Opinion Magazine
Number of visits: 9552658
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી

રમેશ ઓઝા|Opinion - Opinion|2 November 2025

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે ખુમારી દરેક પ્રજાને ગમે છે, પણ તે રળવી પડે છે, ગર્જનાઓ કરવાથી અને બીજાને ગાળો દેવાથી નથી આવતી. એ રળવાનો એક માત્ર માર્ગ છે પુરુષાર્થ. પુરુષાર્થીમાં આ ચાર ગુણ જોવા મળશે; ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. જેમ કે ભ્રષ્ટાચાર કે અમલદારશાહી માટે અણગમો હોય (અને અસહિષ્ણુતાના સ્તરે હોવો જ જોઈએ), પણ એ મેં મેં ભી અણ્ણાની ટોપી પહેરીને રામલીલા મેદાનમાં ઉતરી પડવાથી ન આવે, તેને માટે ધીરે ધીરે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. ધીરોદત્ત માણસોની અસહિષ્ણુતા સહિષ્ણુતાપૂર્વકની હોય છે. એ પછી જે સ્થાન મળે છે એ અનોખું હોય છે, એ ખુમારી અનોખી હોય છે અને તે વિલક્ષણ સ્વરૂપે ચહેરા પર પ્રગટતી હોય છે. 

આનું મૂર્તિમંત ઉદાહરણ ચાર દિવસ પહેલાં દક્ષિણ કોરિયામાં જોવા મળ્યું. મારી વાચકોને સલાહ છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની નેતા શી ઝિંગપીંગ વચ્ચે ટ્રેડ વોરના મામલે જે વાટાઘાટ થઈ અને સમજૂતી થઈ તેની વીડિયો કલીપ અવશ્ય જુવે. ફાચરમાંથી પૂંછડી નીકળી હોય અને વાંદરાને જે રાહતનો અનુભવ થાય એવી રાહત અને રાજીપો ટ્રમ્પના ચહેરા પર જોવા મળે છે અને સામે શી ઝિંગપીંગના ચહેરાના ભાવ જુઓ. કોઈ ઉત્સાહનો અતિરેક નહીં. ઠીક છે, નાદાન છે, પણ કામનો છે. તિરસ્કારયુક્ત આદર! અમે કોઈની લાત પણ સહન નહીં કરીએ અને અમે કોઈને અપમાનિત પણ નહીં કરીએ. અમે કોઈને જલીલ પણ નહીં કરીએ અને અમે કોઈની જીહજૂરી પણ નહીં કરીએ. 

આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી. એની શરૂઆત ૧૯૭૯ પછીથી થઈ હતી જ્યારે ચીનનું સુકાન દેંગ ઝિયાઓપીંગના હાથમાં આવ્યું. એ માણસ સામ્યવાદી હતો અને માઓ ઝેદોંગનો ચુસ્ત અનુયાયી હતો. ૧૯૮૦ સુધીમાં તેને સમજાઈ ગયું હતું કે સામ્યવાદી વિચારધારા અને વહીવટ ઝડપી આર્થિક વિકાસ માટે અનુકૂળ નથી. ખુલ્લું અર્થતંત્ર ધરાવનારા દેશો આમાં સરસાઈ ધરાવે છે. બીજી બાજુ લોકશાહી ધરાવનારા દેશો લોકશાહીને કારણે ઝડપી નિર્ણયો લઈ શકતા નથી કે કૃતનિશ્ચયી પગલાં લઈ શકતા નથી. તેમણે વિરોધના કારણે કે ચૂંટણી જીતવા પ્રજાને રાજી રાખવા પીછેહઠ પણ કરવી પડે છે. તેમણે ચીનમાં એવો ઢાંચો વિકસાવ્યો જેમાં આર્થિક બાબતે ખુલ્લાપણું અને રાજકીય બાબતે બંધિયારપણું હતું અને આજે પણ છે. ત્યારે આ લખનારને અને બીજા અનેક લોકોને એમ લાગતું હતું કે આ મૂળભૂત વિરોધાભાસ લાંબો સમય નહીં ચાલે. એક દિવસ ચીન એના વિરોધાભાસનો ભોગ બની જશે. પણ એવું બન્યું નહીં. ચીને ધીરે ધીરે દરેક મોરચે પાંખ વિસ્તારવાનું શરૂ કર્યું જેને કારણે સામ્યવાદી નેતૃત્વ સામે આંતરિક વિદ્રોહ મુશ્કેલ થઈ ગયો. જ્યાં સુધી સફળતા મળતી હોય અને શાસકો વિશ્વમાં દેશની જગ્યા અને પ્રભાવ વિસ્તારી આપતા હોય ત્યાં સુધી વિરોધ મેનેજ કરી શકાય છે અને ચીનમાં ઉત્તરોત્તર સામ્યવાદી શાસકોએ એ માર્ગ અપનાવ્યો હતો.

પણ એ બન્યું કેવી રીતે? ઉપર કહ્યા એ ચાર ગુણો દ્વારા. ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. એક જ ઉદાહરણ આપું. છેક ૧૯૮૦માં દેંગ ઝિયાઓપીંગે કહ્યું હતું કે રેર મિનરલ્સની બાબતમાં ચીન એ સ્થાન મેળવશે જે આરબ દેશો ખનીજ તેલની બાબતમાં ધરાવે છે. એટલે કે ઈજારાશાહી. રેર મિનરલ્સ જમીનમાંથી કાઢવા એ તેલ કાઢવા કરતાં પણ અઘરું કામ છે. આજે ઉપયોગમાં લઈ શકાય એવા રેર મિનરલ્સની બાબતમાં ચીન ૯૦ ટકા કરતાં પણ વધુ માર્કેટ શેર ધરાવે છે અને એવી ઈજારાશાહી આરબ દેશો પણ બળતણની બાતમાં નથી ધરાવતા. દક્ષિણ કોરિયામાં ચીન સાથે સમજૂતી કર્યા પછી ટ્રમ્પબાબાના ચહેરા પર જે રાજીપો અને રાહત નજરે પડી રહી છે એ આ રેર મિનરલ્સ અને બીજાં એવાં કારણોને કારણે. ચીને રેર મિનરલ્સની નિકાસ ઘટાડીને લગભગ બંધ કરી દીધી હતી. છેક ૧૯૮૦માં દેંગ ઝિયાઓપીંગને સમજાઈ ગયું હતું કે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ માટે અને તેના પર આધારિત અર્થતંત્ર માટે રેર મિનરલ્સ અનિવાર્ય બનવાનાં છે.  

ટ્રમ્પબાબાએ ઝૂકવું પડ્યું એનું બીજું કારણ છે ચીન અમેરિકા વચ્ચેના આયાત-નિકાસના ધંધામાં ચીનની સરસાઈ. ચીને ગયા નાણાંકીય વર્ષમાં ૪૦૧.૪ અબજ ડોલરની કિંમતની ચીજવસ્તુઓની અમેરિકામાં નિકાસ કરી હતી અને સામે અમેરિકા પાસેથી ૧૩૧ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી હતી. આયાત-નિકાસ વચ્ચે ખાધ હતી ૨૭૦.૪ બાજ ડોલરની. ચીને આ સરસાઈ રાતોરાત નથી મેળવી. ૧૯૮૦માં દેંગ શિયાઓપીંગ શાસક તરીકે આવ્યા ત્યારે ચીન અમેરિકા સામે આયાત-નિકાસમાં માત્ર ૬.૨ અબજ ડોલરની સરસાઈ ધરાવતું હતું. ૧૯૯૦માં એ વધીને ૫૬.૯ અબજ ડોલર થઈ, ૨૦૧૦માં તો પ્રચંડ માત્રામાં વધીને ૩૪૭.૦૨ ડોલર થઈ અને અત્યારે ૨૭૦ અબજ ડોલર. આ રાતોરાત નથી બન્યું. ઘણીવાર એવું બનતું હોય છે કે નિકાસ દ્વારા કોઈ દેશ આયાત કરનાર દેશના અર્થતંત્ર માટે અનિવાર્ય બની જાય. ચીન સામે ભારત પણ આવી જ મજબૂરી ધરાવે છે. ભારત ચીનથી ૧૦૧.૭૫ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરે છે અને સામે માત્ર ૧૬.૬૬ અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરે છે. એટલે તો ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી બોયકોટ ચીનનો નશો ચડે એ પહેલાં જ ઉતરી ગયો હતો. ભારત ચીનનો ચ બોલી શકતું નથી. ચીનથી કરવામાં આવતી આયાત ભારતના અર્થતંત્ર માટે અનિવાર્ય બની ગઈ છે. ક્યાં ૧૦૧ અબજ અને ક્યાં ૧૬ અબજ! અમેરિકા સાથેના ધંધામાં ક્યાં ૪૦૧ અબજ (ચીનની નિકાસ) અને ક્યાં ૧૩૧ અબજ (અમેરિકાની નિકાસ)! ચીનની એકલા અમેરિકામાં નિકાસ ૪૦૧ અબજ ડોલરની છે અને ભારતની આખા વિશ્વમાં કુલ નિકાસ ૪૩૭.૧૧ અબજ ડોલર. ચીન ૧૨૦ દેશો સાથે ધંધો કરે છે જેમાંથી ૧૦૦ જેટલા દેશોમાં તેની નિકાસ આયાત કરતાં વધુ છે. ચીન સ્વયં એક વર્લ્ડ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે. 

ટ્રમ્પબાબાએ પોતાની પૂંછડી ફાચરમાં ફસાવી ત્યારે તેમને આ બધી ચીજની જાણ નહોતી? કદાચ હોય તો પણ તેમને કશો ફરક નહોતો પડતો કારણ કે આવા નેતાઓ હેડલાઈન્સમાં જીવતા હોય છે. અરુણ શૌરી કહે છે એમ રોજેરોજ કમાનાર અને ખાનારની જેમ રોજેરોજ હેડલાઈન મેનેજ કરતા હોય છે. સુરખીઓ મેં રેહના હૈ. કાંઈ પણ બોલો, કાંઈ પણ ફેંકો અને કાંઈ પણ કરો, ઘેલાઓને રાજી કરો અને વાહવાહી મેળવો. તમારું અર્થતંત્ર ૪૦૦ અબજ ડોલરની આયાત દ્વારા ચીન પર નિર્ભર હોય અને રેર મિનરલ્સ માટે લગભગ ૯૦ ટકા નિર્ભર હોય ત્યારે કયા મોઢે સાહસ કરો? ૪૦૦ અબજ રૂપિયાની ચીજો અમેરિકામાં ઉત્પાદિત કરવી હોય અને આત્મનિર્ભર બનવું હોય તો ઓછામાં ઓછો એક દાયકો લાગે. ચીનની અનિવાર્યતા ઘટાડવી હોય તો એ બિલકુલ શક્ય છે, પણ એને માટે ચીન જેવી જ લાંબાગાળાની યોજના બનાવવી જોઈએ, ધીરજપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ. જે માર્ગે ચીન અનિવાર્ય બન્યું એ માર્ગે જ ચીનની અનિવાર્યતાનો અંત લાવી શકાય. અહીં ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે શું ટ્રમ્પ ચીન જેવી સમજૂતી ભારત સાથે કરશે? શક્યતા પૂરી છે, પણ યાદ રહે, અમેરિકાના વિશ્વવ્યાપારમાં ભારતનું સ્થાન ૧૧માં ક્રમે છે. અમેરિકા સાથેના ધંધામાં ચીનની ૨૭૦ અબજ ડોલરની સરસાઈ સામે ભારત માત્ર ૪૧ અબજની સરસાઈ ધરાવે છે. 

પણ આ કરે કોણ? અતીતમાં રાચનારાઓ, ઇતિહાસના હિસાબકિતાબ કરનારાઓ, પ્રજાને આપસમાં લડાવનારાઓ, વર્તમાનમાં હું કેવો લાગું છું એની ચિંતા કરનારાઓ અને રોજેરોજ ચીવીસ કલાક વાહવાહીની ચિંતા કરનારાઓ આ ન કરી શકે. ટ્રમ્પબાબાઓની જમાત જ્યાં ત્યાં ફસાય છે એનું આ કારણ છે. તેઓ પોતાને માટે હેડલાઈન મેનેજ કરે છે, દેશ નહીં અને એમ કરવામાં ઓપરેશન સિંદુર જેવા, ઈરાન જેવા, રશિયા જેવા ફિયાસ્કા થાય છે. 

આનો અર્થ એ નથી કે ચીન કોઈ મહાન દેશ છે. રેર મિનરલ્સ જમીનમાંથી કાઢવામાં અને તેને શુદ્ધ કરવામાં ચીને સરસાઈ મેળવી છે એનું કારણ છે મજૂરો સાથે કરવામાં આવતો અત્યાચાર. કમકમાં આવે એ રીતે ભયંકર માત્રામાં શારીરિક અને માનસિક પ્રતારણા કરવામાં આવે છે. પ્રજાને અધિકારો આપવામાં આવ્યા નથી અને માનવીય ગરિમાનો આદર કરવામાં આવતો નથી. ચીન સભ્ય સમાજનું મોડલ ન હોઈ શકે. આ દૃષ્ટિએ વિશ્વસમાજ ભારત તરફ જોતો હતો. વિશાળ માર્કેટ, ઝાઝા હાથ, સૌહાર્દપૂર્ણ સહઅસ્તિત્વ, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, નાગરિક અધિકાર અને માનવીય ગૌરવ, કાયદાનું રાજ, લોકતંત્ર અને તેની સાથે વિકાસ. દુનિયા ઇચ્છતી હતી અને માનતી હતી કે ભારત મોડેલ બને. પણ ભારતના આજના શાસકોને ચીનની ચિંતા નથી, ઔરંગઝેબની છે. ભવિષ્યની ચિંતા નથી, ઇતિહાસની છે. જે તે શહેર જે તે ધંધાનું હબ બને તેમાં રસ નથી, તેનાં નામ બદલવામાં રસ છે. 

ભારત એક તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 નવેમ્બર 2025

Loading

Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|1 November 2025

અમદાવાદમાં આવેલી અજોડ નાટ્યભૂમિ Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી શુક્રવારે રાત્રે ગીતો અને વાતો, સંભારણાં અને સજાવટ, હરખ અને હેતથી હર્યાભર્યા માહોલમાં થઈ. 

સ્ક્રૅપયાર્ડની મંડળીએ નાટકની દુનિયાને લગતાં, સાદા શબ્દોવાળા, અર્થપૂર્ણ અને ઊડતી હલકમાં ગાયેલાં ગીતોએ જમાવટ કરી (‘નાટક આવ્યું નાટક, હસતું નાટક રમતું નાટક…’, ‘નાટક થશે કે નહીં…’, ‘શેક્સપિઅર, ઓ ડિઅર શેક્સપિઅર…’). ગીતોના રચયિતા અને  સ્વરકાર મહેમદાવાદના ગાયક-સંગીતકાર મયંક ઓઝા હાર્મોનિયમની સંગત પર હતા અને ઢોલક પર હતા જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી. 

સ્ક્રૅપયાર્ડમાં ખૂબ મહેનતથી આગળ આવેલા કલાકાર એઝાઝ અને તેના સાથીઓએ સૂઝ -સંયમથી બનાવેલી વીસ મિનિટની ડૉક્યુમેન્ટરીમાં ઘણાં પાસાંની ઝલક હતી. ભાવનગરનાં વરિષ્ઠ વકીલ પ્રતિભા ઠક્કર અને તેમનાં દીકરી આર.જે. મેઘાએ બનાવેલા મજાના વીડિયોઝ પણ જોવા મળ્યા. 

ઉજવણીના ભાગ રૂપે એક પ્રદર્શની હતી, જેમાં સ્ક્રૅપયાર્ડમાં ભજવાયેલાં અનેક નાટકો ઉપરાંત તેના નેજા હેઠળ અહીં યોજાયેલાં કાર્યશિબિરો અને કાર્યક્રમોના સુઘડ પોસ્ટર્સ હતાં. 

કબીરના એક દોસ્તે આણેલી મોટ્ટી કેક, બીજાએ લાવેલા પેંડા, ઉપરાંત નાટકવાળાના વડા-પાવ અને ચા-કૉફીના અનલિમિટેડ અલ્પાહારની સાથે લાંબો સમય હળવા-મળવાનું ફોટા પડાવવાનું ચાલ્યું. ઉપસ્થિતોમાં મુખત્વે સ્ક્રૅપયાર્ડના યુવા કલાકારો અને સહાયકો હતા, જ્યારે વડીલ રંગકર્મીઓ અને હિતચિંતકોની ગેરહાજરી વરતાતી હતી. 

પ્રદર્શની, બંને સ્ક્રિનિન્ગ્સ અને વ્યક્તિગત અનુભવ થકી સ્ક્રૅપયાર્ડની અનેક ખાસિયતો ઉપસે છે. તેમાંથી કેટલીક આ મુજબ છે :

∙ સામાજિક નિસબત ધરાવતાં નાટકોનું કંઠી પહેર્યાં વિના નિર્માણ. 

∙ જુદા-જુદા સામાજિક-આર્થિક વર્ગોમાંથી આવતાં યુવક-યુવતીઓનું તખ્તાના અનેક હુન્નરમાં સમાનતાના ભાવ સાથે ઘડતર. 

∙ અનેક પ્રકારના નાટકો અને વિવિધ કલાઓને લગતા કાર્યક્રમો માટે ઉદાર દિલે જગ્યા પૂરી પાડવાની તૈયારી જ નહીં, બલકે આતુરતાપૂર્વની પહેલ.

∙ બાળકો માટે નાટકો, થિએટર, કઠપૂતલી, માટીકામ જેવી વર્કશૉપ.

∙ લોકસંગીત, સિનેમા, કાર્ટૂનિંગ જેવા વિષયો પરના રસપ્રદ કાર્યક્રમો અને દુનિયાભરની ફિલ્મોનાં સ્ક્રિનિન્ગ્સ.

∙ કાવ્ય અને ગદ્યપઠન તેમ જ કથાકથનના કાર્યક્રમો.

∙ યુવા કલાકારો દ્વારા ભેદભાવ વિનાનું જાતમહેનત સાથેનું ટીમવર્ક.

∙ અત્યારના કપરા રાજકીય-સામાજિક માહોલમાં કલાકેન્દ્ર તરીકેની નિડર, પ્રગતિશીલ,  લોકશાહી ભૂમિકા.

∙ સ્ક્રૅપ એટલે કે શબ્દશ: ભંગારમાંથી સર્જયેલી, ધરતી પરથી આભને અડતા લીમડા સાથે ખુલ્લા આકાશ તળે સદા આહ્લાદક એવી નાટ્યભૂમિ. 

∙ આ જગ્યા થકી પૈસો-પદ-પ્રસિદ્ધિ – પ્રતિષ્ઠા મેળવવાની કોઈ જ વૃત્તિ નહીં.

∙ નેહા-કબીરનું સદાય નિર્મળ સૌહાર્દ. 

અવસરે વાત કરતાં, કર્મશીલ ધારાશાસ્ત્રી અને સ્ક્રૅપયાર્ડના મજબૂત ટેકેદાર આનંદ યાજ્ઞિકે નર્મવિનોદ સાથે આ વાસ્તુની મહત્તા ઉપસાવી. સ્ક્રૅપયાર્ડ એ અમદાવાદની ઊંચે જોઈને ચાલનારી ઉન્ન્તભ્રૂ કલાસંસ્થાઓ કરતાં અલગ પડીને સહુનું થિએટર કેવી રીતે છે તે આનંદે કહ્યું. તદુપરાંત તેમણે અમદાવાદના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ મંચના પ્રદાનનું પણ ગૌરવ કર્યું. 

સ્ક્રૅપયાર્ડનો પરિસર રિઅલ એસ્ટેટની રીતે કરોડોમાં ગણાય. આવી જગ્યા ઠાકોર પરિવારે શહેરની સાંસ્કૃતિક સંવેદના માટે આપી છે. ઠાકોર પરિવારમાં દિવંગત રંગકર્મી અરુણ ઠાકોર, તેમનાં પત્ની એવાં નેવુંની ઉંમરે પહોંચેલાં કાર્યક્રમમાં કડેધડે હાજરાહજૂર નૃત્યગુરુ ઈલાક્ષીબહેન ઠાકોર તેમ જ તેમનાં સંતાનો તાપસ-કબીર-ચંદનનો સમાવેશ થાય છે. 

અતિશયોક્તિદોષ વહોરીને પણ કહેવાઈ જાય કે કબીર પોતાની રીતે નાટકનો કબીરવડ છે અને તેની હસ્તી નાટ્યનદી નર્મદા સમી નેહાને કારણે છે. નેહા-કબીર બંને અભિન્ન છે. આ કબીરવડની વડવાઈઓનો ફેલાવો સ્ક્રૅપયાર્ડમાં ઘડાયેલાં નાટકઘેલાં યુવક-યુવતીઓ તેમ જ નાટક ઉપરાંત અનેક કલાઓની અભિવ્યક્તિ  માટે અહીં મળતા મુક્ત અવકાશમાં જોઈ શકાય છે. 

Long live Scrapyard, long live theatre !

ફોટોગ્રાફ્સ : નેહા-કબીર, કોલાજ સૌજન્ય : પરીક્ષિત 
01 નવેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—313 

દીપક મહેતા|Opinion - Opinion|1 November 2025

ક્યાં ખોવાઈ ગયાં મુંબઈના ફોર્ટમાં આવેલાં એ ટેંક, ટેંક બંદર, ટેંક બેસ્ટિયન?    

ગુજરાતી અનુવાદકોએ જેનું નામ જુલે વર્ન પાડ્યું છે તે ફ્રેંચ લેખક ઝૂલ વર્ન (૧૮૨૮-૧૯૦૫) એટલે વિજ્ઞાન કથાઓનો આદિ પુરુષ. એક પછી એક વિજ્ઞાન કથા ફ્રેન્ચમાં લખતો ગયો અને દરેકનો અંગ્રેજી અનુવાદ બે-ત્રણ વરસમાં તો થઈ જ જાય! આપણે ત્યાં મૂળશંકર મો. ભટ્ટે તેની કેટલીક વિજ્ઞાન કથાના અનુવાદ કર્યા. પછી બીજા કેટલાકે પણ કર્યા. એક નવલકથાના અંગ્રેજી અનુવાદનું નામ છે Journey to the Centre of the Earth. મૂળ ફ્રેંચ કથા પ્રગટ થઈ ૧૮૬૪માં, બીજી આવૃત્તિ ૧૮૬૭માં, તેનો અંગ્રેજી અનુવાદ ૧૮૭૪માં. પૃથ્વીના પેટાળમાં ઊતરીને તેના કેન્દ્રબિંદુ સુધી જવાનું આપણું ગજું નહિ. પણ આપણે તો પ્રયત્ન કરી રહ્યા છીએ આમચી મુંબઈના મધ્યબિંદુ પર પહોંચીને તેની આસપાસ લટાર મારવાનો. ગયે અઠવાડિયે આપણે પહોચ્યાં હતાં મુંબઈનું કેન્દ્રબિંદુ મનાતા સેન્ટ થોમસ કેથીડ્રલ સુધી. 

એક જમાનામાં કોટ વિસ્તારમાં અંગ્રેજ ગવર્નર રહેતા તેમ અંગ્રેજ લશ્કરના વડા પણ અહીં જ રહેતા. તેમનું રહેઠાણ એડમિરલ્ટી હાઉસ તરીકે ઓળખાતું. મુંબઈના પહેલવહેલા એડમિરલ્ટી હાઉસનો ઉલ્લેખ છેક ૧૭૭૩માં પ્રગટ થયેલા એક પુસ્તકમાં મળે છે. વ્યવસાયે ડોક્ટર અને બ્રિટિશ લશ્કરમાં કામ કરતા તેના લેખક એડવર્ડ ઇવ્ઝ ૧૭૫૫થી ૧૭૫૭ સુધી બ્રિટિશ લશ્કર સાથે હિન્દુસ્તાનમાં ઘણે ઠેકાણે ફર્યા હતા. તેમણે પોતાની મુસાફરી આધારિત પુસ્તક From England to India લખ્યું જે ૧૭૭૩માં પ્રગટ થયું હતું. આ પુસ્તકમાં તેઓ નોંધે છે કે બ્રિટિશ લશ્કરના એડમિરલ અને તેમનાં પત્ની ‘ટેન્ક હાઉસ’ નામના મકાનમાં રહેતાં હતાં. આ હતું મુંબઈનું પહેલવહેલું એડમિરલ્ટી હાઉસ. 

બોમ્બે મિન્ટ સામે આવેલું ટેંક કહેતાં તળાવ (ચિત્ર)

૧૮૬૫માં મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો તોડી પડાયો તે પહેલાં કોટમાં મુખ્યત્વે અંગ્રેજોની વસતી. થોડા માલેતુજાર પારસી વેપારીઓ પણ ખરા. બીજી બધી સગવડોનું તો સમજ્યા, પણ કોટમાં રહેતા આ લોકો પીવાનું પાણી ક્યાંથી લાવતા? નળના પાણીની શરૂઆત તો થઈ છેક ૧૮૬૦માં. તો જવાબ એ છે કે કોટની અંદર નાના મોટા કૂવા ઉપરાંત એક મોટું ટેંક કહેતાં તળાવ આવેલું હતું. કોટની અંદર રહેતા લોકોની પાણીની જરૂરિયાત આ કૂવા અને ટેંક પૂરી પાડતાં. ૧૮૨૪માં બોમ્બે મિન્ટનું મકાન બંધાઈ રહ્યું તેની બરાબર સામે આ ટેંક કહેતાં તળાવ આવેલું હતું. મુંબઈના ફોર્ટના બેસ્ટિયન કહેતાં બુરજને જુદાં જુદાં નામ આપવામાં આવેલાં. આ તળાવ નજીક આવેલા બેસ્ટિયનનું નામ હતું ‘ટેન્ક બેસ્ટિયન.’ આ ટેંક હાઉસ ૧૬૮૬ થી ૧૬૯૦ સુધી મુંબઈના ડેપ્યુટી ગવર્નર રહેલા સર જે. વાયબર્ને બાંધ્યું હતું. મુંબઈના કલેકટરની ઓફીસમાંના એક દસ્તાવેજ પ્રમાણે આ મકાનની પૂર્વ દિશામાં બંદર તરફ જતો રસ્તો હતો, પશ્ચિમે કોટન ગ્રીન આવેલું હતું, ઉત્તરે લુહારોની દુકાનો આવેલી હતી, અને દક્ષિણે નામદાર સરકારનું બંદર આવેલું હતું. 

આ ટેંક હાઉસની એક વાત મરાઠીભાષીઓ કહે તેમ ગમ્મતભરી છે. ૧૭૧૫ના ફેબ્રુઆરીમાં તેના માલિક જોન હિલ પાસેથી કંપની સરકારે આ મકાન ત્રણ હજાર રૂપિયામાં ખરીદ્યું અને ૧૭૧૯માં એ જ મકાન, એ જ જોન હિલને પાછું વેચી દીધું હતું, ફક્ત રૂપિયા એક સો ને એંસીમાં! (આપણા આજના રાજકારણીઓએ શીખવા જેવું, નહિ?) આ મકાન બંધાયું ત્યારે એની આસપાસ દીવાલ જ નહોતી. પણ પછી પાસેના ટેંકમાં નહાવા અને ઢોર ચારવા આવતા લોકો બહુ ગંદકી કરે છે એમ જણાવી તેની આસપાસ કંપાઉન્ડ વોલ બાંધવામાં આવી. ૧૭૫૧માં પ્રગટ થયેલા Voyage to the East Indies પુસ્તકમાં આપેલા નકશામાં પણ ટેંક હાઉસ આ જ જગ્યાએ હોવાનું બતાવ્યું છે. 

૧૮૯૩માં પૂણે ખાતે તૈયાર થયેલા નકશામાં બતાવેલું ટેંક કહેતા તળાવ

જ્યારે મુંબઈમાં કોઈ એડમિરલ ન હોય ત્યારે આ જ મકાન મુંબઈના ગવર્નરના રહેઠાણ તરીકે વપરાતું. ૧૭૫૦ના નવેમ્બરની ૧૭મી તારીખે સવારે ૧૧ વાગ્યે આ જ ટેંક હાઉસમાંથી નીકળીને નામદાર ગવર્નર વિલિયમ વેક બંદરે ગયા હતા. નિવૃત્ત થતા આ ગવર્નરને વિદાયમાન આપવા સરકારમાં ઊંચો હોદ્દો ધરાવતા અમલદારો તથા શહેરના આગેવાન નાગરિકો હાજર હતા. બોમ્બે ફોર્ટની રાંગ પરથી વિદાય થતા ગવર્નરને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. 

પણ મુંબઈના ગવર્નર માટે કાયમી રહેઠાણ હોય જ નહિ એ સરકારને યોગ્ય જણાતું નહોતું. એટલે ૧૭૫૭ અને ૧૭૫૮માં મુંબઈ સરકારે લંડનમાં બેઠેલા હાકેમોને એક વધુ મકાન ખરીદવા માટે અરજી કરી. મિસ્ટર જોન સ્પેન્સરનું મકાન ૧૫,૧૬૧ રૂપિયામાં મળી શકે તેમ છે એમ પણ જણાવ્યું. બીજી બાજુ નેવીના એડમિરલોને પણ હવે ટેંક હાઉસ માફક આવતું નહોતું. એડમિરલ સેમ્યુઅલ કોર્નિશે સરકારને પત્ર લખી જણાવ્યું કે આ મકાનની આસપાસની ગંદકીની બહુ માઠી અસર મારી તબિયત પર થઈ રહી છે. વળી આ મકાન મારા મોભાને છાજે એવું પણ નથી. એટલે આપને મારી વિનંતી છે કે એડમિરલને રહેવા માટે એક નવું મકાન ખરીદવામાં આવે. આ નવા રહેઠાણ માટે મને મિસ્ટર ચાર્લ્સ વ્હાઈટહિલ્સનું મકાન બધી રીતે યોગ્ય લાગે છે. એક તો એ ડોકયાર્ડની નજીક આવેલું છે. બીજું, ત્યાંથી ઘણો લાંબો દરિયા કિનારો જોઈ શકાય છે. એટલે એડમિરલ જો ત્યાં રહેતા હોય તો તેની નજર આખા દરિયા કિનારા પર રહી શકે. પણ મિસ્ટર વ્હાઈટહિલ્સ એ મકાન વેચવા તૈયાર નહોતા, પણ ભાડે આપવા તૈયાર હતા. મુંબઈ સરકાર મહીને ૩૫૦ રૂપિયા ભાડું આપવા તૈયાર થઈ. ઉપરાંત એ મકાનમાં જે કાંઈ સમુંનમું કરવું પડે, રંગરોગાન કરવાં પડે, તે બધું જ સરકારે પોતાને ખર્ચે કરાવવાનું. પણ મુંબઈ સરકારે જ્યારે આ દરખાસ્ત લંડન મોકલી ત્યારે ત્યાં બેઠેલા હાકેમોને મહીને ૩૫૦ રૂપિયાનું ભાડું ઘણું વધારે લાગ્યું. અને તેમણે દરખાસ્ત નામંજૂર કરી. પણ વ્હાઈટહિલ્સનું આ મકાન આવેલું ક્યાં? તો કહે પેલા ટેંક પર. હેં? ટેંક પર? હા. વ્હાઈટહિલ્સે પોતાને ખર્ચે એ તળાવ પૂરાવીને તેના પર પોતાનું મકાન બાંધ્યું હતું!

કોલાબાનું કોટન ગ્રીન (ચિત્ર)

નેવીના એડમિરલ માટે વ્હાઈટહિલ્સનું મકાન ભાડે રાખવાની મંજૂરી લંડનના બડેખાંઓએ આપી નહિ. પણ ૧૭૬૪ના મે મહિનાની ૧૩મી તારીખે એડમિરલ અને કમાન્ડર મલબાર કિનારા અને મદ્રાસ તરફ જવા રવાના થયા પછી થોડા જ દિવસોમાં, ૧૭૬૪ના ઓક્ટોબરમાં મુંબઈ સરકારે વ્હાઈટહિલ્સનું મકાન અને તેની બાજુમાં આવેલું જોન હન્ટરનું મકાન પણ ખરીદી લીધાં! અને કેટલીક સરકારી ઓફિસો અને સેક્રેટરીએટ ઓફિસ એ મકાનોમાં ખસેડી! 

આ બંને મકાનો એલ્ફિન્સ્ટન સર્કલના ઉત્તર-પશ્ચિમ ખૂણા પર આવેલાં હતાં. ૧૮૨૯માં સરકારી ઓફિસો બીજે ખસેડાયા પછી આ બે મકાનો લશ્કરના ઉપયોગ માટે ફાળવવામાં આવ્યાં. અમેરિકન સિવિલ વોર વખતે મુંબઈની બધી બજારોમાં અભૂતપૂર્વ તેજી આવી ત્યારે આ બે મકાનોના પાંચ નાના ભાગ પાડી ૧૮૬૪ની પહેલી ઓગસ્ટે મુંબઈ સરકારે જુદી જુદી વ્યક્તિઓને તે વેચી નાખ્યા!  આ પાંચ ભાગ ખરીદનાર હતા : દાદાભાઈ હોરમસજી કામા, બમનજી એદલજી, મેરવાનજી ફરામજી પાંડે, અને માણેકજી એદલજી હાંસોટિયા (તેમણે બે ભાગ ખરીદેલા). આ વેચાણમાંથી સરકારને કુલ આવક થઈ ૬,૬૪,૧૩૮ રૂપિયા! 

હવે આપણે મુંબઈના એક જૂનામાં જૂના મકાન પાસે આવી ગયા છીએ. પણ તેની વાત આવતા અઠવાડિયા પર મુલતવી રાખીને અમારા માનવંતા વાચકોની એક-બે શંકા દૂર કરવા તરફ વળવું પડશે.

ખોલાસો : અમારા કેટલાક બાજ-નજર વાચક-વાચીકાએ અમને સવાલ કર્યા છે. 

સવાલ ૧. અમે તો સાંભળ્યું છે કે ‘કોટન ગ્રીન’ કોલાબામાં હતું, અને તમે કહો છો કે આજે જ્યાં સેન્ટ થોમસ કથીડ્રલ ઊભું છે એ વિસ્તારમાં કોટન ગ્રીન આવેલું હતું. સાચું શું? 

જવાબ : બંને સાચા. પહેલું કોટન ગ્રીન હતું ફોર્ટની અંદર, જે પછીથી બન્યું એલ્ફિન્સ્ટન સર્કલ, અને પછી બન્યું હોર્નીમન સર્કલ. ૧૮૩૮માં કોલાબા કોઝ વે બંધાઈ રહ્યો ત્યાં સુધી કોલાબાનો ટાપુ બીજા ટાપુઓથી અલગ હતો. હોડી કે મછવા સિવાય ત્યાં જવા માટે બીજું કોઈ સાધન નહોતું. ૧૮૩૮ પછી કોલાબા વિસ્તારનો વિકાસ ઝડપથી થયો. ત્યારે કોટનની નિકાસ માટેનું કેન્દ્ર, કોટન ગ્રીન, કોલાબા ખસેડાયું. છેક ૧૯૧૦ સુધી કોલાબાથી કોટનની નિકાસ થતી હતી. ૧૮૭૫માં સાસૂન ડોક બંધાયા પછી આયાત-નિકાસ માટે કોલાબાનું મહત્ત્વ ઘણું વધ્યું. 

હાર્બર લાઈન પરનું કોટન ગ્રીન સ્ટેશન

સવાલ ૨ : સેન્ટ્રલ રેલવેની હાર્બર બ્રાંચ પર આવેલા એક સ્ટેશનનું નામ ‘કોટન ગ્રીન’ હતું. એ સ્ટેશનને અને ફોર્ટમાં આવેલા કોટન ગ્રીન વચ્ચે કશો સંબંધ ખરો?

જવાબ : ના, જી. જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેના દફતરમાં સચવાયેલી માહિતી પ્રમાણે હાર્બર લાઈન પરનો ટ્રેન વ્યવહાર મુસાફરો માટે ૧૯૧૧ના ફેબ્રુઆરીની પહેલી તારીખે ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે એ લાઈન પર આટલાં જ સ્ટેશન હતાં : ટેંક બંદર (પેલા તળાવ કહેતાં ટેંક પાસે આવેલા બંદરનું નામ. પછીથી બન્યું રે રોડ), શિવરી (કામચલાઉ) અને શિવરી (કાયમી), અને કોળી વાડા (પછીથી જી.ટી.બી. નગર.) આ લાઈન પર કોટન ગ્રીન સ્ટેશન તો છેક ૧૯૨૩માં બંધાયું અને એ વરસના નવેમ્બરની પહેલી તારીખે ખુલ્લું મૂકાયું. આ સ્ટેશન નજીક કોટન એક્સચેન્જનું લીલા રંગનું મકાન આવેલું હતું તેના પરથી સ્ટેશનનું નામ પડ્યું કોટન ગ્રીન. તેને ફોર્ટ કે કોલાબાના કોટન ગ્રીન સાથે કશી લેવાદેવા નથી. ૨૦૨૪માં મુંબઈનાં કેટલાંક રેલવે સ્ટેશનનાં નામ બદલાયાં ત્યારે કોટન ગ્રીનનું નામ બદલીને ‘કાલાચોકી’ રાખવામાં આવ્યું છે. આશા છે, અમારા ચતુર-સુજાણ વાચકોને હવે સંતોષ થયો હશે. 

મુંબઈનાં જૂનામાં જૂનાં મકાનોમાંના એક મકાન પાસે આવીને આજે આપણે ઊભા છીએ. એ મકાનના ભૂતકાળના દરવાજામાં દાખલ થશું આવતે શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 નવેમ્બર 2025 

Loading

...102030...42434445...506070...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved