== ૨૦૨૩ના માર્ચની ૧૩ તારીખે ગોવિન્દગુરુ યુનિવર્સિટીમાં આપેલા વ્યાખ્યાનનું લેખ-સ્વરૂપ ==

સુમન શાહ
— એક કહેવત છે કે મૂરખ માણસ પણ પ્રયોજન વિના તો હાલતો પણ નથી. આમ તમારી સામે વ્યાખ્યાન કરવું એ મારું પ્રયોજન છે. ખરેખર તો, ૧૫-૨૦ દિવસ પર જૈમિને મને વાત કરી એ ઘડીથી આ પ્રયોજન મારામાં આકાર લઈ રહેલું. એ પ્રયોજન પાર પાડવાને હું અમદાવાદથી તમારા લગી આવ્યો છું. તમે પણ મને સાંભળવાના પ્રયોજનથી બેઠા છો. આયોજકો આ પરિસંવાદ પાછળનું પ્રયોજન પાર પાડી રહ્યા છે. એટલે એમની ચિન્તા એ પણ હોઈ શકે છે કે હું ક્યારે પૂરું કરું ને બીજા વક્તા શરૂ કરે. મજાક છે. મજાક છે એમ કહેવું પડે છે.
— મમ્મટે ૬ પ્રયોજન ગણાવ્યાં છે : કાવ્યમ્ યશસે અર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે / સદ્ય:પરનિર્વૃતયે કાન્તાસમ્મિતતયોપદેશ યુજે.
— દરેકને સમજીએ.
સદ્ય: પરનિર્વૃતિ છે, સદ્ય: પરનિવૃત્તિ નથી. નિર્વૃતિ અને નિવૃત્તિ વચ્ચેના ફર્કને અનેક અધ્યાપકો અને સમીક્ષકો પણ ગળી જતા હોય છે. સદ્ય: એટલે, તુર્ત જ. શૈવ દર્શનમાં અર્થ છે, મુક્તિ. શાક્ત દર્શનમાં અર્થ છે, માયાથી મુક્તિ. એ મુક્તિ તો એ દર્શનોના માર્ગે જઇએ તો મળે, આ તો સાહિત્યકલા વડે મળે, અને તુર્ત જ મળે એવી મુક્તિ છે. કલામાં ‘મુક્તિ’-નો સંકેત બદલાઈ જાય છે, જેને કાવ્યાચાર્યો ઉચિત રીતે જ ‘ચેતોવિસ્તાર’ અને ‘અ-લૌકિક આનન્દ’ જેવા આગવા સંકેતોથી ઓળખાવે છે.
– એ પ્રયોજનને ‘સકલપ્રયોજન મૌલિભૂતમ્’ કહ્યું છે. બધાં પ્રયોજનોમાં શીર્ષસ્થાને છે.
— પણ આ પ્રયોજનો છે કે પરિણામો?
— પ્રયોજન તો બીબું બની જાય. સરકારી કવિઓ – ગરીબી હઠાવો. અમે બે અમારાં બે. વગેરે પ્રયોજનોથી લખાતું સાહિત્ય. સ્ટાલિનના સમયનું સરકારી સાહિત્ય. ત્યારે સાચા લેખકોએ પોતાનાં લેખન ડ્રૉઅર્સમાં સંતાડી રાખેલાં. પાછળના સમયમાં ‘ડ્રૉઅર રાઇટર્સ’ રૂપે પ્રગટ થયા. અસલી રશિયા એ સાહિત્યમાં ધબકતું’તું. એવા કવિ કવિ લાગે, લાગે કે કેટલી જરૂરી વાત કરે છે. પણ એથી કૃતક કલાઓ જન્મે છે. એને કવિમાં કે કલામાં ગણવાનું આપણે બંધ કરવું જોઈશે.
— કેમ કે કૃતક કલાઓ દુષ્પ્રયોજનોને કારણે સદ્ કલાઓને હડસેલી મૂકે છે. અત્યારે એ જ થઈ રહ્યું છે. ઉપજાવી કાઢેલાં જૂઠાણાં હવે સત્ય છે. એ પોસ્ટ ટ્રુથ છે. સત્તાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હકીકત રૂપ સત્યને સ્વાર્થે મચડી નાખે. પોસ્ટ ટ્રુથ ઊભાં કરીને નર્મદનાં સત્યોને હણી નંખાયેલાં, આજે સુરેશ જોષીનાં સત્યોને પોસ્ટ ટ્રુથના હથિયારથી હણવાના પ્રયાસ ચાલુ છે. ફ્રાન્સમાં એક જમાનામાં વાઇન લોહી જેવા લાલ રંગનો હોવાથી અપવિત્ર અને ત્યાજ્ય મનાતો હતો, કમ્પનીઓએ જાહેરાતો કરવા માંડી કે વાઇન સ્વાસ્થ્યવર્ધક છે. રોલાં બાર્થ એવી જાહેરાતોને નવા જમાનાની મિથ કહે છે.
અસદ્ કલાપ્રયોજનોથી સમાજ ભાવનાઓના વિષયમાં માંદો પડે છે. એ માંદગી ન દેખાય એવી હોય છે.
— ઉપયોગી બને એવી કારીગરી એક જમાનામાં કલાઓ ગણાતી હતી : જેમ કે, નદીમાં ઝાડનું થડિયું તરતું જોઈને માણસને હોડીનો વિચાર આવ્યો. પણ શિલ્પી કલાકારે આરસની હોડી બનાવી. એનો ઉપયોગ નથી, નદીમાં મૂકો તો ડૂબી જશે. આગળના સમયમાં વાંસની ચીપોની સાદડીઓ હતી, એવા પંખા પણ હતા. પણ અસમના અવનિયતિ સત્રમાં આયોજકોએ મને હાથીદાંતની ચીપોની સાદડી બતાવેલી. એ પર બેસાય થોડું? ઉપયોગ કાઢી નાખો એટલે કલા પ્રગટવા માંડે.
— ફ્રૅન્ચ ચિત્રકાર અને શિલ્પી માર્સલ દુશામ્પે (૧૮૮૭-૧૯૬૮) ૧૯૨૧માં બનાવેલું એક શિલ્પ છે, જેમાં બર્ડકેજ છે, પંખીનું પાંજરું. એમાં, ૧૫૨ સાકરના જેવા સફેદ દાણા છે, પણ આરસના બનાવેલા છે. એમાં એક મૅડિકલ થર્મોમીટર પણ છે, એક કટલબોનફિશ પણ છે, અને પોર્સેલિનની એક નાની ડિશ પણ છે. ઉપયોગી વસ્તુઓના બનેલા એ શિલ્પનો કશો જ ઉપયોગ નથી.
LHOOQ (1919): Marcel Duchamp’s Uncompromising Piece
એ દુશામ્પે લિયોનાર્ડો વિન્સીના જગવિખ્યાત ચિત્ર મોના લિસાનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે. મોનાને એણે મૂછો સાથે ચીતરી. નામ આપ્યું – L.H.O.O.Q. જેનો ફ્રૅન્ચમાં વિસ્તૃત અર્થ છે, ‘શી હૅઝ હૉટ ઍસ’. મતલબ, જાતીયતાથી ઉશ્કેરાયેલી અને તેથી ઉપલબ્ધ વ્યક્તિની મનોવસ્થા.
નક્કી પ્રયોજનને નહીં વરેલી આવી કલાઓ આઘાતક હોય છે. આપણને એ ટેવોથી નહીં પણ જગતને જુદી જ રીતે જોવાની તાજપભરી રસીલી દૃષ્ટિ આપે છે.
— ઇટાલિયન પેઇન્ટર જિઓર્જિઓ મોરાંદીએ (૧૮૯૦-૧૯૬૪) દોરેલાં શીશીઓનાં ચિત્રનું દૃષ્ટાન્ત પણ સમજવા જેવું છે. સ્ટીલ લાઇફ છે. જીવનભર એણે એનાં જ સર્જન કર્યાં. નાનીમોટી, જાતભાતની રંગબેરંગી શીશીઓનાં ચિત્ર. એણે પોતાના સ્ટુડિયોમાં ફ્લાવરવાઝ, ઘડા, ફળફળાદિ માટેની ડિશો, વગેરે રોજિંદા વપરાશની વસ્તુઓ એકઠી મૂકેલી. વસ્તુઓનાં કાયમી સ્થાનો કે તેમનાં ઉપયોગો યાદ જ ન આવે. શો હેતુ? કયું પ્રયોજન?
એથી પરિચિતથી અપરિચિતની દિશા ખૂલે છે. એક હતું, વસ્તુઓનું ચવાઈ ચૂકેલું રૂપ અને બીજું હતું, કલાકાર વ્યક્તિએ સરજેલું નવ્ય રૂપ. સામાન્યપણે લોકોને જીવનભર ખબર જ નથી પડતી કે એમની આસપાસની બધી જ ચીજો નિષ્પ્રાણ હતી, કેટલીક વ્યક્તિઓ પણ …
— ફ્રૅન્ચ ફિલસૂફ સાર્ત્રે એક ચર્ચામાં (૧૯૦૫-૧૯૮૦) – બટર હૉર્સની વાત કરેલી. બટરનો ઘોડો. એમાં, બટર હતું પણ ખાવા માટે ન્હૉતું. કોઈ જડભરત એને તવા પર મૂકે તો નરી સર્જકતાથી બનાવેલો એ ઘોડો મરી જાય. વળી, એ ઘોડા પર સવારી ન થઈ શકે, ગાડીએ જોડીને ઘોડાગાડી ન બનાવાય. એમાં, એવા સંસારી ઉપયોગનું પ્રયોજન છે જ નહીં.
— સ્પૅનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલિના (૧૯૦૪-૧૯૮૯) જગવિખ્યાત પેઇન્ટિન્ગનું શીર્ષક છે, ‘ધ પર્સિસ્ટન્સ ઑફ મૅમરિ’ – ‘સ્મૃતિનું દૃઢ સાતત્ય’.
એ ચિત્ર સર્રીયલ આર્ટનો ઉત્તમ નમૂનો મનાય છે. ડાલિ પણ સર્રીયાલિઝમના મહાન ઉદ્ગાતા કહેવાયા છે. જાતીય વાસના અને અસમ્પ્રજ્ઞાત મનના, અન્કૉન્સિયસના, આવિષ્કારો એમની સૃષ્ટિમાં કલારૂપે પ્રગટ્યા છે. ડાલિ કહેતા કે હું મદીરા-પાન નથી કરતો, પણ હું પોતે જ મદીરા છું, મારી કલાકૃતિઓ જોઈને લોકોનાં દિમાગ ખૂલી જાય છે, કેમ કે એમાં અસમ્પ્રજ્ઞાતને જાગ્રત કરવાની તાકાત છે.
એ ચિત્રમાં કેટલાંક પૉકેટ વૉચીસ છે – ખિસ્સામાં રાખવાનાં ઘડિયાળ. પણ એ પોચાં છે, પલળેલાં છે, ભીનાં છે, અને કલાકાર ડાલિએ એને ઝાડની ડાળ પર સૂક્વ્યાં છે. એ સંયોજન વિલક્ષણ તો છે જ પણ અ-પૂર્વ છે. સમય અને સ્થળને અમુક જ રીતે જોવા ટેવાયેલી આપણી આંખોને એથી એક નવ્ય અપરિચિત દૃશ્ય નિહાળવા મળે છે.
કલા પરિચિતથી અ-પરિચિત સૃષ્ટિમાં લઈ જાય છે એનું આ ચિત્ર ચોખ્ખું નિદર્શન છે. કેમ કે, ઝાડ પર કપડાં સૂકવાય, ઘડિયાળ નહીં. ઘડિયાળ અને ઝાડ પરિચિત પદાર્થો છે. પણ ડાલિનાં એ ઘડિયાળ અને તેનું એ ઝાડ અને તે પરનું એ સૂકવણું અ-ભૂતપૂર્વ છે.
‘ભીનો’ સમય, સમય ‘વહી’ ગયો, પ્રયોગોમાં સમયનું પ્રવાહી રૂપ છે પણ રોજિન્દી ઘટમાળમાં આપણે એને વીસરી ગયા છીએ. ‘ટાઇમ ઇઝ મનિ’ જપ્યા કરીએ છીએ. ચિત્ર આપણી એ જડતા સામે પણ ઇશારો કરે છે.
વિદ્વાનોએ એ ચિત્રમાં સ્થળ-કાળની સાપેક્ષતા જોઈ, તો ડાલિએ કહેલું, ના ના, આ તો, કૅમેમબર્ટ – ગાયના દૂધમાંથી બનાવાયેલી ચીઝની સપાટી – તડકામાં ઑગળી જાય છે એ જાણીતી હકીકતનું મારું સર્રીયાલિસ્ટ દર્શન છે.
મારા મતે, ખરેખર તો ડાલિએ આપણી સ્મૃતિના હઠીલા સાતત્યને, દૃઢ સાતત્યને, પર્સિસ્ટન્સને, સમયના એવા જ સાતત્ય સાથે સરખાવ્યું છે. કોઈની ય તમા રાખ્યા વિના સ્મૃતિ અને સમય વહ્યા જ કરે છે. સ્મૃતિમાં સમય વહે છે કે સમયમાં સ્મૃતિ વહે છે, કહી શકાતું નથી. અને, સ્મૃતિ હમેશાં ભીની હોય છે, મોટે ભાગે આંસુભીની, અને, કદી સૂકાતી નથી, અને, એનાં કશાં ચૉક્કસ ઠેકાણાં પણ હોતાં નથી. એને આપણે ડાલિની જેમ ઝાડ પર કે ઠીક લાગે એ પર સૂકવવા મૂકીએ તો પણ એ કદી ન સૂકાય એવી હઠીલી વસ્તુ છે.
કલાકૃતિ તો એમ પણ પૂછી શકે – તમારી પાસે આવી હઠીલી સ્મૃ્તિ છે ખરી? કે કોરામોરા જ છો?
— સાહિત્યસર્જકોએ અને સમીક્ષકોએ આટલા ફર્ક સમજવા જરૂરી છે
: ૧ : ઉપયોગી અને બિન-ઉપયોગી કલાઓ
: ૨ : પરિચિતથી અપરિચિત
: ૩ : કારીગરી અને કલા
: ૪ : આર્ટિસ્ટ અને આર્ટિસન
: ૫ : સર્જકતા અને જુક્તિઓ
: ૬ : જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત ચિત્ત. એમાં, કલાનો અજાગ્રત ચિત્ત સાથેનો સમ્બન્ધ.
— પણ સવાલ એ છે કે શું સાહિત્યમાં આ હદની નિષ્પ્રયોજનતા શક્ય છે? અથવા કશા જ પ્રયોજન વિના કલા સરજી શકાય? હું કહીશ કે કાવ્ય કરવું એ જ પ્રયોજન. કેમ કે કલાનું પ્રયોજન, કલાનો હેતુ, સમજવાની જરૂર છે. એમાં, હેતુ નથી પણ હેતુ-તા છે. જર્મન ચિન્તક ઇમાન્યુએલ કાન્ટે કહેલું, આ તો હેતુ વગરની હેતુ-તા છે – પર્પઝલેસ પર્પઝિવનેસ.
ગઝલકારે મનમાં રાખવાનું કે મારે ગઝલના પ્રયોજનથી નથી લખવું પણ કલાત્મક કાવ્યના પ્રયોજનથી ગઝલ લખવી છે. ટૂંકીવાર્તાકારે મનમાં રાખવાનું કે મારે ટૂંકીવાર્તા નથી લખવી પણ કલાત્મક કથાના પ્રયોજનથી ટૂંકીવાર્તા લખવી છે.
એ બધી લલિતકલાઓમાં જોવા મળે છે એ હદની નિષ્પ્રયોજનતા સાહિત્યકલામાં શક્ય નહીં બને, કેમ કે ભાષા માત્રનો કે ગુજરાતી ભાષાનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવ્યો હોય છે, એટલું જ નહીં, એ અર્થ સહિયારો હોય છે, તે ભાષાના ભાષકોનો હોય છે, લોકો વડે પ્રયોજનો, ઉપયોગો, હેતુઓ વડે વપરાઇને વપરાઈને ઘસાઈ ગયો હોય છે. એ એવી સામાજિકતાથી ખરડાયેલો હોય છે. સાહિત્યકારે એને સ્વચ્છ કરવાનો હોય છે, તોડીફોડીને નવો કરવાનો હોય છે -જેથી સર્જનના પ્રયોજનને પાર પાડી શકાય.
સર્જકતાને પ્રતાપે, સાહિત્યકલામાં પણ, નવલકથા કે ટૂંકીવાર્તામાં, સ્થાપત્યના અને શિલ્પના ગુણ પ્રગટી શકે. હરેક સાહિત્યકૃતિમાં ચિત્ર અને ચલચિત્રના ગુણ પ્રગટી શકે, સંગીતના ગુણ કાવ્યમાં પ્રગટી શકે.
પ્રયોજન નહીં એ જ પ્રયોજન. કલા સરજવી છે એ જ પ્રયોજન.
= = =
(March 16, ’23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર