ટ્રેસ્ડ જીન્સ’માં જોઈને ‘દયાવાન’ પુરુષ એને ડિસ્ટ્રેસનું કારણ પૂછવા જાય છે. ભયભીત વ્યક્તિ ભાગીને ઘરમાં ભરાઈ જાય છે. પ્રકૃતિથી વિસ્મિત વ્યક્તિ વનઉપવન કે નદીપહાડ ભણી નીકળી પડે છે. જુગુપ્સા થતાં માણસ આંખો નાક કાન બંધ કરી દે છે. બે ક્રોધિતો એકબીજાને લાફા મારીને બાથંબાથી પર ઊતરી આવે છે. મનુષ્ય વડે જીવન દરમ્યાન જે કંઇ કરાય છે એની પાછળ ભાવની એક ચૉક્કસ પૂર્વભૂમિકા હોય છે. યુદ્ધો દયા ભય કે વીરત્વના કારણ વિના નથી સંભવતાં, જેમ રોમિયો-જુલિયટ પ્રેમકારણ વિના ફના નથી થતાં.
રસસૂત્રમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ કેમ નથી?
આ રહ્યું એ સૂત્ર – વિભાવાનુભાવ વ્યભિચારિ સંયોગાત્ રસનિષ્પત્તિ: જોઈ શકાય છે કે એમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ નથી. ભરત મુનિ જે સ્થાયી છે એનો જ સમાસ નથી કરતા, એવું કેમ? કેમ કે, જરૂરી નથી. સૂત્રમાં છે એ વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ, સ્થાયી ભાવનાં જ અંગોપાંગ છે. સમજવા માટે એક દાખલો આપું :
ક્રોધ સ્થાયી ભાવ છે. ધારો કે મને ક્રોધ થયો છે. એનો અર્થ એ કે હું ક્રોધનું આલમ્બન બન્યો છું. બને છે એવું કે હું સમસમી ગયો હોઉં છું પણ મને ક્રોધ કરાવનારી વ્યક્તિ દલીલ પર દલીલ કર્યા જ કરતી હોય છે. એના એ વર્તનથી મારો ક્રોધ ભભૂકી ઊઠે છે અને હું મુક્કો ઉગામું છું. એના વર્તને એ પ્રકારે મારા ક્રોધને ઉદ્દીપિત કર્યો. હું ડોળા કાઢવા લાગ્યો, મારા નાકનાં ફોરણાં ફૂલી ગયાં, નસો ફૂલી ગઇ, વગેરે મારામાં શારીરિક પ્રતિક્રિયાઓ જનમી, એ અનુ-ભાવો છે. ક્ષણભર મને દયા આવી, ક્ષણભર મને થયું – જવા દે ને મૂરખો છે, વગેરે ઝીણું ઝીણું જે થયું અને ચાલી ગયું એ વ્યભિચારી ભાવો છે. આમ સ્થાયીને શકલોમાં વિભક્ત અને શકલોના સમવાય રૂપે જોવાની જરૂર છે. એ કારણે અને પ્રકારે રસસૂત્રકારે શાસ્ત્રપરક સંયમ જાળવ્યો છે, એની અધ્યેતાને પતીજ પડવી જોઈએ.
રસસૂત્રથી બે હકીકતો પ્રકાશિત થઈ છે :
૧ :
સ્થાયી ભાવ વિના રસ શક્ય નથી.
૨ :
સ્થાયી ભાવ મનુષ્યજીવનમાં છે, પણ વિવિધ રસ તો, સાહિત્યમાં કે અન્ય કલાઓમાં જ હોય છે. એમ પણ કહેવું જોઈએ કે જીવન છે તો સાહિત્ય અને કલાઓનું અસ્તિત્વ છે. એમ ઉમેરવું પણ જોઈએ કે સાહિત્ય અને કલાઓ છે તો જીવન રસમય છે.
શાસ્ત્રકારે ૮ સ્થાયી ભાવને ૮ રસ સાથે સાંકળ્યા છે : રતિ – શ્રુંગાર રસ, હાસ – હાસ્ય રસ, શોક – કરુણ રસ, ક્રોધ – રૌદ્ર રસ, ઉત્સાહ – વીર રસ, ભય – ભયાનક રસ, જુગુપ્સા – બીભત્સ રસ, વિસ્મય -અ દ્ભુત રસ.
આપણે જોઈશું કે ભાવ શી રીતે રસ બની ગયા.
(ક્રમશ:)
= = =
(11/20/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર