કોઇએ પણ કલ્પના નહીં કરી હોય કે કાશ્મીરી સ્ટાઇલની શાલ પહેરીને લક્ષદ્વીપ પર ખુરશી નાખી ફોટો પડાવનારા કે લાઇફ જેકેટ પહેરીને સ્નોર્કલિંગ કરનારા વડા પ્રધાનની તસવીરો વિવાદની આટલી મોટી હોળી સળગાવશે
ભૂગોળ વિષયનો ગોળો વાળીને ગોટે ચઢાવી દેનારા એકેએક માણસે છેલ્લા એક અઠવાડિયામાં લક્ષદ્વીપ ક્યાં છે એ બરાબર યાદ કરી લીધું છે. જો કે એવું ય બને કે દેકારામાં એક બૂમ ઉમેરનારાઓને ખરેખર લક્ષદ્વીપ કે માલદીવ ક્યાં ય પણ જવામાં જરા ય રસ નથી કારણ કે એણે તો ગલ્લે ઊભાં રહીને દાંત ખોતરતા ખોતરતા માત્ર જે ‘ટ્રેન્ડ’ થાય છે એને જ ટેકો આપવાનો છે. લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચેની રસાકસીમાં આપણા વડા પ્રધાનની તસવીરો, માલદીવનાં સસ્પેન્ડ થયેલાં મંત્રીઓ, ટુરિઝમનો ધંધો કરનારા, રણવીર સિંઘે જે પોસ્ટમાં બાફેલું એ પોસ્ટ, એક અખબારે રણવીર સિંઘની ભૂલ વિષે બે કૉલમના સમાચારમાં રણબીર કપૂરનો ફોટો મૂક્યો એ, માલદીવ જનારા સેલિબ્રિટીઝની ટીકા કરનારા બીજા સેલિબ્રિટીઝ અને લોકલ પ્રવાસે જવાયનો છાતી ઠોકીને દાવો કરનારા ઇન્ફ્લુએન્સર્સ અથવા સેલિબ્રિટીઝ વગેરે ભારે વાઈરલ થઇ ગયાં છે.
ભારત અને માલદીવ વચ્ચે જે બબાલ થઇ એમાં આમ તો રાજદ્વારી પગલાં લઇને આખી વાત ઠારી શકાઇ હોત, પણ માલદીવનો બૉયકૉટ એ 2024ના વર્ષનો સૌથી પહેલો એવો ટ્રેન્ડ છે જેણે આખેઆખું સોશ્યલ મીડિયા યુદ્ધ છેડી નાખ્યું. કોઇએ પણ કલ્પના નહીં કરી હોય કે કાશ્મીરી સ્ટાઇલની શાલ પહેરીને લક્ષદ્વીપ પર ખુરશી નાખી ફોટો પડાવનારા કે લાઇફ જેકેટ પહેરીને સ્નોર્કલિંગ કરનારા વડા પ્રધાનની તસવીરો વિવાદની આટલી મોટી હોળી સળગાવશે. વડા પ્રધાને જે કર્યું એ કર્યું પણ તેમના ભક્તોએ તેમના પ્રવાસને ઝાલીને માલદીવને સપાટામાં લઇ લીધો. એમાં માલદીવના સોશ્યલ મીડિયા પર ભારત સરકારની ટીકા કરાઇ એ પણ ત્યાંના મંત્રીઓએ કરી અને પછી તેમને સસ્પેન્ડ કરી દેવાયાં.
માલદીવમાં જે નવી સરકાર આવી છે તે ભારત વિરોધી મુદ્દાને ચાગવીને જ સત્તા પર આવી છે અને તેમણે ભારતને માલદીવમાંથી તગેડી મુકવાની વાત પર ભાર મૂક્યો હતો. માલદીવ વર્સિઝ લક્ષદ્વીપ થયું એમાં માલદીવે પણ આફતમાં અવસર જોઇને ઝુકાવ્યું. ત્યાંના મંત્રીઓએ સોશ્યલ મીડિયા પર ભારત અને વડા પ્રધાન મોદી વિશે એલફેલ લખી નાખ્યું અને પછી વિરોધનું સુનામી માલદીવ પર ફરી વળ્યું. ત્યાંના ટુરિઝમ એસોસિયેશને તો પોતાના જ મંત્રીઓના બકવાસને પોતે ટેકો નથી આપતા એવી પ્રેસનોટ પણ જાહેર કરી. જેનું ઠેકાણે હતું એવા માલદીવના સત્તાધીશોએ માફી પણ માગી પણ આ મુદ્દાની ચર્ચા હજી સુધી ચાલી જ રહી છે. માલદીવનાં ત્રણ મંત્રીઓ સસ્પેન્ડ કરાયાં એ માલદીવની સરકારની પહેલ હતી જેનાથી વાત વધારે વણસે નહીં. પણ સોશ્યલ મીડિયાને મોંએ કોણ ગરણાં બાંધે? જેવા ભક્તો અહીં હોય એવા ત્યાં પણ હોય જ એટલે સરકારો શાંતિથી કોઈ રસ્તો કાઢે તેની પરવા કર્યા વિના સોશ્યલ મીડિયા પર બન્ને દેશોના લોકોએ કચકચાવીને એકબીજા તરફનો રોષ દેખાડી દીધો.
માલદીવ – 300 સ્ક્વેર કિલોમિટરના અને છ લાખની વસ્તી ધરાવતા મુસલમાન બહુમતી દેશે ભારત સાથે શિંગડા ભેરવતી વખતે એ યાદ ન રાખ્યું કે નાના રાષ્ટ્રોએ પોતાના પાડોશી દેશો સાથે વાટાઘાટ કરવામાં જરા સાચવવું તો જોઇએ. વગર કારણની ઉશ્કેરણીથી નાના રાષ્ટ્રને વધારે નુકસાન થાય અને એમાં ય પાછા સોશ્યલ મીડિયા પર ભારતીયોએ જે ઘોંઘાટ કર્યો છે તેને કારણે સંજોગો બદના ય બદતર થઇ ગયા. રાષ્ટ્રવાદને નામે જે અવાજો થઇ રહ્યા છે તે અતિશયોક્તિભર્યા છે અને તે બીજા દેશ કરતાં પોતાના દેશને – ભારતને વધારે નુકસાન કરી શકે છે. પણ ચૂંટણી માથે છે ત્યારે ટાણે વડા પ્રધાન લોકોને મુંગા રહેવાનું કહેવાની માથાકૂટમાં પડશે કે પ્રચાર-પ્રસારની યોજનાઓ બરાબર પાર પડી રહી છે કે નહીં એ જોવા બેસશે? વાંક માલદીવના મંત્રીઓનો જ છે જેમણે રાજકારણી તરીકેની આમન્યા ન જાળવી અને તેમનો ભારત-વિરોધી અભિગમ દેખાઈ આવ્યો.
હવે રાજકારણની ચર્ચા કરીએ જે આ બધી બબાલનું સાચું કારણ છે. આપણે શ્રીલંકા, બાંગ્લાદેશ સાથે સારાસારી નથી. વળી સરકારને મામલે એવું છે કે લક્ષદ્વીપનું ભરપૂર પ્રમોશન ભલે થયું હોય અને માલદીવના બહિષ્કાર પર ઘોંઘાટ કરાયો હોય પણ આ લડાઇમાં ચીનની કારી ફાવી જવાની છે જેનું કારણ છે ભૌગોલિક રાજકારણ. ભારત અને માલદીવ વચ્ચે અંતર વધે એમાં ચીનને પૂરો રસ છે. 2019માં મોદીએ માલદીવની મુલાકાત લીધી ત્યારે જોઇન્ટ હાઇડ્રોગ્રાફિક સરવે પેક્ટ પર હસ્તાક્ષર કરેલા જે ડિફેન્સ રિલેટેડ બાબત હતી. માલદીવમાં સરકાર બદલાય છે અને આ પેક્ટ અચાનક જ અમાન્ય થઇ જાય છે કારણ કે આ નવી સરકાર ચીન તરફી છે. આ આડોડાઇ એ હદે કે માલદીવના પ્રેસિડન્ટે કોલોમ્બોમાં સિક્યોરિટી અંગે જે કોન્ક્લેવ થયું એમાં ય હાજરી ન આપી. વળી પોતાની પહેલી સ્ટેટ મુલાકાત માટે માલદીવના નવા ચૂંટાયેલા પ્રમુખ મોહંમદ મુઝ્ઝુએ ટર્કી અને ચીન પર પસંદગી ઊતારી. અત્યારે આ બધી બબાલ થઇ રહી છે ત્યારે માલદીવના પ્રમુખ ચીન ગયા કારણ કે તે જતાવવા માગતા હતા કે તેમણે ચૂંટણી જીતવા માટે જે ભારત વિરોધી એજન્ડાની વાત કરી હતી તેને અને ભારતથી માલદીવને ખતરો છે એ વાતને વળગી રહ્યા છે. વળી ભારતીય સૈન્યને (75 જણા જે ત્યાંના સૈન્યના બેઝ, હેલીકૉપ્ટર વગેરેને સાચવાતા હતા) પણ માલદીવમાંથી બહાર મોકલી દેવાયું છે. વળી એક દેશનું સૈન્ય પોતાની સીમામાંથી જાય એટલે બીજા દેશનું આવી શકે અને આ બીજો દેશ એટલે ચીન. શી ઝિનપિંગને, બેઇજિંગને માલદીવમાં ચીનના પૈસાનું રોકાણ થાય એવી પૂરી દાનત છે. 48 કલાકના આ ખેલમાં ભારતને ભાંડવામાં આવે છે અને ચીનને માલદીવ અગત્યનો કોલાબરેટર દેશ ગણાવે છે. માલદીવ ચીન સાથે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ કરવા માગે છે, જેમ કે માછલાંની નિકાસ પર જેના કારણે માલદીવ સારા એવા પૈસા મળશે. ચીને બાંગ્લાદેશ સાથે પણ 25 બિલિયનનો નિકાસનો વ્યાપાર કર્યો છે અને એવું જ ચીન માલદીવમાં પણ કરવા માગે છે. ચીને માલદીવને એરપોર્ટ અને તોતિંગ બ્રીજ જેવા વચનો આપ્યા છે, તગડું રોકાણ પણ કર્યું છે. વળી માલદીવના ટાપુઓ જ્યાં રિસોર્ટ્સ આવેલા છે તે બધા માલેથી દૂર છે, ત્યાં માલદીવના સ્થાનિક લોકો નથી વસતા. ત્યાં માલેમાં જે સામાજિક-રાજકીય ગોઠવણ છે તેનાથી સાવ જ જુદી સ્થિતિ છે અને તેને માલદીવની મૂળ સંસ્કૃતિ સાથે કંઇ લેવા દેવા નથી. એક દેશ અને બે તંત્ર વાળો ઘાટ છે જે હોંગકોંગ અને ચીન વચ્ચે પણ ગોઠવાયેલો છે.
માલદીવના લોકોમાં સાન આવે તો સારું કારણ કે ત્યાં વંશીય ખુન્નસની ઘટનાઓ પણ બની છે. ભૂતકાળમાં કોઇ યુરોપિયન યુગલ જે પોતાના લગ્નનાં વચનને રિન્યૂ કરવા માલદીવ ગયા હતા ત્યારે ત્યાંના પાદરીએ ત્યાંની ભાષામાં વચન બોલવાનું આવ્યું ત્યારે ત્યાં ગાળાગાળી કરી હતી જે એ યુરોપિયન યુગલને બાદમાં ખબર પડી હતી, જ્યારે સોશ્યલ મીડિયા પર ત્યાંની ભાષા જાણનારા લોકોએ તેમને એ હકીકત કોમેન્ટ્સમાં જણાવી હતી. માલદીવ આવું કરશે તો કેવી રીતે ચાલશે? ચીનમાં દોસ્ત જોનારા માલદીવને ખબર હશે કે ચીન કેટલી હદે આક્રમક અને વર્ચસ્વ જમાવનારો દેશ સાબિત થઇ શકે છે?
ભારત અને માલદીવ વચ્ચે ભૂતકાળમાં બહુ જ સારા સંબંધો રહ્યા છે. એ હદે કે એંશીના દાયકામાં માલદીવ પર થયેલા એક હુમલામાં માલદીવના પ્રમુખ મામુન અબ્દુલ રયુમે પોતાના મહેલમાંથી જીવ બચાવીને ભાગતી વખતે કોર્ડલેસ ફોન પરથી ભારતના વડા પ્રધાનની ઑફિસમાં ફોન કરીને પોતાનો જીવ બચાવવા મદદ માંગી હતી. માલદીવ ઇચ્છે તો પણ ચીન સાથે ભારત સાથે જેટલા સારા સંબંધો રહી ચૂક્યાં છે એટલા સારા સંબંધ તો નહીં જ કેળવી શકે.
હવે છેલ્લે જરા બહુ જ પૉપ્યુલર થઇ ગયેલા વાત કરીએ લક્ષદ્વીપની કારણ કે માલદીવની સવલતો તો આપણે આપણા ફિલ્મ સ્ટાર્સના સોશ્યલ મીડિયા પર જોઇ જ લીધી છે. લક્ષદ્વીપ માટે એક જ ફ્લાઇટ છે અને ત્યાં માત્ર એક એર સ્ટ્રીપ છે, એરપોર્ટ નથી. પેસેન્જર શીપ પણ સોળ કલાકે કોચિનથી લક્ષદ્વીપ પહોંચાડી શકે છે અને આવી છ શીપ્સ જ છે. માલદીવમાં જોરદાર એરપોર્ટ, સી પ્લેન, સ્પીડ બોટ વગેરે બધું જ છે. લક્ષદ્વીપમાં એન્ટ્રી પરમીટ મેળવવાની કાર્યવાહી વિઝા ઓન અરાઇવલ કરતાં ય અઘરી છે. હજી તો લક્ષદ્વીપમાં ઘર ઘરમાં પીવાલાયક પાણી મળે એની કામગીરી ચાલુ થઇ રહી છે. 35 ટાપુ, 32 સ્ક્વેર કિલોમીટરના લક્ષદ્વીપ પર 10 ટાપુ પર જ લોકો વસે છે. લક્ષદ્વીપમાં દારૂબંધી છે, ત્યાં પર્યાવરણીય સ્થિતિ સંવેદનશીલ છે, એક ટાપુ તો પાણીમાં ડૂબી પણ ગયો છે અને ત્યાં ગ્લોબલ વોર્મિંગનું જોખમ મોટું છે.
બાય ધી વેઃ
માલદીવમાં દારુબંધી નથી, ત્યાં પાર્ટીઓ થાય છે કારણ કે ટુરિઝમની વાત આવે ત્યાં ગણતરી પૂર્વકની છૂટછાટ લેવાની સમજ આ દેશમાં છે કારણ કે તેમનું અર્થતંત્ર પ્રવાસન પર જ ચાલે છે. મુત્સદ્દીગીરીથી ઉકેલી શકાય એવી બાબત સોશ્યલ મીડિયા પર ઘોંઘાટ કરનારાઓએ બગાડી નાખી છે અને આ લડાઇની મજા ચીન લઇ રહ્યો છે. માલદીવનો બહિષ્કાર કરવાની લ્હાયમાં આપણે ભારતનું જ નુકસાન કરાવીએ છીએ કારણ કે કાલે ઊઠીને માલદીવની સરકાર એમ કહી શકશે કે ભારતના લોકો તો આવા જ છે એટલે આપણે તેમને દૂર રાખીએ તો જ સારું. માલદીવના આ વિરોધ અને બહિષ્કારને લઇને ભારતીયો ભારે મોજમાં છે અને લક્ષદ્વીપ જ જવાય વાળા ગાણાં ગાયા કરે છે. પરંતુ આ વાત માત્ર ટુરિઝમની છે જ નહીં. બે બિલાડીની લડાઇમાં ત્રીજો ફાવે એવો ઘાટ છે પણ એટલું લાંબુ વિચારવાની શક્તિ સોશ્યલ મીડિયા પર રાચનારા અને રમનારાઓને કદાચ રામ મંદિરના મહોત્સવ પછી પ્રાપ્ત થાય એમ બને.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જાન્યુઆરી 2024