વિખ્યાત અમેરિકન નાટકકાર ટેનિસી વિલ્યમ્સ (1911- 83) – Tennessee Williamsના જાણીતા નાટક ‘ધ ગ્લાસ મિનાજરી’ – The Glass Menagerieનો વડોદરાના યુવા કલાકારોની મંડળીએ ભજવેલો ખૂબ સંતોષકારક પ્રયોગ ગયા શુક્રવાર, 3 જૂને અમદાવાદના ‘સ્ક્રૅપયાર્ડ’ નાટ્યગૃહમાં જોવા મળ્યો.
તખ્તા પર ભજવવા માટેની ઘટના action ખૂબ ઓછી હોય તો પણ નાટક કેટલું સરસ અને અસરકારક બનાવી શકાય તેનો એક દાખલો જોવા મળ્યો.
અમેરિકામાં 1930ના દાયકાના પાછોતરા વર્ષોમાં, મહામંદીને પગલે આર્થિક સંકટમાં સપડાયેલાં સફળતાના દેશમાં કપરી હાલતમાં જીવતાં નીચલા મધ્યમવર્ગના સાવ નાનાં Wingfield પરિવારનું આ નાટક છે. મધ્યમ વયની સુંદર અમાન્ડા (વૈદેશા લોબિયાલ) અને તેના યુવાન સંતાનો ટૉમ (શ્રેયસ સાઠે) તેમ જ લોરા (પ્રશસ્તિ માનેશ્વર) અને ટૉમના મિત્ર જિમ ઓ’કોનર(આયુષ દોશી)ના બહેતર જિંદગી માટેનાં સંઘર્ષ, આશા, આકાંક્ષા, ભ્રમણા અને નિરાશાનું આ નાટક છે. એમનાં સંજોગો અને મનોસ્થિતિની સંકુલતાના વિષયને દિગ્દર્શક Pujitha de Mel બહાર લાવી શક્યા છે.
દરેક દૃશ્ય પર તેમણે મહેનત લીધી છે. મંચના બધા મહત્ત્વના સ્થાનોને આવરી લેતી દૃશ્ય રચનાઓ, લેવલનો ઉપયોગ, વેશભૂષા, અને અનેક જરૂરી વાસ્તવિક property piecesનો યથાયોગ્ય ઉપયોગ – આવી અનેક બાબતો દિગ્દર્શકની કુનેહ બતાવે છે.
Pujitha શ્રીલંકાની કોલમ્બો યુનિવર્સિટીમાં પરફૉર્મિંગ આર્ટસ વિષયના, અનેક સન્માન પામેલા અધ્યાપક છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટ્યવિદ્યા વિભાગના વિદ્યાર્થીઓને આ નાટક કરાવ્યું હતું. એટલે નાટકની મંડળીમાં એ વિભાગના ઘણા વિદ્યાર્થીઓ છે. જો કે નાટકનું નિર્માણ કોઈ નાટ્યવૃંદના નામ હેઠળ થયું ન હતું.
મંચ પર ચાર જગ્યાએ ભજવાતાં બે કલાકારોવાળાં દૃશ્યો વિશેષ ધ્યાન ખેંચે છે. હળવા અને મંદ સંગીત(મ્યુઝિક ઑપરેટર ધૈર્ય જોશી)ની સૂરાવલીઓનો ઉપયોગ ઓછો ધ્યાનમાં આવે એટલો મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે. વિલ્યમ્સના નાટકોમાં પ્રકાશ આયોજન વિશેષ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે એમ વાંચવામાં આવેલું નિરીક્ષણ યથાર્થ લાગે છે. નાટકમાં મોટે ભાગે માયૂસી અને ક્વચિત આશા-આનંદનો જે માહોલ ઊભો કરવામાં પ્રકાશઆયોજનનો (લાઇટ ઑપરેટર હિન્દ ભટ્ટ, શ્રેયસ ગુપ્તા) મહત્ત્વનો ફાળો છે. નાટક અંત તરફ આગળ વધે છે ત્યારે menagerieને ધીમે ધીમે નજાકતથી સુંદર રીતે ઉપસાવવામાં આવી છે.
Menagerieનો અર્થ થાય છે મોટે ભાગે અંગત માલિકીનો હોય તેવો પ્રાણીબાગ. આ નાટકમાં glass menagerie એટલે કે કાચનાં બનાવેલાં રમકડાંના પ્રાણીઓનો સંગ્રહ.
આ glass menagerie આખા ય નાટક દરમિયાન સ્ટેજના આગળના હિસ્સામાં પ્રેક્ષકોની સામે રહે છે. આંશિક રીતે શારીરિક વિકલાંગતા અને માનસિક મંદતા ધરાવતી લોરાએ એકઠી કરેલી glass menagerie તેની પોતાની આશા-આકાંક્ષાની નાનકડી દુનિયાનું પ્રતીક છે ,એમ વાંચવામાં આવ્યું છે. જો કે આવી પ્રતીકાત્મકતા ભાગ્યે જ પ્રતીતિજનક લાગે છે. નાટકની એકંદર સંહિતા(script)માં glass menagerieની મહત્તા ઊભી થતી નથી, પણ તેને દિગ્દર્શકે નાટકના અંત ભાગમાં સારી રીતે ઉપસાવી છે.
ચારેય પાત્રોએ નાટકના સમયગાળાની નજીકની વેષભૂષામાં પોતાની ભૂમિકા ઉત્તમ રીતે નિભાવી છે. જો કે અંગ્રેજી ખૂબ ઝડપથી બોલવું પડે એવી આપણે ત્યાંની એક માન્યતાની અસર આ નાટકના બે કલાકારોમાં પર દેખાય છે. જો કે લાગણીભર્યો અભિનય કરવામાં તેમણે કોઈ કમી રાખી નથી. આ નાટ્યપ્રયોગની નાટકની એક મોટી સિદ્ધિ એ હતી કે એણે પ્રેક્ષકોને ભજવણી સાથે સતત જોડી રાખ્યા.
નાટકની મંડળી વડોદરાની હતી. તેણે બે દિવસમાં બે પ્રયોગો કર્યા. તેના માટે આખી ટુકડી કોઈ હોટલમાં ન રહી (શોખિયા નાટકવાળાને એ ઐયાષી ભાગ્યે જ પોષાય). કબીરભાઈએ તેમને સ્ક્રૅપયાર્ડમાં જ રાતવાસા માટે શક્ય તેટલી સગવડો કરી આપી. નાટક કરનારા કલાકારોને અને તેમના માટે દરિયાદિલ કબીર-નેહાને આવું તો કેટલું ય કરવાનું થતું હશે !
નોંધપાત્ર મુદ્દો એ પણ કે ટેનિસી વિલ્યમ્સનું નાટક અમદાવાદમાં પહેલી વાર ભજવાયું, એવું આ લખનારનું માનવું છે. એટલું જ નહીં, ગુજરાતી રંગભૂમિની અરધી સદીના નિરીક્ષક એસ.ડી. દેસાઈ સાહેબને પણ અમદાવાદમાં ટેનિસી વિલ્યમ્સ ભજવાયા હોય એવું સ્મરણ નથી.
એ પણ કહેવું જોઈએ કે બિનવ્યાવસયિક રંગભૂમિ પર જાહેર પ્રયોગ તરીકે અમદાવાદમાં બહુ વર્ષે પૂરાં કદનું અંગ્રેજી નાટક જોવા મળ્યું. વડોદરામાં પ્રો. યશવંત કેળકર અને ડૉ. હર્ષ હેગડેના નેજા હેઠળ ચાલતી અનુક્રમે ‘બરોડા એમૅટર ડ્રામેટિક ક્લબ’ અને ‘શેક્સપિયર સોસાયટી’ કે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનનું ઇન્ગ્લિશ લિટરરી અસોસિએશન, સનદી અધિકારી વરુણ માઇરાની નાટકમંડળી ‘પ્લેકાર્ટ’ અને ક્યારેક બ્રિટિશ લાઇબ્રેરી જેવાં જૂથો દ્વારા દર વર્ષે થઈને અંગ્રેજી નાટકોના પાંચ-છ ગુણવત્તાવાળા પ્રયોગો થતા અને તે જોવા લોકો પણ ઘણાં આવતા.
સ્ક્રૅપયાર્ડના પ્રયોગમાં પ્રેક્ષકો ઓછા હતા પણ કોશિશમાં કોઈ ઉણપ ન હતી. હજારોની સંખ્યામાં followers અને લાખોની સંખ્યામાં likesના જમાનામાં પણ કેવળ નાટકના પૅશનને કારણે તન્મય બનીને નાટક કરવું એ મનને અડી જનારી વાત છે. આવું કરનારા બધા રંગકર્મીઓને હંમેશ માટે ધન્યવાદ જ હોય !
8 જૂન 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર