Opinion Magazine
Number of visits: 9955589
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદેશમાં વસતા ગુજરાતીઓના પ્રશ્નો

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|2 October 2024

તમિળનાડુના પાટનગર ચેન્નઈમાં જિંદગી પસાર કરનાર ગુજરાતીના આપણા પ્રખ્યાત સાહિત્યકાર અરદેશર ફરામજી ખબરદારે ગાયું છે :

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;

જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમપ્રીત:

જેને ઉર ગુજરાત હુલાતી, તેની સુરવન તુલ્ય મિરાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

તો ‘ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત; / જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમપ્રીત :’ ધરાવતી આ જમાતને વળી કોઈ પ્રશ્નો અડતા નડતા હોય ખરા કે ?

સૌથી મોટો પ્રશ્ન તો ઓળખપાળખનો છે, અસ્મિતાનો છે. 

‘આ અસ્મિતા શબ્દ 1913 – 14માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું’, એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ ?’

સન 1937માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેરમા અધિવેશન પ્રસંગે પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમ કહેલું.

આ વ્યાખ્યાન અંગે આચાર્ય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવે ‘સાહિત્યવિચાર’માં વિષદ છણાવટ કરી છે. “વસંત” સામયિકના વર્ષ 36ના (શ્રાવણ-આશ્વિન, સં. 1993) ત્રીજા અંકમાં આનન્દશંકરભાઈ લખતા હતા : ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે.’ આગળ વધતાં એ કહેતા હતા : ‘… પ્રાન્તીય સ્વરાજ્યના આ દિવસોમાં હિન્દસમસ્તની એકતાની ભાવના લક્ષ્ય બહાર જતી રહેવાનો અમને ભય છે. અમે તો એક ગૂજરાતી તરીકેની આપણી અસ્મિતા વધારે ઉત્કટ ન બની જાય તેટલા માટે વ્યક્તિત્વવાદી વાચકોને વિચારવા વીનવશું કે રા. મુનશી જેને ગૂજરાતનું ‘સાંસ્કારિક વ્યક્તિત્વ’ કહે છે એના ઘટક અવયવો શા છે, કે જે ભારતની સામાન્ય સંસ્કૃતિમાં નથી અને જે ગૂજરાતની વિશિષ્ટતા બતાવે છે ? અમને તો ભાગ્યે કોઈ જડે છે.’

તળ ગુજરાતથી વળોટી એક મોટો સમૂહ દરિયાપાર જઈ વસ્યો છે અને આશરે સવાસો જેટલા દેશોમાં આ જમાત સ્થાયી બની છે. તેથી મુનશી સૂચવી અસ્મિતાની વ્યાખ્યા આજે કેટલે અંશે આ નવોદિત સંદર્ભે કારગત નીવડે ? આનન્દશંકરભાઈ તો ભારતના અભેદદર્શનમાં આ વિઘ્નકર થાય તેમ જણાવતા હતા. જાગતિક પરિપ્રેક્ષ્યે જોઈએ, વિચારીએ તો ય આજે આ વિચાર મુદ્દે વિશેષ ગાબડાં પડે તેમ સહજ દેખાઈ આવે.

રહી વાત ઓળખપાળખની. અને તેથી સ્તો, ઈશ્વર પેટલીકર સહસા સ્મરે છે. વિલાયત માંહેના એક અવ્વલ વિચારક મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી “ઓપિનિયન”ના જુલાઈ 1995ના અંકમાં લખતા હતા : “ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવવામાં આપનો ત્રીજા અંકના અગ્રલેખનો વિષય ગુજરાતીઓની સંઘશક્તિ, કાજે મોખરે રહે છે. અને વ્યક્તિગત રીતે આ અગ્રલેખ મને એક (ઘટનાની) યાદ અપાવી જાય છે. ૧૯૬૦ના અરસામાં સ્વ. ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે આવ્યા હતા. મોમ્બાસા(કિન્યા)ના પટેલ સમાજના ખંડમાં ભાષણ કરતાં મર્મ-સ્પર્શી વાક્યો એમણે ઉચાર્યાં હતા, તેની યાદ આવી જાય છે : ‘મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

આટઆટલા દાયકાઓ બાદ, આજે, આ વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર આપણને જોવા મળતો નથી ! ‘આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી.’ એમ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે કહેલું છે. એમનો એ નિબંધ ક્યારેક હાથવગો કરી વાંચવો જરૂરી થઈ પડે.

ટૂંકમાં, કેટકેટલી ઓળખોમાં આપણો સમૂહ વહેંચાયેલો એ દરેકને જોવા મળ્યો હશે ! અને આવી વહેંચણી અહીં વિલાયતમાં, પણે અમેરિકાના કે આફ્રિકામાંના મુલકોમાં ય આપણે ભાળીએ છીએને ! આપણા અગ્રિમ પત્રકાર – વિચારક પ્રકાશભાઈ ન. શાહે, કદાચ તેથીસ્તો, ક્યાંક લખ્યું છે ને: ‘ગુજરાતીઓ હજી પ્રજાપણાની ભાવનાએ પહોંચ્યા નથી અને એક પ્રજા તરીકે આપણામાં જે સંઘશક્તિ હોવી જોઈએ એમાં કેવળ બાળક છીએ.’ Nine Lives: In Search of the Sacred in Modern Indiaના લેખક વિલિયમ ડેલરિમ્પલે પણ કહ્યું છે કે ભારતની મોક્ષાર્થી પ્રજા મૂળ અને કુળ જોવાનું ચૂકતી નથી.

વળી, જે તે મુલકના વસવાટી હોવાને લીધે જે તે મુલકની અધિકૃત ભાષાની જાણકારી, સમજદારી તેમ જ સહજ સ્વાભવિકપણે તે માધ્યમ વાટે આપ-લેની ઊણપ પણ બહુધા વર્તાય છે. પ્રત્યાયનની આવી કચાશને કારણે આથી લઘુતાગ્રંથિ ચોંટે છે. રોજગારી મેળવવામાં આંચ અનુભવાય છે અને સમૂહમાં, સમાજમાં હળવાભળવાનું મુશ્કેલ બની બેસે છે.

અમુક પ્રકારની પાબંધી, લક્ષમણરેખા શા વાતાવરણમાંથી ખૂલા સમાજમાં આવી પડતાં, કેટલાક સાંસ્કૃતિક સવાલો ખડકાય છે. પારંપરિક માન્યતાઓ પણ ટકરાય છે. ખાવાપીવાની રીતરસમમાં અટવાવાનું થાય છે. આવું લલિત કળાઓ, સંગીત, નાટક, સિનેમા સરીખા ક્ષેત્રે ય પણ જોવા પામીએ. ક્યારેક આથી મન ચકરાવે ચડે અને ઊતરે ય ખરું.

ગઈ સદીની ચાળીસીને આરંભે મણિલાલ ગાંધીએ ‘ઇન્ડિયન ઓપીનિયન”માં લખેલું, ‘જે દહાડે દક્ષિણ આફ્રિકાના હિન્દીઓમાં કોમવાદનો રોગ ફાટી નીકળશે, તે વેળા એમણે જાણી લેવું કે તેમનો સર્વનાશ આવી પહોંચ્યો. આપણે અહીં હિન્દુ નથી, કે નથી મુસલમાન, નથી પારસી કે નથી ઈસાઈ; આપણે હિન્દી જ છીએ. હિન્દુસ્તાનના કયા પ્રાન્તમાંથી આપણે મૂળે આવ્યા છીએ તે મુદ્દો ય પછી અગત્યનો રહેતો નથી, કેમ પછી તે પ્રાન્ત મદ્રાસ હોય, મુંબઈ હોય કે બંગાળ હોય.’ મહાત્મા ગાંધી સ્થાપિત આ અઠવાડિકના તંત્રી તરીકે લખતા, મણિલાલભાઈ કહેતા હતા આ મુલકે હિન્દુ મહાસભા વગેરે જેવી કોમી સંસ્થાઓ કાર્યપ્રવૃત્ત હોય તે એમને સમજાતું નથી. ‘કેમ કે થોડાઘણા સમયથી આ મુલકે કોમવાદી વલણવૃત્તિનું ચલણ વધી રહ્યું છે. … સમગ્ર રાષ્ટૃને કેન્દ્રમાં રાખીને આપણે શા સારુ વિચારતા નથી અને આપણી સમગ્ર કોમના ભલા માટે તેમ કાર્યપ્રવૃત્ત રહેતા નથી.’ આવું નિરીક્ષણ એમનું હતું.

આજે આ પરિસ્થિતિ વિશેષપણે વકરેલી છે. તળ ગુજરાત, કે પછી, તળ ભારતના પ્રવાહોની ખેંચમાં તણાતા રહ્યા હોઈએ તેવું વર્તાય છે. અને તેની આડઅસર અહીં સર્વત્ર પહોંચે છે.

પ્રાધ્યાપક ભીખુ પારેખનું એક પુસ્તક છે : The Future of Multi-Ethnic Britain. આમ તો રનિમીડ ટૃસ્ટ હેઠળ, જાન્યુઆરી 1998 દરમિયાન, યોજાયેલી ‘કમિશન ઑન ધ ફ્યુચર ઑવ્‌ મલ્ટી-એથ્નિક બ્રિટન’નો એ હેવાલ છે. ભીખુભાઈ આ પંચના અધ્યક્ષ હતા તેથી તે The Parekh Report તરીકે ય જાણીતું પુસ્તક છે. આ પંચે લઘુમતી બાબત, વર્ણીય સંબંધક વિવિધ બાબતોને આવરી લઈને વિષદ ચર્ચા છેડી હતી. આ અભ્યાસુ ચર્ચાને આધારે આ હેવાલ તૈયાર કરાયો છે. આ પુસ્તક જ એક અલાયદા વિષદ વિશ્લેષણનો વિષય બની શકે. 

‘વિશ્વગુરુ થવાના અભરખા આજકાલ બહુ ચગ્યા છે’, એમ જાણીતા અર્થશાસ્ત્રી અને વિચારક હેમન્તકુમાર શાહ કહે છે. ને વળી, ઉમેરણમાં લખે છે, ‘કોઈના ય ગુરુ થવાની જરૂર છે જ નહિ. અમે જ સારા અને બાકીના બધા નકામા, એવી ભ્રામક આત્મશ્લાઘામાંથી બહાર આવીએ તો પણ આપણી પોતાની માણસ તરીકેની આઝાદી સિદ્ધ થઈ કહેવાય.’ તાજેતરના દાયકામાં, પરદેશે વસેલી ગુજરાતી પ્રજામાં ય આ રોગ ઠીક ઠીક પ્રસરેલો જેવા મળે છે. અને તેથી તેની સારીમાઠી અસર અનુભવવા પામીએ છીએ.  

જાણીતા વિચારક અને કટારચી રમેશ ઓઝા તાજેતરે લખતા હતા, કોમી અથડામણો જ્યાં થતી હોય છે, ત્યાં લઘુમતી કોમ સાથે સતાવવા બાબત ઘટનાઓ બનતી આવી છે. ‘ઘણીવાર તો કોમી અથડામણો લઘુમતી કોમને આર્થિક નુકસાન પહોંચાડીને આર્થિક લાભ લેવા માટે જ કરવામાં આવે છે. … આવું જગત આખામાં થાય છે, આ મહિનાના પ્રારંભમાં બ્રિટનમાં પણ આવું બન્યું હતું. બ્રિટનમાં અંગ્રેજોની વાંશિક સર્વોપરિતામાં માનનારા કેટલાક બહુમતી રાષ્ટ્રવાદી અંગ્રેજોએ, ખાસ કરીને મુસલમાનો અને અન્ય વસાહતીઓ સામે ખોટી અફવા ઉડાડીને ન્યાય માટેના આંદોલનનાં નામે તેમનાં ઘર-બાર લૂંટ્યા હતાં. … જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય ત્યાં જલદી આવી પ્રવૃત્તિ રોકવામાં આવે છે અને જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંગાળ હોય ત્યાં સ્થિતિ અંકુશમાં આવતા સમય લાગે છે.’

બે’ક સાલ પહેલાં, વિલાયતના મિડલૅન્ડ્ઝ વિસ્તારના લેસ્ટરમાં જે કોમી તોફાનો થયા, તેમાં ગુજરાતીઓ પણ સંડોવાયા હતા, તેમ જાણવા મળે છે. ગુજરાતી જમાતમાંના વિવિધ જૂથો વચ્ચેની એ અથડામણ હતી તેમ સંભળાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈક રીતનાં ગાબડાં પાડવાની રમત હોય તેમ તારવવાનું મન કરે છે.

આવી ઘટના બનતી હોય છે ત્યારે ગુજરાતી સમાજ સમૂળગો ઊંચક રહેતો હોય છે અને પછી બધા પ્રકારે ચિંતીત પણ. પ્રસાર માધ્યમોમાં આ વિષયક વિશ્લેષણો પ્રગટ થાય છે. અધિકૃત પંચની નિમણૂંકો થયા કરે છે. તેમના હેવાલો ય જવાબ નિમિત્ત આવે છે. પરંતુ આ અને આવા ઉત્તરો સામે જે અનેકાનેક પ્રશ્નો જાગે છે, તેનું, ભલા, શું કરીશું ? 

ટૂંકમાં, ઓળખપાળખની ભુલભૂલામણી ચોમેર પાયાગત રહ્યા કરી છે.   

અશટાર નામે ફિલિસ્તાની થિયેટરમાં, દાયકા પહેલા, ગાઝા મોનોલોગ્ઝની રજૂઆત કરનાર ટામેર નિજૅમ સવાલતા હતા : સમય મને ફ્લૅશબૅકમાં એ અંધારી, ક્રૂર છાવણીમાં લઈ ગયો. તમામ રાષ્ટ્રીયતાના લોકોની ભીડ વચ્ચે હું એકલો હતો. મેં નજર કરી, તાકતો રહ્યો અને મારી અંદરનો અવાજ ચીસ પાડી ઊઠ્યો, “હું ક્યાં છું? હું કોણ છું? હું અહીં કેવી રીતે પહોંચ્યો?!”

જગત સાતેક સાલ પહેલાં જેની જન્મ-દ્વિશતાબ્દી ઉજવી રહ્યું હતું તે વિદ્વાન ચિંતક અને ફિલસૂફ કાર્લ માર્ક્સને નામે એક વાક્ય બોલે છે : ‘It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.’ [માનવીની અસ્મિતા તેનું અસ્તિત્વ નિશ્ચિત કરતું નથી, બલકે તેનું સામાજિક અસ્તિત્વ તેની અસ્મિતાને નિશ્ચિત કરતું હોય છે.]

પાનબીડું :

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?

હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.

ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.

તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?

                                                       – ઉમાશંકર જોશી
(૨૯-૦૪-૧૯૬૦)
(1,451 શબ્દો)
12-14 ઑગસ્ટ 2024, હેરૉ.
E.mail : vipoolkalyani.opinon@btinternet.com
પ્રગટ : “નવનીત સમર્પણ”, દીપોત્સવી વિશેષાંક; ઑક્ટોબર 2024; પૃ. 197-201

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૧૧) (સમ્પૂર્ણ)  

સુમન શાહ|Opinion - Literature|2 October 2024

વર્તુળ : ૩ : સમ્પૂર્તિ

ઉમાશંકર જોશી

જીવનસ્વીકૃતિ અને સ્વીકૃતિ વિશેનો પ્રશ્ન, એ બે વર્તુળો અનુસારની કાવ્યસૃષ્ટિઓમાંથી આપણે પસાર થયા. આ ત્રીજા વર્તુળની કાવ્યસૃષ્ટિ મને ઉમાશંકરની સ્વકીય સર્જકતા અને દાર્શનિકતા અનુસાર, હવે પૂર્ણ થતી લાગી છે; સ્વીકૃતિ કે સ્વીકૃતિ વિશેનો પ્રશ્ન કાવ્યનાયકને એક જાતની અગતિકતા કે નિરુત્તરતા સૂચવતો હતો, અહીં એનો ઉમાશંકર દ્વારા એક ઉત્તર સાંપડે છે, એ અર્થમાં પણ એ સૃષ્ટિ પૂર્ણ થતી લાગે છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે સમગ્ર કવિતા પૂર્ણ થાય છે, અને એ સૃષ્ટિનું ટૂંકું નામ સમ્પૂર્તિ છે.  

એ સમ્પૂર્તિ હું સાત કાવ્યોના દૃષ્ટાન્તે સમજ્યો છું, જેને હું કર્નલ સ્પોટ્સ કે પરાકોટિ-રૂપ રચનાઓ કહું છું; તે આ પ્રમાણે છે : ‘સપ્તપદી’, ‘માઇલોના માઇલો મારી અંદર’, ‘એક ઝાડ’, ‘ઝાડ પર કુહાડાના’, ‘આરસના કઠેડા’, ‘ધારાવસ્ત્ર’, અને ‘પંખીલોક’.

ભલે. આ ત્રીજા વર્તુળની કાવ્યસૃષ્ટિ પૂર્વે, ઉમાશંકર વિશ્વ અને કલાવિશ્વ બેયમાં ભમી વળ્યા છે, વિભૂતિમત્ અને ઊર્જિતથી વ્યક્તિમત્-નાં યથાર્થ વિશ્વમાં ઘણું ખોજી ચૂક્યા છે, છેલ્લે વાસ્તવદર્શનને નવેસર વર્યા છે. કાવ્યપ્રકાર અને કાવ્યમાધ્યમ જેવાં ઉપકરણોને જાણી લીધા પછી સ્વકીય ઉપકરણોથી સજ્જ થવા મથી રહ્યા છે. એવા કસબીની આ ત્રીજા વર્તુળની સૃષ્ટિ પૂરી સમજ સાથે સરજાઈ છે. 

નિતાન્ત સૌન્દર્યની દિશા ઉમાશંકરમાં પહેલેથી ઊઘડેલી હતી. એમની પ્રકૃતિપરક રંગદર્શિતામાં એનું બરાબરનું સ્થાન હતું. ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ એ મન્ત્રરટણા, કલાકારને છાજે એવી રટણા, ઉમાશંકરમાં પ્રમાણમાં ઘણી વહેલી સ્ફુરી છે. નખી-સરોવર પરની શરદપૂર્ણિમાની એ અનુભૂતિમાં કશો ભેગ નથી, હૃત્તન્ત્રી અન્ય યોગોથી મુક્ત છે, બલકે, ‘જલવિધુતણા ચારુ સંયોગ’-ને પામી છે. ઉપલબ્ધિ પણ તેથી જ એ ધન્ય મન્ત્રની છે, (૧૮૨). કવિનું પ્રકૃતિ સાથેનું સન્ધાન, એ દિવસોમાં, ‘એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલી કો’- જેવી પંક્તિમાં વિરલ લેખાવું જોઈએ. ‘કો’ શબ્દાવલિની નિર્નામ અસમંજસતાનું સંવેદન પણ એવું જ નરવું ગણાવું જોઈએ.  

તળની ગુંજાઇશ, ભાવ-ભાષા-લય, વગેરે વગેરે કવિકર્મનો અહેસાસ કરાવતાં એમનાં કેટલાંક ગીતો તેમ જ અનુભૂતિનું સૌન્દર્ય રચી રહેતાં ‘ગોઠડી’ (૪૮૮) જેવાં પારદર્શક કહી શકાય તેવાં પ્રકૃતિકાવ્યો પણ એ દિશાની સરજત છે. 

જો કે, એ સૌન્દર્યની દિશા કારકિર્દી દરમ્યાન ઝાંખીપાંખી થતી ગઈ છે. જીવન-કલાની કવિતાનો એક તોતિંગ પુરષાર્થ, આપણે જોયું તેમ, વિસ્તરતો રહ્યો છે. પરન્તુ, “ધારાવસ્ત્ર”-ની કેટલીક કૃતિઓ તળ સાથેનું પુન:સન્ધાન દાખવે છે. કલા-આરાધના સત્ય કે શિવની નહીં, પણ સુન્દરની; વિભૂતિમત્ ઊર્જિત કે વ્યક્તિમત્ જેવા દેખીતા કે દેખાતું કેન્દ્ર નહીં; વસ્તુ કે રૂપ – એવી વિકલ્પ-સ્થિતિ નહીં, બલકે એકેયની વાગે નહીં એવી સમરસતા; કોઈ વ્યાખ્યાબદ્ધ લયવિધાનની કે કવિતાનાં કોઈ અવાજની મુખરતા નહીં, પણ કલાકારના અવાજની સંગીતિ; કાવ્યપ્રકાર સિદ્ધ કરીને કૃતાર્થ થવાની લાલસા નહીં, પણ કૃતિ-સૌન્દર્ય સિદ્ધ થાય એટલું જોવાની જવાબદારી ખરી — આ તમામ અભિનવ લક્ષણો અહીં નિરામય એવી ‘માત્ર કલા’-નાં દ્વાર ખોલી આપે છે. કવિનું પોતાના જ તળમાં થતું આ વિલયન, કલાપરક સમ્પૂર્તિનો એક આવશ્યક પુટ રચે છે, એક એવો છેડો આણે છે, જે વડે પેલું સાવયવ કલ્પન પણ પૂરું થાય.

ડુંગર અને ઝાડ, સ્થિતિ અને ગતિનાં પ્રતીકો છે. એ સંદર્ભમાં, આ વર્તુળની બીજી ચાર કર્નલ સ્પોટ, પરા-કોટિ-રૂપ, રચનાઓ ‘માઇલોના માઇલો મારી અંદર’, ‘આરસના કઠેડા’, ‘એક ઝાડ’, અને ‘ઝાડ પર કુહાડાના’ પોતાનાં કાવ્યસૌન્દર્ય પ્રગટાવે છે. ઉમાશંકરમાં ગીતોનું સૌન્દર્ય શરૂથી ખીલેલું પણ વચગાળામાં આછર્યું હતું, “આતિથ્ય” અને “વસન્તવર્ષા”-ની અનેક રચનાઓ એ સન્ક્રાન્તિ દર્શાવે છે. ‘ધારાવસ્ત્ર’ કાવ્યમાં એનો છેડો છે. એને મેં અહીં પાંચમું કર્નલ સ્પોટ ગણ્યું છે. એ પાંચેયની આસપાસ “સમગ્ર કવિતા”-માંથી અનેક રચનાઓને મૂકી શકાશે. ‘પંખીલોક’ આ વર્તુળની સમ્પૂર્તિ રચતું તેમ જ “સમગ્ર કવિતા”-નું પણ એક પૂર્ણવિરામસ્વરૂપ છઠ્ઠું અને અન્તિમ કર્નલ સ્પોટ છે – જેમાં, સ્થળ અને કાળ માત્રને ઇન્દ્રિયબોધના પ્રાચુર્યમાં પામી શકાય છે. વિસ્મયની ધબક અનુભવાવરાવતી એ કૃતિમાં ઉમાશંકરે પોતાનામાંના કવિ કાજે તેમ જ મનુષ્યમાત્ર માટે પંખીલોકનો ઉત્સવ રચ્યો છે. ફળશ્રુતિ એ પણ છે કે એમાં સર્જક કવિ અને સહૃદય ભાવકનું એક નિશ્ક્લેષ ઉપનિષદ રચાય છે, જેની ચરમ પ્રાપ્તિ મૌન છે. 

— ‘માઇલોના માઇલો મારી અંદર‘ —

ઘૂમતી પૃથ્વી અને દોડતી ટ્રેનના ચકરાવા સાથે કાવ્યનાયક પોતાના અસ્તિત્વને સમરસ થઈ જતું અનુભવે છે. દોડતી ગાડીની રૈખિક ગતિ, પ્રારમ્ભે, એની સમુદાર પ્રફુલ્લતાને વીંધતી હોય છે. પરિણામે, ચોપાસનાં પ્રકૃતિતત્ત્વો એનામાં પ્રવેશી શકે છે. (૭૩૩). 

રચનાના પહેલા ખણ્ડમાં, એવું વિરુદ્ધ ગતિની એકત્વ સિદ્ધ થાય છે. એ પછી, તળભૂમિમાં જિવાયેલાં નર્યાં યથાર્થ કલ્પનો શરૂ થયાં છે – ઘરો, ઝૂંપડીઓ, ઓકળી-લીંપ્યાં આંગણાં, છાપરે ચડેલો વેલો, કન્યાના ઝભલા પરનું પતંગિયું – બધું હસ્તામલકવત્ થઈ ઊઠે છે, ‘જાણે હથેલીમાં રમે…’

બીજા ખણ્ડમાં, નાયકની ચેતના માઇલોનાં માઇલો જ નહીં, પણ વિશ્વોનાં વિશ્વો જેવી ખગોલીય સભરતા અનુભવે છે. ચક્રાકારે સમસ્ત પ્રકૃતિ – નિહારિકાઓ, આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, તારા, આગિયા, વગેરે એની સામે આવ્યે જ જાય છે. અને ત્યારે એ ‘તરસ્યો’ એ સમસ્તનું આકણ્ઠ પાન કરે છે, ચેતનાને વિકીર્ણ થતી અને પ્રકૃતિ સાથે એકરૂપ થતી અનુભવે છે. એવી આનન્દ-અનુભૂતિને પરિણામે એનામાં ઝંખના કે આશા ઊગે છે, એમ કે, ‘વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયા કરે’, ‘ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ’ રહું. ‘અનન્તની કરુણા’ કે ‘ધરતીની દ્યુતિ-અભીપ્સા’ જેવાં અલંકરણો જીવન-કલાધર કવિ સંદર્ભે ક્ષમ્ય લેખીએ, પરન્તુ નાયકની વૈયક્તિક અનુભૂતિની સહસમ્બન્ધક બની રહેતી આ રચનાની વસ્તુલક્ષીતાનું ગૌરવ અવશ્ય કરીએ. 

ઉમાશંકરની આ રચનાઓનો સૂર આમ અંતરાલોમાં વહે છે. એ રીતે કવિ પોતાના પૂર્વ સર્જનરાશિમાંથી ઘણા બધા બહાર અથવા ઘણા બધા અંદર, દૂર, ચાલ્યા ગયા છે, એમ કહેવું જોઈએ. આ રચનાઓ કશી પ્રતીકાત્મકતાના વ્યાકરણમાં પડ્યા વિના જ પોતાના સૌન્દર્યને પ્રગટાવે છે. ડુંગર અને ઝાડ જેવી સ્થિતિઓને ટ્રેન જેવી પરિસ્થિતિભરી ગતિઓ ભેદે છે. સ્થિતિ પર ગતિનું જાણે આક્રમણ છે, સ્થળ પર સમયની પાંખ જાણે જોરથી વીંઝાઈ રહી છે. જેમ કે, ‘છીંકોટા મારતી ગાડી’-ની અન્તિમ પંક્તિમાં એવા સૌન્દર્યને આપણે ‘ધ્રૂજી રહે ભીતર ગતિત્રસ્ત’ પદાવલિમાં અનુભવીએ છીએ. આ સભ્યતામાં, કાવ્યનાયકનું ભીતર ઘણા સંદર્ભોથી આક્રાન્ત છે, ગતિ-યુગે એને ત્રસ્ત કરી મૂક્યું છે. ‘ભીતર’ અને ‘ગતિત્રસ્ત’-ની સહોપસ્થિતિ અહીં સ્ફોટક નીવડી છે, (૭૩૯).

— ‘ધારાવસ્ત્ર‘ —

એ સૌન્દર્ય-શેષ રચનાઓ ઊઘાડું કશું જ ન કહેનારી રહસ્યમય સુન્દરતા પોતે જ છે. એ પદ્ધતિનું પાંચમું કર્નલ સ્પોટ ‘ધારાવસ્ત્ર’ કાવ્ય છે, જેમાં વળી સૌન્દર્ય અને રહસ્ય બે ય છે.’

“સમગ્ર કવિતા”-નું એ અપ્રતિમ સુન્દર કાવ્ય આમ તો આટલું જ છે :

‘કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,

ક્યાંથી, અચાનક … 

સૂર્ય પણ જાણે 

ક્ષણ હડસેલાઈ જાય. 

ધડાક બારણાં ભિડાય. 

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર

સૃષ્ટિને લેતું ઝપટમાં

ઓ …પણે લહેરાય,

પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા

મથ્યાં કરે -વ્યર્થ હાથ વીંઝ્યા કરે.’ (૭૫૧).

રચનામાં, સૃષ્ટિવ્યાપી અને તેને ય ઝપટમાં લેતું અતિ વ્યાપ્ત પરિમાણ સરજવું ‘નિશીથ’-કાર માટે નવી વસ્તુ ન કહેવાય. પરન્તુ તેને આમ લસરકામાં, બ્રશના એક-બે સ્ટ્રોક્સથી રચી દેનારું લાઘવ સાચે જ એક અપૂર્વતા છે. ગતિ-દૃશ્યોને ધારાવસ્ત્રના ફરફરાટ સાથે રસી નાખીને કવિએ એને સ્પર્શના વિષયો બનાવી મૂક્યાં છે; તો, આ દિગ્દિગન્તોની ભવ્યસુન્દર છબિ સામે ‘બારણાં’-ને સહેજ જુદી પડતી મનુષ્યકૃતિ રૂપે જક્સ્ટાપોઝ કર્યાં છે. સૂર્યને વાગેલા હડસેલાનો છેડો બારણાં ધડાક ભિડાય છે ત્યાં આવતો ન હોય જાણે, એમ ગતિ-દૃશ્યોની ભાત ઊપસે છે. ગતિ-દૃશ્ય અને ગતિ-શ્રાવ્યથી ગુંથાયેલું એ ધારાવસ્ત્ર સ્પર્શ્ય રૂપે પણ ‘ઓ …પણે’ લ્હૅરાતું અનુભવાય છે, અને ત્યારે, કવિનો અવાજ પણ આપણી નિકટ થઈ ગયો હોય છે. પૃથ્વી-રોપ્યાં વૃક્ષ જ નહીં, જેને જેને ‘હાથ’ છે તે સૌ એને ઝાલવા જાણે વ્યર્થ મથ્યા કરે છે. 

‘ઝપાટાભેર’ કોણ ક્યાંથી ક્યાં ચાલ્યું જાય છે એવો પ્રશ્નસંકેત આવરીને બેઠેલા વર્ષાના આ સુન્દર કાવ્યમાં વિસ્મયભર રહસિની એક આખી લીલાનું સૂચન છે. ‘ધારાવસ્ત્ર’ પ્રતીકાત્મક કાવ્ય નથી, કાવ્યપ્રતીક છે; આપણામાં ઝિલાઈને એ, પછી તો, હમેશાં ફરફરતું ફેલાતું રહે છે. અહીં, સુન્દર જે સાતા અર્પે કે વર્ષા જે ઠંડક મ્હૉરી રહે તે રચના-વિશિષ્ટ મોટો સેન્દ્રિય ગુણ છે; ‘વ્યથા’-ને એ હરી શકે. 

— ‘પંખીલોક‘ —

બૉદ્લેરે દર્શાવેલું કે ઇન્દ્રિય-વ્યત્યયો વડે અનુભૂતિની અપરોક્ષ અને તેથી જ તાઝપભરી અખિલાઈ ટકી શકે, અને એને એ સ્વરૂપે ટકાવી શકાય, તો તેને આધાર આપવાની કે તેનો આધાર બનવાની સૃષ્ટિમાં પૂરી ગુંજાઇશ છે. કાવ્યકલા એ કરી શકે. એવી કાવ્યકલા મોટો મનુષ્ય-કીમિયો છે. ‘પંખીલોક’ (૮૧૯) એ માનવીય હિકમતનો કાવ્યાત્મક પુરસ્કાર કરતી રચના છે :

‘કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે’. (૮૧૯)

‘આંખ જો કાન હોય તો તેજ-રંગને એ સાંભળી શકે’. (૮૨૦)

‘મન જો હૃદય હોય તો તર્ક પણ એને રસગદ્ગદ્ કરે’. (૮૨૧)

‘હૃદય જો મન હોય તો લાગણીને એ પ્રમાણી શકે’. (૮૨૨)

પ્રકૃતિ પોતે જ એક ઉત્સવ છે. એ છિન્ન કે ન્યૂન કે નષ્ટપ્રાય ન થાય એવી દીક્ષા માણસને કોણ આપી શકે? પંખીઓના શબ્દમાં અને કવિઓના શબ્દોમાં એ સામર્થ્ય જરૂર છે. આમ તો, શબ્દો પોતે જ અપરોક્ષાનુભૂતિનું કેટલું બધું દ્રવ પોતામાં સાચવીને બેઠા છે! પણ માણસને પડળ ચડી ગયાં છે. અહીં કાવ્યનાયક – જે કવિ છે – શબ્દોને પંખી જેમ ટપકતા પ્રકાશ-ટુકડા તરીકે જોવા ઇચ્છે છે. પ્રકૃતિનાં આપણી સન્નિધિમાં ધસી આવેલાં વિવિધ રૂપો તે પંખીઓ છે, પ્રકૃતિ-સન્તાનો છે. એ ઉષા પ્રકાશ અને નક્ષત્રોની, ‘બ્રહ્માંડના શ્વાસોચ્છ્વાસ’-ની, સંવાદી ગીતિ કે પૃથ્વીના ભીતરી મૌનની વાર્તા પંખીઓ સંભળાવે છે. મનુષ્યના ઇન્દ્રિય-સન્નિકર્ષોની અને ઇન્દ્રિયબોધોની એક આખી જોગવાઈ પહેલેથી થયેલી જ છે. મનુષ્યની યુતિ માટે પ્રકૃતિ નિત્ય ઉત્સવ માંડીને તત્પર બેઠી છે : 

‘પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્રછોળે

પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય’, (૮૨૧).

કવિ-નાયકે પંખીઓ જેવાં તાજાં સુન્દર કલ્પનો અને કલ્પનાવલિઓની એક ભરમાર ઊભી કરી છે, કહો કે, એની પ્રફુલ્લ ચેતનાને કારણે એમ થયું છે. લીલો પોપટ, ભારદ્વાજ કે લતાગુલ્મમાં સંતાયેલું ‘વેઇટ્-અ-બિટ્’ કહેતું પેલું પંખીયુગલ કયું સત્ય પ્રગટાવે છે? ઘર પાછળના ડુંગરે – શૈલમહાશયે – કયું સત્ય પ્રગટાવ્યું છે? સિસૃક્ષા તો એવી ચીજ છે કે એ તો ફૂલના અંકુર રૂપે જ શૈલનું સકલ સત્ય સરજી શકે.

પણ માણસ ભાગદોડમાં છે. એનું અધીર મન કે એનું વાસ્તવ-ભૂખ્યું ચિત્ત કશી સમજમાં ઠરવા રાજી નથી. હકીકત એ છે કે આવીતેવી સમજ માટેની આત્મરાગી અને અન્ત્સ્તૃપ્ત દૃષ્ટિ લુપ્ત થઈ રહી છે. ઝાકળભીંજ્યા બપૈયાના આર્ત્ત સૂર વિશ્વે વળૂંભેલા વિરહને રોમરોમમાં સંચારિત કરે છે, પણ સાંભળનાર છે કોણ? 

કવિ-નાયક હવે વિશ્વથી અને જાતથી અનુભવાતા પોતાના પરાયાપણાની વાત કરે છે. એને થાય છે, માણસ પોતે પોતાને સાંભળી શકે ખરો? બાકી, માણસની આ વિમુખતા એને અતિ દૂર ઢસળી જાય, એ સંભવ મોટો છે. એટલે, ‘નર્યા મારા અવાજને સાંભળવાનો’ નાયકની સંવિદમાં સંકલ્પ સ્ફુરે છે, (૮૨૩). પોતાના અવાજમાં અન્યોના અવાજ ભળેલા છે એ વસ્તુ ધ્યાનમાં લેવાય તો સમજાય કે એ શ્રુતિમાં વિશ્વ સાથેના સંવાદની કડી પડેલી છે. નાયક સમજે છે એમ સારસના ‘બેવડ આલાપ’-માં એક અહીંનો અને એક લોકાન્તરનો ભળેલા જ છે. એટલે સમજાય છે કે કવિ-નાયક ‘ધીર નાનું શું સરવૈયું’ કાઢવા માગે છે, તે શબ્દ અને મૌનથી સુયુત અને સંશ્લિષ્ટ જ હોવાનું.

‘હતા પિતા મારે, હતી માતા’ -થી શરૂ કરીને એ અશેષની અનુભૂતિમાં ઠરે છે, અને ત્યારે, એને લાગે છે કે પોતાનું સપ્રાણ ક્ષણ અને આનન્દસ્પન્દ સરજવાનું કવિ-કામ ‘માનવતાની સ્ફુર્તિલી રફતારમાં ભળી ગયું છે’ અને પોતાનું નામ ‘ભાષામાં ભળી ગયું છે’. જો કે, વેઇટ્-અ-બિટ્ બોલી ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ કહીને એ મૌનમાં સરી જાય છે.

અહીં, પંખીલોક અને મનુષ્યલોકનું સાયુજ્ય, પ્રકૃતિ અને મનુષ્યનું સાયુજ્ય, શબ્દ અને અર્થસંકેતનું સાયુજ્ય એકમેવ સુન્દરને રૂપે ઉદ્ભાસિત થતું જોઈ શકાશે. એ રીતે આ કાવ્ય ત્રીજા વર્તુળનું અન્તિમ, પણ સૂચક કર્નલ સ્પોટ છે. ‘પંખીલોક’ રચીને ઉમાશંકરે પણ પોતાના કાવ્યકલા-પુરુષાર્થની સમ્પૂર્તિનો અન્તિમ સૂર છેડ્યો છે. એ અનિવાર્ય સૂર વડે જ “સમગ્ર કવિતા”-નું વિશ્વ પણ અશેષ મૌનમાં પરિણત થઈને જાણે ફરી એક વાર ઉદ્ભાસિત થઈ ઊઠે છે. એ પુનરુદ્ભાસના સૂચવે છે કે પૂર્વવર્તી કાવ્યકલાતત્ત્વોનું પર્યવસાન છેવટે તો મૌનની નિ:શબ્દ સાન્ત સુન્દરતામાં જ છે.

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિની આ સઘળી સમીક્ષા દર્શાવે છે કે યાદૃચ્છિક લાગતાં ત્રણેય વર્તુળ “સમગ્ર કવિતા” વિશે હવે પૂરાં અર્થસંકેતક લાગે છે. સમજાય છે કે જીવન-સ્વીકૃતિ અને તેને વિશેના પ્રશ્નથી પ્રભવેલી કવિતાએ પોતાની સમ્પૂર્તિ સાધી છે અને એ પ્રકારે એ પૂર્ણ થઈ છે. લાગે છે કે કવિ એક સાવયવ કાવ્ય-કલ્પન રચી શક્યા છે.

કેવું છે એ કાવ્ય-કલ્પન? મુખ્યત્વે એ કવિસંવિદનું પ્રતીક લાગે છે. સમ્પૂર્તિ દર્શાવે છે કે કવિસંવિદ અને કાવ્ય-કલ્પન વચ્ચેનો સમ્બન્ધ તેમની વચ્ચે થયેલી આન્તરક્રિયાનો છે. એને પરિણામે, જે કંઈ પારગામી લાગતું હતું તે હવે નિ:શેષભાવે ઑગળી ગયું છે. વિશ્વની બહુલતા, પૂર્વે છુટ્ટા તન્તુઓવાળી હતી, તે ઑગળતી જણાય છે. એથી એક એવો અવકાશ ઊભો થાય છે, જેને આપણે આનન્દ અને શ્રદ્ધા-આશાનું સમુચિત સ્થાન ગણી શકીએ – જેનો માલિક મનુષ્ય હોય, જ્યાં એ ઉત્સવપૂર્વક જીવી શકે. માણસ જેને બહુ આસાનીથી આત્મસાત્ કરી શકે, એ પ્રેમ-રસાયન તો ત્યાં છે જ છે. એને અવગત થશે કે પ્રેમથી જ આ ઉચ્ચાવચતાભર્યા વિશ્વ-આયોજનને ક્ષણમાં ઉલ્લંઘી શકાય છે. અને, કવિના શબ્દે કરીને કે એણે રચેલા કાવ્ય – કલ્પનયોગે કરીને વાચક / ભાવક ક્રાન્તિ-અભિમુખ નહીં થાય, પરન્તુ ચિરન્તનને મનન-વિષય બનાવતો પોતામાં પાછો ફરશે. એની ચેતના વ્યાપક અનિશ્ચિતિથી આક્રાન્ત નહીં થાય, પરન્તુ એને શાશ્વતીની સોબત લાગશે. 

(સમ્પૂર્ણ)

= = =

(1Oct24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીજીની યાદમાં

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 October 2024

સંજય ભાવે

પત્રકાર ધીમંત પુરોહિતના ગાંધીવિષયક વિવિધ સંગ્રહનું માહિતીસભર પ્રદર્શન એક રસપ્રદ અનુભવ છે.

Remembering Bapu : Exhibition of Rare Collectibles on Gnadhi નામનું આ પ્રદર્શન અમદાવાદ મૅનેજમેન્ટ અસોસિએશન(એ.એમ.એ.)માં ગોઠવાયેલું છે.

તેમાં ગાંધીજીની સહીઓ, એમની મુદ્રા સાથે સરકારે બહાર પાડેલા ચલણ માટેના અને સ્મરણ માટેના એમ બંને પ્રકારના સિક્કા (કૉઇન્સ), ટપાલ ખાતાનાં ફર્સ્ટ ડે કવર, ટપાલ ટિકિટો અને વર્તમાનપત્રો જોવા મળે છે. 

ગાંધીની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહીઓ છે. તે ઉપરાંત દાંડી કૂચના એક યાત્રીને 6 એપ્રિલ 1930ના રોજ ‘અનાસક્તિ યોગ’ પુસ્તક પર આપેલા ‘બાપુના આશીર્વાદ’ જોવા મળે છે. 

ભારત સરકારે બાપુ પર અત્યાર સુધી બહાર પાડેલી તમામ 103 ટિકિટો અહીં છે, એમ સંગ્રાહક જણાવે છે. ઉપરાંત 103 દેશોએ બહાર પાડેલી 475 ટપાલ ટિકિટો વિશેષ આકર્ષક છે. 

દેશના નામ મુજબ કક્કાવારીના ક્રમમાં ગોઠવાયેલી આ ટિકિટોમાં રંગ, ચિત્રો, સંદર્ભો ઇત્યાદિમાં વિપુલ વૈવિધ્ય છે. બ્રિટનની બે ટિકિટો કંગાળ છે. ઘણાં દેશોની સ્ટેમ્પ્સમાં ગાંધીજીને વિશ્વના અગ્રણી વ્યક્તિત્વો સાથે છે.

વિખ્યાત અમેરિકન ‘ટાઈમ’ મૅગેઝિને ગાંધીજીને ‘કવર’ બનાવીને સ્ટોરી લખી હોય એવા ત્રણેય અંકો ધીમંતભાઈએ અહીં રજૂ કર્યા છે : માર્ચ 1930 દાંડી કૂચ, મૅન ઑફ ધ યર 1931 અને  ભારતની આઝાદી 1947. 

ગાંધી હત્યા વખતના અખબારો બતાવતાં ધીમંત પુરોહિત

ટિકિટો અને ‘ટાઇમ’ના અંકો જોતાં ગાંધીના વૈશ્વિક પ્રભાવની કાળગણના રિચર્ડ એટનબેરોની 1982થી  ફિલ્મથી જ શરૂ કરનારા વડા પ્રધાન ખસૂસ યાદ આવે છે.

પ્રદર્શનને છેડે ગાંધી હત્યાના સમાચારના ‘મુંબઈ સમાચાર’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ટાઇમ્સ ઑફ  ઇન્ડિયા’ના એક એક અંક છે.

ગાંધીજી જે ચરખા પર કાંતણ શીખ્યા હતા તે જ ચરખો નહીં પણ તેની પ્રતિકૃતિ પ્રદર્શન ખંડની મધ્યમાં જોવા મળે છે. તેમને વણાટકામ (જાણકારના મત મુજબ ‘ચરખો’ નહીં) શીખવનાર દંપતી ગંગાબહેન અને રામજીભાઈ બઢિયાનો દુર્લભ ફોટોગ્રાફ પણ મૂકવામાં આવ્યો છે. ચરખો જોઈને એક સરકારી અધિકારી ગદ્દગદ્દ થઈ ગયા હતા એમ ધીમંતભાઈ જણાવ્યું.

ધીમંતભાઈનો સંગ્રહ તેનું અરધી સદીનું ધીરજભર્યું સંચિત છે. એ ‘સાત-આઠ વર્ષની ઉંમરથી’ એકઠો કરેલો ખજાનો છે. આ કોઈ શોખપરસ્ત નબીરાનું નહીં પણ ગૂજરાત વિદ્યાપીઠની મીડિયાની ડિગ્રી ધરાવનારા એક મધ્યમવર્ગીય પત્રકારનો અંગત સંગ્રહ છે.

હંમેશાં નોંધવું જોઈએ કે મધ્યમ અને તેના પછીના વર્ગો માટે કોઈપણ છંદ (હૉબી) સમય, પૈસો, જગ્યા અને સાચવણી એમ અનેક રીતે લગ્ઝરી હોય છે. વળી, જમાનો આભાસી વાસ્તવ અને ઐયાષ આયુષ્યનો છે. તેમને સમૃદ્ધ કરનારી ચીજોના ખડકલાથી ધમધમતું બજાર ધીખતું દેખાય છે. ‘ન્યુ’ અને ‘લેટેસ્ટ’ના  ટ્રેન્ડ્સના ડેઝમાં સાચવણ-સાંભરણના દા’ડા હવે જાણે ગયા.

આવા વખતમાં, ગાંધીજીની – સત્તાપક્ષના નિશાન પરના ગાંધીની – મહત્તા ઉપસાવતી વિવિધ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવી ખૂબ ધન્યવાદને પાત્ર છે. 

પ્રદર્શનની ગોઠવણી દર્શકોને જોવામાં સગવડ પડે તેવી સૂઝથી કરવામાં આવી છે. તેનો શ્રેય ધીમંતભાઈ સંદીપ દુગરને આપે છે. પ્રદર્શન માટે મુંબઈ અને લખનૌમાં નિમંત્રણ મળી ચૂક્યું હોવાનું પણ તેઓ જણાવે છે. 

28 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આ પ્રદર્શન ગાંધી જયંતી અને તેના પછીના દિવસે સાંજે 4થી 8 દરમિયાન જોવા મળશે.

આભાર :  ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા 
01 ઑક્ટોબર 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...624625626627...630640650...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved