કોરેગાવ લડાઈના મહાર સૈનિકોના સમાજ માટેનું બાબાસાહેબનું કાર્ય ધ્યાનમાં લેવા જેવું છે …
ભીમા કોરેગાવ ખાતે થયેલી એક લડાઈની દ્વિશતાબ્દી નિમિત્તે જે તોફાનો થયાં તેને માત્ર એક અશાંતિના એક બનાવ તરીકે ખતવવા જેવા નથી. તેમાં દલિત અને મરાઠા, દલિત અને બ્રાહ્મણ, ભારતીય જનતા પક્ષ અને દલિત પક્ષો, ભા.જ.પ. અને કૉન્ગ્રેસ જેવા વિવિધ સમુદાયો વચ્ચેના તણાવના તાણાવાણા ગૂંચવાયેલા છે. વેઠનારા શાસિત વર્ગની જાતિગત અને શાસક વર્ગની રાષ્ટ્રગત અસ્મિતા વચ્ચેનો વિવાદ પણ તેમાં છે. જો કે કોરેગાવના જે યુદ્ધસ્મારકની દસેક લાખ લોકોએ તાજેતરમાં મુલાકાત લીધી તેની સાથે સંકળાયેલો લશ્કરી અને સામાજિક ઇતિહાસ રસપ્રદ,પણ ઓછો જાણીતો છે. તેને ફરીથી પ્રકાશમાં લાવવાની પ્રવૃત્તિની સામે પણ સવાલ થાય છે. એ બાબત ઇતિહાસ કોનો, કેવો અને શા માટે એ અંગેની આપણી અવધારણા તરફ આંગળી ચીંધે છે.
પૂનાથી ચાળીસેક કિલોમીટર પૂર્વોત્તરમાં ભીમા નદીના કિનારે અંગ્રેજો અને શાસક પેશવા બાજીરાવ બીજા વચ્ચે પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ યુદ્ધ લડાયું. તેમાં પેશવાઓના બહુ મોટા લશ્કરને અંગ્રેજોનું નાનું લશ્કર પણ હરાવી શક્યું તેનું કારણ એમના દલિત સમુદાયોના સૈનિકો હતા. ભારતીય સમાજે અસ્પૃશ્ય ગણેલી આ મહાર કોમના સૈનિકોની એક બટાલિયને મોટી બહાદુરી બતાવી. અંગ્રેજોએ આ વિજયની યાદમાં એક સ્તંભ ઊભો કર્યો, અને મહાર હુતાત્મા સૈનિકોનાં નામ તેની પર કોતર્યાં. એમાં સદા અપમાનિત દલિત સમુદાયોને તેમની બહાદુરીનું ગૌરવ અને તેમની ઓળખની સ્વીકૃતિ અનુભવાઈ. તેમની નજરે પેશવાઓની હારમાં, તેમની પર સદીઓથી, અને ખાસ તો શિવાજી પછીનાં વર્ષોમાં, બધા પ્રકારના અત્યાચાર ગુજારનારા ઉપલા વર્ગની હાર દેખાઈ.
કોરેગાવ યુદ્ધનું પહેલું વર્ણન ૧૮૮૫માં બહાર પડેલ પૂના ડિસ્ટ્રિક્ટ ગૅઝેટિયરમાં મળે છે. સનદી અધિકારી જેમ્સ એમ. કૅમ્પબેલે સંપાદિત કરેલ આ દસ્તાવેજમાં અંગ્રેજોના લશ્કરના ભારતીય સૈનિકોની કોમનો ઉલ્લેખ નથી. મહાર કોમના સૈનિકોનો ઉલ્લેખ પછીનાં વર્ષોમાં થયેલાં ઇતિહાસકારોએ કર્યો છે. અભ્યાસાધારિત ખરાઈ વિના ભાગ્યે જ કોઈ વિચારને સ્વીકારનારા ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે કોરેગાવ સ્મારક એવું આદરસ્થાન હતું કે તેની તેમણે એકથી વધુ વખત મુલાકાત લીધી હતી. તેમણે ૧૯૨૭ના આરંભે લીધેલી મુલાકાતનું વર્ણન ધનંજય કીરે લખેલાં તેમના વિશ્વસનીય ચરિત્રનાં પાંચમા પ્રકરણના પહેલા જ ફકરામાં મળે છે:
‘આંબેડકરે આ વર્ષના કાર્યની શરૂઆત કોરેગાવ યુદ્ધ સ્મારકની સામે યોજાયેલી સભાથી કરી. તેમાં તેમણે અહેસાનફરામોશ બ્રિટિશ સરકારનો તેજાબી શબ્દોમાં નિષેધ કર્યો. જે મહાર કોમના સેંકડો સૈનિકોએ સરકારને અનેક લડાઈઓમાં જીત અપાવી છે એમની લશ્કરમાં ભરતી કરવાનું બંધ કરીને સરકારે વિશ્વાસઘાત કર્યો છે એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. મહાર સૈનિકો બ્રિટિશરો તરફથી લડે એ કંઈ ખાસ ગૌરવ લેવા જેવી વાત નથી એ સાચું. પણ એ લોકોએ અંગ્રેજોની મદદ શા માટે કરી ? સ્પૃશ્ય હિંદુઓએ એમને નીચ ગણીને કૂતરાં-બિલાડાને આપે તેના કરતાં ખરાબ વર્તણૂક આપી એટલા માટે ! પેટ ભરવા માટે કોઈ સાધન ન હોવાને કારણે એ લોકો મજબૂરીથી અંગ્રેજોની ફોજમાં ભરતી થયા એ ધ્યાનમાં રાખવું પડશે. બાબાસાહેબે ભાષણને અંતે કહ્યું કે મહારોની લશ્કરી ભરતી પરનો પ્રતિબંધ સરકારે ઊઠાવી લેવો જોઈએ, અને સરકાર જો એમ ન કરે તો લોકોને સરકાર વિરુદ્ધ ચળવળ કરવાની હાકલ પણ બાબાસાહેબે કરી.’ આંબેડકરની વાત અંગ્રેજો માટેના પૂરા અણગમા અને દલિતો માટેની પૂરી અનુકંપાથી કહેવાયેલી છે એ ધ્યાનમાં લેવું ઘટે.
મહાર સમાજ વિશે આંબેડકર જેટલું જાણતા એટલું બહુ ઓછા જાણતા હોય. એમના પિતા રામજી સકપાળ અને છ કાકા અંગ્રેજ લશ્કરમાં સુબેદાર મેજર પદ સુધી પહોંચ્યા હતા. ભારતીય સૈનિક મેળવી શકે તેવો આ સર્વોચ્ચ હોદ્દો હતો. બાબાસાહેબના સગા નાના ધર્મા મુરબાડકર પણ સુબેદાર મેજર હતા. રામજી લશ્કરમાંથી નિવૃત્ત થયા એટલે તરત જ તેમણે અંગ્રેજ અધિકારીઓને પત્રો લખીને મહાર સૈનિકોની ન્યોછાવરીની લશ્કરમાં વધુ કદર થાય તે માટેની રજૂઆતો કરી. બીજા દલિતોની સરખામણીએ ભીમરાવનો પરિવાર સહેજ સારી સ્થિતિમાં કહેવાય. પણ મહાર કોમની હાલત બાબાસાહેબ બરાબર જાણતા હતા. સદીઓ સુધી તેમને ગળામાં કુલડી અને પૂંઠે સાવરણી બાંધીને જીવવાની ફરજ પાડવામાં આવી હતી. પછીનાં વર્ષોમાં પણ આભડછેટ સહિતનો તમામ પ્રકારનો દુર્વવ્યહાર તેમને લલાટે લખાયેલો રહેતો. તેના અનુભવો ખુદ બાબાસાહેબને પણ થતા રહ્યા હતા. મહારોનાં પરિશ્રમ અને પરાક્રમની કોઈ કદર સમાજે કરી ન હતી. શિવાજી મહારાજના લશ્કરમાં તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. ૧૮૫૭ના વિપ્લવ પહેલાં અંગ્રેજોના લશ્કરમાં ચોથા ભાગના મહાર હતા. પણ તેને કારણે લશ્કરના ઉજળિયાત વર્ગના સૈનિકો તેમ જ અધિકારીઓમાં અસંતોષ જન્મ્યો હતો. એટલે વિપ્લવ બાદ અંગ્રેજોએ તેમની ભરતી અટકાવી હતી. આંબેડકર પહેલાંના આગેવાનોએ એ ભરતી ફરીથી શરૂ કરવા માટે વારંવાર માગણી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અંગ્રેજોના લશ્કરોમાં ભારતમાં અનેક જગ્યાએ પછાત કોમોનાં સૈનિક દળો છે. જેમ કે મદ્રાસ આર્મીમાં આન્ધ્ર પ્રદેશની માલા અને કર્ણાટકની હોલેયા દલિત કોમોએ તેમ જ અન્ય જગ્યાએ મઝહબી, રામદાસી અને રવિદાસી શિખોએ નામ કાઢ્યું હતું. આંબેડકરે મહારો માટે વિદ્વત્તાપૂર્ણ રજૂઆત કરતી એક પુસ્તિકા ૧૯૩૦ની પહેલી રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ વખતે લંડનમાં વહેંચી હતી. એમાં તે લખે છે : ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાઈને અંગ્રેજોને મદદ કરનાર આ લોકો કોણ હતા? … એ લોકો ભારતના અસ્પૃશ્યો હતા. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવની સાથે રહીને લડનારા દુસડ હતા, અને દુસડો અસ્પૃશ્યો છે. કોરેગાવનું યુદ્ધ લડનારા માણસો મહાર હતા, અને મહાર અસ્પૃશ્ય. આ રીતે ૧૭૫૭ના પહેલા અને ૧૮૧૮ના છેલ્લા એમ બંને યુદ્ધોમાં અંગેજો તરફથી લડનારા અસ્પૃશ્યો હતા. આ હકીકત ભારતીય લશ્કરની પુન: રચના માટે રચાયેલા પીલ કમિશનને માર્ક્વિસ ઑફ ટ્વિડલ્ડેલે એક નોંધ તરીકે આપી છે.’ આંબેડકરે એ પણ નોંધ્યું કે મુંબઈના લશ્કરના મહાર અને મદ્રાસ લશ્કરના પરિયા સૈનિકોએ અંગ્રેજોને ૧૮૫૭ના સંગ્રામ દરમિયાન પણ મદદ કરી હતી. અંતે તે કહે છે : ‘અંગ્રેજોના પક્ષે અસ્પૃશ્યોને લશ્કરી ભરતીમાંથી બાકાત રાખવા જેટલી અહેસાનફરામોશ બાબત બીજી કોઈ નહીં હોય.’ આંબેડકરના પ્રયત્નોથી ૧૯૪૧માં અલગ મહાર રેજિમેન્ટ પણ અસ્તિત્વમાં આવી.
મહાર જાતિ માટેની આ નિસબત બાબાસાહેબની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ હતી. ડિસેમ્બર ૧૯૨૬માં એમની મુંબઈ પ્રાન્તિક કાઉન્સિલના સભ્ય તરીકે વરણી થઈ. તેમણે એક સભ્ય પી.જી. સોલંકીને સાથે રાખીને મહાર વતનની વેઠાનાબૂદી માટે મહાર વતન ધારા બિલ રજૂ કર્યું. તે પહેલાં તેમણે મહારો વિશે કેટલાં બધાં અભ્યાસ અને ચિંતન કર્યાં હતાં તેની વિગતો ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડે બાર ખંડોના કુલ સાડા ચાર હજાર પાનાંના જીવનચરિત્રના બીજા ભાગમાં મળે છે. એ બતાવે છે કે આંબેડકર મહાર લોકોને માત્ર અંગ્રેજ સરકારની લશ્કરી નોકરીને હવાલે છોડવા માગતા ન હતા પણ તેમના પાયાના પ્રશ્નો માટે પણ મથ્યા હતા. ખૈરમોડેએ મહાર વતન બિલ માટેનાં બાબા સાહેબના પ્રયત્નો વિશે કુલ ચાળીસ પાનાંનાં બે પ્રકરણ લખ્યાં છે. તેમાંથી બીજાનું નામ છે ‘અસ્પૃશ્યોના બુકર ટી. વૉશિન્ગટન’.
+++++
૪ જાન્યુઆરી ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 05 જાન્યુઆરી 2018