કર્ણાટકના ચૂંટણીપરિણામ પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું વડાપ્રધાનપદ માટે તૈયાર છું. વચ્ચેના દિવસોમાં એમના એ ઉદ્ગારો સંભારી હાંસી કરવાનું વલણ દેખાયું છે પણ એમાં એમને અન્યાય થાય છે. તે એ રીતે કે જો કૉંગ્રેસ પક્ષને બહુમતી મળે તો એના નેતા તરીકે હું વડાપ્રધાનપદ સ્વીકારવા તૈયાર છું એવું એમણે કહ્યું હતું. આ સંભારવાનું તત્કાલ નિમિત્ત તો જો કે એટલું જ છે કે મે ર૦૧૯માં વડાપ્રધાનપદે નમો સિવાય કોઈ વ્યક્તિ હોઈ શકે એવી શક્યતા હવે પૂર્વવત્ અશક્ય નથી લાગતી. દેખીતી વાત છે કે કર્ણાટકની ચૂંટણી પછીની પેટાચૂંટણીઓમાં પરિણામોની જે તરાહ અને તાસીર માલૂમ પડી તે પછી આવી શક્યતાઓનું બજાર ખૂલી ગયું છે. (પ્રણવ મુખર્જી અને નાગપુર નિમંત્રણ સંદર્ભે હમણાંનો વિવાદ આ સંદર્ભમાં દ્યોતક છે).
ઉત્તરોત્તર જે એક વાત છેલ્લા ચાર વરસમાં સ્ફૂટ થતી રહી છે તે એ કે મે ર૦૧૪નો કથિત વિકાસ મત એટલું કામ આપનારો નથી. કોઈક ને કોઈક રીતે કોમી ઉંબાડિયું ચાલુ રાખ્યા વગર ભાજપ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અલબત્ત, કૈરાના લોકસભા મતવિસ્તારનું તાજેતરનું ચુંટણી પરિણામ વળતા જવાબરૂપે નોંધપાત્ર છે. ચૌધરી અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળે પોતાની જાટ ઓળખથી હટીને એક મુસ્લિમ મહિલા, તબસ્સુમ હસનને ઊભાં રાખ્યાં અને બિનભાજપ એકતાને જોરે એ ચુંટાઈ પણ આવ્યાં! કૈરાનાની પેટાચૂંટણી ભાજપ સાંસદ હુકુમસિંહના મૃત્યુને કારણે જરૂરી બની હતી. આ હુકુમસિંહે પોતાના સાંસદકાળમાં ચૂંટણીલક્ષી કોમી ધ્રુવીકરણને નજર સામે રાખી, કૈરાનામાંથી મુસ્લિમોના ત્રાસને કારણે મોટે પાયે હિંદુ હિજરત થયાની વાત ઉછાળી હતી. જો કે, સ્વતંત્ર તપાસ પછી જે સમજાયું હતું તે એ હતું કે હિજરતીઓમાં જેમ હિંદુઓ તેમ મુસ્લિમો પણ હતા, અને આ હિજરતમાં એક કારણ આર્થિક વિકાસનાં નવાં ચરિયાણની શોધ પણ હતી. ખાસ કરીને દિલ્હી માંડ દોઢસો કિલોમીટર છેટે હોય એ સંજોગોમાં મહાનગરનું આકર્ષણ પણ ખરું.
ર૦૧૬માં આ વિવાદ ઉપડ્યો ત્યારે એક સમગ્ર ચિત્ર આલેખવાનું બન્યું હતું. આ ક્ષણે ઝાઝી તપસીલમાં નહીં ખૂંપતાં એ એક હદ્ય ઇતિહાસવસ્તુ માત્ર સંભારી લઈશું કે શાસ્ત્રીય સંગીતને ક્ષેત્રે જે કિરાણા ઘરાણાની ખ્યાતિ છે એનો ઉગમ કૈરાનાનો છે. હિંદુ પરંપરાનો ધ્રુપદ અને ઈસ્લામી પરંપરાનો ખયાલ, આ બેઉનું સંમિલન તે કિરાણા ઘરાણાનો વિશેષ ગણાય છે. જાટ મતદારોએ હિંદુ ઓળખથી નહીં ખેંચાતાં એક મુસ્લિમ ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું તેમાં કિરાણા ઘરાણાનો કિંચિત્ પણ અપરિભાષિત ફાળો હશે એમ માનવું કોને ન ગમે. સમાજવાદી પક્ષ, બહુજનસમાજ પક્ષ, રાષ્ટ્રીય લોકદળ, કૉંગ્રેસ સૌ એકત્ર આવે તો ર૦૧૯માં ઉત્તરપ્રદેશમાં કેવીક ચૂંટણીભોંય કેળવાય – ભાજપ કેવોક ‘ધીખતી ધરા’ અનુભવ કરે – એનું આ એક ટ્રેલર, બીજું શું.
સાદી ચૂંટણીસમજૂતીની ચર્ચાને હમણાં આ લખનાર છેક ગાયકી અને ઘરાણા લગી ખેંચી ગયો એમાં રહેલી દૂરાકૃષ્ટતાની જો એને ખુદને પણ ખબર હોય તો બાકી સૌને ય એનાં ઓસાણ ન હોય એવું તો શી રીતે માની શકાય. પણ, તેમ છતાં આવો પેરેલલ દોરવા પાછળની એક ચાલના એ મુદ્દો ઘૂંટવાની છે કે બિનભાજપ પક્ષોના ખયાલમાં રહેવું જોઈશે કે વાત માત્ર અંકગણિતની નથી, એમાં કશીક કીમિયાગરી (આલ્કેમી) જરૂરી છે, જેમ કે જેપી આંદોલન / વીપી હવા.
દરમ્યાન, બેઠકોની જિદ જરૂર પ્રમાણે છોડીને પણ સપ (અખિલેશ), બસપ (માયાવતી) સાથે રહેશે એવી અખિલેશ યાદવની જાહેરાતમાં રહેલી સહજ પ્રૌઢિની સ્વાગતાર્હ નોંધ!
સૌ જન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 11