Opinion Magazine
Number of visits: 9456090
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નફરત ફેલાવવા માટે કલાનો શસ્ત્ર તરીકે ઉપયોગ !

Opinion - Opinion|6 August 2025

રમેશ સવાણી

કોઈ તડીપાર / નફરતી / ગુંડો મિનિસ્ટર બને તો? સત્તાનો સદુપયોગ કરે કે દુરુપયોગ? ગુંડાની માનસિકતા જ બીજાને અન્યાય કરવાની હોય છે. ગુંડાઓ પોતાના સ્વાર્થ માટે દરેક સાધનનો ઉપયોગ  કરે છે. કલાનો પણ ઉપયોગ કરે છે. 

2014 પછી મુસ્લિમો પ્રત્યે નફરત કરતી ફિલ્મો બનવા લાગી. હેતુ ધ્રુવિકરણનો હતો. તેમાં મુસ્લિમ સમુદાયને વિલન દર્શાવવામાં આવે. કોર્પોરેટ કથાકાર અને મોદીભક્ત મોરારિ બાપુએ વ્યાસપીઠ પરથી, 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલ ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોવા હિન્દુ ભક્તોને આગ્રહ કર્યો હતો. મેરારિ બાપુએ ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોઈ ન હતી. મોરારિ બાપુના આગ્રહ ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય કે ‘કાશ્મીર ફાઈલ’ પ્રોપેગેંડા ફિલ્મ હતી. આવી જ ફિલ્મ  હતી : ‘ધ કેરળ સ્ટોરી.’

હવે આ બહુમતી હિન્દુઓના મત લણવા બનેલી ફિલ્મને 1 ઓગસ્ટ 2025ના રોજ, 17મા આંતરરાષ્ટ્રીય દસ્તાવેજી અને ટૂંકી ફિલ્મ મહોત્સવ(મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ)માં માહિતી અને પ્રસારણ મંત્રાલય અને NFDC-રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમે ‘ધ કેરળ સ્ટોરી’ને શ્રેષ્ઠ ફિલ્મનો અને સુદીપ્તો સેનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આપ્યો છે ! આ નિર્ણય ફક્ત નિરાશાજનક નથી, પણ ખતરનાક પણ છે. નાઝી સિનેમાએ હોલોકોસ્ટને પ્રોત્સાહન આપ્યું હતું. હિન્દુત્વ-સિનેમા રોજિંદા નફરત અને હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગોડસેવાદી સરકારની નાગાઈ તો જૂઓ : આવી પ્રોપેગેન્ડા ફિલ્મને ટેક્સ ફ્રી કરે છે અને એવોર્ડ પણ આપે છે !

તેની સામે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણેના સ્ટુડન્ટ્સ યુનિયને 2 ઓગસ્ટ  2025ના રોજ વિરોધ કર્યો છે. 

તેમણે કહ્યું છે કે “રાજ્ય જો બહુમતીવાદી, નફરતથી ભરેલા એજન્ડા સાથે આગળ વધે તો તે સિનેમાના વેશમાં પ્રચારને પુરસ્કાર આપશે. ‘ધ કેરળ સ્ટોરી’ કોઈ ફિલ્મ નથી, પરંતુ એક શસ્ત્ર છે. આ ફિલ્મ એક રાજકીય એજન્ડા પર આધારિત પ્રચાર છે, જે સત્ય ઘટનાના વેશમાં રજૂ કરવામાં આવી છે. ‘ધ કેરળ સ્ટોરી’ એક કટ્ટરપંથી અને નફરત ફેલાવનાર સંગઠનની વિચારધારા દ્વારા સમર્થિત છે. આ ફિલ્મ ખોટા આરોપો અને દ્વેષપૂર્ણ છબીઓ દ્વારા ઇસ્લામ અને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવે છે. આ ફિલ્મ પહેલાથી જ આપણી સામાજિક એકતા, ભાઈચારો અને શાંતિને નુકસાન પહોંચાડી ચૂકી છે. રાષ્ટ્રીય સ્તરે આવી ફિલ્મને એવોર્ડ આપવાથી આપણા દેશના ફિલ્મ ઉદ્યોગને એવા માર્ગ પર લઈ જઈ રહ્યા છે જ્યાં રાજકીય અને સાંપ્રદાયિક દખલગીરીનો ભય છે. એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં સર્જનાત્મક અભિવ્યક્તિ દબાવવામાં આવશે. જ્યારે કોઈ સરકારી સંસ્થા આવી નફરત ફેલાવતી ફિલ્મોનું સન્માન કરે છે, ત્યારે તે ફક્ત એક નિર્ણય નથી; તે આપણા દેશના સામાજિક માળખા પર સીધો હુમલો છે. તે સમાજને જોડવાની, સત્યને ઉજાગર કરવાની અને ન્યાય વિશે વાત કરવાની કલાની શક્તિને નબળી પાડે છે. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે અમે એવી કોઈ પણ વાર્તા સ્વીકારીશું નહીં જે નફરત ફેલાવે છે, અથવા માનવતાને વિભાજીત કરે છે. અમને લાગે છે કે અમારા ઉદ્યોગ, જેને અમે પ્રેમ કરીએ છીએ, તેને આવા પ્રચાર અને નફરતથી ભરેલા વિચારોથી બચાવવો જોઈએ. અમારી લડાઈ ફક્ત ફિલ્મ સાથે નથી, પરંતુ તે માનસિકતા સાથે છે જે નફરત ફેલાવવા માટે કલાનો ઉપયોગ કરે છે. અને અમે – જે અલગ અલગ વિચારો, ઓળખ અને સંસ્કૃતિઓમાંથી આવીએ છીએ – આ મૌન અને હિંસા સામે અવાજ ઉઠાવતા રહીશું. અમે ચૂપ રહેવાનો ઇનકાર કરીએ છીએ કારણ કે અમે જે ઉદ્યોગમાં પ્રવેશવાની આશા રાખીએ છીએ તે જૂઠાણા, કટ્ટરતા અને ફાસીવાદી વિચારધારાને પુરસ્કાર આપવા માટે ફરીથી આકાર આપવામાં આવી રહ્યો છે. રાજ્યએ સમજવું જોઈએ : પ્રચારને પુરસ્કાર આપવાથી તે સાચું થતું નથી. અને અમે, વિદ્યાર્થીઓ અને નાગરિકો તરીકે, તેનો વિરોધ કરીશું.”

કેરળના મુખ્ય મંત્રી પિનરાયી વિજયને કહ્યું છે : “કેરળની છબી ખરાબ કરવાના અને સાંપ્રદાયિક નફરતના બીજ વાવવાના સ્પષ્ટ ઇરાદા સાથે ખોટી માહિતી ફેલાવતી ફિલ્મનું સન્માન કરીને, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જ્યુરીએ સંઘ પરિવારની વિભાજનકારી વિચારધારામાં મૂળ ધરાવતી વાર્તાને કાયદેસરતા આપી છે. કેરળ, એક એવી ભૂમિ જે હંમેશાં સાંપ્રદાયિક શક્તિઓ સામે સંવાદિતા અને પ્રતિકારની દીવાદાંડી તરીકે ઊભી રહી છે, તેનું આ નિર્ણયથી ગંભીર અપમાન થયું છે. માત્ર મલયાલીઓ જ નહીં, પરંતુ લોકશાહીમાં વિશ્વાસ રાખનારા દરેક વ્યક્તિએ સત્ય અને બંધારણીય મૂલ્યોના બચાવમાં પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.”

ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણેના વિદ્યાર્થીઓને શાબ્બાશી આપવી પડે કે તેમણે અવાજ ઉઠાવ્યો !

વિદ્યાર્થીઓ વિરોધ કરે / જાગૃત નાગરિકો વિરોધ કરે / મુખ્ય મંત્રી વિરોધ કરે; પરંતુ તડીપાર / નફરતી / ગુંડાઓ સત્તાનો દુરુપયોગ કર્યા વિના ન રહે ! દેશના વડા પ્રધાન જ બેફામપણે નફરત ફેલાવતા હોય ત્યાં કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ / સદગુરુઓ / શ્રી શ્રીઓ / પ્રગટ બ્રહ્મસ્વરુપો / ડાયરા કલાકારો / ફિલ્મ મેકર્સ / ગોદી લેખકો-પત્રકારોની સહેજ ચામડી ખોતરો તો નફરત સિવાય કંઈ જોવા ન મળે !

05 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભજન અને વજન

સુરેશ જાની|Opinion - Opinion|6 August 2025

ભજન કરે તે જીતે
વજન કરે તે હારે રે મનવા!
ભજન કરે તે જીતે.

તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે!
રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.

આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજડવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.

                             – મકરંદ દવે

આ ભજન છે અને નથી! એ ચીલાચાલુ ભજનોથી થોડુંક અલગ પડી જાય છે. અહીં કોઈ  સ્તુતિ નથી. બીજા ભજનોની જેમ ઇશ્વરનો મહિમા નહીં પણ તેના સર્જક ઋષિકવિ સ્વ. મકરંદ દવેએ ભજનનો મહિમા અહીં ગાયો છે.

આ ભજનનું ભજન છે !

માટે જ આ ‘ભજન એટલે શું?’ એવો વિચાર આ અળવીતરા જણને આવ્યો. એની ફળશ્રુતિ એટલે આ અવલોકન.

કદાચ અહીં ભજન જીવન જીવવાની હકારાત્મક રીત તરફ અંગુલિ નિર્દેશ કરે છે. અને માટે જ એની નકારાત્મક બાજુ તરીકે કવિએ ‘વજન’ મૂક્યું છે!

આપણી જીવવાની ચીલાચાલુ રીતમાં આપણે દરેક ચીજ, ઘટના કે વ્યક્તિને આપણાં કાટલાંથી મૂલવવા ટેવાયેલા હોઈએ છીએ. ઈશ્વરની સ્તૂતિ પણ મોટા ભાગે નિર્વ્યાજ નહીં પણ, સોદા બાજી હોય છે. ‘મને આ કે તે મળે તો ભગવાનને આ ચઢાવીશ.’ એવો સંકલ્પ – ભલે પ્રેમપૂર્વક કર્યો હોય; સમસ્ત વિશ્વના સર્જકને ‘કંઈક’ આપવાનો વિચાર કેટલો બાલીશ છે?

પણ બાળકનો માતા પ્રત્યે હોય, એવો દિલનો સાચો નિર્વ્યાજ પ્રેમ હોય, તો એ કહેવાતો ઈશ્વર ‘મા’ની જેમ ચપટીક ધૂળથી પણ રીઝી જાય છે. સાચી આરઝૂ, સાચા પ્રયત્નના પ્રતાપે – આપણી અંદર રહેલો પરમ શક્તિનો અંશ કાર્યરત બને છે, અને આપણને સફળતા કદાચ મળી જાય છે. ન મળે તો પણ, એની ખેવના જ નથી રહેતી. માત્ર કર્તવ્ય કરવાનો આનંદ એ ભોળા ભગવાનને ધરાવેલો પ્રસાદ કે ફૂલ હાર બની રહે છે.

જીવનના ઘૂઘવતા સાગર વચ્ચે તરતા રહેવાની  જિંદાદિલી  – એટલે એ ‘ભજન’.  નહીં તો કાટલાં જ કાટલાં.
આવો પ્રેમ સભર પ્રયત્ન

એ ભજન.

બાકી એ વજન!

આ સાથે જ માનીતા શાયર ‘શૂન્ય’ પાલનપુરીનો આ શેર યાદ આવી ગયો –

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,

તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;

હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,


આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

આ સરસ ‘ભજન’ અહીં સાંભળો –

e.mail : surpad2017@gmail.com

Loading

એક અનોખા ચિત્રકારની જીવનકથા વિશે

અભિજિત વ્યાસ|Opinion - Opinion|6 August 2025

ભારતીય ચિત્રકલામાં આધુનિકતાના પુરસ્કર્તા અને પોપ આર્ટ શૈલીના સ્થાપક ભૂપેન ખખ્ખર અનેક રીતે સ્મરણીય છે. ચિત્રકલા ઉપરાંત એમણે સાહિત્ય સર્જન પણ કરેલું છે અને તે પણ ખાસ્સું ઉલ્લેખનીય છે. ભૂપેન ખખ્ખરના જીવન ઉપર હમણાં એક પુસ્તક પ્રગટ થયું છે જે એમના અવસાન બાદ બે દાયકાથી પણ વધુ સમય બાદ એમના જીવનની કથની રજૂ કરે છે. આ પુસ્તક ‘ભૂપેન ખખ્ખર’ના લેખક છે જાણીતા પત્રકાર અને અનેક જીવનકથાઓના લેખક બીરેન કોઠારી. સાર્થક પ્રકાશને આ પુસ્તક પ્રગટ કરેલું છે.

ભૂપેન ખખ્ખર વિશે અનેક લોકો પાસેથી એમના વિશે મળેલી માહિતીના આધારે આ જીવનકથા લખાયેલી છે. કોઇ વ્યક્તિના અવસાન બાદ જ્યારે એમના જીવન વિષે લખવા માટે આજ એક માત્ર માર્ગ હોય છે. વળી ઘણી વખત બધા જ મિત્રો ઇચ્છીત માહિતી ઘણી વખત આપતા પણ નથી. તે ઉપરાંત કેટલાકનો સંપર્ક પણ થતો નથી. એટલે જે  કંઇ માહિતી મળી તેના આધારે ચિત્ર દોરવું રહ્યું. પણ ભૂપેન ખખ્ખર એક ચિત્રકાર અને સાહિત્યકાર હતા. એમને વિપુલ માત્રામાં બન્ને માધ્યમમાં સર્જન કરેલું છે. એટલે એ બધા પર પણ ખાસ્સું લખાયું છે. આમ આ બધી સામગ્રી પરથી અત્યંત મુશ્કેલ એવું ચિત્ર સર્જવામાં બીરેન કોઠારી મહદઅંશે સફળ રહ્યા છે. આ સંદર્ભમાં બીરેન કોઠારી લખે છે, “કોઇ પણ જીવનકથાનો આરંભ ‘સ્ક્રેચ’થી કરવો પડે, ભલેને એ વ્યક્તિ વિશે આપણે ગમે તેટલું જાણતા હોઇએ.  કથાનાયકની સિદ્ધિઓ કઇ, એનાં વ્યક્તિત્વનાં પાસાં કયાં, એના વિશે કોણ અધિકૃત રીતે કહી શકશે, વગેરે બાબતોનો  ખ્યાલ ધીમે ધીમે આવતો જાય. એવે ટાણે સામેવાળા કોઇ પણ કારણસર અસહયોગ કરે, કે એમ વિચારે કે જેને કથાનાયક વિશે કશી ખબર નથી એ જીવનકથા શું લખવાનો, ત્યારે મુશ્કેલી વધી જાય. ભૂપેન સાથે સંકળાયેલા કોઇએ મને આમ કહ્યું નહોતું, પણ અમૂક વાક્યો કહ્યા વિના સંભળાતા હોય છે.” (પૃષ્ઠ 163)

ભૂપેન ખખ્ખર પરના આ પુસ્તકને લેખકે ચાર ખંડમાં રજૂ કર્યું છે. તેમાં પહેલા ખંડમાં – ભારતીય ચિત્રકલા સફરની ઝાંખી, હું કોણ?, મુંબઇની માયાઓ, પેનની સમાંતરે પીંછી, કળાક્ષેત્રે અધિકૃત પ્રવેશ, આધુનિકતાનો નવો અધ્યાય, શૈલીમાં બદલાવ, સામાન્ય લોકો : જીવનમાં અને ચિત્રોમાં, ભારતીય નજરે અંગ્રેજી જીવન, ખ્યાતિનો દાયકો, આંતરરાષ્ટ્રીય ફલક પર, રોગ, રોગી અને શહેર, પીડા અને યાતનામાંથી છૂટકારો – એવા તેર પ્રકરણમાં એમની જીવન કથાની રજૂઆત થઇ છે. એવી જ રીતે ખંડ બીજામાં પણ એમના જીવનની ઘટમાળાઓના સંદર્ભમાં જ વાંચવા મળે છે. આ બીજા ખંડમાં – ગુપ્ત વલણની ઘોષણા, ભૂપેનની ગૃહસ્થી : કલ્પનાનું કમઠાણ, રંગમાં સત્સંગ, વિવાદ : ભૂપેનનો મરણોત્તર સાથી, ચિત્રકારના જીવન રંગ શોધતા શોધતા – બીજા પાંચ પ્રકરણોમાં રજૂ થઇ છે. આ બન્ને  ખંડમાં ભૂપેન ખખ્ખરના જીવનની મહત્ત્વની ઘટનાઓને આવરી લેવાઇ છે.

શ્રદ્ધાંજલિ – એવા શિર્ષક, ખંડ ત્રીજામાં રામચંદ્ર પટેલે ભૂપેન ખખ્ખરને શ્રદ્ધાંજલિ રૂપે લખેલી ચાર કવિતાઓ, ચિત્રકાર જ્યોતિ ભટ્ટ, અને કવિ જયદેવ શુક્લએ લખેલી શ્રદ્ધાંજલિ સમાવવામાં આવી છે. તે ઉપરાંત ભૂપેન ખખ્ખરનાં લખાણોનો સમાવેશ થયો છે. આ લખાણોમાં ભૂપેન ખખ્ખરના નિબંધો અને અવલોકનોનો સમાવેશ થાય છે. અને ભૂપેન ખખ્ખરની કૃતિઓ પર અન્યોએ લખેલા લેખોનો સમાવેશ થયો છે. જ્યારે છેલ્લા અને ચોથા ખંડમાં ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ વિશે વાંચવા મળે છે. આ ચોથા ખંડમાં ભૂપેન ખખ્ખરના કેટલાંક ચિત્રો સમાવિષ્ટ થયાં છે  અને તેના વિશે બીરેન કોઠારીએ આસ્વાદ કરાવેલ છે. આ બધાં ચિત્રો રંગીન છપાયાં છે. તેથી જોવા ગમે એવા છે. પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના જાણીતા ચિત્રકાર અને ભૂપેન ખખ્ખરના મિત્ર જ્યોતિ ભટ્ટે લખી છે.

‘હું કોણ’ એવા શિર્ષક હેઠળના પહેલા ખંડના બીજા પ્રકરણમાં ખૂદ ભૂપેન ખખ્ખરે પોતાની ડાયરીમાં લખેલી  ઓળખાણથી ભૂપેનની જીવનીની વાત શરૂ થાય છે. તે તેમના 111માં પૃષ્ઠ પર લખાયેલી અંતિમવિધિ સુધીની ઘટમાળ વાંચવા મળે છે.

પ્રસ્તુત પુસ્તકમાં ભૂપેન ખખ્ખર વિશે ઘણું વાંચવા મળે છે એમ અનેક બાબતો રહી જાય છે. એમ બધા જ પ્રકરણમાં અનેક ફોટાઓ પ્રગટ કર્યા છે તો પણ અનેક ફોટાઓ રહી જાય છે એવું લાગ્યા કરે છે. અલબત, આવું તો બનવાનું જ. કારણ કે કેટલુંક તો લેખક – સંપાદક પર છોડવું રહ્યું. અને તો પણ કેટલાંક નિરીક્ષણો કરવાં ગમે એવાં છે.

બીજા ખંડમાં ‘ગુપ્ત વલણની ઘોષણા’ જે તટસ્થતાથી એમણે લખ્યું છે કે ખરે જ આવકાર્ય છે. આવી તટસ્થતા કે સંયમ પાળવો ઘણી વખત મુશ્કેલ પણ હોય છે. આ ખાસ કરીને જ્યારે આવી બાબતો પ્રત્યે સામાજિક અરુચિકરતા હોય. તેમ કેટલીક જગ્ચાએ કંઇક ખૂંટતું હોય તેવું પણ લાગ્યા કરે છે. તેમાં પણ સુનીલ કોઠારી સાથેની ભૂપેનની દોસ્તી અનેરી હતી. જેની વિગતો સુનીલ કોઠારીએ ન આપી એ સમજી શકાય પણ અન્ય સ્રોતમાંથી કેટલીક વિગતો મેળવી શકાઈ હોત. પૃષ્ઠ 110-111 ઉપર લખ્યું છે, “દિલ્હીના સુનીલ કોઠારી નામના તેમના ઘનિષ્ઠ મિત્ર છે, જે નૃત્યવિદ છે. ભૂપેનની પાસે રહી શકાય એ માટે તેઓ બે મહિના તેમની સાથે હતા. મને લાગે છે કે ભૂપેન માટે એ બહુ સારું થયું.” પણ આ નોંધ બાદની છેલ્લા મહિનાની, છેલ્લા દિવસોની અને છેલ્લી ઘડીઓની વિગત લખતા ક્યાં ય સુનીલ કોઠારીનો ઉલ્લેખ વાંચવા મળતો નથી. અહીં ગુલામ મોહમદ શેખના ભૂપેન પરના લેખ ‘ભેરૂ’માંથી કેટલીક વિગતો સમાવાઇ શકી હોત. આ ઉપરાંત એ દિવસોમાં સાથે રહેલા અન્ય મિત્રો પાસેથી પણ ખૂટતી વિગતો મેળવી શકાઈ હોત. શક્ય છે કે જેમ સુનીલ કોઠારીએ પછીથી ભૂપેનની વિગતો ન આપી તેમ અન્ય લોકોએ પણ કેટલીક વાતો અધ્યાર રાખીને રજૂઆત કરી હોય. તો પણ એ છેલ્લા દિવસોની વિગત હ્રદયસ્પર્શી રીતે લખાઇ છે.

અહીં ભૂપેનની અંતિમવિધિ વિશે શાલિની સહાનીએ લખેલ વર્ણન હ્રદયસ્પર્શી છે. “હું સવારે 6.30 વાગ્યે પહોંચી અને સીધી ભૂપેનને ઘેર ગઇ. તેમનો દેહ તૈયાર કરાઇને મુકેલો હતો. તેમને સફેદ ચાદરમાં લપેટેલા હતા. મહિલાઓ  તેમના માથાની તરફ અને પુરુષો આસપાસ બેઠેલા હતા. તેઓ ભજનો ગાઇ રહ્યાં હતાં (એમાંનું એક મને બહુ  હ્રદયસ્પર્શી લાગેલું – ચાલો જઇએ આપણા મલકમાં, કોલ આવ્યો ઇશ્વરતણો, મારો એ આખરી મુકામ). ભજન એટલે એક પ્રકારનાં ભક્તિગીત, જે એકદમ યોગ્ય અંજલિ હતી. દોઢેક કલાક સુધી એ ચાલ્યા. કલાકાર બિરાદરીના તમામ લોકો આવેલા. મોટાભાગના લોકોએ શોક અને આદર દર્શાવવા માટે શ્વેત વસ્ત્રો પહેરેલા.

અંતે સૌ નજદીકી મિત્રોએ તેમના દેહને ફૂલહાર ચઢાવ્યા. અમારામાંના કેટલાકે ફૂલની પાંખડીઓ મૂકી. તેમના મિત્રો અને સગાંએ તેમના દેહને કાંધ આપી અને સ્મશાનભૂમિએ લઇ ગયા. મને લાગે છે કે તેમને ગેસની ચિતા પર અગ્નિદાહ અપાયો. એ વિધિ પતી ગયા પછી કોઇને ખ્યાલ નહોતો આવતો કે હવે શું કરવું. એ સ્નેહમિલનની જિંદગી જાણે કે અદૃશ્ય થઇ ગઇ હતી. બહુ ઉદાસ ક્ષણો હતી. સૌ જાણે કે વિખૂટા પડી ગયા હતા. મને લાગે છે કે ભજનો  ગવાઇ રહ્યાં હતાં એ બહુ હ્રદયસ્પર્શી ક્ષણો હતી. અમને સૌને ભિતરમાં ને ભિતરમાં ભૂપેન વિશેની સ્મૃતિઓ  સંભારવા મળી – એક જાતનો અંગત તેમ જ જાહેર શોક કહી શકાય. 

 – શાલિની”  (14-8-2003) પૃષ્ઠ – 111.

એક લેખક તરીકે બીરેન કોઠારીનું કાર્ય થોડું કઠિન હતું, કારણ કે એમણે અનેક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે કડીઓ જોડવાની હતી. અને આ કડીઓ જોડવામાં લેખક તરીકે બીરેન કોઠારી મહદઅંશે સફળ રહ્યા છે. ભૂપેન ખખ્ખર વિશે અંગ્રેજીમાં ખાસ્સું તથા કેટલેક અંશે ગુજરાતીમાં પણ લખાયું છે. એમાં આ પુસ્તક વધારો કરે છે એવું નહીં પણ એક જુદી જ રીતે ભૂપેન ખખ્ખરને રજૂ કરે છે. જેને રીતસરની જીવનકથા કહીએ તેવું તો ગુજરાતીમાં આ એક માત્ર પુસ્તક વાચકોને પ્રાપ્ત થયું છે. ખાસ તો ચોથા ખંડમાં બીરેને ભૂપેન ખખ્ખરના ચિત્રોનો આસ્વાદ કરાવ્યો છે એ પણ ભૂપેનને સમજવામાં અને એમનાં ચિત્રો માણવામાં સહાયભૂત થાય છે. કોઇ પણ પુસ્તકના વાચકો તે અનેક કારણસર વાંચતા હોય છે. અને આ જ ભૂપેન ખખ્ખરના ગયાના બે દાયકા બાદ જે પેઢી આવી છે એમના માટે ભૂપેન  ખખ્ખરને જાણવા માટે આ એક ઉત્તમ પુસ્તક બની રહ્યું છે. સુધીરચંદ્રે લખેલી એક વાત અહીં નોંધવી રહી, “ભૂપેનના મિત્રો અને પરિચિતો માટે હવે જીવન બે ભાગમાં હવે વહેંચાઇ જવાનું હતું. ભૂપેનની સાથે અને ભૂપેન બાદ.” (પૃ. 111)

————————————

ભૂપેન ખખ્ખર : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની  ઝલક  –   લેખન – સંપાદન : બીરેન કોઠારી : પૃષ્ઠ : 252 + 24 (રંગીન) = 278 કિંમત – રૂ. 450/- : પ્રકાશક : સાર્થક પ્રકાશન : 14, ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર પાસે, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, વાસણા, અમદાવાદ – 380 007 : પ્રાપ્તિ સ્થાન : બુકસેલ્ફ, અમદાવાદ

e.mail : abhijitsvyas@gmail.com

Loading

...102030...51525354...607080...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved