મારે ઈન્ટર આર્ટ્સમાં ઇ.એમ. ફૉર્સ્ટરનો ‘ટૉલરન્સ’ નિબન્ધ ભણવામાં હતો. ‘અ રૂમ વિથ અ વ્યૂ’-થી વિખ્યાત બનેલા ઇન્ગ્લિશ મૅન ફૉર્સ્ટર મુખ્યત્વે નવલકથાકાર, પ્રેમમાં ય માને, પણ કહે કે પ્રેમ ઘરમાં બરાબર છે, બહાર તો સહનશીલતા જોઈશે – ટૉલરન્સ. આપણે તો સ્પષ્ટપણે માનીએ છીએ કે માણસો એકમેકને પ્રેમ કરે તો ઘણા પ્રશ્નો આપોઆપ ઉકલી જાય, પણ ફૉર્સ્ટર ના પાડે છે. નિબન્ધમાં મુખ્યત્વે એમનું કહેવું એમ છે કે દુનિયાના ભલા માટે અને માનવજાતના કલ્યાણ માટે દરેક વ્યક્તિએ સહનશીલતાનો ગુણ કેળવવો જોઈશે અને તદનુસારનું વર્તન કરવું જોઈશે.
ફૉર્સ્ટરનો સમય છે : 1879 -1970 : એમનો એ નિબન્ધ પહેલી વાર 1938-માં પ્રકાશિત થયેલો, મારા જન્મના એક વર્ષ પહેલાં અને દુનિયા બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશવાને થનગનતી હતી, ત્યારે. ફૉર્સ્ટર ભારતમાં પણ રહેલા. દેવાસના મહારાજાના પ્રાઇવેટ સૅક્રેટરી હતા. પોતાના એ ઇન્ડિયા-નિવાસની એમણે ‘હિલ ઑફ દેવી’-માં વીગતે સુન્દર વર્ણના કરી છે. ઇન્ગ્લૅન્ડ પાછા ફર્યા પછી એમણે નવલ લખી, ‘ઍ પૅસેજ ટુ ઇન્ડિયા’. ખૂબ વખણાયેલી.
ઇ.એમ. ફૉર્સ્ટર / E M Forster
ભારતમાં રહી ગયેલા અંગ્રેજ સાહિત્યકારો મને મારા એ ભણતરકાળમાં બહુ ગમતા. ફૉર્સ્ટર તો ખરા જ પણ સુખ્યાત નવલકથા ‘જંગલ બુક’-ના સર્જક રુડયાર્ડ કિપ્લિન્ગ (1865-1936) અને ‘1984’ -ના કર્તા જ્યૉર્જ ઑરવેલ (1903-1950) પણ ખરા. કિપ્લિન્ગ અને ઑરવેલ તો જન્મેલા જ ભારતમાં.
રુડયાર્ડ કિપ્લિન્ગ / Rudyard Kipling
સહનશીલતાને ફૉર્સ્ટર નબળાઈ નથી ગણતા એ ખરું પણ સહી લેવાની એમની વાત મારા મગજમાં ઊતરતી ન્હૉતી. કેમ કે પ્રશ્નો તો જાહેરમાં હોય છે અને ઘણા હોય છે વળી સંકુલ હોય છે. અને પોતાના સંદર્ભના પ્રશ્નોને વેઠી લેવાને બદલે દરેકે અવાજ ઉઠાવવાની જરૂરત ખાસ પડતી હોય છે, જ્યારે ફૉર્સ્ટર ઊંધું કહે છે.
જ્યૉર્જ ઑરવેલ / George Orwell
અલબત્ત, પહેલું વિશ્વયુદ્ધ જીવી ચૂકેલી સંત્રસ્ત દુનિયાને ફૉર્સ્ટર બીજા વિશ્વયુદ્ધને ટાણે આવું કહે એ સ્વાભાવિક લાગે છે. જો કે ફૉર્સ્ટર આગળ વધીને ટૉલરન્સને નૅગેટિવ વર્ચ્યુ કહેવા લાગ્યા, ત્યારે મને બરાબર લાગેલું. કેમ કે, મને થતું કે સહી લેવું એ સદ્ગુણ ભલે છે પણ એ એક પ્રકારની નકારાત્મકતા છે – જાણે તમે કશું હકારાત્મક કરવાની ગુંજાઈશ ખોઈ બેઠા છો, ન-ગુણા છો. મને થાય, સહનશીલતા એક રૂપાળા આદર્શથી વિશેષ ન હોઈ શકે.
માની લઇએ કે સહનશીલતા સદ્ગુણ છે, પણ ક્યારે, શું અને કેટલું સ્હૅવું એ પ્રશ્ન છે.
બાજુમાં બેસીને મારી સામે કોઈ લાડુ ખાતું હોય અને મને એક તો ઠીક પણ ટુકડો ય ન આપે, મૉં ચલાવતાં ચમકતી આંખે હસી-હસીને ચ્હૅરો નચાવે, તો મારે એ સુ-ઘટનાને સહી લેવી પડે, કેમ કે મારાથી તો અવિવેકી ન જ થવાય.
મેં મારા અ-રસિક અધ્યાપકોને બહુ સહ્યા છે – એ લોકો નિરાંતે નૉટો ઉતરાવે, બધાં ઊધું ઘાલીને ઉતારે. હું બેસી રહું – સહનશીલતા કે કંઈ જુદું? અધ્યયન-અધ્યાપનની ગુણવત્તા સુધરે એ માટે ‘સન્નિધાન’ શરૂ કર્યું તેનું મહત્ કારણ આવા નૉટો ઉતરાવનારા …
લેટ સિક્સ્ટીઝથી અર્લિ નાઇન્ટીન્સ લગી બસોમાં ફરવાનું બહુ થયેલું – વ્હાલા ગુજરાતી સાહિત્ય અંગે વ્યાખ્યાનો માટે સ્તો ! કેટલીક વાર, વિદ્યાનગરથી અમદાવાદ જતાં, બસમાં એકપણ સીટ ખાલી ન હોય ને એ સ્થિતિને મેં ઊભાંઊભાં વેઠી હોય. એક વાર એક પૅસેન્જર મારી જેમ જ ઊભેલો પણ એના મૉંએ રૂમાલ બાંધેલો. હું પૂછું એ પ્હૅલાં જ એણે રૂમાલ કાઢી નાખીને કહ્યું – આગલી બસમાં બ્રેકને કારણે સીટ જોડે મૉઢું ભટકાયું. મેં જોયું કે નીચેના એના આગલા બે દાંત પડી ગયેલા, એક સાંધામાં આછું લોહી પણ હતું … મને થાય, ઘરવાળીને શું ક્હૅશે. એની એ વ્યથાને હું પણ વેઠવા લાગેલો અને રાહ જોતો’તો કે બારી બ્હાર સરતાં દેખાતાં વૃક્ષો ને ખેતરો ક્યારે પતે …
કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધરવાની સલાહ સારી લાગે છે પણ બીજો ગાલ કોઈ ધરતું નથી. સહી લે છે, નતમસ્તકે નીકળી જાય છે. આ પણ એક આદર્શ છે. અવળું એ બને કે બીજા ગાલે પેલો બેત્રણ તમાચા લગાવીને જતો રહે !
પાણ્ડવોમાં સૌથી વધુ સહનશીલ હતો, અર્જુન. ભીમ ન્હૉતો. યુધિષ્ઠિર ધર્મની છાયામાં શાન્ત હતા. યુદ્ધના મૅદાનમાં અર્જુન બેસી પડેલો. એનું ગાંડિવ સરી ગયેલું. એને ક્લૈબ્યનો – નામર્દાઈનો – અનુભવ થવા લાગેલો. કેમ કે આપ્તજનોની હત્યા કરવાને વિશે એ લાચાર થઈ ગયેલો. એ ખરું છે, પણ એ પૂર્વે એણે ઘણું જ ઘણું વેઠ્યું હતું : કર્ણને વેઠ્યો. ભરી સભામાં પ્રિયા દ્રૌપદીનું વસ્ત્રહરણ વેઠ્યું. વિરાટને ત્યાં બૃહન્નલા રૂપે અવશ થઈ વારે વારે મૃદંગ બજાવ્યાં. એની કારકિર્દીમાં સંભવેલી એ લાચાર ઘટનાઓમાં એની સહનશીલતાની અવધિ હતી. એને થયેલા પ્રશ્નો તીવ્ર અને વાસ્તવિક હતા. કૃષ્ણે એના લાંબા લાંબા ઉત્તર આપ્યા તે પણ એણે સહ્યા હતા. કૃષ્ણે અર્જુનને બેઠો જરૂર કર્યો પણ મુત્સદ્દીગીરી અને ફિલસૂફી વાપરીને – જેને આપણે ‘ભગવદ્ ગીતા’ કહીએ છીએ.
દુનિયાભરમાં સૌથી વધુ કોઈ સહે છે – ના, ‘સ્હૅવું’ ક્રિયાપદ ઉચિત નથી – વેઠે છે; તે છે સ્ત્રીઓ. આ કોઈ ચર્ચાસ્પદ મુદ્દો નથી, ચર્ચાથી પર હકીકત છે. પૂર્વના દેશોમાં અને ભારતમાં બળાત્કાર, ડોમેસ્ટિક વાયોલન્સ, વગેરે દુષ્કર્મો છે અને પશ્ચિમના દેશોમાં અને અમેરિકામાં નથી એમ કહેવું જૂઠ છે. ફર્ક એટલો જ છે કે ભારતીય સ્ત્રી પોલીસ પાસે જઈને કેસ નથી કરતી, કરે તો ફાવતી નથી. મારે છે પુરુષો, માર ખાય છે સ્ત્રીઓ. ગાળો પણ ખાય છે. મા-બેન સમાની ગાળો મારનો પૂર્વ-ભાગ હોય છે – કરુણ નાટકનું ઍક્સ્પોઝિશન. સ્ત્રીઓ ગાળો નથી બોલતી કે એમના વાંકગુના નથી હોતા એમ નથી પણ એનાં ઊંડાં કારણો શોધવા બેસશો તો છેલ્લે જડી આવશે પુરુષો, જેઓએ એ સ્ત્રીઓને વાંકગુના કરવાની ફરજો પાડેલી. કોઈ કોઈ સ્ત્રીઓ જ ગાળો બોલી જાણે છે …
જુઓ, સહનશીલ વ્યક્તિ છેવટે તો એકલી પડી જાય છે. એને કાંઈ ગમતું નથી. દુનિયા જીવવા જેવી નથી લાગતી. જતા રહેવાની ઇચ્છા થાય છે. પણ જવાતું નથી, એનું સંસાર સાથેનું કનેક્શન લૂઝ પડી જાય છે અને લૂઝનું લૂઝ રહી જાય છે.
આપણે કારણે કોઈને કશું પણ સ્હૅવું ન પડે એવાં આપણે સહજ સરળ થઈએ તો કેવું સારું ! સરળતા મોટો સદ્ગુણ છે અને હકારાત્મક છે …
= = =
(April 28, 2021: USA)
Pictures Courtesy : Google Images