Opinion Magazine
Number of visits: 9845215
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સીધા વિરોધમાં ન હોય ત્યારે પણ ‘સત્તા’ને સોરવાય શાન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 September 2024

લોકતંત્ર

વિધિવેત્તા કરતાં વધુ ન્યાયજોદ્ધા

વિધાનસભા વિસર્જનની માંગ સબબ એમણે કહ્યું કે કાનૂન સાર્વભૌમે (સરકારે) રાજકીય સાર્વભૌમ (મતદારો) સમક્ષ જવાની આ વાત, બિલકુલ એટલે બિલકુલ બંધારણસંમત છે.

પ્રકાશ ન. શાહ

તેઓ આપણી વચ્ચે હોત તો આજથી ત્રીજે દિવસે સોળમી સપ્ટેમ્બરે ખાસાં ચોરાણુ વરસના થયા હોત. વિધિવેત્તા અને એથીયે અધિકર તો ખરું જોતાં ન્યાયલડવૈયા એ.જી. નૂરાનીએ સો પૂરાં કર્યાં કે ન કર્યાં, ઇનિંગ્ઝની તો ખરેખરની ખરાખરીની ને પૂરેપૂરી ખેલીને ગયા.

ઊંચી પાયરીના અચ્છા ધારાશાસ્ત્રી એ અલબત્ત હતા. 1958માં દેશના સત્તા-પ્રતિષ્ઠામાં તેમ જ વ્યાપક લોકલાગણીની રીતે અણગમતા થઈ પડીને પણ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબદુલ્લાનો કેસ એ લડ્યા તેમાં એમનું શહર નિઃશંક ઝળક્યું હતું … એમનો અભ્યાસ, ઉત્સ્ફૂર્ત બૌદ્ધિક ક્ષમતા, નૈતિક સાહસ, એને વિશે તો શું કહેવું. ભગતસિંહના કેસ વિશે કે સાવરકર વિશે અગર આર.એસ.એસ. અંગે એમની કામગીરી સંશોધનના ઉત્તમ નિદર્શન શી હતી.

લઘુમતીની દાઝ જાણનારા એ સ્વાભાવિક જ હતા. પણ તે માટે એમનું ‘મુસ્લિમ’ હોવું જરૂરી નહોતું. દસ-અગિયાર વરસ પર એ પાકિસ્તાન ગયા ત્યારે જાહેર વાર્તાલાપમાં એમણે પાકિસ્તાની એલિટને ગમતા કેટલાક મુદ્દા કર્યા હશે, પણ કોઈક મુદ્દે એમણે શ્રોતાઓની લાગણીથી નિરપેક્ષપણે પણ કહેવા જેવું કહ્યું ત્યારે એમની સામે એવો ગણગણાટ ઊઠ્યો હતો કે તમે તો ‘ઇન્ડિયન’ની જેમ બોલો છો. એમણે કહ્યું કે જે કસોટીએ મેં તમને કહેલું કશુંક ગમ્યું તે જ કસોટીએ હું ‘ઇન્ડિયન’ પણ કેમ ન હોઈ શકું.

અબ્દુલ ગફૂર નૂરાની

એ.જી. નૂરાનીને જોવા મળવાનું તો એક જ વાર થયું છે. 2002ના ગુજરાતના ઘટનાક્રમને અંગે મનેસરમાં પ્રેસ ઇન્સ્ટિટ્યૂટે ચર્ચામિલન યોજ્યું હતું. બોંત્તેરના હશે, પણ ટી.વી. જર્નાલિઝમ સાથે જે તરુણ પત્રકારી નેતૃત્વ બહાર આવ્યું એ જે સજ્જતાથી વાત કરતું હશે એના કરતાં કેટલીક વાર વધારે શાર્પ એ વરતાતા. એમનો ઉછેર ટેકનોસાવી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તરેહનો નહીં પણ ‘ભયંકર સ્મૃતિ’ અને મુદ્દાને પકડવાની સ્ફૂર્તિ, કદાચ સૌથી વધુ હતી.

મેં આરંભે જ એમને વિધિવેત્તા કરતાં વધુ તો ન્યાયજોદ્ધા કહ્યા. નૂરાનીનું આ જોદ્ધાપણું બંધારણીય મૂલ્યો ને પ્રક્રિયા માટેની નિષ્ઠામાંથી આવ્યું હતું. આ લખું છું ત્યારે સાંભરે છે કે આશરે છ દાયકા પર ‘મજલિસે મુશવ્વરત’ના નેજા હેઠળ મુસ્લિમ નેતૃત્વ એક થિંક ટેંક પર એમને જોડાવા નિમંત્ર્યા ત્યારે એમણે અલબત્ત સાભાર પણ અસંદિગ્ધ શબ્દોમાં એ નિમંત્રણ નકારી કાઢ્યું હતું. એમણે કહ્યું’તું કે દેશના પ્રશ્નો બંધારણની વ્યાપક મર્યાદામાં વિચારવાના હોય, બધો વખત કેવળ ને કેવળ ‘કોમ’ તરીકે નહીં.

હમણાં મેં શેખ અબદુલ્લાના કેસમાં એમની કીર્તિદા કામગીરીની જિકર કરી પણ દેશના રાજકારણમાં ને સાર્વજનિક જીવનમાં સ્વરાજ પછી કદા જે સર્વાધિક મોટો, કહો કે શકવર્તી પલટો આવ્યો એના એક તરેહના બીજ-સંગોપન અને સંવર્ધનમાં એક કાનૂનવિદ ને ન્યાયલડવૈયા તરીકેનું અર્પણ વિસર્યું વિસરાય એમ નથી.

પ્રજાસત્તાક સ્વરાજ તરીકેની આપણી આયુર્યાત્રાની સૌથી મોટી જે જળથળ ઘટના હતી તે જયપ્રકાશના આંદોલનથી લઈ કટોકટીરાજ અને જનતાઆરોહણના તબક્કાની હતી. એ માટેનો મોટો ધક્કો સ્વાભાવિક જ વિધાનસભા વિસર્જનની માગનો હતો. ગુજરાતનું આંદોલન અલબત્ત જયપ્રકાશનું નહોતું, પણ બિહારમાં તો સુવાંગ નેતૃત્વ એમનું જ હતું. વિસર્જનની માંગ સુધી પહોંચતા એમણે ખાસો સમય લીધો હતો. સત્તા-પ્રતિષ્ઠાનની સંવેદનશૂન્યતાના લાંબા દોર પછી તેઓ આ માંગ સુધી પહોંચ્યા હતા. પણ ત્યારે પણ આરંભમાં એમને લાગતું હતું કે બંધારણ પ્રમાણે આ દુરસ્ત નથી. અલબત્ત, લોકતંત્રની દૃષ્ટિએ તે બિલકુલ શક્ય હોઈ શકે છે.

જયપ્રકાશની આ અભિજાત દ્વિધામાં સંશયનિવારણનું કામ નૂરાનીએ કર્યું હતું. એમણે વિશ્વના અદ્વિતીય બંધારણપટુ લોર્ડ ડાઇસીને ટાંકીને સમજાવ્યું કે તત્ત્વતઃ વિધાનસભા વિસર્જનની માંગણી એ કાનૂની સાર્વભૌમ (ઇંગ્લેન્ડના રાજા/રાણી કે ભારતના રાષ્ટ્રપતિ) તરફથી રાજકીય સાર્વભૌમ એટલે કે મતદાર જોગ અપીલ છે. રાષ્ટ્રપતિએ જનતાની અપીલને ધોરણે મંત્રીમંડળ બરખાસ્ત કરી જનતાની અદાલત સમક્ષ જવું જોઈએ. રાજકીય સાર્વભૌમ જ ચુકાદો આપે, તે બિલકુલ બંધારણીય ભૂમિકા છે.

નૂરાની જેવો રાહ લેનારા જ્યારે અપ્રિય ભૂમિકાએ ન હોય ત્યારે પણ સત્તા-પ્રતિષ્ઠાનોને સોરવાતા નથી. પણ એમનું હોઈ શકવું તે લોકતંત્રની ખુશકિસમતી છે તે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 11 સપ્ટેમ્બર 2024

Loading

વડા પ્રધાનની સાખમાં ઘટાડો થવાનાં પાંચ કારણો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 September 2024

રમેશ ઓઝા

નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના વડા પ્રધાન બન્યા એ વાતને થોડા દિવસમાં સો દિવસ પૂરા થશે. શાસનમાં પહેલા સો દિવસનું મહત્ત્વ હોય છે અને વડા પ્રધાન મોદીએ તો ચૂંટણી પ્રચારમાં એકથી વધુ વખત અલગ અલગ જગ્યાએ રેલીઓને સંબોધતા કહ્યું હતું કે તેમની પાસે સો દિવસનો પ્રોગ્રામ તૈયાર છે. ચૂંટણી પતવા દો, ફરી વાર સત્તામાં આવવા દો, પછી જુઓ કેવો સપાટો બોલાવું છું. સો દિવસ પૂરા થવામાં છે, પણ સપાટો તો ઠીક, કોઈ પ્રયાસ પણ જોવા નથી મળતો. જે પ્રયાસ કર્યા એમાં પીછેહઠ કરવી પડી. ઊલટું સરકાર દિશાહીન અવસ્થામાં નજરે પડી રહી છે.

આનું મુખ્ય કારણ એ છે કે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં જે ગર્વખંડન થયું તેની પીડા ભૂલી નથી શકતા અને તેને છૂપાવવા એવી રીતે વર્તે છે કે જાણે ૨૦૨૪માં લોકસભાની કોઈ ચૂંટણી જ નહોતી યોજાઈ. પક્ષની કોઈ પીછેહઠ થઈ નથી, અંગત પ્રતિષ્ઠામાં કોઈ ઘટાડો થયો નથી. ટૂંકમાં નવી વાસ્તવિકતાને તેઓ નકારે છે અને જૂનો દબદબો એવો ને એવો જ છે એવો દેખાવ કરે છે. આ બાજુ તેઓ એવી કશીક તકની શોધમાં છે કે લોકોને આંજી દઈ શકાય. તકની શોધમાં તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા યુક્રેન જઈ આવ્યા. બન્યું એવું કે ભારતના વડા પ્રધાન હજુ તો યુક્રેનની રાજધાની કીવ છોડે ન છોડે ત્યાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું કે ભારત તટસ્થ રહે એ ન ચાલે, તેણે સત્યનો પક્ષ લેવો જોઈએ, ન્યાયનો પક્ષ લેવો જોઈએ અને માટે યુક્રેનનો પક્ષ લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે મેં (ઝેલેન્સકીએ) આ વાત ભારતના વડા પ્રધાનને મોઢામોઢ કહી હતી. તમે રશિયા જાવ, પુતિનને ગળે મળો અને એ જ સમયે પુતિન યુક્રેનમાં બાળકો માટેનાં આશ્રયસ્થાન પર બોમ્બ હુમલો કરે એ તમારું (નરેન્દ્ર મોદીનું) અપમાન કરનારી ઘટના નહોતી? પુતિન થોડો સમય રોકાઈ ગયા હોત. તમને એમ ન લાગ્યું કે તમારું અપમાન કરવામાં આવ્યું હતું? માટે ભારત જો શાંતિ, સત્ય અને ન્યાયના પક્ષે હોય તો યુક્રેનના પક્ષે હોવું જોઈએ. અમને તમારી તટસ્થતા નથી જોઈતી.

ઝેલેન્સકીએ તેની એક કલાક લાંબી પત્રકાર પરિષદમાં બીજું ઘણું કહ્યું હતું, પણ તેની વાત જવા દઈએ. મુદ્દો એ છે ઝેલેન્સકી કોણ છે, કેવો માણસ છે, દોઢ વરસ લાંબી લડાઈ પછી તેના તેવર કેવાં છે, તે શું ઈચ્છે છે, બાંધછોડ કરવા માગે છે કે નહીં, તેની શરતો શું હશે તેની પૂર્ણ જાણકારી મેળવ્યા વિના વિષ્ટિ કરવા ગયા? આ તો જાગતિક મુત્સદીનો સ્વાભાવિક ક્રમ છે. પહેલાં વિદેશ સચિવો જઇને અનુકૂળ ભૂમિકા બનાવે, એ પછી બે દેશના વિદેશ પ્રધાનો મળીને હજુ વધુ અનુકૂળતા બનાવે, ત્રણેય દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે ગુપ્તસ્થળે ગુપ્ત બેઠકો થતી હોય છે અને જ્યારે પાકી સમજૂતી થઈ જાય ત્યારે દેશના વડા વચ્ચે શિખર મંત્રણા યોજાતી હોય છે. જે તે દેશના વડાઓ સીધા મળે અને પહેલા જ રાઉન્ડમાં ગોદડું સમેટાઈ જાય એવું તો મેં પહેલી વાર જોયું.

પણ ગુમાવેલી સાખ પહેલી તકે પાછી મેળવી લેવાની ઉતાવળ છે અને તેમાં આવું બધું બની રહ્યું છે.

હવે મુદ્દાની વાત. સૌથી પહેલાં તો તેમણે અને તેમનાં સમર્થકોએ એ તપાસવું જોઈએ કે શેને કારણે સાખ ઘટી?

પાંચ કારણો છે :

૧. ચીન. ૨. મણિપુર, ૩. ખેડૂતોનું આંદોલન. ૪. પહેલવાન છોકરીઓનું આંદોલન અને ૫. અદાણી.

ચીને ૫૬ ઇંચની છાતીનું આભામંડળ ચીરી નાખ્યું છે. ૨૦૨૦થી ચીને લડાખમાં અંકુશરેખા ઓળંગીને ભારતની ભૂમિમાં પગપેસારો કર્યો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ચીન લડાખ અને અરુણાચલ પ્રદેશમાં લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધી રહ્યું છે અને એ આખી દુનિયા જાણે છે. ચીને નકશા બદલી નાખ્યાં છે અને અરુણાચલ પ્રદેશના શહેરો અને ઇલાકાઓના નામ બદલી નાખ્યાં છે. અને આવું બે-પાંચ ચોરસ કિલોમીટરમાં નથી બન્યું, સેંકડો ચોરસ કિલોમીટરમાં બન્યું છે. લદાખીઓએ તો આંદોલન કર્યું હતું કે પેનગોંગમાં કેટલો પ્રદેશ અમારા હાથમાં બચ્યો છે તે જોવા માટે અમને ચીનની સરહદ તરફ જવા દેવામાં આવે. જોઈએ તો ખરા કે આજે જ્યાં અમે છીએ એ પણ બચશે કે કેમ!

વડા પ્રધાન એક શબ્દ નથી બોલતા. ઊંહકારો નથી કરતા. લોકો આ જાણે છે અને ભક્તો બચાવમાં એક દલીલ નથી કરી શકતા.

આવું જ મણિપુરમાં અને મણિપુર તો પાછું સળગ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકે ત્રણ મહિનામાં બે વખત મણિપુરનો પ્રશ્ન જાહેરમાં ઉચાર્યો છે અને ઘટતું કરવાની સરકારને સલાહ આપી છે, પણ વડા પ્રધાન ખામોશ છે. મણિપુરનો મ નથી ઉચ્ચારતા ત્યાં મણિપુરની મુલાકાત તો બહુ દૂરની વાત છે. મણિપુર સરહદી રાજ્ય છે એ છતાં ય. કોઈ કહે અને મારે કરવું પડે તો મર્દાનગી લાજે. આમાં કઈ મર્દાનગી છે? આમાં કયું આત્મગૌરવ છે? ભડવીરતા બતાવવી જ હોય તો ચીન સરહદે ઊભું જ છે. સંઘના સરસંઘચાલકની સલાહ પણ કાને ધરવામાં નથી આવતી. ચીનની જેમ જ મણિપુરની વાત આવે ત્યારે સમર્થકો પણ ચૂપ થઈ જાય છે.

ખેડૂત અને લશ્કરી જવાન આ દેશમાં આજે પણ આદરણીય છે. એક આપણું પેટ ભરે છે અને બીજો આપણું રક્ષણ કરે છે. જે રીતે ખેડૂતોનાં આંદોલનને હાથ ધરવામાં આવ્યું એ જોઇને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. આંદોલનને નિષ્ફળ બનાવવામાં અને તેમને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. વડા પ્રધાન ખેડૂતોના પ્રતિનિધિ મંડળને મળ્યા હોત, સીધી પોતાના સ્તરે વાટાઘાટો કરી હોત, સહાનુભૂતિનાં બે શબ્દો કહ્યા હોત તો શું વડા પ્રધાનના પદની ગરિમા ઘટી જવાની હતી? ઊલટી વધી હોત. પ્રજાવત્સલ વડા પ્રધાન તરીકેની પ્રતિમા વિકસી હોત. પણ નહીં. કોઈ મને પડકારે? ખેડૂતોનું આંદોલન મહિનાઓ સુધી સાતત્યપૂર્વક ચાલ્યું એ જ બતાવે છે કે તેમની પીડા સાચી છે અને તેમની પીડાને લોકોનો સીધો કે આડકતરો ટેકો છે. સાચી પીડા અને લોકોની સહાનુભૂતિ વિના કોઈ આંદોલન સફળ થતાં નથી અને લાંબો સમય ચાલતાં નથી. શું એવું કોઈ નથી બચ્યું જે આ વાત વડા પ્રધાનને કહી શકે?

પહેલવાન છોકરીઓની પીડા અંતરને હચમચાવી મૂકે એવી હતી. એક ચારિત્ર્યહીન મુફલીસનાં પક્ષે વડા પ્રધાન ઊભા રહેલા જોવા મળે? મારો માણસ છે, એ ગમે એ કરે તમે બોલનાર કોણ? એક શબ્દ નહીં. આજ સુધી નહીં. ન નિંદાનો કે ન સહાનુભૂતિનો. કયા તર્કથી અને કયા મૂલ્યથી પ્રેરાઈને વડા પ્રધાને આવું વલણ અપનાવ્યું હતું એ જો કોઈ શકે તો દેશ પર મોટી મહેરબાની થશે.

અને છેલ્લે અદાણી જૂથ સાથેનો ઘરોબો, તેને કરવામાં આવતી મદદ, તેનો કરવામાં આવતો બચાવ શંકા પેદા કરનારો છે. બધું જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. થાય એ કરી લો. થોડુક અંતર રાખવાનો અને અંતર દેખાડવાનો પણ પ્રયાસ કરવામાં નથી આવતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે અદાણીને ચીમટો ખણો તો પીડા વડા પ્રધાન અનુભવે છે. આ પછી પણ કોઈ અસર નહીં!

હવે એક વાત સમજી લો. આમાં કોઈ જગ્યાએ મુસલમાન નથી. કાં તો વિદેશી શત્રુ (ચીન) છે અથવા હિંદુ છે. ખેડૂતો હિંદુ હતા, પહેલવાન છોકરીઓ હિંદુ હતી, જેની ગૌરક્ષકોએ હત્યા કરી એ યુવક હિંદુ હતો, મણિપુરના લોકો મોટી સંખ્યામાં હિંદુ છે. કાશ્મીરના મુસલમાનો પાસેથી આર્ટીકલ ૩૭૦ છીનવી લીધો અને મુસલમાનો પાસેથી અયોધ્યામાં મસ્જીદ છીનવી લીધી એ જોઇને રાજી થયેલા હિંદુઓ ઉપર કહ્યા એવા હિંદુઓ સાથે થયેલા અને થઈ રહેલા અત્યાચારો જોઇને શું રાજી થયા હશે? બીજાનું છીનવાઈ જતું જોઇને કિકિયારી પાડનારા લોકો પોતાની નીચે રેલો આવે ત્યારે માણસ બની જતા હોય છે.

ટૂંકમાં આ પાંચ ચીજ છે જેને કારણે વડા પ્રધાનની સાખમાં ઘટાડો થયો છે. આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો અને અયોધ્યામાં રામમંદિર બાંધી આપ્યું એ પછી પણ. લોકો અને લોકોના પ્રશ્નોની ઉપેક્ષા કરનાર, મોઢું ફેરવી લેનાર, અસંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા કરતાં પણ અંગત પ્રતિષ્ઠાને વધારે મહત્ત્વ આપનાર શાસક એક સમય પછી સાખ ગુમાવે. જે બની રહ્યું છે એ સ્વાભાવિક ક્રમે બની રહ્યું છે. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2024

Loading

એકસોમો જન્મદિવસ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|11 September 2024

“બેટા, બંટી, આપણા ઘરમાં આ ધમાલ શેની છે?”

“કંઈ નથી દાદીમા, આ તો ફક્ત ઘરને શણગારવામાં અને ઈલેક્ટ્રીક રોશનીથી, ફૂલોથી શણગાવામાં આવે છે.”

“એ તો મને પણ ખબર છે. તું કહે તો ખરો શું વાત છે?” બંટી કંઈ પણ કહ્યા વગર અંદર દોડી ગયો. જમનાબા વિચારમાં પડી ગયા. મનમાં ને મનમાં બોલ્યા, હશે જે હશે એ વાજતું ગાજતું માંડવે આવશે એટલે ખબર પડી જશે.

વાત, એમ હતી કે જમનાબાને સો વર્ષ પૂરાં થતાં હતાં અને ઘરના બધાએ નક્કી કર્યું કે જમનાબા તો આપણા ઘરનાં વટવૃક્ષ છે. સો વર્ષ પૂરાં થતાં હોય એવા પ્રસંગો બહુ ઓછા બને, એટલે ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવી છે. પણ. જમનાબાને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઈઝ આપવી છે એટલે જમનાબાને જાણ ન થાય એ ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું એટલે બંટી કંઈ કહ્યા વગર જતો રહ્યો હતો.

“ચાલો, બા, તૈયાર થઈ જાવ.”

“આપણે ક્યાં ય બહાર જવાનું છે?”

“ના, બા આપણે ક્યાં ય બહાર જવાનું નથી પણ આપણે ત્યાં ઘણા મહેમાન આવવાના છે.” જમનાબા હસ્યાં.

“કેમ બા હસ્યાં?”

“અમસ્થુ જ, બેટા. ચાલ મને તારી પસંદગીનો સાડલો આપ એટલે હું તૈયાર થઈ જાવ.”

નીચે દીવાનખંડમાં ઘરના બધા સદસ્ય અને મહેમાનો ગોઠવાઈ ગયા હતા. મોટી જમનાબાનું નામ અને “એકસોમો જન્મદિવસ મુબારક” લખેલી કેક દીવાનખંડમાં લાવવામાં આવી. બંટી, જમનાબા પાસે આવ્યો, “ચાલો બા.”

જમનાબા બધાં સામે મંદ મંદ હસતા ઊભા થયા. “બોલ, બેટા, ક્યાં જવાનું છે?”

“બા, કેક કાપવા માટે જવાનું છે. આજે તમારો એકસો મો જન્મદિવસ છે અને તેની ઉજવણી માટે તો આપણે બધાં ભેગા થયાં છીએ.”

 “એમ મને તો ખબર જ નથી કે આજે મારો એકસોમો જન્મદિવસ છે.”

જમનાબાએ બંટીને સાથે રાખી કેક કાપી. બધાએ જમનાબાના જન્મદિવસ મુબારકના નારાથી દીવાનખંડને ગુંજાવી દીધો. બાએ બધાને કેક ખવરાવી મુખ મીઠું કરાવ્યું. બધાં જમનાબાને સરપ્રાઈઝ આપ્યાની ખુશીમાં ખુશખુશાલ હતા.

બાએ હાંક મારી, “અરજણ.”

“જી બા, આ બધાને તેની મનગમતી ગિફ્ટ મારા વતી આપી દે.” બધાં જ એક બીજા સામે જોવા લાગ્યા કે આપણે આટલી ગુપ્તતા રાખી તો પણ બાને ખબર કેવી રીતે પડી ગઈ પણ કોઈ પાસે તેનો જવાબ નહોતો.

“તમને બધાંને મારી ગિફ્ટ ગમી?”

“બા, અમને બધાંને અમારી પસંદગીની ગિફ્ટ મળી છે પણ અમે તમારો જન્મદિવસ શાનદાર રીતે ઉજવવાના છીએ એ ખબર તમને કેવી રીતે પડી? અમે નક્કી કર્યું હતું કે આપણે બાને ખબર પડવા નથી દેવી. આપણે બાને જન્મદિવસની શાનદાર ઉજવણીની સરપ્રાઈઝ આપવી છે તેને બદલે બા તમે અમને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને ચોંકાવી દીધા છે.”

“તમે ભૂલી ગયા કે હું તમારી બા છું. તમને એમ કે મને કંઈ ગતિવિધિની ખબર નથી, પણ તે દિવસે બંટી મને જવાબ આપ્યા વગર જતો રહ્યો એટલે મને થયું સાલું દાળમાં કંઈક કાળું છે. બાકી બંટી મને જવાબ આપ્યા વગર જાય નહીં.” એક દિવસ બંટીને પૂછ્યું, `બેટા તારા જન્મદિવસને તો હજી વાર છે તો આ શેની તૈયારીઓ ચાલે છે?` બંટીએ ભોળા ભાવે કહ્યું, `દાદીમા મને ખબર નથી પણ ઘરમાં બધા જન્મદિવસ આવે છે ને તૈયારી કરવી છે એવી વાત થતી હતી.`

“એટલે મેં વિચાર્યું કે હમણાં તો કોઈનો જન્મદિવસ આવતો નથી. અચાનક મને મારાં સો વર્ષ પૂરાં થાય છે એ વાત તમારી સાથે થઈ હતી એ યાદ આવ્યું ને વાતનો તાળો મળી ગયો. તમારે જેમ મને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઈઝ આપવી હતી એમ મેં પણ તમને ગિફ્ટ આપીને સર પ્રાઈઝ આપવાનું નક્કી કર્યું અને અરજણને તમને લોકોને ખબર ન પડે તેમ ગિફ્ટ ખરીદવાનું કામ સોંપી દીધું. તમારી બા છું ને એટલે તમારી પસંદગીની પૂરેપૂરી ખબર છે.”

 “બા, તમે ગ્રેટ છો.”

“ના, બેટા, ગ્રેટ તો તમે લોકો છો કે મારો એકસોમો જન્મદિવસ શાનદાર રીતે ઉજવાવનું નક્કી કરીને તે પ્રમાણેની વ્યવસ્થા પણ ગોઠવી. બાકી આજે કોણ માબાપના જન્મદિવસ યાદ રાખે છે. તો, પછી તેને ઉજવવાની વાત તો દૂરની વાત થઈ. 

તમને બધાંને બાનો એકસોમો જન્મદિવસ મુબારક. બહાર આતશબાજી શરૂ થઈ ગઈ અને આકાશમાં લખાઈ ગયું, “હેપી બર્થડે બા”. ચારેકોર આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું ….

(ભાવનગર)
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...623624625626...630640650...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved