કહેવું હોય તો કહી શકાય કે “હી કેમ, હી સૉ ઍન્ડ હી કૉન્કર્ડ :” મોદીની ‘મૅડિસન મોમેન્ટ’ વિશે આટલા આરંભિક પ્રતિભાવ સાથે એ પણ ઉમેરવું જોઈએ કે મેનહટન કલાકોમાં એમનો પાટલો અને પ્રતિમા ‘રોકસ્ટાર’ સાથે મુકાતાંઉંચકાતાં રહ્યાં છે.
એન.આર.આઈ.ને માટે આજીવન વિઝાથી માંડીને ‘વિઝા ઑન એરાઈવલ’ જેવી જાહેરાતો કે વિદેશી મૂડીરોકાણ સંદર્ભે ‘મેઇક ઇન ઇન્ડિયા’ સરખાં પુનરુચ્ચારણો અગર તો ડેમોક્રસી (લોકશાહી), ડેમોગ્રાફિક ડિવિડન્ડ (યુવા વસ્તીવૃદ્ધિ) અને ડિમાન્ડ (માંગ પ્રમાણે દેશ બહાર શ્રમ અને પ્રતિભાને સારુ નવાં ચરિયાણ) જેવી મોદીનુમા આકર્ષક થ્રી-ડી ઘોષણા આ બધું તો જાણે કે ઠીક જ હતું.
પણ આવા ‘મેગા ઇવેન્ટ’ની (જે ગુજરાત મોડલ મુજબની સ્થાયી પ્રવૃત્તિ છે, એની) હાલના સંદર્ભમાં બે ઉપયોગિતા જરૂર છે. એક તો છેલ્લાં વરસોમાં એક કે બીજી રીતે જે એન.આર.આઈ. કૉન્સ્ટિટ્યુઅન્સી દેશમાં રસ લેતી ઊભી થઈ છે એને પોતાની તરફેણમાં મજબૂત કરવાની ઇચ્છા કોઈ પણ નેતાની બેલાશક હોઈ જ શકે. બીજું, સવિશેષ તો, અમેરિકાઆંગણે ત્યાંના બિઝનેસ વર્લ્ડ અને પ્રમુખ ઓબામાની વિધિવત્ મુલાકાત પૂર્વે આ પ્રકારનું શક્તિ પ્રદર્શન (જેમાં ઠીક ઠીક સંખ્યામાં અમેરિકી કૉંગ્રેસમેન પણ હતા) એક પ્રભાવશાળી ‘ઇન્ડિયા લૉબી’ના નિર્માણ તરફનું પ્રસ્થાન સૂચવે છે. આ બે ઉપરાંત જો કે એક ત્રીજું વાનું પણ જોડવું જોઈએ અને તે એ કે કામગીરીવશ વતનવિછોયા સૌને સારુ આવું મળવું એક ગૌરવબોધ લઈને આવતું હોય છે. એમાં પણ, વિઝાવિરહવશ જે ભૂમિ પર ક્યારેક વીડિયો કૉન્ફરન્સથી રોડવવું પડ્યું હતું ત્યાં પ્રધાનમંત્રી તરીકે પ્રત્યક્ષ સંબોધનનો અવસર નેતા અને ચાહકો બેઉના ગૌરવભાનને જરી ઓર વળ અને આમળા ચઢાવે એ પણ સમજી શકાય એવું છે.
પણ જ્યાં સુધી આ નેતાના – ‘હી કેમ, હી સૉ એન્ડ હી કૉન્કર્ડ’ એવી ઇવેન્ટી છાપ સરજી શકતા નેતાના – વિશ્વદર્શનનો સવાલ છે, વધુ વહી જતાં પૂર્વે જરી સોચસબૂરી જરૂરી છે. ૨૦૦૨ પછીના ગુજરાતમાં સ્વીકૃતિ માટે એમણે ગાંધી અને ખાદીને કંઈક આગળ કર્યાં હશે, પણ એકંદરે વૈતરણી પાર કરવા સારુ એમને જડી રહેલું ગોપુચ્છ સરદારનું છે. મોદી’સન ઘટનામાં એક કલાકથી વધુ વક્તવ્ય દરમ્યાન શીખ ગુરુઓ, ભગતસિંહ અને વિશેષ વિસ્તારપૂર્વક ગાંધીજી આવ્યા – પણ સરદાર કદાચ આવ્યા જ નહીં અગર તો વખતે આવ્યા હશે તો પણ એકદમ અછડતા, સાંભળનાર સાંભળે તે પૂર્વે સરી પડે એ રીતે! કદાચ, વિશ્વસ્તરે ગાંધીવેચાણ વધુ ઉપયોગી જણાયું હશે. પંદરમી ઑગસ્ટના સંબોધનમાં તેમ અહીં પણ જો કે ગાંધી એક સો પચાસ ભણી જતાં ઊપસી રહેતું વાનું સ્વચ્છતા આંદોલનનું હતું. બેલાશક, ક્લીનલીનેસ કેમ્પેનની જરૂર હતી, છે અને રહેશે. પણ જે વાત વિશ્વદર્શનની રીતે સમજમાં આવવી જોઈએ તે એ છે કે મોદીનામામાં એક સેનિટાઇઝ્ડ કહેતાં નિરુપદ્રવી ગાંધીને જ અવકાશ છે. સત્યાગ્રહી પરિવર્તનસિપાહી ગાંધી ઘોર શક્તિવાદી રાષ્ટ્રરાજ્યબદ્ધ પ્રભાવી નેતૃત્વને સારુ યથાવત્ અગરાજ છે.
જુગલબંધી પેઠે મોદીનું ચિત્ર ઊપસી આવતું હોય, એવો ઘોર અવિવેક દાખવ્યો, એને વિશે શું કહેવું.
ગમે તેમ પણ, અમિતાભ બચ્ચનને ‘મહાનાયક’ તરીકે હુલસાવી શકતી અને નરેન્દ્ર મોદીને ‘રોકસ્ટાર’ તરીકે ઉછાળી શકતી પ્રજા તરીકે આપણે, જરી આપણે વિશે મંથન કરીએ તો એ અડસઠમા સ્વરાજવર્ષે અપેક્ષિત પ્રૌઢિને ધોરણે ‘પીપલ્સ મોમેન્ટ’ બની રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.02