Opinion Magazine
Number of visits: 9663182
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 

સોનલ પરીખ|Opinion - Opinion|8 December 2025

ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણી કેટલીક મર્યાદાઓ ચોક્કસ હોય, પણ દર્દી કપરી ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હોય, ત્યારે તેને ટર્મિનોલૉજીથી મૂંઝવ્યા વિના અને લાંબી ઔપચારિકતાઓમાં અટવાવ્યા વિના, માનવીય નિસબતથી માર્ગ કાઢી આપવો એટલી એક વાત ડૉક્ટરોની ને હોસ્પિટલોની આચારસંહિતામાં ન ઉમેરી શકાય?  

બાળકને જન્મ સાથે માતાપિતાની દુનિયા બદલાઈ જાય છે પણ જો બાળક ‘પ્રિટર્મ’ એટલે કે નિયત સમય પહેલા – અધૂરા મહિને જન્મ્યું હોય તો માતાપિતા એક એવી દુનિયામાં પ્રવેશે છે જેની એમણે કદી કલ્પના પણ કરી હોતી નથી. આ મહિનાની 17મી તારીખે પ્રિટર્મ બેબી ડે છે. આપણે પણ આશાની અને હતાશાની, શ્રદ્ધાની અને ભયની, બહાદુરીની અને લાચારીની એ દુનિયામાં જરા ડોકિયું કરીએ. 

સગર્ભાવસ્થાના 29મા અઠવાડિયે એટલે કે સાતમો મહિનો બેસતાં જ કૃતિને અચાનક દર્દ ઊપડ્યું. પ્રસૂતિ થઈ. બાળક હથેળી જેવડા કદનું ને માત્ર 710 ગ્રામ વજનનું હતું. એ રડી શક્યું નહીં અને તરત ભૂરું પડી ગયું કારણ કે એનાં ફેફસાં વિકસ્યાં ન હતાં. શરીરમાં પોતાને ગરમ રાખી શકાય એટલી ચરબી ન હતી. તરત એને નિકુ(નિયોનેટિવ ઈન્ટેન્સિવ કેર યુનિટ)માં લઇ જવામાં આવ્યું. વેન્ટિલેટરથી શ્વાસ ચાલુ કરાયા. નાના-નાના હાથપગમાં સિરિંજ ખોસી શરીરમાં ભારે દવાઓ દાખલ કરવાનું શરૂ થયું. એક લાંબી નળી ગળામાંથી પેટમાં ને એક નળી નાનકડા નાકમાં ઉતારી. પટ્ટીઓથી તેનો અડધો ચહેરો ઢંકાઈ ગયો. મોનિટર ટીં-ટું કરતું ન સમજાય તેવા આંકડા અને રેખાઓ બતાવવા લાગ્યું. ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં ચિંતાતુર માતાપિતાને જે કઈં કહ્યું એમાં સ્પષ્ટતા ઓછી ને ધૂંધળાપણું વધારે હતું, પણ કૃતિ ને એનો પતિ એટલું સમજી ગયાં હતાં કે કાચની પેટીમાં ઉપકરણોથી વીંટાયેલું નાનકડું શરીર જે અણસાર બતાવે છે એ જીવનનો નથી, ઉપકરણોનો છે. હૃદયને ખૂબ કઠણ કરી બંનેએ નક્કી કર્યું કે તેઓ પોતાના બાળકને શાંતિથી વિદાય લેવા દેશે.

રોમાએ આઠમે મહિને બાળકને જન્મ આપ્યો. અન્ય ઉપાયો સાથે મા-બાળકની ત્વચા એકમેકને સ્પર્શે એ રીતે બાળકને રોજ રોમાના પેટ-છાતી પર લાંબો સમય બાંધી રાખવામાં આવ્યું, જેને કાંગારું કેર કહે છે. બાળક બચી ગયું, પણ તેની રોગપ્રતિકારક શક્તિ નહીંવત હતી. બીમારીઓથી પીડાતું એ પાંચેક વર્ષ માંડ જીવ્યું. સુજાતાને પણ અધૂરા મહિને પ્રસૂતિ થઈ. નિયોનેટિવ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં એક મહિનો રાખી તેને માબાપને સોંપવામાં આવ્યું. આજે તે ‘રિટાર્ડેડ’ના લેબલ સાથે જીવે છે. મીરાએ 35મા સપ્તાહે જન્મ આપેલો એ દીકરી અંધ છે. સુષમાની અધૂરા મહિને અવતરેલી દીકરી સેરિબ્રલ પાલ્સીનો શિકાર છે અને વ્હીલચેરમાં કેદ છે. 10 વર્ષનો રોહિત નોર્મલ દેખાય છે, પણ ગેસના સિલિન્ડરની નળી ખેંચી નાખવી, નાની બહેનને ખતરનાક રીતે ઢીબી નાખવી, તકિયા ફાડી નાખવા જેવાં તોફાનો સતત કર્યા કરે છે. તેની જ ઉંમરનો સંજય એટલો આક્રમક છે કે પોતાને ને બીજાને લોહી નીકળે એવી ઇજાઓ કરવાની એને મઝા પડે છે. આ બંને વહેલા જન્મી ઈન્ક્યુબેટરમાં રહી જાતજાતની ટ્રીટમેન્ટ લઇ આવ્યા છે. 

આવાં ઉદાહરણો ઓછાં નથી, પણ તેના પરથી અધૂરા મહિને અવતરેલાં બાળકો જીવતાં નથી કે એમના વિકાસમાં કોઈ ને કોઈ રીતે ખામી રહે જ છે, એવું તારણ બાંધી શકાય નહીં, કેમ કે અધૂરા મહિને અવતરેલાં અને નોર્મલ જિંદગી જીવતાં બાળકોનાં પણ ઘણાં ઉદાહરણ આપણી આસપાસ છે. ચાર્લ્સ ડાર્વિન, આઇઝેક ન્યૂટન અને આઈન્સ્ટાઈન પણ અધૂરા મહિને જન્મેલાં હતાં. પરંતુ પ્રિટર્મ બાળકોને શ્વસનતંત્રની, લોહીના પરિભ્રમણની, શરીરના તાપમાનની, પાચનની, મગજમાં રક્તસ્રાવ થવાની, રક્તકણોની આવી અનેક તકલીફો થાય છે એ હકીકત છે. વિશ્વમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરમાં થતાં મૃત્યુનું મુખ્ય કારણ પ્રિટર્મ બર્થ છે. 

સગર્ભાવસ્થાના 37 સપ્તાહ પહેલા જન્મેલું બાળક પ્રિમેચ્યોર અથવા પ્રિટર્મ અને 41 સપ્તાહ પછી જન્મેલું બાળક પોસ્ટટર્મ ગણાય. વિશ્વમાં દર દસમાંથી એક બાળક પ્રિમેચ્યોર જન્મે છે. ભારતમાં દર વર્ષે 36 લાખ પ્રિટર્મ બાળક જન્મે છે જેમનાં ત્રણ લાખ મૃત્યુ પામે છે. 28મા સપ્તાહથી વહેલું જન્મે તે એક્સ્ટ્રીમલી પ્રિટર્મ, 28થી 32 સપ્તાહ વચ્ચે જન્મે તે વેરી પ્રિટર્મ અને 32થી 37 સપ્તાહ દરમ્યાન જન્મે એ લેઇટ પ્રિટર્મ ગણાય. જેમ જન્મ વહેલો તેમ બાળકના અસ્તિત્વ પરનું જોખમ વધારે. દરેકની સમસ્યા અલગ, દરેકની સારવાર અલગ. અતિ ખર્ચાળ નિયોનેટિવ કેર અને બાળકનું મૃત્યુ એ બેમાંથી અમુક માબાપ પહેલો વિકલ્પ પસંદ કરે છે. અમુક બાળકને સોયો-નળીઓના ત્રાસમાંથી બચાવવા માગે છે. અમુકને ખર્ચ પરવડતો નથી. અમુક થોડા વખતની સારવાર પછી બાળકને ઘેર લઈ જઈ પ્રેમથી વિદાય આપે છે. ઘણાં બાળકોને હોસ્પિટલની બહારનું વિશ્વ જોવાની તક મળતી નથી. માબાપના નિર્ણયમાં અને એ નિર્ણયને અમલમાં મૂકવામાં ડૉક્ટરનો અને સિસ્ટમનો સપૉર્ટ ખૂબ અગત્યનો છે, પણ કમભાગ્યે ભારતમાં પ્રિટર્મ બાળકોનો જન્મદર આટલો ઊંચો હોવા છતાં માબાપને સાચું ચિત્ર આપવું, મોકળાશથી વિચારવા દેવું, શાંતિથી નિર્ણય કરવા દેવો અને પછી એ નિર્ણયને અવરોધો વગર અમલમાં મૂકાવા દેવો એવી દૃષ્ટિ બહુ ઓછી વિકસી છે. 

બાળક અધૂરા મહિને જન્મે, ન બચે, બચે તો શારીરિક માનસિક તકલીફો સાથે જીવે તેવી ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. એવા ચમત્કાર પણ ક્યારેક જોવા મળે છે કે અસ્તિત્વની મોટી લડાઈ લડીને બાળકો હેમખેમ રહ્યાં હોય અને સરસ જિંદગી જીવતાં હોય. ક્ષણભરના પ્રતિભાવ પછી આપણે એ ભૂલી જઈએ છીએ. આવા અનુભવમાંથી પસાર થનારનાં સંઘર્ષ અને પીડાનો સાચો ખ્યાલ આપણને કદી આવતો નથી.  

ભારતમાં પ્રિમેચ્યોર બાળકનાં જન્મ અને મૃત્યુનો દર સૌથી ઊંચો છે. પશ્ચિમની તુલનામાં ભારતમાં આરોગ્ય-સુવિધાઓ ઓછી છે અને પ્રદૂષણ વધારે છે તેથી 32માં સપ્તાહે જન્મેલું બાળક પશ્ચિમમાં મોટેભાગે જીવી જાય છે, ભારતમાં ભાગ્યે જ બચે છે. સરકારના અને ખાનગી હૉસ્પિટલોના અવિરત પ્રયાસોથી અતિશય ખર્ચાળ પ્રક્રિયાઓ પછી મહામુશ્કેલી બચતાં બાળકોની સંખ્યા તો પણ સારી એવી વધી છે. બીજી બાજુ આઘાત પામી ગયેલાં માતાપિતાને ખોટું કે અપૂરતું માર્ગદર્શન આપીને પોતાનું હિત સાધી લેનારાં ડૉક્ટરો અને હૉસ્પિટલોની સંખ્યા પણ ઓછી નથી. કૃતિના કેસમાં એ પોતે સમજી-વિચારી શકે એ પહેલા બાળકને નિકુમાં લઈ જવામાં આવ્યું, પતિને તો ખબર પણ પછી આપવામાં આવી. ત્રણ કલાકની સારવારનું બિલ પાંત્રીસ હજાર રૂપિયા આવ્યું. બાળકને નિકુમાં મૂકવાની ને પછી પાછું મેળવવાની લાંબી ત્રાસદાયક પ્રક્રિયામાં એકમેકને સાંત્વન આપવાનો કે નવજાત બાળકને પ્રેમથી ગોદમાં લેવાનો અવકાશ પણ બેમાંથી કોઈને મળ્યો નહીં. આવી જ ઘટના કૃતિની સહેલી સાથે શિકાગોમાં બની ત્યારે ડૉક્ટરે પૂરી સહાનુભૂતિથી પતિપત્નીને સ્થિતિ સમજાવી, વિકલ્પ આપ્યા, પતિપત્નીએ બાળકને શાંતિથી વિદાય આપવાનો અને એ જીવે ત્યાં સુધી તેને પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો ત્યારે પૂરા આદરથી એ નિર્ણયને માન અપાયું. કોઈ ખલેલ વગર નવજાત બાળક સાથે વીતાવેલી એ પળોને લીધે આજે એ દંપતીની સ્મૃતિઓમાં આંસુ સાથે પ્રેમ અને તૃપ્તિની ભીનાશ છે, જ્યારે કૃતિ અને એનો પતિ દુ:ખ સાથે રોષ અને છેતરાયાની લાગણીથી ઘેરાયેલાં રહે છે. 

ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણી કેટલીક મર્યાદાઓ ચોક્કસ હોય, પણ દર્દી કપરી ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હોય, વાત ત્રણ ત્રણ જિંદગી પર અસર થવા જેટલી ગંભીર હોય ત્યારે ઔપચારિકતાઓમાં અટવાવ્યા વિના માનવીય નિસબતથી માર્ગ કાઢી આપવો એટલી એક વાત ડૉક્ટરોની ને હોસ્પિટલોની આચારસંહિતામાં ન ઉમેરી શકાય? નાગરિક તરીકે એટલો અધિકાર તો આપણો છે જ. વળી આવાં બાળક કે તેમનાં માતાપિતા માટે સમાજમાં પણ તંદુરસ્ત અભિગમ નથી. બાળક ખોઈ બેઠેલા કે ખામીવાળા બાળકને ઉછેરતા દંપતી સાથે કેવી રીતે વર્તવું એ બહુ ઓછા જાણે છે. નાગરિક તરીકે આટલી તો આપણી પણ જવાબદારી છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 નવેમ્બર  2025

Loading

કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 December 2025

રાજ ગોસ્વામી

નવેમ્બરની 14મી તારીખે, એક્ટ્રેસ કામિની કૌશલનું અવસાન થયું, તે સાથે જૂની હિન્દી સિનેમા સાથેની આખરી કડી તૂટી ગઈ. 98 વર્ષીય કામિની કૌશલ એક માત્ર જીવિત કલાકાર હતી, જેની કારકિર્દી સાત દાયકાઓમાં પથરાયેલી હતી. તે સૌથી લાંબા સમય સુધી કામ કરનારી એક્ટ્રેસ હતી. તેની સાબિતી એ છે કે તેમણે રાજ કપૂરથી શરૂ કરીને અશોક કુમાર, દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કુમારથી લઈને (લાલ સિંહ ચઢ્ઢામાં) આમિર ખાન સુધીના હીરો સાથે કામ કર્યું હતું. 

તેમણે એકવાર સરસ નિરીક્ષણ કર્યું હતું, ‘મેં રાજ સાથે તેની બીજી ફિલ્મમાં; દેવ સાથે પણ તેની બીજી ફિલ્મમાં અને દિલીપ સાથે ય તેની બીજી જ ફિલ્મમાં કામ કર્યું હતું.’ કામિનીએ ત્રણેને પોતાની આંખો સામે સ્ટાર બનતાં જોયા હતા અને પછી તારાઓ વચ્ચે વિદાઈ લેતા પણ નીરખ્યા હતા.

કામિની કૌશલનું જીવન એટલું સમૃદ્ધ અને રોચક હતું કે તેના પર એક બાયોપિક બને તેમ છે (ઇનફેક્ટ, તેના પરથી પ્રેરણા લઈને એક લોકપ્રિય ફિલ્મ પણ બની હતી, પણ તેની વાત પછી). તેમનો જન્મ 16 જાન્યુઆરી 1927ના રોજ લાહોરમાં ઉમા કશ્યપ તરીકે થયો હતો. તેમના પિતા પિતા રાય બહાદુર એસ.આર. કશ્યપ વનસ્પતિ વિજ્ઞાનના પ્રોફેસર હતા. તેઓ માત્ર સાત વર્ષનાં હતા, પિતાનું અવસાન થયું હતું અને પાછળ તેમની અમુક ડાયરીઓ છોડી ગયા હતા, જે ઉમા કશ્યપની સૌથી મૂલ્યવાન ધરોહરોમાંની એક હતી.

ઉમાએ 1934માં લાહોરની ગવર્નમેન્ટ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. ઓનર્સ કર્યું હતું. એકવાર એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘હું એક બુદ્ધિજીવી પરિવારમાંથી આવતી હતી. મારા પિતાએ 50થી વધુ પુસ્તકો લખ્યાં હતાં. અમારા પરિવારમાં જ્ઞાન મેળવવાની પ્રાથમિકતા હતી, પણ તેમણે મને ક્યારે ય કશું કરતાં રોકી નહોતી. મારી પાસે આમતેમ ડાફોળિયાં મારવાનો સમય કે ફુરસત નહોતી. હું તો સ્વીમિંગ, ઘોડેસવારી, સ્કેટિંગ અને આકાશવાણી પર રેડિયો નાટક કરવામાં વ્યસ્ત હતી.’

આનંદ બંધુઓમાં જ્યેષ્ઠ ચેતન આનંદે તે વખતે તેમની ફિલ્મ ‘નીચા નગર’(1946)માં ગ્રેજ્યુએટ થઇને બહાર પડેલી ઉમાને પહેલીવાર રોલ ઓફર કર્યો હતો. ફિલ્મમાં ચેતન આનંદનાં પત્ની ઉમા આનંદ પણ હતાં, એટલે ઉમાનું નામ કામિની કરી દેવામાં આવ્યું હતું. ઉમાનું નામ જ નહીં, અટક  પણ કેવી રીતે બદલાઈ તેની પણ એક કહાની છે.

ઉમાને તેનાથી મોટાં ચાર ભાંડુંઓ હતાં. તેમાંથી સૌથી મોટી બહેન ઉષાનાં લગ્ન બી.એસ. સૂદ નામના બોમ્બે પોર્ટ ટ્રસ્ટમાં મુખ્ય ઈજનેર સાથે થયાં હતાં. બહેનને બે દીકરીઓ હતી – કુમકુમ અને કવિતા. આ બહેનનું એક કરુણ કાર અકસ્માતમાં અવસાન થઇ ગયું. ઉમાએ બહેન તરીકેની ફરજના ભાગ રૂપે બંને દીકરીઓને પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી, અને જ્યારે ‘નીચા નગર’માં તેનું નામ બદલવાનું આવ્યું, ત્યારે તેમણે ચેતન આનંદને વિનંતી કરી કે ‘કામિની’ નામની સાથે, કુમકુમ અને કવિતાના પ્રથમાક્ષર પરથી, ‘ક’ નામની અટક પણ લગાવવામાં આવે. એ રીતે તે કામિની કૌશલ બન્યાં. 

એટલું જ નહીં, દીકરીઓને ઉછેરવાની વાત આવી એટલે ઉમા(કામિની)એ તેમના જીજાજી સાથે લગ્ન કરીને મુંબઈમાં સ્થળાંતર કર્યું. એ લગ્નથી તેમને ત્રણ દીકરા થયા; રાહુલ, વિદુર અને શ્રવણ. દત્તક દીકરી કુમકુમે મોટા થઈને મહાત્મા ગાંધીના વિચારો પર બાળકો માટે એક પુસ્તક લખ્યું, જ્યારે કવિતા આર્ટીસ્ટ બની. 

‘ફિલ્મફેર’ સામયિક (જેના પહેલા અંકના કવર પેજ પર કામિનીનો ફોટો આવ્યો હતો) સાથે એક ઇન્ટરવ્યૂમાં તેમણે તેમના લગ્નના નિર્ણય અંગે કહ્યું હતું, ‘હું મારી બહેનને બેહદ પ્રેમ કરતી હતી. મને ડર લાગતો કે મારી ભાણીઓ, જેઓ માત્ર બે અને ત્રણ વર્ષની હતી, માતા સિવાય ભટકી જશે. મને આ સંપૂર્ણ રીતે યોગ્ય ઉકેલ લાગ્યો. આ કોઈ બલિદાન હતું નહીં. ઉપરથી, મારા પતિ એક સભ્ય અને સારા માણસ હતા.’

જવાબદારીની આ ભાવનાનાં કારણે કામિનીએ તેમના પહેલા પ્રેમ, દિલીપ કુમારને જતા કરવા પડ્યા હતા. તેમના આ  ભાવનાત્મક સંઘર્ષ પરથી 1963માં બી.આર. ચોપરાએ ‘ગુમરાહ’ ફિલ્મ બનાવી હતી. તેમાં ફિલ્મની નાયિકા મીના(માલા સિંહા)ને અકસ્માતમાં અવસાન પામેલી તેની બહેન કમલા(નિરુપા રોય)ના પતિ અશોક (અશોક કુમાર) સાથે લગ્ન કરવાં પડે છે, જેથી તેનાં બાળકોને ઉછેરી શકે. વર્ષો પછી, મીનાનો પ્રેમી રાજેન્દ્ર (સુનીલ દત્ત) તેના જીવનમાં પાછો આવે છે. આ અજીબ પ્રણય ત્રિકોણમાંથી જ યુવા પ્રેમીઓના હૃદયભંગનું ‘રાષ્ટ્રગીત’ આવ્યું હતું :

ચલો એક બાર ફિર સે, 

અજનબી બન જાયેં હમ દોનો.

‘ગુમરાહ’ કામિનીના જીવનની પૂરેપૂરી નકલ નથી, પરંતુ તેના ભાવ-સંસ્કાર નિશ્ચિતપણે દિલીપ અને કામિનીના એ ટૂંકા સંબંધ પરથી પ્રેરિત છે, જે પ્રેમના આકર્ષણ અને ફરજના બોજ વચ્ચે પીસાઈ ગયો હતો.

કદાચ એ જ કારણ છે કે ‘ગુમરાહ’ માત્ર એક પ્રેમ-ત્રિકોણ નહીં, પરંતુ એવી ફિલ્મ બની ગઈ જે તે સમયના મધ્યવર્ગીય બોજ – પરિવાર, પ્રતિષ્ઠા, જવાબદારી – અને માણસની સૌથી અંતરંગ ઇચ્છાઓ વચ્ચે ઊભેલા સંઘર્ષને જીવંત બનાવે છે. અને જ્યારે આજે આપણે પાછળ નજર કરીએ છીએ, તો સમજાય છે કે ક્યારેક ફિલ્મોની કથાઓ લખતાં પહેલાંથી જ જીવન પોતાની સ્ક્રિપ્ટ લખી ચુક્યું હોય છે – અને તેનો પ્રભાવ એટલો સાચો, એટલો ઊંડો હોય છે કે પડદા પર ઉતરતાં-ઉતરતાં તે વાર્તા એક યુગની ભાવનાઓનું પ્રતિબિંબ બની જાય છે.  

કામિની કૌશલ અને દિલીપ કુમારની અધૂરી પ્રેમકથા પણ એવી જ એક વાર્તા છે – એક એવી શાંત, સંયમિત, ગૌરવશાળી કહાની, જેણે હિન્દી સિનેમાને તેની સૌથી આત્મીય ફિલ્મોમાંની એક આપી અને એ અનુભવ પણ કરાવ્યો કે ક્યારેક પ્રેમની સૌથી મોટી પરીક્ષા એનો ત્યાગ હોય છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 07 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જય ભીમ’ ખરેખર શું છે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|8 December 2025

હેમન્તકુમાર શાહ

6 ડિસેમ્બર 2025ના રોજ, ડો. ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં વણકર સેવા સંઘ દ્વારા બનેલા વાચનાલયના ઉદ્ઘાટક તરીકે એક સમારંભમાં હાજર રહેવાનું થયું. તે નિમિત્તે આપેલા ટૂંકા પ્રવચનના મુખ્ય મુદ્દા આ રહ્યા :

[1] જયશ્રી કૃષ્ણ, જયશ્રી રામ અને જય માતાજી જેવા નારા બોલીએ અને જય ભીમ બોલીએ એમાં તફાવત છે, એ સમજવાનું છે. જય ભીમ નારામાં ભક્તિ ન જોઈએ, પણ અન્યાય સામે લડવાની ઇચ્છા જોઈએ. આંબેડકરે પોતે પણ પોતાની ભક્તિ કરવાની ના પાડી છે.

[2] જયશ્રી રામ નારો તો દેશના અનેક લોકો માટે ડરામણો બની ગયો છે. રામની ભક્તિ કરવાને બદલે રામનો ઉપયોગ બીજાને ડરાવવા માટે થઈ રહ્યો છે. આ શરમજનક બાબત છે. 

[3] ડો. ભીમરાવ આંબેડકરે 25 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભામાં એમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, “ભક્તિ અથવા જેને ભક્તિમાર્ગ કહેવામાં આવે છે તે, કે વીરનાયકની પૂજા, દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતના રાજકારણમાં અપ્રતિમ ભૂમિકા ભજવે છે. ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.”

[4] આંબેડકર લોકશાહીના ચાહક હતા. એ લોકશાહી સામે આજે ખતરો ઊભો થયો છે કારણ કે સમાજ નેતાઓની ભક્તિ કરવામાં પડ્યો છે. જો ભક્તિ કરીશું તો આપણે કોઈ પણ નેતાનું સાચું મૂલ્યાંકન કરી શકીશું નહીં અને એનાં દુષ્કૃત્યો સામે અવાજ પણ ઉઠાવી શકીશું નહીં.

[5] બાબાસાહેબ આંબેડકરને નેતૃત્વમાં જે બંધારણ બન્યું છે, તેની પહેલી લીટીમાં જ ભારત નામનું રાજ્ય સ્થાપવાના ઉદ્દેશો લખ્યા છે. એ છે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, વ્યક્તિનું ગૌરવ અને લોકશાહી તથા ધર્મનિરપેક્ષતા. આ ઉદ્દેશો કેટલા સિદ્ધ થયા એ મહત્ત્વનું છે. એમ લાગે છે કે આપણે જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બધી હાલ ધોવાઈ રહી છે. આપણે સૌએ એની સામે અવાજ ઉઠાવતાં શીખવાનું છે.

[6] ગાંધી અને આંબેડકર બંને આપણને અન્યાયનો સામનો કરવાનું અને ન્યાયી સમાજ ઊભો કરવાનું શીખવે છે. બેમાંથી કોઈની ભક્તિ કરવાની જરૂર નથી, પણ એમના સિદ્ધાંતોને અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવાની જરૂર છે. 

[7] અત્યારે અનામતની વ્યવસ્થા સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ખતમ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. જેમ કે, ગુજરાત સરકારમાં આશરે ચાર લાખથી વધુ કર્મચારીઓ તો કરારી અને ટૂંકા સમયની નોકરી ધરાવે છે. એમાં ક્યાં ય અનામત લાગુ પડતી જ નથી. આ રીતે સરકારનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને અનામતના અમલને કચરા ટોપલીમાં ફેંકી દેવાયો છે. આ ખાનગીકરણ સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જુઓ તમે, બંધારણનો દેખીતો નાશ કર્યા વિના જ એનો આ રીતે નાશ કરાઈ રહ્યો છે. એની સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવાની જરૂર છે. 

8] નાગરિકોની સ્વતંત્રતા એ સૌથી મોટું મૂલ્ય છે. આપણે માણસ છીએ, કોઈ જંતુ નથી. સ્વાતંત્ર્યની જાળવણી એ આપણા સૌની પ્રથમ અને પ્રાથમિક ફરજ છે. જય ભીમ બોલતી વખતે આપણે એ વિચારીએ કે શું બંધારણમાં લખવામાં આવેલી સ્વતંત્રતા ઘસાઈ તો નથી રહી ને? 

[9] આપણે બંધારણ રચીને પ્રજામાંથી નાગરિક બન્યા છીએ. એ આ બંધારણની દેન છે. એ ગાંધી, આંબેડકર, સરદાર પટેલ અને નેહરુ જેવા મહાન નેતાઓની દેન છે. અત્યારે આપણને નાગરિકમાંથી મચ્છર બનાવી દેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પડકાર આપણે સૌએ ઝીલી લેવાનો છે. જય ભીમના નારા ગજવવાથી કંઈ નહીં વળે, જય ભીમે જે પડકાર ઝીલ્યો હતો તે આપણે સૌ ઝીલીએ અને લોકશાહીને સાર્થક કરીએ.  

6 ડિસેમ્બર 2025
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...48495051...607080...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved