Opinion Magazine
Number of visits: 9456196
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાળપણમાં ‘દંડો’ કહીને મજાક થઇ, દુનિયામાં ટર્બન ટોર્નેડો તરીકે મશહૂર થયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 August 2025

રાજ ગોસ્વામી

અંગ્રેજીમાં એક પ્રચલિત કહેવત છે : Age is just a number. તેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિની ક્ષમતાઓને તેની ઉંમર સાથે સંબંધ નથી. તેનું શરીર ગમે તેટલું ઉંમરવાળું હોય, તેનું દિલ અને દિમાગ એટલું જ યુવાન, એટલું જ સક્રિય અને એટલું જ સર્જનાત્મક હોય છે જેટલી તેની દૃઢતા અને ધૈર્ય હોય છે. ઉંમર ફકત એક નંબર છે અને તે વ્યક્તિના અનુભવો, ક્ષમતાઓ અને સપનાને સીમિત નથી કરતી. પ્રસિદ્ધ ઇંગ્લિશ વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક વિધાન છે; Age is just an issue of mind over matter. If you don’t mind, it doesn’t matter. વ્યક્તિ કોઇપણ ઉંમરે કશું પણ હાંસલ કરી શકે છે.

આ કહેવત એવા લોકો ચરિતાર્થ કરતા હોય છે જેઓ કોઇપણ ઉંમરે કંઈક નવું શરૂ કરવા અથવા હાંસલ કરવા માટે પ્રેરિત હોય છે. એવું જ એક નામ ફૌઝા સિંહ છે. અથવા હતું. 14મી જુલાઈએ તેમનું અવસાન થઇ ગયું. તે વખતે તેમની ઉંમર 114 વર્ષની હતી. હજુ 22 વર્ષ પહેલાં જ, 92 વર્ષની ઉંમરે, ફૌઝા સિંહે ટોરંટોની મેરાથોનમાં દોડીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.

ઉંમરના આ પડાવ પર આવીને મેરાથોન રનર તરીકે નામ કમાનારા ફૌઝા સિંહને મીડિયાએ પાઘડીવાળું તોફાન, દૌડવીર બાબા અને સુપરમેન શીખ જેવા ખિતાબોથી નવાજ્યા હતા. રમતગમત સંબંધી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના તે પ્રચારક હતા. 2004માં, સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સના નિર્માતા એડિડાના પ્રચારમાં તેઓ વિશ્વ વિખ્યાત ખેલડી ડેવિડ બેકમ અને મહોમ્મદ અલીની લગોલગ ઊભા હતા. 

ફૌઝા સિંહની વાર્તા શાનદાર અને જાનદાર છે. વિચાર કરો કે જે છોકરો પાતળા અને નબળા પગને લઈને જન્મનાં પહેલાં પાંચ વર્ષ સુધી ચાલી ન શક્યો હોય, અને એટલે લોકો તેને મજાકમાં ‘દંડો’ કહેતાં હતા, તે 89 વર્ષની વયે એવું નક્કી કરે છે કે હવે હું મેરેથોનમાં પણ દોડીશ, અને લોકો તેને ટર્બન ટોર્નેડો કહેવા લાગે છે.

ગમતું કામ તમે કોઈપણ સમયે અને કોઈપણ ઉંમરે શરૂ કરી શકો છો. તેના માટે દિલમાં કંઇક કરવાની ઇચ્છા અને મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. દોડવીર ફૌજા સિંહે આ સાબિત કર્યું છે. ફૌજા સિંહનો જન્મ 1 એપ્રિલ, 1911ના રોજ બ્રિટિશ રાજ હેઠળ પંજાબના જલંધરમાં બિયાસ પિંડ ખાતે થયો હતો. તેઓ ખેડૂત પરિવારના ચાર બાળકોમાં સૌથી નાના હતા.

ફૌજા સિંહનું બાળપણ સરળ નહોતું. તેના પરિવારને લાગતું હતું કે ફૌઝા અપંગ છે કારણ કે તે ચાલી શકતો ન હતો. પાંચ વર્ષ પછી તેના પગ જમીન પર ગોઠવાયા હતા અને મોટા થયા પછી તે ખેતીમાં જોતરાઈને પરિવારનો ટેકો બન્યો હતો. ત્યારે પણ તે પગને ઠીક કરવા માટે દોડતો હતો, પરંતુ ભારતના વિભાજન પછી દોડવાનું છોડી દીધું હતું. પછી તો લગ્નના પગલે ઘર-પરિવારની જવાબદારી આવી પડી હતી.

90ના દાયકામાં ફૌઝાના જીવનમાં ટ્રેજેડીઓ ઘટી, જેમાંથી ઉભરવા માટે તે તેમના દોડવાના જૂના શોખના શરણે ગયા. 1994માં તેમના પાંચમા દીકરા કુલદીપનું એક બાંધકામ વખતે અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. બે વર્ષ પહેલાં જ, તેમની પત્ની અને મોટી દીકરીનું અવસાન થઇ ગયું હતું. ઘરમાં ઉપરાછાપરી ત્રણ લોકોની વિદાયથી ફૌઝા નાસીપાસ થઇ ગયા હતા અને તેમના અન્ય એક દીકરા સાથે રહેવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. 

અહીં આવીને તેમણે તેમની એકલતાને ભરવા માટે ‘પગ ખંખેર્યા.’ તેમણે પહેલાં રોજેરોજ વ્યસ્ત રહેવા માટે થઈને દોડવાનું શરૂ કર્યું હતું અને પછી તેમને તેને એક સ્પોર્ટ્સ તરીકે લેવાનું ચાલુ કર્યું. 89 વર્ષની વયે તેઓ ઇંગ્લેન્ડના એસેક્સમાં ટ્રેનિંગ માટે ગયા ત્યારે થ્રી-પીસ સૂટ પહેરીને ગયા હતા! તેમના કોચે તેમને શું પહેરવું અને કેવી રીતે દોડવું તે શીખવાડ્યું હતું. 

તે રોજ 24 કિલોમીટરનું અંતર સરળતાથી દોડી લેતા હતા અને તેમણે મેરાથોન દોડવાની સપનું પણ એવા ભ્રમમાં જ જોયું હતું કે તે 26 કિલોમીટરની હોય છે. વાસ્તવમાં મેરાથોન 26 માઈલ(42 કિલોમીટર)ની હોય છે એવી સમજણ પણ કોચે આપી હતી. ફૌઝાએ તે પછી 42 કિલોમીટરને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. તે પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, તેમણે પાછું વાળીને જોયું નહોતું.

93 વર્ષની ઉંમરે તેમણે 6 કલાક અને 54 મિનિટમાં મેરાથોન પૂરી કરી હતી. તેમણે તેમની ઉંમરના લોકોની યુ.કે. સ્પર્ધામાં 200, 400 અને 800 મીટરના તમામ રેકોર્ડ 94 મિનીટમાં તોડ્યા હતા. 100ની ઉંમરે તેમણે એક જ દિવસમાં આઠ વર્લ્ડ એજ ગ્રુપ રેકોર્ડ બનાવ્યા હતા. 

તમને આ બધું વાંચીને સવાલ થતો હશે કે એક માણસ આ ઉંમરે આટલી સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી શકે? તો તેનો જવાબ ફૌઝા સિંહની જીવનશૈલીમાં છે. તેમણે એકવાર લંડનના ‘ધ ગાર્ડિયન’ સમાચારપત્રને કહ્યું હતું કે, ‘લાંબા અને તંદુરસ્ત જીવનનું રહસ્ય તનાવરહિત જીવવામાં છે. તમારે નકારાત્મક લોકોથી અને વિચારોથી દૂર રહેવું જોઈએ, હસતા રહેવું જોઈએ, કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ અને નિયમિત વ્યાયામ કરતા રહેવું જોઈએ.”

ફૌઝા દૃઢપણે માનતા હતા કે શારીરિક સ્વાસ્થ્ય જેટલી જ માનસિક શાંતિ અગત્યની છે. તેઓ કહેતા હતા, ‘તમે ક્યારે ય સાંભળ્યું છે કે કોઈ માણસ આનંદિત હતો એટલે મરી ગયો?’ ફૌઝા 90 અને 100ના થયા ત્યાં સુધી શિસ્ત અને સંયમથી જીવતા હતા. તે નવરા બેસી રહેતા નહોતા. તેઓ રોજ ચાર કલાક ચાલતા હતા અને 10 કિલોમીટર દોડતા હતા. 

તે ઘરનો જ ખોરાક ખાતા હતા. તેમણે ક્યારે ય દારૂ-સિગારેટને હાથ લગાડ્યો નહોતો. તેઓ કહેતા કે તમે તમારા શરીરમાં શું નાખો છો તેના પર ઘણો આધાર છે – ચાહે તે ખાવાનું હોય, પીવાનું હોય કે વિચારો હોય.

તમારા પગ નથી દુ:ખતા? તમને આ બધું છોડીને બેસી જવાનું મન નથી થતું? એવા કાયમ પુછાતા પ્રશ્નના જવાબમાં તે કહેતા, ‘હા, મારા પગ દુ:ખે તો છે, પણ જે લોકો આખો દિવસ બેસી રહે છે તેમના પગ પણ દુઃખે છે. મારા તો મજબૂત થાય છે.”

છેલ્લા અમુક સમયથી ફૌઝા સિંહ તેમના વતન બિયાસ પિંડ આવ્યા હતા. તેઓ 114 વર્ષના હતા. 14મી જુલાઈએ સવારે ચાલવા નીકળ્યા હતા અને એક અજાણ્યા વાહનની અડફેટમાં આવી ગયા હતા. તેમને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પણ ત્યાં તેમણે જીવ ગુમાવી દીધો હતો. 100 વર્ષ સુધી જે પગ દોડતા રહ્યા હતા તે ચાલતી વખતે જ એક ટક્કરમાં કાયમ માટે શાંત થઇ ગયા હતા. ફૌઝા સિંહ જીવતે જીવ જંપીને બેઠા નહોતા, હવે નિરાંતે સ્વર્ગમાં બેઠા હશે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શિક્ષકો ભણાવવા માટે પણ હોય છે …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 August 2025

રવીન્દ્ર પારેખ

એવું બને કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય ને શિક્ષકો મંદિરોમાં ભોજન વ્યવસ્થા સાચવવામાં કે ટોઇલેટ ગણતરીમાં કે રસીકરણ જેવી કામગીરી માટે મોકલવામાં આવ્યા હોય કે સ્કૂલમાં હોય તો પરિપત્રોના જવાબો આપવામાં કે ડેટા ફીડ કરવામાં વ્યસ્ત હોય, ત્યારે શિક્ષકનું કામ ભણાવવાનું ખરું કે કેમ તેનો ખુલાસો સરકારે કરવો જોઈએ. કેટલાક શિક્ષકોને એ ઉપલક કામ ગમતું પણ હશે, પણ મોટે ભાગના શિક્ષકો વર્ગમાં ભણાવવા ઈચ્છે છે, કારણ તેને પગાર ભણાવવાનો અપાય છે, એટલે એ કામ નથી થતું તો કેટલાક શિક્ષકોને કોઈ ગુનો કરતા હોય એવું લાગે છે. શિક્ષણ વિભાગનું કામ શિક્ષણ અપાય તે જોવાનું છે, પણ તેને રસ, ઈતરપ્રવૃત્તિનો જ હોવાને કારણે તે વખતો વખત તઘલખી ફેરફારો કરવામાં અને ફતવાઓ બહાર પાડવામાં વ્યસ્ત હોય છે.

હવે શું છે કે મંત્રીઓ લવારો ન કરતા હોય તો, તેના મંત્રી હોવા વિષે શંકા જન્મે છે. કાલના જ સમાચારમાં શિક્ષણ મંત્રી ડિંડોરે ગોધરામાં કહ્યું કે રસ્તામાં ખાડા પડે તો સરકારમાં ફોન ન કરવાના હોય, તગારા, પાવડા, માટી લઈને લોકોએ જ ખાડા પૂરીને નાગરિક ધર્મ બજાવવો જોઈએ. આમ તો ખાડા શિક્ષણ મંત્રીશ્રીના કોર્સમાં જ ન હતા, પણ લોકોને ઉપદેશ આપવો હતો તે આપ્યો. એ ખરું કે પ્રજાએ નાગરિક ધર્મ બજાવવો જોઈએ, પણ સરકાર તેની ફરજ ચૂકે તો તે પ્રજાને સલાહ આપી શકે? સારું છે કે સાહેબે એમ ન કહ્યું કે શિક્ષકોની ઘટનું શું રડ્યા કરો છો? એ ન ભણાવે તો નાગરિકોએ ભણાવીને નાગરિક ધર્મ બજાવવો જોઈએ. તે એટલે કે નાગરિકો થોડો કંઇ રોડ, લાઈટ, નળનો વેરો ભરે છે? તો સરકાર શું કામ ખાડા પૂરે?

તાજેતરમાં બે ફતવાઓ બહાર પડ્યા છે. એક પ્રાથમિક સ્કૂલો બંધ કરવાનો અને 90 માધ્યમિક સ્કૂલો શરૂ કરવાનો. સરકાર દ્વારા તમામ જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરીને આદેશ અપાયો છે કે બાળકોની સંખ્યા શૂન્ય હોય એવી પ્રાથમિક શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરો ને એવી સ્કૂલો બંધ ન થાય તો સંબંધિત શિક્ષણાધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે શાળા, પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી, 31 જુલાઈની કટ ઓફ ડેટ મુજબ ખોટી સંખ્યા દર્શાવી વધારાના શિક્ષકો મેળવવાની કોશિશ કરતી જણાય તો તેની જાતે તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરવાની રહેશે. એ ખરું કે સંખ્યા જ ન હોય તે સ્કૂલો ચાલુ રાખવાનો અર્થ નથી, પણ સ્કૂલો શરૂ થઈ ત્યારે બાળકો હોવાની ગણતરીએ જ શરૂ થઇ હશે, તો એની તપાસ પણ થવી જોઈએ કે એવું શું થયું કે બાળકોની સંખ્યા શૂન્ય સુધી ઊતરી આવી?

એ કેવું કે સરકારી પ્રાથમિક સ્કૂલો સંખ્યાને અભાવે બંધ થાય ને ૮૫ સરકારી માધ્યમિક સ્કૂલો ને 5 સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે મહિના પછી શરૂ કરવાની વાત આવે? જો કે, એક રાજ્ય શાળા સંચાલક મંડળે સીધા જ વર્ગો બંધ ન કરતા, જરૂર પડે તો ગ્રાન્ટમાં કાપ મૂકીને, વધુ તક આપવાનો પત્ર સરકારને લખ્યો છે. આશા રાખીએ કે સરકાર સ્કૂલો બંધ કરવાની ઉતાવળ ન કરે. એ પણ છે કે સુરત શહેર અને જિલ્લામાં 9 સરકારી સ્કૂલોને મંજૂરી મળી છે. આ નવ સ્કૂલો શરૂ થવાની સાથે જ સુરત શહેર અને જિલ્લામાં ૨૩ સ્કૂલો બે જ વર્ષના ટૂંકા ગાળામાં શરૂ થશે. તે ઉપરાંત ભરૂચ જિલ્લામાં બે અને વલસાડ, વાપીમાં એક એક સ્કૂલને મંજૂરી મળ્યાની વાત પણ છે. વળી નવી શાળાને મંજૂરી મળવાની સાથે 350 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની જોગવાઈ પણ થઈ છે. એ સારી વાત છે કે સરકાર 90 સ્કૂલો ખોલવા જઈ રહી છે, પણ આ વેપલો થોડા મહિના વહેલો થયો હોત તો સત્ર શરૂ થવાની સાથે જ આ સ્કૂલો પણ શરૂ થઈ શકી હોત ને અભ્યાસને મુદ્દે અન્ય સ્કૂલોની સાથે રહી શકી હોત. મોટી મુશ્કેલી તો વિદ્યાર્થીઓ મેળવવાની થશે, કારણ મોટે ભાગના વિદ્યાર્થીઓએ એડમિશન તો નવું સત્ર શરૂ થવાની સાથે જ લઈ લીધું હોય, તે બે મહિને શરૂ થનારી સ્કૂલની રાહ ન જુએ.

એક તરફ 90 સ્કૂલો ખૂલવાની વાત છે, જયારે જેતપુર કૈં જુદો જ રાગ આલાપે છે. જેતપુરના ખીરસરા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત નવચેતન હાઈસ્કૂલમાં પૂરતી સંખ્યા છે, કોમ્પ્યુટર, લેબોરેટરી, પ્રોજેક્ટર, સ્માર્ટ ટી.વી. સ્ક્રીન જેવી અદ્યતન સુવિધાઓ પણ છે, પણ ખાટલે મોટી ખોડ તે મકાનની છે. સ્કૂલનું મકાન જર્જરિત થઇ ગયું છે ને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. દોઢેક વર્ષ પર હાઈસ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે એટલે ગ્રામ પંચાયત પાસે વૈકલ્પિક વ્યવસ્થા માટે મકાનની માંગણી કરી. ગ્રામ પંચાયતે બીજી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પંચાયત કચેરીનો એક રૂમ કાઢી આપ્યો ને વધારામાં કચેરીનું ગોડાઉન ક્લાસરૂમ માટે આપ્યું.

એમાં અભ્યાસ તો શરૂ થયો, પણ વિદ્યાર્થિનીઓ માટે શૌચાલયની વ્યવસ્થા ન હતી. આ શાળા ૨૫ વર્ષથી 90 ટકાથી વધુ પરિણામ લાવે છે. અહીં સુવિધાઓ છે, પણ શૌચાલય નથી. ધોરણ 9 અને 10ના 73 વિદ્યાર્થીઓ ગોડાઉનમાં કેમ કેમ ભણતા હશે એની કલ્પના જ કરવાની રહે છે. આ ગોડાઉનને કોઈ સ્માર્ટ ક્લાસ કહે કે આ ભણતરને કોઈ ભાર વગરનું ભણતર કહે તો આશ્ચર્ય નહીં થાય, કારણ આપણી પાસે બઢાવી ચઢાવીને કહેવા માટે ઘણું છે, ‘ભણે ગુજરાત’ જેવાં પોસ્ટર્સ પણ પ્રચાર-પ્રસાર માટે ઘણાં છે, પણ ઓછામાં ઓછી જરૂરિયાતવાળી સ્કૂલનો વિકલ્પ ગ્રામ પંચાયતની કચેરીના ગોડાઉનમાં જડે એ શિક્ષણ જગતની બલિહારી છે.

ખીરસરાની નવચેતન સ્કૂલના શિક્ષકો ગોડાઉનમાં ભણાવે તો છે જ, પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ થઈ શકે એ માટે અંગ્રેજીના શિક્ષક પણ રોકે છે ને એમને પગાર ચૂકવવા દર મહિને ફાળો પણ ભેગો કરે છે. આ રીતે ચાલતી સ્કૂલનું પરિણામ ગયે વર્ષે 94 ટકા આવ્યું. આવું પરિણામ લાવતી સ્કૂલની આ દશા છે ! મકાન નથી એટલે સ્કૂલ ગોડાઉનમાં ચાલે છે, અંગ્રેજીના શિક્ષક નથી, તો એને શિક્ષકો રોકે છે. કમાલ છે ને ! સરકારના કામ હવે શિક્ષકોએ કરવા પડે છે. બાકી, અંગ્રેજીનો શિક્ષક રાખવાનું કે તેને પગાર આપવાનું કામ શિક્ષકોનું છે? પણ, વિદ્યાર્થીઓ માટેની લાગણી અને 90 ટકા રિઝલ્ટ લાવતી શાળાનો રેકોર્ડ ન બગડે એટલે શિક્ષકો આટલું કરે છે.

શિક્ષકો વર્ગ શિક્ષણમાં વધુ રસ લે એ સ્થિતિ શિક્ષણ વિભાગે ઊભી કરવી જોઈએ, તેને બદલે તેને બીજા કામની ફરજ પડાય તે અક્ષમ્ય છે. એ આઘાતજનક છે કે શિક્ષણ કાર્ય સિવાયની 90થી વધુ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે. આ સ્થિતિ હોય તો શિક્ષક વર્ગમાં ભણાવે એવી શક્યતાઓ જ કેટલી રહે?  વી.વી.આઈ.પી. ભોજન સંચાલનનું કામ શિક્ષકોનું છે? એ ભોજન લેતા મહાનુભાવોમાંથી કોઈ વર્ગમાં ભણાવી શકે એમ છે? જો એ શિક્ષકોનું કામ નથી કરતા, તો શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરે મોકલવાનું ડેપ્યુટી કલેકટર વિચારી જ કઈ રીતે શકે? એ તો વિરોધ થયો ને જસદણ અને વીંછીયા તાલુકાની શાળાઓના શિક્ષકોને માથેથી જવાબદારી ગઈ, તો પણ ડેપ્યુટી કલેકટરનું કહેવું છે કે પરિપત્ર ભલે રદ થયો હોય, પાર્કિંગ, પ્રસાદ વિતરણ જેવી કામગીરીઓ શિક્ષકો સ્વેચ્છાએ કરશે. આ એવી શાળાઓ છે જેનું પરિણામ દયાજનક છે. અહીં પહેલેથી જ શિક્ષકોની ઘટ છે – જસદણમાં 15 ટકા અને વીંછીયામાં 40 ટકા. એમાંથી પણ શિક્ષકોને બીજે જોતરીને ઘટમાં વધારો કરવામાં આવે તો શાળાના બાળકોનાં શિક્ષણનું શું? જે શિક્ષકો સ્વેચ્છાએ મંદિરની કામગીરી કરવા તૈયાર છે, તેઓ સ્વેચ્છાએ વધારે સમય વર્ગમાં ભણાવવા તૈયાર થશે? કોણ જાણે કેમ, પણ શિક્ષણને પ્રાથમિકતા અપાતી જ નથી, એટલું જ નહીં, જેમના પર શાળા ઊભી થઇ છે, એ બાળકોને તો કોઈ લેખામાં જ નથી લેતું.

સાચું તો એ છે કે સરકારી સ્કૂલો સરકારને માથે દેવું છે ને તે ઓછામાં ઓછું ચૂકવાય એ દાનત છે, કારણ આમાં મળતર નથી. એટલે જેમ ફાવે તેમ મંત્રીઓ અને અધિકારીઓ શિક્ષણ વિભાગ ચલાવે છે. રોજ ફતવા બહાર પડે છે ને વિરોધ થાય છે તો પાછાય ખેંચી લેવાય છે. નિયમો નક્કી થાય છે, તેમાં ઢંગધડા હોતા નથી. એક નિયમ એવો થયો કે વર્ગખંડમાં વિદ્યાર્થી દીઠ 8 ફૂટની જગ્યા જોઇશે. સવાલ એ છે કે વર્ગખંડ જ નથી ને બાળકો પતરાંના શેડમાં કે ઝાડ નીચે ભણતા હોય કે એક જ વર્ગમાં બબ્બે ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ ઠાંસવામાં આવતા હોય, ત્યાં 8 ફૂટ માપવાનું ભોળપણ સરકાર કેવી રીતે દાખવે છે? બીજો નિયમ એવો કર્યો કે કોઈ પણ પ્રિ-સ્કૂલ ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકને પ્રવેશ આપી શકશે નહીં. એ સાથે જ એમ પણ ઉમેર્યું કે ઉંમરનો પુરાવો જરૂરી નથી. કોઈ 13 વર્ષનો બાળક પોતાને ૩ વર્ષનો જાહેર કરે તો તેને માટે કોઈ પુરાવો જરૂરી નથી. લાગે છે, આમાં ક્યાં ય અક્કલનો ઉપયોગ થયો છે?

અપેક્ષા રાખીએ કે અભણમાં હોય એટલી કોઠાસૂઝ ક્યારેક તો શિક્ષણ વિભાગમાં આવે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑગસ્ટ 2025

Loading

Vimala Thakar : My memories of her grace and glory

Saryu Parikh|English Bazaar Patrika - Features|3 August 2025

Vimala Thakar was an Indian social activist and spiritual teacher. Born into a middle-class family in India. She was a living reconciliation of Gandhi’s activism with J. Krishnamurti’s spirituality. 

First time I saw Vimalatai, (tai = older sister) as a 10yr old, she was speaking as a  Bhoodan Yagna activist in an auditorium in Bhavnagar, Gujarat. Growing up, I continued to listen to her lectures on different occasions. But, after several years, I was surprised to hear Vimalatai’s name from my mother. 

After three years in U.S., I had returned home for a visit. I knew that my mother Bhagirathi Mehta, was always yearning to find a guru, and many times, anxious about it. 

But this time, I told my mom, “Ma, you look quite cheerful and confident.”

“Yes, because of one experience,” she said jovially. “Several months ago, I went to a gathering, organized by the followers of Vimala Thakar. When I heard her lecture, I was overwhelmed with devotional feelings towards her. I felt that she was directly talking to me. The program concluded after topics like – ‘What is non-violence?’; ‘Science and spirituality’ and ‘awakening of society’ The next day, I could not stop myself and showed up in the morning at her residence. I told her assistant about my desire to meet Vimalatai. But the lady politely refused and I had to return home.”

“You, a respected retired teacher must have thought ‘Ok. That’s the end of it’.” I spoke.

“No. The next day, I went again and I saw Vimalatai in the front yard hanging her sari to dry. I went to her and I approached her, and she invited me in. Our conversation lasted 35 minutes. I told her, I wanted to come to Mount Abu to be near her, but worried about my family responsibilities. Tai said, “If you are sincere, you will come.” That sentence hit me sharply.”

Then, with my father’s blessings, Mom went to Abu. Vimala Thakar never encouraged the followers to form a large group. After a time, my mother was welcomed into Vimalatai’s small group as a poetess. She was overjoyed whenever her guru asked her to recite a poem.

Bhagirathi Mehta

We were in California when my mother informed me that Vimalatai had come for a workshop –Why Meditation? : Five Talks Delivered at the Blaisdell Institute, Claremont University, California 1974. Dilip and I went to Claremont. At the auditorium gate we were greeted by a gentleman. 

I said, “We have come to meet Vimalatai.”

He said, “Welcome. I am Kishansinh Chavda, Vimalaji’s secretary.” 

“Wow! A famous writer and journalist, Vimalatai’s secretary!!” We were impressed.

We invited them to come to our home which was one hour away. Dilip readily said that he will pick them up. 

Vimalatai’s presence in our home felt like my closest family member had come. She held six-month-old Sangita in her lap. Some people were talking about parents sending their babies to India. Vimalatai looked at me kindly and said, “Saryu will not do such a thing.” I was touched by her trust in me. That evening a doctor couple, Anjana and Vikram Kamdar came to meet Vimalayai. That friendship extended like a chain connecting us with some special friends in America. Again, she was invited for a lecture series and we were overjoyed to have her in our home.

Second time when Vimalatai came to our house, she noticed a good collection of Indian classical music and asked, “Dilipbhai, can you play something?” Dilip played Amirkhan’s raag Marwa. Vimalatai listened keenly and thanked Dilip warmly.

In 1981, I was at my mom’s house with my 7yr Sangita and 5yr Samir. Vimalatai was in Bhavngar so, my mom invited her whole group for lunch. That day, I realized how my mother had been accepted in this special spiritual group. Someone burped, so my Samir chirped, “I would say eccuze me.” Others were confused, but Vimalatai said, “Yes Baba, excuse me.” She sounded just like a loving granny,

Vimalatai did not like anybody bowing down to her. But as my mom wanted, she warned her, “I am going to do pranam.” We were smiling as my mom bowed in obeisance.

My father-in-law and both families honored Vimala Thakar as a saint. Vimalatai wrote a glowing letter for my brother, Padmshri Dr. Munibhai Mehta when he published the book, ‘Science-Spirituality and The World Tomorrow’.

My mother, Bhagirathi Mehta was fortunate to spend time with her guru while she translated Vimaltai’s books in Gujarati, ‘Sahaj Samadhi Bhali’ and ‘Atmadip’. A great guru makes each disciple feel that the guru loves her/him most.

In her opening words at the last seminar held outside India, in Holland in 1991, she said: “You will find out for yourselves my friends that these gatherings become festivals of friendship. They are informal and intimate get-togethers of those interested in enquiring into what this mystery of life and living is… We will be enquiring together, it will be a joyous enquiry, joyous and serious simultaneously, deep and yet vibrating with vitality at the same time…”

I wanted to rejoice the memories of a few blessed hours spent with Vimala Thakar. Pranam,

——-

Austin, Texas.
e.mail : SaryuParikh@yahoo.com
www.Saryu.wordpress.com 

Loading

...102030...54555657...607080...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved