Opinion Magazine
Number of visits: 9663187
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો

હેમંતકુમાર શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|28 November 2025

હેમન્તકુમાર શાહ

ગુજરાતમાં થરાદના નાગરિકોએ જંગી સરઘસ કાઢીને દારૂ અને ડ્રગ્સ સામે મોરચો માંડ્યો, તેનાથી રાજ્ય સરકારને, પોલિસને અને શોખ ખાતર દારૂ પીતા લોકોને એ ખ્યાલ આવવો જોઈએ કે એકંદર આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને દારૂબંધી જોઈએ જ છે. એમને તો કદાચ એવી ખબર પણ ન હોય કે બંધારણમાં માદક દ્રવ્યો પર પ્રતિબંધ મૂકવાનો ઉલ્લેખ કરાયેલો છે. 

એનાં બે મહત્ત્વનાં કારણો છે :

(૧) આર્થિક કારણ : 

દારૂની ખરીદી પાછળ પૈસા વેડફાય છે કે જે પૈસાનો ઉપયોગ કુટુંબ માટે અન્ય વપરાશી ચીજોની ખરીદી પાછળ થઈ શકે. ઉપરાંત, દારૂ પીને ઘણા પુરુષો પરિવાર માટે કમાણીનું કામકાજ કરવાનું ભૂલી જાય છે. એટલે એક તરફ કમાણી ગુમાવાય છે અને બીજી બાજુ હાનિકારક ખર્ચ થાય છે. 

(૨) સામાજિક કારણ : 

દારૂ ઢીંચીને પુરુષો પરિવારના લોકો સાથે અને ખાસ કરીને મહિલાઓ તેમ જ બાળકો સાથે મારામારી કરે છે. તેને લીધે પારિવારિક શાંતિ જોખમાય છે. આ સમસ્યા શોખ ખાતર દારૂ પીતા લોકોને બહુ મહત્ત્વની ન પણ લાગે. 

જો આ બે કારણો ન હોત તો થરાદમાં આટલા બધા લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રસ્તા પર આવત જ નહીં. પણ શું આ સવાલ માત્ર થરાદના નાગરિકોનો કે બનાસકાંઠાના નાગરિકોનો જ છે? ના. એ તો ગુજરાતના ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના તમામ પરિવારોનો છે. અને આવા પરિવારોની સંખ્યા ગુજરાતમાં આશરે ૭૦ લાખ તો છે જ. કારણ કે રાજ્ય સરકારનો દાવો છે કે તે એટલા લોકોને દર મહિને પાંચ કિલોગ્રામ અનાજ મફત આપે છે. આ સંખ્યા એટલે ગુજરાતની અર્ધી વસ્તી થઈ. 

એટલે દારૂબંધીનો મુદ્દો ફક્ત આર્થિક નથી પરંતુ સામાજિક પણ છે. દારૂ ન પીવો એ એક સામાજિક મૂલ્ય પણ છે એ રાજ્ય સરકારે અને તેનો ભાગ ગણાતી પોલિસે સમજવું જોઈએ. 

દારૂ ન પીવાથી લોકોનું સામાજિક અને આર્થિક કલ્યાણ થતું હોય તો એવું કલ્યાણ થાય તે માટે દારૂબંધી લાદવાની જવાબદારી સરકારની છે એમ બંધારણની કલમ-૪૭ કહે છે. આ જ કલમમાં બંધારણ એમ પણ કહે છે કે “રાજ્ય તેના લોકોનું પોષણ અને જીવનધોરણનું સ્તર ઊંચું લાવવાને અને જાહેર આરોગ્યની સુધારણાને પોતાની એક પ્રાથમિક ફરજ ગણશે.”

આમ, ભારત નામના નાગરિકસતાક દેશના બંધારણના આંબેડકર, નેહરુ અને સરદાર પટેલ સહિતના ઘડવૈયાઓએ પોષણ, જાહેર આરોગ્ય અને જીવનધોરણ એમ ત્રણ બાબતો સાથે દારૂનું સેવન અને અન્ય માદક દ્રવ્યોની વપરાશ ન થાય તેને એક જ કલમમાં સાથે મૂક્યાં છે. એનો સ્પષ્ટ અર્થ એ છે કે એ બધું અને માદક દ્રવ્યો પરનો પ્રતિબંધ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલાં છે.

ગુજરાતમાં દારૂબંધી છે કારણ કે એ બંધારણ પણ કહે છે. મહાત્મા ગાંધી દારૂબંધી ઇચ્છતા હતા કે નહીં તે તો અહીં મહત્ત્વનું છે જ નહિ, બંધારણ કહે છે એ યાદ રાખો. 

જો કે, મહાત્મા ગાંધીએ તો એમ કહેલું કે, “જો મને એક કલાક માટે પણ આખા હિંદનો સરમુખત્યાર નીમવામાં આવે તો સૌથી પહેલું કામ હું એ કરું કે દારૂના એકેએક પીઠાને કશું વળતર આપ્યા વિના બંધ કરી દઉં.” વળી, ગાંધીએ “હરિજન કાર્યકર્તાઓએ પોતાની સર્વ શક્તિ નીચેનાં કામોમાં ખર્ચવી જોઈએ” એમ લખીને છ કામો ગણાવેલાં અને એમાં ચોથું કામ લોકોને “માદક પીણાં છોડાવવાં” એમ લખેલું. 

જિગ્નેશ મેવાણી તો બંધારણની કલમ-૪૭નો અને દારૂબંધી અંગેના ગુજરાતના કાયદાનો અમલ થાય તેની માગણી કરે છે. એમાં વળી શું ખોટું છે? જિગ્નેશ પોલિસ પર ગુસ્સે થાય છે તેનું કારણ એ છે કે પોલિસ કાયદા મુજબ વર્તતી નથી અથવા તો પોલિસને એનું કામ રાજનેતાઓ દ્વારા કરવા દેવામાં આવતું નથી. 

હવે હર્ષ સંઘવી કાયદાનો અમલ પોલિસ પાસે કરાવે તો જ તેઓ લોકશાહીના સંસ્કારી નેતા બને. થરાદના નાગરિકો આટલું જ કહે છે અને એટલું કહેવાનો તો એમને બંધારણલિખિત અધિકાર છે જ. 

તા.૨૭-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ના, એ સવાર આ તો નથી : સંવિધાન, તું ક્યાં  છો, ભલા?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 November 2025

બંધારણ દિવસ

દેશનું વાસ્તવિક ચિત્ર શું છે?

બેલ એ નિયમ ને જેલ એ અપવાદ, એ સોનેરી સુવાક્ય અભરાઈએ અંગડાઇ લેતું હોય તો ભલે, અહીં લોક સારુ ઊભવું ને બોલવું એ સ્વતઃ સિદ્ધ અપરાધ હોઈ શકે છે 

પ્રકાશ ન. શાહ

સંવિધાન દિવસનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે દેશનું વાસ્તવચિત્ર શું છે? 1977ના માર્ચમાં જ્યારે કથિત ‘બીજા સ્વરાજ’નો આનંદ મનાવાતો હતો, ત્યારે કેટલીક બાબતોમાં આમૂલ તપાસ અને ફેરવિચારની એક પ્રક્રિયા શરૂ થઈ હતી તે આ ક્ષણે સાંભરે છે. આપણી જેલોમાં અંડર ટ્રાયલ કેટલા છે, અને કેટલા સમયથી તે જેલબંધ છે. તપાસનો નતીજો જાડી છાપની રીતે કહેતાં સીધોસાદો એ હતો કે જે પ્રકારના ‘ગુના’ સબબ હજારો લોકોને જેલમાં ગોંધી રખાયા છે, હજુ જેમના પર કામ ચલાવી નિકાલ નથી અણાયો તે પૈકી અધઝાઝેરા કે કદાચ એથીયે વધુ તો એટલા લાંબા ગાળાથી છે કે જો સજા થઈ હોત તો ક્યારનાયે છૂટી ગયા હોત. આવી તપાસ આજે, સને 2025માં હાથ ધરાય તો તત્ત્વતઃ કદાચ જુદું કંઈ કહેવાનું રહે જ નહીં. માનો કે થોડો સુધારો થયો હોય તો તે દરિયામાં ખસખસ જેટલો એટલે કે નામ કે વાસ્તે હોય તો હોય. 

નાગરિકશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં વળી હર પાઠ્યપુસ્તકપ્રિય રહ્યો છે. દાખલો દાયકાઓ સુધી અપાતો રહ્યો છે. માનવસમાજ એ કેવી મોટી, મૂળભૂત મહત્ત્વની ને જરૂરતની બાબત છે એના નાટ્યાત્મક ગૌરવ જેવો આ દાખલો એક સામુન નામના બાળકનો છે. ન જાણે કેટલી પેઢીઓ એ ભણી ઊતરી હશે. જંગલમાં કુટુંબથી, બચાડું બચ્યું ને જાણે કેટલા મહિનાનું કે બહુ બહુ તો વરસ બે વરસનું, તે છુટુંપડી ગયું. દસબાર વરસથી વયે એને વસ્તીમાં લવાયો ત્યારે એ વાતચીત નહોતો કરી શકતો. માત્ર પશુની પેઠે અવાજ કાઢી વાત કરવાનો કોશિશ કરતો હતો. દેખીતી રીતે જ, સહજ સામાજિક સંપર્કના અભાવનું આ સીધું પરિણામ હતું. અમે અધ્યાપકો આ દાખલાને વળગી પડતા અને મોટે સાદે સમાજના મહિમાનો, મનુષ્યના વિકાસમાં માનવ-માનવ વચ્ચેના સંપર્કનો આરડી આરડીને ઉદ્ઘોષ કરતા …. આગલીપાછલી પેઢીઓની એ જુગલબંદી! કોણ કહે છે, આપણે ત્યાં પરંપરાનું ગૌરવ નથી ?

1977-79ના ગાળામાં જે બધી જેલતપાસ તરેહની કોશિશ ને કારવાઈ થઈ એનો અશ્વિની સરીન જેવા પત્રકારોએ ખુદ અંડરટ્રાયલ બનીને આછો હેવાલ આપ્યો હતો. આ બધા હેવાલોમાં કવચિત કવચિત એવી વિગતો આવતી જે આપણે કઈ હદે હજુ સ્વરાજ ખરેપાત હાંસલ નથી કર્યું એની શરમજનક સાહેદી આવતી. બેજીવાતી ઓરત, ન જાણે ક્યા ને કેવા ‘ગુના’ સબબ જેલમાં ગોંધાઈ હોય. જેલમાં જ બાળકનો પ્રસવ થયો. એ દસબાર વરસનો થયો ત્યાં સુધી આ અંડરટ્રાયલ ઓલાદને બહારની દુનિયા કે સમાજ શું એની કશીયે ખબર ક્યાંથી હોય. વરુબાળ શમુનો દાખલો પેઢાનપેઢી એની એ જ નોટબુકે ઊતરી ઊતરી મુલ્કમશહૂર થઈ ગયો હશે, પણ અંડરટ્રાયલ બેજીવાતીની ઓલાદને એટલાયે ઉલ્લેખનું માન ક્યાંથી? ભલે ને પ્રજાસત્તાક સ્વરાજ હોઈએ, અમારા વર્ગખંડોને વળી આવી તેવી વાતોથી શા વાસ્તે અભડાવીએ. 

કટોકટીરાજ સામે આપણે લડ્યા કેહવાઈએ છીએ અને સંવિધાન હત્યા દિવસને નામે ખાસ ઉજવણાં કરીએ છીએ ત્યારે ‘મિસા’ હેઠળની ‘અધર ધેન એન્ટિસોશ્યલ’ અટકાયતોનો દોર હતો. આજે, નમૂના દાખલ, ભીમા કોરેગાંવ કેસના અટકાયતીઓથી માંડી સોનમ વાંગચૂક સરખા લોકશાહી લડવૈયા ને વિરલ પ્રતિભાને હિસ્સે જેલ છે. રાજદ્રોહથી માંડી નક્સલ પ્રકારનાં ખરાખોટા મુદ્દા ઉછાળતા તંત્રને ન્યાયતંત્રની મુદતિયા શૈલી પણ ખાસી માફક આવી ગયેલ છે. માણસ ખાક થઈ જાય ત્યાં સુધી એને ગોંધી રાખી ‘પુરાવા’ઓ શોધ્યા કરો! ઘણું ખરું તો એ નહીં જન્મેલા બાળકની ભાળનો મામલો હોય તો હોય. ‘જેલ’ નહીં પણ ‘બેલ’, એ અલબત્ત સોનેરી સુવાક્ય! દીવાલે ટિંગાડો, છાપે ચડાવો … બાકી. અભરાઈ માતાની જય હોય.

એક સિનિકની પેઠે લખાયું લાગે, પણ છેવટે એ છે તો એક નાગરિકની નાભિમાંથી નીકળેલી હાય ને હૈયાવરાળ. જે સવાર માટે ગાંધીનેહરુપટેલ કે ભગતસિંહથી માંડી આંબેડકર લગીના લડ્યા હતા, તે આ તો નથી … સંવિધાન, તું ક્યાં છો.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર 2025

Loading

સંવિધાન દિવસ : ઇતિહાસ, વિરાસત અને વર્તમાન પડકારો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 November 2025

આપણે બંધારણના સિદ્ધાંતો અને આંબેડકરના વિચારોને ખરેખર ઊજવીએ છીએ? કે ખરા અર્થમાં સમજીએ છીએ ખરા?

પ્રકાશ ન. શાહ

બરાબર દસ વરસ થયાં આજે ન.મો. સરકારે હર 26મી નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવાનો ચાલ શરૂ કર્યાને. 2015નું વરસ આંબેડકરનું એકસો પચીસમું વરસ હતું એ નિમિત્ત પકડીને ત્યારે સરકારે આ ગેઝેટબદ્ધ જાહેરાત કરી હતી.

સંવિધાન કહેતાં બંધારણ વિશે, એની આણ-આમન્યા-અવકાશ વિશે શાસનકર્તાઓમાં તેમ નાગરિકોમાં પરસ્પર સમજ ને સમાદર રહે તેમ જ યથાપ્રસંગ ભિન્નમત અને વિરોધ સારુ મોકળાશ રહે એ વાસ્તે આ પ્રકારનાં આયોજનોની અવશ્ય એક ભૂમિકા છે. સ્વરાજ લડત સાથે સીધા સંબંધ વગરનાં બળો આજે સત્તારૂઢ છે ત્યારે પશ્ચાદવર્તી ધોરણે તેઓ સુડતાલીસ પૂર્વ સંધાનની કોશિશમાં હોય પણ સ્વાભાવિક જ છે.

જેના ઘડતરમાં આંબોડકરનો અગ્રફાળો હતો તે સંવિધાન અમલમાં આવ્યું 1950ના જાન્યુઆરીની છવ્વીસમીએ. પસાર તો થઈ ગયું હતું આશરે ત્રણેક વરસ જેટલી કવાયત પછી 1949ના નવેમ્બરની 26મીએ. પ્રજાસત્તાક તરીકે વિધિવત અમલમાં આવવાનું થયું તે 1950ના જાન્યુઆરીની 26મીએ, કેમ કે 1929માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે, ત્યારે તો રાષ્ટ્રીય ચળવળવત કાઁગ્રેસે મુકમ્મલ આઝાદીનો ઠરાવ કર્યો એને પગલે 1930થી હર 26મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાનું શરૂ થયું હતું. હાલ શાસનમાં બેસેલ વિચાર પરિવાર, આ બધા છૂટી ગયેલા તાંતણા સાથે જોડાય એથી રૂડું શું.

આંબેડકર 125નું ઓઠું લેવાઈ જ રહ્યું છે ત્યારે એ સંભારવું રસપ્રદ એટલું જ દિશાપ્રદ પણ બની રહેશે કે 26મી નવેમ્બરના પૂર્વ દિવસે, 25મી નવેમ્બરે, એમણે ગૃહમાં શું કહ્યું હતું. એમણે કહ્યું હતું કે રાજકીય સમાનતા, એક માથું – એક મત, અમલમાં આવે છે, પણ આર્થિક સામાજિકતા વિષમતા બરકરાર હોય એનું શું. દેખીતી રીતે જ, બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો તેમ જ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉજાસમાં સમતા ને ન્યાયની બાકી અગર ચાલુ લડાઈનો ઊહાપોહભેર એક સંકેત એમાં પડેલો હતો.

હાલનો સત્તા પરિવાર એટલે કે એના તત્કાલીન પુરોગામીઓ સંવિધાન નિર્માણની પ્રક્રિયા પરત્વે શું વિચારતા હશે? સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ની ફાઈલો જોઈએ તો હાય રામ, આ બંધારણમાં મનુસ્મૃતિનો ન તો મહિમા છે, ન તો તેને કોઈ સ્થાનમાન સુદ્ધાં છે. સાવરકર સમગ્રમાં તેમ બીજા સરસંઘચાલક ગોળવલકરના ‘બન્ચ ઓફ થોટ્સ’માં આ વાત ઊના ઊના નિસાસા કરતાં વધુ તો આક્રોશી ઢબે ઇતિહાસદર્જ છે.

1946-49ના ગાળામાં બંધારણ સભાની જે કામગીરી ચાલી એને અંગે દિશાસૂચક સામગ્રી પણ સ્વરાજ લડતમાં પડેલી હતી. કાઁગ્રેસે સોંપેલ કામગીરી સર મોતીલાલ નેહરુએ ઘડેલ બંધારણ મુસદ્દો 1928માં બહાર આવ્યો એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, સ્વતંત્રતા ને સમાનતા તેમ લઘુમતીઓના અધિકારી વગેરે વાનાં કાનૂની પરિપાટીમાં અક્ષર રૂપ પામ્યાં હતાં. 1930માં મીઠાની લડત સાથે નાત-જાત-કોમ-લિંગ એકે ભેદ વગરનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો. 1931માં ભગતસિંહની શહાદત સાથે ક્રાંતિની વ્યાખ્યા નકરા બોમ્બવાદમાં નહીં અટવાતા આર્થિક-સામાજિક ન્યાયમાં ઠરી. એ જ વરસે વલ્લભભાઈના પ્રમુખપદે કરાચી કાઁગ્રેસે મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1931માં પુના કરાર સાથે સર્વસમાવેશી રાજકીય પ્રથાપૂર્વક સામાજિક બદલાવની દિશામાં કદમ ભરાયું. 1946-1949ની ચર્ચાઓની પૂંઠે પડેલી આ ઇતિહાસ સામગ્રી વિશે, મોડે મોડે એની સાથે સંધાન શોધનારને કશીક તો ખબર હોવી જોઈશે.

ગાંધીની સલાહ સાથે જેમાં મુખર્જી ને આંબેડકર જેવા કાઁગ્રેસ વિરોધીઓ પણ હોઈ શકે એવા સમાવેશી અભિગમપૂર્વક નેહરુ પ્રધાનમંડળે સ્વરાજ કૂચ આદરી તેમાંથી કાળક્રમે આંબેડકર છૂટા થયા, કેમ કે અબઘડી હિંદુ કોડમાં સુધારાની એમની તીવ્રતા અને તાલાવેલી અંગે સત્તામાં કેટલાંક તત્ત્વો ને પરિબળો સંમત નહોતા. બહારનાં બળોમાં રામલીલા મેદાનમાં મોટી વિરોધ રેલી યોજનારાઓમાં સંઘ પરિવારની પહેલ ભાગીદારી હતી.

આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે હિંદુ સમાજમાં વર્ણ અને લિંગ ગત ઊંચનીચ તેમ જ ભેદભાવ લગભગ પ્રાણરૂપ મહત્ત્વ ધરાવે છે. એની નાબૂદી વગર અમથા અમથા કાયદા ઘડ્યે કશો શક્કરવાર વળવાનો નથી. નેહરુ અલબત્ત પ્રગતિશીલો સાથે હતા અને એમણે કટકે કટકે કોડ બિલ પસાર કરાવી જાણ્યું.

વર્તમાન શાસન એના પૂર્વસૂરિઓની પેઠે સત્તાવારપણે મનુસ્મૃતિની હિમાયતમાં જણાતું નથી એ સાચું, પણ બંધારણ દિવસના ગર્જનતર્જન સાથે પોતે ક્યારેક ક્યાં હતા ને કેવી ખોટી લાઈન પકડી હતી એવી કોઈ આત્મનિરીક્ષણની ઈન્દ્રિય એની કને છે કે કેમ તે તો આપણે જાણતાં જાણીશું.

હમણે હમણે સંઘ વર્તુળોએ ફેરઉછાળેલો મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર ને સોશ્યલિસ્ટ એ સંજ્ઞાઓ પડતી મૂકવાનો છે. એક વાત સાચી કે આમુખમાં આ બે શબ્દો કટોકટીકાળે ઉમેરાયા હતા તે વાતે કંઈક અસુખને અવકાશ હોઈ શકે છે. પણ આ પક્ષ પરિવારના વિચારબંધુઓએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે તત્કાલીન વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું જ હતું કે બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ આમુખમાં ઉમેરો વૈધ છે. ઉપરાંત, આપણને અભિમત અર્થ સેક્યુલર કહેતાં સર્વ ધર્મ માટે સમાદરનો અને સોશ્યલિસ્ટ કહેતાં આર્થિક-સામાજિક શોષણમાંથી મુક્તિનો છે. એ રીતે આ બંને સંજ્ઞાઓ સંવિધાનના બુનિયાદી માળખાનું અભિન્ન અંગ છે.

આ બધું સમજીને આત્મનિરીક્ષણપૂર્વક આગળ ચાલવું તે ખરો પડકાર છે. સંવિધાન હત્યા દિવસ જેવાં ઉજવણાં દાખલ કરીને કટોકટીવિરોધ જેવા સાચા મુદ્દાને પક્ષીય ઓજાર તરીકે વાપરવાનું રાજકારણ આ સંદર્ભમાં પુનર્વિચાર માગે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર  2025

Loading

...102030...61626364...708090...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved