રામાયણમાં હનુમાને રાવણની લંકા ફૂંકી હતી, તે વાતને યુગો વીત્યા. તે પછી ફરી એવી સ્થિતિ આવી છે કે શ્રીલંકા ફરી સળગ્યું છે. કોણ જાણે કેમ પણ, રાવણનાં માથાં એટલાં વધ્યાં છે કે આ વખતે શ્રીલંકન પ્રજાએ જ હનુમાનનું કાર્ય કરવાનું આવ્યું છે. એ એટલી ઉશ્કેરાઈ છે કે તે હનુમાનની રાહ જોઈ શકે એમ નથી. પ્રજા એટલી પીડાઈ છે કે તેણે જ સરકારને આગ ચાંપવા માંડી છે. શ્રીલંકન સરકારનો કારભાર એટલો કથળ્યો છે કે તેના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપકસેએ અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજકીય પદો છોડવાં પડ્યાં છે. બે દિવસ પર પ્રજાએ વડા પ્રધાનના નિવાસ સ્થાનને આગ ચાંપી દીધી હતી. પ્રજા એટલી ઉશ્કેરાઈ કે તેણે રાષ્ટ્રપતિ ભવનનો કબજો લઈ લીધો ને રાષ્ટ્રપતિને અંગરક્ષકોએ આર્મી હેડ ક્વાર્ટરમાં ખસેડવા પડ્યા. હેડક્વાર્ટરથી તેમણે 13 જુલાઈએ રાજીનામું આપવાની વાત કરી છે. જો ગોટબાયા રાજીનામું આપે ને બધું બરાબર ચાલે તો નવી નિમણૂક એકાદ મહિનામાં થાય એમ બને.
1948માં લોકતંત્રનો પ્રારંભ થયો, તે પછી શ્રીલંકામાં સૌથી ખરાબ સમય છેલ્લા થોડા મહિનાઓમાં આર્થિક સંકટનો આવ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈ.એમ.એફ.) શ્રીલંકામાં પરિસ્થિતિ બદલાય એની રાહ જુએ છે જેથી પેકેજ અંગે જાહેરાત થઈ શકે. અમેરિકાએ પણ થોડા સમય પર અપીલ કરી હતી કે કોઈ પણ સરકારે પ્રજાના અસંતોષને ઠારી શકે એવાં પગલાં ઝડપથી ભરવાં જોઈએ, પણ હકીકત એ છે કે સરકારને જ આર્થિક સંકટમાંથી ઉગરવાની ઈચ્છા ન હતી એટલે આવવું જોઈતું પરિણામ જ આવ્યું છે. રાજપકસે પરિવાર જે રીતે સરકારમાં વર્ચસ્વ જમાવીને બેઠો હતો તેમાં ભ્રષ્ટતા ન આચરાય એ શક્ય જ ન હતું.
અગાઉ પણ મેની શરૂઆતમાં ઉશ્કેરાયેલા લોકોએ કોલંબોમાં રાજપકસેના ભાઈ અને પૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપકસેના સત્તાવાર નિવાસ સ્થાનને ઘેરી લીધું હતું ને ત્યારે પણ મહિન્દાએ પરિવાર સમેત ભાગવું પડ્યું હતું. આ ઘટના રાષ્ટ્રપતિ નિમિત્તે ફરી બની. એપ્રિલ સુધી સરકારમાં રાજપકસે પરિવારના જ પાંચ સભ્યો સત્તામાં હતા. આ પરિવારનું રાષ્ટ્રીય બજેટ પર 70 ટકા જેટલું સીધું નિયંત્રણ હતું. એના પરથી પણ આ પરિવાર સત્તામાં શું કામ આવ્યો હશે તે સમજી શકાય એમ છે. આ પરિવાર પર 42 હજાર કરોડ દેશની બહાર લઈ જવાનો આરોપ છે. મહિન્દા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ હતા એ દરમિયાન મહિન્દાએ ભાઈ ગોટબાયાને તમિળ ચળવળને કચડી નાખવાનો આદેશ આપ્યો હતો. મહિન્દાનાં શાસન દરમિયાન જ ચીન અને શ્રીલંકા નજીક આવ્યાં અને ચીને 7 બિલિયન ડોલરની લોન આપી. જે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ માટે લોન લેવાઈ તેને નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો. ભૂતપૂર્વ લશ્કરી અધિકારી ગોટબાયા 2019માં રાષ્ટ્રપતિ થયા. એમણે કરવેરામાં કાપ મૂક્યો ને રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. આગળ જતાં આ બાબત આર્થિક સંકટનું કારણ બની. 71 વર્ષના બાસિલ રાજપક્સે નાણા મંત્રી હતા. એમણે સરકારી કમિશન એ હદે ખાધું કે તે ‘મિસ્ટર 10 ટકા’ તરીકે ઓળખાયા. તેમના પર લાખો ડોલરનો ગેરઉપયોગ કરવાનો આરોપ હતો, પણ ગોટબાયા રાષ્ટ્રપતિ થયા કે તમામ કેસોનો વીંટો વાળી દેવામાં આવ્યો.
એક બાજુ પારિવારિક ભ્રષ્ટાચાર અને બીજી બાજુ ચીન, જાપાન, ભારત, જેવા દેશો પાસેથી તથા વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક…માંથી લેવાયેલી ભારે ભરખમ લોન, ગમે તેવા સમૃદ્ધ દેશને પણ નબળો પાડે. એ શ્રીલંકાને નસીબે પણ આવ્યું. બાકી હતું તે રાનિલ વિક્રમસિંઘેએ ચીનની લોન ચૂકવણીના બદલામાં હમ્બનટોટા બંદર 99 વર્ષ માટે લીઝ પર આપ્યું. એનાથી પતનની શરૂઆત થઈ. શ્રીલંકાની કુલ નિકાસ કરતાં આયાત 10 બિલિયન ડોલર વધારે છે. મેના અંત સુધીમાં તેનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને માત્ર 1.92 બિલિયન જ રહી ગયો છે ને તેને માથે 4 બિલિયન ડોલરનું દેવું છે. શ્રીલંકા આમ પણ આયાત પર નિર્ભર છે. દવાઓ, ખાદ્યપદાર્થ, બળતણ જેવી બાબતે તેણે આયાત પર જ આધાર રાખવો પડે છે. દેખીતું છે કે વિદેશી હુંડિયામણની અછત હોય તો ચીજવસ્તુઓની ખરીદી ઘટે ને તેની તંગી ઊભી થાય ને તે મોંઘવારી વધારવામાં જ પરિણમે. આગામી થોડા મહિનાઓમાં દવા, બળતણ, ખાદ્યસામગ્રીની ખરીદી માટે 6 બિલિયન ડોલરની જરૂર છે, પણ હાલના સંજોગોમાં શ્રીલંકાની ક્ષમતા જ એટલી નથી કે તે ખરીદી કરી શકે.
વારુ, કોરોનાએ અને આતંકી હુમલાઓએ શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો માર્યો. એપ્રિલ 2019માં ઈસ્ટર સન્ડે પર, કોલંબોમાં ત્રણ ચર્ચ પર આતંકી હુમલાઓમાં 260 લોકોએ જીવ ખોયા. એની અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ પડી. તેમાં કોરોનાએ ભરડો લીધો ને 2019માં જ પ્રવાસીઓમાં 21 ટકાનો ઘટાડો થયો. આ બધું જોતાં લાગે છે કે શ્રીલંકન સરકારની ભ્રષ્ટતા જ શ્રીલંકાને ડુબાડવામાં કારણભૂત છે. એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ દેશનું રાજકારણ સત્તાધારી રાજકીય પરિવારો બગાડતાં હોય છે. પરિવારવાદ જેમ ભારતને ફળ્યો નથી, એમ જ શ્રીલંકાને પણ ફળ્યો નથી. એમ પણ લાગે છે કે શ્રીલંકામાં વિપક્ષની પણ એવી કોઈ ભૂમિકા જણાતી નથી જે ભ્રષ્ટાચાર અને ઉધારીને પડકારે, વધારામાં શ્રીલંકન સરકારનો ભારત પરનો શંકાશીલ સ્વભાવ પણ ભાગ ભજવી ગયો છે. એક તબક્કે ભારતનો વિરોધ કરવાનું પણ શ્રીલંકા ચૂક્યું નથી, ખાસ કરીને તમિળ ચળવળને દબાવવામાં ભારત સાથેનું શ્રીલંકાનું વલણ આવકાર્ય રહ્યું નથી. એ જ કારણ છે કે શ્રીલંકાએ ભારત જેવો પડોશી હાથવગો હોવા છતાં ચીન પર ભરોસો મૂક્યો ને હમ્બનટોટા બંદર 99 વર્ષના પટે લખી આપ્યું. એ ખરું કે ચીનની રમતનો ભોગ શ્રીલંકા બન્યું છે ને હાલની પરિસ્થિતિનો લાભ લીધા વગર ચીન રહે તો તેને ચમત્કાર જ ગણવાનો રહે. શ્રીલંકાએ એ કદી ભૂલવા જેવું નથી કે ભારત સાથે બગાડયું હોવા છતાં, પડખે તો ભારત જ રહ્યું છે. ગયા એપ્રિલમાં બળતણનું સંકટ ઊભું થયું ત્યારે ભારતે 1.20 લાખ ટન ડીઝલ અને 40 હજાર ટન પેટ્રોલ તથા 2.5 અબજ ડોલરની સહાય શ્રીલંકાને આપવાની વાત કરી હતી. મેમાં જ્યારે મહિન્દા રાજપકસે એ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને 12 સાંસદોના ઘરે આગ લગાવી દેવાઈ ને હિંસામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા, ત્યારે પણ ભારત દવા, અનાજ વગેરે મદદની સાથોસાથ જ 3.5 અરબ ડોલરની મદદ આપી ચૂક્યું હતું. આ ઉપરાંત ગઈ કાલે જ વિદેશ મંત્રી એસ. જયશંકરે જાહેર કર્યું છે કે આર્થિક સંકટને પહોંચી વળવા ભારત, શ્રીલંકાને હર સંભવ મદદ કરશે.
ઘરનાં ઘંટી ચાટે… એ સ્થિતિમાં પણ ભારત પડોશી રાષ્ટ્રોનું ભૂંડું નથી ઇચ્છતું એ જગજાહેર છે. 1962નું યુદ્ધ ભૂલીને ભારત ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને મન મૂકીને આવકારે છે. ભારતના વડા પ્રધાન ઓચિંતા જ નવાઝ શરીફની વર્ષગાંઠ પર અભિનંદન આપવા સીધા પાકિસ્તાન પહોંચી જાય છે કે નેપાળ, ચીનની શરમમાં તણાતું હોય તો પણ ભારત તેનું ભલું જ ઈચ્છે છે. વરસી પડવાની કોઈ જરૂર ન હોય, તો પણ ભારત બીજાં રાષ્ટ્રો જેવું નિષ્ઠુર થઈ શકતું નથી તે માનવતાને કારણે. પોતાના દેશમાં ટીકાને પાત્ર બનતું હોય તો પણ ભારત માણસાઈ ચૂકતું નથી, કારણ તે માણસમાં જ હોય છે, તેની અપેક્ષા પશુ પાસેથી રખાતી નથી. ભારતની વૈશ્વિક સ્તરે એ પ્રતિભા ઉપસી છે કે તે વિશ્વને મદદ કરી શકે. કોરોના કાળમાં રસી, અનાજ વગેરેની મદદ વિશ્વને કરવા ભારતે હાથ લંબાવ્યો છે ને તે માટે તેની થાય એટલી સરાહના ઓછી છે, પણ કેટલીક બાબતે ભારતે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. શ્રીલંકાનો દાખલો સામે જ છે ત્યારે ભારતે એ ભૂલો કરવાથી બચવું જોઈએ જેને લીધે શ્રીલંકાએ પતન નોંતર્યું છે.
ગમે એટલું ભવ્ય રાષ્ટ્ર પણ ભ્રષ્ટ થાય તો તે મોડું વહેલું પડ્યા વગર રહેતું નથી. ભારતમાં ભ્રષ્ટાચાર નથી એવું કહી શકાશે નહીં. એટલું છે કે રાજપકસે પરિવારે શ્રીલંકા ડુબાડયું, એવો પરિવારવાદ હવે ભારતમાં એટલો પ્રભાવક નથી, પણ કેટલાક રાજકારણીઓ ભ્રષ્ટ છે જ. આ ભ્રષ્ટતા જવી જોઈએ. એ ઉપરાંત ભારતનાં રાજકારણમાંથી વિપક્ષને ખતમ કરવાની યુક્તિઓ અટકવી જોઈએ. શ્રીલંકામાં વિપક્ષનો એવો પ્રભાવ નથી કે તે રાષ્ટ્રને પતન તરફ ધકેલાતું રોકે. લોકશાહીમાં વિપક્ષનું મહત્ત્વ ન સ્વીકારાય તો તે લોકશાહીને જ ખતમ કરે છે. દેશ એક તરફથી ભ્રષ્ટ થતો જાય ને બીજી તરફ અમર્યાદ લોનનો ગુલામ બને તો તે કેવી સ્થિતિએ પહોંચે તેનું તાજું ઉદાહરણ શ્રીલંકાએ પૂરું પાડ્યું છે.
છેલ્લે સૌથી મહત્ત્વની વાત તે જનતાનું મહત્ત્વ. લોકો બહુ સહિષ્ણુ છે. ઘણું વેઠે છે. તે જરૂરી ચીજવસ્તુઓ મોંઘી મળે તો ઓછી ખરીદીને પણ ચલાવી લે છે. રાજકારણીઓને ભ્રષ્ટ થતા જોઈને પ્રજા પણ ભ્રષ્ટ થાય છે, પણ એથી સરવાળે હાનિ રાષ્ટ્રને જ પહોંચે છે. એમાં પણ એક વર્ગ એવો છે જે આ બધાંથી દૂર, પોતાનું શોષણ થવા દે છે. પણ, એની પણ એક મર્યાદા છે. એનો ભંગ થાય છે ત્યારે તે સત્તા તરફ કીડિયારાની જેમ ધસે છે ને અજગર ભરડો લેતી સત્તાને ફોલી ખાય છે. એ સ્થિતિમાં સત્તાને ભાગવા સિવાય આરો રહેતો નથી. આ સ્થિતિ શ્રીલંકાની થઈ છે. ઈચ્છીએ કે શ્રીલંકા જેવી સ્થિતિ બીજા કોઈ દેશની ન થાય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જુલાઈ 2022