રોયલ બેબીના આગમને વધુ એક વાર સાબિત કર્યું છે કે રાજા પ્રત્યેની સામાન્ય લોકોની માનસિકતામાં આજે પણ કોઈ ફરક પડયો નથી. લાગે છે, 'બિચારા' લોકો આજે પણ 'સ્વરાજ'નો અર્થ કે આસ્વાદ પામી શક્યા નથી!
ગયા સપ્તાહના પ્રારંભે જ આખી દુનિયાને એક 'ગૂડ' ન્યૂઝ મળ્યા, સોળ-સોળ દેશનાં મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના દીકરાના દીકરાના ઘરે પુત્રરત્નનો જન્મ થયો! રાણી'શાસિત' સોળ દેશોમાં હરખની હેલી સર્જાય તે તો સમજાય, પણ નવા પ્રિન્સના સમાચારે આખી દુનિયાને ઘેલી કરી. આમ તો પ્રિન્સ વિલિયમ્સની અર્ધાંગિની કેટ મિડલટન પ્રેગ્નન્ટ થવાના સમાચાર મળ્યા ત્યારથી માંડીને તેને લેબર પેઇન ઊપડયું ત્યાં સુધીના વિગતવાર સમાચારો મીડિયામાં હોટ કેક ગણાતા હતા અને છાશવારે ટીવી-અખબારો અને અન્ય માધ્યમોમાં છવાતા હતા, પરંતુ બેબી બોયના જન્મના ખબર આપવા માટે મીડિયામાં રીતસર હોડ જ જામી ગઈ હતી. આ અંગે ઈઝરાયેલના એક અખબારે કટાક્ષમાં લખ્યું હતું, ‘આજે રોયલ પરિવારનો એક નવો હીરો પેદા થયો છે ત્યારે કેમેરોન, હોલાંડે, નસરલ્લા કે ઓબામાને કોણ પૂછે છે? શું (બ્રિટિશ) સામ્રાજ્યનો અસ્ત થયો છે? સામ્રાજ્ય અમર રહો!’ આપણે જાણીએ છીએ કે કેમરોન, હોલાન્ડે કે ઓબામા લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ છે, છતાં એક નવજાત શિશુ આગળ ઝાંખા પડી જાય છે, શા માટે? આવું થવા પાછળનું સૌથી મોટું કારણ છે – લોકોની માનસિકતા. લોકો આજે પણ રાજાઓ, સમ્રાટો, નવાબો, ઠાકોરસાહેબો કે ગામધણીઓ પ્રત્યે અહોભાવની ભાવના ધરાવે છે.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું એક જાણીતું વાક્ય છે, નવા બાળકનું અવતરણ એ બાબતની સાબિતી છે કે ઈશ્વરે માનવજાત પ્રત્યે હજુ શ્રદ્ધા ગુમાવી નથી! બાળક કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે જન્મે કે પ્રિન્સ વિલિયમ્સના ઘરે, બાળજન્મની ઘટના તો આવકારદાયક અને આનંદદાયક જ હોય, પણ રોયલ બેબીના આગમનની ઘટનાને વિશ્વભરનાં માધ્યમો દ્વારા જે રીતે ચગાવવામાં આવી અને સામે વિશ્વભરના લોકોમાં જે હરખના હુમલા જોવા મળ્યા, તેણે આપણી રાજા-રૈયતવાળી જીર્ણ માનસિકતાને વધુ એક વાર પ્રકાશમાં આણી છે. એકવીસમી સદીમાં જ્યારે લોકશાહી તત્ત્વો અને તંત્રો સ્થિર, સ્થાયી અને મજબૂત બન્યાં છે ત્યારે પણ લોકોની રાજ-ઘેલછા, કુળ-ઘેલછા કેટલાક પ્રશ્નો જગાવી જાય છે.
રાજાશાહીની વાત કરીએ તો એકવીસમી સદીમાં આ શાસન પદ્ધતિ આઉટ ઓફ ડેટ છે. વિશ્વના ૨૦૦થી વધારે દેશોમાંથી માત્ર ગણીને સાત દેશોમાં જ પૂર્ણ રાજાશાહી અસ્તિત્વમાં છે. વળી, આ દેશો બહુ જ નાના છે. આ ઉપરાંત ૨૧ દેશોમાં રાજાઓનું અસ્તિત્વ છે ખરું પરંતુ ત્યાં શાસન તો લોકો દ્વારા ચૂંટાયેલી સરકારો દ્વારા જ ચાલે છે. પ્રિન્સ વિલિયમ્સ જેના વારસ છે એ બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત ૧૬ દેશોનો સમાવેશ થાય છે, છતાં આ બધા ય દેશોમાં પણ ચૂંટાયેલી લોકશાહી સરકારો જ શાસન કરી રહી છે.
દુનિયાના ૨૦૦માંથી ૯૭ ટકા દેશોમાં લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર કાર્યરત હોવા છતાં લોકશાહી મૂલ્યો અને સંસ્કારોની મોટી કમી વર્તાઈ રહી છે. રાજા-રજવાડાં પ્રત્યેના અહોભાવના મૂળમાં છે – ભવ્યતા પ્રત્યેનો મોહ. લોકો ભવ્યતાથી અંજાય છે. સદીઓ સુધી રાજાઓ નીચે કચડાયેલા લોકો હવે લોકશાહીના યુગમાં સ્વરાજ પામ્યા છે, છતાં માનસિકતા બદલાઈ નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ પણ સીધો-સાદો હોય તો આપણને તેના માટે કદાચ માન થાય પણ અહોભાવ તો ફેશનેબલ અને રાજા જેવા તોર ધરાવતા નેતા પ્રત્યે જ જાગતો હોય છે. આપણા રાજકારણમાં યુવરાજો ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પણ લોકોની આ માનસિકતા જ જવાબદાર છે. આપણી માનસિકતા ન બદલાયાનું બીજું કારણ એ છે કે લોકોને આજે પણ 'સ્વરાજ'નો અહેસાસ થતો નથી. વળી, લોકશાહીમાં સૌ સમાનનો સંસ્કાર હજુ આપણામાં કેળવાયો જ નથી, કારણ કે સામાજિક-આર્થિક-રાજકીય અસમાનતાઓ આજેય પ્રવર્તમાન છે. નાત-જાત-કોમ-કુળને ભૂલીને 'સૌને સમાન તક' હજુ દૂરની વાત માલૂમ પડે છે. કોઈ ને કોઈ રીતે ઉચ્ચ કે નીચનો અહેસાસ માનવીને થતો રહે છે. આ સ્થિતિ અને મનોદશા ક્યારે બદલાશે?
e.mail : divyeshvyas.amd@gmail.com
(સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, July 27, 2013)