મિત્રો,
વાત જરા લાંબી છે .. પણ આપ સૌ સામે મૂકવી જરૂરી છે.
આજથી વીસ દિવસ પહેલા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના મહા મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા જાતને વચન આપેલું કે પારદર્શક બની સંવાદ કરીશ … એટલે આજનો સંવાદ …
બંગાળી સર્જક વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથા ‘આરણ્યક’નો અંત નાયકની આ ઉક્તિ સાથે આવે છે – “મને માફ કરજે, અરણ્યના હે દેવ …”.
એવી જ પ્રાર્થના આજે સવારે કરીને 106 વૃક્ષ કેટલાક ઘૂની, પ્રકૃતિના ચાહકો સાથે વાવ્યાં. હજી આવતા રવિવારે બીજા 100 વાવવાનાં છે. કુલ 200 વૃક્ષ વાવવાનાં છે. હવે સવાલ એ છે કે આ આંકડો શા માટે? બની ચૂકેલી એક ઘટના … એમાં નથી જવું, કેમ કે આપ જાણો છો અને આપ સૌએ જાગૃત નાગરિક ધર્મ પણ બજાવ્યો છે. પણ આ 200ની સંખ્યાનું એક ઠોસ કારણ છે.
પરિષદને AMC[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]ની નોટિસ મળી. મોટો દંડ ભરવો પડે એમ હતો. એકથી વધુ વખત AMCએ તાકીદ પણ કરી. એ નોટિસ અનુસાર દંડ ભરીએ તો વાત પૂર્ણ … પરંતુ એ નોટિસમાં એક બીજો મુદ્દો પણ હતો. જો પરિષદ 200 વૃક્ષ વાવે તો આ દંડ 97% માફ થાય … આ 200ની સંખ્યાનું એક કારણ.
પણ માત્ર આ જ કારણ નથી.
આ વિકલ્પ AMC આપે એ બાબતનું પણ મોટું મૂલ્ય છે … એના પદાધિકારીઓને સલામ. જેટલા કપાયાં એનાથી દસ ગણાં આપણા પરિસરમાં વાવી અને ઉછેરીએ તેનાથી આ આખી વાત સંવેદનશીલ પણ બને છે … મેં મારી જાતને પૂછ્યું કે ઉમાશંકરદાદા જો હોય તો એ આ પરિસ્થિતિમાં શું કરે? આ રસ્તો જ લે …
(ઇમાનદારીથી કહું તો કાર્યભાર સંભાળતી વેળા આ સંખ્યા બાબતે હું અજાણ હતો, પણ મેં સૌથી પહેલા મધ્યસ્થમાં ઉમાશંકર જોશી જન્મદિવસે વૃક્ષારોપણ કરી, હું મારી પ્રવૃત્તિઓ આરંભીશ એવું કહેલું.)
આજની આ સરસ ઘટનામાં રમેશ. ર. દવે, મનીષ પાઠક અને “અમદાવાદ પશ્ચિમ વૃક્ષારોપણ સમૂહ”ના કર્મઠ સાથીઓ (જેમના પ્રત્યે ઘેરો આદર અને સ્નેહ અનુભવું છું) કેન્દ્ર સ્થાને છે. આ સંસ્થા માત્ર વાવતી વેળાએ જ નહીં, ઉછેરમાં પણ આપણી સાથે રહેશે … સલામ.
– રહી વાત બાકીના દંડની – પ્રકાશભાઈ, માધવભાઈ અને પ્રફુલ્લભાઈ તેમ જ પરિષદના ટ્રસ્ટીઓ સાથે વિમર્શ કરી ઉકેલ માંગીશ ….. એટલે મિત્રો, આ મુદ્દો પૂરો કરીએ, કેમ કે હજી ઘણાં પડકારો છે આપણી સામે ….
– છેલ્લી બે વાત .. પરિષદ વિશે, આ ઘટના વિશે તમે સૌ ખરા હૃદયથી ચિંતિત હતા અને તમારી ચર્ચાઓ, તમારો રોષ કે ગુસ્સો, તમારાં સૂચન બધુ આપણી આ મહાન સંસ્થાના ભલા માટે તો જ હતાં. એની સાથોસાથ આપ સૌએ મને માર્ગ પણ બતાવ્યો. કેટલાક મિત્રોએ મને સમયે સમયે ચેતવ્યો પણ છે …. તમને વિનંતી કરું છું સ્વામિનારાયણ સંપ્રદાયના એક ગમતા કવિ ‘પ્રેમસખી’ પ્રેમાનંદના શબ્દોમાં – ‘આવા ને આવા, આવા ને આવા, રહેજો મારી આંખડીમાં આવા ને આવા’.
– અને આગામી સવા વરસ માટે સમીર ભટ્ટ તમને વચન આપે છે કે આગામી સવા વરસ શુદ્ધ સાહિત્ય પ્રીતિથી, સૌને સાથે રાખી ગરિમાપૂર્ણ રીતે પરિષદ પ્રવૃત્તિઓથી છલકાશે … એ ધ્યાન પણ રાખીશ કે પરિષદના પરિસરમાં નર્યું સાહિત્યિક વાતાવરણ નિર્માણ પામે.
સૌજન્ય : સમીરભાઈ ભટ્ટની ફેઇસબૂક દીવાલેથી સાદર