Opinion Magazine
Number of visits: 9843968
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગભરાશો નહીં, અમો તમારી પડખે છીએ’ એવું કહેનારું કોઈ રહ્યું નથી !

રમેશ સવાણી|Opinion - Opinion|28 January 2025

સંજય ભાવે અને રમેશ સવાણી

27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે, અમદાવાદના નવજીવન કર્મ કાફે ખાતે અંગ્રેજીના પ્રાધ્યાપક / પત્રકાર / લેખક / અનુવાદક અને ઉમદા માણસ સંજય ભાવેને મળવાનું થયું. બે કલાક સુધી સરખા વિષયો પર વાત કરવાની મજા માણી. જો કે આખી રાત બેસીને વાતો કરીએ તો પણ ખૂટે તેમ નહોતી. 

સંજય ભાવે સામાજિક પ્રશ્નો / શિક્ષણ / પુસ્તકો / વ્યક્તિઓ વિશે લખે છે. માનવ મૂલ્યો અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની તેમની નિસબત મને ગમે છે. કોઈ લેખક / પત્રકાર કેવા હોવા જોઈએ તે જાણવા-સમજવા સંજય ભાવેને મળવું પડે. 

સંજય ભાવેએ પ્રથમ મુલાકાતમાં મને માલામાલ કરી દીધો ! તેમણે મને 8 પુસ્તકો ભેટમાં આપ્યા. મને ગમતા વિષયોનાં આ પુસ્તકો હતાં. યાદી જ આપી દઉં : [1] ‘ The Republic of Reason- Words They Could Not Kill’ રેશનાલિસ્ટ દાભોલકર, પાનસરે અને કલબુર્ગીના પસંદ કરેલા લખાણો. [2] ‘ભૂમિસૂક્ત’ હિમાંશી શેલતની નવલકથા, જે નિસબત ધરાવતા વાંચકોને વલોવી નાખે તેવી સાહિત્યકૃતિ છે. [3] ‘પ્રકાશની પગદંડીઓ’ આ પુસ્તક દરેક નાગરિક / એક્ટિવિસ્ટ અને પત્રકારોએ વાંચવું જોઈએ. બાબા આમટેના પુત્ર ડો. પ્રકાશ આમટેની જીવનકથા છે. ડો. પ્રકાશ તથા તેમના ડોક્ટર પત્ની મંદાર, હેમલકસા આદિવાસીઓમાં તબીબીસેવા અને શિક્ષણનું કામ કર્યું. વેરાન પ્રદેશમાં ઘર / શાળા / દવાખાનું / કામચલાઉ હોસ્પિટલ ઊભી કરી. એમના બાળકો ત્યાં જંગલમાં જ ઊછર્યા. તેઓ જંગલમાં માનવજીવન લાવ્યા. આ કામ માટે તેમને મેગસેસે એવોર્ડ મળ્યો. આ પુસ્તક મેં બે વખત વાંચ્યું છે, હજુ ત્રીજી વખત વાંચીશ. મારું મનગમતું પુસ્તક છે. આ પુસ્તકનો અનુવાદ સંજય ભાવેએ કર્યો છે. ગુજરાતમાં પણ આવા નોખાં જીવ છે : ડોક્ટર કનુભાઈ કલસરિયા ! તેમના સંઘર્ષનું પુસ્તક ‘પીડ પરાઈ જાણે રે’ પણ ખાસ વાંચવા જેવું છે. [4] ‘ઉપરા’ મરાઠી લેખક લક્ષ્મણ માનેની આત્મકથા છે. વિચરતી – વિમુક્ત જાતિઓના પ્રશ્નોને વાચા આપી છે. પેઢીઓ સુધી પીઠ પર ઘર લઈને ગધેડાનું જીવતર જીવનારા માણસોની વેદના સમજવા આ પુસ્તક વાંચવું પડે. ગુજરાતમાં આ કામ મિત્તલ પટેલ ખૂબ સારી રીતે કરે છે. [5] ‘પુ.લ. દેશપાંડે’ પરિચય પુસ્તિકા. લેખક સંજય ભાવે. પુ.લ. દેશપાંડે એટલે પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે. મહારાષ્ટ્રમાં ઘર ઘરમાં જાણીતા હાસ્યલેખક અને નાટ્યકલાકાર. તેમનાં 52 પુસ્તકોની 200થી વધુ આવૃત્તિઓ થઈ છે ! [6] ‘પુલકિત’ પુ.લ. દેશપાંડેની કેટલીક રચનાઓનો સંગ્રહ છે. અનુવાદક છે અરુણા જાડેજા. [7] ‘જોતીરાવ ફૂલે’ પરિચય પુસ્તિકા. લેખક સંજય ભાવે. [8] ‘સૂરજ સામે ધૂળ’ લેખક ચુનિભાઈ વૈદ્ય. દરેક ગુજરાતીએ આ લધુ પુસ્તિકા વાંચવી જોઈએ. 

‘પુલકિત’માં એક લાંબો લેખ છે : “એક ગાંધી ટોપીનો પ્રવાસ.’ તેમાં પુ.લ. દેશપાંડે લખે છે : “લોકશાહીમાં મત મેળવવાની ચાલાકીનું ભારે મહત્ત્વ. પણ એ સાધ્યું એટલે લોકશાહી સાધી લીધી એવું નથી. એટલા મહારાષ્ટ્રમાં આટલા હજાર ગ્રામપંચાયતો સ્થપાઈ તો એટલા આંકડા પરથી લોકશાહીમાં જરૂરી એવું નિર્ભય કે કોઈપણ જાતના દબાણ કે વ્યક્તિગત પ્રલોભનને વશ ન થતાં મતદાન થયું એવું માનવાને કોઈ કારણ નથી. ચૂંટણી થઈ એટલે લોકશાહીનું તત્વજ્ઞાન લોકોને સમજાયું એવું નથી. અર્થાત્ સરમુખત્યારશાહી એ એનો ઈલાજ નથી, ક્યારે ય નહીં. પરંતુ મત ખેંચવામાં જ્યાં ‘જાત’ ઉપયોગી નીવડે ત્યાં જાત, અંધશ્રદ્ધાથી માનતા રખાતી હોય ત્યાં અંધશ્રદ્ધા, જ્યાં દહેશત કાયદેમંદ હોય ત્યાં દહેશત, જો આવા આવા રસ્તે લોકશાહીની ચૂંટણીઓ થવા લાગે તો એનો લૂણો કોલેજનાં મંડળોની ચૂંટણી સુધી જઈ પહોંચવાનો. સાર્વજનિક ચૂંટણીઓ શાંતિથી પાર પાડ્યાની વાતો આપણે વાંચીએ છીએ પણ થોડા ઊંડા ઊતરીને જોઈશું તો આ શાંતિ કેટલી બનાવટી છે એ ધ્યાનમાં આવે છે … અંગ્રેજોના રાજમાં રાજ્યકર્તાઓ અને પ્રજાની વચ્ચે એક અદૃશ્ય દીવાલ રહેતી. સ્વરાજનો અર્થ એટલે એ દીવાલ અદ્રશ્ય થવી એવો હતો. ‘પેલા’ અને ‘અમો’નો તફાવત ભૂંસાતાં હવે ‘અમો’ જ રહીશું એવું થતું હતું. પણ હકીકતમાં એવું કાંઈ થયું નહીં. ફરી એક વાર પાછો સાહેબ જ રાજકર્તાઓ સામે આદર્શ થઈ બેઠો. લોકશાહીમાં ‘મંત્રી’ નામના નવા નવાબનો જન્મ થયો. એ ય જૂના નવાબો જેવો તુક્કાબાજ. એનાથી ય આટલી અમથી ટીકા ખમાતી નથી. એમનામાં ય વેર રાખવાની એવી જ વૃત્તિ … ઘરમાં ચોરી થાય તો પોલીસચોકીએ જઈએ ફરિયાદ નોંધાવવા નથી જવું એવું થાય છે. ત્યાં વરતાતી બેપરવાઇથી આપણે ગભરાઈએ છીએ. ‘ગભરાશો નહીં, અમો તમારી પડખે છીએ’ એવું કહેનારું કોઈ રહ્યું નથી. સરકારી કચેરીઓમાં એનું એ જ જૂનું અંગ્રેજી અમલવાળું વાતાવરણ. ઉપરી અધિકારી નીચેના અધિકારીને સામેની ખુશી પર ‘બેસો’ કહેવાનું એક સીધું-સાદું સૌજન્ય પણ બતાવતો નથી. ઉપરી અધિકારીને મસકો અને નીચેવાળાને ધક્કો, એવું જૂનું સૂત્ર જ ચાલુ છે.”

આને સ્વરાજ કહીશું? ગામડાંઓમાં સ્વરાજનાં અજવાળાની રાહ જોઈને બેઠેલાં દીનદલિતોના હિસાબે તો સ્વતંત્રતા એટલે અનાજ, કપડાં અને મકાનની જોગવાઈ. તંત્ર નિષ્ઠુર થઈ ગયું છે. સત્ય એ છે કે ‘ગભરાશો નહીં, અમો તમારી પડખે છીએ’ એવું કહેનારું કોઈ રહ્યું નથી ! હા, આવા વાતાવરણમાં સંજય ભાવે જેવા સહ્રદય મિત્રો મળે એ જ ચમત્કાર !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (3) 

સુમન શાહ|Poetry|28 January 2025

Question-poems – પ્રશ્નકાવ્યો

૧

કહો મને : ગુલાબ નગ્ન છે કે

એ જ એનું વસ્ત્ર છે?

૨

વરસતા વરસાદમાં ઊભેલી ટ્રેન જેટલું

દુ:ખી આ દુનિયામાં છે કોઈ બીજું?

૩

હું મરી જાઉં ને મને એની ખબરેય ન પડે,

તો હું કોને પૂછીશ કે કેટલા વાગ્યા છે?

૪

તો એ સાચું ન્હૉતું કે

ઈશ્વર ચન્દ્રમા પર રહેતા હતા?

૫

એક દિવસમાં કેટલાં હોય છે અઠવાડિયાં 

ને એક માસમાં કેટલાં હોય છે વર્ષ? 

૬

તરબૂચને વધેરી નાખો પછી 

એ કોની સામે હસે છે?

૭

ગરીબો ગરીબ મટી જાય કે તરત 

સમજી જતા કેમ નથી?

૮

તારા સપનામાં વાગે એવી ઘંટડી

તને ક્યાં મળે ભલા માણસ? 

૯

સૂર્ય અને નારંગીઓ વચ્ચે

રાઉણ્ડ મીટર્સમાં કેટલું અંતર હશે? 

૧૦

પોતાથી તપ્ત પથારીમાં સૂર્ય 

ઊંઘી જાય છે, પછી, એને જગાડે છે કોણ?

૧૧

એ શું સાચું છે કે વિષાદ સદા ઘન

પણ વિષાદી જન સદા પાતળાં? 

૧૨

દરેક માણસ માટે ૪

શું એ જ ૪ હોય છે?

૧૩

મારું બાળપણ મર્યું એ જ વખતે

અમે બન્ને કેમ ન મરી ગયાં?

= = =

(ક્રમશ:)
(Sep2001 – 26Jan25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાધનશુદ્ધિ

બબલભાઈ મહેતા|Gandhiana|28 January 2025

બબલભાઈ મહેતા

ગાંધીજીનું જીવન સમજવાનાં બે પાસાં છે: એક બાહ્ય અને બીજું આંતરિક. તેમના આંતરિક પાસામાં જીવનનાં વ્રતો આવે છે અને બાહ્ય પાસામાં તેમના બધાં રચનાત્મક કાર્યો આવે છે. એ જો અમલમાં આવે તો નવી સમાજરચના ઊભી થાય.

એમના તત્ત્વજ્ઞાનમાં સાધન શુદ્ધિ એ અતિ મહત્ત્વનું અંગ છે. હેતુ કે સાધ્ય પાર પડ્યું એટલે પત્યું, એમ માનનારાઓથી ગાંધીજી જુદા પડે છે. ઊંચી સિદ્ધિ ય ખોટા સાધનથી મળે તોયે તેમને ન ખપે. સ્વરાજ હિંદની પ્રજાને માટે અતિ મહત્ત્વની ચીજ છે એ સ્વરાજ પણ દગાફટકાથી કે જૂઠાણાંથી આવે તો ન જોઈએ એવું ગાધીજી કહેતા. સાધનના નજીવા દોષો આવે તો બાપુ હિમાલય જેવડી ભૂલ થઈ એમ કહીને મોટી હિલચાલ થંભાવી દે છે, એ ઘણા ઓછા લોકો ધ્યાનમાં રાખે છે. સિદ્ધિ લલચાવનારી ચીજ છે. તે લલચાવીને ટૂંકે માર્ગે ખેંચી જાય છે અને ટૂંકો માર્ગ છેવટે તો લાંબો બની રહે છે. ખરેખરો માર્ગ સાધનશુદ્ધિનો છે. 

‘વાવે તેવું લણે’ એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે. બાવટો વાવો તો ઘઉં ન જ મળે. પણ ખરેખર આચરણ કરવાનું આવે છે અને ફળ નજર સામે દેખાય છે ત્યારે શુદ્ધ માર્ગ છોડી દેવાનું મન થાય છે. આનાથી બચવું જોઈએ.

બાળકને વહેલે શીખવવાની દષ્ટિએ શિક્ષક મારે છે પણ મારથી તેની બુદ્ધિનું ઢાંકણ બંધ થઈ જાય છે. માર મારવો એ બુદ્ધિ ખીલવવાનો રસ્તો નથી. આવું જ જીવનમા અનેક વાર બનતું હોય છે. જે રસ્તે જવું છે તેની શરૂઆત સાધન છે;  રસ્તાનો છેડો એ ધ્યેય છે. સાધન અને ધ્યેય જુદા નથી. ધ્યેય સત્ય છે, તો તેને પામવાનું સાધન અહિંસા છે, પ્રેમ છે. સત્ય અને અહિંસા એ એક સિક્કાના બે પાસાં છે. એને જુદા કેમ પડાય? અહિંસા હોય તો સત્યનાં દર્શન થાય.

સર્વોદયમાં માનવાવાળાએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા વાદો આપણી સમક્ષ આવે છે ત્યારે આપણે ધ્યેય સમજી લેવું જોઈએ. ગરીબોનું કલ્યાણ સામ્યવાદ, ગાંધીવાદ, સમાજવાદ કે બીજા કોઈ વાદ આવે એમાંથી ક્યે માર્ગે સારું થાય? ગાંધીવાદ કેમ સારો, બીજા વાદોમાં શી ત્રુટિઓ છે, એના સૂક્ષ્મ ભેદો, અને સાધનશુદ્ધિના આંકો પણ સમજી લેવા જોઈએ. 

આપણો કસોટીકાળ આવે ત્યારે સાધનશુદ્ધિ જે માર્ગમાં દેખાય તે માર્ગ જ અપનાવવો. જો અશુદ્ધ સાધનો હશે તો તે જ આપણને ગબડાવી દેશે.

હિંસાનો માર્ગ સાચો નથી. દુનિયા એ માર્ગે જઈ રહી છે. એ માર્ગમાંથી હઠવું હોય તો આખી સમાજ-રચના બદલવી પડે. શરૂઆત એક દેશથી થાય તો વિશ્વમાં એ ફેલાશે. જ્યાં પ્રારંભ થાય ત્યાં ખુવારી થવાનો પણ સંભવ છે. પણ પ્રજા સાચેસાચ અહિંસક હોય તો અંતે તેનો વિજય છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ માર ખાધો પણ તેમનું તેજ અહિંસક હતું એટલે તેમનો વિજય થયો. આપણી પ્રજામાં એ તેજ પૂરતું નથી.

તેથી જેટલી સાધન શુદ્ધિ રાખીશું તેટલો સર્વોદયનો પંથ આગળ વધશે. 

જે સાધનો વડે ક્રિયા કરવાની છે તે જેટલાં શુદ્ધ તેટલું કામ પાકા પાયાનું થશે. ગાંધીજી આવાં કાર્યો સિદ્ધ કરી શક્યા કારણ કે તેમનાં સાધનો શુદ્ધ હતા. માણસના જીવનમાં પોતે જેટલી તૈયારી કરે તેટલે અંશે તે સફળ થાય. એ દૃષ્ટિએ જોતાં જે આદર્શ મન સમક્ષ રાખીએ તે પાર પાડવા માટે મન બુદ્ધિ આત્મા શરીર વિકસી શકે એવો આપણો પ્રયત્ન હોવો જોઇએ જે માણસ પોતાનું મન બુદ્ધિ શરીર બગાડી મૂકે તે પોતાના આત્માનો પણ નાશ કરે છે.

‘વિષયોનું ધરે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, 

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે; 

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હણે, 

સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.’ 

                                                                        (અનાસક્તિયોગ, શ્રીમદ્ ભગવદ્ગીતા)

માનવીના વિનાશના આ પગથિયાં છે. નિરંકુશ મન ક્યાં લઈ જાય તેનું આ એક ચિત્ર છે. આદર્શ જો ઊંચો ન હોય તો ઊતરતા ઢાળ પર બેસતાં જ તે નીચે ગગડી જાય છે. ડુંગર પર ચડવું અઘરું છે પણ પડવું સહેલું છે. એક બોલ ને શત વિનિપાત. જીવનમાં ઊંચી જગ્યાએ જવાનું ધ્યેય નથી હોતું તો ગમે ત્યાં અથડાઈએ છીએ. જે પોતાના જીવનને ઉન્નત કરવા માગે છે તેની સમક્ષ કોઈ ઊંચો આદર્શ હોવો જ જોઈએ. મનુષ્ય નરનો નારાયણ થઈ શકે છે. ગાંધીજી જેવાએ પોતાના જીવનમાં એ કરી બતાવ્યું. વ્યક્તિ ધારે તેવી થઈ શકે છે. જેનું જીવન-ધ્યેય સ્પષ્ટ છે તે ગમે ત્યાં ગબડી ન પડે. તેથી જીવનમાં ઉચ્ચ ધ્યેયની જરૂર છે. તે ધ્યેયની પ્રાપ્તિ માટે તે આપણે નાનાં નાનાં પગથિયાં બનાવીએ. 

જે ધ્યેય ગાંધીજીનું તે જ આપણું ધ્યેય. તેઓ એક સામટાં દસ પગથિયાં કૂદ્યા તો આપણે એકએક ચડીશું; પણ ધ્યેય તેમના જેવું ઉચ્ચ રાખીશું. મોટી ઉમ્મર સુધી જે જીવન ધ્યેય નક્કી કરતો નથી તે પસ્તાય છે. ને જીવનમાં ધ્યેય હશે તો નાનાં કામથી તેને સંતોષ મળશે. નહિ તો મોટાં કામો પણ તેના મનનું સમાધાન નહીં કરી શકે. માટે ધ્યેય નક્કી કરી તેની પ્રાપ્તિ માટે શુદ્ધ પગલાં ભરો.

27/28 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 224 અને 225

Loading

...102030...458459460461...470480490...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved