Opinion Magazine
Number of visits: 9736564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—322

દીપક મહેતા|Opinion - Opinion|3 January 2026

મુંબઈનો વાંકાનેર પેલેસ : ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ            

એક હતો રાજા. હા, જી. બાળવાર્તાઓથી ટેવાયેલા હશો તો તમે તરત કહેશો : ‘અને એક હતી રાણી.’ હવે જ્યાં રાજા હોય ત્યાં રાણી(ઓ) તો હોવાની જ. પણ આપણે આજે રાજાની રાણીની વાત નથી કરવાના. પણ એક રાજાના મુંબઈમાં આવેલા મહેલની વાત કરવાના છીએ. આજથી દાયકાઓ પહેલાંની વાત. કાઠિયાવાડમાં ઢગલાબંધ દેશી રાજ્યો હતાં. પાછાં તે વખતની ટ્રેનની જેમ ત્રણ ભાગમાં વહેચાયેલાં : પહેલો વર્ગ, બીજો વર્ગ, અને ત્રીજો વર્ગ. તેમાં બીજા વર્ગનું એક રાજ્ય તે વાંકાનેર. અને એ હતું સલામી રાજ્ય. એટલે કે એના રાજવી નવ તોપોની સલામીના હકદાર. કાઠિયાવાડમાં આવેલા હળવદના રાજા ચંદ્રસિંહ. તેના યુવરાજ પૃથ્વીરાજ. તેના દીકરા સરતાનજીએ વાંકાનેરનું રાજ્ય સ્થાપ્યું. ૧૬૧૦માં વાંકાનેર શહેર વસાવ્યું. આસપાસનો પ્રદેશ જીતી લીધો.

વાંકાનેર રાજ્યનો ધ્વજ

૧૮૦૭-૧૮૦૮માં કંપની સરકારે કાઠિયાવાડનાં રજવાડાં પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું. કાઠિયાવાડના ઝાલાવાડ પ્રાંતમાં આવતું વાંકાનેરનું રાજ્ય વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીના તાબા હેઠળ મૂકાયું. આ વાંકાનેર રાજ્યની ગાદી પર ૧૮૮૧ના જૂનની ૨૫મી તારીખે અમરસિંહજી બેઠા ત્યારે તેમની ઉંમર હતી બે વરસ! એટલે રાજ્યનો કારભાર ઝાલાવાડના પોલિટીકલ એજન્ટે સંભાળ્યો. થોડા મોટા થયા એટલે રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણવા મોકલ્યા. ત્યાં ભણ્યા પછી પહેલાં તેમણે હિન્દુસ્તાનનાં મુખ્ય શહેરોની મુલાકાત લીધી અને પછી ઈંગ્લન્ડ જઈ ત્યાં ચાર મહિના રહ્યા. પેરિસ સહિત યરપનાં કેટલાંક શહેરોની મુલાકાત લઈ ૧૮૯૮ના ઓક્ટોબરની ૨૨મી તારીખે વાંકાનેર પાછા આવ્યા. પુખ્ત ઉંમરના થતાં ૧૮૯૯ના માર્ચની ૧૮મી તારીખે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ જે.એમ. હન્ટરે સત્તાનાં સૂત્રો તેમને સોંપ્યાં.

વાંકાનેર નરેશ અમરસિંહજી

કાઠિયાવાડનાં દેશી રાજ્યો પોલિટિકલ એજન્ટના અંકુશ નીચે મૂકાયાં ત્યારથી ત્યાંના રાજાઓનો મુંબઈનો આવરો-જાવરો વધ્યો. એટલે તેમાંના કેટલાક રાજાઓએ મુંબઈમાં મહેલ બંધાવ્યા. સગવડ તો ખરી જ, પણ મુંબઈમાં મહેલ હોય એટલે એ રાજ્યનો વટ પડે. વાંકાનેરના રાજવી અમરસિંહજીએ પણ મુંબઈમાં વાંકાનેર પેલેસ બંધાવવાનું નક્કી કર્યું. જ્યાં અબજોપતિ જ રહેતા એવા વોર્ડન રોડ (આજના ભુલાભાઈ દેસાઈ રોડ) પર પચાસ હજાર ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો. પછી તેના પર બંધાનારા મહેલની ડિઝાઈન તૈયાર કરવાનું કામ સોંપ્યું જાણીતા બ્રિટિશ સ્થપતિ ક્લોડ બેટલેને. 

વાંકાનેર પેલેસના સ્થપતિ બેટલે

બેટલેનો જન્મ ૧૮૭૯ના ઓક્ટોબરની ૧૭મી તારીખે. અવસાન મુંબઈમાં ૧૯૫૬ના માર્ચની ૨૦મી તારીખે. ઈંગ્લન્ડમાં અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૧૩માં મુંબઈ આવીને ગ્રેગસન એન્ડ કિંગની સાથે ભાગીદારીમાં પ્રેક્ટીસ શરૂ કરી. બેટલેએ ડિઝાઈન કરેલી મુંબઈની કેટલીક જાણીતી ઈમારતો : બોમ્બે જિમખાના (૧૯૧૭), બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન (૧૯૩૦), કચ્છના મહારાજાનો દરિયા મહાલ (૧૯૩૦), સાઉથ કોર્ટ (૧૯૩૬), મહંમદ અલી ઝીણાનો બંગલો (૧૯૩૭), કોલાબામાં આવેલ પારસીઓની વસાહત ખુશરૂ બાગ (૧૯૩૭-૧૯૫૯), બોમ્બે ક્લબ (૧૯૩૯), લાલભાઈ હાઉસ (૧૯૪૨) અને બ્રીચ કેન્ડી હોસપિટલ (૧૯૫૦). આ ઉપરાંત અમદાવાદનાં ટાઉન હોલ, એમ.જે. લાઈબ્રેરી, વીજળી ઘર, શોધન હાઉસ, વગેરેની ડિઝાઈન પણ તેમણે જ તૈયાર કરી હતી. ૧૯૧૪માં તેઓ જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં વિઝીટિંગ પ્રોફેસર બન્યા. પછી ૧૯૨૩થી પૂરાં વીસ વરસ સુધી તેના પ્રિન્સીપાલના પદે રહ્યા. તેમણે જ બનાવેલા એક મકાન – બોમ્બે ક્લબ – માં ૧૯૫૬માં તેમનું અવસાન થયું. 

વાંકાનેરનું રાજપાટ હતું ત્યાં સુધી તો કશી ચિંતા નહોતી. રાજાનું કામ રૈયત પર કરવેરા નાખીને પૈસા ઉઘરાવવાનું. પણ ૧૯૪૭માં એકાએક બધું બદલાઈ ગયું. રાજા હતા તે પ્રજા બની ગયા. અને પ્રજાના પ્રતિનિધિઓ બન્યા રાજા. અને આ નવા રાજાઓ જે ટેક્સ માગે તે અગાઉના રાજવીઓએ પણ ભરવો જ પડે. ૧૯૫૭માં ઇન્કમ ટેક્સ વિભાગે ૧૮ લાખ રૂપિયા ભરવાની નોટીસ મોકલી ‘વાંકાનેરના રાજવી’ને. પેલેસ બંધાવનાર અમરસિંહજીનું તો ૧૯૫૪ના જૂનની ૨૫મીએ અવસાન થઈ ચૂક્યું હતું. તેમની રાજગાદી પર ‘બિરાજમાન’ થયા હતા તેમના કુંવર પ્રતાપસિંહજી. ઇન્કમ ટેક્સની મોટી (એ જમાનામાં આ રકમ મોટી જ ગણાય) રકમ ભરવાની નોટીસ તેમને મળી હતી. એ રકમ ઊભી કરવા માટે તેમણે વાંકાનેર હાઉસ વેચી નાખવાનું નક્કી કર્યું. અને ૧૮ લાખમાં સોદો થઈ ગયો. ખરીદનાર, અમેરિકન સરકાર. 

હિન્દુસ્તાન અને અમેરિકા વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો ખાસ્સા જૂના. છેક ૧૮૩૮ના ઓક્ટોબરની પાંચમી તારીખે અમેરિકાના પ્રેસિડન્ટ માર્ટીન વાન બરેને એક ખરીતા દ્વારા ન્યૂ યોર્કના ફિલેમોન એસ. પાર્કરની નિમણૂક મુંબઈ ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી હતી. અલબત્ત, અમેરિકાના સૌથી પહેલા રાજદૂત કલકત્તા ખાતે નિમાયા હતા. અમેરિકાના પહેલા પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટને ૧૭૯૨ના નવેમ્બરમાં બેન્જામીન જોયની નિમણૂક કલકત્તા ખાતેના એલચી તરીકે કરી હતી. 

લિંકન હાઉસ

પણ અમેરિકન સરકારને મુંબઈમાં આવો મહેલ ખરીદવાની શી જરૂર? કારણ આઝાદી પછી બંને દેશોના સંબંધોનો વિકાસ થતાં વેપાર રોજગાર અંગેનું મુંબઈ સાથેનું કામ વધતું ગયું. ઉપરાંત અભ્યાસ માટે અને બીજાં કારણોને લીધે પણ મોટી સંખ્યામાં આપણા લોકો અમેરિકા જતા થયા. એટલે મોટી જગ્યાની જરૂર હતી. અમેરિકાનો વટ પડે એવી જગ્યા કોન્સુલેટ માટે લેવી એવો ઈરાદો પણ ખરો. એ વખતે વોર્ડન રોડનો વિસ્તાર પ્રમાણમાં ઓછી વસતીવાળો, શાંત, સલામત. એટલે અમેરિકન કોન્સુલેટ માટે અમેરિકન સરકારે વાંકાનેર પેલેસ ખરીદી લીધો. નામ બદલીને કર્યું લિંકન હાઉસ. તેમાં જરૂરી ફેરફાર કર્યા. સલામતીની વ્યવસ્થા ઘણી જડબેસલાક કરી. વર્ષો સુધી વહેલી સવારથી બહાર અમેરિકન વિઝા માટેના અરજદારોની લાંબી લાઈનો લાગતી. તો ઘણી વાર એક યા બીજા રાજકીય પક્ષ તરફથી દેખાવો યોજાતા ત્યારે પોલીસ બંદોબસ્ત ખૂબ વધી જતો.

પણ કહે છે ને કે જેનો આરંભ, તેનો અંત પણ હોય જ. એક યા બીજા કારણસર અમેરિકન સરકારે લિંકન હાઉસ ખાલી કરવાનું અને BKCમાં પોતાનું નવું મકાન બાંધવાનું નક્કી કર્યું. એ બંધાઈ રહ્યા પછી ૨૦૧૧ના નવેમ્બરની ૨૧મી તારીખથી અમેરિકન કોનસ્યુલેટનું કામકાજ BKCના નવા મકાનમાં શરૂ થયું. હવે લિંકન હાઉસ ખાલી પડ્યું હતું એટલે અમેરિકન સરકારે તે વેચવાનું નક્કી કર્યું. વાટાઘાટો થઈ, બોલીઓ બોલાઈ. છેવટે સોદો નક્કી થયો, ૭૫૦ કરોડ રૂપિયામાં. ત્યાં સુધીમાં મુંબઈની બીજી કોઈ ઈમારત આટલા ઊંચા ભાવે વેચાઈ નહોતી.

સાયરસ પૂનાવાલા

૨૦૧૫ના સપ્ટેમ્બરમાં આવી જંગી રકમ આપીને લિંકન હાઉસ ખરીદનાર હતા સાયરસ સોલી પૂનાવાલા. હા, જી. આ એ જ, સીરમ ઇન્સ્ટિટ્યૂટવાળા પૂનાવાલા. કોવીડ-૧૯ના કપરા કાળમાં તેમની ઇન્સ્ટિટ્યૂટે તેની રસી શોધી અને આખા દેશમાં પહોંચાડીને લાખો-કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. તેમના આ અનન્ય ફાળાને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૨૦૨૨માં તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા. 

પણ હજી આજ સુધી લિંકન હાઉસનો સત્તાવાર કબજો પૂનાવાલાને મળ્યો નથી. કેમ? ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર, બંનેએ આ સોદા સામે વાંધો ઊઠાવ્યો છે અને આ ઈમારત જે જમીન પર આવેલી છે તે જમીન સરકારની માલિકીની છે એવો દાવો કર્યો છે. એટલે છેલ્લા ઘણા વખતથી લિંકન હાઉસ અવાવરુ થઈને પડ્યું છે. કશું સમુંનમું થતું નથી એટલે ઈમારતની હાલત કથળતી જાય છે. જ્યાં રોજ લોકોની લાંબી લાંબી લાઈન લાગતી અને તેની વ્યવસ્થા માટે કેટલાયે ચોકીદારો તહેનાત થતા એ ઈમારતના દરવાજા પાસે આજે માંડ બે-ત્રણ ચોકિયાતો બેઠા હોય છે. એ ખંડેર જેવા થતા જતા લિંકન હાઉસ ઉર્ફે વાંકાનેર પેલેસને જોઈને ૧૯મી સદીના અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ બહેરામજી મલબારીના પ્રખ્યાત કાવ્યની પંક્તિઓ યાદ આવે :

રાજા રાણા! અક્કડ શેના? વિસાત શી તમ રાજ્ય તણી,

કઈ સત્તા પર કૂદકા મારો? લાખ કોટિના ભલે ધણી.

લાખ તો મૂઠી રાખ બરાબર, ક્રોડ છોડશે સરવાળે,

સત્તા સૂકા ઘાસ બરાબર, બળી આસપાસે બાળે.

ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ,

સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 03 જાન્યુઆરી 2026

Loading

સ્નૉ વ્હાઈટ, સ્લિપિંગ બ્યૂટી, સિન્ડરેલા – કોણે લખી હતી આ વાર્તાઓ ?  

સોનલ પરીખ|Opinion - Opinion|3 January 2026

બહુ ઓછા જાણે છે કે વૉલ્ટ ડિઝનીને સ્નૉ વ્હાઈટની વાર્તા જર્મન લોકકથાઓના એક પુસ્તકમાંથી મળી હતી, જેના લેખક–સંપાદક હતા બે જર્મન શિક્ષકો જેકબ અને વિલ્હેમ ગ્રીમ. સિન્ડરેલા, ધ ફ્રોગ પ્રિન્સ, ધ ગુઝ ગર્લ, હેન્સલ એન્ડ ગ્રેટલ, રાપુન્ઝેલ, સ્લિપિંગ બ્યૂટી જેવી વિશ્વભરના બાળકોની માનીતી વાર્તાઓ 1812માં પ્રગટ થયેલા આ સંગ્રહમાં હતી …

હું નાની હતી ત્યારે કોઈએ ત્યારે ‘વ્યૂ માસ્ટર’ આવતું એ આપેલું. સાદા કેમેરા જેવડું સાધન, વાર્તાઓની સ્લાઇડ નાખો ને ફેરવો એટલે દસબાર ચિત્રોમાં એક આખી વાર્તા દેખાય. એમાં સ્નૉ વ્હાઈટની વાર્તા હતી. એનાં ચિત્રો હજી હું ભૂલી નથી. માનવીની મૂળભૂત વૃત્તિઓ – પ્રેમ, ઈર્ષા, વેર, દોસ્તી – ની એવી મઝાની રજૂઆત કે બાળમન ઝાઝું હેરાન થયા વિના એ વૃત્તિઓને ઓળખતું થાય અને શું અપનાવવું, શું નહીં એ એના મનમાં બેસતું આવે. યુનિવર્સલ અપીલવાળી આવી અનેક વાર્તાઓ આપણા પંચતંત્રમાં અને બીજે પણ છે અને પેઢીઓથી વિશ્વસમસ્તના બાળકોને આકર્ષે છે. 

અમેરિકાએ ‘સ્નૉ વ્હાઈટ’ને સાંસ્કૃતિક રીતે, ઐતિહાસિક રીતે અને સૌંદર્યશાસ્ત્રની રીતે મહત્ત્વની ગણી છે. જે પચીસ ફિલ્મો નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં સાચવી રાખવામાં આવી છે, તેમાંની એક વૉલ્ટ ડિઝનીની ‘સ્નૉ વ્હાઈટ છે એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ છે. તેને ‘ધ ગ્રેટેસ્ટ અમેરિકન એનિમેટેડ ફિલ્મ ઑફ ઑલ ટાઈમ’ ગણવામાં આવે છે. આ નામની ઘણી ફિલ્મો આવી છે, થીમ પાર્ક બન્યો છે, વીડિયો ગેમ બની છે અને બ્રોડવે મ્યુઝિકલ પણ બન્યો છે. વૉલ્ટ ડિઝનીનો 5 ડિસેમ્બરે જન્મદિન છે, એ નિમિત્તે જઈએ એમણે ઊભી કરેલી એક અદ્દભુત સૃષ્ટિમાં. 

વૉલ્ટ ડિઝની

વૉલ્ટ ડિઝનીનો જન્મ 1901માં શિકાગોમાં થયો. બાળપણથી પ્રાણીઓનાં ચિત્રો દોરવા ગમતાં. પહેલી નોકરી પણ ચિત્રકાર તરીકે જ મળી. 1928માં તેમણે મિકી માઉસનું પાત્ર સર્જ્યું અને સિન્ક્રોનાઈઝ્ડ સાઉન્ડ સાથે પહેલું કાર્ટૂન ‘સ્ટીમબોટ વિલિ’ બનાવ્યું. 1937માં તેણે પોતાની પહેલી પૂર્ણ લંબાઈની એનિમેટેડ ફિલ્મ બનાવી, ‘સ્નૉ વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ અને પછી સ્લિપિંગ બ્યૂટી, સિન્ડરેલા, પિનોકિઓ, ફેન્ટાશિયા, ડમ્બો, બામ્બી, વન્ડરલેન્ડની એલિસ જેવાં અનેક લોકપ્રિય પાત્રો-વાર્તાઓ-એનિમેશન ફિલ્મોનું સર્જન કર્યું. 1955માં કૅલિફૉર્નિયામાં ડિઝનીલૅન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક ખોલ્યો. 1966માં ફેફસાંના કૅન્સરથી 65 વર્ષની વયે એમનું મૃત્યુ થયું. ફ્લૉરિડાનું ડિઝની વર્લ્ડ એ પછી પાંચ વર્ષે ખૂલ્યું. વૉલ્ટ ડિઝનીની કંપની વિશ્વના એન્ટરટેન્મેન્ટ સામ્રાજ્યમાં સ્થપાઈ ત્યારથી ટોચ પર છે. વૉલ્ટ ડિઝનીને 59 નૉમિનેશનમાંથી 29 ઑસ્કાર મળ્યા છે, જે એક વિક્રમ છે. 

બહુ ઓછા જાણે છે કે સ્નૉ વ્હાઈટની વાર્તા એમને જર્મન લોકકથાઓના એક પુસ્તકમાંથી મળી હતી, જેના લેખક-સંપાદક હતા બે જર્મન શિક્ષકો જેકબ અને વિલ્હેમ ગ્રીમ. તેઓ બ્રધર્સ ગ્રીમ (1786-1859) તરીકે જાણીતા છે. બન્ને જર્મન અધ્યાપક, ભાષાશાસ્ત્રી, સંસ્કૃતિ-સંશોધક, કોશરચનાકાર અને લેખક હતા અને બન્નેએ મળીને 19મી સદીના લોકગીતોનું સંશોધન-સંપાદન કર્યું હતું. તેઓ ઉત્તમ લોકકથાકથક હતા. જે પુસ્તકમાંથી વૉલ્ટ ડિઝનીને સ્નૉ વ્હાઈટની વાર્તા મળી તે 1812માં પ્રગટ થયું હતું અને તેમાં સિન્ડરેલા, ધ ફ્રોગ પ્રિન્સ, ધ ગુઝ ગર્લ, હેન્સલ એન્ડ ગ્રેટલ, રાપુન્ઝેલ, સ્લીપિંગ બ્યૂટી જેવી વિશ્વભરના બાળકોની માનીતી વાર્તાઓ પણ હતી.  

એમનાં ઉત્પાદક વર્ષો હાનુઆ નામના જર્મન ગામમાં વીત્યાં. 19મી સદીમાં આવેલા રોમેન્ટિસિઝમના જુવાળના કારણે સાહિત્યરસિકોનો લોકકથા તરફનો રસ ફરી જાગૃત થયો હતો અને ગ્રીમ ભાઈઓ તેને રાષ્ટ્રપરંપરા અને સંસ્કૃતિવારસા તરીકે પ્રસ્તુત કરતા. એમણે જે રીતે લોકકથાઓનો વિદ્વદભોગ્ય સંગ્રહ તૈયાર કર્યો હતો તે લોકસાહિત્યના અભ્યાસનો પાયો ગણાય છે. તેઓ બહુ ખાતરીપૂર્વક માનતા કે રાષ્ટ્રની એકતા અને સ્વતંત્રતા માટે લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતા સાંસ્કૃતિક વારસાને બરાબર ઓળખવો જોઈએ. 1812થી 1857 સુધીમાં તેમનો લોકકથાસંગ્રહ અનેક વાર છપાતો ને સંવર્ધિત થતો રહ્યો. લોકકથાઓના સર્જન-સંપાદન સાથે આ ભાઈઓએ જર્મન અને સ્કૅન્ડેનેવિયન પુરાણકથાઓના સંગ્રહો કર્યા અને 1838માં જર્મન શબ્દકોશ રચવાનું શરૂ કર્યું, પણ એ કામ એમની જિંદગીમાં પૂરું થઈ શક્યું નહીં. 

એમની લોકવાર્તાઓ દુનિયાની 100 ભાષામાં પ્રકાશિત થઈ છે. અનેક પર વારંવાર ફિલ્મો બની છે. વૉલ્ટ ડિઝનીએ જ્યારે પહેલી વાર પૂર્ણ લંબાઈની ફિચર એનિમેટેડ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે બ્રધર્સ ગ્રીમની લખેલી સ્નૉ વ્હાઇટ અને સાત ઠિંગુજીની વાર્તા પર જ પસંદગી ઉતારી. 83 મિનિટની આ ફિલ્મનું સ્વરૂપ મ્યુઝિકલ ફેન્ટસી પ્રકારનું હતું. તેને દોરવા અને ફિલ્માંકન કરવા પાછળ નિષ્ણાતોની એક આખી ટીમનાં કલાસૂઝ અને પરિશ્રમ હતા. 

પ્રોડ્યુસર મેળવવા ડિઝનીને સારો એવો સંઘર્ષ કરવો પડ્યો, પણ અંતે ‘સ્નૉ વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ની 1937ના ડિસેમ્બર મહિનામાં કૅલિફૉર્નિયાના થિયેટરમાં રજૂ થઈ. વિવેચકોએ વખાણી, પ્રેક્ષકોએ પ્રશંસી અને બૉક્સ ઑફિસમાં પણ ટંકશાળ પડી. પ્રથમ રજૂઆતમાં જ તેણે બજેટ કરતાં આઠગણી કમાણી કરી. જોતજોતામાં એ કમાણી 500 ગણી થઈ હતી.

1938ના ઑસ્કારમાં સ્નૉ વ્હાઈટને સંગીત માટે નૉમિનેટ કરવામાં આવી. બીજા વર્ષે વૉલ્ડ ડિઝનીને એને માટે ઑનરરી ઑસ્કાર મળ્યો. આ અનોખા પ્રકારનો ઑસ્કાર હતો, એક નોર્મલ સાઈઝની અને સાત મિનિએચર ઑસ્કાર-પ્રતિમાઓ એમાં સામેલ હતી. ડિઝની માટે સાત ઠિંગુજીઓનું ખૂબ મહત્ત્વ હતું. ઠિંગુજીઓના પાત્રોમાં એમને નિર્દોષતા, ઈમોશન અને કૉમિકની પુષ્કળ શક્યતાઓ દેખાઈ હતી. મૂળ વાર્તામાં એમનાં નામ ન હતાં અને એમનું હોવું સ્નૉ વ્હાઈટની મૂળ કહાણીના સંદર્ભે જ હતું. વૉલ્ટ ડિઝનીએ તેમને નામ આપ્યાં – મુખ્ય ઠિંગુજીનું નામ ડૉક, અને તેના સાથીઓ ગ્રમ્પી, હેપી, સ્લીપી, બાશફૂલ, સ્નીઝી અને ડોપી. આ ત્રણેના દેખાવ અલગ, ઉંમર અલગ અને વ્યક્તિત્વ પણ અલગ. બધાં રત્નોની ખાણમાં કામ કરતા, ક્યારેક ઝઘડતા પણ સંપીને રહેતા, આંગણે આવી ચડેલી સુંદર સ્નૉ વ્હાઈટને નિર્મળ ભાવે ચાહતા અને એને મારી નાખવા આવેલી ઈર્ષાળુ જાદુગરણી રાણીનો પીછો કરતાં બતાવાયાં છે.  

યાદ છે ને સ્નૉ વ્હાઈટની વાર્તા – અનાથ સુંદર રાજકુંવરી સ્નૉ વ્હાઈટ, એની ઈર્ષાળુ જાદુગરણી સાવકી મા, સાવકી માની સૌથી સુંદર રહેવાની ઘેલછા, જાદુઈ અરીસો ? સ્નૉ વ્હાઈટનું ગીત સાંભળી એક રાજકુમાર તેના પ્રેમમાં પડે છે ત્યારે ઈર્ષાળુ રાણી સ્નૉ વ્હાઈટને મારી નાખવાનું કાવતરું ગોઠવે છે. મારાઓ સ્નૉ વ્હાઈટની હત્યા કરવાને બદલે જંગલમાં છોડી દે છે, સ્નૉ વ્હાઈટ પ્રાણીઓ સાથે દોસ્તી કરતી સાત ઠિંગુજીઓને ઘેર જઈ ચડે છે અને બધા મિત્રો બની આનંદ કરે છે. સ્નૉ વ્હાઈટ જીવતી છે એવી ખબર પડતાં રાણી ઝેરી સફરજન બનાવે છે જે ખાઈને સ્નૉ વ્હાઈટ મરી જશે, માત્ર પહેલું પ્રણય-ચુંબન તેને જીવતી કરી શકશે. વેશ બદલી એ સ્નૉ વ્હાઇટ પાસે પહોંચે છે. પ્રાણીઓ એના પર હુમલો કરે છે, પણ સ્નૉ વ્હાઈટ તેને બચાવે છે. પ્રાણીઓ ઠિંગુજીઓને કહેવા દોડી જાય છે. ઠિંગુજીઓ ભાગતી રાણીનો પીછો કરે છે. રાણી વરસતા વરસાદમાં પર્વત પર ચડતી મોટા પથ્થર ગબડાવતી જાય છે. વીજળી ત્રાટકે છે ને રાણી મૃત્યુ પામે છે. 

ઠિંગુજીઓ સફરજન ખાઈને મૃત્યુ પામેલી સ્નો વ્હાઈટને કાચની સુંદર પેટીમાં સુવાડે છે. એક દિવસ રાજકુમાર આવે છે, સ્નો વ્હાઈટને ચૂમી લે છે અને એ આળસ મરડીને બેઠી થાય છે … આહા, કેવી સુંદર સ્નૉ વ્હાઈટ, કેવી સુંદર એની વાર્તા અને કેવો સુંદર અંત ! મઝાની વાત એ છે કે વેર, ખલનાયિકા, કાવતરા, મૃત્યુ આ બધું વાર્તામાં આવવા છતાં વાતાવરણ આનંદનું, સંગીતનું, દોસ્તીનું અને પ્રેમનું જ રહે છે. સ્નૉ વ્હાઈટ અહીં કિશોર બાલિકા છે. દુ:ખો વચ્ચે પણ સૌંદર્ય, તાજગી, સ્ફૂર્તિ, પ્રસન્નતા, સારપ અને સ્નેહથી તરવરતી. બાળકોને અપીલ કરવાની વૉલ્ટ ડિઝની શક્તિ અપરંપાર હતી. 

સ્નૉ વ્હાઈટની 83 મિનિટમાંથી 70 મિનિટ ગીતસંગીતમય હતી. એકમાં સ્નૉ વ્હાઈટ પંખીઓને કહે છે, ‘મેં કૂવામાં ઇચ્છા નાખી છે. પડઘો પડ્યો છે એટલે સાચી પડશે.’ ને ગાય છે, ‘આઈ એમ વિશિંગ ફોર ધ વન આઈ લવ ટુ ફાઈન્ડ મી ટુડે …’ છેલ્લું ગીત કહે છે, ‘યુ આર નેવર ટૂ ઑલ્ડ ટુ બી યંગ એન્ડ ગે …’ સાચું જ છે – પ્રેમ, આનંદ અને ઉત્સાહની કોઈ ઉંમર નથી હોતી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 ડિસેમ્બર  2025

Loading

ઇન્દોરની ઘટના અને ઉમા ભારતીનું પાપ! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 January 2026

હેમન્તકુમાર શાહ

ઇન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાથી ૧૫નાં મોત થયાં અને બીજા ઘણા બીમાર પડ્યા. આ ઘટનાના સંદર્ભમાં મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભગવાધારી ઉમા ભારતીએ એક નિવેદન કર્યું છે. તેમના નિવેદનમાં જે વાક્યો છે તે આજના ‘ગુજરાત સમાચાર’ અખબાર અનુસાર આ મુજબ છે :

“(૧) નિર્દોષોનો ભોગ લેનારાઓએ પ્રાયશ્ચિત્ત કરવું પડશે.

“(૨) પીડિતોની માફી માગવી પડશે.

“(૩) જે દોષિત છે તેમને સજા કરવી પડશે.

“(૪) આ પાપનું ઘોર પ્રાયશ્ચિત્ત કરવું પડશે.”

ઉમા ભારતીની ભાષા અહીં બહુ મહત્ત્વની છે. ત્રીજો મુદ્દો શાસન વ્યવસ્થાનો કહેવાય અને બાકીના ત્રણ મુદ્દા ફાલતુ ધાર્મિક અને પ્રાચીન અને સડેલા કહેવાય. આ મુદ્દા સમજીએ :

(૧) જે દોષિત હોય તેને સજા કરે કોણ? સરકાર. પણ જો અધિકારીઓ કે કર્મચારીઓની બદલી કે સસ્પેન્શન એને જ સજા માની લેવામાં આવે તો તે ગંભીર ભૂલ છે. એટલી સજાથી કોઈને કોઈ સજા ખરેખર થતી જ નથી. મોટે ભાગે કોઈ સરકારી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તો પણ તેમનો અમુક ટકા પગાર તો ચાલુ જ રહે છે. નોકરીમાંથી બરતરફી પણ ઓછી સજા કહેવાય કારણ કે તેનાથી ગુનેગારને આર્થિક ફટકો પડે, એ સિવાય કશું નહીં. સવાલ કડક અને દાખલો બેસાડે તેવી સજાનો છે પણ એવું કશું આવા કિસ્સાઓમાં ભાગ્યે જ થાય છે. આ એક વરવી હકીકત છે અને એનો સુશાસનના સંદર્ભમાં ઉકેલ લાવવાની તાતી જરૂર છે. 

(૨) “પાપ” શબ્દ ધાર્મિક છે. ભગવાધારી ભૂતપૂર્વ મુખ્ય મંત્રીને એટલી ખબર હોવી જોઈએ કે દેશના કોઈ પણ ફોજદારી કાયદામાં ‘પાપ’ શબ્દ વાપરવામાં આવતો જ નથી. શબ્દ ‘ગુનો’ છે કે જેને માટે રાજ્ય સજા કરે છે. જો તમે ‘પાપ’ શબ્દ વાપરો તો સજા સરકારે કરવાની ન થાય, એ તો ભગવાન કરે. અને ભગવાન દેખાતો હોય તો સજા કરે ને! અને ભગવાનની એવી કોઈ સજાની લોકોને તો ખબર પડતી જ નથી. ‘પાપ’ શબ્દ સરકારનો શબ્દ નથી, એને બદલે ગેરવહીવટ કે કુશાસન યોગ્ય શબ્દ ગણાય.

(૩) ઉમા ભારતીએ બીજો એક શબ્દ વાપર્યો છે અને તે છે “પ્રાયશ્ચિત્ત”. એ કોણે કરવાનું? કેટલું કરવાનું? એનો કોઈ માપદંડ છે જ નહીં. અને કોઈ ગુનેગાર જાતે જાતે જે પ્રાયશ્ચિત્ત કરે તો તેનાથી વાત પતી જાય એમ? એનો અર્થ એવો પણ થાય કે ગુનેગારો જાતે પ્રાયશ્ચિત્ત કરી લે એટલે રાજ્ય સજા પણ ન કરે. અરે, તો રાજ્ય છે શું કરવા, કાયદા છે શું કરવા? 

(૪) ઉમા ભારતીએ અસરગ્રસ્તોની “માફી માગવી જોઈએ” એમ પણ કહ્યું છે. કોણ માફી માગે, કેવી રીતે માફી માગે, ક્યારે માગે? અને અસરગ્રસ્તો માફ ન કરે તો શું? માફી માગવાથી ગુનેગારો છૂટી જાય એમ ચાલે? માફી એ પૂરતી સજા ગણાય? 

ભગવાન કોઈ દોષિતને કશી સજા કરતો નથી એમ માણસને સમજાયું એટલે તો એણે રાજ્યની રચના કરી, કાયદા ઘડ્યા અને કાયદામાં દોષિતોને સજા થાય તેની વ્યવસ્થા કરી. 

પાપ, માફી, પ્રાયશ્ચિત્ત વગેરે ધાર્મિક શબ્દોને સરકાર સાથે કશી લેવાદેવા નથી, અને છતાં ઉમા ભારતી આવા શબ્દો વાપરીને લોકોને ઉઘાડેછોગ છેતરે છે. રાજવ્યવસ્થાના સંદર્ભમાં આવા બધા શબ્દો ગેરબંધારણીય છે. 

આપણા બંધારણમાં પણ ‘પાપ’ શબ્દ ક્યાં ય વાપરવામાં આવ્યો નથી. એટલે આવી ધર્માંધતામાં ફસાવું જોઈએ નહીં. આવું બધું કહીને ઉમા ભારતીએ જ મોટું પાપ કર્યું છે, અને એની સજા ભગવાન તો એમને આપવાનો જ નથી!

તા.૦૩-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...54555657...607080...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved