Opinion Magazine
Number of visits: 9552637
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|3 November 2025

એક કોરી કિતાબ બોલો હા,
એમાં મૂક્યું ગુલાબ બોલો હા.

આમ આ  ખોટનો જ ધંધો છે,
તોય રાખ્યો હિસાબ બોલો હા.

એક ભગવો વિચાર આવ્યો પણ,
તુર્ત લાગ્યો ખરાબ બોલો હા.

આ સમય ખંડ ખંડ તૂટે છે,
છિન્નલખણા જનાબ બોલો હા.

પાળિયે આદર્યા છે ધિંગાણા,
નહીંનગરના નવાબ બોલો હા.

2.11.25
વૃન્દાવન બંગલોઝ, 15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા. જિ. આણંદ
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 November 2025

રાજ ગોસ્વામી

‘ભારતમાં લોકો પ્રદૂષણની પરવા શા માટે નથી કરતા?’ – આ સવાલ જેટલો સામાન્ય લાગે છે તેટલો જ જટિલ છે. તાજેતરમાં દિવાળી દરમિયાન દિલ્હીમાં ફટાકડા ફોડવાનાં પગલે હવાનું પ્રદૂષણ સાધારણ કરતાં ઘણું બધું વધી ગયું હતું. દેશમાં મોસમના બદલાવની સાથે તહેવારોનો પ્રભાવ પણ હવામાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. દરેક વર્ષેની જેમ આ વર્ષે પણ દિવાળી પ્રસંગે દેશભરમાં જબરદસ્ત ફટકડા અને આતશબાજી થઇ હતી, જેણે હવાને ફરીથી ઝેરી બનાવી દીધી હતી.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 23 ઓક્ટોબરે જારી કરવામાં આવેલા આંકડાઓના વિશ્લેષણથી ખબર પડે છે કે દેશમાં માત્ર 16 ટકા શહેરોમાં જ શુદ્ધ હવા છે. લગભગ 33 ટકા શહેરોમાં સ્થિતિ સંતોષજનક છે, જ્યારે બીજી બાજુ 51 ટકા શહેરોમાં સ્થિતિ ચિંતાજનક છે. અર્થાત દેશમાં મોટા ભાગના શહેરોમાં આજે હવા ચિંતાજનક છે. રાહતની વાત એ છે કે દિવાળીના બીજા દિવસથી શહેરોમાં હવા શુદ્ધ થવા લાગી હતી.

આવું દર વર્ષે થાય છે. કેમ? દિલ્હી જેવાં શહેરોમાં હવાનું પ્રદૂષણ, મોસમની જેમ, નિયમિત થઇ ગયું છે તે બતાવે છે કે તેનો સંબંધ ટેક્નિકલ કમી અથવા જાગૃતિના અભાવ સાથે નથી; તેમાં મનોવિજ્ઞાન, સમાજ-સંસ્કાર, આર્થિક અને સંસ્થાકીય કારણો બધાનું મિશ્રણ છે. સમજવાની કોશિશ કરીએ :

દિવાળી અને ફટાકડા અસ્થાયી તો હોય છે, પરંતુ તેની અસર ખૂબ જ તીવ્ર હોય છે. ફટાકડા ફૂટવાથી PM2.5 અને PM10(અત્યંત સૂક્ષ્મ કણો)નું જબરદસ્ત ઉત્સર્જન થાય છે; અનેક અભ્યાસોએ દર્શાવ્યું છે કે દિવાળી રાત્રે હવામાં આ કણોની ઘનતા તહેવાર પહેલાંના નાના સ્તર કરતાં અનેક ગણી વધી જાય છે, અને તેમાં લોખંડ આધારિત મિશ્રણો (બેરિયમ, સ્ટ્રોન્શિયમ વગેરે) પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર છે – તેનાથી શ્વાસના રોગો, હૃદયના રોગો, શ્વસન સંક્રમણ અને દીર્ઘકાલીન કેન્સરની સમસ્યાઓનું જોખમ વધે છે. ઉપરાંત, શિયાળામાં હવા સ્થિર રહે છે અને ધુમાડાને વિખરવા નથી દેતા, તેથી ઉત્સર્જન જમીનના સ્તરે રહે છે, જેને આપણે ‘સ્મોગ’ અથવા ધુમ્મસ કહીએ છીએ. 

આટલી સાદી અને વૈજ્ઞાનિક સ્પષ્ટતા આપણી સમજમાં કેમ નથી આવતી? મૂળ કારણ છે માનસિકતા. માણસ ‘દેખીતા અને તાત્કાલિક’ જોખમ પર ઝડપથી પ્રતિક્રિયા આપે છે, પણ ભવિષ્યનાં જોખમ પ્રત્યે ઉદાસીન હોય છે. પ્રદૂષણનું જોખમ ધીમું, અસ્પષ્ટ અને સમયમાં ફેલાયેલું હોય છે – થોડી ખાંસી આવે કે આંખોમાં જલન થાય તો માણસોને એવું નથી લાગતું કે આ જીવન-મરણનો મામલો છે. લોકો તેને તરત જ અવગણી કાઢે છે એટલું જ નહીં, તેને હવાની સમસ્યા ગણવાને બદલે શરીરની કમજોરી પણ માની લેતા હોય છે.

બીજું, ઉત્સવોમાં લોકો સામૂહિક રીતે ઉત્સાહિત હોય છે; તે સોશિયલ કોન્ટેજન (સામાજિક સંસર્ગ) કામ કરે છે- જ્યારે આસપાસમાં અનેક લોકો ફટાકડા ફોડતા હોય ત્યારે, વ્યક્તિગત જોખમને જોવા-સમજવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. આપણી ‘ક્રાઉડ સાઈકોલોજી’ એવું પ્રતીત કરાવે છે કે આટલા બધા લોકો ફટાકડા ફોડતા હોય, તો તેઓ સારું જ કરતા હશે ને! 

ઉપરાંત, કોગ્નેટિવ ડિઝોનન્સ (બૌદ્ધિક અસંગતિ) પણ કામ કરે છે; લોકો જાણે છે કે ફટાકડા હાનિકારક છે, પરંતુ આનંદની પરંપરાની વિરુદ્ધ જવું મુશ્કેલ લાગે છે. તેમના માટે આનંદ જોખમ પર ભારે પડે છે. એટલે તેઓ જાતને આ રીતે સમજાવે છે; ‘થોડાંક જ ફટાકડા ફોડીશું’ અથવા ‘ગ્રીન-ક્રેકર્સની અસર તો ઓછી હોય છે.’ – અને આ રીતે તેઓ અસંગતિને મનમાં સુલઝાવી દે છે.

સામાજિક અને સાંસ્કૃતિક કારણો પણ વધુ ઊંડાં હોય છે. દિવાળી જેવા તહેવારોનો સામાજિક-સાંસ્કૃતિક અર્થ માત્ર રોશની નથી; તે ઓળખ, સમુદાય સાથે મેળ-મિલાપ અને ‘પરંપરાગત સ્વાતંત્ર્ય’નું પ્રતિક પણ છે. એટલે આ તહેવારોમાં ફટાકડા ફોડવાનો સંદર્ભ સદીઓ જૂની પરંપરાઓ સાથે જોડાયેલો છે – તે બાળકોની ખુશીઓ છે અને અંધકારનો વિનાશ છે. 

જ્યારે સરકાર અથવા અદાલત એના પર પ્રતિબંધ મૂકે ત્યારે કેટલાંક જૂથો આ પ્રતિબંધને સાંસ્કૃતિક દબાવ તરીકે લેતા હોય છે – અને તેનો વિરોધ સહજ બની જાય છે. આ વિરોધ પ્રદર્શનની પાછળ રાજકીય ઓળખ, સામુદાયિક ગર્વ અને ‘અલગાવનો ભય’ પણ હોય છે; તેથી લોકો નિયમોનું ઉલ્લંઘન કરવાને રાજકીય અથવા સાંસ્કૃતિક અવાજ ગણી લેતા હોય છે. સરકારો અને કોર્ટો એટલા માટે હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે.

લોકો પણ સમજતા નથી કે પ્રદૂષણ બહુ-સ્તરીય સ્રોતોનું મિશ્રણ છે; વાહનો, બાંધકામ, બાયોમાસ સળગાવવો, ઔદ્યોગિક ધુમાડા, અને ઉત્સર્જન કરતાં ફટાકડા – આ બધાનો સંયુક્ત પ્રભાવ બને છે. જ્યારે કારણો અલગથલગ હોય, ત્યારે વ્યક્તિગત જવાબદારીનો ભાર ઓછો લાગતો હોય છે : ‘મારા એક-બે ફટાકડા શું ખરાબી લાવશે?’ પ્રદૂષણ જ્યારે પ્રણાલીગત હોય અને તેના ઉપાય માટે મોટા પાયે પગલાં લેવાની જરૂર હોય (કૃષિ-કચરાની વ્યવસ્થા, પાવર-પ્લાન્ટ સ્વચાલન), ત્યારે વ્યક્તિગત નિર્ણયનો પ્રભાવ સીમિત લાગે છે, અને લોકો એવું માનતા થઇ જાય છે કે આ કામ મારું નથી, સરકારનું છે.

આનું સમાધાન શું? માત્ર ‘લોકોને ચેતવણી આપવી’ પૂરતી નથી – આપણને બહુ-સ્તરીય રણનીતિની જરૂર છે : 

  1. વૈજ્ઞાનિક અને સરળ રીતે સમજી શકાય તેવી સરકારી માહિતી (રીઅલ-ટાઇમ AQI, આરોગ્ય માટેનો સંદેશ) જેથી જોખમ તાત્કાલિક અનુભવાય; 
  2. સામાજિક વિકલ્પ – સ્થાનિક સ્તરે ‘ફટાકડા-વગર’ના સામૂહિક ઉત્સવનું આયોજન 
  3. આર્થિક પ્રોત્સાહન – વૈકલ્પિક ગ્રીન મનોરંજન (લાઈટ શો, ડ્રોન શો) સસ્તું અને સુલભ બનાવવું; 
  4. કડક અને કાયદેસર દેખરેખ – જે વિસ્તારોમાં ઉલ્લંઘન વધારે થાય ત્યાં તરત દંડ અને જાહેરમાં નામકરણ; 
  5. અને સૌથી જરૂરી – કૃષિ-કચરા, ઇંધણ અને વાહન ઉત્સર્જન પર લાંબાગાળાની નીતિ, કારણ કે દિવાળી જેવા ઘટનાક્રમ માત્ર તાત્કાલિક અસર છે, મૂળ સમસ્યા તો વર્ષભરના ઉત્સર્જનમાં છે.

નિષ્કર્ષ એ છે કે ‘લોક પ્રદૂષણ વિશે ચિંતા કરતા નથી’ એવું કહેવું અર્ધસત્ય છે. વાસ્તવમાં ઘણા લોકો ચિંતા કરે છે, પરંતુ ભાવનાત્મક, સામાજિક અને માનસિકતા તેમને એવું વર્તન કરવા દેતું નથી જે વૈજ્ઞાનિક રૂપે યોગ્ય હોય. જ્યાં સુધી સરકાર લોકોની ચિંતાને સામાજિક-સાંસ્કૃતિક ભાષામાં નહીં બાંધે – પરંપરાનું સન્માન જાળવી રાખીને નવી આદતો નહીં વિકસાવે, સંસ્થાકીય જવાબદારી નહીં વધારે અને પ્રદૂષણના હાનિકારક પ્રભાવને સીધા જીવન (બાળકોની તંદુરસ્તી, વૃદ્ધોના રોગ, આર્થિક ભાર) સાથે નહીં જોડે – ત્યાં સુધી દિવાળી જેવા દરેક અવસર પર આપણે આનંદની સાથે જોખમની પણ આગતાસ્વાગતા કરતા રહીશું.

(પ્રગટ : “ગુજરાત મિત્ર”/ “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 02 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ખાલી ચણો વાગે ઘણો –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 November 2025

રવીન્દ્ર પારેખ

આંધળાને પણ ખબર પડે એમ છે કે આખા દેશમાં શિયાળો શરૂ થવાને બદલે ચોમાસું ફરી શરૂ થયું હોય એવી સ્થિતિ છે. ચાર માસ માટે નહીં, પણ છ માસ માટે હોય તેમ ચોમાસું હવે છોમાસું કહેવાય તો નવાઈ નહીં ! સવારે સ્વેટર, બપોરે પહેરણ અને બહાર રેઈનકોટ પહેરવો પડે તેવી હાલત છે. દિવાળીની આસપાસ ખેડૂતોના પાક તૈયાર થઈ ગયા હતા, પણ કમોસમી વરસાદને લીધે ડાંગર, મગફળી, કપાસ ખેતરમાં જ ઠલવાઈ, ધોવાઈ ને નકામાં થઈ ગયાં છે. ઘણાં ગામોમાં મગફળીનો પાક તૈયાર હતો, પણ ખેતરમાં ભેજ સુકાય એટલે પાથર કરી રાખ્યા હતા, પણ તે પલળી જતાં ખેડૂતોની પાંચ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મગફળીના પાકને તો 250 કરોડ સુધીનું નુકસાન થયાનો અંદાજ છે. ડાંગર પાણીમાં તરબોળ રહેવાને લીધે તેને અંકુર ફૂટ્યાં છે. આખા દેશની ખેતીને વત્તુંઓછું નુકસાન થયું છે, તેમાં ગુજરાતને વરસાદ અને વાવાઝોડાંએ એવું ધોયું છે કે ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. આ નુકસાન એટલું વ્યાપક અને દેખીતું છે કે તેમાં કંઇ બચી જવાની ગુંજાઈશ જ ઓછી છે.

સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરના વાવેતર એરિયામાં 11,000 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે. નવેમ્બરમાં પણ વરસાદની આગાહીઓ ચાલુ જ છે, એટલે રવિ પાકનું વાવેતર પણ લંબાય એવી સ્થિતિ છે. એ હિસાબે વધુ નુકસાનની સંભાવનાઓ નકારી શકાય એમ નથી. ડિજિટલ સર્વે પડતો મૂકીને સરકારે ફિઝિકલ સર્વે ત્રણ દિવસમાં પૂરો કરવા તંત્રને સૂચના આપી છે, એટલે મંગળવાર સાંજ સુધીમાં નુકસાનનો અંદાજ આવવાની ધારણા છે. તે પછી બુધવારે મંત્રીમંડળની બેઠકમાં રાહત પેકેજ જાહેર થાય એમ બને. એ તો થતાં થશે, પણ ખેડૂતો સર્વેની વિરુદ્ધ છે એ ખરું. બીજી તરફ રોજ જ વરસાદી એલર્ટ અપાતાં રહે છે ને ખેતરો છલકાતાં રહે છે. દરિયામાં સ્થિર થયેલ ડિપ્રેશનને કારણે રાજ્યના સોથી વધુ તાલુકાઓ માવઠાંનો ભોગ બન્યા છે. 5 નવેમ્બર સુધી વરસાદી ઉન્માદ રહેશે એવું કહેવાય છે ને ત્યાં સુધીમાં બીજું કેટલું ને કેવું ધોવાણ થશે તેની કલ્પના જ કરવાની રહે છે.

રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. લાખો ટન મગફળી ખેતરમાં જ નકામી થઈ ગઈ છે. કપાસમાં ઈયળ પડી છે. આ ઉપરાંત ડુંગળી, લસણ, શાકભાજી, તુવેર વગેરેમાં પણ ઘણું નુકસાન છે. એવું સરકાર સ્વીકારે છે, પણ એક સમાચાર મુજબ સરકાર, દરિયામાં ખસખસ જેવું વળતર, હેક્ટરે 22,000નું આપવા તૈયાર થઈ છે. આમાં પણ સરકારની નીતિ બદલાતી રહે તો ખબર નહીં. શનિવારની બેઠકમાં સરકાર એમ કહે છે કે ૩૩ ટકાથી વધુ નુકસાન હશે તો જ વળતર અપાશે. આ સહાય પણ ફિઝિકલ સર્વે પછી કરવા સરકાર તૈયાર થઈ છે. સર્વેને નામે મજાક થઇ રહી હોવાનું ખેડૂતોને લાગે છે, તે એટલે કે ડિજિટલ સર્વેનો ખાસ અનુભવ ખેડૂતોને નથી ને કેટલાકે કોશિશ કરી તો કૃષિ એપ જ ખૂલતી નથી. બને કે અત્યારે ખેડૂતોના મત લેવાના નથી એટલે ઓછું વળતર જાહેર થયું હોય. ખેડૂતોની માંગ તો એવી છે કે સરકાર સહાય કરવાને બદલે, ખેડૂતોનું દેવું માફ કરે. મુખ્ય મંત્રીએ તો કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન સંદર્ભે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ આપ્યો છે, તો ડિજિટલ સર્વેનો વિપક્ષે પણ વિરોધ કર્યો છે ને ખેડૂતોનાં દેવાં માફ કરવાં પણ જણાવ્યું છે.

સાચી વાત તો એ છે કે છેલ્લા થોડા દિવસોમાં વરસી રહેલા વરસાદે ખેડૂતોના ઊભા પાકનો સોથ વાળી દીધો છે. આ નુકસાન એટલું દેખીતું અને વ્યાપક છે કે તેમાં નુકસાની સિવાય ખાસ કંઇ હાથમાં આવ્યું નથી. દેખીતું છે કે અણધારી ખોટની સામે ડિજિટલ સર્વેનો ખેડૂતોને વાંધો પડે ને પડ્યો જ છે. તેમણે વિરોધ પ્રદર્શિત કરવા ખેતરમાં પાક બાળીને હવન કર્યો છે. અનેક જિલ્લાના ખેડૂતોએ સરકારના સર્વે સામે વિરોધ નોંધાવતા કહ્યું કે કોઈ અધિકારીઓએ અને નેતાઓએ આવવાની જરૂર નથી. એ તો બધાં જ જાણે છે કે નુકસાન સો ટકા થયું છે, તો સરકારે સર્વેનું નાટક શું કામ કરવું જોઈએ? ખેડૂતોનું માનવું છે કે સરકાર હેક્ટર દીઠ બાર કે બાવીસ હજાર આપે તો એટલામાં ખાતર-બિયારણ પણ ન આવે અને બગડેલો પાક બહાર કાઢવાનો ખર્ચ ખાતર પર દિવેલ જ પુરવાર થાય !

ટૂંકમાં, સર્વેનો વિરોધ બધા જ ખેડૂતો કરે છે. પાક ધીરાણની સરકાર માફી આપે અને જો વળતર આપવું હોય તો સીધું ખાતામાં આપે એવી માંગ ખેડૂતોની છે. જો કે, ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખે સર્વેને આવકારતા ખેડૂતો વતી કહ્યું કે સર્વે થયા પછી કેટલા દિવસમાં વળતર મળશે તેનો એક્શન પ્લાન બનાવવો જોઈએ. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખે પણ સો ટકા નુકસાનની વાત દોહરાવતા કહ્યું કે માત્ર 500 કરોડ કે 2,000 કરોડની જાહેરાત કરીને, તેના ભાગ પાડીને બટકું નાખવાના હો તો તેવું નથી જોઈતું. ખેડૂત દેવામાં ગળાડૂબ છે. આ હાલત હોય ત્યારે સરકાર પડખે હોય તેવી અપેક્ષા ખેડૂતોને છે.

*

દસેક દિવસના કમોસમી વરસાદે ગુજરાતમાં અને મોન્થા વાવાઝોડાએ દક્ષિણમાં ને આમ તો લગભગ આખા દેશમાં અનેક રીતે તારાજી સર્જી છે. થોડાં વર્ષ પર આવેલા કોરોનાએ કોઈ પણ મહાયુદ્ધ કરતાં વધારે જીવ લીધા છે. ધરતીકંપ, પૂર, આગ જેવી અણધારી આફતો મૃત્યુ અને મિલકતોનો એવો વિનાશ સર્જે છે કે કહેવાતી પ્રગતિ પર પાણી ફરી વળે છે. આપણે પૃથ્વીનું વાતાવરણ સુધારવાને બદલે, ચંદ્રને બગાડવા ત્યાં વસાહતો ઊભી કરવા તત્પર છીએ તેનું આશ્ચર્ય જ છે. ખરેખર તો અહીં દસ દિવસ વરસાદ આવે છે ને ઊભા પાકને નકામો કરી દે છે, તે સ્થિતિ સુધારવાની જરૂર છે. ઋતુઓમાં આવી રહેલું પરિવર્તન અનેક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે, ત્યારે તેના ઉપાયો કરવાની જરૂર છે. આ સ્થિતિ જોડે જ ટેવાવાનું હોય તો તેને પહોંચી વળવાના રસ્તા શોધવા અનિવાર્ય બન્યા છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું – એમ ત્રણ ઋતુનો જે સ્પષ્ટ અનુભવ થતો હતો, તે સ્થિતિ બદલાતી આવે છે ને હવે એક જ દિવસમાં ત્રણે ઋતુનો અનુભવ થાય છે.

દુનિયા આખી એવા વૈશ્વિક ડરનો શિકાર છે કે કોઈ મારી ન જાય એટલે શસ્ત્રોથી કિલ્લેબંધી કરવી ને તેને માટે શસ્ત્રો વસાવવાં. હજારો કિલોમીટર દૂરના શત્રુને મારવા અદૃશ્ય મિસાઈલનું પરીક્ષણ થાય છે, પણ નજીકમાં વસતાં લોકોને જીવાડવાની કોશિશ ખાસ થતી નથી. બે સત્તાઓ લડે છે, પણ તેને ખાસ કંઇ થતું નથી, પણ બંને સત્તાઓના નિર્દોષ લોકો માર્યા જાય છે ને જે બચી જાય છે, તેમની હાલત પણ ઓછી લોહિયાળ નથી ! શાંતિથી જીવવાનું છે તેને બદલે સર્વોપરી બનવાની લહાયમાં અનેકોની જિંદગી જોડે રમત રમવાના ખેલ વૈશ્વિક સ્તરે ચાલે છે ને કહેવાતાં સમાધાનોનાં પણ સુરસુરિયાં થતાં રહે છે. ચાર પાંચ પાગલોની હુંસાતુંસીમાં આખું વિશ્વ બેયોનેટ પર ઊંચકાયેલું હોય એવી સ્થિતિ છે.

અંદરોઅંદર લડી મરવાનું શૂરાતન આદિકાળથી ચાલે છે, પણ માણસ જાત એ વિચારતી નથી કે કોઈને પણ લડાવ્યા વગર, એક કોરોના આવે છે તો લાખો જીવો પછી શોધ્યા જડતા નથી, આખું જંગલ આગમાં ખાખ થાય છે તેની સામે આપણું વૃક્ષારોપણ ક્યાં અને કેટલું ટકે છે તે જોવાનું રહે. એક વાવાઝોડા સામે આપણી પામરતા વારંવાર સિદ્ધ થઈ છે કે એકાદ વિનાશક પૂર કેટલાં ય ઘરોનાં ઈંટ, ચૂના કેવાં રસ્તે લાવી દે છે તે કહેવાની જરૂર નથી. આપણે અણુ સંહાર કરીએ તેનાં કરતાં કુદરત વિફરે તો આખી પૃથ્વી હાથથી જાય એવું બને, પણ કુદરત સર્જન, વિસર્જનનું સંતુલન જાણે છે ને જાળવે છે. માણસ જાત બબ્બે વિશ્વયુદ્ધોના કારમા અનુભવ પછી પણ યુદ્ધની લાલાશનો મોહ છોડી શકતી નથી તે દુ:ખદ છે. વધારે નહીં તો કમોસમી વરસાદ રોકવાનું માણસ કંઇ શોધી આપે તો કમ સે કમ ખેડૂતો તો તેનાં ઋણી જ રહેશે, વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 નવેમ્બર 2025

Loading

...102030...40414243...506070...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved