Opinion Magazine
Number of visits: 9552646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેન ગુડોલ; જેણે આપણને ચિમ્પાન્ઝીઓમાં માનવતાના ગુણ જોતાં શીખવ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 October 2025

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, બ્રિટિશ પ્રકૃતિપ્રેમી જેન ગુડોલનું અવસાન થઇ ગયું. તેમની ઉંમર 91 વર્ષની હતી. જુનૂન, સખ્ત મહેનત અને સાચો પ્રેમ મનુષ્યને કેવી પ્રકૃતિ અને પ્રાણીઓની સંભાળ રાખવા માટે પ્રેરિત કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જેન ગુડોલ હતાં. 

તેમનો સૌથી મોટો પ્રેમ ચિમ્પાન્ઝીની પ્રજાતિ હતી, અને એટલે જેન પ્રાઈમેટોલોજિસ્ટ કહેવાતાં હતાં. ચિમ્પાન્ઝીને મનુષ્ય પ્રજાતિનું સૌથી નજીકનું પ્રાણી ગણવામાં આવે છે. જેનને ચિમ્પાન્ઝીમાં માણસો જેવું શું હોય છે તેનો અભ્યાસ કરવો હતો. તેમણે ઘણાં વર્ષો આફ્રિકાનાં જંગલોમાં ગાળ્યાં હતાં. તેમણે જોયું હતું કે ચિમ્પાન્ઝી માત્ર ફળ ખાતાં નથી, માંસ પણ ખાય છે, સાધનોનો ઉપયોગ પણ કરે છે, અને તેમનાં પણ અલગ-અલગ વ્યક્તિત્વ, મિત્રતા અને સંબંધો હોય છે. 

ગુડોલ પહેલી સંશોધક હતી જેણે જોયું હતું કે ચિમ્પાન્ઝી ઘાસની કડક પાંદડીઓ કાઢીને તેમને ઉધઈના દરમાં ઘુસાડતા હતા જેથી કીડાઓને પકડીને ખાઈ શકે. આ શોધ તે સમયે વૈજ્ઞાનિકો માટે ક્રાંતિકારી હતી કારણ કે ત્યાં સુધી એવું જ મનાતું હતું કે ઓજારો બનાવાની ક્ષમતા માત્ર મનુષ્યો પાસે જ છે.

શરૂઆતમાં જેનની પદ્ધતિની ટીકા પણ થઈ હતી, પરંતુ સમય જતાં તેમનું સંશોધન વિશ્વનો સૌથી લાંબો અને સૌથી વિગતવાર જંગલી અભ્યાસ પ્રોજેક્ટ બની ગયો. જેને ચિમ્પાન્ઝીઓને નંબરને બદલે નામો આપ્યાં હતાં અને તેમની દરેક ક્રિયા અને વર્તનનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું કરીને વિજ્ઞાનની દુનિયામાં નવો દૃષ્ટિકોણ આણ્યો હતો અને પ્રાણીઓ પ્રત્યેના લોકોના અભિગમને બદલ્યા હતા.

જેન 1965માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ ગુડોલ અને જંગલી ચિમ્પાંઝી’થી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયાં હતાં, જેને નેશનલ જ્યોગ્રાફિક દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. એક મહિલા જંગલમાં દિવસોના દિવસો સુધી રહે, અનેક પડકારોનો સામનો કરે, ચિત્ર-વિચિત્ર જનાવરો સાથે પનારો પાડે, ચિમ્પાન્ઝીઓ સાથે દોસ્તી કરે તે વાત આજે પણ નવાઈભરી છે.

ગુડોલે તે સમયની પ્રચલિત વૈજ્ઞાનિક રીતોને કિનારો કરીને પોતાની રીતે અને ખુલ્લા મનથી જંગલમાં અભ્યાસ કર્યો હતો. આ લેખ સાથે તેમની એક જગવિખ્યાત તસ્વીર છે, જે તેમના પતિ ડચ ફોટોગ્રાફર હ્યુગો વાન લાવિકે 1964માં લીધી હતી.

તેમાં ગુડોલ સાથે એક બાળ ચિમ્પાન્ઝી સાથે છે, જેને તેમણે ફ્લિન્ટ નામ આપ્યું હતું. તસ્વીરમાં, ગુડોલ ઝુકીને બેઠાં છે અને જમણો હાથ ફ્લિન્ટ તરફ લંબાવે છે. ફ્લિન્ટ તેનો ડાબો હાથ આગળ ધરે છે. આ તસ્વીર જ્યાં લેવામાં આવી હતી તે ગોમ્બે વિસ્તારમાં ગુડોલના પછી આવનારો આ પ્રથમ ચિમ્પાન્ઝી હતો. 

2023માં બી.બી.સી. સાથે વાતચીતમાં, ગુડોલે સમજાવ્યું કે આ ડિજિટલ ફોટોગ્રાફીના યુગ કરતાં ઘણી પહેલાની વાત હતી, એટલે તેને પ્રિન્ટ કરેલી તસવીરો જોવા માટે ઘણો સમય રાહ જોવી પડી હતી. “ઇન ફેકટ, મહિનાઓ લાગ્યા હતા,” તેમણે કહ્યું હતું, “કારણ કે એક્સ્પોઝ્ડ રોલ્સને પ્રોસેસિંગ માટે નેશનલ જિયોગ્રાફિકને મોકલવામાં સમય લાગ્યો હતો અને તેમણે પ્રિન્ટ્સ પાછી મોકલી તેમાં સમય ગયો હતો. મેં તસ્વીર જોઈ ત્યારે મને અંદાજ નહોતો કે આ યાદગાર બની જશે, પરંતુ તેણે મને માઇકલએન્જલોના એ પેઇન્ટિંગની યાદ અપાવી જેમાં ભગવાન હાથ લાંબો કરીને માનવ તરફ ઝુકે છે.”

આ તસ્વીરે લોકોને સ્ત્રીના સંશોધનાત્મક દૃષ્ટિકોણના મહત્વને સમજવામાં મદદ કરી. જેને સાબિત કર્યું હતું કે એક યુવાન મહિલા પણ આવું વિશેષ પ્રકારનું સંશોધન કરી શકે છે. તે સમય સુધી, પર્યાવરણ મોટાભાગે પુરુષપ્રધાન હતું. જેન ગુડોલનું કામ જોયા પછી ઘણી હાઈ-પ્રોફાઇલ મહિલાઓ આગળ આવી હતી.

જેન ગુડોલનો જન્મ 1934માં લંડનમાં થયો હતો. બાળપણથી જ તેમને પ્રાણીઓમાં બહુ દિલચસ્પી હતી. ચાર વર્ષની ઉંમરે, જ્યારે તેમણે પ્રથમ વખત મરઘીને ઇંડા આપતી જોઈ હતી, ત્યારે તેમની જિજ્ઞાસા વધુ ગાઢ બની. યુવાવસ્થામાં, તેમણે પ્રાણીઓ વચ્ચે રહેવા અને તેમના વિશે લખવા માટે આફ્રિકા જવાનું સપનું જોયું હતું. 1960માં, પ્રખ્યાત માનવશાસ્ત્રી લુઇસ લીકીની મદદથી, તેઓ તાંઝાનિયા પહોંચ્યાં અને તેમના ઐતિહાસિક સંશોધનની શરૂઆત કરી હતી. 

તેમના પરિવાર પાસે તેમને કોલેજ મોકલવા માટેની તાકાત નહોતી, એટલે તેમને ટાઈપિંગ અને શોર્ટહેન્ડ જેવી તાલીમ આપતી સ્કૂલમાં મુકવામાં આવ્યાં હતાં. તેમણે ઑક્સફર્ડમાં કામ કર્યું અને પછી લંડનમાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ કંપની માટે કામ કર્યું. 1956ના વેકેશનમાં ઘરે આવીને તેમણે વેઈટ્રેસનું કામ કર્યું હતું જેથી કેન્યા સુધી સમુદ્રી પ્રવાસ માટે પૈસા ભેગા થાય.

ગુડોલ કોઈ ઔપચારિક લાયકાત વગર, માત્ર પ્રકૃતિના પ્રેમના બળે, પૂર્વી અફ્રિકા ગયાં હતાં અને તેમણે ગોમ્બેમાં બે દાયકાથી વધુ સમય સુધી રહીને ચિમ્પાંઝીઓનો અભ્યાસ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

લગભગ સાત દાયકાઓ લાંબી કારકિર્દીમાં, ડૉ. ગુડલે આપણને ચિમ્પાન્ઝીઓની અદ્ભુત બુદ્ધિમત્તાનો પરિચય કરાવ્યો હતો, પરંતુ વધતી ઉંમર સાથે બહેતર રીતે કેમ જીવી શકાય તે પણ શીખવ્યું હતું.

ડૉ. ગુડોલ વર્ષમાં અંદાજે 300 દિવસ મુસાફરી કરતાં હતાં અને તેમના કામ મારફતે આશાનો સંદેશો આપતાં હતાં. તેમના માટે નિવૃત્તિ જેવી કોઈ ધારણા નહોતી. ‘હેલ્થી ટૂ 100’ નામના પુસ્તકના લેખક કેન સ્ટર્ન કહે છે કે દુનિયાભરમાં લાંબા આયુષ્યવાળા લોકોના અભ્યાસ પરથી સાબિત થાય છે કે જે લોકો લાંબી ઉંમર સુધી કામ કરે છે, તેઓ સામાન્ય રીતે વધુ જીવે છે. “આપણે સામાન્ય રીતે કામને સ્ટ્રેસ સાથે જોડીએ છીએ,” સ્ટર્ન કહે છે, “પણ વાસ્તવમાં, મોટી ઉંમરે કામ કરવું સ્વસ્થ અને લાંબી આવરદા માટે લાભકારક છે.”

ગુડોલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું ઘરે હોઉં ત્યારે જ કામ નથી કરતી. સાંજ હું મારી બહેન અને પરિવાર સાથે વિતાવું છું. અને ત્યાં કોઇપણ કૂતરો હોય તો ફરવા લઇ જાઉં છું. મારી પાસે શોખ માટે સમય નથી. વીકએન્ડ કે રજા શું કહેવાય તે પણ ખબર નથી. મિટિંગ કરું છું, ઇન્ટરવ્યુ આપું છું, લેકચર આપું છું, લોકો સાથે વાતો કરું છું. આ જ મારું જીવન છે. હું મારા આરોગ્ય વિશે ચિંતા કરતી નથી, હું ફક્ત જીવી રહી છું.”

અવસાનના થોડા વખત પહેલાં એક અન્ય ઇન્ટરવ્યુમાં જેન ગુડોલે કહ્યું હતું, “ફિલસૂફીની દૃષ્ટિએ, તમે જેટલું લાંબુ જીવો એટલું બધું શીખો અને મને એવો દિવસ જોવો નથી જ્યાં હું કશું શીખી ન શકું – ભલેને સામાન્ય ચીજ હોય.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૩૨) 

સુમન શાહ|Opinion - Opinion|13 October 2025

સવાલ થાય કે માણસને આજે સાહિત્યકલા અને તેના મહિમાની જાણ છે ખરી. નોબેલ ઇનામ વિશ્વના જ્ઞાની-વિજ્ઞાનીઓ અને સાહિત્યકારોને દર વર્ષે અપાય છે એના સમાચારો એના સુધી પ્હૉંચે છે ખરા? પ્હૉંચે એ માટે એના કાન-આંખો ખુલ્લાં છે ખરાં? આ સવાલોના જવાબ રૂપે એક સાર્વત્રિક અજ્ઞાનની લહર અનુભવાય છે. ઇન્ફો એજમાં એ લહર અસ્વાભાવિક લાગે છે.

૨૦૨૫નું સાહિત્ય માટેનું નોબેલ હંગરીના સાહિત્યકાર László Krasznahorkai(1954 – )ને એનાયત થયું એ ઘટના અને અનોખી નવલકથાઓના એ સર્જક લાઝ્લો ક્રાઝ્નાહોર્કાઈની સૃષ્ટિ સંદર્ભે સ્વીડિશ અકાદમીએ કહ્યું કે for his compelling and visionary oeuvre that, in the midst of apocalyptic terror, reaffirms the power of art, એ ઉક્તિ ધ્યાનપાત્ર છે.

બાબુ સુથારે એ વિશે તરત અર્થપૂર્ણ નૉંધ લીધી એની આપણે સૌએ નૉંધ લેવી ઘટે છે. 

સ્વીડિશ અકાદમીના વિધાનનો મતલબ છે : લાઝ્લોની સૃષ્ટિમાં એવું વિચારણીય દર્શન છે કે ત્રાસ-સંત્રાસના આ apocalyptic સમય વચ્ચે કલાની સત્તાને એ એક વાર ફરીથી સુદૃઢ કરે છે. 

લાઝ્લો ક્રાઝ્નાહોર્કાઈ

પ્રતિભાવમાં લાઝ્લોએ એવા મતલબનું કહ્યું કે literature offers a way to survive “these very difficult times on Earth,” and that without reading, life would be “absolutely different.” એટલે કે ધરતી પરના આ કઠોર સમયમાં ટકી રહેવા માટેનો એક જ ઇલાજ વાચન છે, અને એથી જીવન ત્યારે સાવ જ જુદું અનુભવાશે.

‘ઍપોકલિપ્સ’ એટલે ગ્રીક મૂળ અનુસાર, પ્રાગટ્ય; એવું પ્રાગટ્ય જેમાં છુપાયેલા સત્યનો આપણને સાક્ષાત્કાર થતો હોય છે. આજકાલ ‘ઍપોકલિપ્સ’ સંજ્ઞા એવા મતલબ માટે પણ પ્રયોજાય છે કે એક એવું ભયાનક સંકટ કે દુર્ઘટના, જે સર્વનાશ અને વિશ્વના અન્તની આગાહી કરે છે. જાણીતું છે કે ‘ગીતા’-માં કૃષ્ણ સર્વનાશની સંભવિતતા સૂચવીને અર્જુનને એ મહાસંકટનો સાક્ષાત્કાર કરાવી શકેલા, જેને પરિણામે અર્જુન સ્વધર્મની સ્મૃતિને પુન:પ્રાપ્ત કરી શકેલો. લાઝ્લોની નવલકથાઓ એવી જ કશીક પ્રાપ્તિ માટે વાચકોને સંકોરે છે, સંડોવે છે.

વાત એમ છે કે સુખ્યાત વિદુષી સદ્ગત સુસાન સૉન્ટાગે વરસો પર લાઝ્લોને મહાસંકટ-પ્રાગટ્યના માસ્ટર કહેલા – the contemporary Hungarian master of apocalypse. લાઝ્લો વિશેના અનેક પ્રોફાઇલ્સ અને લેખોમાં આ સંકેતનો ઉલ્લેખ થયેલો છે, જે હવે સ્વીડિશ અકાદમીના વિધાનમાં પણ પ્રગટ્યો. સુસાને આ સંકેત લાઝ્લોની નવલકથાઓના અંગ્રેજી અનુવાદો સંદર્ભે, ખાસ તો, The Melancholy of Resistance અને War and War સંદર્ભે, ૨૦૦૦ આસપાસ કરેલો. મને એમાં સુસાનની એક સાહિત્યચિન્તક તરીકેની વિલક્ષણ પ્રતિભાની ઓળખ મળે છે.

લાઝ્લો યુરપની યુદ્ધોત્તર પેઢીના મહત્ત્વના સાહિત્યકાર છે. એમણે એકહથ્થુવાદી શાસનો અને સાંસ્કૃતિક પતનનો ઇતિહાસ માત્ર જાણ્યો નથી, પણ જીવી જાણ્યો છે.

મને લાઝ્લોની રચનાઓ વાંચવાની તક નથી મળી. સમાચારો અને લેખોને આધારે એમની વાત જરૂર થઈ શકે, પણ એમના સર્જન કે દર્શન વિશે હું હાલ કશું જ ન કહું કેમ કે સર્જનનાં ભાવન અને રસાનુભવ વિના કહેવું કે લખવું મારી દૃષ્ટિએ પ્રજ્ઞાપરાધ છે.

પરન્તુ લાઝ્લોનું દૃષ્ટાન્ત એક તરફથી વસ્તુ અને રૂપની – content અને formની – પરમ્પરાગત ચર્ચાને દૃઢ કરે છે, સમજાવે છે કે દર્શન અને સર્જનનું કલામય સાયુજ્ય અને તેની એકરૂપતા શું હોઈ શકે. એ પરોક્ષપણે સર્જકના ધર્મને તેમ જ તેના સર્જનકર્મને સૂચવે છે. સર્જક પોતાની સર્જકતાને પ્રતાપે સમગ્ર માનવસભ્યતામાં જામેલી કોઈપણ સિસ્ટમ વિશે પ્રશ્ન કરે, પ્રતિકાર કરે, તેને નકારે, અને કલારૂપ આપે એ સાહિત્યકલાની દુનિયાનો પાયો છે. એ અર્થમાં સર્જક સાત્ત્વિક વિદ્રોહી છે, પુણ્યપ્રકોપનો અધિકારી છે. લાઝ્લોની સૃષ્ટિના અનુભવીઓ કહી શકે કે તેઓ એ અધિકારના પૂરા અધિકારી છે. 

પણ બીજી તરફથી, લાઝ્લોનું દૃષ્ટાન્ત વાચકસમાજને પણ તેના ધર્મ ચીંધે છે. આપણે વાચકો પ્રસિદ્ધ દુરિતોને ઓળખીએ, માનવીય આન્તર-વેદના અને અસ્તિત્વ સામે ઊભા થયેલા ભયના વિધ વિધના કર્તાઓને અને તેમણે રચેલી સત્તાકીય ગતિવિધિઓને ઓળખીએ. લોકશાહો બહુમતિના જોરે મનઘડંત નિર્ણયો લઈને સિદ્ધ અને નીવડેલા પણ તેથી પ્રેરક માનવીય દ્રવ્યનો હ્રાસ કરી રહ્યા છે, એ દુ:સ્વપ્નને જાણીએ. એ દુ:સ્વપ્નના વિદારણ માટે જમણેરી-ડાબેરી પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે ખરી પણ ધ્યાન રહે કે એનું ય રાજકારણ છે. 

કહેવાય છે કે લાઝ્લોના નાયકો ભાષા, તર્ક અને શ્રદ્ધાઓનો ધ્વંસ અનુભવતા હોય છે; આજે પ્રત્યેક માણસ પણ એ જ અનુભવે છે. કેટલીયે વ્યક્તિઓ અંધાધૂંધી એકલતા અને અસંગતિ કે અર્થહીનતાનો સામનો કરી રહી છે. લાઝ્લો કલાની સત્તાએ જોઈ શકેલા કે મનુષ્યજાતિ એથી ત્રાસ-સંત્રાસ વેઠી રહી છે, અને તેઓ સૂચવે છે કે તેનો સાક્ષાત્કાર કરીએ.

લાઝ્લોના કોઈપણ વાચકે જાતને પૂછવાની જરૂર છે કે પોતે એ ધ્વંસનો શિકાર બન્યો છે કે કેમ. એવું આત્મનિરીક્ષણ કશોક બોધ જનમાવશે, જેને સાહિત્યશાસ્ત્રીઓ ‘કાન્તાસમ્મિત ઉપદેશ’ કહે છે. 

કલાસર્જન જેવી કાન્તા એકે ય નથી, લાઝ્લોની સૃષ્ટિ એનું દૃષ્ટાન્ત ભાસે છે.  

 = = =

(121025A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દેશમાં વડાપ્રધાન કેટલા છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 October 2025

રવીન્દ્ર પારેખ

ભારતમાં વડા પ્રધાન એક જ છે ને તે છે આદરણીય નરેન્દ્ર મોદી, પણ મોદી ન વર્તે એવી રીતે બની બેઠેલા ઘણા નેતાઓ અને લોકો વડા પ્રધાન તરીકે વર્તતા જણાય છે. એવું નથી કે ભારતમાં કંઇ થતું નથી, થાય છે ને ઘણું થાય છે. એ હકીકત છે કે ભારતના વિદેશો સાથેના સંબંધોમાં ઘણો સુધાર થયો છે. આ જ વડા પ્રધાનને એક કાળે અમેરિકા નકારતું હતું ને હવે સ્થિતિ એ છે કે અમેરિકા ભારતનો એકડો કાઢી શકે એમ નથી. અત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી છે. નથી મોદીનો પૂરો સ્વીકાર કરી શકતા કે નથી મોદીનો એકડો કાઢી શકતા. 48 વખત ટ્રમ્પ બોલી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ તેમણે પોતે કરાવ્યું છે ને બીજાને ગળે ઊતરે કે ન ઊતરે, પોતાને જ ઠસાવવા ટ્રમ્પ હજી બે’ક વખત બોલીને હાલ્ફ સેન્ચુરી કરે તો નવાઈ નહીં. ભારત એ સ્વીકારતું નથી, એટલે ટ્રમ્પ છાશવારે ટેરિફની ધમકી આપ્યા કરે છે. મોદી પણ પવન જોઇને વહાણ હંકારે છે. ટૂંકમાં, નોંધ લીધા વગર કોઈ દેશને ન ચાલે એવું વાતાવરણ ભારતે વિશ્વમાં ઊભું કર્યું છે.

તો, દેશમાં પણ ઘણું થઈ રહ્યું છે. તાજા જ સમાચાર ‘મિસિસ યુનિવર્સ’નો તાજ ભારતની શેરી સિંહને મળ્યાના છે. 7 વર્ષના દીકરાની માતા શેરી સિંહે ‘મિસિસ યુનિવર્સ’નો તાજ પહેરીને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. બીજી તરફ રાજરાણી કોચિંગ સંસ્થાના ફેશન શોમાં 7,000થી વધુ લોકોએ ભાગ લઈ ફેશન જગતમાં નવો વિશ્વ વિક્રમ કર્યો ને તેની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવાઈ. રાષ્ટ્રપતિએ ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહી 71૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. આ વખતે ‘ફિલ્મફેર એવોર્ડ’ અમદાવાદમાં યોજાયો અને અનેક ફિલ્મી હસ્તીઓની વચ્ચે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ‘લાપતા લેડીઝ’ને મળ્યો. આ ઉપરાંત એ ફિલ્મને બીજા 11 એવોર્ડ્સ મળ્યા, જેમાં સંવાદ માટેનો એવોર્ડ એક ગુજરાતણ સ્નેહા દેસાઈને મળ્યો. બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ કિરણ રાવને ‘લાપતા લેડીઝ’ માટે અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે અભિષેક બચ્ચનને અપાયો, જયારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ‘જિગરા’ માટે આલિયા ભટ્ટને જાહેર થયો.

અમેરિકી રાજદૂતે પણ જાહેર કર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીને ખાસ મિત્ર માને છે. ટ્રમ્પ પોતે પણ મોદીને વખાણતા રહે છે, તો મોદી પણ લાગ જોઇને સોગઠી મારતા રહે છે. તાજેતરમાં જ મોદીએ ઊંઝા APMC ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ખેડૂતો માટે 42,00૦ કરોડની યોજનાઓ ખુલ્લી મૂકી. ગયા શનિવારે ઓછું પ્રદર્શન કરતાં 100 જિલ્લાઓમાં મોદીએ કઠોળના ઉત્પાદનને વેગ આપવા અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં સુધારો કરવા 35,440 કરોડની બે મુખ્ય કૃષિ યોજનાઓ શરૂ કરી. કહેવાનું એ છે કે દેશમાં અનેક યોજનાઓ આમ વખતોવખત જાહેર થતી રહે છે. કોઈ દેશ 81.5 કરોડ લોકોને મફત અનાજ આપતો નથી, ભારત આપે છે. એ સારી જ વાત છે, પણ મફત અનાજ મેળવનારાઓ હવે કામ કરવા તૈયાર નથી. કેટલાક વિસ્તારોમાં નાનું કામ કરનારાઓ એટલે મળતા નથી, કારણ મફત અનાજથી ધરાયેલા લોકો આળસાઈ ગયા છે.

એ પણ છે કે કેટલાક મંત્રીઓ, સાંસદો, વિધાયકો, કાર્યકરો બેફામ લવારા કરે છે, પણ એટલાથી વાત અટકતી નથી. હવે તેઓ છુટ્ટા હાથની મારામારી કરવામાંયે શરમાતા નથી. વડા પ્રધાનને નથી લાગતું કે પોતે વડા પ્રધાન છે, પણ કેટલાક મંત્રીઓ, સાંસદો પોતે વડા પ્રધાન હોય તેમ મનસ્વી રીતે વર્તી રહ્યા છે. તેમની ભાષામાં સ્વસ્થતા નથી. તેમના વર્તનમાંથી ગૌરવને બદલે ગર્વ પ્રગટે છે. ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી વિષે તો એવું પણ કહેવાયું છે કે તેઓ કાર્યકારી વડા પ્રધાનની જેમ વર્તી રહ્યા છે અને વડા પ્રધાને તેમનાથી ચેતવું જોઈએ. આશ્ચર્યજનક વાત એ છે કે વડા પ્રધાન તેનાથી અજાણ નથી. આવું તો ઘણું છે. વડા પ્રધાન નથી વર્તતા એવી ઉદ્ધતાઈથી શાસકો વર્તી રહ્યા છે. આ બધા પછી પણ ભારત દુનિયાની નજરમાં વિકાસ કરી રહ્યો છે ને એ કેટલીક હદે સાચું પણ છે, પણ દેશની અંદર રહેલી જનતાને લાગે છે કે છે ત્યાં ઘણું છે ને નથી ત્યાં ઘણું પોલું છે.

142 કરોડથી વધુ વસ્તી ધરાવતા દેશમાં એક તરફ અનેક શિક્ષિતોને પાત્રતા છતાં નોકરી નથી અને બીજી તરફ નોકરી કરતા કર્મચારીઓની છટણીની વાતો છે. કાલના જ સમાચાર છે કે ટી.સી.એસ. સહિતની આઈ.ટી. કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. એ રીતે 50,000 કર્મચારીઓ પર નોકરીનું સંકટ ઊભું થયું છે. બીજું બધું તો સમજ્યા, સેનામાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. આ કમી રાખીને આપણે આતંકીઓ અને ઘૂસણખોરોને તક આપવાની છે? દેશ વિકાસ કરી રહ્યો છે, તો તે અનેક જગ્યાઓ ખાલી રાખીને જ પ્રગતિ કરવાનો છે? એ તો ખરુંને કે સરહદ સાચવવા સૈનિકો જોઈએ, ગુનાખોરી રોકવા પોલીસ જોઈએ, ન્યાય માટે જજ જોઈએ, પણ દસ લાખની વસ્તી પર ખાલી 15 જજો છે. ભણાવવા શિક્ષકો જોઈએ, ત્યાં 2017થી હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી જ છે. વળી શિક્ષકો છે, ત્યાં શિક્ષણ સિવાયની 56 સરકારી કામગીરીઓ કરાવવામાં આવે છે. આ કામગીરીઓ કારકૂનો રાખીને કરાવી શકાય. એમ થાય તો અનેક બેકારોને કામ મળે ને શિક્ષક વર્ગખંડમાં ભણાવી શકે, પણ એમ થતું નથી. યુનિવર્સિટીમાં અધ્યાપકોની 75 ટકા જગ્યાઓ ખાલી છે. ભરતીની જાહેરાતો તો થાય છે, પણ જગ્યાઓ ખાલી રહે છે. આમ બધી જગ્યાઓ ખાલી રાખવાથી જ વિકાસ થશે એવું સરકારને કેવી રીતે લાગે છે તે નથી સમજાતું. સરકારને એની ચિંતા ન હોય તો પણ, નોકરી ન મળવાને કારણે ઘણાં કુટુંબનો નિભાવ મુશ્કેલ થાય છે ને હતાશ વ્યક્તિ આત્મહત્યા કરે છે કે કુટુંબની સામૂહિક હત્યા કરે છે. આ બધું રોકી શકાય એમ છે, પણ સરકાર નોકરી ન આપીને ઘણાં કુટુંબોનું જીવવું હરામ કરી રહી છે. આ ઠીક નથી. ગમ્મત તો એ છે કે ગુજરાતના સચિવાલયમાં નવા અધિકારીઓની ભરતી કરવાને બદલે નિવૃત્ત અધિકારીઓને જ એક્સ્ટેન્શન આપીને કામ કઢાઈ રહ્યું છે. એમ લાગે છે સચિવાલય વૃદ્ધાશ્રમમાં ફેરવાઈ રહ્યું છે.

ચિંતા ઉપજાવનારી બીજી એક સ્થિતિ છે, તે કોમી વૈમનસ્યની. સરકાર એમાં કેટલી સક્રિય છે તે નથી ખબર, પણ રાજકીય અને ધાર્મિક સંગઠનો દ્વારા બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય વધતું જ રહે એને માટે જે મહેનત થાય છે તે અટકવી જોઈએ. એમાં સામાન્ય નાગરિકો, પક્ષના કાર્યકરો ઉશ્કેરણી કરવાના સભાન પ્રયત્નો સોશિયલ મીડિયામાં કરે છે. એમાં પણ કેટલુંક દેખાદેખી ચાલે છે. આવેલા મેસેજ જોયા મૂક્યા વગર ફોરવર્ડ કરવાની એક પ્રથા પડી છે. આજે તો આખી ફોરવર્ડિયા સંસ્કૃતિ પેદા થઈ છે. તેને ખબર જ નથી કે તે શું કરી રહી છે ને તેનાં સંભવિત પરિણામો કેવાંક હોઈ શકે છે ! એક કોમ બીજી કોમ વિષે જે ઝેર ઓકે છે તેનાથી તેઓ ઇચ્છે તેવાં પરિણામ આવે એમ નથી, કમ સે કમ તેમનાથી તો આવે એમ જ નથી, છતાં બધું ફોરવર્ડ કરતાં રહે છે ને તે કોઈ રીતે ઉપકારક થી જ ! જે આવે છે તે કોઈ આવેલા કે પોતે સર્જેલા વીડિયો પર પોતાની તીખી ટિપ્પણીઓ, સલાહો, ઉપદેશો ઠપકારવા લાગે છે ને દેશસેવાનું મહાન કાર્ય કર્યું હોય તેવા વહેમમાં રાચે છે. પોતે વડા પ્રધાન હોય કે દેશનેતા કે ધાર્મિક વડા હોય તેમ ઉશ્કેરણીજનક નિવેદનો કરતાં રહે છે, ત્યારે સવાલ થાય કે દેશમાં વડા પ્રધાન કેટલા છે? આવાં નિવેદનોથી કોઈ સેવા તો થતી નથી, હા, વૈમનસ્ય જરૂર વધે છે. આનાથી રાજકીય કે ધાર્મિક હેતુઓ ભલે સરતા હોય, પણ સામાન્ય માણસ ભયભીત થાય છે, તેને કુટુંબની ચિંતા રહે છે. સાચું તો એ છે કે દેશમાં સ્વસ્થતા નથી. એક વર્ગ સરકારી અને ધાર્મિક પ્રચારથી સંતુષ્ટ છે, તો બીજો એક વર્ગ ચોક્કસ પ્રકારના ભય અને ઉચાટમાં જીવે છે. આ અસલામતી દૂર થવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઑક્ટોબર 2025

Loading

...102030...61626364...708090...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved