મનુષ્ય જન્મે છે ને મરે છે, પણ જન્મ અને મરણ તેના હાથમાં નથી એ પણ વિધિની વક્રતા જ છે ને ! પણ, કરુણાંતિકાઓ મનુષ્યને હાથે સર્જાય ત્યારે થતાં મૃત્યુ માટે કુદરતને દોષ દઈ શકાય નહીં. તંત્રો મનુષ્ય દ્વારા ચાલે છે એટલે ઘણીવાર તંત્રોની બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. ગુજરાતમાં હોસ્પિટલોમાં આગ લાગવાને કારણે દરદીઓ ગુજરી જવાના અકસ્માતો કોરોના કાળમાં સર્જાયા જ છે ત્યારે પીડા બમણી થઈને રહી ગઈ છે. અકસ્માત વારંવાર થાય ત્યારે તંત્રોની જવાબદારી બનવી જોઈએ, પણ એવું ખાસ થતું નથી. હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો એકથી વધુ વખત બન્યા તે પરથી બીજા બનાવો નહીં જ બને તેની ખાતરી નથી. બુધવારે નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ખૂટવાને કારણે 11 મહિલાઓ સહિત 22 કોરોના દરદીઓએ જીવ ખોયા. વડા પ્રધાને અને ગૃહ મંત્રીએ વિધિવત અંજલિઓ આપીને અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ મૃતકોને પાંચ પાંચ લાખની સહાય જાહેર કરીને ફરજ બજાવી લીધી છે. એવી જ ઘટના બનાસકાંઠામાં પણ ઘટી છે જેમાં અચાનક ઓક્સિજન પુરવઠો ખૂટી જતાં 8 લોકો મૃત્યુ પામ્યાં છે.
ઓક્સિજનનો પૂરતો જથ્થો હોવા છતાં હોસ્પિટલોમાં તેની અછત વર્તાય ને બીજી તરફ ઓક્સિજન પ્લાન્ટ નાખવાની ને બીજેથી ઓક્સિજન મેળવવાની વાતો ચાલે ત્યારે એમ લાગે કે સરકારો બધે જ મોડી પડી રહી છે. મોડી એ રીતે કે જરૂર હોય ત્યારે સરકાર પડખે ઊભી રહી શકતી નથી. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો એ માનસિકતાનો કેન્દ્ર અને રાજ્ય સરકાર શિકાર છે. સરકાર કૈં કરતી નથી, એવું નથી. તે છાશવારે મિટીંગો ભરે છે, જ્યાં અસર વધારે હોય ત્યાં આંટાફેરા પણ કરે છે, પણ દૂરનું વિચારીને નિર્ણય લેવો અને જરૂર હોય ત્યારે પૂરતી વ્યવસ્થા કરવી એવું કોરોના દરમિયાન ઓછું જ બન્યું છે. કોરોના માર્ચ, 2020થી લાગુ પડ્યો ત્યારથી અત્યાર સુધીમાં સંભવિત પગલાંઓ અંગે વિચારવાનો તંત્રોને પૂરતો સમય હતો, પણ પરિણામો આટલાં ઘાતક હશે એનો અંદાજ લગાવવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. એ બને કે બધી વાતનો અંદાજ ન લગાવી શકાય, પણ આખા દેશની જે ગતિ હતી તે જોતાં 2021 માટે પરિણામોની કલ્પના કરવાનું મુશ્કેલ ન હતું.
ફેબ્રુઆરી, 2021 સુધીમાં એકંદરે કોરોનાનું સંક્રમણ કાબૂમાં હતું. દિવાળી વખતે ગુજરાતમાં ભીડભાડ ખૂબ થઈ અને તેને કારણે સંક્રમણ વધ્યું એ ખરું ને એ લોકોની મૂર્ખાઈનું જ પરિણામ હતું, પણ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ, ક્રિકેટે, સભા-સરઘસોએ, લગ્નોમાં એકઠી થયેલી ભીડે દાટ વાળ્યો ને હવે તો રાજ્યોની ચૂંટણીએ ને ક્યાંક નેતાઓએ લગ્ન, વર્ષગાંઠની બોલાવેલી ભીડે કોરોનાને છૂટો દોર આપી દીધો છે. આ બધાંનો સરકારોને ખ્યાલ ન હતો એવું માની ન શકાય. આ બધાંથી શું પરિણામ આવી શકે ને તે સંદર્ભે કેવાં પગલાં લઈ શકાય તેનો દાખલો કોઈએ ગણ્યો જ નહીં, પરિણામે પ્રજાએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
2020માં મહિનાઓ સુધી દેશ લોકડાઉન હેઠળ રહ્યો, ત્યારે ઘણાં રાજ્યોમાં કે કોરોનાનો પ્રવેશ પણ ન હતો. આજે જ્યારે રોજના ત્રણેક લાખ નવા કેસો ઉમેરાય છે અને હજારોનાં મૃત્યુ થાય છે ત્યારે વડા પ્રધાન લોકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે જુએ છે. માર્ચ, 2020માં લોકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે જોવાયું હોત તો જે રીતે મહિનાઓથી અર્થતંત્ર દાવ પર લાગ્યું, તે ન બન્યું હોત. અત્યારે જેમ જોઈતપાસીને લોકડાઉન કે રાત્રિ કરફ્યુ લાગુ થાય છે તેવું ત્યારે થયું હોત તો એક સાથે ધંધારોજગાર ધંધે ન લાગ્યા હોત.
જો કે, એ વાતે સરકારની પીઠ થાબડવી પડે કે તેણે રસી પર ધ્યાન આપ્યું અને વિશ્વ આખામાં રસીકરણને મામલે તે મોખરે રહી. રસીના લાખો ડોઝ વિશ્વને પહોંચાડીને તેણે અન્ય દેશોને મદદ પણ કરી. એમાં થોડી ઉતાવળ પણ થઈ. સંબંધો સાચવવા કેટલીક રસી તેણે વિદેશ મોકલવી પડે એ સમજી શકાય, પણ એટલી રસી કેવી રીતે મોકલાય કે રશિયાથી રસી આયાત કરવી પડે? આજે એ હાલત છે કે પૂનાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ રો-મટિરિયલને અભાવે જોઈતી સંખ્યામાં રસી બનાવી શકતી નથી ને બીજી બાજુ રસીકરણની સતત હિમાયત થતી રહે છે.
રસીની આગળ જતાં તંગી ઊભી થાય તો નવાઈ નહીં ! એક તરફ 45+ સુધી આવતામાં રસી ખૂટવાની બૂમ પડી છે ત્યાં પહેલી મે થી 18+ને પણ રસીકરણ શરૂ થવાનું છે, ત્યારે રસી પૂરતી સંખ્યામાં મળી રહે તેમ ઇચ્છીએ. 18+ ગ્રૂપ ઉમેરાય ત્યારે એવું નથી કે 45 કે 60+નું રસીકરણ પૂરું થઈ ગયું છે. બને કે એ વર્ગ પણ ત્યારે વધુ સક્રિય થાય. મુશ્કેલી શું છે કે જાહેરાતો થઈ જાય છે ત્યારે વ્યવસ્થા પૂરતી હોતી નથી. એને કારણે લોકોની દોડધામ વધી પડે છે. એમાં પણ રમતો શરૂ થઈ છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટે રસીના ભાવ બહાર પાડ્યા છે. તે કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં, રાજ્ય સરકારને 400માં અને ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં રસી ઉપલબ્ધ કરાવશે.
રસી એક જ, વેચનાર કંપની એક જ, પણ ભાવ ત્રણ. કેન્દ્ર સરકાર ખરીદે તો 150, રાજ્ય સરકાર ખરીદે તો 400 અને ખાનગી હોસ્પિટલ લે તો 600. વારુ, રાજ્ય સરકારે પણ જુદે જુદે તબક્કે રસીને મુદ્દે ભાવમાં વધઘટ કરી જ છે. એક તરફ સરકાર અત્યાર સુધી લોકોને મફત રસી આપતી રહી છે તે ભાવ વધતા મફત મૂકવાનું બંધ કરે એમ બને. રસીનો ઉત્સવ કરનારી સરકાર પૈસા ઉઘરાવતી થશે તો લોકો પણ રસી મૂકાવતાં વિચારશે. રસી જો અનિવાર્ય જ હોય તો પૈસા ન આપી શકનાર વર્ગ આગળ નહીં આવતા 100 ટકા રસીકરણનો હેતુ માર્યો જાય એમ બને. સરકારની ઘણી વાતો અનિશ્ચિત અને અધકચરી હોય છે. એક વાર મફત રસીકરણની વાત હોય તે આગળ જતાં પૈસા લેવાની વાત સુધી આવે તો લોકોનો સરકારમાંનો વિશ્વાસ ઘટે છે. એ જે હોય તે, પણ સિરમ કંપનીના જુદા જુદા ભાવને કેન્દ્ર સરકારે મંજૂરી ન જ આપવી જોઈએ.
બીજી તરફ રેમડેસિવિર ડેમ, ડિસિવર પુરવાર થયાં છે. સરકાર એક બાજુ પૂરતો જથ્થો હોવાનું રટણ કર્યાં કરે છે, તો બીજી તરફ લોકોના ધક્કા ઘટતાં નથી. ડોક્ટરો પણ સરકારની દખલથી ત્રાસે છે ને દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર નવો જ ફણગો ફોડે છે કે રેમડિસિવર લાઈફ સેવિંગ ડ્રગ નથી. તો, રેમડિસિવરની અનિવાર્યતા ઊભી કરી કોણે? એ શોખ લોકોને તો થયો નથી. એટલે કોઈ બાબતની કશી ચોકસાઈ વગર જ બધું ચાલે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી માંડીને એક વર્ગ એવો છે જે સતત લોકોને ડરેલાં રાખવાનો જ ધંધો કરે છે. બ્રાઝિલ, યુકે, આફ્રિકન સ્ટ્રેન પછી ડબલ અને ટ્રિપલ વેરિયન્ટના નામે, ડબલ માસ્ક કે સર્જિકલ માસ્ક, ઇન્સેંટિવ સ્પાયરો મીટર, વેક્સિન ડ્રાઈવ વગેરે નામે જેટલાં મોઢાં એટલી વાતો છે, એમાં કેટલીક કામની પણ છે, પણ મોટે ભાગે તો લોકો ગભરાયેલાં રહે એને માટે જ મહેનત થાય છે.
આખો દેશ અનિશ્ચિતતા અને અરાજકતાથી પીડાય છે. સરકાર કહે છે કે ઈન્જેકશન્સ છે, તો મળતાં કેમ નથી? સરકાર કહે છે કે ઓક્સિજન છે, તો લોકો ઓક્સિજન વગર મરે છે કેમ? સાધારણ માણસને થતી ચિંતા સરકારને નહીં હોય, શું? ગુજરાત સરકાર લોકડાઉનને મુદ્દે ગલ્લાંતલ્લાં કરે છે. નાયબ મુખ્ય મંત્રી કહે છે કે લોકડાઉન વૈજ્ઞાનિક નથી. તો, અગાઉ મહિનાઓ સુધી લોકડાઉન થયું તે વૈજ્ઞાનિક હતું? લોકડાઉન લાગુ કરવું ન કરવું સરકારની મુનસફી પર છે, પણ તે ટાઢા પહોરની હાંકે તે બરાબર નથી. એક્સપાયરીવાળાં ઈન્જેકશન્સનાં કાળાબજાર થાય છે, લોકોની જિંદગી સાથે રમત થાય છે, એ કેમ તંત્રો સુધી નથી પહોંચતું? કાળાબજાર કરનારા નથી જાણતા કે લોકો મરી રહ્યાં છે ને અંતિમવિધિના પણ પ્રશ્નો થઈ પડ્યા છે? માણસાઈ એટલો મોટો ગુનો છે કે તે દાખવી જ ના શકાય?
કોરોનાની સારવાર લેતા દરદીને સારો ખોરાક અને ઇમ્યુનિટી વધે એવી અનુકૂળતા કરી આપવી પડે. તેને નાળિયેર પાણી આપવાની સલાહ અપાય ને નાળિયેર સો રૂપિયે વેચાતાં થઈ જાય, દરદીને લીંબુ કે સંતરાનો રસ આપવાનું કહેવાય ને તે 170/130ને ભાવે વેચાવા લાગે, તેને શું કહીશું? આ માણસાઈ છે? માનવધર્મ છે? મંદિરો બંધ હોય તો પણ માથું ટેકવી આવતાં લોકો માંદાને લૂંટીને કયો ધર્મ બજાવે છે? એ પણ છે કે 100 રૂપિયે નાળિયેર વેચનારને હોસ્પિટલો કે દવાવાળા પણ લૂંટે જ છે ને ! આપણને કોરોનાની એટલી બીક પેઠી છે કે બજાર ગુપચુપ મોંઘું થતું જાય છે ને તેની ખબર ખરીદવા જઈએ ત્યારે પડે છે. ચૂંટણીઓ પતે એટલી જ વાર છે કે વ્યાજદરો ઘટવાના છે ને ચીજવસ્તુઓના ભાવ વધવાના છે.
સરકારમાં જીવદયા સિવાય બધું જ છે. બાકી, તે નથી જાણતી કે દરદી માટે બ્લેકમાં દવા મેળવતાં કે લીંબુ, નાળિયેર મેળવતાં સંબંધીઓ લૂંટાઈ લૂંટાઈને ખોખલા, કંગાળ થઈ રહ્યાં છે? પૈસેટકેથી કુટુંબો ખુવાર થઈ ગયાં છે, ધંધા રોજગારના ઠેકાણાં નથી અને સારવાર કરાવવા કરતાં મરવું વધારે સસ્તું થઈ ગયું છે, એવી હાલતમાં લોકોની આંખો લૂંછનાર કોઈ નથી એ કેવી વિડંબના છે? જિંદગીથી વધારે કૈં જ મૂલ્યવાન નથી, પણ જિંદગી જો મૃત્યુ જ હોય તો કોણ ઈચ્છા કરશે એની?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઍપ્રિલ 2021