Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વાસ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|15 August 2025

થોડા સમય પહેલાંની વાત છે. ભારતના ઉત્તરે શિરોમણીની જેમ શોભતું કાશ્મીર ! હિમાલયની ગોદમાં લપાઈને બેઠેલું કાશ્મીર ! ભારતના શિરદર્દસમું કાશ્મીર, ભારતીય વીરોના બલિદાનથી રક્તરંજિત કાશ્મીર, વારે ઘડીએ રણમેદાને ચડતું  કાશ્મીર, કારગિલની યુદ્ધની કળમાંથી બેઠું થઈ રહેલું કાશ્મીર. તેની આ નાનકડી વાત ! 

પાકિસ્તાનના સૈનિકો દ્વારા મશીનગન અને રોકેટ લોન્ચર મારફતે કરવામાં આવેલા હુમલાને ભારતીય શૂરવીર સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ગોળીઓના વરસાદની રમઝટ બે કલાક પહેલાં જ શમી હતી. કાશ્મીરની  સરહદે દેશની રક્ષા કાજે, જીવન કુરબાન કરનાર સૈનિકોની છાવણીમાં અજંપો હતો. એ વીસ જ જણાની ટુકડીઓમાંથી એક   શૂરવીરે દેશના રક્ષણ કાજે હંમેશ માટે વિદાય લીધી હશે, એવી દહેશત સૌના મનમાં હતી. અનેક શંકા-કુશંકાથી ઘેરાયેલો સોલ્જર મોહન ભાટિયા પોતાના મિત્રને શોધવા નીકળી પડ્યો હતો.

કાળજું ઠારી નાખે એવી કાતિલ ઠંડી હતી. બરફથી છવાયેલી ધરતી પર દર્દથી પીડાતા અર્ધ બેહોશ જેવા મિત્રની શોધમાં નીકળી પડેલા સૈનિકની છાતીના ધબકારા વધતા જતા હતા. કડકડતી ઠંડીમાં અબ્દુલની ભાળ કાઢવા એને એના કાન સરવા કર્યા. એની આંખો જાણે વીજળીના ગોળા બનીને અંધારાને ચીરતી સૈનિક મિત્ર અબ્દુલને શોધી રહી હતી. એના પગમાં ગતિ હતી. સમગ્ર શરીરમાં શક્તિનો સ્રોત વહી રહ્યો હતો. દોસ્ત અબ્દુલ માટે, તેની સલામતી માટે, તે મનોમાન ઈશ્વરને પ્રાર્થી રહ્યો હતો. 

અબ્દુલ કહીને એણે બૂમ પાડી. એ નીરવ વાતાવરણમાં એના એ શબ્દો પાછા ફર્યા. મોહને ફરી ફરીને બૂમ પાડી ત્યાં જ એક બરફીલી કેડીપર એનો પગ લપસ્યો ! મોહન ગબડતો ગબડતો મોટા વૃક્ષ સાથે અથડાયો. એના મોઢામાંથી એક ચીસ નીકળી પડી, પણ પોતાના દર્દને છુપાવીને એણે જોશથી બૂમ પાડી “અબ્દુલ … અબ્દુલ … તું ક્યાં છે ?”

“હું અહીં છું, મોહન,” એક દર્દ ભર્યો અવાજ આવ્યો.

“અબ્દુલ …” કહીને મોહન લગભગ ત્યાં બેસી પડ્યો.એણે અબ્દુલને પોતાના મજબૂત શરીરનો સહારો આપીને બેઠો કર્યો.માત્ર મોહનને સંભળાય એમ ધીમે અવાજે અબ્દુલ બોલ્યો,

“આ ગયા મોહન, મુઝે પતા થા, મેરે દોસ્ત ! મેરે મરને સે પહેલે તું જરૂર આયેગા !”

“ઐસા મત બોલ, મેરે યાર, મેં તુઝે લેને આયા હું .”

“નહીં દોસ્ત, અબ વખ્ત આ ગયા હૈ. તુઝે દેખ કે બડી ખુશી હુઈ, મુઝે પતા થા તું જરૂર આયેગા …! તું જરૂર આયેગા …  “

થોડા સમય માટે શાંતિ ફેલાઈ. 

અબ્દુલ બોલ્યો, “સુન,…મેરી મા કો બોલના …… યા ખુદા,…મા કા ખયાલ રખના …!  જય હિન્દ , જય હિન્દ !!”

મોહન થોડીવાર  શૂન્યવત  બેસી રહ્યો. એણે ઊભા થઈને મિત્રને સેલ્યુટ મારી ! હળવેકથી એના મૃતદેહને ઉપાડ્યો અને તે ભારે પગલે છાવણી તરફ ચાલવા લાગ્યો. છાવણીના પ્રવેશ દ્વારા આગળ વાંકા વળીને અબ્દુલનો દેહ એણે નીચે મુક્યો. શિસ્ત પ્રિય ને કડક સ્વભાવના મેજર ખુશવત સિંગ છાવણીની બહાર સિગારનો દમ મારીને ઠંડી ઉડાડવાનો પ્રયત્ન કરતા હતા.

મોહનને ઉદ્દેશીને અબ્દુલના મૃતદેહ સામે જોઈને તે બોલ્યા, “મિસ્ટર ભાટિયા કયા પાયા તુમને ? હમ તો બોલે થે, ઉસકે બચનેકી કોઈ ઉમ્મીદ નહીં હૈ. ભોર હોતે હી ઉસે ઢુંઢ કે લિયે આયેંગે.”

મોહને ઉદાસ ચહેરે દૃઢતાથી સરને સેલ્યુટ મારતા કહ્યું, “મૈને બહોત કુછ પાયા સર ! આખરી દમ તોડતે વખ્ત વહ બોલા થા,મુઝે વિશ્વાસ થા તું જરૂર આયેગા ,…ઔર મૈંને ઉસ કે વિશ્વાસ કો તુટને નહીં દિયા !”

મોહનની આંખો ભરાઈ આવી. લોહીથી ખરડાયેલો કોટ કાઢતા તે બોલ્યો, “જય હિન્દ!!”

બોસ્ટન
e.mail : inamdarvasudha@gmail.com

Loading

કૃષ્ણ એટલે જ સ્વાતંત્ર્ય !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 August 2025

રવીન્દ્ર પારેખ

ભારત સ્વતંત્ર થયું તેને 78 વર્ષ થયાં. ઘણાંને આ સ્વતંત્રતાથી સંતોષ છે, તો ઘણાંને અસંતોષ પણ છે. સાદી વ્યાખ્યાઓ હવે એવી છે કે જે રાજી છે તે ભા.જ.પ.નો છે ને નારાજ છે તે વિપક્ષનો છે. રાજી હોય ને ભા.જ.પ.નો ન હોય કે નારાજ હોય ને વિપક્ષનો ન હોય એવું સ્વીકારવા લગભગ કોઈ તૈયાર નથી. કોઈને, કોઈ પણ પક્ષનો ધારી લઈને તેને મુક્ત ન રહેવા દેવો એ પણ સૂક્ષ્મ ગુલામીનું જ સૂચક છે.

પણ, કૃષ્ણ આજીવન સ્વતંત્ર છે. એને સ્વતંત્રતા સિવાય કૈં ખપતું નથી. કોઈ બંધન તેને બાંધી શક્યું નથી, પણ તેણે ઘણાંને પ્રેમથી બાંધ્યાં છે. કૃષ્ણને 5,251 વર્ષ થયાં, પણ તે આજે ય પ્રસ્તુત છે. તે કર્મથી મહાન છે એટલું જ, બાકી, પૂરો માણસ છે. તે જન્મ્યો જેલમાં, પણ સાંકળો વચ્ચે રહ્યો નહીં. જન્મતાં જ તે સ્વતંત્ર થવા મથે છે. સગાં માબાપને ત્યજે છે ને પારકાં માબાપને ભજે છે. જન્મ્યો ત્યારથી તે કદી ઠર્યો નથી. તેણે જીવન બહુ માપી-તોલીને પસંદ કર્યું છે. તેની પાસે વધારાનો સમય નથી. કર્મ જ તેનું જીવન છે. બાળલીલા નિમિત્તે તે પૂતના, બકાસુર, કંસ….નો અંત કરે છે, પણ તેની લીલાનો અર્થ છે, હેતુ છે.

ગોપીઓ દૂધ-દહીં મથુરા ભરતી હતી. ગોપાલે મટકી ફોડી તો એમ લાગે કે તે ગોપીઓને પજવી રહ્યો છે, પણ વાત એ નથી. ગામમાં દૂધ ન રહે ને તે બીજે ભરાય એ મંજૂર ન હતું. ગામનું દૂધ ગામમાં જ રહે એ રીતે તેણે ગોપાલનનો મહિમા કર્યો. એ કોઈનું લઈને બેસી રહે એવો જીવ નથી. તેણે ગોપીઓનાં ચીર હર્યાં, તો દ્રૌપદીનાં પૂર્યાં પણ ખરાં. આ એક જ ભગવાન એવો છે, જે ભગવાન ઓછો ને માણસ વધારે છે. લાગે એવું કે તે રાધાને પ્રેમ કરે છે, પણ સિદ્ધ તો અનંત વિરહ થાય છે. લગ્ન કરતાં પણ લગ્નેતર સંબંધ કેટલો સાત્ત્વિક હોઈ શકે તે રાધાકૃષ્ણના વિરહથી ફલિત થાય છે, એટલે જ તો તે મંદિરોમાં સાથે છે. જન્મ આપે તે જ માતાપિતા એવું નહીં, પાલનપોષણ કરે એ પણ માતાપિતા એ નંદ-જશોદાનો મહિમા કરીને કૃષ્ણે બતાવ્યું.

કંસનું મર્દન કરવા ઓદ્ધવની સાથે મથુરા જવા નીકળી પડે છે, ત્યારે કૃષ્ણ પાછું વળીને જોતો નથી. નથી એને રાધા યાદ કે નથી નંદજશોદાનું સ્મરણ ! ગોકુળ-વૃંદાવન સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ તે મથુરા જવા નીકળે છે. કંસ વધ પછી મથુરાનો રાજા થઇ શક્યો હોત, પણ રાજ્ય વારસને સોંપે છે. શિશુપાલ, જરાસંધ જેવાને મારીને ગાદી પોતે રાખતો નથી, પણ જે તે વારસને સોંપે છે.

આમ બીજા બધાને હક અપાવે છે, પણ પોતે કશા પર હક કરતો નથી. એ સંડોવાઈને પણ અલિપ્ત રહે છે, એટલે જ ગોકુળ, વૃંદાવન, મથુરા સહજ રીતે છોડી શકે છે. એ જ્યાંથી નીકળે છે, ત્યાં પાછો ફરતો નથી. રાધાને પૂરો પ્રેમ કર્યો ને રાધાને છોડી પણ પૂરી. વાંસળી પણ રાધાની સાથે જ છૂટી, પછી આંગળીએ સુદર્શન ધારણ કર્યું. એ સુદર્શન 99 ગાળો સાંભળીને શિશુપાલનું માથું ઉડાવી દે છે, પણ ગાંધારીનો શાપ માથે ચડાવે છે. સો પુત્રોનો સર્વનાશ વેઠનારી માતાની પીડા કૃષ્ણ સિવાય બીજું કોણ સમજવાનું હતું ….!

કૃષ્ણ એટલે કર્મ ! કોઈએ કંઇ કર્યું હશે, તો કંઇ મેળવવાની ઈચ્છા હશે, પણ કૃષ્ણને કૈં જોઈતું નથી. મહાભારતના આદિપર્વમાં પહેલી વાર કૃષ્ણ, દ્રૌપદી સ્વયંવર વખતે જોવા મળે છે. બ્રાહ્મણ વેશે અર્જુન મત્સ્યવેધ કરીને દ્રૌપદીને પામે છે, ત્યારે અન્ય પાંડવોની પણ દ્રૌપદીને પામવાની લાલસા છે. એ વાત કૃષ્ણ પામી જાય છે ને ભાઈઓ વચ્ચે સંપ જળવાઈ રહે, એટલે દ્રૌપદીને પાંચે ભાઈઓની પત્ની બનાવે છે. પાંચે ભાઈઓ દ્યુતમાં જાત હારી જાય છે, ત્યારે કૃષ્ણ હાજર નથી, પણ હાજર નથી એટલે મદદ ન કરવી એવું નથી. દ્રૌપદી જાણી જાય છે કે દાસ પતિઓ મદદ કરી શકે એમ નથી, તો તે કૃષ્ણને પોકારે છે ને કૃષ્ણ તેનાં ચીર પૂરે પણ છે.

મહાભારતનો કૃષ્ણ વૃંદાવનનો કૃષ્ણ નથી. તે સકળ છે, તો અકળ પણ છે. સત્યને માટે અસત્ય આચરવું પડે તો તે આચરે છે. કોઈ ભગવાન આટલો વ્યવહારુ નથી. યુદ્ધ ટાળવા કૃષ્ણ કૌરવોના દરબારમાં જવા નીકળે છે. પરિણામ શું હશે તેની ખબર છે, કૃષ્ણને, તો ય સંહાર ટાળવા ગંભીર પ્રયત્ન કરે છે. દ્રૌપદી ઈચ્છે છે કે યુદ્ધ ન ટળે, તેણે દુ:શાસનનાં લોહીથી વાળ ધોવાની પ્રતિજ્ઞા કરી છે. કૃષ્ણ સખાને તે પૂછે છે કે યુદ્ધ ટાળવા જાવ છો? તો, કૃષ્ણ કહે છે કે કોશિશ કરીશ તો પણ, દુર્યોધન તે નહીં ટાળવા દે. દ્રૌપદી કુતૂહલવશ પૂછે છે કે યુદ્ધમાં કોણ બચશે? કૃષ્ણ જવાબ ટાળે છે, પણ વધુ આગ્રહ થતા કહે છે કે પાંચ પાંડવો સિવાય કોઈ નહીં બચે. દ્રૌપદી જ્યારે જાણે છે કે પોતાના પુત્રો પણ નથી બચવાના, તો એ રડી પડે છે. ભવિષ્ય જાણવું કેટલું પીડાદાયક છે તે દ્રૌપદી અનુભવે છે ને એથી ય વધુ અનુભવે છે કૃષ્ણ જે જાણે છે કે અઢારમા દિવસને અંતે સિલકમાં રાખ જ રહેવાની છે.

વિષ્ટિ નિષ્ફળ જતાં કૃષ્ણ કર્ણને મળે છે. કર્ણ કુંતીનો કૌમાર્ય અવસ્થાનો પુત્ર છે, એ રહસ્ય ઉજાગર કરી કર્ણને પાંડવોના મોટાભાઈ થવાનું પ્રલોભન આપે છે, એટલું જ નહીં, દ્રૌપદી આપોઆપ જ તેને મળે તેવી લાલચ પણ આપે છે. આવું દુર્યોધન કરે તો તેને ધિક્કારીએ, પણ કૃષ્ણને ધિક્કારવાનું મન થતું નથી, તે એટલે કે તેનો પ્રયત્ન યુદ્ધને ટાળવાનો છે. સાચું તો એ છે કે યુદ્ધ ટળે કે ખેલાય તેથી કૃષ્ણને કોઈ લાભ નથી, પણ અર્જુન સાથેની મૈત્રી તેને યુદ્ધમાં સંડોવે છે. જો કે, તેને અલિપ્ત થતાં આવડે છે. દ્રૌપદીની લાલચે પણ કર્ણ કૌરવોમાંથી નીકળી આવે તો કૃષ્ણ તે કરી જુએ છે ને કર્ણની ખાનદાની જુઓ કે એ દ્રૌપદી, જેણે સૂતપુત્ર કહીને સ્વયંવરમાં અપમાનિત કર્યો હતો, એ મળે એમ છે ત્યારે દુર્યોધનને તે છેહ દેતો નથી. અર્જુન-કૃષ્ણ, દુર્યોધન-કર્ણ, મૈત્રીમાં કોઈ ઊતરે એમ નથી. ફરક એટલો જ છે કે એક ધર્મને અને બીજી અધર્મને પક્ષે છે.

કૃષ્ણ સમય વર્તીને વર્તે છે. પોતે યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાની વાત કરે છે, પણ અર્જુન યુદ્ધનાં મેદાનમાં શસ્ત્ર હેઠાં મૂકી દે છે, તો તે ફરી શસ્ત્ર ઉપાડે એ માટે કૃષ્ણ, ગીતા ઉપદેશે છે. કૃષ્ણે જશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું કે વિષ્ટિ વખતે દુર્યોધનને વિરાટરૂપ દેખાડ્યું કે ગીતા ઉપદેશતી વખતે અર્જુનને વિશ્વરૂપ દર્શાવ્યું, પણ પછી કંઇ નહીં ! તેણે વિશ્વરૂપ દેખાડ્યું, પછી ફરી સારથિ થતાં તેને વાર લાગતી નથી. દુર્યોધનને વિરાટરૂપ બતાવ્યા પછી કર્ણ સાથે જ્યેષ્ઠ પાંડવની વાત છેડે છે. જશોદાને બ્રહ્માંડ દર્શાવીને તે ફરી બાળક થઇ જાય છે. આપણે સામાન્યમાંથી અસામાન્ય બનવાની ઘેલછા રાખીએ છીએ ને પછી  અસામાન્ય જ રહેવું હોય છે, જયારે કૃષ્ણ અસામાન્ય બને છે, પણ પછી સામાન્ય થતા તેને વાર લાગતી નથી. આ કૃષ્ણમાં જ છે.

કર્ણનો રથ ધરતીમાં ધસે છે, તો કૃષ્ણ અર્જુનને બાણ મારવાનો આદેશ આપે છે. કર્ણ કહે છે કે આમ કરવું યુદ્ધના નિયમની વિરુદ્ધ છે, તો કૃષ્ણ રોકડું પરખાવે છે કે અભિમન્યુને માર્યો એ નિયમ મુજબ હતું? કૃષ્ણને જેવા સાથે તેવા થતા આવડે છે. સામેવાળાને નીતિ નથી તો અનીતિ આચરવાનો ય તેને વાંધો નથી, હેતુ એ જ છે કે એમ કરવાથી ધર્મ સચવાઈ જાય. કોઈ સામાન્ય માણસ અનીતિ કે લુચ્ચાઈ કરે તો તે નબળાઈ ગણાય ને કૃષ્ણ ઉઘાડેછોગ કરે છે, તો એ નબળાઈ આપણે હૈયે વસતી નથી. તે એટલે કે એક પણ લુચ્ચાઈ કે અનીતિ તેણે પોતાને માટે કરી નથી. આમ જોઈએ તો તેની પ્રાપ્તિ જ શી છે? અર્જુનને તો જીત્યા પછી રાજ્ય મળવાનું હતું, કૃષ્ણને શું મળવાનું હતું? ખરેખર તો યાદવો એક હતા તે કૌરવો અને પાંડવોને પક્ષે વહેંચાતા, સાત્યકિ અને કૃતવર્મા સામસામે આવી ગયા હતા ને ભવિષ્યમાં કૃષ્ણને અપાનારો – અંદરોઅંદર લડી મરવાનો – શાપ સાચો કરવાના હતા.

કૃષ્ણ વિષે વિચારીએ તેમ તેમ માણસની નબળાઈઓવાળો બીજો ભગવાન જડતો નથી. તેણે મૃત્યુ પણ પારધીની ભૂલમાંથી સર્જ્યું. સતત એક સવાલ કૃષ્ણ વિષે એ થાય કે પગમાં પારધીનું તીર વાગે એટલાથી કોઈ ભગવાન મર્યો નથી, ભગવાન તો શું માણસ પણ મર્યો નથી. તો કૃષ્ણ કઈ રીતે મરે? ન જ મરે, એટલે તો 5,251 વર્ષથી દર વર્ષે કૃષ્ણજન્મ થાય છે ને આપણે તેના ઓવારણાં લેતાં થાકતા નથી ને થાકવાના નથી….. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑગસ્ટ 2025

Loading

વિભીષિકા કરતાં વધુ તો કારુણિકા : 14મી ઓગસ્ટનું થોડું સહચિંતન 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 August 2025

વિભાજન

ઇતિહાસનો બોધને ચાલુ બોજ તરીકે શા સારુ પલવીએ?

નક્કી કરો – તમારે ઇતિહાસનો બોધ લઈને આગળ વધવું છે કે પછી એનો બોજ ટાંકાટેભાતોડ જખ્મેદૂઝ સાથે પલવી પલવી પીડા વહોરવી છે.

પ્રકાશ ન. શાહ

આજે ઓર એક વિભાજન વિભીષિકા દિવસ મનાવાશે. વિભીષિકા એ અવશ્ય હતી, પણ લાંબા સંઘર્ષ અને લાંબી પ્રયાસકોશિશનો ગાળો જ્યારે સ્વાતંત્ર્ય લઈને આવ્યો ત્યારે એ એક વિશેષ અવસર પણ અવશ્ય હતો. ગુલામીમાંથી નવઉઘાડનો ખયાલ જ્યારે સામે આવે છે ત્યારે વિભાજન એક વિભીષિકા કરતાં વધુ તો કેમ જાણે એક કારુણિકા રૂપે સમજાય છે. 

ઇતિહાસનો બોધ અવશ્ય માથે ચડાવીએ પણ એને ચાલુ બોજ તરીકે શા સારુ પલવીએ? શાણા વાજપેયીના પક્ષે એ એક સાહસનું એટલું જ સમજદારીનું પગલું હતું કે ભારતના વડા પ્રધાન તરીકે એમણે લાહોરની સત્તાવાર મુલાકાત દરમિયાન, પાકિસ્તાનના ઠરાવની સ્મૃતિરૂપે ઊભા કરાયેલ મિનારે પાકિસ્તાન જવું ચહીને પસંદ કર્યું હતું. સમજવાનું એ છે કે ભા.જ.પ., ગાધી-નેહરુ-પટેલની અદ્વિતીય સ્વરાજત્રિપુટીમાંથી જે એણે ચહીને જુદા તારવે છે અને ફૂલેકે ચડાવે છે તે સરદાર પટેલને પાકિસ્તાનનો સ્વીકાર એક તબક્કે અનિવાર્ય જણાયો હતો – અને એ એમના લોહપુરુષપણાની એક આગવી ઓળખ હતી કે આ અપ્રિય જણાતા નિર્ણયમાં એમણે આગેવાની લીધી હતી. બીજી પાસ, એ જુઓ તમે કે જે એક રાજકીય એકમ નેહરુ-પટેલના શાસકીય નેતૃત્વમાં બની આવ્યું તેવો ને તેટલો વ્યાપ ભારતીય રાજ્યનો ઇતિહાસમાં કદાચ કદાપિ નહોતો. પૂર્વ બંગાળમાં ઉર્દૂ લાદવાની કોશિશ કરી નવા વિભાજનનો પાયો નાખનાર ઝીણા અને આકાશવાણીમાં ઉર્દૂ સર્વિસ દાખલ કરી – એક, ન તો કેવળ મુસલમાનોની કે ન તો બધા મુસલમાનોની ભાષા મારફતે, દેશને અને સીમાપારના સાથીઓને હૂંફમાં લઈ જાણતા સરદાર, ભેદ સમજાય છે આ બે વચ્ચેનો?

વાત સાચી કે કાઁગ્રેસે શાસનના એક પટ પર સરદારને વિસારે પાડ્યા હતા, તો સાથે એ પણ સાચું કે એના ‘ડિસ યુઝ’ સામે સંઘ પરિવારે સરદારનો ‘મિસ યુઝ’ પણ માપ બહારનો કીધો છે. ગાંધીને બાજુએ રાખી પટેલ અને નેહરુએ કચવાતે મને બલકે કકળતી આંતરડીએ વિભાજનનો નિર્ણય લીધો તે પછી પરસ્પર ઝોકફેરે અને છાયાભેદે પણ આ મળતાં મળે એવી સ્વરાજત્રિપુટીની ગરવીનરવી ભૂમિકા એ મુદ્દે હતી કે એમણે એક બિનસાંપ્રદાયિક ભૂમિકા લીધી. આ ભૂમિકાએ એમણે એકતા મજબૂત કીધી ને સંભવિત નવા વિભાજન સામે કિલ્લેબંધી કીધી.

કમનસીબે ઝીણાને પક્ષે ઓગસ્ટ 1947 પછી ભૂલસુધારવાની કિંચિત કોશિશ છતાં પાકિસ્તાન ન તો આવી નરવી ભૂમિકાએ પહોંચી શક્યું, ન તો નાગરિકને બદલે લશ્કરી રાહની એને કળ વળી. પ્રજાકીય અવાજના અગ્રદૂત તરીકે, કહો કે અંતરાત્માના રખેવાળ તરીકે ફૈઝ અહમદ ફૈઝથી માંડી ફહમિદા રિયાઝ સહિતના અવાજો પાકિસ્તાનમાં ઉભરતા રહ્યા છે, જેમ બાંગલા દેશને તસલીમાં નસરીન શી પ્રતિભા મલી તે પણ આપણે જોયું છે. પણ સરમુખત્યારી સામે ખરી દૂંટીના નિર્ભીકનક્કુર અવાજ તરીકે ફૈઝનું ‘હમ દેખેંગે’ પાકિસ્તાનમાં ઉચકાય છે અને ઉપખંડ આખામાં બગાવતી યુવા મિજાજના નાગરિક ગાન તરીકે ઉભરે છે ત્યારે કાનપુર આઈ.આઈ.ટી.ના હુકમરાનો અહીં એના ઉપયોગ અંગે ‘તપાસ’ નીમે છે! ફહમિદાએ પાક હુકમશાહીને પડકારી હતી અને આપણે ત્યાં એમણે નિર્વાસનનો કેટલોક સમય ગાળ્યો હતો. હુકમશાહી સામેના અવાજ તરીકે એને સંભારીએ છીએ પણ ભારતવાસે ફહમિદાને એક તબક્કે જે લાગણી થઈ કે ‘તુમ ભી હમ જૈસે નિકલે’, તે આપણને કેમ સમજાતી નથી? તસલીમાએ બાંગલાદેશમાં હિંદુ લઘુમતી પરના મુસ્લિમ જુલમને પડકાર્યો, પણ આપણે ત્યાંના નિવાસમાં આ જ તસલીમાને હિંદુત્વ રાજનીતિથી થયેલ અસુખ ને અમૂઝણ બાબતે આપણે કેમ મૂકબધિર બની જઈએ છીએ?

વિભાજનની વિભીષિકા પરત્વે ટાંકાટેભાતોડ જખમે દૂઝ અભિગમથી જેવું બેમતલબ ને બેમાની છે. એક કારુણિકા તરીકે એનો લિહાજ કરીએ અને એમાંથી બોધપાઠ લઈ આગળ વધીએ તે ઇતિહાસનો કોલ છે – ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની કાશ. હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગને આ સકારાત્મક વાનું પકડાય!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 ઑગસ્ટ 2025

Loading

...102030...40414243...506070...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved