Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9379698
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીકરી મારી લાડકવાયી v/s છોને જાઉં પારકા ઘરમાં, વડલાની છાંય નહીં ભૂલું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|18 January 2020

હૈયાને દરબાર

છોને જાઉં પારકા ઘરમાં
વડલાની છાંય નહીં ભૂલું
તમે પપ્પા મને આપ્યું’તું
એ વહાલ કદી નહીં ભૂલું
તમને જોઈને ખભે ચડી જાઉં છું દોડીને
ઊતરી જાતો થાક દીકરીને રમાડીને
મને પા પા પગલી શિખવી એ હાથ કદી નહીં ભૂલું
મને ઉછેરવા પપ્પા તમે બાકી કશું ન રાખ્યું
ના મારે માગવું પડતું તમે લાવી બધું ય આપ્યું
છલકતા એ દરિયાનો આભાર કદી નહીં ભૂલું
તમે દુ:ખો છૂપાવ્યાં મારી સામે સદા ય હસતાં
મને વળાવતાં તમને જોયા મેં આજે રડતાં
‘સુખી થાજે દીકરી’ના આશીર્વાદ કદી નહીં ભૂલું

•   કવિ : મુકેશ માલવણકર   •   ગીત-સંગીત: મનહર ઉધાસ

* * *

———————-

કંકુ છાંટી કંકોતરી મોકલો,
એમાં લખજો લાડકડીનું નામ,
માણેક સ્તંભ રોપિયાં …!!

તમે સાચું જ સમજયાં. જી હા, લગનગાળો ફરી શરૂ થઈ ગયો છે ને દીકરીને ઘરે તૈયારીઓ પૂરબહારમાં ચાલી રહી છે. દીકરીની માને ઘડીની ફુરસદ નથી. ઉત્તરાયણ પછી તરત જ લગનગાળો શરૂ થઈ જાય. લગ્નપ્રસંગની ખરી શરૂઆત કારતક મહિનો બેસે ત્યારે થાય, વચ્ચે પાછાં કમૂરતા આવે એટલે એ પછી ઉત્તરાણ બાદ ફરીથી દોર શરૂ થાય.

બે મહિના પહેલાં મોબાઈલ ફોનના ઈનબોક્સમાં એક કંકોત્રી આવીને પડી હતી. હવે તો વોટ્સ એપ કંકોત્રીનો જમાનો છે એટલે નવાઈ ન લાગી. વિવાહ કોના હતા ખબર છે? તુલસી અને શાલિગ્રામનાં. આ તુલસી વિવાહનું મુંબઈ જેવા મહાનગરમાં ખૂબ મોટા પાયે, રંગે ચંગે આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણીને આનંદ આશ્ચર્ય થયું હતું. આજના આધુનિક જમાનામાં, મુંબઈ જેવા શહેરમાં આવા પારંપારિક વિવાહનું આયોજન કરવાનો વિચાર કોઈને આવે એની નવાઈ લાગે, પરંતુ અંધેરી નાગર મંડળની બહેનો તરફથી આ નિમંત્રણ હોવાથી એના મુખ્ય સભ્ય અર્ચિતા મહેતાને ફોન જોડ્યો તો એમણે બહુ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે "લગનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ માટલી, મંડપ મુહૂર્ત, મહેંદી આ બધાં પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. કંકોત્રી ડિજિટલ છે, છતાં પહેલી કંકોત્રી ગણેશજી અને માતાજીને ધરાવવા માટેની છાપી છે. લગન જેટલો જ ખર્ચ કરીને કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ ભૂલાયેલી પરંપરા, ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો છે. ભારતીય સંસ્કૃતિ ઉમંગ ઉલ્લાસની છે અને દરેક પ્રસંગ પાછળ કોઈક શુભ ભાવના રહેલી છે. તુલસી વિવાહનું મહત્ત્વ એ છે કે "દિવાળી પછીની કારતક સુદ અગિયારસે સૌ પ્રથમ તુલસી વિવાહ ઉજવાયા પછી જ લગનગાળો શરૂ થાય. આ બધું આજની પેઢીને ક્યાં ખબર છે? તેથી આ ભવ્ય સમારંભનું આયોજન અંધેરી નાગર મંડળની મહારાણીઓ ભેગાં થઈને કર્યું છે. ઈન્ટરેસ્ટિંગ હતી આખી વાત. તુલસી વિવાહ પછી લગ્નો શરૂ થઈ જાય.

લગનગાળા દરમ્યાન દીકરી અને કન્યાવિદાય વિશે વાત પ્રસ્તુત બની રહે. તેથી જ કેટલાંક ઉત્તમ દીકરીકાવ્યો વિશે વાત કરવી છે.

આંગણામાં રહેલો તુલસીનો ક્યારો એટલે દીકરી તે આપણે સૌ જાણીએ જ છીએ. પિતાના ઘરમાં અતિ લાડકોડ અને પ્રેમથી ઉછરેલી દીકરીને એક દિવસ પોતાના ક્યારા માટે નવું સ્થાન શોધવું જ પડે છે. દીકરીરૂપી તુલસીના ક્યારાને એક દિવસ આખી ને આખી મૂળ માટી સાથે બીજાના ઘરના કુટુંબના ક્યારામાં રોપવાનો અવસર આવે છે, માંડવો બંધાય છે. ઢોલ શરણાઈ વાગે છે, ગણેશ પૂજા થાય છે, પરિવારની સ્ત્રીઓ અતિ ઉત્સાહિતપૂર્વક પીઠી લગાવે છે, મંગળફેરા ફરાય છે, વિદાયની વસમી વેળા આવી ચડે છે અને દીકરીને એક એવી વ્યક્તિના હાથમાં સોંપી દેવી પડે છે કે જેને આપણે બે-ચાર વખતની મુલાકાતમાં જ મળ્યા હોઈએ છીએ.

પરંતુ, આ બધામાં એક પિતાની મનોસ્થિતિ કેવી હોય? મા તો આંસુ સારીને વેદના વ્યક્ત કરે પણ પિતા તો બધા જ દુ:ખ મનમાં રાખીને હોંશે હોંશે દીકરીના લગ્નની તૈયારી કરતા હોય છે. પિતા મનની બધી જ વેદનાં હૈયે રાખીને બેઠાં હોય છે. ઘરના મોભી તરીકે પિતા જ અસ્વસ્થ બની જાય તો દીકરીનો પ્રસંગ કઈ રીતે ઉકેલી શકે? આવી લાડકી દીકરી અને દીકરીના વિદાય માટે કેટલાંક સુંદર અને લોકપ્રિય ગીતો રચાયાં છે. મુકેશ માલવણકરે લખેલું અને મનહર ઉધાસે ગાયેલું આ ગીત લોકપ્રિયતાની ટોચે છે.

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી તારા વહાલનો દરિયો
જીવનભર છલકાય
પામતા જીવન માતપિતાનું
ધન્ય થઈ જાય
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હાજર …!

અત્યાર સુધી કન્યાવિદાયનાં ગીતોમાં મા-બાપની વ્યથા જ ઝિલાઈ છે, પરંતુ તાજેતરમાં મુકેશ માલવણકરે જ પોતાના ગીત દીકરી મારી લાડકવાયી સામે દીકરીની લાગણી વ્યક્ત કરતું ખૂબ સરસ ગીત, છોને જાઉં પારકા ઘરમાં, વડલાની છાંય નહીં ભૂલું … લખ્યું જે લોકપ્રિય ગાયક મનહર ઉધાસે તેમનાં લેટેસ્ટ આલબમ ‘અફલાતૂન’માં સમાવ્યું છે. એ વિશે મનહરભાઇ કહે છે, "આ ખરેખર અફલાતૂન ગીત છે. મને લાગે છે કે દીકરી મારી લાડકવાયી કરતાં પણ એ વધુ લોકપ્રિય થશે. કન્યાવિદાયે દીકરીની કથા-વ્યથા આલેખતું આ ગીત એક નવો એંગલ લઈને આવ્યું છે.

સાંઈ કવિ મકરન્દ દવેએ ગીત લખ્યું છે, જેની પંક્તિઓ છે.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
કસબી હાથેથી એણે કરી શી કમાલ!
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યું ભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ …!

જનનીની જોડ જગે નહીં જડે રે લોલ … ગીતના ઢાળ પરથી એવું જ ગીત મકરન્દ દવેએ લખ્યું;

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ
લાડલી આ લાવી ઘેરઘેર રે … અદકાં અજવાળાં
બાપુની ઢાલ બને દીકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ …!

એક સમયે દીકરી સાપનો ભારો ગણાતી હતી, પરંતુ આજની દીકરીઓ તો મા-બાપની ઢાલ બનીને ઊભી રહે છે એટલે જ કવિએ લખ્યું છે કે દીકરી તો તેજની કટાર છે.

કવિ સંદીપ ભાટિયાએ દીકરીને ઈશ્વરની આમંત્રણ પત્રિકા કહી છે. તેઓ લખે છે ;

"દીકરી એટલે ભડભાંખળું. દીકરી એટલે પરી લોકમાં પુન:ટ્વિટ માટેની તમારા નામે આવેલી ઈશ્વરની આમંત્રણ પત્રિકા દીકરી એટલે ધગધગતા ઉનાળે ઝંખવાતી આંખોને રાધા પાણીની છાલક દીકરી એટલે પતંગિયાની ઉડાન ઉડાન દીકરી એટલે ખિસકોલીનું ચક ચીં ચક ચક ચીં, દીકરી એટલે દીકરી એટલે દીકરી. કાનુડાને બાંધવા દર વખતે રસી ટૂંકી પડે એમ દીકરી પણ વ્યાખ્યામાં બંધાય નહીં ખેતી જૂની સાવ હાથવેંતમાં લાગે છે ખૂબ દૂર હોવાનો અહેસાસ મને છાને ખૂણે સતત કરાવ્યા કરે ખોળામાં બેઠી હોય ત્યારે એના ટહુકાની પાછળ પ્રવાસી પંખીની પાંખોનો ધ્વનિ સંભળાયા કરે તો જોજનો દૂર હોય અને એને યાદ કરવા માત્રથી મનમાં સુગંધ પ્રસરી જાય એવી એ જાદુઈ જડીબુટ્ટી સર કરતી વહી જતી રમતી રંગબેરંગી માછલીઓની જેમ સરવરજલની સ્વચ્છતા અને નિર્મળતાનું પ્રમાણ છે એમ મુક્ત અને પ્રસન્ન દીકરી ઘર અને સમાજ નીરોગી હોવાની સાબિતી છે.

આવી નાચતી, કૂદતી, ઘરમાં ફરી વળતી પતંગિયા જેવી પુત્રીનું લગ્ન થઈ જાય પછી શું થાય એ વાત કવિ જયન્ત પાઠકે આ રીતે કરી છે ;

આખરે ઉજાગરાનો અંત આવ્યો
લગન ઊકલી ગયાં
મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન: મારી દીકરી ક્યાં?

કન્યાવિદાય એ કરુણમંગલ પ્રસંગ છે. કન્યાવિદાયના એક અદભુત ગીતની વાત આવતા અંકે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમચાર”, 16 જાન્યુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=619219

Loading

18 January 2020 નંદિની ત્રિવેદી
← સરકારને એમ પૂછવું પડે કે આવું શાને થાય છે, વિદ્યાર્થીઓને માર મારીને ગુંડા નીકળી જાય છે
બિપિન રાવત પહેલાં કોઈ પણ લશ્કરી અધિકારીએ શું આટલા રાજકીય નિવેદનો કર્યા છે ? →

Search by

Opinion

  • PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક
  • સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે
  • ચલ મન મુંબઈ નગરી—297
  • ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 
  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

Poetry

  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved