ભાગવતનું વિજ્યાદશમી સંબોધન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની સ્થાપનાના સો વરસની નજીક ઢૂંકું ઢૂંકુ છે ત્યારે ચોક્કસ જ ગૌરવમિશ્ર આશ્વસ્તિનો એક અચ્છો ઓડકાર લઈ શકે કે દિલ્હીમાં મોદી સરકાર છે. વાજપેયીની નહીં એવી એ અમારી / આપણી સરકાર છે.
મંગળવારે નાગપુર ખાતે સરસંઘચાલક મોહન ભાગવતના વિજ્યાદશમી અભિભાષણમાં જી20ના આયોજન પ્રકારના ઘટનાક્રમથી ભારતની વિશ્વપ્રતિભા ઊંચકાઈ રહ્યાનો આનંદ વરતાતો હતો. બીજા પણ એવા આનુષંગિક ઉલ્લેખો એમના વક્તવ્યમાં હતા. એકંદરે, સરસંઘચાલક સ્વયંસેવકને આદેશ અને સલાહસૂચન કરતાં વધુ તો અનુમોદના અને અનુશંસાના મિજાજમાં જણાતા હતા. કંગના રણાવત જ્યારથી દેશ આઝાદ થયાનું માને છે, ત્યારથી એટલે કે 2014થી અને તે પછીના સંખ્યાબંધ દશેરા ઉત્સવોમાં સરસંઘચાલક સામાન્યપણે એજન્ડા સેટ કરવાની છાપ આપતા હતા. પણ 2023ની સંઘ શતાબ્દી આડે બે વરસ માંડ છે અને લોકસભાની ચૂંટણી આડે છ મહિના જ છે ત્યારની, એમની રજૂઆતમાં એકંદરે સરકારની કદર બૂઝવાનો ખયાલ જણાય છે.
સંઘને અનિવાર્યપણે વરતાતી રહેલી શત્રુખોજમાં મોહન ભાગવતને ‘કલ્ચરલ માર્ક્સિસ્ટો’ અને ‘વોક’ આ વખતે નજરે ચડ્યા છે, કિસાન ઉઠાવ વખતે ન.મો.ને જેમ ‘આંદોલનજીવી’ જડી રહ્યા હતા. વચ્ચે ‘અર્બન નક્સલ’ તરીકે કોઈને નિશાન પર લેવાનો સોલો ઊપડી આવે છે. ‘વોક’ આમ તો આફ્રિકીઅમેરિકી સ્લેંગ પ્રયોગ છે. એમાં જાગૃતિને નામે કશીક પજવણીનો ખાયલ છે તેમ તમે જાડી રીતે કહી શકો. ‘કલ્ચરલ માર્કિસસ્ટ’ એ પ્રયોગ અંગે એક સાદી સમજૂતી એ છે કે દુનિયા આખીને કમ્યુનિષ્ટ-માર્કિ્સસ્ટ બનાવવાનું સમણું ભોઠું પડ્યું ત્યારે બાકી દુનિયામાં પ્રાગતિકતાએ એવે તેવે નિમિત્તે ખરાખોટા મુદ્દા ઉઠાવી (અને ‘લિબરલિઝમ’ને નામે ને બહાને) ગોંધળ ને અરાજકતા ઊભા કરતાં રહેવું તે આ મંડળીની ખાસિયત કહો તો ખાસિયત, ધંધો કહો તો ધંધો છે.
સંઘ પરિવારની ગળથૂથીગત શત્રુખોજમાં મુખ્ય પાત્ર કોણ છે તે સુવિદિત છે. વ્યૂહાત્મક ગણતરીસર (કે કિંચિત પુનર્વિચાર સહ એમાંથી હરવું હોય તો વિકલ્પે એને ‘અર્બન નક્સલ’થી માંડીને ‘કલ્ચરલ માર્કિસ્ટ’ સહિતનાં પાત્રો જડી રહે છે. જો કે, મારે મતે આપણા રાજકારણમાં આજે જે વર્તુળોની પકડ અને પ્રભાવ છે એમની કાર્ય-તાસીરમાં બે મહત્ત્વના વેશનમૂના માલૂમ પડે છે. જૂના ગ્રીસમાં જેને ડેમેગોગ (ભાષણખોર બરાડાબહાદુર) અને સોફિસ્ટ (ભળતાસળતા દલીલડાહ્યા) કહેવાતા.
પણ આ સામસામા હોઈ શકતા બાવાહિંદી પેંતરાથી હટીને જરી પાયાની રીતે વિચારીએ તો આયુષ્ય સોમું વરસ બે વરસના અંતરેથી ટકોરા દઈ રહ્યું છે ત્યારે સંઘે થોડી વધુ વૈચારિક અંતરખોજ કરવાની જરૂર છે. હમણાં હમણાં એ ઢાંચાઢાળ ‘રાષ્ટ્ર, રાષ્ટ્ર’ને બદલે ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા પ્રકારના પ્રયોગોને આગળ કરે છે. વચ્ચે ‘સેંગોલ’નું નિમિત્ત લઈને એણે જે ઊહાપોહ કર્યો હતો તેમાં આ વસ્તુ જોવા મળી હતી.
જો એનું વલણ કેવળ વ્યૂહાત્મક તર્કાતર્કીનું ન હોય તો સાવરકર – ગોળવલકરના ‘રાષ્ટ્ર’થી હટીને ઉત્તર દીનદયાલના ‘ધર્મ’ ચિંતનમાં અંતરમતથી પ્રવેશવા જેવું છે. 19મી સદીના યુરોપમાંથી એ ‘રાષ્ટ્ર’ નામની સેમેટિક સંકલ્પના લઈ આવ્યો અને સંસ્થાનવાદના વિરોધમાં એક સાંસ્થાનિક વિચારમાળખું લઈ આવ્યો તે એને સમજાતું નથી.
મોહન ભાગવત એમના વક્તવ્યમાં એકંદરે સ્વસ્થ ને અનાકુલ જણાતા હતા. અલબત્ત, આંબેડકરને એમણે યાદ કર્યા એ સમુચિત જ હતું. માત્ર, આંબેડકરના બંધારણ સભાના જે ભાષણને એમણે સંભાર્યું એમાં એક પ્રજા તરીકે વીરપૂજા (હીરો-વર્શિપ) આપણી નિર્બળતા છે એવો જે ભક્તજોગ સંદેશ હતો તે ભાગવતને અભિપ્રેત હશે કે કેમ એ આપણે અલબત્ત જાણતા નથી. પાંચ છ વરસ પર વિજ્ઞાનભવન વ્યાખ્યાનો સાથે ભાગવતે જે દોર શરૂ કરવાની છાપ આપી હતી, તે આગળ લઈ, ઉત્તર દીનદયાલ સાથે સંવાદ ઊભો કરે તો વાત બને તો બને. એ દુઃસાધ્ય હશે, અસાધ્ય નથી. છેવટે તો, મન હોય તો માળવે જવાય.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ઑક્ટોબર 2023