જાણીતા હાસ્યલેખક મધુસૂદન પારેખનો શતાબ્દી પ્રવેશ અભિવાદન સમારંભ ગુજરાત વિદ્યસભાએ આજે [19 જૂન 2022] સાંજે શ્રી હ.કા. કૉલેજ પરિસરના સભાગૃહમાં યોજ્યો છે.
પ્રા. ડૉ. મધુસુદન પારેખે 14 જુલાઈએ સોમા વર્ષમાં પ્રવેશ કરશે.
‘ગુજરાત સમાચાર’માં અરધી સદીથી હાસ્યની કૉલમ લખનારા ‘પ્રિયદર્શી’ તે ડૉ. મધુસૂદન પારેખ.
એચ.કે. આર્ટસ કૉલેજના પૂર્વ અધ્યાપક પારેખ સાહેબે બાળસાહિત્ય, સંશોધન, વિવેચન અને અનુવાદ ક્ષેત્રે ખેડાણ કર્યું છે. આ બધાં ક્ષેત્રોને આવરી લેતાં તેમનાં પુસ્તકોની સંખ્યા એકસો કરતાં ય વધુ છે. તેમને સંખ્યાબંધ સાહિત્યિક સન્માનો મળી ચૂક્યાં છે.
‘કુસુમાખ્યાન’ (2017) નામનાં તેમનાં હૃદયસ્પર્શી પુસ્તકનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. અહીં તેમણે દિવંગત કુસુમબહેન સાથેનાં તેમના દામ્પત્યજીવનની વાત સરસ રીતે મૂકી છે. ઉપરાંત જીવનસંગિની માટે જે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કર્યો છે તે આપણા સમાજમાં ઓછો જોવા મળે છે.
ગુજરાતીના પૂર્વ અધ્યાપક મધુસૂદનભાઈનાં ત્રણ પુસ્તકો ખૂબ મહત્ત્વનાં અને છતાં ય ઓછાં જાણીતાં છે. તેમાં અંગ્રેજી સાહિત્યના તેમણે ગુજરાતીમાં લખેલાં ઇતિહાસનાં પુસ્તકો છે : ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ (1979) અને અંગ્રેજી સાહિત્યની રૂપરેખા' (2002). ત્રીજું પુસ્તક તે ‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ (1965).
‘આચમન’ (નવભારત સાહિત્ય મંદિર) પુસ્તકમાં અંગ્રેજી સાહિત્યના પ્રારંભથી સત્તરમી સદીના મધ્ય ભાગ સુધીના અને ‘રૂપરેખા’(પાર્શ્વ પ્રકાશન)માં ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધીના સાહિત્યનો ઇતિહાસ છે. આ પુસ્તકો ડૉ. મધુસૂદન પારેખે ગુજરાતી સાહિત્યને કરેલું બહુમૂલ્ય પ્રદાન છે. આ લેખનો મુખ્ય આશય તેમના સન્માન પ્રસંગે તેમના ઉપેક્ષિત પ્રદાનને ઋણભાવથી ઉપસાવવાનો છે.
‘અંગ્રેજી સાહિત્યનું આચમન’, તેના કર્તાની સાહિત્યરુચિ અને તેની અભ્યાસનિષ્ઠાનું યથાર્થ ગૌરવ કરતાં મૂર્ધન્ય સાહિત્યકાર નિરંજન ભગતે તેમના ‘સ્વાધ્યાયલોક 2 : અંગ્રેજી સાહિત્ય’ પુસ્તકમાં લખ્યું છે : ’ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક છે. ભાઈ મધુસૂદન ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક-લેખક છે. એથી સ્પષ્ટ જ છે કે અંગ્રેજી ભાષા-સાહિત્ય એમનો શૈક્ષણિક-સાહિત્યિક વ્યવસાયનો વિષય નથી, શોખનો વિષય છે, રસનો વિષય છે. એથી એમણે ધન કે યશ અર્થે આ પુસ્તક રચ્યું નથી, માત્ર સાહિત્યપ્રીત્યર્થે જ આ પુસ્તક રચ્યું છે … અંતે એક અંગત એકરાર રૂપે કંઈક કાનમાં કહું : આ પુસ્તક વાંચતો હતો ત્યારે સતત એવું થતું હતું કે આવું પુસ્તક મારે લખવાનું હતું. ભાઈ મધુસૂદનની મને ઈર્ષ્યા થાય છે. એમને અભિનંદન !’
‘આચમન’ના લખાણોની પૂર્વપ્રસિદ્ધિ 1970માં ‘કુમાર’માં થઈ હતી અને તે માટે લેખકને ‘કુમાર ચંદ્રક’ મળ્યો હતો. આ વાચનીય પુસ્તકમાં ભારેખમ વિવરણ-વિવેચનના ખડકલા નથી. ઇતિહાસકારે સારલેખન પર ભાર મૂક્યો છે. એટલે અંગ્રેજી સાહિત્યના આરંભકાળના રોમાન્સ એટલે કે પ્રેમશૌર્યકથાઓ અને બૅલડસ્ એટલે કે ગીત-કથાઓના સાર વાંચવા મળે છે. તે પછી મધ્યયુગના જ્યૉફ્રે ચૉસર, નવજાગરણ સમયના એડમન્ડ સ્પેન્સર અને ફિલિપ સિડની જેવા કવિઓની દીર્ઘ કાવ્યકૃતિઓની વાર્તાઓ મળે છે. શેક્સ્પિયર વિશેના વિસ્તૃત પ્રકરણોની અલગ પુસ્તિકા થઈ શકે. જૉન મિલ્ટન અને તેના મહાકાવ્ય ‘પૅરેડાઈઝ લૉસ્ટ’નું પણ લેખકે ઉચિત નિરૂપણ કર્યું છે.
‘રૂપરેખા’માં સત્તરમા અને અઢારમા સૈકાની કટાક્ષકૃતિઓ તેમ જ કથાસાહિત્યની કૃતિઓનો સાર મળે છે.
આ બંને પુસ્તકો પ્રસિદ્ધ થયાં બાદ પણ પારેખ સાહેબનું આ ઇતિહાસલેખન ‘કુમાર’માં લાંબો સમય ચાલુ રહ્યું . વીસમી સદીના પૂર્વાધ સુધીના અંગ્રેજી સાહિત્યને આવરી લેનારા આ લેખો ત્રીજા પુસ્તક તરીકે પ્રકાશિત થાય એની પ્રતીક્ષામાં છે.
લેખકે સાહિત્યના દરેક યુગના મહત્ત્વના રાજકીય બનાવોને તેમણે ગૂંચવણભર્યા ન લાગે તે રીતે મૂક્યા છે અને વ્યાવર્તક સામાજિક-સાંસ્કૃતિક લક્ષણોને સુવાચ્ય રીતે તારવ્યાં છે.
આ ઇતિહાસની બીજી એક વિશેષતા અંગ્રેજી પારિભાષિક શબ્દોની પસંદગી છે. ‘એકોલોગ્સ’ માટે ‘ઊર્મિકો’ ‘બૅલડ’ માટે ‘ગીતગાથા’ અને ‘ફૅન્ટાસિયા’ માટે ‘તરંગયુક્ત કૃતિ’ એવા શબ્દો તે પ્રયોજે છે. તેમની શબ્દસૂઝનું ઉત્તમ દૃષ્ટાંત ‘મૉક-હિરોઇક’ શબ્દથી ઓળખાતા પ્રતિકાવ્ય માટે તેમણે આપેલો પર્યાય‘વ્યાજવીર’ છે. અંગ્રેજી શબ્દો/નામોનું એકંદર ચોકસાઈભર્યું ગુજરાતી લિપ્યંતર અને સૂચિ એ પુસ્તકની અન્ય ખાસિયતો છે.
અંગ્રેજી સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે ‘આચમન’ અને ‘રૂપરેખા’નો ઉપયોગ કરતાં વારંવાર એ જોવા મળે છે કે પારેખ સાહેબે અંગ્રેજી સાહિત્યના ઇતિહાસના અનેક મહત્ત્વના ગ્રંથોનો આ પુસ્તકના લેખનમાં પુષ્કળ મહેનતથી ઉપયોગ કર્યો છે.
અંગ્રેજીના પૂર્વ અધ્યાપક અને ગાંધીજીનાં લખાણોના અનુવાદક-સંપાદક ચી.ના. પટેલે ‘આચમન’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે : ‘શ્રી મધુસૂદન અંગ્રેજી સાહિત્યના ધંધાદારી અભ્યાસી નથી. એમણે જે કંઈ વાંચ્યું છે તે શોખરૂપે. પરંતુ કદાચ તેથી જ તેઓ એ અપરિચિત સહિત્યસૃષ્ટિમાં પ્રવેશ્યાનો સાચો આનંદ અનુભવી શક્યા છે અને એનાં રસસ્થાનોનો પરિચય કરાવવાનું સાહસ એમણે કર્યું છે … એ તેઓ અંગ્રેજી સાહિત્યના ઇતિહાસ ગ્રંથોની મદદથી કરી શક્યા છે એ ખરું. પરંતુ મૂળ કૃતિઓનો વ્યવસ્થિત અભ્યાસ કર્યા વિના સંદર્ભગ્રંથોની મદદથી એ કૃતિઓનો રસપ્રદ અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પરિચય કરાવવો તે રસગ્રહણની એક અસામાન્ય સિદ્ધિ ગણી શકાય.’
પ્રસ્તાવનામાં લેખકના ‘સ્વાભાવિક, સરળ અને પ્રવાહી’ ગુજરાતી ગદ્યની પણ નોંધ લેવામાં આવી છે. તેમની ભાષા વિશે ચી.ના. પટેલ લખે છે : ‘શ્રી મધુસૂદને અંગ્રેજી સહિત્ય વિશે અંગ્રેજીમાં વાંચ્યું છે, પરંતુ એમણે જે કંઈ વાંચ્યું છે તે એમની ગુજરાતી મન:સૃષ્ટિમાં એકરસ થઈ ગયું છે અને તેથી તેને અંગ્રેજીની લેશમાત્ર છાયા વિનાના શુદ્ધ ગુજરાતી ગદ્યમાં પીરસી શક્યા છે. અંગ્રેજી સાહિત્ય વિશે એમના જેવા ગદ્યમાં વધારે પુસ્તકો લખાય એમ આપણે ઈચ્છીએ.’
અંગ્રેજી સાહિત્ય વિશેનું, એક જમાનામાં વાચકપ્રિય પુસ્તક તે ‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ (1965, નવી આવૃત્તિ, ગૂર્જર). અહી મધુસૂદનભાઈએ શેક્સપીયરના 16 નાટકોની વાર્તાઓ બધા જ વર્ગના વાચકોને મજા પડે તે રીતે લખી છે. વાર્તાઓની પસંદગી પ્રાતિનિધિક છે. એટલે તેમાં શેક્સપિયરનાં ચાર-ચાર કરુણાન્ત અને સુખાન્ત નાટકો ઉપરાંત ઇગ્લેન્ડ અને રોમન ઇતિહાસાધારિત નાટકો તેમ જ પ્રારંભિક અને અંતિમ તબક્કાના નાટકોની કથાઓ મળે છે. આટલું ઓછું હોય તેમ ‘રસ અને રચના’ નામના છેલ્લા પ્રકરણમાં વાર્તાકારે દરેક નાટકની ખૂબીઓ અંગે એક નોંધ લખી છે. મધુસૂદનભાઈએ ‘સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ’ (1975) એ ઉલ્લેખ પણ અહીં અસ્થાને નથી.
‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ પુસ્તકની પ્રસ્તાવનામાં અંગ્રેજી સાહિત્યના અજોડ અધ્યાપક અને જાણીતા ગુજરાતી લલિતનિબંધકાર દિગીશ મહેતા મધુકાકાના કામને ‘શેક્સપિયરનો એક રીતનો અરીસો બની રહેતાં આ વાર્તાન્તરો’ ગણાવે છે. ‘જનહૃદયનું પાથેય’ મથાળાથી લખેલી પ્રસ્તાવનામાં દિગીશભાઈ કહે છે : ‘શ્રી મધુસૂદન પારેખનાં આ વાર્તાંતરોમાં મૂળનો એ પ્રાણ જેમનો તેમ સચવાઈ રહ્યો છે … આ વાર્તાન્તરો આપણો વારસો બની રહેશે.’
ગુજરાતની ઘણી કૉલેજોમાં બી.એ. સુધી અંગ્રેજી સાહિત્ય પૂરેપૂરું ગુજરાતી ભાષામાં અથવા ગુજરાતી ભાષાના બહોળા ઉપયોગ દ્વારા ભણાવવામાં આવે છે. આ સંજોગોમાં પારેખસાહેબનાં ત્રણેય પુસ્તકો અત્યંત ઉપકારક બને છે. હકીકતમાં અંગ્રેજી સાહિત્યના ગુજરાતીમાં નિરૂપાયેલા ઇતિહાસ માટેનું નિમિત્ત પણ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ છે. મધુસુદનભાઈ યાદ કરે છે કે વર્ષો પહેલાં, ગુજરાતી માધ્યમમાં શાળાનું ભણીને કૉલેજમાં અંગ્રેજી મુખ્ય વિષય એક છોકરીને, અભ્યાસમાં મદદ કરવા માટે તેમણે એ વિષયનું માર્ગદર્શન ગુજરાતીમાં આપવાનું શરૂ કર્યું અને તેની ફલશ્રુતિરૂપે આ પુસ્તકના પહેલવહેલા લેખો લખાયા.
એ લખવામાં એચ.કે. કૉલેજના એ વખતના અધ્યાપકો, અને ખાસ કરીને નારીવાદી કર્મશીલ તેમ જ અંગ્રેજીના અધ્યાપક ડૉ. ઇલાબહેન પાઠકની કેવી સતત મદદ મળી તેનો ઉલ્લેખ કરવાનું પારેખસાહેબ ચૂકતા નથી. 'મધુકાકા' હમણાંના વર્ષોમાં કૉલેજ આવે ત્યારે અમે બે-ત્રણ વ્યક્તિઓ એમને મળવા જતાં. એ વખતે તેઓ અમને ચૉકલેટો આપવાનું ચૂકતા નહીં.
(તસવીર કોલાજ : નીતિન કાપૂરે )
19 જૂન 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર