આજે, રુય્યક વિશે —
રુય્યકનો સમય છે, બારમી શતાબ્દીનો મધ્ય ભાગ. એમનો ગ્રન્થ છે, “અલંકારસર્વસ્વ”.
રુય્યકનો મહિમા એ કારણે છે કે એમણે મોટા ભાગના પૂર્વવર્તી આચાર્યોની કાવ્યશાસ્ત્રસમ્બન્ધી ધારણાઓની ફેરતપાસ કરી છે – પર્યવેક્ષણ, સુપરવિઝન.
પર્યવેક્ષણ — Supervision
એક તો છે, ભામહ આદિ અલંકારિકોનાં અલંકારવિષયક મન્તવ્યો. “અલંકારસર્વસ્વ”-ના રચયિતા રુય્યક પોતે આ પર્યવેક્ષણ કરતાં કહે છે —
૧ :
ભામહ, રુદ્રટ વગેરે આલંકારિકોએ પ્રતીયમાન અથવા વ્યંગ્ય અર્થને અલંકારોમાં સમાવી દીધો છે, કેમ કે એ વાચ્યાર્થનો ઉત્કર્ષ કરે છે; જેમ કે, પર્યાયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ, વ્યાજસ્તુતિ, અનન્વય અલંકારોમાં.
૨ :
રુય્યક કહે છે, રુદ્રટે તો ઉપમા વગેરે અલંકારોને અર્થનો ઉત્કર્ષ કરનારા લેખ્યા છે. એટલે સુધી કહ્યું છે કે ઉત્પ્રેક્ષા અલંકાર તો પોતે જ પ્રતીયમાન છે. રસવત્ અને પ્રેય: અલંકારોમાં એમણે રસ-ભાવ વગેરેને વાચ્યાર્થની શોભાનું કારણ ગણ્યાં છે.
૩ :
કહે છે, વામને તો ગૌણી લક્ષણાને વક્રોકતિ અલંકાર ગણ્યો છે, એ તો ઠીક, પણ જુદા જુદા ધ્વનિભેદોમાં અલંકારરૂપતા જોઈ છે.
૪ :
કહે છે, ઉદ્ભટ્ટ વગેરે કાવ્યાચાર્યો તો ગુણ અને અલંકારને મોટે ભાગે સમરૂપ ગણીને ચાલ્યા છે.
બીજું એ કે રુય્યકે આ આલંકારિકોએ અલંકારયુક્ત ઉક્તિને જ કાવ્યનો આત્મા કહી છે, એ ધારણાની પણ ફેરતપાસ કરી છે.
જેમ કે —
૧ :
વામને ગુણયુક્ત પદરચના-રીતિને કાવ્યનો આત્મા ગણી છે.
૨ :
“વક્રોક્તિજીવિત”-કાર કુન્તકે તો વૈદ્ગ્ધ્યભંગિભણિતિને, એટલે કે, વિદગ્ધતાયુક્ત છટાદાર ઉક્તિને, કાવ્યનો આત્મા માની છે. એમનો મત એમ સમજાય છે કે વ્યંગ્યાર્થ નહીં પણ ઉક્તિવૈચિત્ર્ય કાવ્યનો આત્મા છે.
૩ :
ભટ્ટ નાયક પણ પ્રૌઢોક્તિને આગળ કરે છે. એથી સંભવેલા વ્યંગ્ય-વ્યાપારમાં કાવ્યત્વ જુએ છે.
૪ :
આનન્દવર્ધનના મત અનુસાર, વ્યંજના એક વ્યાપાર છે. વળી, વાક્યાર્થ જ વ્યંગ્ય છે, ગુણ અને અલંકાર એના ઉપસ્કારક છે – અલંકૃત કરનારા. એ વ્યંગ્ય જ પ્રધાન હોય છે અને તેથી વિશ્રામસ્થાન કહેવાય છે, અને એ જ છે, કાવ્યનો આત્મા.
કુન્તક કાવ્યના બન્ધને વક્રકવિવ્યાપારશાલિન કહીને કાવ્યને વ્યાપારપ્રધાન ગણે છે. ભટ્ટ નાયક વ્યંગ્ય-વ્યાપારમાં કાવ્યત્વ જુએ છે. આનન્દવર્ધન પણ વ્યંજનાને અભિધા તાત્પર્ય લક્ષણા વ્યાપારો પછીનો વ્યાપાર માને છે.
આ ‘વ્યાપાર’ વિશે રુય્યકનું મન્ત્વ્ય ધ્યાનપાત્ર છે. એ કહે છે —
વિષય અનુસાર જ વ્યાપારને સ્વરૂપ મળે છે. જેવી વિષયની પ્રધાનતા તેવી વ્યાપારની પ્રધાનતા. વ્યાપાર સ્વતન્ત્ર સ્વરૂપે નથી અવગત થતો, એટલે વિષયે જ બધો ભાર સહેવો અને વહેવો પડે છે. એ કારણે વ્યંગ્ય નામના વિષયને જ કાવ્યનો આત્મા કહેવો જોઈએ, રુય્યક સરસ ઉમેરે છે કે, એના ગુણ અને અલંકારથી ચારુત્વનું સામ્રાજ્ય રચાય છે —
તસ્માદ્વિષય એવ વ્યંગ્યનામા જીવિત્વેન વક્તવ્ય: I યસ્ય ગુણાલંકારકૃતચારુત્વપરિગ્રહસામ્રાજ્યમ્ I
પોતાનું મુખ્ય મન્તવ્ય રજૂ કરતાં રુય્યક જણાવે છે કે કાવ્યનું જીવન રસ છે, એને અલંકારરૂપ ન ગણવું જોઇએ, કેમ કે અલંકારો તો ઉપસ્કારક છે, શોભાવૃદ્ધિ કરે, પરન્તુ રસાદિ તો આત્મા છે અને તેથી એ ઉપસ્કાર્ય છે, શોભિત થનારા છે. તેથી વાક્યનો અર્થભૂત વ્યંગ્ય જ કાવ્યનું જીવિત છે. રુય્યક ઉમેરે છે કે આ જ પક્ષ વાક્યાર્થ-કોવિદ એવા સહૃદયોને રાજી કરે છે —
તસ્માત્ વ્યંગ્ય એવ વાક્યાર્થોભૂત: કાવ્યજીવિતમિત્યેષ પક્ષો વાક્યાર્થવિદામ્ સહૃદયાનામાવર્જક: I
રુય્યકનું દૃષ્ટાન્ત સૂચવે છે કે કાવ્યશાસ્ત્રસમ્બન્ધી પૂર્વવર્તી ધારણાઓની પણ કેટલી ચીવટથી અધ્યયનપૂત વિચારણા થતી હતી.
= = =
(01/14/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર