Opinion Magazine
Number of visits: 9953528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સ્ત્રીઓને માથે બહારવટિયા પકડાવવાની ફરજ આવી પડે તે રાજ્યમાં પોલીસને શું કામ કરવાનું હશે?’

રમેશ સવાણી|Gandhiana, Opinion - Opinion|13 April 2025

‘સરદાર વલ્લભભાઇનાં ભાષણો’ પુસ્તક(પ્રકાશક : નવજીવન, 1949)ની આપણી આ સફર આગળ ચલાવીએ :

[16]

‘બોરસદ સત્યાગ્રહ’ શા માટે હતો? કોણે કરેલ? કઈ રીતે કરેલ? તેનું પરિણામ શું આવ્યું? ખેડા જિલ્લાના બોરસદમાં, સરદાર પટેલની આગેવાનીમાં 2 ડિસેમ્બર 1923ના રોજ ‘બોરસદ સત્યાગ્રહ’ શરૂ થયો હતો અને 8 જાન્યુઆરી 1924 સુધી, 38 દિવસ ચાલ્યો હતો. સત્યાગ્રહમાં લોકોને પ્રેરણા આપવામાં દરબાર ગોપાળદાસ / રવિશંકર મહારાજ / મોહનલાલ પંડ્યા / મણિબહેન પટેલ વગેરેનો ફાળો હતો. અંગ્રેજ શાસન દ્વારા ‘હૈડિયા વેરો’ લાદવામાં આવેલ, તેના વિરોધમાં આ સત્યાગ્રહ હતો. ‘હૈડિયા વેરો’ શું હતો? તે સમયે ચરોતર ક્ષેત્રની બારૈયા અને પાટણવાડિયા જાતિને અપરાધી જાતિઓ ગણવામાં આવતી હતી અને તે જાતિના લોકોને સવાર સાંજ પોલીસ થાણામાં હાજરી નોંધાવવી પડતી હતી. બોરસદ તાલુકાના ગોલેલ ગામનો વતની બાબર દેવા આ જાતિનો હતો અને તેને પણ સવાર સાંજ પોલીસ થાણામાં હાજરી આપવાની હતી. એક સવારે તે હાજરી ન આપી શક્યો અને તેની ધરપકડ કરવામાં આવી. પણ તે અટકાયતમાંથી ભાગી છૂટ્યો અને બહારવટે ચડ્યો. તેની બાતમી પોલીસને આપનારને તે આકરી સજા કરતો, તેમના નાક વાઢી લેતો, તેમને વૃક્ષ સાથે ખીલે જડી દેતો. બહારવટા દરમિયાન તેણે 22 ખૂન કર્યા હતા. પોલીસ તેને પકડી શકતી ન હતી. તેથી પોલીસે બીજા બહારવટિયા અલી-અલિયા સાથે દોસ્તી કરી અને તેને બંદૂકો આપી. અને તેને બાબર દેવાને પતાવવાનું કહ્યું. આ દરમ્યાન અલીની લૂંટ અને ધાડ સામે આંખ આડા કાન કરવા એ મતલબનો એક ગુપ્ત પરિપત્ર પોલીસે તેમના અધિકારીઓ માટે બહાર પાડ્યો. આમ છતાં બાબર દેવો પકડાયો નહીં. સરકારે લોકો ઉપર ઊલટો આરોપ મુક્યો કે લોકો જ બહારવટિયાઓ સાથે ભળેલા છે ! લોકોના સંરક્ષણ માટે રોકાયેલ વધારાની 400 પોલીસનો ખર્ચ રૂપિયા 2.40 લાખ સરકારે બોરસદ તાલુકાના 90 ગામ અને આણંદ તાલુકાના 14 ગામના 18 વરસથી ઉપરના લોકો પાસેથી વસૂલ કરવાનો ઠરાવ જિલ્લા પોલીસ વડાએ કર્યો. આ કર લોકોમાં ‘હૈડિયા વેરો’ નામે પ્રસિદ્ધ થયો. સરદાર પટેલે લોકોને આ કર ન ભરવા સૂચના આપી. ઉપરાંત 200 સ્વયંસેવકોની ભરતી કરીને પોતાના ગામડાઓની સુરક્ષા પોતે કરે તેવી ગોઠવણ કરી. સરકારના બહારવટિયા સાથેની સાંઠગાંઠના આરોપો સાંભળીને ઉદાર મત ધરાવતા તે સમયના ગવર્નર લેસ્લી વિલ્સન વિચલિત થયા. તેમણે તપાસ માટે મોરિસ હેવર્ડ નામના અધિકારી(હોમ મેમ્બર)ને મોકલ્યા. તેમણે જપ્તી બંધ કરાવી. 1924ની શરૂઆતમાં અલિયાને અને 1924ના અંતમાં બાબરાને ફાંસીની સજા થઈ. રવિશંકર મહારાજના પ્રયત્નોથી છેવટે બારૈયા અને પાટણવાડિયા જાતિના લોકોને પોલીસ થાણામાં આપવી પડતી હાજરીમાંથી મુક્તિ મળી. છેવટે સરકારે ‘હૈડિયા વેરો’ નાબૂદ કર્યો. 

“તમે લૂંટારાઓના સોબતી છો, ખૂની બહારવટિયાઓને મદદ કરો છો એવો જાહેર આરોપ તમારે માથે મૂકી સરકારે બે લાખ ચાલીસ હજારનો દંડ તમારા ઉપર લાદ્યો છે. આજ સુધી તમને બે-ચાર બહારવટિયાનો ત્રાસ હતો, તેમણે ઘણી લૂંટો કરી, કેટલાંક ખૂન કર્યા. એ દુઃખનો પાર આવે તે પહેલાં બીજું દુઃખ આવી પડ્યું. નાના પ્રકારના અત્યાચારો કરનારી પોલીસ ગામેગામમાં તૂટી પડી અને તેના ઉપરથી બે લાખ ચાલીસ હજારનો દંડ ! બહારવટિયા તમારે ત્યાં આવીને પૈસો ઊંચકી જતા, આ બહારવટિયા તો કહે છે, અમારે ત્યાં આવીને પૈસા આપી જાઓ; ને પાછા કહેતા જાય છે કે તમે બહારવટિયાઓના સોબતી છો. એક ત્રાસ હતો તેનાથી છોડાવવાના બહાના નીચે આ બીજો જ ત્રાસ ! દસ-પંદર બહારવટિયાના ગુના માટે સરકાર 12,985 લોકોને દંડે છે. પણ એ પંદર જણનું પોલીસે શું કર્યું? તેણે બહારવટિયાઓને ન પકડ્યા, આ પંદર તેમના સોબતીને ન પકડ્યા. બાકી તમે રહ્યા તેમને પકડ્યા ! કેવો રાજ્યનો ઈન્સાફ ! રૈયત વિચાર કરે છે કે બાબર (બહારવટિયો) સારો કે આ વધારાની પોલીસનાં ગીધ? નાપામાં એક પોલીસે એક નાના છોકરાને ગાલે બચકું ભરી લીધું ! બાબરિયાએ ખૂન કર્યા છે, પણ આવું કૃત્ય તેણે નથી કર્યું. સરકારે એ સિપાઈને બરતરફ કર્યો, પણ પેલા છોકરાનો ગાલ કરડી ખાધો એનું શું? સરકારના માણસો તોફાન કરાવવાની ખટપટ કરશે. કોઈ પણ સંજોગોમાં તોફાન ન જ કરવું એ શીખી જજો. આ લડતમાં જીતની ચાવી શાંતિ અને અહિંસા જ છે. ‘ટાઈમ્સ’ અખબાર એક લેખમાં કહે છે : ‘મહાત્માજીએ ચળવળ ચલાવી તેનાથી સત્તાનું તે જ રહ્યું નથી અને તેથી બહારવટિયા પેદા થયા છે.’ પણ પેલો 52 લૂંટો, 25-30 ખૂન કરનાર ગુલાબરાજા બહારવટે નીકળ્યો ત્યારે તો ગાંધીજી હિન્દુસ્તાનમાં પણ આવ્યા નહોતા.”

 (બોરસદ સત્યાગ્રહના મંડાણ, 6 ડિસેમ્બર 1923)

“અલી નામનો એક મુસલમાન બહારવટિયો છે. જ્યારે બાબર કેમે કર્યો પકડાયો નહીં ત્યારે પોલીસે આ અલીની દોસ્તી કરી અને બહારવટિયાને પકડવા માટે બહારવટિયા સાથે સંધિ કરી, અને તેને બંદૂકો આપી. જે ખૂની અને લૂંટારો હતો તેના હાથમાં એક બીજા લૂંટારાને પકડવા માટે બંદૂકો આપવી પડે એ સરકારને માટે કેટલું શરમભરેલું છે? તે તો સરકારનું નહીં, પણ બહારવટિયાનું જ રાજ્ય થયું. બહારવટિયાને મદદ કરવા માટે લોકો પર દંડ મૂકવામાં આવ્યો; હવે સરકારે બહારવટિયાને મદદ કરી – તેના હાથમાં બંદૂકો આપી તેનો શો દંડ કરવો? અલીએ જે ખૂન કર્યા, લૂંટો કરી, અત્યાચારો ગરીબ પ્રજા ઉપર કર્યા તેની જવાબદારી સરકારની જ છે. સરકાર કહે છે કે પ્રજા બહારવટિયાની બાતમી નથી આવતી. બાબરિયાએ 22 ખૂન કર્યા છે, તેમાંથી એક પણ પૈસાવાળો ન હતો. એટલે તેણે લૂંટને માટે ખૂન નથી કર્યા, પણ એ લોકો તેની બાતમી આપતા એવી શંકાથી જ તેણે કરેલા છે. 22 જણનાં ખૂન આ પ્રમાણે થવા છતાં જો સરકાર કહેતી હોય કે પ્રજા બાતમી નથી આપતી તો તેની પોલીસનાં કેટલાં માણસો મરાયાં? એક રાવળિયાને ખબર આપવા માટે ઝાડ સાથે ખીલા ઠોકીને બહારવટિયાએ જડી દીધો. આવી દશા સરકારને કેટલાની કરાવવી છે? બહારવટિયાની બાતમી આપવામાં કેટલું જોખમ રહેલું છે તે જોઈ શકાય છે. એક ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વાસદથી બોરસદ આવતા હતા ત્યાં વાટમાં બહારવટિયો મળ્યો. બહારવટિયાએ થપ્પડ મારી તેના હાથમાંથી બંદૂક પડાવી લીધી. જાત બચાવા તેને કહેવું પડ્યું કે હું તો કારકૂન છું. એવા મેજિસ્ટ્રેટ જે રાજ્યમાં હોય તેવા રાજ્યને ટકવાનો કેટલો અધિકાર છે અને તેને પ્રજા પાસેથી દંડ લેવાનો શો હક હોઈ શકે? એકેએક ગામમાં ઓછામાં ઓછો એકેક સ્વયંસેવક મૂકવો જોઈશે. ગામના લોકો એને રોટલો આપશે એની મને ખાતરી છે. જે પ્રજા હજારો બાવાઓને રોજ લાડુ ને માલપૂઆ ખવડાવે છે તે તેમના સેવકોને રોટલો આપતાં અચકાશે નહીં જ. અને ગાંધીજીનો માણસ રોટલો અને મીઠું એ સિવાય વધારે માગશે નહીં.” 

(બોરસદના બહારવટિયા, 2 ડિસેમ્બર 1923)

“18 વર્ષ ઉપરના દરેક આસામી પાસેથી દંડ વસૂલ કરવાનું ઠરાવ્યું છે. આ અન્યાયી હુકમના અમલમાંથી સ્ત્રીઓને પણ બાતલ કરવામાં આવી નથી. કોઈ પણ રાજ્યમાં આવા હુકમ સ્ત્રીઓ પર લાગુ પડતા નથી, પરંતુ આ રાજ્યમાં સરકાર સ્ત્રીઓ પાસે પણ લૂંટારા અને ખૂનીઓને પકડાવવાની અપેક્ષા રાખે છે. જે રાજ્યમાં સ્ત્રીઓને માથે બહારવટિયા પકડાવવાની ફરજ આવી પડે તે રાજ્યમાં પોલીસને શું કામ કરવાનું હશે તે સમજવું મુશ્કેલ છે.” 

(ખોટા પુરાવા, 9 ડિસેમ્બર 1923)

“તમને જેમ સરકારના જુલમથી ત્રાસ છૂટ્યો, તેવો જ ત્રાસ તમારા જુલમથી બીજાને છૂટે છે. બીજાને પણ તે એટલો જ વસમો લાગે છે. માટે સત્તાનો દુરુપયોગ ન કરશો. મને ખબર મળી છે કે આસોદરના કેટલાક જણે સરકારધારો ભર્યો તેમાંના 20 જણને ગામ બહાર મૂક્યા છે. એ ભૂંડી વાત છે, એ અત્યાચાર છે. ગામ અને ન્યાતના બંદોબસ્તનો દુરુપયોગ ન કરશો. જેમનામાં નબળાઈ છે, તેઓ આપણી ભલમનસાઈથી સુધરશે. એમને સારા કરવા હોય તો આપણે વધારે સારા થવું જોઈએ. આપણે સારા નહીં થઈએ તો એ કાયર થઈ સરકાર પાસે જવાના. દરેક જણમાં આપણા જેટલી તાકાત ન હોય; એ એમનામાં ઉતારવી જોઈએ, તેમના ઉપરનાં ત્રાસનાં બંધનો છોડીને તેમને અભયદાન આપો. એમની સ્વતંત્રતા એમને પાછી આપો. આપણે પોતે જ અન્યાયી થઈએ તો બીજા પાસે આપણાથી ન્યાય ન મંગાય. ભૂલેલાને માફી આપો. તેમની જોડે મહોબત કરો.” 

(બોરસદ સત્યાગ્રહનો વિજયોત્સવ, 12 જાન્યુઆરી 1924)

“વસૂલ થયેલો દંડ અને જપ્તીમાં લેવાયેલો માલ પાછો આપવાનું અને વધારાની પોલીસનું ખર્ચ સરકારે ભોગવી લેવાનું ઠરાવ્યું તેમાં આપણો વિજય સમાયેલો નથી. આપણા ઉપરનું કલંક સરકારે પાછું ખેંચી લીધું છે તેમાં આપણો વિજય છે ખરો. પરંતુ ખરો વિજય તો એની મહત્તા સમજવામાં અને તે પચાવવાની શક્તિમાં રહેલો છે.” 

(બોરસદ સત્યાગ્રહની પૂર્ણાહુતિ, 13 જાન્યુઆરી 1924)

“આપણે સત્યાગ્રહની લડત સમજ્યા હોઈએ, તો જીત થયા પછી આપણામાં નમ્રતા અને નિરભિમાન આવવાં જોઈએ; અને એ જો ન આવે તો આપણે મત્સર જ કર્યો કહેવાય. જ્યારે ખૂબ જોશમાં લડવાનું હોય ત્યારે માણસો મળે છે. નશાના કેફમાં માણસો મળે છે, પણ સંયમ રાખીને  નિરસ લાગતું કામ કરવાને તો થોડાક બહાદુર જ મળે છે. બાકીના બધા ભાગી જાય છે. જેમણે નશો ચાખ્યો છે તેમને હવે હું એ નીરસ દેખાતા પણ કાયમના રસવાળા રચનાત્મક કાર્યને માટે કમર કસવાને કહું છું.” 

(બોરસદના સ્વયંસેવકોને, 20 જાન્યુઆરી 1924)

[17]

‘આપણે ટકશું તો તરશું અને હિન્દુસ્તાનને પદાર્થપાઠ આપીશું !’

‘બારડોલી સત્યાગ્રહ’ શા માટે હતો? કોણે કરેલ? કઈ રીતે કરેલ? તેનું પરિણામ શું આવ્યું? 1925માં બારડોલીમાં પૂર આવતાં ભૂખમરો ફેલાયો હતો. ખેડૂતો આર્થિક ભીંસમાં મૂકાયા. દરમિયાન અંગ્રેજ શાસને 1927માં બારડોલી તાલુકાનાં ગામો માટે 22% મહેસૂલ વધારો જાહેર કર્યો. તે વધારા સામેનો આ સત્યાગ્રહ હતો. લોકો પાસે મહેસૂલ નહીં આપવાના પ્રતિજ્ઞાપત્રો ભરાવવામાં આવ્યા. પછી ગવર્નરને અન્યાયી મહેસૂલ વધારા અંગે પત્ર લખ્યો અને જણાવ્યું કે તેની તપાસ માટે નિષ્પક્ષ પંચ નહીં નીમાય તો લોકો મહેસૂલ નહીં ભરે અને મહેસૂલ વધારા સામે શાંતિપૂર્વક સત્યાગ્રહ કરાશે. એ પત્રનો કોઈ જવાબ ન મળ્યો. 12 ફેબ્રુઆરી 1928ના રોજ બારડોલીમાં જાહેર સભા યોજાઈ. તેમાં મહેસૂલ નહીં ભરવાનો ઠરાવ થયો. સરદારના સાથીઓ રવિશંકર મહારાજ / મોહનલાલ પંડ્યા / દરબાર ગોપાળદાસ /, ડૉ.  સુમંત મહેતા / અબ્બાસ તૈયબજી / જુગતરામ દવે / ફૂલચંદ શાહ / રામનારાયણ નાગરદાસ પાઠક / મણિબહેન પટેલ / ભક્તિબા / મીઠુબહેન પિટિટ / શારદાબહેન મહેતા / સ્વામી આનંદ / કનૈયાલાલ મુનશી / કુવરજી મહેતા / કલ્યાણજી મહેતા / ખુશાલભાઈ મો. પટેલ / ચંદુભાઈ  દેસાઈ / ભાઈલાલભાઈ અમીન / ઉત્તમચંદ શાહ / દાદુભાઈ દેસાઈ /  ભીમાભાઈ મકનજી સોલા / મહાદેવભાઈ દેસાઈ / નરહરિ પરીખ વગેરે હતાં. બારડોલીમાં શરૂ થયેલી અન્યાયી મહેસૂલ સામેની લડતે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. સત્યાગ્રહના ટેકામાં મુંબઈ પ્રાંતની ધારાસભામાં ચૂંટાયેલા કનૈયાલાલ મુનશી સહિત 16 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા. આ સત્યાગ્રહનું પરિણામ શું આવ્યું? મહેસૂલ વધારાની સમીક્ષા માટે તપાસ સમિતિ નીમવાની માગણી ઉપરાંત, 28 સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકવાની, 6,000 ખાલસા નોટિસો પરત લેવાની; 146 જપ્ત કરેલી મિલકતો પાછી આપવાની અને સત્યાગ્રહના ટેકામાં રાજીનામાં આપનાર 84 મુખી તથા 19 તલાટીઓને નોકરી પર પાછા લેવાની શરતો સરકારે મંજૂર રાખી. 9 ઑગસ્ટ 1928ના રોજ બારડોલી સત્યાગ્રહનો અંત આવ્યો. સરકારે નીમેલી બ્રૂમફિલ્ડ-મૅક્સવેલ સમિતિએ તેના અહેવાલમાં સરકારે કરેલો 22%નો મહેસૂલ વધારો ગેરવાજબી ઠરાવ્યો. લોકોએ તથા ગાંધીજીએ આ સત્યાગ્રહમાં વલ્લભભાઈની નિષ્ઠા, સંગઠનશક્તિ અને આયોજનશક્તિ જોઈ, વલ્લભભાઈને ‘સરદાર’ માન્યા ! ભવિષ્યમાં થનાર સત્યાગ્રહોનો પદાર્થપાઠ મળ્યાં. 

“જો તમે ખરેખર એકમત થઈ નિશ્ચય કરતા હો કે આ મહેસૂલ ખુશીથી કે સ્વેચ્છાએ નથી જ ભરવું તો હું ખાતરી આપું છું કે આ રાજ્ય પાસે એવું કોઈ સાધન નથી કે જે તમારો નિશ્ચય તોડાવી શકે અને તમને ભાંગી શકે. લડતનાં જોખમો પૂરાં વિચારજો. એમાં જેટલાં જોખમો છે તેટલાં જ મોટાં પરિણામો સમાયેલાં છે એ યાદ રાખજો. કામ જેટલું મુશ્કેલ છે તેટલું જ મહત્ત્વનું છે. જરા સખ્તાઈ થતાં જ જો તમે આમાંથી ખડી જવાના હો તો તેમાં તમને એકલાને જ નહીં પણ ગુજરાતને ને આખા હિન્દુસ્તાનને નુકસાન પહોંચવાનું છે.”

“કાલ સવારે જપ્તીઓ આવશે. આપણી ચીજો, વાસણો, ઢોરઢાંખર લઈ જવા જપ્તીદારો આવશે. જો આપણે બહેનોને આ લડતથી વાકેફગાર નહીં રાખી હોય, તેમને આપણી જોડે જ તૈયાર કરી નહીં હોય, આ લડતમાં પુરુષોના જેટલો જ રસ લેતી નહીં કરી હોય, તો તે વખતે તેઓ શું કરશે? ખેડા જિલ્લાના મારા આવા અનુભવોમાં મેં જોયું છે કે ઘરનું ઢોર છોડી જવામાં આવે ત્યારે સ્ત્રીઓને લડતમાં કેળવવામાં ન આવી હોય તો મોટો આઘાત પહોંચે છે. માટે તમે બહેનોને લડતમાં બરાબર કેળવો.”

“તમે લગ્નો લઈને બેઠાં છો તે બધા ટૂંકમાં પતાવવાં પડશે. લડાઈ જગાવવી હોય ત્યાં બીજું શું થાય? કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી ખેતરમાં ફરતા રહેવું પડશે, છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. બાળક, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ સૌ આ સ્થિતિ સમજે, ગરીબતવંગર, બધી કોમ એકરાગ થઈ એકઘખોળિયે પ્રાણ હોય તેમ વર્તે, રાત પડ્યે જ સૌ ઘેર આવે. આવું થવું જોઈશે. જપ્તીઓ કરવા સરકારને ગામમાંથી જ અથવા તાલુકામાંથી જ માણસો લાવવા પડે છે ને? તે કામ માટે એક માણસ પણ શોધ્યો ન જડે એવી આખા તાલુકાની હવા થઈ જવી જોઈએ. જપ્તી-અમલદાર કોઈ ખંભે ઊંચકીને વાસણો લઈ જનારો મેં હજુ જોયો નથી. સરકારી અમલદારો તો અપંગ હોય છે.”

“હું તમને આજે ચેતવણી આપવા આવ્યો છું કે હવે રમતના છંદમાં, મોજશોખમાં ઘડી પણ ન રહો. જાગ્રત થાઓ. બારડોલીનું નામ ચોખંડ ધરતીમાં ગવાયું છે. આજે બપોરે જ પરિષદમાં એક મુસલમાન ભાઈએ આપણને સંભળાવ્યું કે બારડોલીના કોઈપણ વતનીને જોતા બંગાળમાં લોકો કેવા તેના પગની ધૂળ લેવા તૈયાર થતા ! કાં તો આપણે, તાલુકાએ ખરાબ થવું છે ને મરી ફીટવું છે, ને કાં તો સુખી થવું છે. હવે રામબાણ છૂટી ગયું છે. આપણે ભાંગીશું તો આખા હિન્દુસ્તાનને ભાંગી ભાંગશું; અને ટકશું તો તરશું ને હિન્દુસ્તાનને પદાર્થપાઠ આપીશું.”

“કલેકટર સાહેબે જણાવ્યું છે કે બારડોલી તાલુકાના લોકોમાં ઘણા ખેડૂતો પૈસા ભરવા ખુશી છે, પણ એમને મારી નાખવાનો કે દેવતા મૂકવાનો ડર છે તેથી ભરતા નથી. તેથી હવે હું ગામેગામ પૂછું છું કે કોઈને તેવો ભય હોય તો મને કહો, કોઈને રૂપિયા ભરવા હોય અને ડર લાગતો હોય તો મારી પાસે આવો, હું મામલતદારને ત્યાં તમારી સાથે આવીશ, અને કોઈ તમારા પર ઘા કરવા આવશે તો તેને પહેલો મારા માથા પર ઘા કરવા કહીશ. હું કાયરોને લઈને લડવા નીકળ્યો નથી. હું તો સરકારનો ડર છોડી બહાદુર બન્યા છે તેમની સાથે ઊભો રહીને લડવા માગું છું.”

“મારે તમને સમજપૂર્વક દુ:ખ સહન કરતા શીખવવું છે ને તમને ઘડવા છે. તે સિવાય આ બાહોશ અને ચાલાક સરકાર સામે આપણે ન ફાવીએ. મારે તમને દેખાડવું છે કે સો રૂપિયાની નોકરી માટે જનોઈ પહેરેલો બ્રાહ્મણ હાથમાં દોરડા ઝાલીને ખાટકીને દેવાનાં ઢોર પકડવા ફરે છે. આપણા જ માણસોને આ રાજતંત્ર કેવા રાક્ષસો બનાવે છે તે તમને મારે દેખાડવું છે.”

“યાદ રાખજો કે જે સત્યને ખાતર ખુવાર થવા બેઠા છે તે જ આખરે જીતવાના છે; જેમને અમલદારો જોડે કુંડાળાં કર્યા હશે તેમનાં મોં કાળા થવાનાં છે. એમાં મીનમેખ થનાર નથી. જાણજો કે તમારી જમીન તમારું બારણું ખખડાવતી તમારે ત્યાં પાછી આવવાની છે અને કહેવાની છે કે હું તમારી છું.” 

(બારડોલી સત્યાગ્રહ, 1928)

“હું ગામેગામ ફરી તમને સમજાવીશ કે મોક્ષનો માર્ગ તો આપણા જ હાથમાં છે, તોપબંદૂકની સામે ઝૂઝવાની કંઈ જરૂર નથી. કંઈક સંયમો શીખવાના છે, કંઈક પાપો ધોવાના છે કંઈક મિથ્યાભિમાન હોય તે છોડવાનાં છે. સરકાર સાથે લડવાનું તો મીઠું લાગે છે, પણ યાદ રાખજો મારે તો તમારી જોડે પણ લડવું પડવાનું છે. ખેડૂત પોતાની ભૂલોથી દુઃખી થઈ રહ્યો છે. તે ભૂલો હું સુધારવા માગું છું. તેમાં હું તમારો સાથ માગું છું. તમારા પંચોને સજીવન કરો, જૂનાં ખોખાંમાં નવું ચેતન રેડો. પંચો તો એવાં હોય કે જ્યાં ગરીબોનું રક્ષણ થતું હોય, જેના વડે આખી કોમનો પુનરુદ્ધાર થવા લાગે. શું નાનાં નાનાં બાળકોને પરણાવી માર્યે કોઈ દિવસ કોઈ કોમનું કલ્યાણ થઈ શકે? જે પ્રજા છાતી પર ગોળી ઝીલવા,ને તૈયાર થવાનો દાવો કરતી હોય તે પોતાના નાનાં નાનાં બાળકોને કદી પરણાવે? તેને માટે શું સરકારને અમુક ઉંમર પહેલા છોકરાં પરણાવવાની બંધી કરનારા કાયદા કરવા પડે? જો સરકારને આપણા સુધારા માટે કાયદા ઘડવા પડતા હોય તો આપણે તેની સાથે કેમ લડીશું? જેમ આપણે સરકારના દિલનો પલટો ઇચ્છતા હતા તેમ આપણા પોતાના હૃદયનો પલટો પણ કરવો પડશે.” 

(બારડોલીનો વિજય-1, 1928)

“જો આ માનપત્રમાંનાં વખાણ વહેંચી આપવામાં આવે તો બધાં વખાણ બીજાને ભાગે જાય, અને મારે ભાગે આ કોરો કાગળ જ રહે એમ છે. ખેડૂતને માટે મેં કામ કર્યું તેને માટે મને માનપત્ર શું? હું ખેડૂત છું. મારી નસેનસમાં ખેડૂતનું લોહી વહે છે. જ્યાં જ્યાં ખેડૂતને દુઃખ પડે છે ત્યાં ત્યાં મારું દિલ દુભાય છે. હિન્દુસ્તાનમાં જ્યાં 80% લોકો ખેડૂત છે ત્યાં યુવાનોનો ધર્મ બીજો શો હોય? ખેડૂતોની સેવા કરવી હોય, દરિદ્રનારાયણનાં દર્શન કરવા હોય તો ખેડૂતોનાં ઝૂંપડામાં જાઓ.” 

(બારડોલીનો વિજય-2, 1928)

[18]

‘છતી આંખે આંધળાં થનારને દુનિયામાં કોઈ રસ્તે ચડાવી શક્તું નથી !’

સરદારને સમજવા માટે ‘બારડોલી સત્યાગ્રહ’ (1928) વેળાએ તેમણે જે વિચારો વ્યક્ત કરેલ તેના પર નજર કરવી ઘટે. ખેડા સત્યાગ્રહ / બોરસદ સત્યાગ્રહ કે બારડોલી સત્યાગ્રહ વખતે કેટલાંક વિચારો પ્રત્યે સરદાર બહુ મક્કમ હતા તે પણ જાણવા મળે છે. આ વિચારો તો આપણા અભ્યાસક્રમમાં હોવા જોઈએ.

[1] સંગઠન / નેતૃત્વ :

“સંગઠન વિનાનું સંખ્યાબળ એ બળ નથી. સૂતરના બારીક તાર જુદા જુદા હોય છે. પણ જ્યારે મોટી સંખ્યામાં ભેગા થઈને મહોબત કરે છે, તાણાવાણામાં વણાઈને કપડાનું રૂપ લે છે ત્યારે એની મજબૂતી, સુંદરતા અને ઉપયોગિતા અદ્દભુત બની જાય છે.”

“તમે તમારું સાચું અને મજબૂત સંગઠન ખડું કરો. જે નબળાઈઓ છે તે દૂર કરો, કોઈનો ડર ન રાખો, બહાદુર બનો અને આત્મવિશ્વાસ રાખતાં શીખો, આટલું કરશો તો તમે જે ઈચ્છો છો તે એની મેળે આવી મળશે.”

“સંકટમાં પીડાયેલા પાસે જઈ બેસવું અને તેમની સામે અમીભરી આંખે જોવું, મીઠી વાતો કરવી; એથી દુ:ખ ભૂલી જવાય છે. એ તો સૌ પાડોશીનું કર્તવ્ય છે. આપણે એકબીજાનાં દુ:ખો ન ભાંગી શકીએ તો ય એકબીજાને મળી મન હળવું કરી શકીએ.”

“લોકસેવા કરવી હોય, તો અનેક પ્રકારનાં સ્વભાવવાળા માણસો સાથે કામ લેવાનું રહેશે. તેમાં મોટું પેટ રાખી માન-અપમાન સહન કરતાં શીખવું જોઈએ. અને આ પાઠ પ્રથમ ઘરમાં શીખવો જોઈએ. ઘરનાં માણસો સાથે સ્નેહથી ન રહી શકીએ, તો જાહેરકામ કરવું મુશ્કેલ થઈ પડે.“

“જુલમીમાં જુલમી રાજ્ય  પણ લોકો એકત્ર થાય છે ત્યારે તે સામે ટકી શક્તું નથી.”

“લોકજાગૃતિ થોડા માણસોના ભારે ભોગથી થાય છે.”  

“સ્વરક્ષા માટે સંગઠન ન કરવું એ આપઘાત કરવા બરાબર છે.”

 “માણસોનાં દિલ સુંદર વ્યાખ્યાનોથી હલાવી શકાતાં નથી; અને હલાવી શકાય તો પણ ક્ષણ માટે જ. જો કાંઈક ભારે કામ આપણે કરવું હોય તો કરીને જ આપણે બતાવી શકીએ.”

“એટલું ચોક્કસ સમજી રાખજો કે જે કામ ઉપાડ્યું છે તેમાં પાછું ડગલું કોઈ ન ભરજો. થાકી જાઓ ત્યારે ઘડીક ઊભા રહી જજો, પણ પાછું ડગલું તો ન જ ભરજો.”

[2] ખેડૂત :

“દુનિયામાં ખરા પેદા કરનાર વર્ગ ખેડૂત અને મજૂર છે. બાકીના બધા ખેડૂતો અને મજૂરો ઉપર જીવનારા છે. એ પેદા કરનારાઓની સ્થિતિ સૌથી ઉત્તમ હોવી જોઈએ, તેને બદલે આપણે સૌથી અધમ કરી છે.”

“આખું જગત ખેડૂત ઉપર નભે છે. દુનિયાનો નિર્વાહ એક ખેડૂત અને બીજો મજૂર એ બે ઉપર છે. છતાં સૌથી વધારે જુલમ કોઈ સહન કરતા હોય તો આ બે છે. કારણ તેઓ બંને મૂંગે મોઢે જુલમ સહન કરે છે.”

“દુનિયામાં આપણે સૌ ઓછેવત્તે અંશે ગુનેગાર છીએ; પણ જે માણસ પરસેવો પાડી ખેતરમાં કામ કરે છે અને જગતને માટે અન્ન અને વસ્ત્રની સામગ્રી પકવે છે, તે માણસ દુનિયામાં ઓછામાં ઓછો ગુનેગાર છે.”

“ખેડૂત ડરીને દુ:ખ વેઠે અને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે, ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું. જે ખેડૂત મુસળધાર વરસાદમાં કામ કરે, કાદવકીચડમાં ખેતી કરે, મારકણા બળદ સાથે  કામ લે, ટાઢતડકો વેઠે, એને ડર કોનો ?

ખેડૂત જેવો પ્રામાણિક માણસ, જેને કોઈ બૂરું વ્યસન નથી, જે કશો ગુનો કરતો નથી, જે જાતમહેનતથી પરસેવો પાડીને રોટલો ખાનારો છે, જે ઈશ્વરથી ડરનારો છે. તેને ઈશ્વર સિવાય બીજા કોનો ડર હોય ?”  

“કષ્ટ તો તમે ક્યાં નથી વેઠતાં ? ખેડૂત જેટલો ટાઢતડકો,વરસાદ ચાંચડમચ્છર વગેરેના ઉપદ્રવ કોણ સહન કરે છે ? સરકાર એથી વધારે શું દુ:ખ નાખી શકે એમ છે ? પણ દુ:ખ સમજપૂર્વક ખમો એ હું કહેવા માગું છું, એટલે જુલમની સામે થતાં શીખો. તેનો ભયથી સ્વીકાર ન કરો.”

“હું ગુજરાતના ખેડૂતની રગેરગમાં અને હાડેહાડમાં સ્વતંત્રતાની હવા પૂરવા માગું છું.”

 [3] કેળવણી :

“શિક્ષકોએ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં રાખવું જોઈએ. વ્યસન એ ધનિકોના પાખંડ છે. દૂર્બળ માણસોનાં લક્ષણ છે. જેને માટલાં  ઘડવાનાં નથી પણ માણસ ઘડવાનાં છે એને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ.”

“તમે ભારે કેળવણી લો છો તેથી તમારા ગરીબ ભાઈઓને ન ભૂલશો. તેમના પરસેવાના પૈસાથી તમને કેળવણી મળે છે.”

“કેળવણી બે પ્રકારની છે : એક કેળવણી માણસની માણસાઈ લઈ લે છે, બીજી કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે; એક માણસને મદમાં ચકચૂર કરે છે, બીજી માણસને તેના ધર્મ પ્રત્યે જાગૃત કરે છે. આ બીજી તે જ સાચી કેળવણી.”

“પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતા શીખવું.”

 [4] સ્વચ્છતા : 

“બહુ ગરમ ખોરાક ન ખાવો. વાસી ઠંડો ખોરાક પણ ન ખાવો. ચા અને આઈસક્રીમનો ત્યાગ કરવો. દાંતની બરાબર સંભાળ રાખવી. બરાબર દાંત સાફ કરવા. ખાધા પછી મોં બરાબર સાફ કરી દાંત સાફ કરવા. રાત્રે સૂતાં પહેલાં દાંત સાફ કરવા. કપડાં બરાબર સાફ રાખવાં. શરીર સાફ રાખવું. આવી બધી ટેવો સ્વાભાવિક પડી જવી જોઈએ.”

[5] પરિશ્રમ :

“જે મહેનત કરે તેનો હક પહેલો છે.”

“મફત ચીજ મળે એની કિંમત ઓછી થઈ જાય છે. પરિશ્રમથી મેળવેલી વસ્તુઓની કિંમત બરાબર અંકાય છે.”

“ચારિત્ર્યશુદ્ધિ અઘરું કામ છે, પણ ઉદ્યમી જીવન ગાળનારને ચારિત્ર્યભંગના પ્રસંગ ઓછા આવે છે.”

[6] સત્યાગ્રહ :

“આપણે બહિષ્કાર કરીને માણસ મટવું નથી, સામાને માણસ બનાવવો છે.“

“આંખમાં ખુમારી આવવા દો અને ન્યાયને ખાતર ને અન્યાયની સામે લડતાં શીખો”

“જેમ પડોશી મરે અને આપણે સ્વર્ગમાં ન જઈ શકીએ એવું જ સ્વતંત્રતાનું છે. સ્વતંત્રતા જો જોઈતી હોય તો આપણે આપણા પગ ઊભા રહેવું જોઈએ”

“બહાદુર માણસો નવા રસ્તા પાડે છે. કાયર અને ડરપોક સમાજનાં ખોટાં બંધનોથી ડરી સમાજની અને કુટુંબની અધોગતિ થવામાં મદદગાર થાય છે.”

[7] દોષ નિવારણ :

“તમારી જીભમાં જાહેર રીતે કહેવાની હિંમત નથી, પણ ખૂણે બેસીને બોલવાની ટેવ છે એ કાઢી નાખો. ખૂણે બેસીને બોલેલું વ્યર્થ જાય છે.”

“લાંચરુશવતથી મત આપવો એ મહાપાપ છે.”

“તમે ડરી ડરીને સુંવાળાં થઈ ગયા છો. તમને તકરારટંટો આવડતા નથી, એ ગુણ છે. પણ તેથી અન્યાયની સામે ચીડ પણ આપણામાં ન રહે એવાં સુંવાળાં ન થઈ જવું જોઈએ. એ તો બીકણપણું છે.”

“મન નબળુ પડે તો સર્વ વાતે સુખ હોય તો પણ દુ:ખ થઈ શકે છે.”

“જે માણસો ગુલામીને પસંદ કરતાં થઈ ગયા છે તેમને ગુલામીમાંથી છોડાવવાં કઠણ છે.”

“આળસ છોડી દો, વહેમો ફગાવી દો, ડર છોડો કુસંપનો ત્યાગ કરો, કાયરતા ખંખેરી નાખો, હિંમત રાખો, બહાદુર બનો, આત્મવિશ્વાસ રાખતાં શીખો. આટલું કરશો તો તમે જે ઈચ્છશો તે એની મેળે આવી મળશે.”

“છતી આંખે આંધળાં થનારને દુનિયામાં કોઈ રસ્તે ચડાવી શક્તું નથી.”

“બે જાતની માખી હોય છે. એક માખી દૂર જંગલમાં જઈ ફૂલોમાંથી રસ લઈ મધ બનાવે છે. બીજી માખી ગંદકી ઉપર જ બેસે છે અને ગંદકી ફેલાવે છે. એક માખી જગતને મધ આપે છે, ત્યારે બીજી ચેપ ફેલાવે છે. આ ચેપી માખીઓ તમારે ત્યાં કામ કરી રહી છે એમ સાંભળ્યું છે. એ માખીને તમારી પાસે આવવા દેશો જ નહીં. ગંદકી અને મેલ જ તમારામાં ન રાખશો કે તમારી પાસે એ માખીઓ આવે.”

“તમે પવિત્ર થાઓ, એબ કાઢી નાખો, તો તમારે કોઈથી ડરવાનું નથી. જે વખતે તમે નીડર થયા, તે જ વખતે તમે સ્વતંત્ર છો.”

“જો મારી સત્તા હોય તો બારતેર વર્ષની બાળાઓને જે પરણાવે તેને બંદૂકથી મારવાનો કે ફાંસીને લાકડે લટકાવવાનો કાયદો કરાવું.”

“કોઈ પણ સંજોગોમાં તમારાં દિલમાં ભય ન પ્રવેશવો જોઈએ. જ્યારે માણસ ભયભીત દશામાં આવી જાય છે. ત્યારે એ માણસ મટી પશુની દશામાં આવી જાય છે.”

“દુનિયામાં કોઈને ત્રણ આંખ કે ચાર હાથ નથી; સૌને બે આંખ અને બે હાથ આપ્યાં છે. ઈશ્વરે નખશિખ સુંદર શરીર તો આપ્યું, પણ તેની આપેલી બુદ્ધિનો ઉપયોગ ન કરીએ, તો દોષ ઈશ્વરનો નથી પણ આપણો પોતાનો છે. માણસો બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, છતી આંખે જોતા નથી; તેથી જ દુ:ખી થાય છે.”

[8] ન્યાય : 

“આ શરીરમાં અનેક જુદા જુદા અવયવો છે, પણ કેટલા એકસંપથી પોતપોતાનાં કામ કરે છે ! જેણે આ સ્વરૂપ બનાવ્યુ છે તેની રચનાની બલિહારી છે. પગમાં કાંટો વાગે કે તરત જ માથા સુધી તેનું દર્દ પહોંચે છે. અવયવો જુદા કર્યા છે પણ એમાના એકે વિના શરીરનો કારભાર પાધરો ચાલે નહીં. ગામ એના જેવું હોવું જોઈએ. ગામમાં એક દુ:ખી હોય, એક ભૂખ્યો હોય તો આખા ગામને તે દુ:ખ લાગવું જોઈએ.”  

“આપણે પોતે જ અન્યાયી થઈએ તો બીજા પાસે આપણાથી ન્યાય ન મંગાય.”

“હિંદુસ્તાનમાં કોઈ ખૂણેખાંચરે ગુલામી પડી હશે તો તેની દુર્ગંધ બધે આવવાની.”

“નબળાનું રક્ષણ કરવું એ રાજ્યનો ધર્મ છે. સબળા તો પોતાનું રક્ષણ કરી શકે છે; પણ જો નબળાનું રક્ષણ રાજ્ય ન કરે તો બીજું કોણ કરે ?”

[9] અસ્પૃશ્યતા :

“કોઈ પણ માણસને અસ્પૃશ્ય માનવો એ પાપ છે. અસ્પૃશ્યતા એ વહેમ છે. કૂતરાને અડીને નાહવું ના પડે, બિલાડીને અડીને નાહવું ના પડે તો પછી જે આપણાં જેવો મનુષ્ય છે તેને અડીને કેમ અભડાઈએ ? હિંદુઓ જાગો. તમે ભૂલ કરો છો.”

“અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મ ઉપર કલંક છે. એ ધર્મને બહાને ચાલતો ઢોંગ છે. એને આપણે નાબૂદ કરે જ છૂટકો છે.”

[10] ધર્મ / ફરજ :

“ધર્મ માત્ર મંદિરમાં જવામાં જ નથી, પરબડીમાં કબૂતરને દાણા નાખવામાં કે કીડીને લોટ નાખવામાં જ સમાઈ જતો નથી. લાખો માણસો કપડાં વિના દુ:ખી થાય છે, તો આપણો ધર્મ પહેલો તો એ છે કે ઘેરઘેર રેંટિયા ચાલુ કરવા જોઈએ.”

“મરવાનું તો સૌને છે જ ને ! પણ ઈજ્જત સાથે મરવાનું આવે તો બે વર્ષ વહેલું આવે તો ય પોસાય.”

“થોડો ત્યાગ કરનારને હિંદુસ્તાનમાં લોકો પૂજે છે. એથી તો લાખો પાખંડીઓ પૂજાય છે. ભગવું પહેર્યુ એટલે ભોળો હિંદુ તેને સાધુ માને છે. ભગવાધારી એટલા સાધુ નથી. તેમ ધોળી ટોપીને ધોળું કુડતું પહેર્યુ એટલે ગાંધીનો માણસ નથી થઈ જતો.”

“ભગવા પહેરનારા તે જ સાધુ નહીં, જેઓ લોકોની સાચી સેવા કરે તે સાધુ.”

[11] મહિલા :

“બધી ઉન્નતિની કૂંચી જ સ્ત્રીની ઉન્નતિમાં છે.” 

[19]

એવી ભૂલ તો હું આખી જિંદગી કરવાનો !

‘નાગપુર ઝંડા સત્યાગ્રહ’ શા માટે હતો? કોણે કરેલ? કઈ રીતે કરેલ? તેનું પરિણામ શું આવ્યું? 4 ફેબ્રુઆરી 1922ના રોજ, ઉત્તર પ્રદેશના ગોરખપુર નજીક ચૌરીચૌરા નગરમાં અસહકારની ચળવળ દરમિયાન પોલીસ ચોકીને આગ લગાડતા 22 પોલીસ બળીને મૃત્યુ પામ્યા. પરિણામે ગાંધીજીએ અસહકારની લડત પાછી ખેંચી લીધી. ક્રાંતિકારીઓને આ ન ગમ્યું. (આ કેસ 228 આરોપીઓ સામે 8 મહિના ચાલ્યો, 6 લોકો જેલમાં મૃત્યુ પામ્યા, 172 આરોપીઓને ફાંસીની સજા થઈ. આ સજાનો ભારે વિરોધ થયો. અલ્હાબાદ હાઈકોર્ટે 19 દોષિતોને ફાંસી અને 110 લોકોને આજીવન કેદની સજા કરી.) લોકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. તેવા સંજોગોમાં લોકોને આઝાદી લડતની ભૂમિકા તૈયાર કરવામાં નાગપુર ઝંડા સત્યાગ્રહે મહત્ત્વની ભૂમિકા ભજવી. 

આ સત્યાગ્રહ સ્વતંત્રતા ચળવળ દરમિયાન શાંતિપૂર્ણ સવિનય કાનૂનભંગ ચળવળનો એક ભાગ હતો. નાગરિક સ્વતંત્રતા પર અંગ્રેજોએ લાદેલા નિયંત્રણના વિરોધ પ્રદર્શન કરવા માટે અને ધ્વજ ન ફરકાવવાના કાયદાનો ભંગ કરવાના હેતુથી ધ્વજ ફરકાવીને કાનૂન ભંગ કરવા આ ‘ધ્વજ સત્યાગ્રહ’ હતો. 31 ડિસેમ્બર 1929ના દિવસે રાવી નદીને કિનારે પૂર્ણ સ્વરાજ્યના સ્વીકાર કર્યાં પછી નેહરુએ ધ્વજ ફરકાવ્યો હતો. 1923નો નાગપુર અને જબલપુર ધ્વજ સત્યાગ્રહ સાડા ત્રણ મહિના સુધી ચાલ્યો હતો. આ સત્યાગ્રહની આગેવાની સરદાર પટેલે લીધી હતી. અંગ્રેજોના ધ્વજ ફરકાવવાના હક્ક પરના પ્રતિબંધ કાયદાનો વિરોધ કરનારા એક હજારથી વધુ લોકોને જેલમાં પૂરવામાં આવ્યાં હતાં. આ ચળવળના અંતે ધ્વજ ફરકાવવાની સંમતિ આપવામાં આવી અને ધરપકડ થયેલા લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

“નાગપુરની રાષ્ટ્રધ્વજની લડત ચાલે ત્યાં સુધી મારે મધ્ય પ્રાંતમાં રહેવું એવો મહાસભાની કારોબારી સમિતિએ હુકમ કરેલો હોવાથી હું આજે ગુજરાત છોડી નાગપુર જાઉં છું. નાગપુરની લડત એકલા મધ્ય પ્રાંતની નથી, આખા દેશની છે. દરેક પ્રાંતે પોતાના સૈનિકો મોકલી આ લડતને વધાવી લીધી છે. હવે જો એ લડતને વ્યવસ્થિત રીતે આગળ ન ચલાવીએ તો દેશની ઈજ્જત જાય. દરેક લડતમાં સિપાઈઓની અને દૃવ્યની જરૂર પડે છે. આપણને સિપાઈઓની ખોટ નહીં પડે. દરેક પ્રાંત સંખ્યાબંધ સિપાઈઓ મોકલવા રાજી છે. પરંતુ દરેક પ્રાંતથી સિપાઈઓને નાગપુર લાવવામાં લાખો રૂપિયા જોઈએ. વગર પૈસે આવી ભારે લડત કેમ લડી શકાય? ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા એકલા રેલભાડાના જોઈએ. એટલી રકમ ધારે તો એક જ મારવાડી આપી શકે.  પણ મારી આશા તો ગુજરાતીઓ ઉપર છે. ગુજરાતીઓ ધારે તો પ્રાંતિક સમિતિની ઓફિસમાં પૈસાનો વરસાદ વરસાવે. જેઓ સૈનિકોમાં દાખલ ન થઈ શકે તેઓ તો આ તકને જરુર વધાવી લે.” 

(ભિક્ષા દેહિ, 22 જુલાઈ 1923)

“લડતનો હેતુ તો રાષ્ટ્રીય ધ્વજના માનની રક્ષા કરવાનો અને પોલીસના કાનૂનનું બહાનું કાઢીને હિન્દુસ્તાનના મધ્ય ભાગમાં ‘ઉચ્ચ ભૂમિ’ બનાવી દેવાના પ્રયત્નોનો વિરોધ કરવાનો હતો. સાડા ત્રણ મહિનાની લાંબી લડત પછી સૌ સ્વયંસેવકોનું રાષ્ટ્રીયધ્વજ સાથેનું સરઘસ મનાઈ કરેલા ક્ષેત્રમાં દાખલ થયું અને સિવિલ લાઇન્સના મોટા ભાગમાં થઈને, રસ્તાની એ બંને બાજુએ ગોઠવાયેલા હથિયારબંધ સિપાઈઓના આશ્ચર્યકારક દમામ વચ્ચે થઈને 18મી ઓગસ્ટની બપોરે પસાર થયું, કોઈએ તેને રોક્યું નહીં. તે પરથી તે સાંજે હું લડતનો વિજયી અંત જાહેર કરી શક્યો. ધ્વજ સત્યાગ્રહની લડત ખતમ થઈ છે અને તેનાથી આપણા રાષ્ટ્રીય ધ્વજની માનરક્ષા થઈ છે. શાંતિમય અને વ્યવસ્થિત સરઘસો જાહેર રસ્તા પરથી લઈ જવાનો હક આપણને પાછો પ્રાપ્ત થયો છે, અને સત્ય, અહિંસા અને કષ્ટસહનનો સંપૂર્ણ વિજય થયો છે. પણ જે જે પ્રાપ્ત કર્યું છે તેમાં આપણે અભિમાન ધરવા જેવું કંઈ નથી. આપણે મેળવ્યું તેમાં કે આપણે સહ્યું તેમાં વિજય નથી; પણ આપણું અંતિમ ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તરોત્તર વધારે ને વધારે કષ્ટ સહન કરવાની તૈયારી આપણામાં આવે એ જ સાચો વિજય છે.” 

(નાગપુર ઝંડા સત્યાગ્રહનો વિજય, 9 સપ્ટેમ્બર 1923)

“જ્યાં સુધી સત્યની લડત હતી ત્યાં સુધી મેં ચલાવી. જ્યાં અસત્ય જોઉં ત્યાં મારું હૃદય કંપે છે. અંગ્રેજોના દેવળ આગળ શાંતિ જાળવી એમાં મને સભ્યતા લાગી. અંગ્રેજોના ઘર આગળ જઈને ‘જે’ની રાડો પાડવી એમાં સભ્યતા નહોતી. એ પ્રમાણે સ્વયંસેવકોને સૂચના આપવામાં મેં સભ્યતાને અનુસરીને કામ કર્યું છે. એમાં જો કોઈને ભૂલ લાગતી હોય તો એવી ભૂલ તો હું આખી જિંદગી કરવાનો. આપણે અંગ્રેજોને બતાવવું હતું કે તમારી વાજબી લાગણીઓની આડે આવવા અમે નથી માગતા. સરકારનું અસત્ય હતું તેનો આપણે વિરોધ કર્યો. આપણી લડતમાં સત્ય, અહિંસા, સહનશક્તિ હતાં તેટલી આપણી સરકાર પર જીત થઈ.” 

(નાગપુરની જીતનું રહસ્ય, 9 સપ્ટેમ્બર 1923)

[20]

‘આ ભવમાં તો એમની સાથેનો સંબંધ છૂટે એમ નથી !’

સરદારના આદર્શો દૃઢ થાય તે માટે નહીં, પરંતુ ગાંધીજી / નેહરુને નીચા દેખાડવાની વૃતિ સબબ ગોડસેવાદીઓએ અને ગાંધીજીને તિરસ્કાર કરનારા લોકોએ સરદારનું ઊંચું સ્ટેચ્યુ ઊભું કર્યું છે. સરદાર તો ગાંધીજીને / નેહરુને આદર્શ માનતા હતા. જે લોકો ગાંધીજી / નેહરુનું ચરિત્રહનન કરે છે તે વાસ્તવમાં સરદારનું અપમાન કરે છે. 1914ની સાલની આખરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા, એ પછી ભારતમાં અને ગુજરાતમાં અસાધારણ લોક જાગૃતિનો યુગ શરૂ થયો, તેના બે ઐતિહાસિક પરિણામો મળ્યા : એક હિન્દમાંથી બ્રિટિશ હકૂમતનો અસ્ત થયો અને બીજું, એના જ ફળ રૂપે હિન્દમાંથી અસંખ્ય રજવાડી હકૂમતો નાબૂદ થઈ. આ જાગૃતિમાં ગાંધીજી પછી સૌથી મોટો કોઈ એક વ્યક્તિનો ફાળો હોય તો તે સરદાર પટેલનો છે. 1915- 16માં સરદારે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ગાંધીજીના સત્ય, અહિંસા વગેરે સિદ્ધાંતોને અમલમાં મૂકનાર સરદાર હતા. સરદાર ગાંધીજીને કઈ રીતે મૂલવતા હતા? 

“મહાત્મા ગાંધીજી આવ્યા ત્યારે રાજકીય જીવનમાં સત્ય દાખલ થયું. ખેડાના સત્યાગ્રહની લડતમાં એમણે માગણી કરી કે એક માણસ એવો જોઈએ કે આજે જ પોતાનો તમામ ધંધો છોડી નડિયાદમાં રહી લડતનું બધું કામ માથે લે. મેં તે માથે લીધું. ત્યાર પછી તેમના સહવાસથી મને ખાતરી થઈ કે આજ સુધી હિંદ અવળે માર્ગે ચાલેલું. અને તેમના બતાવેલા માર્ગે હિંદ ચાલે તો જ તેનો ઉદ્ધાર થાય.” 

(અસહકાર, 29 માર્ચ 1921)

[1922માં ગાંધીજીને 6 વર્ષની સજા થઈ ત્યારે] 

“ગરીબના બેલી મહાત્મા ગાંધીજી જેલ ગયા. તેમણે આપણે માટે અખૂટ દોલત વારસામાં મૂકી છે. તેનો સદુપયોગ કરવો એ આપણા હાથની વાત છે. ઈલકાબવાળાને ઈલકાબ છૂટતા નથી. વિદ્યાર્થીઓને ડિગ્રીનો મોહ છૂટતો નથી. દારૂ વેચનારને ધંધો છોડવો નથી, શરાબીઓને શરાબ પીવો છે. વેપારીઓને વિદેશી કાપડ છૂટતું નથી. મૂડીવાળાને મૂડી વધારવી છે. કોઈને એશઆરામ છોડવા નથી. સૌને ગાંધી મહાત્માની ‘જે’ બોલાવી થોડાઘણા રૂપિયા એમને આપી એમની પાસેથી સ્વરાજ લેવું છે. ગાંધીજી જેલ ગયા તેથી શું? એ તો જેલમાં રહ્યા રહ્યા પણ આપણે માટે દારુણ તપશ્ચર્યા કરશે. આપણે જે કરવાનું છે તે તો એમણે સ્પષ્ટ અને સીધા શબ્દોમાં વારંવાર કહેલું છે. નવજીવનની ફાઈલ એ શાંતિમય અસરકારક પુરાણ છે એમાં કોઈ એક અક્ષર ઉમેરી શકે એમ નથી.” 

(શ્રદ્ધાની કસોટી, 26 માર્ચ 1922)

“ગાંધીજીની પાછળ ગાંડા થનાર, એમની હાજરીમાં એમની જય બોલાવનાર ગુજરાતીઓ !તમે જાગ્રત થાઓ. ગુજરાતની લાજ રાખવી હોય તો આળસ છોડો. નહીં તો કાળ જશે અને કહેવત રહેશે કે જેને જગતે ઓળખ્યા એવા મહાત્મા ગાંધીજીને એક ગુજરાતે ન ઓળખ્યા.”

(એક એક છોકરો આપો, 1 ડિસેમ્બર 1922)

[બોરસદ સત્યાગ્રહના વિજય વેળાએ] 

“આજે જેલમાં બેઠેલા આપણા ગુરુ, જગતના મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ મળેલી છે.” 

(બોરસદ સત્યાગ્રહનો વિજયોત્સવ,  12 જાન્યુઆરી 1924 )

“મને તમે જેના શિષ્ય કહો છો તે ગુરુનો પટ્ટશિષ્ય તો શું, અનેક શિષ્યોમાંનો એક થઈ શકું એટલી પણ યોગ્યતા મારામાં નથી એ વિશે મને શંકા નથી. બારડોલી માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. હું તો માત્ર સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય તો તે જડીબુટ્ટી આપનારને છે.” 

(બારડોલી વિજય-2, 1928)

“જગતમાં કોઈ બળવાખોર હોય તો ગાંધીજી જેવો બીજો કોઈ જ નથી. પણ એનો બળવો અસત્યની સામે છે, પાખંડની સામે છે, મેલની સામે છે, કોઈ વ્યક્તિની સામે નથી. એ જ બળવો સાચો બળવો છે. મને ઘણા ગાંધીજીનો આંધળો ભક્ત કહે છે. હું ઈચ્છું છું કે સાચે જ મારામાં અંધભક્ત થવાની શક્તિ હોય. પણ તે નથી. હું તો સામાન્ય બુદ્ધિનો દાવો કરનારો છું. મારામાં સમજશક્તિ પડેલી છે, મેં જગત પણ ઠીક ઠીક જોયું છે, એટલે સમજ્યા વિના એક હાથની પોતડી પહેરીને ફરનારાની પાછળ ગાંડો થઈને ફરું એવો હું નથી. મારી પાસે ઘણાને ઠગીને ધનવાન થાઉં એવો ધંધો હતો પણ તે છોડ્યો. કારણ હું એ માણસ પાસે શીખ્યો કે ખેડૂતનું કલ્યાણ એ ધંધો કરીને ન થાય. એઓ હિન્દુસ્તાનમાં આવેલા ત્યારથી જ હું એમની સાથે છું. અને આ ભવમાં તો એમની સાથેનો સંબંધ છૂટે એમ નથી. હિન્દુસ્તાનનું દુ:ખ, કાઠિયાવાડનું દુઃખ આગેવાનના અભાવનું નંથી, આગેવાનો અનેક થઈ પડ્યાનું છે, સિપાઈગીરીના અભાવનું છે.” 

(પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદ-2, 7 જુલાઈ 1929)

“ગાંધીજીને પ્રમુખપદે સ્થાપવા છે, પણ ગાંધીજીનો ચરખો કોઈને જોઈતો નથી. હું તમને કહું છું કે આ 20મી સદીમાં જે શહેરમાં પોણોસો મિલોનાં ભૂંગળાં ધુમાડા કાઢી રહ્યાં છે તે જ શહેરની પાસેની નદીને સામે કિનારે બેસીને જે માણસ પોતાના રેંટિયા ઉપર તાર કાઢે છે એને વિશે તમે શું ધારો છો? તમે એમને પાગલ ધારતા હો તો એમનું નામ પ્રમુખ તરીકે સૂચવનારા તમે તેમના કરતાં વધારે પાગલ નહીં? પણ એ પાગલ નથી. એમનું વ્યવહારજ્ઞાન મારા-તમારા કરતાં વધારે છે; અને આપણે આજે નહીં તો કાલે એમણે બતાવેલા માર્ગ ઉપર જ આવવાના છીએ.”

 (તામિલનાડુનો પ્રવાસ, 22 સપ્ટેમ્બર 1929)

“ગાંધીજી અત્યારે 77 વર્ષની ઉંમરે પૂર્વ બંગાળના દૂરના ગામડામાં જ્યાં રસ્તા પર ચાલવાનું પણ ફાવે એવું નથી ત્યાં એકલા ફરી રહ્યા છે; હિંમત હારી ગયેલા માણસોને હિંમત આપે છે; જેની માલમિલકત લૂંટાઈ ગઈ છે, જેના સગાંવહાલાં મરી ગયા છે, એમને આશ્વાસન આપે છે અને હિન્દુ-મુસલમાન સૌને ભાઈ ભાઈ તરીકે રહેવાનો ઉપદેશ આપે છે. ગાંધીજી હિન્દુસ્તાન આવ્યા ત્યારે એમણે ચાર વસ્તુ દેશની આગળ મૂકી. એ જો આપણે બરોબર કરી હોત, તો આજે આપણે સ્વતંત્ર થઈને બેસી ગયા હોત. એ સ્વતંત્રતા આખી દુનિયામાં ક્યાં ય નથી, એવી જુદા જ પ્રકારની હોત. અત્યારે પણ સ્વતંત્રતા આપણને મળવાની તો છે જ, પણ એમાં મીઠાશ નથી દેખાતી. સ્વરાજ ઈમારતની ચાર દીવાલમાંથી એક દીવાલ પણ આપણે પૂરી ચણી શક્યા નથી. આ ચાર દીવાલો એટલે : રાષ્ટ્રીય કેળવણી / હિન્દુ-મુસ્લિમ એકતા / સ્વદેશી એટલે ખાદી / અસ્પૃશ્યતાનિવારણ. આપણે સ્વરાજ જોઈતું હોય તો અંદર અંદર બખેડો કરવો પોસાય એમ નથી. આપણે એ જોવું જોઈએ કે, ગાંધીજી શું કામ કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે, અને કેવી રીતે કરી રહ્યા છે.” 

(સ્વરાજ ઈમારતની ચાર દીવાલ, 30 ડિસેમ્બર 1946)

“ગાંધીજીએ સ્વરાજની લડત બે પ્રકારે ચલાવી. એક ઉગ્ર પ્રકારે જેમાં સરકાર સાથે ઘર્ષણમાં આવવું પડ્યું. બીજું ખાદી અને રચનાત્મક કાર્ય દ્વારા, જેમાં સરકારની સાથે જ ઘર્ષણમાં આવ્યા વિના લોકોને સ્વરાજ્યને ભોગવવાની તાલીમ આપી.” 

(પ્રાથમિક શિક્ષકોને, 4 એપ્રિલ 1947)

“ગાંધીજી આવ્યા ત્યારથી એમના સહવાસથી મેં મારું જીવન બદલી નાખ્યું છે.” 

(કરમસદમાં માનપત્ર, 6 એપ્રિલ 1947) 

સંપૂર્ણ.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જગતમાં એક નવી નસ્લના શાસકો આવ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 April 2025

આ નવા શાસકોના સ્વભાવલક્ષણો એક સરખાં છે, પણ માર્ગ અલગ અલગ છે. શા માટે ?

રમેશ ઓઝા

અતીતમાં જીવનારાઓ સામે વર્તમાનમાં લડાઈ શરૂ થઈ છે. લડાઈ શરૂ થઈ છે પોતાનું ભવિષ્ય બનાવવા માટે અથવા પોતાનો વર્તમાન ટકાવી રાખવા માટે અને એ પણ વૈશ્વિક સ્તરે! બિચારાઓએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ આવું પણ બનશે. કેવી લ્હેર હતી; અકબર, ઔરંગઝેબ, શિવાજી, ટીપુ, ગાંધી અને નેહરુના યુગમાં. કોઈને વિલન ચીતરો તો કોઈને હીરો. આગળનું કામ કઢીચટ્ટાઓ સંભાળી લે. વચ્ચે વચ્ચે મુસલમાનોને હેરાન કરો, તેમના અધિકારો છીનવી લો. ચૂંટણી ઢુકડી હોય ત્યારે કોમી ટેન્શન પેદા કરો. વિરોધી અવાજોને દબાવો અને સ્વતંત્ર અવાજોની રખેવાળી કરવાનું જેનું કામ છે એ લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરો. શાસનની ફોર્મ્યુલા અકસીર હતી. 

પણ જ્યારે અભિનેતાઓ અનેક હોય અને કથાની અંદર ઉપકથાઓ પણ પુષ્કળ હોય ત્યારે બધું પટકથામાં પ્લોટ રચ્યો હોય એમ ચાલતું નથી. 

જગતમાં એક નવી નસ્લના શાસકો આવ્યા છે, જે માન-મર્યાદામાં માનતા નથી. એવા શાસકો જે બિનધાસ્ત જૂઠું બોલે છે. જે સંકોચ વિના ગમે તે દાવાઓ કરે છે. એવા લોકો જેમને નૈતિકતા અને ગરીબોનો પક્ષ લેનારાઓ પસંદ નથી. તેમના માટે અણગમો છે. એવા શાસકો જે કાયદાના રાજને નિર્બળતા તરીકે ખપાવે છે અને બુલડોઝર રાજને કૃતનિશ્ચયી રાજ તરીકે ખપાવે છે. એવા લોકો જેમને વચનભંગ કરવામાં કે અંચઈ કરવામાં શરમ નથી આવતી. એવા શાસકો જેઓ તેમણે લીધેલા ખોટા નિર્ણયોનો ભોગ બનેલા લોકોની યાતના જોઇને દુઃખ અનુભવતા નથી. મોઢું સીવી લે, મોઢું ફેરવી લે અને આંખ બંધ કરી દે. પશ્ચાતાપ કે અફસોસ કશું જ નહીં. આ જગતને મળેલા નવી નસ્લના શાસકોનાં આ કેટલાંક સ્વભાવલક્ષણો છે. જગતનો નકશો લઈને બેસી જાવ, જ્યાં જ્યાં નવી નસ્લના શાસકો આવ્યા છે ત્યાં આ પેટર્ન જોવા મળશે. 

પણ એક ફરક છે અને એ ફરક પાયાનો છે. આ નવી નસ્લના શાસકો બે પ્રકારના છે. એક એ જે વર્તમાનમાં જીવે છે અને પ્રજાને કહે છે કે કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર કરો અને આ સ્વાર્થી સંસારમાં પોતાની જગ્યા બનાવવા માટે અને જે છે એ જગ્યા ટકાવી રાખવા માટે કૃતનિશ્ચયી બનો. માન-મર્યાદા, વૈશ્વિક ધારાધોરણ, વચનબદ્ધતા ગઈ ભાડમાં. આપણો સ્વાર્થ જુઓ અને સ્વાર્થની પૂરતી વર્તમાનમાં જ થઈ શકે. ચીન, રશિયા, ઈરાન, ઇઝરાયેલ જેવા કેટલાક દેશોના શાસકો આ પ્રકારના છે જે પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્ય બનાવવા માટે સ્વાર્થી અને નાગા થયા છે. આમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પના આવવા પછી અમેરિકા ઉમેરાયું છે અને નવો વટલાયેલો મુલ્લો જેમ બમણા જોરથી બાંગ પોકારે એમ સ્વાર્થની બાંગ પોકારી છે. તુમ નંગા તો હમ તુમસે ભી જ્યાદા નંગા. ડોનાલ્ડ ટ્રમ્પ ઇતિહાસનું શરણ લેતા નથી. ડેમોક્રેટિક પક્ષના શાસકોને અમેરિકાની બેહાલી (જો હોય તો) માટે જવાબદાર ઠેરવતા નથી. જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, અબ્રાહમ લીન્કન કે જ્હોન એફ. કેનેડીને વિલન કે હીરો ચીતરતા નથી. શી ઝિંગપીંગે ચીની સામ્યવાદી પક્ષના દુ:શ્મન ચિયાંગ કાઈ-શેકનું કે સુન યાત-સેનનું નામ પણ લીધું હોય એવો પ્રસંગ જોવા નહીં મળે. જરૂર શું છે, જ્યારે વર્તમાનમાં બાવડામાં બળ હોય. કોઈ પણ માર્ગે, પોતાની તાકાત વાપરીને અને વધારીને હીરો બનો, કોઈને વિલન ચીતરીને કે ઇતિહાસને નામે પ્રજાને દુ:શ્મન પકડાવીને ખોટી તાકાતનો અહેસાસ કરાવવાની કે કરવાની જરૂર નથી. 

નવી નસ્લના શાસકોનો બીજો વર્ગ એવો છે જે વર્તમાનથી ભાગે છે અને અતીતમાં જીવે છે અને પ્રજાને જીવાડે છે. તેઓ અતીતમાં ખાસ પ્રજાનું ઐશ્વર્ય શોધે છે. તેઓ અતીતમાં ખાસ પ્રજા સાથે ચોક્કસ પ્રજાએ કરેલા કહેવાતા ‘કુકર્મો’ની યાદ અપાવીને ખાસ પ્રજાને પીડાનો અનુભવ કરાવે છે અને વેર વાળવા ઉશ્કેરે છે. તેઓ અતીતમાં ભલે ખાસ પ્રજાના, પણ ચોક્કસ વિચારધારાના લોકોએ લીધેલા ખોટા નિર્ણયો દ્વારા અને બતાવેલી ‘નિર્બળતા’ દ્વારા ખાસ પ્રજાનો વર્તમાન બગાડવા માટે તેમને જવાબદાર ઠેરવે છે. તેમની દિવસરાત નિંદા કરે છે અને કરાવે છે. તેઓ અતીતમાંની ખાસ પ્રજાની કહેવાતી મહાનતાનો હવાલો આપીને બારોબાર પોતાને વિશ્વગુરુ જાહેર કરી દે છે. ટૂંકમાં અતીતના માર્ગે વર્તમાનમાં પોતાને મહાન જાહેર કરીને ભવિષ્યમાં આભાસી જગ્યા બનાવવી. વર્તમાન સાથે સીધું કામ પાડવાની જરૂર જ શું છે! ભારત, તુર્કી અને એવા બીજા કેટલાક મુસ્લિમ દેશો આવા બીજા પ્રકારના શાસકો ધરાવે છે. તેઓ વર્તમાનથી દૂર ભાગે છે. 

અહીં એક સવાલ પેદા થવો જોઈએ. શા માટે નવી નસ્લના શાસકોમાંથી કેટલાક દેશોના શાસકો વર્તમાનની કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સ્વાર્થની લડાઈ લડતા થયા છે અને શા માટે નવી નસ્લના શાસકોમાંથી કેટલાક દેશોના શાસકો વર્તમાનથી દૂર ભાગે છે અને પ્રજાને દૂર ભગાડે છે? શાસકોના સ્વભાવલક્ષણો એક સરખાં છે, પણ માર્ગ અલગ અલગ છે. શા માટે? શા માટે મહાપ્રતાપી નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ, નેતાન્યાહુ, શી ઝિંગપીંગ કે પુતિનની માફક પોતાની શરતે શાસન નથી કરી શકતા? પોતાની શરતે શાસન કરવું એ તો બહુ દૂરની વાત છે, પણ જ્યારે ચીન ભારતની ભૂમિ પર કબજો કરે ત્યારે અને ટ્રમ્પ એકપક્ષીય ટેરીફ લાદે ત્યારે ભારતના મહાપ્રતાપી નેતા શા માટે એક શબ્દ પણ બોલી નથી શકતા? શા માટે? 

આ પ્રશ્નનો જવાબ બહુ સ્પષ્ટ છે. 

તાકાત. તાકાત ત્રણ પ્રકારની હોય છે. એક સાત્ત્વિક તાકાત જે સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વૉન્ગે બતાવી છે. તેમણે શબ્દ ચોર્યા વિના ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે. તેમણે સિંગાપોરની પ્રજાને જગત પર અને સિંગાપોર જેવા બચૂકલા દેશો પર ઝળુંબી રહેલી યાતના માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. જ્યારે શક્તિશાળી લોકો સ્વાર્થી અને આતતાયી બને ત્યારે નિર્બળે પોતાની તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે વૉન્ગના કથન વિષે પ્રતિક્રિયા માગવામાં આવી ત્યારે તેઓ ચૂપ થઈ ગયા હતા. જગતના નકશામાં દૂરબીનથી ગોતવો પડે એ દેશનો નેતા ખોંખારો ખાઈને બોલી શકે છે. બીજા પ્રકારની તાકાત છે; આર્થિક અને લશ્કરી તાકાત. રોકડા રૂપિયા જેવી નક્કર તાકાત. જેમનામાં આવી તાકાત છે એ દેશો પોતાનાં વર્તમાનને ટકાવી રાખવા માટે અને ભવિષ્યને હજુ સુધારવા માટે યુદ્ધે ચડ્યા છે. અહીં આપણે સાચા-ખોટાની વાત કરતા જ નથી. નૈતિકતાનો કોઈ માપદંડ લાગુ કરતા નથી. બળિયાના બે ભાગવાળી તાકાત. આ તાકાતને આપણે રાજસિક તાકાત કહી શકીએ. અને ત્રીજા પ્રકારની તાકાત છે તામસિક તાકાત. નબળા પર શૂરા થઈને સબળાને તાકાતનું વિકૃત સુખ આપનારી તાકાત. લઘુમતી કોમને દબાવો. તેમના અધિકારો છીનવી લો. ટીકા કરનારાઓને સતાવો જેલમાં પૂરો, વગેરે વગેરે. ખોટા ઇતિહાસની, માફી માગનારાઓ પર વીરતાના વરખ ચડાવવાની અને સાચા હીરોને નાના ચિતરવાની આ લોકોને જરૂર પડે. હકીકતમાં આ તાકાત નથી, પણ વિકૃતિ છે. લઘુતાગ્રંથિ છે. 

હવે પરિણામ જુઓ : બળિયાઓ તો લડી લેશે. પરિણામ જે આવે તે. સાત્ત્વિક તાકાત ધરાવનારાઓને ભલે બળિયાઓ સાંભળે નહીં, પણ તેમનો અનાદાર કરવો શક્ય નથી. સિંગાપોરના વડા પ્રધાનના કથનની જગત આખામાં ચર્ચા થઈ રહી છે અને પ્રસંશાનાં ફૂલ વરસી રહ્યાં છે. આભાસી અને તામસિક તાકાત ધરાવનારાઓ નથી બોલી શકતા કે નથી કોઈ શરત રાખી શકતા. ટેરીફ વૉરને પરિણામે ભારતને થનારા સાંયોગિક લાભની તેઓ વાત કરી રહ્યા છે. સાંયોગિક લાભ. રળેલો કે પ્રાપ્ત કરેલો લાભ નહીં.

પણ સવાલ એ છે કે આવું તેઓ શા માટે કરે છે? શું તેઓ સાચી તાકાત નથી ઓળખતા? નૈતિકતા એ નિર્બળતા છે એમ તેઓ માને છે એટલે ભલે સાત્ત્વિક તાકાતની તેઓ ઉપાસના ન કરે, પણ નક્કર રાજસિક તાકાત પ્રાપ્ત કરવા માટે તેઓ શા માટે પ્રયત્ન નથી કરતા? એ તો ખણખણતા રોકડા રૂપિયા જેવી છે. એ તેમને વહાલી નથી? 

આની ચર્ચા હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઍપ્રિલ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી— 284

દીપક મહેતા|Opinion - Opinion|13 April 2025

મુંબઈગરાઓએ ફાળો ઉઘરાવીને અંગ્રેજ પોલિસ કમિશનરનું પૂતળું કેમ મૂકાવ્યું?            

ઓપરેશન થિયેટરમાં બાવલા શેઠનો જાન બચાવવા ડો. એ. ફિડસન અને તેમના સાથીઓ જે કાંઈ કરી શકાય તે બધું કરી છૂટ્યા. પણ પછી ૧૩મી જાન્યુઆરી ૧૯૨૫ની વહેલી સવારે ડો. ફિડસન સામે ટાઈપ કરેલો એક અહેવાલ મૂકવામાં આવ્યો. પહેલાં તો આખો અહેવાલ જોઈ ગયા. પછી કાળા રંગની ફાઉન્ટન પેન ખિસ્સામાંથી કાઢી અને અહેવાલની નીચે પોતાની સહી કરી : Dr. A. Fidson. એ લાંબા અહેવાલને અંતે લખ્યું હતું :

Cause of Death: Death, in my opinion, was due to hemorrhage from gunshot injuries of liver. સહી કર્યા પછી ડોકટરે પોતાના હસ્તાક્ષરમાં નીચે તારીખ અને સમય લખ્યાં : ૧૩ જાન્યુઆરી, ૧૯૨૫, સવારે ૦૧.૧૫.

ઓપરેશન થિયેટર તૈયાર થાય ત્યાં સુધી બાવલાને બાજુના રૂમમાં પલંગ પર રાખ્યો હતો. એ વખતે એ કણસતો હતો, પણ પૂરેપૂરા ભાનમાં હતો. આ જોઈ પોલીસ સાર્જન્ટ વેટકિન્સે ડોક્ટરને પૂછ્યું : ‘હું બાવલા સાથે થોડી વાત કરી શકું?’ ડોકટરે હા પાડી. એક યુરોપિયન નર્સને બાજુમાં ઊભી રાખી અને સાર્જન્ટે પોતાના ખિસ્સામાંથી પોકેટ ડાયરી અને પેન કાઢ્યાં. સૌથી પહેલાં બાવલાએ કહ્યું : ‘હું ન બચું તો મારી સ્થાવર-જંગમ બધી જ માલમિલકત મારી માને મળશે. પણ તેમાંથી ફક્ત એક લાખ રૂપિયા મુમતાઝને આપવા.’ પછી સાર્જન્ટે પૂછ્યું : ‘તમારા પર જે હુમલો થયો તેનું કારણ તમે શું માનો છો?’ બાવાલાએ જવાબ આપ્યો : ‘આ બધું મુમતાઝને કારણે થયું છે. જેમને આ છોકરે જોઈતી હતી, તેમને મેં સોંપી નહિ એટલે તેણે અમારા પર આ હુમલો કર્યો. અને જેમણે હુમલો કર્યો તેમની પાછળ રહેલા હાથ બહુ લાંબા છે.’ બાવલાએ જે કંઈ કહ્યું તે બધું સાર્જન્ટે પોતાની પોકેટ ડાયરીમાં લખી લીધું. પછી તેની નીચે બાવલાની સહી લીધી અને સાક્ષી તરીકે યુરોપિયન નર્સની સહી લીધી. હવે બાવલાનું મૃત્યુ થયા પછી તેની આ જુબાની ‘ડાઈંગ ડેક્લરેશન’ તરીકે કોર્ટમાં રજૂ કરી શકાશે. 

સાર્જન્ટ વેટકિન્સ નાગપાડા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા હતા. પણ જ્યાં ગુનો બન્યો તે મલબાર હિલનો વિસ્તાર ગામદેવી પોલીસ સ્ટેશનની હકૂમત હેઠળ આવતો હતો. એટલે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની નકલ લઈને વેટકિન્સ ઉપડ્યા ગામદેવી પોલીસ સ્ટેશન. ત્યાં જઈને એ સ્ટેશનના વડા ઈ.એ. ફર્નને મળીને FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરાવ્યો. ૮/૧૯૨૫ નંબરવાળા આ રિપોર્ટમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન), ૩૦૭ (ઠાર મારવાના ઈરાદાથી કાતિલ હુમલો), અને ૩૬૫ (લબાડીના ઈરાદાથી અપહરણનો પ્રયત્ન) હેઠળ ગુના નોંધવામાં આવ્યા. આ મુખ્ય ગુના ઉપરાંત કલમ ૧૨૦ બ, ૧૧૪, ૧૦૯, ૫૧૧, ૩૨૬, ૩૦૨, ૩૦૭, અને ૩૬૫ હેઠળના ગુના પણ દાખલ કરવામાં આવ્યા. ઘટના સ્થળેથી પોતે જપ્ત કરેલી જણસો પણ વેટકિન્સે ગામદેવી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી : પિસ્તોલ, ચાકુ, લાકડી, ઓટોમેટિક પિસ્તોલ, ખુકરી, છરા, બાંબુની લાકડી, બંદૂકની ગોળીઓ. આ બધું પતાવી સાર્જન્ટ વેટકિન્સ ઘરે પહોંચ્યા ત્યારે સૂરજ માથોડું ઊંચો ચડી ગયો હતો. ગામદેવી પોલીસ સ્ટેશન તરફથી માહિતી મળે તે પહેલાં જ છૂપી પોલીસના બાતમીદારો તરફથી મુંબઈના પોલીસ કમિશનર પેટ્રિક કેલીને આ ઘટના વિશેની માહિતી મળી ચૂકી હતી. અને તેઓ કેસની ગંભીરતા અને મુશ્કેલીઓ તરત સમજી ગયા હતા. 

મુંબઈના પોલિસ કમિશનર પેટ્રિક કેલી

હવે થોડી વાર માટે બાવલાને બાજુએ મૂકીને આપણે વાત કરીએ પોલીસ કમિશનર પેટ્રિક એ. કેલી વિષે. મુંબઈ પોલીસના ઘડવૈયાઓમાંના એક. મૂળ વતની આયર્લેન્ડના. ઈમ્પીરિયલ પોલીસમાં જોડાઈને ૨૨ વરસની ઉંમરે મુંબઈ આવ્યા. નાશિક, ખાનદેશ, કાઠિયાવાડ, ઠાણે, શોલાપુર વગેરે જગ્યાએ કામ કર્યા પછી મુંબઈ આવ્યા અને ૧૯૨૨ના જૂનની પહેલી તારીખે મુંબઈના પોલીસ કમિશનરની જવાબદારી સંભાળી. કેલી મરાઠી અને પુશ્તુ ભાષાઓ બહુ સારી રીતે બોલી શકતા. તેઓ મુંબઈ આવ્યા ત્યારે શહેરમાં પઠાણ શાહુકારોનો ખાસ્સો ત્રાસ. વ્યાજ અને મૂળ રકમ સમયસર ન મળે તો લેણદારના હાથ-પગ તોડતાં વાર ન લાગે. એ વખતે લોન આપતી સંસ્થાઓ લગભગ નહિ. એટલે ઘણા બધા પોલીસો પણ અવારનવાર પઠાણો પાસેથી બહુ ઊંચા વ્યાજે પૈસા ઉધાર લે. આથી જ એક જમાનામાં બહુ ઊંચા વ્યાજદર માટે ગુજરાતી-મરાઠીમાં ‘પઠાણી વ્યાજ’ શબ્દો વપરાતા. ૧૯૨૯ના ફેબ્રુઆરીમાં મુંબઈમાં એવી અફવા ફેલાઈ કે પઠાણો બાળકોને ઉપાડી જતા હતા. પરિણામે શહેરમાં હુલ્લડ થયું જેમાં પરળ લાલબાગ જેવા વિસ્તારોમાં મિલ કામદારોનાં ટોળાંએ કેટલાક પઠાણોને મારી નાખ્યા હોવાની અફવા ફેલાઈ. પઠાણોનું એક ટોળું ક્રાફર્ડ માર્કેટ નજીક આવેલી મુંબઈના પોલીસ કમિશનરની ઓફિસે પહોચ્યું. દરવાજા આગળ રખેવાળી કરતા એક પોલીસને જમીન પર પટકીને બેફામપણે મારવા લાગ્યા. બીજા પોલીસો ત્યાં હાજર હતા પણ માર પડવાની બીકે આઘા રહ્યા. આ બધી ધાંધલનો શોરબકોર પહેલા માળ પર આવેલી ઓફિસમાં બેઠેલા પોલીસ કમિશનર કેલીના કાને પડ્યો. દાદરના બબ્બે પગથિયાં કુદાવતા દોડ્યા નીચે અને ભોંય પર પડેલા પોલીસ આડે જાતે ઊભા રહી ગયા અને તેના પર પડતા ઘા પોતે ઝીલવા લાગ્યા. અત્યાર સુધી ઊભા ઊભા તમાશો જોતા બીજા પોલીસો પણ સાહેબને આ રીતે લડતા જોઈ વહારે ધાયા અને હુમલાખોર પઠાણોને તગેડી મૂક્યા. 

રસ્તા પરથી પોલિસ કમિશનરની ઓફિસમાં ખસેડાયેલું કેલીનું પૂતળું

કેલી મુંબઈના પોલીસ કમિશનર હતા એ વરસો એટલે દેશની આઝાદી માટેની લડતના વરસો. અવારનવાર સભા-સરઘસ થાય. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એટલે સભા-સરઘસ રોકવાં તો પડે. પણ કાયમ માટે કેલીની પોલીસ દળને સ્પષ્ટ સૂચના કે આવે વખતે બળનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. બંદૂક તો ખરી જ, પણ લાઠી ચલાવતાં પહેલાં પણ બે વાર વિચાર કરવો. આને કારણે આ અંગ્રેજ અમલદાર મુંબઈના રહેવાસીઓના મોટા વર્ગના માનીતા થઈ પડ્યા હતા. નોકરીનાં અઢી વરસ બાકી હતાં ત્યારે ૫૩ વરસની ઉંમરે વહેલી નિવૃત્તિ લઈ કેલીએ સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું. ૧૯૩૩ના સપ્ટેમ્બરની પહેલી તારીખે નિવૃત્ત થયા પછી કેલી સ્ટીમર દ્વારા સ્વદેશ જવા મુંબઈની હાર્બર પહોંચ્યા ત્યારે, કહે છે કે, હજારો લોકો તેમને વિદાય આપવા એકઠા થયા હતા. તેમના ગયા પછી મુંબઈ પોલીસે ક્રાફર્ડ માર્કેટ નજીક કેલીનું આરસનું પૂતળું મૂકવાનું નક્કી કર્યું. પોલીસ ખાતાએ તો આ માટેની રકમ ફાળવેલી જ. પણ એ વખતના મેયર ડો. મોરેશ્વર જાવલેની અપીલના જવાબમાં મુંબઈના લોકો તરફથી પણ ૧૩,૫૦૦ રૂપિયા દાનમાં મળ્યા. (૧૯૩૩-૧૯૩૪ના અરસાના ૧૩,૫૦૦ એટલે આજના કેટલા એ ગણી લેવું.) પૂતળું બનાવવાનો ઓર્ડર એ માટે જાણીતા મેસર્સ ગોરેગાંવકર બ્રધર્સને આપવામાં આવ્યો અને ૧૯૩૬ના સપ્ટેમ્બરની બીજી તારીખે એ વખતના મેયર અને આઝાદી માટેની લડતના એક નેતા બેરિસ્ટર જમનાદાસ માધવજી મહેતાને હાથે એ પૂતળાનો અનાવરણ વિધિ થયો. (આઝાદી પછી મલબાર હિલ વિસ્તારના એક રસ્તા સાથે જમનાદાસ મહેતાનું નામ જોડવામાં આવ્યું છે. પહેલાં એ રસ્તો ‘ઓલ્ડ ચર્ચ રોડ’ તરીકે ઓળખાતો.) એ વખતે આ પૂતળું ક્રાફર્ડ માર્કેટ સામેના ટ્રાફિક આયલેન્ડમાં મૂકવામાં આવ્યું હતું. પણ પાછળથી તેને પોલીસ કમિશનરની ઓફિસમાં ખસેડવામાં આવ્યું. 

ક્રાફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલિસની ઓફિસ અને ટી બહાર મૂકેલું કેલીનું આરસનું પૂતળું (લાલ વર્તુળમાં)

આવા બાહોશ અને વિચક્ષણ પોલીસ કમિશનર કેલી પાસે બાવલાનું ખૂન થયાના ખબર પહોંચ્યા કે તરત જ તેઓ સાવધ થઈ ગયા. આ કેસ ઉકેલવાનું કામ સહેલું નહિ બને એ વાત તરત જ સમજી ગયા. કારણ બાવલા અને મુમતાઝ વિશેની ઘણી માહિતી તેમની પાસે પહેલેથી જ હતી. ગુનો બન્યો છે મુંબઈમાં, બ્રિટિશ રાજ્યમાં, પણ તેની પાછળના હાથ ઘણા લાંબા હોવા જોઈએ અને પગેરું કોઈક એવી જગ્યાએ પહોંચતું હોવું જોઈએ કે જ્યાં જવાનું મુંબઈ પોલીસ માટે બહુ સહેલું નહિ બને. એટલું તો કેલી પહેલી નજરે જ સમજી ગયા. અને સાથોસાથ મનમાં પાકો નિશ્ચય કર્યો કે ભલે આ કામ ગમે તેટલું મુશ્કેલ હોય, ગુનેગારોને સજા કરાવીને જ રહીશ. પહેલું કામ કર્યું મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓની એક ખાસ ટુકડી બનાવવાનું. એ ટુકડીના વડા હતા ડેપ્યુટી પોલીસ કમિશનર ઈ.એલ. કોટી. બીજા સભ્યો હતા સુપરિનટેન્ડન્ટ સી.ડબલ્યુ. સાયકીઝ, ઇન્સ્પેક્ટર રોય બીશપ સ્મિથ, ઇન્સ્પેક્ટર સી.આર. જાફરીઝ, ઇન્સ્પેક્ટર એન.પી. વાગળે, ઇન્સ્પેક્ટર એસ.સી. લ્યોન, ઇન્સ્પેક્ટર એસ. પટવર્ધન, અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુંદર ભટકળ.

મુંબઈના પોલિસ કમિશનરની ઓફિસનો દાદર

બાવલા અને મુમતાઝ પર હુમલો કરનારી મોટરમાં સાત-આઠ જણ હતા એમ નજરે જોનારાઓનું કહેવું હતું. પણ તેમાંથી ફક્ત એક જ ગુનેગારને પકડી શકાયો હતો. બાકીના બધા ભાગી છૂટ્યા હતા. પોલીસ કમિશનર બાવલા અને મુમતાઝ અંગે ઘણું જાણતા હતા એટલે એ ભાગેડુઓ ક્યાં જઈને છૂપાયા હશે એનો અંદાજ તેમને હતો. પણ એ જગ્યાએ જઈને, તેમની ધરપકડ કરીને મુંબઈ લાવવાનું કામ સહેલું નહોતું એટલું તો કેલી પહેલેથી જ સમજી ગયા હતા. અને એટલે તેમણે મનોમન નક્કી કરી લીધું હતું : Come what may, I will pursue this case till the end, and solve it. 

ગુનેગારોને પકડવાનું કામ સહેલું કેમ નહોતું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 એપ્રિલ 2025

Loading

...102030...403404405406...410420430...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved