Opinion Magazine
Number of visits: 9953763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘તમે રહો છો અમેરિકા અને ભારતની સમસ્યા વિશે કેમ લખો છો?’

રમેશ સવાણી|Opinion - Opinion|17 February 2025

રમેશ સવાણી

14 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદ ‘નવજીવન’ ખાતે મૈત્રી જૂથનાં થોડાં મિત્રો સાથે બે કલાક ચર્ચા-બેઠકનું આયોજન થયું હતું. તેમાં સુરેશ પ્રજાપતિ / હરગોવન પટેલ / હિતેશ પ્રજાપતિ / નરેન્દ્ર દેસાઈ / જિતેન્દ્ર વાઘેલા / મૂકેશ ઘેલાણી / દીપક પ્રજાપતિ / પારુલ અત્તરવાલા / વર્ષા પરમાર / જાગૃતિ ઠક્કર / ભાવિશાબહેન / રણજીત વાઘેલા / મહાદેવભાઈ પટેલે ભાગ લીધો હતો. 

તેમાં એક પ્રશ્ન હતો કે ‘તમે રહો છો અમેરિકા અને ભારતની સમસ્યા વિશે કેમ લખો છો?’

જવાબ : 

[1] કોઈપણ વ્યક્તિનો જ્યાં જન્મ થાય, શિક્ષણ મેળવે, રોજગાર મેળવે, નિવાસસ્થાન બનાવે તે ભૂમિને મનમાંથી દૂર કરી શકે નહીં. એટલે સમાજની / દેશની સમસ્યાઓ અંગે તે મૌન રહી શકે નહીં. 

[2] આજે દુનિયા એક કુટુંબ જેવી બની ગઈ છે. ટેકનોલોજી / સંચાર ક્રાંતિએ વિશ્વના લોકોને નજીક નજીક કરી દીધા છે. એટલે તમે ઈચ્છો તો પણ અલગ રહી શકો તેવી સ્થિતિ નથી. 

[3] બંધુત્વ / આઝાદી / ન્યાય / સમાનતા / વ્યક્તિનું ગૌરવ વગેરે માનવમૂલ્યોએ વિશ્વને એક કરી દીધું છે. વિશ્વના લોકોને એકબીજા સાથે જોડી દીધાં છે. એટલે આજે કોઈ એક દેશની સમસ્યા તે દેશ પૂરતી સીમિત રહેતી નથી તે વિશ્વના લોકોની સમસ્યા બની જાય છે. એટલે જ અમેરિકાના લોકો ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે. ભારતમાં લોકશાહી સંસ્થાઓ પર સરકારી ભરડાનો વિરોધ અમેરિકા / UK / કેનેડામાં થઈ રહ્યો છે. દેશની સીમાઓ વળોટીને માનવવાદી વિચારો આગળ ધપી રહ્યા છે. ત્યારે દેશની સમસ્યાઓ પ્રત્યે મૌન રહી શકાય નહીં. લોકશાહીના અંચળા હેઠળ ક્રોની કેપિટલિસ્ટ દેશના સંસાધનો પર પ્રભુત્વ જમાવી દે ત્યારે ચૂપ રહી શકાય નહીં. સત્તાના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવાની કોઈ તક નાગરિકો પાસે ન હોય; રવિશકુમારને બોલતા બંધ ન કરાવી શકે તો આખી ચેનલ કોર્પોરેટ મિત્ર ખરીદી લે; બે નાનકડા રૂમમાં ચાલતા ન્યૂઝ ક્લિક પર પોલીસ દરોડો પાડી તેના એડિટર / પત્રકારને જેલમાં પૂરી દે; કોઈ સ્વતંત્ર ન્યૂઝ ચેનલ / અખબારને સરકારી જાહેરાતો આપવામાં ન આવે; માત્ર સત્તાની સ્તુતિ કરે તેમને જ સરકારી જાહેરખબરો મળે; સ્વતંત્ર પત્રકારો સામે બદનક્ષીના કેસો થાય વગેરે મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોનો અવાજ કચડવા આવે ત્યારે એટલા માટે બોલવું પડે કે નાગરિકો આર્થિક / રાજકીય / સામાજિક ગુલામીનો ભોગ ન બને. 

બીજા પ્રશ્નો હતા : 

[1] છળકપટ પુસ્તક લખવાનું કારણ શું છે?  

[2] શું તમારા પર કોઈ દબાણ આવતું નથી? 

[3] તમારી પોલીસ સર્વિસ દરમિયાન તમે કરેલ કોઈ કામ જે બીજાને પ્રેરણા આપે? 

[4] અભિવ્યક્તિના તમામ માર્ગો સાંકડાં બની રહ્યા છે ત્યારે શું કરવું? 

[5] શું વિરોધપક્ષ નબળો નથી? 

[6] શું ભારત હાલની સ્તુતિકાળની સ્થિતિમાંથી બહાર નીકળી શકશે? 

જવાબ : 

[1] છળકપટ પુસ્તક લખવાનું કારણ એ છે કે આ સંપ્રદાય સમાજજીવનમાં ભાગલા પડાવે છે. અસ્પૃશ્યતા ઊભી કરે છે. કેટલાંક સત્સંગીઓ પોતાનાં સગા ભાઈ / સગી બહેનનાં ઘેર જમતા નથી કે પાણી પીતા નથી ! પોતાના આર્થિક લાભ માટે રામ / કૃષ્ણ / શિવ / પાર્વતી / હનુમાન વગેરેને સહજાનંદજીના સેવક બનાવી દીધાં છે. આ બધા દેવોને સહજાનંદની સ્તુતિ કરતા કરી મૂક્યા છે. આ સંપ્રદાય વર્ણવ્યવસ્થાનું ભયંકર સમર્થન કરે છે. આ સંપ્રદાયના સાધુઓ દલિતોનું અપમાન વારંવાર કરે છે. કેટલાંક ભક્તો કહે છે કે ‘સહજાનંદજીએ ગુજરાતને વ્યસનમુક્ત કર્યું !’ પરંતુ શું સહજાનંદજીના જન્મ પહેલા ગુજરાતના લોકો જંગલી હતા? વ્યસની હતા? અને સહજાનંદજીના જન્મ પછી ગુજરાત વ્યસનમુક્ત બની ગયું? સહજાનંદજીએ પોતાના ગુરુ રામાનંદને સ્થાન આપ્યું નથી પણ પોતાના માતાપિતાની મૂર્તિ મંદિરમાં પધરાવેલ છે. એનું શું કારણ? શિક્ષાપત્રીમાં શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણોની સેવા કરવી એવો આદેશ કરેલ છે તે યોગ્ય છે? વિધવા મહિલાએ ભક્તિ કરી જીવન વ્યતીત કરવું તેમ સહજાનંદજીએ કહેલ છે, તે યોગ્ય છે? મહિલા પુનર્લગ્ન ન કરી શકે? મહિલાઓએ પિરિયડ દરમિયાન ફરજિયાત અસ્પૃશ્યતા પાળવી એવું સહજાનંદજી કહે છે તે ઉચિત છે? અતિ શૂદ્રોએ તિલક ન કરવું તેવો આદેશ સહજાનંદજીએ કરેલ છે તે ઉચિત છે? જન્મે બ્રાહ્મણ હોય તે જ દીક્ષા આપી શકે તેવી જોગવાઈ સહજાનંદજીએ કરી છે, તે યોગ્ય છે? સહજાનંદજીની સ્તુતિ રામ / કૃષ્ણ / શિવ / હનુમાનજી કરતા હતા તેવું સાહિત્ય શામાટે બનાવ્યું છે? ભારતમાં વરસો સુધી અંગ્રેજી શાસન ટકી રહે તેવા આશીર્વાદ આપનાર સહજાનંદજીને સંત / સર્વોચ્ચ ભગવાન કહી શકાય? આવા પ્રશ્નોનો પર્દાફાશ આ પુસ્તક કરે છે. 

[2] ધર્મસત્તા / સામાજિક સત્તા / આર્થિક સત્તા / રાજકીય સત્તાનો એક સ્વભાવ હોય છે કે તે ભિન્ન મત સહન કરી શકતો નથી. એટલે દબાણો તો આવે જ. પણ આગળ વધવું પડે. 

[3] 2002ના કોમી તોફાનો દરમિયાન હું DCP ઝોન-5 હતો. મારા સુપરવિઝન નીચે 5 પોલીસ સ્ટેશન હતા : ગોમતીપુર / રખિયાલ / બાપુનગર / ઓઢવ / અમરાઈવાડી. અમે મુસ્લિમ નેતાઓને કહ્યું કે તમારે તોફાનીઓનો પ્રતિકાર કરવાનો નથી, એ કામ પોલીસ કરશે. તમે મોબાઇલ પર કોલ કરો અને 5 મિનિટમાં પોલીસ પહોંચી જશે. આ રીતે અમે સંઘર્ષ ટાળી શક્યા. રાત્રે જ અમે 400થી વધુ મુસ્લિમોને પોલીસના વાહનોમાં સ્થળાંતરિત કર્યા, જેથી ઝોન-4માં ગુલબર્ગ / નરોડા પાટિયા / નરોડા ગામ જેવી સામૂહિક હત્યાઓ થઈ તેવી કોઈ ઘટના ઝોન-5માં બની નહીં. 

[4] અભિવ્યક્તિ પર હવે કોર્પોરેટ કંપનીઓનો કબજો થઈ ગયો છે. અભિવ્યક્તિનાં સંસાધનો પર મૂડીપતિઓનો કંટ્રોલ છે. નાના નાના દાબ-જૂથો બનાવી લડત આપવી પડે. બોલતા રહેવું પડે. 

[5] વિરોધપક્ષ નબળો નથી, પરંતુ સત્તાપક્ષે તેને નબળો કરી મૂક્યો છે. ચૂંટણી ટાણે જ વિપક્ષનું બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરવામાં આવે છે. IT / ED / CBI વગેરે એજન્સીઓ હડકાયા કૂતરાની માફક વિપક્ષના નેતાઓ પાછળ પડી જાય છે. વિપક્ષના આર્થિક સ્રોત નિયંત્રિત કરવામાં આવે છે. વિપક્ષના નેતા વિરોધ / પ્રદર્શન કરે તો પોલીસ રાત્રે ઉપાડી જાય છે. સત્તાપક્ષના IT Cell તથા ગોદી મીડિયા દ્વારા વિપક્ષનું સતત ચરિત્રહનન કરવામાં આવે છે. ચૂંટણીમાં ધર્મનો દુરુપયોગ કરાય છે. કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ / સ્વામીઓ / મહારાજો / ડાયરા કલાકારો / ગોદી લેખકો-પત્રકારો વિપક્ષને ખલનાયક, દેશદ્રોહી, ધર્મદ્રોહી ચીતરે છે અને મોદીજીને અવતાર ! એટલે લોકો ભ્રમિત થાય છે. 

[6] ભારત હાલની સ્તુતિકાળની સ્થિતિમાંથી બહાર જરૂર નીકળશે. સત્તાપક્ષમાં અંદરોઅંદર ઝઘડા છે જ. એ એના ભારે જ ભાંગશે. સત્તાપક્ષમાં શિસ્ત દેખાય છે તે સ્વાર્થની છે, એટલે સૌ ચૂપ છે. યાદ રહે, જાગૃત લોકોએ સક્રિયતા જાળવી રાખવી પડશે.

બસ ત્યારે 16 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 22.10 વાગ્યે અમદાવાદ-દિલ્હીથી Newark-New York તરફ જઈ રહ્યો છું. ગુજરાતમાં પ્રવાસ દરમિયાન અત્રતત્રસર્વત્ર મુખ્ય મંત્રી તથા વડા પ્રધાનના ફોટા જોવા મળ્યા. અમદાવાદ એરપોર્ટમાં પણ મુખ્ય મંત્રી તથા વડા પ્રધાનના ફરજિયાત દર્શન કરવા પડ્યા ! વતનની ચિંતા તો રહેશે જ !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તાળીઓ પડાવવાનો રોગચાળો!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|17 February 2025

હેમંતકુમાર શાહ

આજકાલ કોઈ પણ સમારંભ કે સભા હોય ત્યારે ઉદ્ઘોષક વ્યક્તિ એટલે કે કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિ સતત સભામાં બેઠેલા લોકોને વાત વાતમાં કહ્યા કરે છે કે તાળીઓ પાડો. પાછા એ એકાદ વાર ન કહે પણ વારંવાર કહ્યા જ કરે. એકાદ કલાકના કાર્યક્રમમાં કદાચ પાંચેક વાર આવું બને. પણ બને! 

હિન્દી કવિઓ, અને તેમાં ય ખાસ કરીને હાસ્ય કવિ સંમેલનમાં કવિઓ, સામેથી શ્રોતાઓની દાદ માગતા હોય એવું દેખાતું રહ્યું છે. પણ હવે આ રોગચાળો ગુજરાતમાં બધે ફેલાઈ ગયો લાગે છે. કેટલાક જાણીતા ઉદ્ઘોષકો પણ આવું કરતા નજરે પડ્યા છે. 

સભામાં આવેલા લોકો પણ તાળીઓ માગવામાં આવે ત્યારે તાળીઓ પાડવા માટે તૈયાર જ હોય છે!

પરિસંવાદો જેવા ગંભીર પ્રસંગોમાં, કે જેમાં ગંભીર વિષયોની ચર્ચાઓ થવાની હોય એમાં પણ, જે ઉદ્ઘોષક વ્યક્તિ હોય છે તે શ્રોતાઓ પાસે તાળીઓ પડાવે છે. કદાચ, વક્તાઓને પણ એમાં મઝા આવતી હોય છે અને તેઓ તો ઘણી વાર બે હાથ જોડીને કે પછી જાતે તાળી પાડીને સભામાં બેઠેલા લોકોનું અભિવાદન કરે છે. ઉદ્ઘોષકોને એની કંઈ ખબર છે ખરી કે, શ્રોતાઓ, દર્શકો અને ભાવકોમાં ફેર હોય છે? 

છેલ્લાં કેટલાંક વર્ષોથી આ તાળીઓ પડાવવાનો જે રિવાજ ઉત્પન્ન થયો છે તે એક પ્રકારની આત્મશ્લાઘા જ છે. જાતે જાતે દાદ માગવી એ કેવું વિચિત્ર કહેવાય. લોકોને કશું બહુ ગમશે તો તેઓ જાતે જ તાળીઓ પાડશે. તમે તાળી માગો છો શું કરવા? તાળી પાડવાનું લોકો પર ન છોડી દેવું જોઈએ? 

શું ઉદ્ઘોષક કોઈ દિવસ સભામાં શ્રોતાઓને એમ કહે છે ખરા કે હવે હસો? લોકો જાતે જ હસે છે ને?  એમ જ લોકોને તાળીઓ પાડવા દો ને. 

સૌથી ભદ્દી અને ખરાબ બાબત તો હવે એ બની ગઈ છે કે કોઈક સભામાં આરંભે પ્રાર્થના થાય તો એ પતે એટલે પણ લોકો તાળીઓ પાડે છે! ઈશ્વરની પ્રાર્થનામાં શી તાળીઓ પાડવાની હોય એ ખરેખર સહેજે સમજાતું નથી. એ પ્રાર્થના શાને માટે હોય છે? ઈશ્વરને યાદ કરીને એ સમારંભ સારી રીતે પતે તેને માટે જ ને! અથવા ઈશ્વરને યાદ કરવાનું એ સમારંભ એક બહાનું હોય છે. પણ એમાં તાળીઓ શાની પાડવાની? 

કેટલીક વાર તો સભામાં કેટલાક લોકો પોતે તાળી પાડીને બીજાની સામે જોઈને ઇશારા પણ કરે કે મેં તાળી પાડી એટલે હવે તમે પણ પાડો. કેટલાકને કોઈ નાટક કે અન્ય કાર્યક્રમ પૂરો થયા પછી ઊભા થઈને તાળી પાડવાનું પણ ગમે. કાર્યક્રમ બહુ જ સારો ગયો હોય તો એવું થાય પણ ખરું. પરંતુ એ બધું દેખાદેખીથી શા માટે? કેટલાક ઊભા થઈને તાળી પાડે, એટલે બીજાએ ઊભા થઈને તાળી પાડવી અનિવાર્ય નથી. તમને એ કાર્યક્રમ અત્યંત સારો લાગ્યો હોય તો ઊભા થઈને માન આપવા તાળી પાડો, વાંધો નહીં.

બસ, આ વાંચીને તાળી પાડશો નહીં …

તા.૧૭-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા

'અદમ' ટંકારવી|Diaspora - Features, Opinion - Opinion|17 February 2025

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ વ્યાખ્યાન : 15 ફેબ્રુઆરી 2025

અદમ ટંકારવી

સન ૧૮૬૩માં દલપતરામ ખંડેરાવ ગાયકવાડના દરબારમાં હાજર થઇ ગુજરાતી વાણીની વકીલાત ઉચ્ચારે છે :

કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,

રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું

ત્યારે કોને ખબર હતી કે, એકસો ચૌદ વરસ પછી, ગુજરાતથી પાંચ હજાર માઇલ દૂર લંડનમાં દલપતરામના ‘ઉરની ઇચ્છા’નો પડઘો ગુંજશે – ‘ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, ગુજરાતી જીવીએ’. આપણો આજનો ઉપક્રમ એનો જ પ્રતિઘોષ છે.

આ જે ‘વડું કૌતુક’ થયું તેની માંડી ને વાત કરવી છે.

બ્રિટનમાં ‘રુડી ગુજરાતી વાણી રાણી’નાં પગરણ ઓગણીસસો સાઠના ગાળામાં મંડાયાં. દક્ષિણ ગુજરાતથી દેશાટન કરી કેટલાક સાહસિકો બ્રિટન આવ્યા અને ઉત્તરીય ઇંગ્લૅન્ડનાં લૅન્કેશર, યૉર્કશર પરગણાંમાં વસ્યા. આ વિસ્તારમાં સુતરાઉ અને ઊનની મિલો અને ગુજરાતી વસાહતીઓ અર્થોપાર્જન માટે આવેલા economic migrants. 1962માં આવેલા સૂફી મનુબરી કહે છે :

‘ભરયુવાનીમાં જ હું તો યુ.કે.માં આવ્યો હતો, 

ગોદડી સાથે ફક્ત ત્રણ પાઉન્ડ હું લાવ્યો હતો.

બ્રિટનની ઠૂઠવાવે એવી ઠંડીમાં ઓઢવા ભરુચની સૂજની, અને તે જમાનામાં સરકારી રૂએ મળતું ત્રણ પાઉન્ડનું હૂંડિયામણ.

પણ આ ગોદડી, ત્રણ પાઉન્ડ ઉપરાંત એ baggageમાં ગુજરાતી ભાષા પણ લાવેલા. આ પ્રથમ વસાહતીઓમાં મોટા ભાગના અશિક્ષિત, થોડા અર્ધશિક્ષિત અને કોક જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આવેલા.

એમનો પારસ્પરિક વાણી વ્યવહાર ગુજરાતીમાં થાય અને જરૂર પડ્યે અંગ્રેજો સાથે ઈશારાથી કે broken Englishથી કામ ચલાવે.

આ પૈકીના કેટલાક શેરશાયરીના શોખીન. રજાના દિવસે ભેગા થાય તો વાતચીતમાં ગઝલના શેર સંભળાય. મોટા અવાજે ચર્ચાઓ થાય, અને ગુજરાતી બોલીની લઢણ સાંભળી ગોરો પડોશી મૂંઝાય. સૂફી મનુબરી કહે છે :

આ ગોરો પડોશી પૂછે છે વલીને,

તું વાતો કરે છે કે ઝઘડો કરે છે ?

સન 1966માં રાંદેર-સુરતથી હઝલકાર ‘બેકાર’ બ્રિટનના પ્રવાસે આવેલા. તેમની ઉપસ્થિતિમાં બોલ્ટનના સ્પિનર્સ હોલમાં મુશાયરો યોજાયો, જેમાં બ્રિટનના ચાર ગુજરાતી ગઝલકારોએ ભાગ લીધેલો − કદમ ટંકારવી, મહેક ટંકારવી, સૂફી મનુબરી અને અંજુમ વાલોડી. બ્રિટનનો આ પ્રથમ ગુજરાતી મુશાયરો. પાંચ શાયરો અને પચીસ શ્રોતા, એટલે ‘બેકાર’ એને ‘મુશાયરી’ કહેતા.

સન 1967માં લૅન્કેશરમાં કદમ ટંકારવી અને મહેક ટંકારવીએ ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની સ્થાપના કરી. કદમ ટંકારવીની પ્રેસ્ટન ખાતેની ઓફિસના ઉપલા માળે ગાદલા તકિયા પથરાયા અને ગઝલકારો તથા ગઝલરસિકોની મહેફિલ જામે.

1973માં જર્મનીસ્થિત જાણીતા ગઝલકાર શેખાદમ આબુવાલા બ્રિટનના પ્રવાસે આવેલા. આ પ્રસંગે યોજાયેલ ગઝલગોષ્ઠિ વિશે શેખાદમ લખે છે :

‘બપોરથી શરૂ થયેલી મહેફિલ રાતના એક સુધી ચાલી. ચાલી જ નહીં, જામી પણ. તરન્નુમ ગુંજે છે. શબ્દની ફૂલઝડીઓ છૂટે છે. લૅન્કેશરમાં ગુજરાતી ધબકારા સંભળાય છે. ગુજરાતથી દૂર ગુજરાત જીવી રહ્યું છે.’

આ જ બેઠકમાં શેખાદમના સૂચનથી ‘ગુજરાતી સાહિત્ય મંડળ’નું ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’માં રૂપાંતર થાય છે. આ પછી ગિલ્ડનું કાર્યક્ષેત્ર વિસ્તર્યું. બ્રિટનનાં વિવિધ નગરોમાં સંખ્યાબંધ મુશાયરા યોજાયા અને કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા. ઇતિહાસકાર મકરન્દ મહેતા આને ‘બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરાના ઇતિહાસમાં વિરલ ઘટના’ કહે છે.

બ્રિટનનું પ્રથમ ગુજરાતી સામયિક પણ લૅન્કેશરથી પ્રકાશિત થયું. માર્ચ, 1968માં બ્લૅકબર્નમાં સિરાજ પટેલ અને અબ્દુલ્લાહ પટેલના તંત્રીપદે ‘વીસમી સદી’ નામક માસિક શરૂ થયું. એ સુરતમાં કંપોઝ થતું અને ડાર્વિનમાં એની એક હજાર નકલો છપાતી. આ સામયિક છ મહિના ચાલ્યું, પછી નાણાંભીડ અને વાચકોના અભાવે બન્ધ થયું.

યૉર્કશરના બાટલી નગરમાં અહમદ ગુલની પહેલથી રવિવાર, 15મી ઑગસ્ટ, 1971ના રોજ પ્રથમ ગુજરાતી મુશાયરો યોજાયો. ઓલ્ડ પીપલ સેન્ટરમાં. હોલનું ભાડું પાંચ પાઉન્ડ. સો જેટલા શ્રોતાઓ. લૅન્કેશરના કવિઓ ઉપરાંત બાટલીના સ્થાનિક કવિ અહમદ ગુલ અને સોમજી મુંબઈવાળા.

1990માં બાટલીના કવિઓ સાથે મળી અહમદ ગુલે ‘ગુજરાતી રાઇટર્સ સર્કલ’ની સ્થાપના કરી જેનું 2004માં ‘ગુજરાતી રાઈટર્સ ફોરમ’માં રૂપાંતર થયું. આ સંસ્થાની પ્રવૃત્તિઓ અનેકવિધ છે, જેમ કે પુસ્તક પ્રકાશન, અનુવાદ, સર્જનાત્મક લેખન શિબિરો, ભારત તથા યુ.એસ.એ.થી અતિથિ કવિઓને નિમંત્રણ, સાહિત્યકાર સન્માન, તથા બાટલીના ગુજરાતી સમાજની યુવા પેઢીને અંગ્રેજીમાં કાવ્યસર્જન દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રોત્સાહિત કરી તેના સંચયો પ્રકાશિત કરવા.

1972માં યુગાન્ડાતી નિષ્કાશિત થયેલ ગુજરાતીઓ બ્રિટન આવી વસ્યા. તેઓ મોટેભાગે લંડન, લેસ્ટર જેવાં મહાનગરોમાં ઠરી ઠામ થયા. આ વસાહતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષા-સાહિત્યનો વારસો લઈ આવેલા. આનાથી ગુજરાતી ભાષી સમાજ વિસ્તર્યો, અને ગુજરાતીના પ્રસારની પ્રક્રિયાને વેગ મળ્યો. લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની સ્થાપના થઈ.

12 ફેબ્રુઆરી, 1977ની એક સુભગ ઘડીએ યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો શુભારંભ થયો. આ ઘટના બ્રિટનના ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસનું સીમા-ચિહ્ન. અકાદમીની સ્થાપનાથી બ્રિટનમાં ગુજરાતી ભાષા – સાહિત્ય – સંસ્કૃતિના જતન, પ્રસારના અભિયાનને રાષ્ટૃીય વ્યાપ પ્રાપ્ત થયો, પ્રવૃત્તિઓમાં એકસૂત્રતા આવી. બળવંત નાયકે અકાદમીની સ્થાપનાને ‘વામનનું પહેલું પગલું’ કહી વધાવી, જે એક દાયકાના ટૂંકા સમયગાળામાં હરણફાળમાં પરિણમી. મુંબાઈમાં બેઠેલા હરીન્દ્ર દવેએ અકાદમીના અભિનિવેશમાં ‘ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ પ્રત્યેના અનુરાગનું પ્રમાણ’ જોયું, અને ઠેઠ કરાંચીમાં રહ્યે મહંમદ બેગને આ આગેકૂચમાં ‘નર્મદી જોસ્સા’ની પ્રતીતિ થઈ.

‘ગુજરાતી સાંભળીએ − ગુજરાતી બોલીએ − ગુજરાતી વાંચીએ − ગુજરાતી લખીએ − ગુજરાતી જીવીએ’ના ધ્યેયસૂત્ર સાથે 1981માં અકાદમીનો ભાષાશિક્ષણ પ્રકલ્પ આરમ્ભાયો. અભ્યાસક્રમ ઘડાયો, પાઠ્યપુસ્તકો તૈયાર થયાં, શિક્ષકોના તાલીમવર્ગો યોજાયા અને પરીક્ષા તંત્ર ઊભું થયું. પાંચસો જેટલા શિક્ષકો તાલીમબધ્ધ થયા, અને એક સમે વિલાયતને ખૂણે ખૂણે એકાદ લાખ બાળકો ગુજરાતીનું શિક્ષણ લઈ રહ્યા હતા.’ દર સાલ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં બેસતા, અને એની ક્ષિતિજ યુરોપ ઉપરાંત આફ્રિકા તેમ જ એક તબક્કે મુંબાઈના સીમાડે અડતી.

અકાદમીના નિર્દેશાત્મક સિદ્ધાન્તોમાં ‘ગુજરાતી સાહિત્યના સર્જનાત્મક અને વિવેચનાત્મક પાસાંઓ અને પ્રવૃત્તિઓને વેગ આપવો’નો પણ સમાવેશ. આને સિદ્ધ કરવા પરિષદો, શિબિરો, પ્રવચનો, કવિસંમેલનો, વાર્તા – કવિતા સ્પર્ધાઓ, અને ભારતથી લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારોને નોતરવા જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા સાહિત્યસર્જન માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું.

અકાદમીની સ્થાપનાની ચાળીસીએ, 16 ઑગસ્ટ, 2018ના રોજ લંડનમાં પરિસંવાદ યોજાયો, જેમાં ચાર દાયકા દરમિયાન બ્રિટનમાં સર્જાયેલ ગુજરાતી સાહિત્યનાં સઘળાં સ્વરૂપોનાં ‘લેખાંજોખાં’ થયાં. આનો, વક્તવ્યો સમેતનો, સમ્પૂર્ણ અહેવાલ કેતન રૂપેરા સંપાદિત ‘ચાળીસીએ ઓચ્છવ’ પુસ્તકમાં સમાવિષ્ટ છે.

વિલાયતમાં ગુજરાતી વાણી રાણીના વકીલ વિપુલ કલ્યાણી. અકાદમીની પ્રવૃત્તિઓ પાછળના driving force – પ્રેરક બળ. હું 1991માં વસવાટ માટે બ્રિટન આવ્યો ત્યારે બ્રિટનનો ગુજરાતી સમાજ ભાષા – સાહિત્યની પ્રવૃત્તિઓમાં રમમાણ હતો. વિપુલ કલ્યાણી ઉચિત રીતે આ ગાળાને ‘હણહણતો સમયકાળ’ કહે છે. હવામાં ગુજરાતી સાંભળીએ – બોલીએની ગુંજ હતી. આ રોાંચક અનુભૂતિની ગઝલ થઈ તેના થોડા શેર પ્રસ્તુત છે :

તું ગુજરાતીમાં જો ‘આવો’ કહે છે

તો મારા કાને એક ટૌકો પડે છે

તું ગુજરાતીમાં જો વાતો કરે છે

તો તારા હોઠથી ફૂલો ઝરે છે

લખી’તી ગુજરાતીમાં તેં ચબરખી

ને એમાંથી હવે કંકુ ખરે છે

ઊડે છે આ ગુજરાતી છાપાનો કાગળ

અને આખી ય શેરી મઘમઘે છે

આ મારા કાનમાં રેડાય અમૃત

તું ગુજરાતી ગઝલ જો ગણગણે છે

મને તો એ ય લાગે અર્થગર્ભિત

તું ગુજરાતીમાં જે લવરી કરે છે

છીએ આ હું ને મારી ભાષા એક જ

ગલત તું એક ને એક બે ગણે છે

સન 2007માં ડૉ. બળવંત જાનીએ બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા અધ્યયન પ્રકલ્પ હેઠળ બ્રિટિશ ગુજરાતી સાહિત્યના એકત્રીકરણ, ચયન, સંપાદન, મૂલ્યાંકન, પ્રકાશનનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. સાત વર્ષના ક્ષેત્રકાર્ય અને સંશોધનના પરિપાકરૂપે 2014માં બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય સંચય શ્રેણીના અઢાર ગ્રંથો પ્રકાશિત થયા, જેમાં ત્રણ ધારારૂપ-સર્વગ્રાહી : બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા − વાર્તા ધારા – નિબંધધારા. અડધી સદીનું છૂટુંછવાયું સાહિત્ય સંચિત થઈ અનુશીલન, વિવેચન, મૂલ્યાંકન માટે હાથવગું થયું. પણ બેપાંચ એમ.ફિલ., પીએચ.ડીના અભ્યાસોને બાદ કરતાં ગુજરાતના સાક્ષરોનું એ તરફ ઝાઝું ધ્યાન ગયું નહીં. 2018માં નયના પટેલે કરેલ બ્રિટિશ ગુજરાતી સાહિત્યને ‘હાંસિયામાં ધકેલી દેવાયા’ની ફરિયાદ કાયમ રહી.

બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્ય સામે ખતરાની ઘંટડીઓ તો આઠમા દાયકામાં જ વાગવા માંડેલી. ઓગસ્ટ, 1986માં કવિ ડાહ્યાભાઈ પટેલે અંગ્રેજી ભાષાના onslaught – જીવલેણ હુમલાથી સાવચેત કરતાં કહેલું કે, ‘અંગ્રેજી ભાષાના ગ્રસિત કરતા પ્રબળ પ્રવાહમાં આપણી માતૃભાષા વિલીન ન થઈ જાય’ તે જોવાનું છે. અકાદમીના વાર્ષિક ‘અસ્મિતા’ના 1987ના અંકમાં હઝલકાર સૂફી મનુબરીની ‘ભૂલી ગયો’ રદીફની હઝલ પ્રગટ થયેલી, એના શેર છે :

બ્રેડ ચાખીને તું સૂકો રોટલો ભૂલી ગયો,

ચૂસતો’તો કેરીનો તે ગોટલો ભૂલી ગયો

ઇંગ્લૅન્ડની મેડમના બૉબ્ડ હેર જોઈને ‘સૂફી’

તું હવે તો બોલવાનું ચોટલો ભૂલી ગયો

‘અસ્મિતા’ના 1987ના એ જ અંકમાં બ્રિટનમાં સર્જાતા અધકચરા ગુજરાતી સહિત્ય તરફ અંગુલિનિર્દેશ કરતાં યોગેશ પટેલે ‘બ્રિટનના ગુજરાતી સાહિત્યકારની દિશાશૂન્યતાનો પ્રશ્ન ઉઠાવેલો. 1996માં સુમન શાહે પ્રમાણોસહ જણાવેલું કે, ‘ઇંગ્લૅન્ડમાં સાહિત્યને નામે જે લખાય છે અને છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી.’ તેમના મતે, આ સાહિત્ય સાવ ‘પ્રાથમિક’ કક્ષાનું છે. સન 2000ના ગાળામાં બ્રિટનમાં ગુજરાતી ભાષાની દુર્દશા જોઈ જે ગ્લાનિ થઈ તેની ગઝલના કેટલાક શેર :

વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી

જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી

લેસ્ટરમાં સ્હેજ ઊંચા સાદથી

શોપમાં રકઝક કરે છે ગુર્જરી

બોલ્ટનમાં જાણે બોમ્બેમિક્ષ છે,

ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી

એક મૅડમ ક્યારથી ક્‌હે છે, શટ્અપ

તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી

વાસીકૂસી થઈ ગઈ બારાખડી

ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી

હાશ ક્‌હીને બાંકડે બેસી પડે

એકલી બબડ્યા કરે છે ગુર્જરી

સાંજ પડતાં એને પિયર સાંભરે

ખૂણે બેસીને રડે છે ગુર્જરી

આંખ મીંચી નર્મદાનું નામ લઈ

ટૅમ્સમાં ડૂબી મરે છે ગુર્જરી

જીવ પેઠે સાચવે એને અદમ

ને અદમને સાચવે છે ગુર્જરી

બ્રિટનમાં ગુજરાતી વસાહતની પ્રથમ પેઢીએ ગુજરાતી ભાષાને સાચવવાના સન્નિષ્ઠ પ્રયાસો કર્યા, પણ અહીં જન્મેલ – ઊછરેલ બીજી પેઢીએ એ મંદપ્રાણ અને ત્રીજીએ નિષ્પ્રાણ થઈ ગઈ. વિદ્વાન સમીક્ષક ભીખુ પારેખે સન 2000ના બિડલા પ્રવચન શ્રેણીના એમના વ્યાખ્યાનમાં કહ્યું : ડાયસ્પોરિક સમાજના ભારતીય લોકોની ત્રીજી પેઢીના ફક્ત નવ ટકા પોતાની ભાષામાં વાત કરી શકે છે.

હકીકતમાં તો આ પેઢી ગુજરાતી પોતાની માતૃભાષા છે એમ માનતી નથી. ફિલાડેલ્ફીઆની એક સભામાં ગુજરાતી મૂળની એક છોકરીએ સુમન શાહને કહેલું : માય મધરટન્ગ ઇઝ ઇંગ્લિશ, ધો આયેમ ગુજરાતી − ગુજરાતી ઇઝ માય મધર્સ મધરટન્ગ. આ બ્રિટનની ત્રીજી ગુજરાતી પેઢી માટે પણ એટલું જ સાચું છે.

સન 2010માં અમેરિકામાં ગુજરાતી ભાષા-સાહિત્ય સંદર્ભે નટવર ગાંધીએ જે નિરીક્ષણ કરેલું તે બ્રિટનને તથારૂપ લાગુ પડે છે. એમણે કહેલું કે, વિદેશમાં ગુજરાતી ભાષાને લાંબા સમય માટા ટકાવવી એ નાયગ્રાના ધસમસતા પ્રવાહમાં નૌકા તરાવવા જેવું છે. એમના મતે, અહીં સર્જાતું ગુજરાતી સાહિત્ય અધકચરું, ઉપરછલ્લું છે. ભાષા-સાહિત્યને નામે ચાલતી આ ચેષ્ટા ‘પહેલી પેઢીની રમત’ માત્ર છે. આવું જ બ્રિટનનું. બ્રિટિશ ગુજરાતી સમાજની પહેલી, બીજી પેઢી આ રમત રમી પણ ત્રીજી પેઢી થૂઈથપ્પા કહી રમતમાંથી બહાર નીકળી ગઈ − ઑપ્ટિડ આઉટ.

આ અવદશાનો હું સાક્ષી. આજે હવે ગુજરાતી ભાષાવ્યવહાર નગણ્ય અને સાહિત્ય સર્જન નહિંવત્‌. ઘરઝુરાપો, નોસ્ટાલ્જા, એ બધું તો ઠીક, પણ ભાષાઝૂરણની લાગણી તીવ્ર રહી. આ સંવેદનની જે ગઝલ થઈ તેને બ્રિટનની ગુજરાતી ભાષાનું મરસિયું કહી શકાય :

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.

લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.

તેં ય અંગ્રેજી મૂઠ મારી છે,
હું ય એનો ઉતાર શોધું છું.

ક, ખ, ગ, ધ – ના ગળે શોષ પડે,
પહેલા ધાવણની ધાર શોધું છું.

જડી છે એક લાવારિસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.

ગુર્જરી જામ છલોછલ છે, અને
સાથે બેસી પીનાર શોધું છું. 

ગુજરાતીમાં લખી છે એક ગઝલ
ને હવે વાંચનાર શોધું છું.

ફેબ્રુઆરી, ૨૦૨૭માં અકાદમી અર્ધશતાબ્દીએ સુવર્ણ મહોત્સવ ઉજવશે, એ ટાણે બ્રિટનમાં ગુજરાતી ભાષા- સાહિત્યનો સાડા છ દાયકાનો સર્વગ્રાહી ઇતિહાસ ગ્રંથસ્થ થાય, અને એની ગુજરાતી – અંગ્રેજી આવૃત્તિઓ પ્રકાશિત થાય તો એક અત્યંત મહત્ત્વનો દસ્તાવેજ અને સંદર્ભગ્રંથ ઉપલબ્ધ થશે. અંગ્રેજી version દ્વારા આપણી ભાવિ પેઢીઓ આપણા સાહિત્યિક વારસાથી જ્ઞાત થશે, અને મલ્ટિકલચરલ બ્રિટનની હેરિટિજ છાજલી પર આપણી જગા અંકે થશે.

(સમ્પૂર્ણ)
[મુદ્રાંકન : વિ.ક.]

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ – વાર્ષિક વ્યાખ્યાન (15 ફેબ્રુઆરી 2025)

Loading

...102030...460461462463...470480490...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved