ખોટું હતું તમારું નામ
કુંજ તો હજી ય ચાલે
પણ વિહારી?
તમે પોતે કુંજ
ને તમે જ વિહાર કરો
એ ગળે ઊતરતું નથી
ક્યારેક તમે જ બહારથી
તમારામાં વિહારે નીકળ્યા હો
નામને સાર્થક કરવા એમ બને
કુંજની પ્રસન્નતા ખરી
પણ તમે હસ્યા ઓછું
હસી કાઢ્યું ઘણું
પણ જે હતું તે
તમારી આંખોમાં –
તમે આંખોમાં જ વસતા હતા
હથિયારની ચમક હતી એમાં
ઘા ક્યારેક દૃષ્ટિથી જ થતો
ને પરિણામ ઘવાવામાં આવતું
ખુન્નસ ઉગામ્યું જ નહીં
નહીંતર ઘણો સંહાર થઈ શક્યો હોત
ચહેરા પર કેવળ કરડાકી
એટલી ખડકાળ કે
આંગળી મૂકો તો ટશર ફૂટે
વાણી અગ્નિદાહ જેવી
બાળતી પણ શુદ્ધ કરતી
તમે શબ્દોથી સફાઈ અભિયાન ચલાવ્યું
જાહેર થયા ત્યારે અંગત પણ રહ્યા
તમે પોતે જ શસ્ત્રાગાર જેવા
એટલે જ તો શતાબ્દીથી જીવો છો
તમને યાદ કરવા પડે એવું નથી
શ્વાસ કોઈ યાદ રાખીને લે છે !
તમે યોદ્ધા છતાં હિંસા રોકી
શિસ્ત આંખોથી જ ફેલાવ્યું
જે કરડાકી લોહી ટપકાવે
તેણે રક્તદાન કર્યું
જરૂર તમને ય હતી
પણ તમે બીજાની જરૂર રહ્યા
ખોટી દિશામાં દોડનારને
તમે રોક્યા
ન ચાલી શકનારને દોડાવ્યા
તમે વજ્રથી કઠોર હતા
પણ હૃદય કોમળ હતું
તે બીજાનાં આંસુ ઝીલવાથી !
કોઈ વ્યક્તિ સંસ્થા પણ હોય
તે તમે સિદ્ધ કર્યું
તમે નિવૃત્ત થયા જ નહીં !
હજી નથી થયા
ને થાવ એવું લાગતું નથી
કોઈએ આટલું બધું ન જીવવું જોઈએ
પણ એમાં દોષ તમારો નથી
તમે ઇચ્છો કે ન ઈચ્છો
આ જગત તમને મરવા દે એમ નથી
અમે રહીએ કે ન રહીએ
તમે રહેશો
તમે જ નહીં રહો તો
આ ધરતીને ય
કયું કારણ છે રહેવાનું
તે કહેશો …?
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


રામાયણમાં હનુમાને રાવણની લંકા ફૂંકી હતી, તે વાતને યુગો વીત્યા. તે પછી ફરી એવી સ્થિતિ આવી છે કે શ્રીલંકા ફરી સળગ્યું છે. કોણ જાણે કેમ પણ, રાવણનાં માથાં એટલાં વધ્યાં છે કે આ વખતે શ્રીલંકન પ્રજાએ જ હનુમાનનું કાર્ય કરવાનું આવ્યું છે. એ એટલી ઉશ્કેરાઈ છે કે તે હનુમાનની રાહ જોઈ શકે એમ નથી. પ્રજા એટલી પીડાઈ છે કે તેણે જ સરકારને આગ ચાંપવા માંડી છે. શ્રીલંકન સરકારનો કારભાર એટલો કથળ્યો છે કે તેના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપકસેએ અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજકીય પદો છોડવાં પડ્યાં છે. બે દિવસ પર પ્રજાએ વડા પ્રધાનના નિવાસ સ્થાનને આગ ચાંપી દીધી હતી. પ્રજા એટલી ઉશ્કેરાઈ કે તેણે રાષ્ટ્રપતિ ભવનનો કબજો લઈ લીધો ને રાષ્ટ્રપતિને અંગરક્ષકોએ આર્મી હેડ ક્વાર્ટરમાં ખસેડવા પડ્યા. હેડક્વાર્ટરથી તેમણે 13 જુલાઈએ રાજીનામું આપવાની વાત કરી છે. જો ગોટબાયા રાજીનામું આપે ને બધું બરાબર ચાલે તો નવી નિમણૂક એકાદ મહિનામાં થાય એમ બને.
આપણા વડા પ્રધાન ‘વાતોનાં વડાં’ પ્રધાન પણ છે. એ એટલા વ્યસ્ત છે કે ભગવાનની જેમ અત્ર તત્ર સર્વત્ર પ્રગટ થાય છે. ઘડીકમાં એ અમેરિકી પ્રમુખ સાથે હાથ મેળવતા દેખાય છે તો ઘડીકમાં, ભા.જ.પ.ની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં – તુષ્ટિકરણ નહીં, પણ તૃપ્તિકરણનો મહિમા કરતા દેખાય છે. એક દિવસ એ 7 ડિજિટલ સેવાઓ દેશને સમર્પિત કરે છે, તો એક દિવસ એ દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પોસ્ટરમાં આવકારે છે. એ જુદી વાત છે કે ત્યાં પણ દ્રૌપદીજીને બદલે ફોટામાં દર્શન તો સાહેબનાં જ થાય છે. અનેક જગ્યાએ સાહેબ દર્શન દે છે. કદીક જો અંતર્ધ્યાન થયેલા જણાય તો માનવું કે એ દિવસે વર્તમાનપત્રો બંધ રહ્યાં હશે. સગવડો હોય ને માણસ પહોંચી વળે એ જુદી વાત છે, પણ વડા પ્રધાનને બધું જ આવડે એ સાહેબે નોટબંધી, કૃષિકાનૂન, અગ્નિપથ જેવાં પ્રકરણોમાં વખતોવખત સાબિત કરી આપ્યું છે. દેશમાં ઓછું રહેતા હોય તો પણ તેમણે વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કર્યું નથી એ જ સ્વદેશીનો મહિમા કરવા પૂરતું છે. મહત્ત્વના પદ પર આવ્યા પછી માણસને થોડો પ્રમાદ ઘેરી વળતો હોય છે, પણ વડા પ્રધાન થાકતા નથી. દરેક મુદ્દે એમણે કૈં ને કૈં કહેવાનું હોય છે ને રોજ કહેવાનું હોય છે. એમણે જ મનની વાતો એટલી કહેવાની હોય છે કે લોકોને પણ મન છે ને એમણે ય કૈં કહેવાનું હશે એવું તો યાદ જ નથી આવતું. આ એ જ પ્રજા છે જેણે સાહેબના એક અવાજ પર ગેસની સબસિડી જતી કરેલી. એ પ્રજા રાંધણ ગેસ પર વર્ષમાં 244 રૂપિયાનો બોજ કેવી રીતે વેંઢારે છે એ સવાલ સાહેબને થતો નથી તેનું આશ્ચર્ય છે.