Opinion Magazine
Number of visits: 9845149
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાસમતી ચોખા

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|7 October 2024

પ્લાસ્ટર ઊખડી ગયેલી, પડું પડું થતી દીવાલ વાળું જર્જરિત ખંડેર જોઈને કોઈ માની ન શકે કે, એક જમાનામાં અહીં જમીનદારની શાનદાર હવેલી ઊભી હતી. જેવી હાલત હવેલીની એવી જ, કે કદાચ એનાથી ય બદતર હાલત હતી એની માલકણ પારવતીની. ચીંથરું થઈ ગયેલી ચાદર ર્જીણ શરીર પર લપેટતાં એ રોજ કહેતી, “વહુ, આ બુઢ્ઢાં હાડકાંઓમાં ઠંડી સહન કરવાની તાકાત નથી રઈ. એકાદ જૂનું ગોદડું હોય તો કાઢી આલજે. વરંડામાં પડેલી પાટ પર સૂઉં છું તે રાતે ટાઢથી થીજી જવાય છે.” “ગોદડું ક્યાંથી લાવું? માવતરેથી લગન વખતે લાવી’તી ઈ ફાટીને તાર તાર થઈ ગ્યું છે. ઈ બે ય છોકરાંઓનાં ડિલ પર નાખું છું. બસ! ઈ સિવાય હવે કાંઈ નથ.”

ડોસી ચુપચાપ ઘરની કંગાળ હાલત પર નિસાસો નાખતી. માલિકના ગયા પછી હવેલીની પડતી શરૂ થઈ. ત્યારબાદ એક પછી એક નોકરોએ પોતાનો રસ્તો લઈ લીધો. એક ફક્ત ગોપી એને આપેલી ખોલીમાં પડી રહેતો ને થઈ શકે એવું પરચૂરણ કામ કર્યા કરતો. નવરાશના સમયે ઓટલે આવીને બેસતો ને કહેતો, “શેઠાણીબા, ઉં તો ક્યાં ય નંઈ જવાનો. મારો જેંતી શેરમાં રે’વા બવ બોલાવે છ પણ મીં કીધું કે, જીવ્યો ઐયાં ને મરવાનો પણ ઐયાં જ!” 

એની ઇચ્છા પૂરી થઈ. ચાર દિવસ પહેલાં એણે દેહ છોડ્યો. ગઈકાલે જેંતી મોટર લઈને આવ્યો ને એણે જાહેરાત કરી, “મારા બાપનું સરાધ હું ધામધૂમથી કરવાનો છું. આખા ગામને જમવા નોતરવાનો છું.”

ડોસી આ સાંભળીને બબડ્યાં, “જોઈએ તો ખરાં કે, મોટો સાયેબ થઈ ગ્યો છે તે શું જમાડે છે?”

ત્યાં તો સ્કૂલેથી આવેલી નાનકડી દીકરીએ કહ્યું, “દાદી, ગોપીકાકાના ઘર પાસેથી આવી ને, ત્યારે મેં જોયું કે, ત્યાં આ…ટલો બધો ભાત રંધાય છે.”

“હા, તે જમાડવાનો હશે, આખા ગામને – લાંગની દાળ ને જાડા ચોખા!”

“ના બાઈજી, હવે તો ઈ લોકો ય તુવેરની દાળ ને બાસમતી ભાત જમાડે છે.” સાસુની વાત સાંભળી રહેલી જમનાએ કહ્યું, “બાસમતી એટલે શું? દીકરીએ પૂછ્યું.”

“બચાડીએ કોઈ દી જોયું હોય તો ખબર પડે ને? બેટા, બાસમતી ઈ ચોખાની એક જાત છે. કોલમ, મસૂરી, પરિમલ … કેટલી બધી જાતના ચોખા આવે, ખબર છે?” બોલતાં બોલતાં ડોસીનાં મોંમાં પાણી આવવા લાગ્યું. આ બધું સાંભળી રહેલા પ્રતાપને બહુ ગુસ્સો આવતો હતો. “સાલ્લા, બે બદામના નોકરડા, આખા ગામને જમાડે ને આપણે એમાં જમવાનું?” મોટેથી ઘાંટો પાડીને એણે સૌને કહી દીધું હતું, “જેંતી ભલે જાતે નોતરું આપવા આવે, પણ ખબરદાર છે કોઈ જમવા ગયું છે તો! ગમે તેમ તોયે આપણે એના માલિક છીએ. એમ ભુખ્ખડની જેમ જમવા બેસી જઈએ તો કેવું લાગે?”

સાયકલ લઈને પ્રતાપ બહાર નીકળતો હતો ત્યારે જમનાએ એની પાછળ જઈને કહ્યું, “રોજ રોજ જાડા કુસકાના રોટલા ખાઈને બધાં કંટાળ્યાં છે. વીસ દિવસથી રોટલા ને ભાજીનું શાક – એની સિવાય કંઈ બનાવાયું જ નથી. માથી તો રોટલો ચવાતો પણ નથી.”

“બધું સમજું છું પણ નસીબ આડેથી પાંદડું ખસતું નથી તો શું કરું?”

થોડીવાર પછી જેંતી નિમંત્રણ આપવા આવ્યો હતો. શેઠાણીને પગે લાગીને ગળગળા સાદે કહ્યું હતું, “તમે તો અમારા અન્નદાતા છો. આજે જે કંઈ છું એ તમારા પ્રતાપે. સહકુટુંબ જમવા જરૂર પધારજો.”

બંને નાનાં બાળકો જમવા જવા તૈયાર થઈ ગયાં હતાં પણ જમનાએ કહ્યું, “તમારા બાપા જાણશે તો ટાંટિયો ભાંગી નાખશે. બેસો, છાનાંમાનાં ઘરમાં!”

પ્રતાપ આવ્યો ને પાંચે જણ જમવા બેઠાં પણ બેસ્વાદ ભોજન કોઈને ગળે ઊતરતું નહોતું. જેમતેમ લૂસ લૂસ ખાઈને ચારે અંદરના ઓરડામાં સૂવા જતાં રહ્યાં પણ પાટ પર સૂતેલી ડોસીને કેમે કરીને ઊંઘ આવતી નહોતી. ડેલી ખખડવાનો અવાજ આવ્યો ને એણે પૂછ્યું, “કોણ?”

જેંતીએ કહ્યું, “મા, એ તો હું. તમે કોઈ જમવા ન આવ્યાં તે હું ખાવાનું ઢાંકવા આવ્યો છું. લાપસી, દાળ-ભાત, શાક બધું છે.” સાંભળીને ડોસીની આંખો ચમકી ઊઠી.

“મા, કોની સાથે વાત કરતી હતી? કોઈ આવેલું?” પ્રતાપ ને એની પાછળ છોકરાંઓ અને જમના બધાં બહાર આવ્યાં.

“જેંતી આવ્યો’તો. પરાણે ખાવાનું મૂકી ગયો. મેં ઘણી ના પાડી કે, હજી તો હમણાં બધાં પેટ ભરીને જમ્યાં છીએ, પણ ઈ ન માન્યો.”

જમના ડરતાં ડરતાં બોલી, “હવે આવ્યું જ છે તો બે ય છોકરાંઓને જમવા બેસાડી દઉં? ભૂખ્યા પેટે બેયને નીંદર નથી આવતી.”

જવાબની રાહ જોયા વિના બેઉ બાળકો દોડતાં આવ્યાં ને થાળી લઈને ગોઠવાઈ ગયાં. હજી એ બંનેની થાળી પીરસાય ત્યાં ડોસીમા ડગુમગુ કરતાં આવ્યાં, “વહુ, મને ય ખાવાનું આપી જ દે. વરસો થયાં આવું બધું ખાધાને! ને ગોપી આપણો નોકર હતો એટલે એના ઘરનું ન ખાવું એવું ઓછું છે? કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી.”

પ્રતાપ ત્રણેને અકરાંતિયાની જેમ ખાતાં જોઈ રહ્યો પછી જમના સામે જોઈ ધીમેથી બોલ્યો, “હજી ખાવાનું ઘણું વધ્યું છે, નહીં? આટલું સારું ખાવાનું ફેંકી દેવા કરતાં ચાલ, આપણે બેઉ પણ જમી લઈએ. થાળી પીરસ.”

જમનાને પતિનો ‘ખબરદાર’ બોલતી વખતનો જુસ્સો યાદ આવ્યો. એ વિચારી રહી, ‘આ ભૂખ કેવી ભૂંડી છે! ગમે તેવા મગરૂર માણસને પણ કેવો લાચાર બનાવી દે છે! સ્વમાન સામે ભૂખ હંમેશાં જીતી જાય છે.’

બંનેની થાળી પીરસીને સામે મૂકી ત્યારે પ્રતાપ પત્નીની આંખમાં આંખ નહોતો મેળવી શકતો. નીચી મૂંડી કરીને કોળિયા ભરી રહેલા પતિની મજાક કરતાં જમનાને કહેવું હતું કે, ‘કેમ, ના કહેતા હતા પણ આખરે જમવું પડ્યું ને?’

પણ એનાથી એવી ક્રૂર મજાક ન થઈ શકી. હસવાનો પ્રયત્ન કરવા જતાં એની આંખમાંથી નીકળેલાં આંસુ દાળમાં પડ્યાં. જમીને આંગળાં ચાટી રહેલાં સાસુ અને બાળકોને જોઈને એના ચહેરા પર સંતોષનો ભાવ આવ્યો કે કરુણાનો એ એને પોતાને જ ન સમજાયું.

(બસવરાજ સાદરની મૈથિલી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 સપ્ટેમ્બર 2024; પૃ. 24

Loading

માણસ આજે (૬)  

સુમન શાહ|Opinion - Opinion|7 October 2024

સુમન શાહ

આ અગાઉના લેખમાં મેં લખ્યું હતું કે હરારીને ‘નવ્ય વિશ્વયુદ્ધ અસંભવ નથી ભાસતું’. મારે એમાં એ ઉમેરવું છે કે એ એમનું અંગત સંવેદન પણ હોઈ શકે છે. કેમ કે એમનો દેશ ગઈ સાલથી યુદ્ધગ્રસ્ત છે. અને, તાજેતરમાં સમાચારો મળે છે, કે —

ઇરાને ઇઝરાઇલ પર ડ્રોન્સ અને આશરે ૧૮૦ મિસાઇલ છોડીને અપૂર્વ હુમલો કર્યો, કેટલાંક મિસાઈલ્સ તો બૅલિસ્ટિક હતાં. ઇરાને ધમકી આપી કે ભાવિ હુમલા માટે તે ઇઝારાઇલના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને પણ ટાર્ગેટ કરશે. જેરુસલામ-નેતાઓએ કહ્યું કે ઇઝરાઇલ વળતો હુમલો કરશે, ઍપ્રિલમાં કરેલો એથી પણ ઘાતક. સામે, ઇરાન પોતે ઇઝરાઇલ માટે વિચારી રાખેલી ‘ઑક્ટોપસ હેડ’, ઑક્ટપસને હોય છે એવી અષ્ટહસ્તવાળી, મલ્ટિ-ફ્રન્ટ સ્ટ્રેટેજી, સંભવ છે, કે ઝીંકે! 

કહે છે, આ યુદ્ધ કોઈ સાયન્સ-ફિકશન નથી, દારુણ હકીકત છે!

એટલે, બને કે ઇઝરાઇલ-ઇરાન યુદ્ધ વિકસે. ૭ ઑક્ટોબર ૨૦૨૩-થી શરૂ થયેલા ઇઝરાઇલ-ગાઝા યુદ્ધને આવતી કાલે ૭ ઑક્ટોબરે ૧ વર્ષ પૂરું થશે. ઇઝરાઇલ-ઇરાન એકબીજાને ધમકીઓ આપી રહ્યાં છે કે જો યુદ્ધ આગળ વધશે તો ધરતી પરથી — તમારું નામોનિશાન મિટાવી દઈશું. બને કે ૭ દિવસમાં ૭ સ્થાનો પર ૭ વિનાશક હુમલા થશે. અને કોઈ કોઈ પત્રકારો બકે છે કે ૭ દિવસમાં સર્વનાશ થશે. પણ પશ્ચિમી એશિયામાં, આમ, મહાયુદ્ધના અણસાર વરતાઈ રહ્યા છે, જરૂર.

કહે છે, આ  યુદ્ધ કોઈ સાયન્સ–ફિકશન નથી, દારુણ હકીકત છે!

+ +

વિશ્વયુદ્ધના વિષયમાં મારે મારા કેટલાક વાચકોને ખાસ જણાવવું છે કે ‘કોલ્ડ વૉર’ – સમયે હતાં તેથી ઓછાં, પણ વિશ્વમાં આજે ૨૦૨૪-માં, આશરે ૧૨,૦૦૦ ન્યુક્લીયર વૉરહેડ્સ છે. 

વૉરહેડ્સ એટલે, અણુશસ્ત્રોના વિવિધ એકમો. કહેવાય છે કે fission / fusion-ની ક્રિયાપ્રતિક્રિયાઓથી વિનાશક શક્તિ ઉદ્ભવે છે, એક નાના ઍરિયામાં અતિશિયત માત્રામાં શક્તિપાત થાય છે, ચિર કાળ લગી ચાલે એટલી બધી રેડિયો-ઇફૅક્ટ્સ જનમે છે. 

વૉરહેડ ધરાવનારા દેશો છે : મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને રશિયા; ચીન, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગ્ડમ, ભારત, પાકિસ્તાન, ઇઝરાઇલ, અને ઉત્તર કોરિયા.

+ + 

હરારી વિશેની વાત આગળ ચલાવું : 

હરારી કહે છે કે શક્તિશાળી વસ્તુઓ સરજી લેવાની આપણી વૃત્તિનું પરિણામ, સ્ટીમ ઍન્જિન કે AI -ની શોધ માત્ર નથી, પરન્તુ એ વૃત્તિનું પરિણામ ધર્મની શોધ પણ છે. કહે છે, પયગમ્બરો અને આસ્તિક ધર્મવેત્તાઓએ પૃથ્વી પર પ્રેમ અને આનન્દના આવિર્ભાવને સારુ શક્તિસમ્પન્ન આત્માઓનાં – સ્પિરિટ્સનાં – આવાહન તો કરેલાં, પણ દુ:ખદ વાત એ બનેલી કે એ એથી વિશ્વ અવારનવાર રક્તરંજિત પણ થયું હતું. 

યુવલ હરારી

હરારીનું એક આ મન્તવ્ય પણ સમજવા જેવું છે. એ કહે છે કે માનવ-શક્તિ કોઈ એક વ્યક્તિના પ્રયાસનું ફળ નથી હોતી. શક્તિ હમેશાં અનેક મનુષ્યોના પારસ્પરિક સહકારનું પરિણામ હોય છે. પોતાના આ પુસ્તકનો મુખ્ય તર્ક અથવા વિચાર-પક્ષ રજૂ કરતાં હરારી કહે છે કે માનવજાતિ સહકારનાં વિશાળ નેટવર્ક્સ ઊભાં કરીને અઢળક શક્તિ હાંસલ કરી શકે છે, પણ એ નેટવર્ક્સ એવી રીતે રચાયાં હોય છે કે આપણે એ શક્તિના મૂર્ખતાભર્યા ઉપયોગ માટે તત્પર થઈ ઊઠીએ. 

હરારી ઉમેરે છે, એટલે આપણો પ્રોબ્લેમ નેટવર્ક પ્રોબ્લેમ છે, સ્પષ્ટતાથી કહીએ તો, ઇન્ફર્મેશન પ્રોબ્લેમ છે. 

માહિતીને હરારી ગ્લુ, એટલે કે, ગુંદર ગણે છે. એ ગુંદર એક અને બધી માહિતી-જાળોને ચૉંટાડીને જોડી રાખે છે. પણ બન્યું શું, હરારી કહે છે, હજારો વર્ષોથી માનવજાતિએ જે વિશાળકાય માહિતી-જાળો શોધી કાઢી છે, અને પ્રસરાવી છે, એ કાં તો દેવો વિશેની અથવા AI વિશેની કપોળકલ્પનાઓ અને કથા-વારતાઓ છે. 

બાકી, હરારી કહે છે, દરેક મનુષ્ય-વ્યક્તિને તો પોતાને વિશેનું અને વિશ્વને વિશેનું સત્ય જાણવામાં જ રસ હોય છે.

પરન્તુ, આ માહિતીજાળો એવી ગોઠવણ – ઑર્ડર – કરે છે, જે એને પેલી કપોળકલ્પનાઓ અને કથા-વારતાઓ પર વિશ્વાસ રાખતો કરી દે, આંધળો બનાવી દે.

હરારી નાઝિઇઝમ અને સ્તાનિલઇઝમને મનુષ્યના ભ્રાન્ત વિચારો પર આધારિત મનુષ્ય-સરજિત અને નિરપવાદપણે અતિ શક્તિશાળી નેટવર્ક્સ ગણે છે. જ્યૉર્જ ઑરવેલના સુખ્યાત વચનને યાદ કરીને કટાક્ષમાં કહે છે, ignorance is strength. હરારી વિશેષ એ ઉમેરે છે કે ભલે હિટલર અને સ્તાલિન નિષ્ફળ ગયા, પરન્તુ ૨૧-મી સદીમાં, નવાં ટોટાલિટેરિયન રેઝિમ્સ – એકહથ્થુસત્તાવાદી શાસનો – સંભવ છે કે સફળ પણ થાય. શી રીતે? હરારી જણાવે છે કે સર્વથા શક્તિશાળી નેટવર્ક્સ રચીને. એ એવાં નેટવર્કસ હશે કે ભાવિ પેઢીઓ એનાં જૂઠાણાં અને એની કથાવારતાઓને ખુલ્લાં પાડવાનો પ્રયાસ કરશે, પણ ફાવશે નહીં. 

હરારી ઉમેરે છે કે આપણે એવું ન માનવું કે ભ્રાન્તિઓ પર રચાયેલાં નેટવર્ક્સ તો નિષ્ફળ જ નીવડવાનાં ને! ના. ઉમેરે છે કે આપણે જો એ નેટવર્ક્સની સફળતાઓને વિદારવી હશે, તો કઠિન શ્રમ આપણે જ કરવો જોઈશે. 

+ +

હું ૩૩ કરોડ દેવોના દેશ ભારતમાં, જીવન-પરમ્પરાઓ કેવી કેવી કથા-વારતાઓથી સ્થિર થઈ છે એ વીગતોમાં ન જઉં, કેમ કે સુવિદિત છે. 

પણ વ્યક્તિની જિજ્ઞાસા કે પોતે અને વિશ્વ બન્ને શું છે, એ વિશે એક વાક્યમાં કહું કે વેદોથી માંડીને શંકરાચાર્યના દર્શન સુધીના તમામ ભારતીય તત્ત્વદર્શનોએ વ્યક્તિને એનું અને વિશ્વનું સત્ય જુદી જુદી રીતે સરસ સમજાવ્યું છે. 

ઇતિહાસમાં, એ પછી મોટી હરણફાળ ભરાઈ હતી, અને તે હતી, ૧૫-મી સદીની ભક્તિપરમ્પરા. દેશ આખામાં પ્રસરેલો એ હતો, એક ભક્તિ-જુવાળ. એણે પ્રજા માટે તત્ત્વદર્શનોનાં સત્યોને ભજનોમાં પ્રસરાવ્યાં હતાં. એ રસપ્રદ ભજન-પરમ્પરા હજી ભારતના કસબાઓમાં અને ગામડાંઓમાં જીવન્ત છે. 

તેમછતાં, ઉત્તરોત્તર જે બનતું આવ્યું અને બની રહ્યું છે, તે છે, મન્દિરોનાં નિર્માણ. 

મન્દિર-સ્થાપનોએ નિ:સામાન્ય કર્મકાણ્ડનો અને મન્દિરોમાં પોતે બેસાડેલા દેવોનો જ મહિમા વિકસાવ્યો. ક્રમે ક્રમે દર્શનોનું અને ભજનપરમ્પરાનું વિસ્મરણ થયું અને આજે તો કેટલાંક મન્દિરોનું તન્ત્ર જ એ પ્રકારે ગોઠવાયું હોય છે કે એને એક કમર્શ્યલ નેટવર્ક ગણવું પડે. વેપારની રીતે આરામથી ચલાવાતાં એ ધામોએ પોતાની સૉડમાં રેસ્ટોરાંઓને પણ બેસવા દીધી છે. ભક્ત ઈશ્વરનો ‘પ્રસાદ’ ભૂલી ગયો છે, અને વેચાતા પ્રસાદનો ગ્રાહક બની ગયો છે. એને અંધાપો જ કહેવાય ને! 

+ +

મને હરારીનો અભિગમ એમના ગ્રન્થોમાં કે વાર્તાલાપોમાં હમેશાં ડીમિસ્ટિફાઇન્ગ અને ડીકન્સ્ટ્રક્ટિવ લાગ્યો છે – રહસ્યસ્ફોટકારી અને વિઘટનશીલ. તેઓ મને હમેશાં ફિલસૂફ નથી લાગ્યા. પોતે દરેક વખતે નમ્રતાથી સૂચવતા હોય છે કે પોતે history કે brief history રજૂ કરી રહ્યા છે. પણ વાસ્તવિકતા એ છે કે તેઓ Big history-ના વિદ્વાન છે. 

બિગ હિસ્ટરી શું છે? એ એક વિદ્યાશાખા છે. તદનુસાર, ‘બિગ બૅન્ગ’-થી માંડીને વર્તમાન સુધીના ઇતિહાસનું અધ્યયન હાથ ધરાય છે. આ એક સમગ્રલક્ષી આન્તરવિદ્યાકીય અભિગમ છે. એમાં, ઇતિહાસ ઉપરાન્ત, જીવવિજ્ઞાન, અને જરૂરત પડી હોય તો ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર કે કોઈપણ વિદ્યાનો સહયોગ સાધીને જ્ઞાનસમ્પાદન થાય છે. 

એમાં, વિશ્વની ઉત્ત્પતિથી માંડીને આજ દિન લગીની એક વ્યાપક સમયરેખા હોય છે – ટાઇમલાઇન. એમાં, સાર્વત્રિક રીતો અને વિવિધ ભાતોના તારણ પરથી સ્પષ્ટતાઓ રજૂ થાય છે કે વિશ્વના અને માનવ-સભ્યતાના વિકાસમાં કયાં પરિબળો જવાબદાર હતાં. એમાં, વિવિધ ઘટનાઓ અને વૈશ્વિક, જૈવિક, માનવીય તેમ જ યન્ત્રવિજ્ઞાનીય પરિવર્તનો વચ્ચેના સમ્બન્ધોની તપાસ હાથ ધરાય છે; એથી સમજાય છે કે સમયાન્તરે વિભિન્ન સમાજો અને સંસ્કૃતિઓ વચ્ચે કેવાંક આદાનપ્રદાન થયાં, કેવા કેવા પ્રભાવો જનમ્યા. 

પરિણામે, ઇતિહાસ વિશે એક સર્વાંગી સમજ સાંપડે છે. સમજાય છે કે વિશ્વમાં આપણું સ્થાન શું છે અને મનુષ્ય રૂપે આપણી મહત્તા શી છે. (‘બિગ હિસ્ટરી’-નું આ વિવરણ, Khan Academy અનુસાર).

એવા ઇતિહાસવેત્તા હોવાથી હરારી મને વિવિધ સમયોના દોરમાં અનેક પ્રસંગો, અર્થઘટનો અને વિચારો પરોવતા લાગે છે. એટલે, એવા અનેક સમયદોરા એમનાં લેખનોમાં લ્હૅરાતા હોય છે. તેથી કેટલાક વાચકોને લાગે કે તેઓ ‘sweeping statements’ કરી રહ્યા છે, એવી ટીકાઓ પણ થઇ છે. પણ હરારીને ન્યાય ખાતર એ સામાન્યીકરણને વરેલાં વિધાનોને હું તો એમની વિદ્વત્તાનો વિશેષ ગણું છું. 

બીજું, તેઓ હિસ્ટરી જાણે છે એટલે સ્ટોરી-ટેલિન્ગની રીત જાણે છે. પરિણામે, એમની શૈલીમાં તત્ત્વચિન્તનનું ઊંડાણ ઘણી વાર નથી વરતાતું, બલકે ઊંધું, કે તેઓ વાચક પાસે બેસીને વાતો કરતા લાગે છે, વાતચીતની ઢબ છે એમની શૈલીની. એમની વાતોમાં વાર્તાકથકની હૉંશ હોય છે, ઉત્તેજના પણ ખરી. એમ પણ કહેતા હોય છે કે પોતે પોતાના વાચકને વિચારો વડે અને વિચારો વિશે ઉત્તેજિત કરવા ચાહે છે.

(ક્રમશ:)
(06Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત્ ..  

સોનલ પરીખ|Opinion - Opinion|7 October 2024

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।
(
कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४)

‘ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત્, ક્ષુરસ્ય ધારા નિશિત દુરત્યયા દુર્ગ પથસ્તત્કવયો વદન્તિ’ કઠોપનિષદ કહે છે, ‘કવિઓ આધ્યાત્મિક માર્ગને અસ્ત્રની ધાર જેવો દુર્ગમ બતાવે છે માટે હે મનુષ્ય, ઊઠ, જાગ, સાવધાન થા અને શ્રેષ્ઠને પામ.’ આવું કહેનાર ગુરુ અને આવા ગુરુવચનને સમજીને તે પ્રમાણે જીવી બતાવનાર શિષ્ય ગમે તે યુગમાં દુર્લભ જ હોય છે

ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત્, ક્ષુરસ્ય ધારા નિશિત દુરત્યયા દુર્ગ પથસ્તત્કવયો વદન્તિ’ કઠોપનિષદની આ ઉક્તિનો અર્થ એવો છે કે ‘કવિઓ આધ્યાત્મિક માર્ગને અસ્ત્રની ધાર જેવો દુર્ગમ બતાવે છે માટે હે મનુષ્ય, ઊઠ, જાગ, સાવધાન થા અને શ્રેષ્ઠને પામ.’ આવું કહેનાર ગુરુ અને આવા ગુરુવચનને સમજીને તે પ્રમાણે જીવી બતાવનાર શિષ્ય ગમે તે યુગમાં દુર્લભ જ હોય છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે યાદ કરીએ ગુરુશિષ્યની આવી શ્રેષ્ઠ જોડી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને.

રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર. નરેન્દ્રનો એક કુટુંબી રામ રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય હતો. નરેન્દ્રને સત્ય શોધવા આમતેમ ભટકતો જોઈને તેણે કહ્યું, ‘એકવાર દક્ષિણેશ્વર જા.’ નરેન્દ્ર દક્ષિણેશ્વર ગયો. પરમહંસ એકલા બેઠા હતા. નરેન્દ્રએ પ્રણામ કરી એકદમ પૂછી નાખ્યું, ‘તમે ઈશ્વરને જોયો છે ?’

‘હા, જોયો છે. આ તને જોઉં છું ને, એવી જ રીતે જોયો છે.’ નરેન્દ્ર સ્તબ્ધ થઈ ગયો. રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા, ‘કેટલાં વર્ષથી તારી રાહ જોઉં છું. આખરે તું આવ્યો. આટલી વાર કેમ કરી? સંસારી માણસો સાથે વાતો કરી કરીને મારું ગળું સુકાઈ ગયું!’ પછીથી સ્વામી વિવેકાનંદ શિષ્યોને કહેતા, ‘તે વખતે મને થયું આ માણસ કેવો છે! મારી બુદ્ધિ કહેતી હતી કે તે ગાંડો છે, પણ મારું અંતઃકરણ તેના તરફ ખેંચાતું હતું …’

રામકૃષ્ણે કહ્યું, ‘આ છોકરો ધ્યાનસિદ્ધ છે. જે પણ બાબતમાં તે પોતાનું ચિત્ત પરોવે તેમાં તે તલ્લીન બની જાય છે. તેની ઊંઘ પણ એક જાતનું ધ્યાન જ છે.’ નરેન્દ્ર ફરીથી સ્તબ્ધ બની ગયો. વિચાર કરવા લાગ્યો કે મહર્ષિ દેવેન્દ્રનાથે પણ કહ્યું હતું કે છોકરા તારી આંખો યોગીના જેવી છે. મારા વિષે આ બંનેનું કહેવું ખરું હશે? ઘેર ગયા પછી તેણે રામદાદાને રામકૃષ્ણ પરમહંસ વિષે પૂછ્યું. તેણે કહ્યું, ‘શ્રીરામકૃષ્ણ અલૌકિક પુરુષ છે. પરમહંસ છે. અત્યંત ધર્મિષ્ઠ છે. તેમનામાં સંસારની વાસના તલમાત્ર પણ નથી. તે દ્રવ્યને ધિક્કારે છે. દરેક સ્ત્રીને માતા ગણે છે, તે ખરેખરા યોગી છે. તેમણે ઈશ્વરનાં દર્શન કર્યા છે.’

ત્યારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં દેવીના વિશાળ મંદિરની એક ઓરડીમાં રહેતા. તેમણે નરેન્દ્રને કેટલાક આધ્યાત્મિક અનુભવ કરાવ્યા. નરેન્દ્રને સમજાયું કે નિયમો અને કૃત્રિમ રીતભાતો ઈશ્વરના ભક્તોની આડે આવતાં નથી. સહજ અને સાચા ભક્તોનાં પ્રેમ અને ભક્તિ સ્વતંત્રપણે ગમે તે સ્થિતિમાં, ગમે તે સ્થળમાં અને ગમે તે વખતે વહેવા માંડે છે. જગતના નિયમો તેને બાધ્ય કરતા નથી.

સ્વામી વિવેકાનંદ

એ સમયે નરેન્દ્રની ઉમ્મર વીસ વર્ષની હતી. તે એલ.એલ.બી.નો અભ્યાસ કરતો હતો. પિતા ગુજરી ગયા હતા. કુટુંબને સખ્ત હાડમારી વેઠવી પડતી હતી. હાડમારીના આ અનુભવથી તેનું હૃદય દયાર્દ્ર અને સ્વદેશાભિમાની બની રહ્યું હતું. તેની બે બહેનોને પણ આ જગતનો કડવો અનુભવ થયો હતો અને તે અકાળ મૃત્યુને વશ થઈ હતી, તેથી ભારતની સ્ત્રીઓની દુર્દશાનું પણ તેને બહુ ઊંડું ભાન થયેલું હતું.

રામકૃષ્ણ અને નરેન્દ્રનો મેળાપ એ હિંદના પ્રાચીન અને અર્વાચીન જીવનના મેળાપરૂપ હતો. આ મેળાપથી એ બંને જીવનપ્રવાહો સાથે સાથે વહેવા લાગ્યા. નરેન્દ્ર પર રામકૃષ્ણની બહુ જ કૃપા ઊભરાયા કરતી. પવિત્ર આત્માઓને પરસ્પર બાંધનાર બંધનો પણ આશ્ચર્યકારક જ હોય છે. રામકૃષ્ણ અને નરેન્દ્ર વચ્ચેનો પ્રેમ એટલો અગાધ, અલૌકિક હતો કે આખરે ગુરુ અને શિષ્ય બંનેનું બોલવું, વિચારવું, બેસવું, ઊઠવું – આખું જીવન એક જ થઈ રહ્યું હતું. રામકૃષ્ણ નરેન્દ્રથી વધુ દિવસ જુદા રહી ન શકતા. નરેન્દ્ર ઘણા દિવસથી આવ્યો ન હોય ત્યારે તેઓ એકાંતમાં બેસીને અશ્રુપાત કરતા અને મા કાલીને પ્રાર્થના કરતા કે તું નરેન્દ્રને મોકલ.

આવા ગુરુના ચરણે બેસીને નરેન્દ્રએ વેદાન્તનાં ગુહ્ય તત્ત્વોનો અભ્યાસ કર્યો. તે પ્રશ્ન પૂછતો, વાદવિવાદ કરતો અને રામકૃષ્ણ જે બોધ આપતા તે પ્રમાણે તેમનું પોતાનું આચરણ છે કે નહીં તે બારીકીથી તપાસતો. મહિનાના મહિનાઓ સુધી તેણે આ પ્રમાણે કર્યા કર્યું; આખરે તેની સધળી શંકાઓ એની મેળે જ શાંત થઈ ગઈ અને તેનામાં આધ્યાત્મ ચેતન વ્યાપી રહ્યું. મનમાં તર્કબળને સ્થાને શ્રદ્ધાનું અગાધ સામર્થ્ય મુકાયું. પરમહંસ તેના વિષે ભવિષ્ય ભાખવા લાગ્યા, ‘નરેન્દ્રમાં ઈશ્વરી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પડેલો છે. પોતાની બુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિઓ વડે તે જગતને હલાવી મૂકશે.’

નરેન્દ્ર એકલો જ રામકૃષ્ણનો મહિમા ઊંડાણથી સમજી શકતો. તે એકલો જ તેમના શબ્દો ઉપર ગહન વિચાર કરતો. તે એકલો જ વિવિધ પ્રકારની શંકાઓ કરતો. રામકૃષ્ણ તેનું એ વિચારસ્વાતંત્ર્ય અને જાહેર હિંમતનો ગુણ પસંદ કરતા. તેમણે ‘મારા જાતઅનુભવમાં પણ શંકા કરે એવો શિષ્ય મને આપજે’ એમ માતા પાસે યાચના કરી હતી અને તેવો જ શિષ્ય તેમની પાસે આવ્યો હતો, તેથી નરેન્દ્રની શંકાઓથી રામકૃષ્ણ ઊલટા ઘણા પ્રસન્ન થતા.

એક પછી એક એમ અનેક સવાલ નરેન્દ્ર પૂછવા લાગ્યો. તેણે અનેક તર્ક-વિતર્ક કર્યા. વિવાદ કરવામાં તે સિંહ જેવી ગર્જના કરવા લાગ્યો અને સર્વને પોતાના જ્ઞાનથી હરાવવા લાગ્યો. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાંથી અને અર્થશાસ્ત્રોમાંથી સૂક્ષ્મ પ્રશ્નો પૂછીને સૌને ગભરાવવા લાગ્યો. તેનું જ્ઞાન જોઈને શ્રી રામકૃષ્ણ વિસ્મય પામતા અને સમાધિમાં આવી જતા. કેવળ પાંડિત્ય ઉપરાંત નરેન્દ્રમાં સત્યનિષ્ઠા જણાતી. રામકૃષ્ણ કહેતા કે ‘નરેન્દ્રમાં દૈવી શક્તિ છે. કિનારા વગરના તેજના મહાસાગર જેવી તે અપાર છે!’ આ શક્તિનું પરિણામ શું આવશે તે પણ તેઓ જોઈ શક્યા.

એક વાર નરેન્દ્રએ કહ્યું, ‘મને ફાજલ સમય મળતો નથી. જીવન એકદમ ભાગદોડવાળું થઈ ગયું છે.’

રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો, ‘પ્રવૃત્તિઓ તને વ્યસ્ત રાખે છે. સર્જનાત્મકતા તને મુક્તિનો અનુભવ આપશે.’

‘પણ જીવન આટલું જટિલ કેમ છે?’

‘જીવનનું પૃથક્કરણ ન કરીશ. જીવવાનું શરૂ કરી દે.’

‘મને આટલો અજંપો શાનો છે?’

‘તને ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે.’

‘સારા માણસોએ સહન શા માટે કરવું પડે છે?’

‘અગ્નિમાં તપાવ્યા વિના સોનું શુદ્ધ થતું નથી. વિપત્તિઓ માણસને બહેતર બનાવે છે.’

‘તો વિપત્તિઓ ઉપયોગી છે?’

‘હા. અનુભવ કડક શિક્ષક છે. પરીક્ષા પહેલા લે છે, પાઠ પછી શીખવે છે.’

‘હું એટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છું કે કઈ દિશામાં જઈ રહ્યો છું એ જ ખબર પડતી નથી.’

‘બહાર જોવાનું બંધ કર. ભીતર દૃષ્ટિ કર. આંખો દૃષ્યો બતાવે છે, આત્મા માર્ગ બતાવે છે.’

‘કઠિન સમયમાં પણ સત્કર્મ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખવો?’

‘તું ક્યાં આવી પહોંચ્યો છે એ ન જો. ત્યારે ક્યાં જવાનું છે એ જો. જે મળ્યું છે તેને માટે કૃતજ્ઞ બન. ન મળ્યું તેનો અફસોસ છોડ.

‘લોકોનું શું તમને આશ્ચર્ય આપે છે?’

‘દુ:ખ આવે ત્યારે સૌ કહે છે, ‘આવું મને જ કેમ’ સુખ આવે ત્યારે કોઈ આમ પૂછતું નથી.’

‘હું જીવનનું શ્રેષ્ઠ કેવી રીતે પામી શકું?’

‘ભૂતકાળનો શોક છોડી ડે. ભવિષ્યની ચિંતા ન કર. સામે ઊભેલી વર્તમાન ક્ષણનો નિર્ભય વિશ્વાસ સાથે સામનો કર.’

‘મારી પ્રાર્થનાઓનો કોઈ જવાબ કેમ નથી મળતો?’

‘પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી. ભય છોડ, શ્રદ્ધા રાખ. જીવન એક રહસ્ય છે, સમસ્યા નથી. જીવતા આવડે તો જીવન અદ્દભુત છે.’

રામકૃષ્ણ પરમહંસ 50 વર્ષ જીવ્યા, સ્વામી વિવેકાનંદ 39 વર્ષ. આયુષ્યની આટલી અલ્પ અવધિમાં પણ તેમણે અસ્તિત્વની મહત્તા સિદ્ધ કરી એક આદર્શ દુનિયાની સામે મૂક્યો. ગુરુપૂર્ણિમાના શુભ અવસરે આ વિભૂતિઓને વંદન.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જુલાઈ  2024

Loading

...102030...587588589590...600610620...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved