Opinion Magazine
Number of visits: 9552637
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

રામચંદ્ર ગુહા [અનુવાદ : નીલય ભાવસાર ‘સફરી’]|Gandhiana|28 October 2025

રામચંદ્ર ગુહા

મહાત્મા ગાંધીના ચાર દીકરા હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. જેમાં દેવદાસ સૌથી નાના અને સૌમ્ય સ્વભાવના હતા, તેઓ થોડા જ સમયમાં આશ્રમના જીવનમાં સંપૂર્ણરીતે ભળી ગયા હતા. જેમ-જેમ તેમનો આશ્રમના જીવન સાથેનો ઊંડો પરિચય થયો, તેમ-તેમ ખંત સાથે પિતાની વાતોનું પાલન કર્યું જેમાં ખાદી કાંતવી તેમ જ દક્ષિણ ભારતના લોકોને હિંદી શીખવવી જેવી બાબતોનો સમાવેશ થતો હતો. ગાંધીજીના જીવનમાં એવો પણ સમય આવ્યો કે જ્યારે દેવદાસે તેમની વાત માની નહીં. આવું ત્યારે થયું કે જ્યારે, તેમને સી. રાજગોપાલાચારી એટલે કે રાજાજીની દીકરી લક્ષ્મી સાથે પ્રેમ થયો, આ એક એવો સંબંધ હતો કે જેનો ગાંધીજી અને રાજાજી એમ બંનેએ વિરોધ કર્યો. દેવદાસ અને લક્ષ્મીનાં માતા-પિતાએ તેમને કહ્યું કે તેઓ પોતાના પ્રેમની પરીક્ષા આપવા માટે પાંચ વર્ષ સુધી એકબીજા સાથે વાત ના કરે અને પત્ર પણ ના લખે. તેમણે આવું જ કર્યું અને પછી લગ્ન કરી લીધાં. દેવદાસને ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ અખબારમાં નોકરીનો પ્રસ્તાવ મળ્યો અને તેઓ લક્ષ્મી સાથે દિલ્હી આવી ગયા. આ શહેરમાં તેઓનાં ચાર સંતાનો તારા, રાજમોહન, રામચંદ્ર અને ગોપાલકૃષ્ણનો જન્મ થયો.

ગાંધીજીના દીકરા અને રાજાજીની દીકરીના આ લગ્નની કહાણી બાળપણથી જ મારા મનમાં વસી ગઈ હતી. દેવદાસ અને લક્ષ્મીની પ્રેમ કહાણીને ભારતના મધ્યમ વર્ગમાં ખૂબ પસંદ કરવામાં આવતી હતી. જેનાથી મારા માતા-પિતા પણ પ્રેમ લગ્નમાં રાહ જોવાની બાબતે પ્રેરિત થયા હતા, તેઓને પણ પ્રેમ લગ્ન કરવા માટે પાંચ વર્ષ રાહ જોવી પડી હતી. મારા માટે આ સૌભાગ્યની વાત હતી કે મને દેવદાસ અને લક્ષ્મી ગાંધીના ચારે ય બાળકોને જાણવા-સમજવાની તક મળી. આ ભાઈ-બહેનોમાં હું સૌ પ્રથમ રામચંદ્ર(રામૂ)ને મળ્યો હતો, પણ લોકસેવક તેમ જ લેખક ગોપાલકૃષ્ણ મારા સૌથી અંગત છે. અમારી મિત્રતા 1980ના દાયકાના અંતમાં થઈ કે જ્યારે અમે દિલ્હીમાં કામ કરતા હતા. ગોપાલ ગાંધીના ઘરે જ મારી પ્રથમ મુલાકાત તેમના બહેન તારા સાથે થઈ કે જેઓ ખાદી વિશેષજ્ઞ છે અને હિંદી, બંગાળી, અંગ્રેજી સહિતની ઘણી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. ગોપાલે જ મારી મુલાકાત તેમના ભાઈ રાજમોહન સાથે કરાવી હતી કે જેમનો તારીખ 7 ઓગસ્ટના દિવસે 90મો જન્મદિવસ ઉજવ્યો.

રાજમોહન ગાંધી

જ્યારે હું પહેલી વખત 1990માં રાજમોહન ગાંધીને મળ્યો. ત્યારે તેઓ એક ચૂંટણી લડીને હાર્યા હતા. જેના એક વર્ષ પહેલા તેઓને અમેઠીમાં લોકસભા ચૂંટણીમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી વિરુદ્ધ સંયુક્ત વિપક્ષી ઉમેદવાર તરીકે પસંદ કરાયા હતા. જેનો અસલી ગાંધી વિરુદ્ધ નકલી ગાંધીની લડાઈ રૂપે પ્રચાર કરાયો હતો, જેમાં મહાત્માના એક પ્રમાણિક વંશજ અને એક એવી વ્યક્તિ વચ્ચે મુકાબલો હતો જે સંયોગવશ તેમનું ઉપનામ રાખતા હતા. રાજમોહન ગાંધી પાસે નૈતિકતા તો હતી પણ પૈસા નહોતા. તે સમયે નહેરુ પરિવારના ગઢ એવા અમેઠીમાં તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. પણ, રાજીવ ગાંધીની પાર્ટીએ તેમનો બહુમત ગુમાવ્યો અને વી.પી. સિંહ પ્રધાન મંત્રી બન્યા હતા. રાજીવ ગાંધીને ટક્કર આપવાના પુરસ્કારરૂપે વી.પી. સિંહે રાજમોહન ગાંધીને રાજ્યસભાના સભ્ય બનાવ્યા. લાંબા કદવાળા અને મોટાં ચશ્માં પહેરતા રાજમોહન ગાંધીમાં વિશિષ્ટતા તેમ જ ગંભીરતા જોવા મળે છે, તેઓ ખૂબ વિચારીને ધીરે-ધીરે બોલે છે. તેઓમાં તેમના ભાઈ રામુ જેવી વાક્પટુતાનો અભાવ છે. પ્રથમ મુલાકાતમાં જ એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે રાજમોહન ગાંધી પ્રભાવશાળી વ્યક્તિ છે. આ મુલાકાતના થોડા સમય બાદ મેં રાજમોહન ગાંધી દ્વારા લિખિત રાજાજી (Rajaji, A Life) અને સરદાર વલ્લભભાઈ પટેલ(Patel, a life)ના જીવન આધારિત પુસ્તક વાંચ્યા અને ખાસ્સો પ્રભાવિત પણ થયો. રાજમોહન ગાંધીએ ઉદારવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપતી સાપ્તાહિક પત્રિકા ‘હિમ્મત’ની શરૂઆત અને સંપાદન કર્યા હતા. ઈમરજન્સી દરમિયાન સેન્સર બોર્ડનો સામનો કરવો પડ્યો, પરંતુ બાદમાં નાણાંના અભાવમાં આ પત્રિકા બંધ થઈ ગઈ. 

ગોપાલ દ્વારા રાજમોહન ગાંધી સાથેની મુલાકાત બાદ મેં તરત જ તેઓ સાથે અલગથી મુલાકાત શરૂ કરી હતી. દરેક મુલાકાતમાં દેશના ઇતિહાસ અંગેની મને જાણકારી મળતી હતી. છેલ્લાં થોડાં વર્ષોમાં દિલ્હી, બેંગ્લુરુ, પંચગિની સહિત મિશિગનમાં તેઓ સાથે મારી લાંબી વાતચીત થઈ છે. મને તેઓનાં પુસ્તક તેમ જ નિબંધ વાંચીને ખાસ્સી પ્રેરણા મળી છે. રાજમોહન ગાંધી અને મારા વચ્ચે, છપાયેલા વિષય બાબતે માત્ર એકવખત અસહમતિ થઈ છે, જે વિશે હવે યાદ કરવું ઘણું સામાન્ય લાગે છે. હું એક એવા પરિવારમાં ઉછર્યો છું, જે મહાત્મા ગાંધી કરતાં નહેરુની વધુ પ્રશંસા કરતા હતા. એક યુવા સ્કોલર તરીકે જ્યારે હું ભારતીય પર્યાવરણ વિષયક રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે મેં નહેરુ પ્રત્યે વધુ આલોચનાત્મક દૃષ્ટિકોણ વિકસિત કર્યો કારણ કે તેઓની સરકારે આર્થિક વિકાસના મૉડલને આક્રમક રીતે અપનાવ્યું હતું, ભલે પર્યાવરણીય સ્થિરતા પર તેના પરિણામ નકારાત્મક હતા. આ રાજમોહન ગાંધી હતા કે જેમણે મને તે વાત સમજવા દીધી કે નહેરુ કોઈ ખરાબ બાબતનું પ્રતીક નથી કે જેવું મારા પર્યાવરણવાદી મિત્રો મને તે સમયે જણાવી રહ્યા હતા. પુસ્તક ધ ગૂડ બોટમેન(The good boatman)માં તેમણે જણાવ્યું છે કે આર્થિક નીતિ બાબતે મતભેદ છતાં નહેરુ જ ગાંધીના ઉત્તરાધિકારી હતા. મહાત્મા ગાંધીના તમામ અનુયાયીઓમાં નહેરુ જ મહાત્માના સમાવેશી દૃષ્ટિકોણ સમજવા અને વ્યવહારમાં લાવવામાં સૌથી યોગ્ય હતા. પોતાના ગુરુની જેમ ભારતના પ્રથમ પ્રધાન મંત્રી હિંદુ હતા જેઓ પર મુસલમાનોએ ભરોસો વ્યક્ત કર્યો હતો. તેઓ એક એવી વ્યક્તિ હતા કે જેમણે મહિલાઓના સમાન અધિકારો માટેની લડાઈ લડી. ગાંધીજીના નજીકના સહયોગીઓ સી. રાજગોપાલાચારી, મૌલાના આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ, કૃપાલાની અને સરદાર કોઈમાં પણ નૈતિક અને રાજનીતિક ગુણોનું આ દુર્લભ સંયોજન નહોતું. રાજમોહન ગાંધીએ મને એવું પણ જણાવ્યું હતું કે ગાંધીજીની હત્યા બાદ, કેવી રીતે નહેરુ અને પટેલે પોતાના વ્યક્તિગત મતભેદોને અલગ રાખતા ભારતને એક કરવાનો પ્રયાસ કર્યો હતો. 

રાજમોહન અને રામચંદ્ર ગાંધીમાંથી રામુને એકલામાં અથવા એક મોટા શ્રોતા સમૂહ સાથે સાંભળવામાં રોમાંચક અનુભવ થતો હતો. તેમણે મૌખિક પરંપરામાં સૌથી સારું કામ કર્યું. બીજી બાજુ, રાજમોહનના લેખનમાં કોઈ વ્યંગ્ય નથી પણ તેઓ પાસે પત્રોની જાણકારી ખૂબ છે. રાજમોહન ગાંધી પાસેથી દેશ વિશે આટલું જાણ્યા-શીખ્યા બાદ આ લેખને એક પત્રમાંથી પ્રાપ્ત જાણકારી સાથે સમાપ્ત કરવા માગુ છું. મને આ વાત વેરિયર એલ્વિનના રિસર્ચ પત્રમાં મળી જે અંગ્રેજમાંથી ભારતીય બન્યા હતા અને ભારતના જનજાતીય લોકોના વિદ્વાન હતા. તેઓ ગાંધી અને નહેરુ બંનેને સારી રીતે જાણતા હતા. જૂન 1933માં દેવદાસ અને લક્ષ્મીને પૂનામાં લગ્ન માટેની પરવાનગી મળી ગઈ હતી. ત્યાર બાદ જ ગાંધી અને કાઁગ્રેસ દ્વારા વધુ એક દેશવ્યાપી સત્યાગ્રહ અભિયાન શરૂ કરવાની વાત થતી હતી, જે અસહયોગ અને સવિનય કાનૂનભંગના આંદોલનના માર્ગ પર ચાલવાનું હતું. પૂનામાં મહાત્માના અનુયાયીઓના એક સમૂહને મળતા વેરિયર એલ્વિને તેઓને ઉદાસ જાણ્યા. એલ્વિને તેમના એક દોસ્તને લખ્યું કે, માત્ર દેવદાસ અને તેમની પત્ની લક્ષ્મી ખુશ હતા કારણ કે તેઓ પૂરી રીતે જેલ નહીં જવા દૃઢ હતા. આખરે, સત્યાગ્રહ થયો નહીં. દેવદાસને તેમના પિતાએ જેલ જવા માટેનો આદેશ આપ્યો નહીં. તેઓ અને તેમના પત્ની લક્ષ્મી દિલ્હી જતાં રહ્યાં, જ્યાં તેમણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ સૌથી અલગ રીતે ચાર પ્રતિભાશાળી ભાઈ-બહેનોને ઉછેર્યા.

https://scroll.in/article/1085400/ramachandra-guha-a-tribute-to-rajmohan-gandhi-the-writer-with-deep-insights-into-indias-past

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

મૌનની ભાષા

દિવ્યકાંત વિ છાયા ‘એકાંત’|Opinion - Opinion|27 October 2025

ઈશ્વર મારી ભાષા સમજી ન શક્યો.
કાં હું એનો ઇશારો સમજી ન શક્યો.

રચી સૃષ્ટિ અને મોં ફેરવી બેઠો એ.
રામ જાણે શાને રીસાઈ બેઠો એ.

કલયુગની અસરમાં આવી ગયો એ.
શું ભાષાના વિવાદમાં આવી ગયો એ.

ખૂબ નામ જાપ તપ કરી બેઠો હું.
તોયે,હે ઈશ્વર હાથ ન આવ્યો તું.

અકળાયો હું જોયું મેં મુજ હૃદયમાં.
ત્યાં દેખાણો તું મને દરેકના હૃદયમાં.

હે માનવ, ભાષા તારી જ શોધ છે.
સાચો ભાવ એ જ મારો તને બોધ છે.

હે માનવ, મારી ભાષા મારું મૌન છે.
“એકાંતે” તારે ધરવાનું મારું ધ્યાન છે.

ભુજ -કચ્છ ગુજરાત રાજ્ય ભારત
e.mail : divyakantchhaya@gmail.com

Loading

એક બાળક, KBCનો એક મંચ : આત્મવિશ્વાસ અને પેરેન્ટિંગના સબક 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 October 2025

રાજ ગોસ્વામી

દિવાળીમાં ફટાકડા ફૂટે તે પહેલાં, ‘કૌન બનેગા કરોડપતિ’ ગેમ શોના એક એપિસોડને લઈને સોશિયલ મીડિયા પર બહુ તડાકા-ભડાકા થયા. અમિતાભ બચ્ચનના આ સૌથી લોકપ્રિય શોની પ્રતિસ્પર્ધામાં એક પ્રતિભાશાળી બાળકે ભાગ લીધો હતો (તેની ઉંમરને જોતાં આપણે તેનું નામ ટાળીએ). શરૂઆતમાં તો તેની બુદ્ધિમત્તા, હાજરજવાબી અને આત્મવિશ્વાસે (અમિતાભ સહિત) સૌનું ધ્યાન આકર્ષિત કર્યું, પરંતુ ગેમ જેમ જેમ આગળ વધતી ગઈ, તેનો આત્મવિશ્વાસ ધીમે-ધીમે અતિ-આત્મવિશ્વાસમાં તબદીલ થતો ગયો.

તેની જવાબો આપવાની રીત, સવાલોની ખીલ્લી ઉડાવવાની વૃત્તિ અને દરેક નિર્ણયમાં પોતાને ‘સાચા’ માનવાની માનસિકતા – આ બધાએ દર્શકોએ એ વિચારવા માટે મજબૂર કરી દીધા કે આ આત્મવિશ્વાસ હતો કે અહંકારની ઝલક? સોશિયલ મીડિયા પર તેની વીડીઓ ક્લિપ શેઅર કરીને બહુ બધા યુઝર્સે તો તેને બત્તમીજી ગણાવી હતી. અમુક લોકોએ તો તેને પેરન્ટસની ઘોર નિષ્ફળતા પણ ગણાવી હતી. 

બાળકના વ્યવહાર પર દર્શકોની પ્રતિક્રિયાઓ એટલી આકરી હતી કે કદાચ હોસ્ટ અમિતાભ બચ્ચન પણ ડઘાઈ ગયા હોવા જોઈએ, જે સામાન્ય રીતે હોટ સીટમાં બેસતા પ્રકાર-પ્રકારમાં પ્રતિયોગીઓ સાથે મોજ લેતા હોય છે અને જે ‘કૌન બનેગા કરોડપતિ’ને કોઈપણ પ્રકારની ભૂલ કે વિવાદથી છેટા રાખવાની દરકાર કરતા હોય છે.

ઘણા લોકોએ અમિતાભના ધૈર્ય અને સંયમની પ્રશંસા કરી કે તેમણે બાળકના વર્તનને શાંતિથી સહન કર્યું. કેટલાક લોકોએ કહ્યું કે બાળકની ભૂલ નથી, પરંતુ એ ઉછેરમાં કમી છે કે તેને ધૈર્ય અને શિષ્ટાચાર શીખવવામાં આવ્યો નથી. એક યૂઝરે લખ્યું, ‘બાળક સ્માર્ટ છે, પરંતુ તેને એ સમજવું જરૂરી છે કે મંચ પર બધાની ઈજ્જત કરવી જરૂરી છે.’ 

આ એપિસોડ સાહજિક હતો કે સ્ક્રિપ્ટેડ એ તો ખબર નથી, પણ આવો આત્મવિશ્વાસ એક સાર્વજનિક તમાશાનો વિષય બને અને તેને એક સિદ્ધિ ગણવામાં આવે તે પેરન્ટ્સ તરીકે અને એક સમાજ તરીકે ચિંતાની બાબત છે. એક વધુ પડતું લાડ-લડાવેલું બાળક એમ માનતું થઇ જાય કે તેનો વ્યવહાર પ્રશંસા પાત્ર છે તો તેના ભવિષ્ય માટે અહિતકારી છે. 

મનોવિજ્ઞાનમાં તેને ‘સિક્સ પોકેટ સિન્ડ્રોમ’ કહે છે – ખાવાનું, રમકડાં, એટેન્શન, વખાણ, ગેજેટ્સ અને લાડની ટેવ હોય તે. પાણી માંગે તો દૂધ હાજર કરી દેવાની વૃત્તિ. માતા-પિતા અને દાદા-દાદીના હાથે અતિશય લાડમાં ઉછેરેલાં બાળકોમાં ધીરજ ઓછી હોય છે, માત્ર લેવાની જ ભાવના હોય છે, નિરાશાને સહન કરવાની તાકાત નથી હોતી અને ‘ના’ સાંભળવાની તૈયારી નથી હોતી. 

આત્મવિશ્વાસ એવી  શક્તિ છે જે બાળકને આગળ વધવાની હિંમત આપે છે. પરંતુ જ્યારે એ આત્મવિશ્વાસ અનુભવ, વિનમ્રતા અને શીખવાની ક્ષમતા વગર આવી ગયો હોય, ત્યારે તે અતિ-આત્મવિશ્વાસ બની જાય છે – જે અંતે ખોટા નિર્ણયો અને નિષ્ફળતાનું કારણ બને છે. બાળકના જવાબોમાં ઘણી વખત ‘આ તો હું જાણું છું’નો ભાવ એટલો પ્રબળ હતો કે તે પ્રશ્નને પૂરો સાંભળ્યા વગર જ જવાબો આપતો હતો. આ વૃત્તિ આજના સમયમાં એક ઊંડી માનસિક સમસ્યાને દર્શાવે છે – તાબડતોબ પણ ઉપરછલ્લું જ્ઞાન. આજનાં બાળકો તેજ છે, પણ ગહેરાઈમાં જતાં નથી. 

આજનાં પેરેન્ટ્સ તેમનાં બાળકોને લઈને બહુ મહત્ત્વાકાંક્ષી હોય છે. તેઓ ઇચ્છતાં હોય છે કે તેમનું બાળક ‘સૌથી આગળ રહે.’ – સૌથી બુદ્ધિશાળી, સૌથી પ્રતિભાશાળી, સૌથી આત્મવિશ્વાસી. આ પ્રક્રિયામાં તેઓ ઘણીવાર ‘વિનમ્રતા’ અને ‘ધૈર્ય’ શિખવવાનું ભૂલી જાય છે. એવાં બાળકોને જ્યારે દરેક બાબતમાં પ્રશંસા મળે છે – ‘વાહ, તું તો જિનિયસ છે!’, ‘વાહ, તું તો બધું જાણે છે!’- ત્યારે તેનામાં ‘કૃત્રિમ શ્રેષ્ઠતાનો ભાવ’ વિકસવા લાગી જાય છે. ધીરે-ધીરે આ ભાવ અતિ-આત્મવિશ્વાસમાં ફેરવાઈ જાય છે, જ્યાં બાળક ટીકા સાંભળવાનું, ભૂલ સ્વીકારવાનું અથવા શીખવાનું ટાળવા લાગે છે. 

 અમેરિકન મનોચિકિત્સક કેરોલ ડ્વેકે તેમના સંશોધનમાં બતાવ્યું છે કે બાળકોની ઉછેરમાં બે માનસિકતાઓ હોય છે – ફિક્સ્ડ માઈન્ડસેટ અને ગ્રોથ માઈન્ડસેટ. ફિક્સ્ડ માઈન્ડસેટ વાળું બાળક એવા વિચારમાં રાચતું હોય છે કે ‘હું બુદ્ધિમાન છું, મને બધું આવડે છે.’ જ્યારે તે નિષ્ફળ જાય, તો તે સહન નથી કરી શકતું, કેમ કે તેને લાગે છે કે તેની ‘સ્માર્ટનેસ’ ખતમ થઈ ગઈ છે.

ગ્રોથ માઈન્ડસેટ વાળું બાળક એમ માનતું હોય છે કે ‘હું પ્રયત્ન કરીને શીખી શકું છું.’ તેની ઉર્જા શીખવામાં જ જાય છે, આવડતનો દેખાડો કરવામાં નહીં. ગેમ શોમાં પેલા બાળક જેવાં અનેક બાળકો ફિક્સ્ડ માઈન્ડસેટનો શિકાર છે – કેમ કે સમાજ અને પેરેન્ટ્સ બંનેએ તેમને શીખવ્યું છે કે ‘ભૂલ કરવી એ કમજોરીની નિશાની છે.’

KBC જેવા મંચ બાળકોની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપે છે, પરંતુ તે સમાજનો આયનો પણ છે. એ બાળક એ વાતનો પુરાવો છે કે આપણા બાળકોમાં જ્ઞાનની ખોટ નથી, પરંતુ ભાવનાત્મક બુદ્ધિમત્તા(Emotional Intelligence)નો અભાવ છે. દિમાગ તેજ છે, પરંતુ સંયમ નથી. જાણકારી છે, પણ વિનમ્રતા નથી. અને આ ખોટ માત્ર બાળકની નથી, પણ તે કૌટુંબિક વાતાવરણની છે જેમાં તે મોટો થાય છે. 

આ બાળકનો વધુ પડતો આત્મવિશ્વાસ આપણને યાદ અપાવે છે કે શાણપણ માત્ર જાણવામાં નથી, સમજવામાં છે. સાચું જ્ઞાન વ્યક્તિને નમ્ર બનાવે છે, અહંકારી નહીં. આપણને એવા બાળકોની જરૂર છે જે પ્રશ્નોના જવાબો યાદ ન રાખતા હોય, પણ પ્રશ્નો પૂછવાની હિંમત ધરાવતા હોય. દરેક જીત પછી તે કહી શકે છે – ‘હું આજે કંઈક નવું શીખ્યો.’ કે.બી.સી.નો એપિસોડ સમગ્ર સમાજનો અરીસો છે – જ્યાં આપણે બાળકોને ઝડપથી અને સ્માર્ટ રીતે  ઉછેરવા માંગીએ છીએ, પરંતુ તેમને ઊંડાણપૂર્વક શીખવવાની તમા નથી રાખતા. 

બાળકોને શીખવાનો આનંદ શીખવવાની જરૂર છે, જીતનું જનૂન નહીં. બાળકને જ્યારે એવું લાગશે કે દરેક ભૂલ શીખવાનો એક અવસર છે, ત્યારે તે અસફળતાથી નહીં ડરે. એટલા માટે, તેની ઉપલબ્ધિની અતિ-પ્રશંસાથી બચવું – ‘તું તો જીનિયસ છે’ એવું કહેવાને બદલે, ‘તેં સરસ મહેનત કરી’ એવું કહેવું. તેનાથી બાળક પોતાને જીનિયસ સાબિત કરવાને બદલે મહેનતથી સાબિત કરવા પ્રયાસ કરશે. બાળકોને ઉડતાં જરૂર શીખવવું જોઈએ, પણ તેમને એ ખબર હોવી જોઈએ કે જમીન પર પગ કેવી રીતે રાખવા તે પણ ઉડવાની કળાનો જ હિસ્સો છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 26 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...48495051...607080...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved