‘યુનિસેફ’નું અનુમાન છે કે કોરોના મહામારીને કારણે લોકોની આવક ઘટતાં અને બેરોજગારી વધતાં બાળમજૂરીમાં પણ વૃદ્ધિ થઈ છે. એક સર્વેના તારણ અનુસાર કોરોનાને કારણે શાળાઓ બંધ હોવાથી બાળશ્રમનું પ્રમાણ ૧૦૫ ટકા વધ્યું છે. છોકરીઓમાં ૧૧૩ ટકા અને છોકરાઓમાં ૫૪ ટકા બાળમજૂરી વધી છે. ૨૦૧૨ થી ૨૦૧૬માં દુનિયામાં બાળમજૂરી એક ટકો ઘટી હતી. પરંતુ કોરોનાની આર્થિક પછડાટ પછી બાળમજૂરીમાં મોટો વધારો થઈ રહ્યો છે. ‘ઈન્ટરનેશન લેબર ઓર્ગેનાઈઝેશન’ના મતે વિશ્વમાં આજે પાંચથી ૧૭ વરસના ૧૫૨ કરોડ બાળમજૂરો છે તે સાત વરસ પછી પણ ૧૨૧ કરોડ તો હશે જ. ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. પરંતુ સરકારી આંકડાને નહીં સ્વીકારતા સ્વતંત્ર અભ્યાસો ૪ કરોડ અને શાળા બહાર રહેલાં તમામ બાળકોને બાળમજૂર ગણીને ૧૦ કરોડ બાળકો ભારતમાં બાળમજૂરો તરીકે કામ કરતાં હોવાનો અંદાજ આપે છે.
કાયદા દ્વારા નિર્ધારીત વય કરતાં ઓછી ઉંમરે કામ કરતાં બાળકો એટલે બાળમજૂરો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે કામ કરવાની ઉંમર ૧૮ વરસ અને વિશ્વ કામદાર સંગઠને ૧૫ વરસ ઠરાવી છે. ભારતમાં કાયદા દ્વારા કામ કરવાની ઉંમર ૧૪ વરસ નિર્ધારિત કરી હોઈ, ચૌદ વરસ કરતાં નાની ઉંમરના બાળકોને બાળમજૂર ગણવામાં આવે છે. બાળમજૂરી દેશની શરમજનક વરવી વાસ્તવિકતા છે. શાળાએ જવાની ઉંમરે આ દેશના આવતી કાલના નાગરિકોને પેટનો ખાડો પૂરવા મજૂરી કરવી પડે છે. ખેતરો, કારખાનાં, મિલો, હોટલો, દુકાનો અને ઘરોમાં બાળકો કાળી મજૂરી કરે છે. કચરો અને કાગળો વીણે છે, જાહેર સ્થળોએ બૂટપોલીશ કરે છે, ઢોર ચરાવે છે, તો ભીખ પણ માગે છે. પ્રતિબંધિત ખતરનાક વ્યવસાયો, દારૂખાનાંની ફેકટરીઓ, કાચ અને બંગડી ઉદ્યોગ, ચાના બગીચા, ગાલીચા અને તાળા બનાવવાનું કામ, સાડી પર જરી કામ, ઈંટોના ભઠ્ઠા, પાવરલૂમ્સ, સ્લેટ-પેન, બીડી અને હીરા-ઉદ્યોગ તથા નગરો-મહાનગરોના વેશ્યાગૃહોથી માંડીને ઘરનોકર તરીકે આ દેશનું બચપણ કમરતોડ મજૂરીમાં પીસાઈ-પીડાઈ રહ્યું છે.
ભારતમાં ૧૪ વરસ સુધીની ઉંમરના બાળકોની વસ્તી અમેરિકાની વસ્તી જેટલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ પાંચથી ૧૪ વરસના બાળકો દેશમાં ૨૫.૯૬ કરોડ છે. તેમાંથી ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. પાંચથી ૯ વરસના ૨૫.૩૩ લાખ બાળકો ત્રણથી ૧૨ માસ મજૂરી કરે છે. દેશના પાંચ મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન,મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં દેશના કુલ બાળમજૂરોના ૫૫ ટકા બાળમજૂરો છે. દેશની કુલ શ્રમશક્તિમાં બાળમજૂરોનો હિસ્સો ૩.૬ ટકા અને દેશની જી.એન.પી.માં તેમનો હિસ્સો ૨૦ ટકા છે. દેશના દર દસમાંથી સાત બાળકો મજૂરી કરે છે. તે પૈકી ૮૫ ટકા ખેતી, ખેતમજૂરી અને પશુપાલનમાં, ૯ ટકા ઉત્પાદન-સેવા અને બાંધકામમાં જ્યારે ૦.૮ ટકા કારખાનામાં કામ કરે છે. જો કે આ સરકારી આંકડા બાળમજૂરી નાબૂદી માટે કામ કરતી સંસ્થાઓ – સંગઠનો સ્વીકારતાં અંથી. અને ખરેખર આનાં કરતાં ઘણાં વધારે બાળકો મજૂરી કરતાં હોવાનું જણાવે છે.
ઔદ્યોગિક વિકાસની સાથે જ દુનિયામાં બાળમજૂરીનો ઉદ્દભવ થયાનું મનાય છે. ભારતમાં ગરીબી અને બેકારીને કારણે બાળમજૂરી પ્રવર્તે છે. અંગ્રેજ શાસનકાળમાં રોયલ કમિશને બાળમજૂરી નાબૂદી અંગે સૌ પ્રથમ વિચારણા હાથ ધરી હતી. આઝાદી બાદ ઘડાયેલા ભારતના બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણના અનુચ્છેદ ૨૩ અને ૨૪માં બાળમજૂરી નાબૂદીની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૪માં, ’૧૪ વરસથી નીચેની ઉંમરના બાળકોને કારખાનાં, ખાણો અને ખતરનાક વ્યવસાયમાં મજૂરીએ રાખી શકાશે નહીં’, તેવી સ્પષ્ટ જોગવાઈ છે.
બંધારણના માર્ગદર્શક સિદ્ધાન્તોના અનુચ્છેદ ૩૯(ચ)માં ’બાળકોના સ્વતંત્ર અને ગરિમામય સમાન વિકાસ અને શોષણ નાબૂદી’ની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૫માં બાળકો અને સ્ત્રીઓના અધિકારોની રક્ષા અંગે યોગ્ય કાયદા બનાવવા રાજ્યોને સત્તા અપવામાં આવી છે. તે મુજબ આઝાદી પૂર્વે અને પછી, ૧૯૮૬ના બાળમજૂરી નાબૂદીના કેન્દ્રીય કાયદા સાથે, ૧૨ જેટલા કાયદાઓ દ્વારા, બાળકલ્યાણ માટેની અને બાળમજૂરી પર પ્રતિબંધ મૂકતી કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ ૨૦૧૬માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે પારોઠનું પગલું ભરતાં ‘બાળશ્રમ નિષેધ અને નિયમન સંશોધન વિધેયક’ પસાર કર્યું હતું. આ કાયદાથી દેશમાં પ્રવર્તતી ઘણીખરી બાળમજૂરીને કાયદેસર કરવામાં આવી હતી. વિધેયકનો ઉદ્દેશ તો ૧૪ વરસ સુધીના બાળકોને કુટુંબના વ્યવસાયમાં અને ફિલ્મ_ટેલિવિઝન કાર્યક્રમોમાં કામ કરવાની છૂટ આપવાનો જણાવાયો હતો. પણ વાસ્તવમાં તે બાળમજૂરીના નિક્રુષ્ટતમ રૂપોને અને સરવાળે બાળમજૂરીને કાયદેસર બનાવતું હતું.
૧૯૮૬ના બાળમજૂરી નિષેધ કાયદામાં બાળકોના આરોગ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક ગણાતા જે ૮૩ વ્યવસાયો હતા તે ૨૦૧૬ના કાયદામાં ઘટાડીને ૩ જ કરી દેવાયા હતા. તેને કારણે પણ આ કાયદાનો ભારે વિરોધ થયો હતો. એટલે સરકારને કેટલીક જોગવાઈઓ નિયમો ઘડતી વખતે પડતી મૂકવી પડી હતી. આ કાયદો પારિવારીક ધંધા રોજગારમાં બાળકોને કામ કરવાની મંજૂરી આપે છે. બાળકોનો મોટો વર્ગ ખેતીના પારિવારીક કામમાં રોકાયેલો રહે છે. શાળા સમય સિવાય બાળકોને ત્રણ કલાક કામ કરવાની છૂટ આપતો આ કાયદો બાળકોના શિક્ષણ પર ભારે અસર કરે છે. વળી આ કાયદો દલિતોનાં બાળકો તેમના જાતિગત વ્યવસાયોમાં જોતરાયેલા રહે તેને પણ જાણે કે મંજૂર રાખે છે. પરિવાર દ્વારા કરાવાતી મજૂરીમાં બાળકોની સામેલગીરી અને શાળા સમય બાદની બાળમજૂરીને આ કાયદો યોગ્ય ઠેરવે છે.
બાળમજૂરીના નામે બાળકોનું કેવું નઘરોળ શોષણ થાય છે તે સર્વવિદિત છે. બાળકો પાસે દસથી બાર કલાક વૈતરું કરાવવામાં આવે છે. તેમને એક જ ઓરડામાં સમૂહમાં રાખવામાં આવે છે. પૂરતું ખાવાનું મળતું નથી, નશીલી ચીજોના સેવનની આદતો પડાય છે. રોટલાના ટુકડા માટે જીવતાં આ બાળકોની હાલત અંગે જસ્ટિસ પી.એન ભગવતીએ તેમના એક ચુકાદામાં જણાવ્યું હતું તેમ, બાળમજૂરો અમાનવીય સ્થિતિમાં જીવે છે, આપણી સભ્યતાથી બહિષ્કૃત છે. જાનવરોથી બદતર જિંદગી જીવતાં આ બાળકો બંધનોમાં જકડાયેલાં છે અને તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે.
કુટુંબની ઉંમરલાયક વ્યક્તિને મજૂરી ન મળતાં કે અપૂરતી મળતાં તેઓને બાળકોને મજૂરી કરાવવી પડે છે. એટલે જો બાળમજૂરી નાબૂદ કરવી હશે તો એકલા જાગૃતિ કાર્યક્રમોથી નહીં ચાલે. બાળમજૂરોના જે ૨૦ કરોડ માબાપોને માત્ર પેટ ભરવા પૂરતી મજૂરી જ નહીં જીવનયોગ્ય મજૂરી મળવી આવશ્યક છે. ગરીબી અને બેરોજગારી ઘટે તે દિશામાં પૂરતા વેતનવાળી રોજગારીના સર્જનના પ્રયત્નો કરવા પડશે.
બાળમજૂરીની સમસ્યાનો એક ઉકેલ શિક્ષણ છે. જે બાળક શાળામાં નથી, તે મજૂરી કરે છે તે સાદું સત્ય છે. પણ બાળકને મજૂરીએથી શાળાએ લાવવું હશે તો તેના માટે રોજગારી આપતા ગુણવત્તાયુક્ત વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રબંધ કરવો પડશે. બાળકોની કમાણીથી ઘર-કુટુંબની આવકપૂર્તિ થતી હોય ત્યારે બાળકને શિક્ષણ સાથે થોડી આર્થિક રાહત આપવી જોઈએ. આ બધાનો ઉકેલ બાળકને પારિવારીક વ્યવસાયમાં ધકેલવાનો નથી. પ્રાથમિક શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે, પણ બાળમજૂરી કે શિક્ષણના અધિકાર માટેની ૧૪ વરસની ઉંમર યોગ્ય નથી. જો મતદાનની ઉંમર ૧૮ વરસની હોય તો કમાવાની ઉમર ૧૪ વરસની કેમ ?
જે દેશમાં બાળગોપાલની ભક્તિભાવે પૂજા થતી હોય, દરવરસે રામ અને કૃષ્ણના જન્મોત્સવો ધૂમધામથી મનાવાતા હોય, તે દેશમાં બાળકો ખેલવા-કૂદવાની કે ભણવા-ભમવાની ઉંમરે મજૂરી કરે તે સ્થિતિ બંધ થવી જોઈએ. દેશની ઉજળી આવતીકાલ માટે વસુંધરાના આ વહાલાંદવલાંને ખોળે લેવાની અને મૂરઝાતાં ફૂલોને નવપલ્લવિત કરવાની જરૂરિયાત છે. જ્યારે દેશમાં પ્રતિવરસ ૨.૨ ટકાના દરે જ બાળમજૂરી ઘટતી હોય અને કોરોનાકાળમાં વધી હોય ત્યારે વર્તમાન બાળમજૂરીને ખતમ થતાં એકાદ સદી નીકળી જવાની શક્યતા છે. સરકારે પણ બાળમજૂરીને કાયદેસર કરવાના કીમિયો અજમાવવાને બદલે રોજગાર સર્જન અને સર્વને માટે શિક્ષણની રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે.
e.mail : maheriyachandu@gmail.com