Opinion Magazine
Number of visits: 9844022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાંશીરામ : દલિતશક્તિનું  રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 March 2025

ચંદુ મહેરિયા

બાબાસાહેબ આંબેડકરે દલિતોને ‘હુકમરાન સમાજ’ બનાવવાનું જે સોણલું જોયું હતું તેનો જ્ઞાતિવાદથી ખદબદતી હિંદી પટ્ટીમાં અમલ કરાવી જાણનાર રાજનેતા એટલે કાંશીરામ (જન્મ 15 માર્ચ 1934 — અવસાન 09 ઓકટોબર 2006). ભારતના દલિત ચળવળના ઇતિહાસ પર અમીટ છાપ મૂકી જનાર કાંશીરામની સૌથી મોટી ઓળખ બહુજન સમાજ પક્ષના સ્થાપક અને દેશની બહુજન રાજનીતિના જનકની છે. 

૧૯૩૨ના પૂના કરારના બે વરસ બાદ પંજાબના દલિત રૈદાસી શીખ પરિવારમાં કાંશીરામનો જન્મ થયો હતો. તેમનું જન્મસ્થળ પંજાબના હોંશિયારપુર ઈલાકાના  રોપડ જિલ્લાનું ખવાસપુર ગામ. ખાધેપીધે સુખી કિસાન પરિવારના બાળક-કિશોર કાંશીરામને ન તો જ્ઞાતિપ્રથાનો કે ન તો ગરીબી- અભાવનો કોઈ અનુભવ થયો હતો. ચાર બહેનો અને ત્રણ ભાઈઓનું તેમનું કુટુંબ જેમ આર્થિક તેમ શારીરિક તાકાતે પણ સંપન્ન હતું. બાળપણથી જ ‘કોઈની શું મજાલ કે અમને હાથ લગાડી શકે’ એવી તાકાત મળી હતી. નાત બિરાદરીના પહેલા સાયન્સ ગ્રેજ્યુએટનું બહુમાન મેળવનાર કાંશીરામ પણ અન્ય અનામતજીવી દલિત જમાતની જેમ સરકારી નોકરીમાં લાગી ગયા હતા. 

કાંશી રામ

૧૯૫૬માં બાબાસાહેબના નિર્વાણના શોકે સહકાર્યકર ગૈનીને ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા જોયા ત્યાં સુધી તેમને બાબાસાહેબનો પણ કશો પરિચય નહોતો. ૧૯૫૮માં પંજાબથી વાયા દહેરાદૂન પૂનામાં તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલિટરી એક્સ્પ્લોઝીવમાં સંશોધન અધિકારીના પદે નોકરીમાં હતા. ૧૯૬૪માં તેમના સંસ્થાને જાહેર રજાઓની યાદીમાંથી ડો. આંબેડકર અને ગૌતમ બુદ્ધ જયંતીની જાહેર રજાઓ રદ્દ કરી નાંખી. ૧૯૫૬માં બાવીસ વરસના કાંશીરામને ડો. આંબેડકરના જીવનકાર્યનો પરિચય થયો હતો. પરંતુ તેના એકાદ દાયકે પણ આ જાહેર રજાઓની કમીના વિરોધમાં અવાજ ઉઠાવવા જેટલા એ જાગ્રત અને સક્ષમ નહોતા. રાજસ્થાની દલિત એવા સંસ્થાનના વર્ગ ૪ના કર્મચારી દીના ભાનાએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને બરતરફી વહોરી તે ક્ષણ કાંશીરામ માટે સાક્ષાત્કારની હતી. તેમણે ભાનાનું સમર્થન કર્યું અને તે ઘડીથી દલિત જાગ્રતિ માટે પાછું વળીને જોયું નહીં. દીના ભાનાને ન્યાય અપાવવા તે એવા તો લાગી ગયા કે નોકરીને પણ તિલાંજલી આપી દીધી આજીવન અપરિણિત રહી દલિત ઉત્થાનમાં લાગી જવાના સંકલ્પ સાથે પરિવારનો પણ ત્યાગ કરી દીધો હતો.   

દીના ભાના પ્રકરણ વખતે એક જ રાતમાં ત્રણ વાર ડો. આંબેડકરના ‘એની હિલેશન ઓફ કાસ્ટ’નું તેમણે વાચન કર્યું. એ રીતે બાબાસાહેબના વિચારવારસાએ કાંશીરામનો પથ અજવાળ્યો હતો.  અનામતજીવી ગણાતી અને નવા બ્રાહ્મણની ગાળો ખાતી દલિત સરકારી અધિકારીઓ-કર્મચારીઓની જમાતને જ તેમણે દલિત ચળવળ માટે ખપમાં લીધી. ચૌદમી ઓકટોબર ૧૯૭૧ના રોજ કાંશીરામે પૂનામાં દલિત, આદિવાસી, અન્ય પછાત વર્ગો અને લઘુમતી વર્ગના કર્મચારીઓનું ‘બામસેફ’ – પૂના સંગઠન બનાવ્યું હતું. સાઈકલ પર જ એ ફરતા અને પોતાના વિચારો કર્મચારીઓને જણાવતા. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૮ના રોજ દિલ્હીમાં ‘બામસેફ’(ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન – BAMCEF)ની રાષ્ટ્રીયસ્તરે સ્થાપના કરી અને પે બેક ટુ સોસાયટીનો નિયમ સૌને સમજાવ્યો હતો. 

અનામતના લાભાર્થી દલિત-આદિવાસીઓ સાથે તેમણે પછાતવર્ગો-લઘુમતીઓને જોડી બહુજન એકતાની સંકલ્પના કરી હતી. ‘બામસેફ’ને કાંશીરામ બિનરાજકીય, બિનધાર્મિક અને બિનઆંદોલનાત્મક સંગઠન રાખવા માંગતા હતા. તેથી ૧૯૮૧માં તેમણે કર્મચારીઓ સિવાયના દલિતોને પણ સંગઠનમાં જોડવા ડી એસ ફોર(દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ)ની રચના કરી હતી. કાંશીરામે ‘બામસેફ’ અને ડી એસ ફોર મારફત પોતાના વિચારોને બૌદ્ધિક અને આંદોલનકારી માર્ગે ફેલાવવા દેશભરમાં પ્રયાસો કર્યા. “ઓપ્રેસ્ડ ઇન્ડિયન” અને “બહુજન સંગઠક” નામક છાપાં‌‌-સામયિકો કાઢ્યાં. આ નામો જ તેમની વિચારધારાના દ્યોતક નથી શું?.  

કાંશીરામને માત્ર રાજકીય નેતા કે ગઠબંધન રાજનીતિના માહોલમાં અવસરવાદી સત્તાશૂરા તરીકે ખતવી નાંખનારાઓએ તેમની આરંભિક અને થોડી મર્યાદિત એવી સામાજિક ચળવળોને પણ સંભારવી જોઈએ. ‘આપણી બુદ્ધિ, આપણો પૈસો અને આપણી મહેનત’ના સૂત્રે ચાલતા કાંશીરામની ઉત્તર પ્રદેશની ફતેહના મૂળમાં દલિત મહિલાઓનું દારૂબંધી અભિયાન રહેલું છે. માયાવતીની દોમદોમ સાહ્યબીની વાતો માધ્યમોમાં ખૂબ ચગે છે પણ કાંશીરામની સાઈકલ માર્ચ અને ‘બે પૈડાં બે પગ’ ઝુંબેશ વિશે ભેદી મૌન પળાય છે.  યોગેન્દ્ર યાદવે તેમના અંજલિ લેખમાં કાંશીરામની સભાઓમાં સભા સ્થળ જેટલી જ મોટી જગ્યા સાઈકલોના પાર્કિંગ માટે રાખવામાં આવતી હોવાનું અને તેમના દલિત ચાહકો કેટલા ય કિલોમીટર દૂરથી સાઈકલો પર સભામાં આવતા હોવાનું નોંધ્યું હતું.

રાજકીય સત્તાને વંચિતો-બહુજનોના સઘળા દુ:ખોની ગુરુચાવી માનતાં કાંશીરામે ‘ભાઈચારા બનાવો’ , ‘જાતિ તોડો, સમાજ જોડો’ જેવાં સામાજિક આંદોલનો પણ  કર્યા હતા. ‘સામાજિક પરિવર્તન અને આર્થિક મુક્તિ’ કાંશીરામના આંદોલનના અનિવાર્ય ભાગ હતા. રાજકીય અનામતોને કારણે દલિત રાજકારણીઓનો ‘ચમચાયુગ’ જન્મ્યો હોવાનું તેઓ ભાર દઈને કહેતા હતા. તેમણે ચમચાયુગની ટીકા તો કરી છે પણ તેની નાબૂદીના ટૂંકા ગાળાના, લાંબા ગાળાના અને કાયમી ઉપાયો પણ  બતાવ્યા હતા.  

કાંશીરામે દલિતોને રાજકીય સત્તા તરીકે સ્થાપવા ‘બહુજન સમાજ પાર્ટી’ની સ્થાપના કરી હતી. તેના પાયામાં બહુજન કર્મચારીઓનું ‘બામસેફ’  સંગઠન હતું તે ભૂલવું ન જોઈએ. જો કે બહુજન સમાજ પાર્ટીને રાજકીય સત્તાનું કેન્દ્ર બનાવવા માટે તેમના સામાજિક-આર્થિક આંદોલનો ભૂલાઈ ગયા એટલે દલિતોને માત્ર રાજકીય સત્તા તરીકે સ્થાપતી મૂલ્યહીન અને વિચારધારા વગરની રાજસત્તા જ કેટલાક વરસોથી શેષ રહી છે. 

બહુજન સમાજ પાર્ટીએ કાંશીરામના ગૃહરાજ્ય અને અનેક સામાજિક આંદોલનો પચાવી ચૂકેલા પંજાબ, ફુલે-આંબેડકરની ભૂમિ મહારાષ્ટ્રને બદલે જ્ઞાતિવાદ અને સામંતવાદથી ખદબદતા ઉત્તર પ્રદેશમાં કાઠું કાઢ્યું તેનો માયનો પણ સમજવા જેવો છે. બ.સ.પા. રાષ્ટ્રીય પક્ષની માન્યતા મેળવી શકી અને યુ.પી.માં માયાવતી એકાધિકવાર મુખ્ય મંત્રીનો તાજ પહેરી શક્યા છે દેશના સૌથી મોટા રાજ્યમાં બી.એસ.પી.ને લગભગ ચોથા ભાગના મતદારોનું સમર્થન મળતું થયું અને કાશ્મીરથી અંજાર સુધી બ.સ.પા.નો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ કાંશીરામનો કઠિન પરિશ્રમ રહ્યો છે. 

કાંશીરામે ઈચ્છ્યું હોત તો તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કે ભા.જ.પ.ની કૃપાથી રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ તેઓ દલિત સમાજને ‘હુકમરાન સમાજ’ બનાવવા માટે વડા પ્રધાનની ખુરશીથી ઓછું કશું જ ઈચ્છતા નહોતા. ભા.જ.પ., કાઁગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા જુદી જુદી રાજકીય વિચારધારાના પક્ષો સાથે તેમણે રાજકીય ગઠબંધનો કર્યા હતા. સાપનાથ અને નાગનાથની લડાઈમાં તેઓ દલિત નોળિયારૂપી સત્તા નિયંત્રણ ઈચ્છતા હતા. આંબેડકરની બૌદ્ધિકતા અને જગજીવન રામની અસીમિત રાજકીય સત્તા કરતાં કાંશીરામે જુદો માર્ગ પસંદ કર્યો હતો. એકાદ દસકામાં જ તેમણે બહુજન સમાજ પાર્ટીને દેશભરમાં ગાજતી કરી મૂકી હતી. પરંતુ કાંશીરામ તેનો લોકશાહી ઉછેર કે મૂલ્યલક્ષી વિચારધારાવાળી રાજકીય પાર્ટી તરીકેનો વિસ્તાર કરી શક્યા નહીં. તેઓએ માયાવતીને ઉત્તર પ્રદેશના રાજપથ પર સ્થાપ્યાં અને પોતાના રાજકીય ઉત્તરાધિકારી પણ બનાવ્યાં હતાં. જો કે માયાવતીની મહત્ત્વા કાંક્ષાઓ અને રાજકીય પ્રોઢિનો અભાવ કાંશીરામના અધૂરા કાર્યને આગળ ધપાવશે કે કેમ એવો સવાલ બ.સ.પા.ની વર્તમાન હાલતા જોતાં તેના સમર્થકો અને ચાહકોને થાય છે. 

ભારતની દલિત રાજકીય ચળવળોનો ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’થી આરંભાયેલા ઇતિહાસને કાંશીરામ ‘બહુજન સમાજ પક્ષ’ સુધી લાવ્યા છે. બહુજન સુપ્રીમો તરીકે જ નહીં, દલિત ચેતના કે શક્તિનું રાજકીય તાકાતમાં, રાજસત્તામાં રૂપાંતર કરનાર અને તે માટે અનામત લાભાર્થીઓનો યોગ્ય ઉપયોગ કરી જાણનાર વિચારક તરીકે પણ કાંશીરામ કાયમ યાદ રહેશે.

e.mail :maheriyachandu@gmail.com

Loading

અકાદમી અને પરિષદ સાહિત્યિક સંસ્થાઓ હોય તો તે એકબીજાથી વિમુખ ન હોવી જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 March 2025

રવીન્દ્ર પારેખ

મુખ્ય મંત્રીથી માંડીને વડા પ્રધાન સુધીનાં પદો ચૂંટણીથી નક્કી થતાં હોય ને અકાદમીના અધ્યક્ષ ઉપરથી ગોઠવી દેવામાં આવે એ લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ છે. સરકાર પોતે ચૂંટણીથી અસ્તિત્વમાં આવતી હોય તો સરકારની અકાદમીના અધ્યક્ષ નિયુક્તિથી આવે તે બરાબર નથી. 1905માં, ગુલામી કાળમાં સ્થપાયેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું માળખું લોકશાહી ઢબનું હોય ને 1981માં બનેલી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું માળખું સ્વાયત્ત ન હોય એનો સરકારને રંજ હોવો જોઈએ, તે પણ એક કાળે અકાદમી સ્વાયત્ત રહી ચૂકી હોય ને તે પછી સ્વાયત્તતાનો ઉલાળિયો થઈ ગયો હોય ત્યારે તો ખાસ ! ખરેખર તો રાજ્યની તમામ સાહિત્યિક, કલાકીય સંસ્થાઓએ આનો જાહેર વિરોધ કરવો જોઈએ, પણ કમભાગ્યે એનો વિરોધ એકલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ જ કરે છે. અકાદમી સ્વાયત્ત હતી ત્યારે ને તે પછી પણ પરિષદ અને અકાદમી વચ્ચે મેળ હતો, તે એ રીતે પણ કે ‘દર્શક’ અને ભોળાભાઈ પટેલ અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા હતા, એટલું જ નહીં, એ બંને પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. અકાદમી સ્વાયત્ત હતી ને તેનાં બંધારણ મુજબ સામાન્ય સભાના 41 સભ્યોની મતદાન પ્રક્રિયા દ્વારા અધ્યક્ષ ચૂંટી શકાતા હતા, પણ 2003થી 2015 સુધી એવું રહ્યું કે સરકાર દ્વારા થવી જોઈતી ચૂંટણી પ્રક્રિયા થઈ જ નહીં. છે ને કમાલ, બાર વર્ષ સુધી સાહિત્ય અકાદમી અધ્યક્ષ વગર જ ચાલી.

એ દરમિયાન પરિષદ પોતાની રીતે સક્રિય રહી. એમાં પણ અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો ક્યારેક આવનારા પ્રમુખો પર પણ નિર્ભર રહ્યો. કેટલાક પ્રમુખોએ અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો કેન્દ્રમાં રાખીને પરિષદની નીતિરીતિ નક્કી કરી, પણ 2015માં સરકારે સીધી જ નિવૃત્ત સનદી અધિકારીને પ્રમુખ તરીકે નિયુક્ત આપી. આ ઠીક ન થયું. ખાનગી સંસ્થાઓમાં પણ પ્રમુખ, મંત્રી ચૂંટાઈને આવતા હોય તો સરકાર અકાદમીના અધ્યક્ષને ઠઠાડી દે એ તો કેમ ચાલે? ન ચાલે, પણ દસેક વર્ષથી ચાલે છે. દેખીતું છે કે પરિષદને આ ન રુચે.

2007ની આસપાસ પરિષદ પ્રમુખ નારાયણ દેસાઇએ 2003થી અકાદમી અધ્યક્ષ વગર જ ચાલે છે એ બાબતે જાહેરમાં સૌનું ધ્યાન ગાંધીનગરમાં જ દોર્યું હતું. એ પછી પરિષદ પ્રમુખ ભગવતીકુમાર શર્માની રાહબરી હેઠળ રઘુવીર ચૌધરી, વિનોદ ભટ્ટ, રવીન્દ્ર પારેખ, જનક નાયક તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે રૂબરૂ મળ્યા. તેમણે આશ્વસ્ત તો કર્યા, પણ પરિણામ ન આવ્યું. તે પછી પણ અકાદમીની સ્વાયત્તતા માટે ધીરુ પરીખ, ચંદ્રકાંત ટોપીવાળા, નિરંજન ભગત, સિતાંશુ મહેતા, પ્રકાશ ન. શાહ, હર્ષદ ત્રિવેદી સુધીના પ્રમુખોએ સતત પ્રયત્નો કર્યા, પણ પરિણામ ન મળ્યું. ધીરુ પરીખ અને અન્ય લેખકોએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરેલી, પણ સરકારનું રૂવાડું આજ સુધી ફરક્યું નથી તે હકીકત છે. આટલા પ્રયત્નો પછી અકાદમીને તો બહુ અસર નથી થઈ, પણ પરિષદને ઘણી અસર થયેલી દેખાય છે.

પરિષદે અકાદમીનો વિરોધ કરવા જે રીતો અપનાવી તેનાથી અકાદમીની તો કાંકરી ય નથી ખરી, પણ પરિષદની શાંતિ ને સ્થિરતા જરૂર દાવ પર લાગી છે. અકાદમી સાથેના અસહકારમાં અકાદમીના કાર્યક્રમોનો બહિષ્કાર, તેનાં મુખપત્રનો નકાર, પારિતોષિકોનો અસ્વીકાર જેવા ઘણા પ્રયત્નો પરિષદે કર્યા, પણ એથી અકાદમી નિયંત્રિત થવાને બદલે, પરિષદ વધુ ને વધુ સંકીર્ણ થતી ગઈ, તે ત્યાં સુધી કે ગૂજરાત વિદ્યાપીઠે યોજેલી ચિનુ મોદીની શોકસભામાં પરિષદે એટલે બહિષ્કાર કરેલો કે એમાં અન્ય સંસ્થાઓની સાથે અકાદમી પણ સામેલ હતી. આ અભિગમ માનવીય ન હતો.

પરિષદના કેટલાક હોદ્દેદારોએ કે સભ્યોએ અકાદમીના કાર્યક્રમોમાં હાજરી આપવાનું પણ બન્યું ને એનું પરિણામ એ આવ્યું કે નક્કી થયેલી નીતિ મુજબ એવા સભ્યોએ પરિષદ છોડવી પડી, તો કેટલાકને પરિષદ છોડાવવી પડી. આવી નીતિને કારણે કેટલાક અન્ય રીતે સક્ષમ લેખકો, કવિઓ, વિવેચકો ગુમાવવાનું બન્યું. એક વસ્તુ સ્પષ્ટ છે કે પરિષદમાં આવતા હોદ્દેદારો કે મધ્યસ્થ સમિતિના સભ્યો લોકશાહી ઢબે ચૂંટણી જીતીને આવે છે, તેમને આવા અવ્યવહારુ નિયમોને કારણે પરિષદ છોડવાનું કહેવું લોકશાહીની વિરૂદ્ધ છે. અકાદમીના કાર્યક્રમોમાં જવું એ બિનસાહિત્યિક પ્રવૃત્તિ નથી કે સભ્યોને ચૂંટણી જીતવા છતાં, પરિષદ છોડવાની ફરજ પડે. અકાદમીના પુરસ્કારો સંદર્ભે પણ પરિષદની નીતિ સ્પષ્ટ નથી રહી. કેટલાક સર્જકોને અકાદમીના પારિતોષિકો કે માન-સન્માન પરત કરવાની ફરજ પડી, તો કેટલાકે ગજવે પણ ઘાલ્યાં ને તેમનો વિરોધ ન થયો.

અકાદમીમાં જવું જો પરિષદ માન્ય પ્રવૃત્તિ ન હોય તો અકાદમીમાં પ્રમુખ રહી ચૂકેલા કે અકાદમીમાં મહામાત્ર રહી ચૂકેલા મહાનુભાવો પરિષદમાં પ્રમુખ કે સંપાદક હોય તે પણ નભવું ન જોઈએ. તાજો જ દાખલો હર્ષદ ત્રિવેદી અને કિરીટ દૂધાતનો લઈએ. અકાદમીમાં સફળતાપૂર્વક મહામાત્રની ભૂમિકા બંને મિત્રોએ બજાવી છે. હર્ષદ ત્રિવેદીએ તો ‘શબ્દસૃષ્ટિ’ના અનેક સ્વરૂપોમાં યાદગાર વિશેષાંકો આપ્યા છે ને બંને અત્યારે પરિષદમાં પણ સફળતાપૂર્વક અનુક્રમે પરિષદ પ્રમુખની ને ‘પરબ’ના સંપાદકની ભૂમિકા ભજવી રહ્યા છે, તો તેઓ અગાઉ અકાદમીમાં હતા એટલે જ તેમની અવગણના કરીશું? એ યોગ્ય ખરું? પરિષદના પૂર્વ પ્રમુખ, જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત ગુજરાતીના સર્જક, પદ્મશ્રી રઘુવીર ચૌધરી પરિષદના એક ટ્રસ્ટી પણ છે. તેઓ અકાદમીનાં નિમંત્રણથી સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેટલા માત્રથી તેમનો વાંધો ઉઠાવવાનું યોગ્ય ગણાય કે પરિષદના હોદ્દેદાર તરીકે અકાદમીમાં ઉપસ્થિત રહીને પરિષદનું માન વધારે તે યોગ્ય ગણાય તે વિચારાવું જોઈએ.

પરિષદે એ પણ જોવાનું રહે કે પરિષદના હોદ્દેદારો ને સભ્યો પરિષદના પગારદાર નોકરો નથી. ઘણા સભ્યો પરિષદ ઉપરાંત સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. એ સંસ્થાઓ અકાદમીની સહાયથી સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી હોય ને એ સંસ્થાના સભ્યો પરિષદ સાથે પણ સંકળાયા હોય ને પરિષદે અકાદમીના બહિષ્કારનો કાર્યક્રમ આપ્યો હોય તો તે કયા જોર પર અકાદમીનો બહિષ્કાર કરશે, જ્યાં તેની સંસ્થા અકાદમીની સહાય મેળવવા વિવશ હોય? પરિષદે પોતે અકાદમીની ઘણી મદદ સ્વીકારી હોય તો તે બીજી સંસ્થાને બહિષ્કારને નામે અકાદમીની સહાય ન સ્વીકારવાનું કહી શકશે?

કોણ જાણે કેમ પણ પરિષદનો સ્વાયત્તતા સંદર્ભે અકાદમીનો વિરોધ ઘણું ખરું તો પરિષદ પૂરતો ને પરિષદમાં જ રહ્યો છે. આ સ્થિતિ જાહેર વિરોધમાં પરિણમવી જોઈએ ને વિરોધ સરકાર સુધી પહોંચવો જોઈએ, પણ તેવું ઓછું જ થયું છે. પરિષદે સમય માંગીને સરકાર સાથે મીટિંગ કરીને સ્વાયત્તતાનું કોકડું ઉકેલવું જોઈએ. આ લખનારે પરિષદ ઉપપ્રમુખ તરીકે અન્ય ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ સાથે તે વખતના મંત્રી નાનુ વાનાણીને મુખ્ય મંત્રી સાથે મુલાકાત ગોઠવવા સંમત કર્યા, તો તે વખતના પરિષદ પ્રમુખે રાજેન્દ્ર પટેલને મંત્રીને મળવાની જરૂર ન હતી, એમ કહીને મુખ્ય મંત્રીની સંભવિત મુલાકાત પર પડદો પાડી દીધો. એ પછી સરકારને મળવાનો પ્રયત્ન પરિષદે કર્યો હોય તેવો ખ્યાલ નથી. પરિષદના પ્રયત્નો ટાંચા પડતા હોય એવું ખરું કે કેમ? એનો અર્થ જરા ય એવો નથી કે આ લખનારને અકાદમીની સ્વાયત્તતા ખપતી નથી, પણ પરિષદ ઘર બાળીને તીરથ ન કરે એટલી અપેક્ષા તો રહે જ છે.

અકાદમીની સ્વાયત્તતા માટે સરકાર ઉત્સુક નથી એ દુ:ખદ છે. આમ તો કેન્દ્રીય સાહિત્ય અકાદમી સરકારની ગ્રાન્ટ લે છે, તે સિવાય તેનું માળખું સ્વાયત્ત છે, એ સાથે જ રાજ્યોની અકાદમીઓ સ્વાયત્ત નથી, એ પણ ખરું. મહારાષ્ટ્ર, બંગાળ, કન્નડ … સાહિત્ય અકાદમીઓને સ્વાયત્ત કરવા જે તે રાજ્યના સર્જકો પ્રયત્ન કરે છે કે આ વિરોધ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પૂરતો જ છે, તેની તપાસ થવી ઘટે. એનો અર્થ એવો નથી કે પરિષદે અકાદમીની સ્વાયત્તતા માટે પ્રયત્ન ન કરવો. કરવો, પણ અન્ય રાજ્યોના સર્જકોને અકાદમીની સ્વાયત્તતા વગર કેમ કોઈ ફરક નથી પડતો કે તેમની પાસે અન્ય વિકલ્પો છે, તેની તપાસ થવી ઘટે. એ રીતે તો ગુજરાતની સાહિત્ય અકાદમી પ્રકાશન, પુરસ્કાર અને પારિતોષિકની પ્રવૃત્તિ કરી રહી છે તે આશ્વસ્ત કરનારી ઘટના છે.

અકાદમીની સ્વાયત્તતા તો આવતાં આવશે, પણ પરિષદની સ્વાયત્તતા દાવ પર ન લાગે એટલે પણ પરિષદનાં ધારાધોરણો વધુ માનવીય અને વ્યવહારુ બને એ અપેક્ષિત છે. કમ સે કમ અકાદમીના બહિષ્કાર કે અસ્વીકારની બાબતે પરિષદ પુનર્વિચાર કરી, પ્રચંડ વિરોધ સરકાર સુધી કઈ રીતે પહોંચે એ અંગે ગંભીરતાથી વિચાર કરી શકે. પરિષદનો વિરોધ કુલડીમાં ગોળ ભાંગવા જેવો ન હોવો જોઈએ. અકાદમીની સ્વાયત્તતા પરિષદને ખાલી કરાવનારી પ્રવૃત્તિ બનતી હોય તો નક્કી ધારાધોરણો સંદર્ભે ફેર વિચારણા કરવાની રહે. અકાદમી અને પરિષદ ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ છે. બંને વચ્ચે અંટસ હોય એમાં હાનિ સાહિત્યની છે ને એ ન થાય એટલું બંને સંસ્થાઓએ જોવાનું રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 માર્ચ 2025

Loading

હોળીનો  રંગ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|14 March 2025

આજે હોળી છે; સૌ કોઈને કોઈ રંગ લઈને એક બીજા સાથે હોળી રમવા થનગની રહ્યા છે; પણ એક વાતનો સૌને રંજ છે કે છેલ્લાં પંદર વર્ષથી અમૂખલભાઈ અને મીનાબહેનનું ઘર હોળીનાં બે દિવસ બંધ હોય છે, એમ આજે પણ ઘર અંદરથી બંધ છે. દર વર્ષની જેમ આ હોળીમાં પણ અમૂલખભાઈ અને મીનાબહેને બે દિવસ ઘરમાં પુરાઈને પોતાની જાતને કેદ કરી દીધી છે; નથી હોળી રમવા આવતાં કે નથી કોઈ સાથે વાત કરતાં. સોસાયટીવાળા અમૂલખભાઈ અને મીનાબહેનનાં ગૃહકેદનું કારણ જાણે છે, એટલે તેમને કોઈ દુઃખ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખે છે. તેમ જ તેમના ઘર પાસે પણ કોઈ હોળી રમીને ધમાલ કરતાં નથી.

અમૂલખભાઈ અને મીનાબહેને સોસાયટીમાં આજથી બાવીસ વર્ષ પહેલાં મકાન ખરીદ્યું હતું. મળતાવડા સ્વભાવ અને મદદ કરવાની ટેવથી સોસાયટીમાં બધાંની સાથે હળીમળી ગયાં હતાં. વળી બંને હોળી રમવાનાં અને લોકોને હોળી રમાડવાનાં ભારે શોખીન હતા. હોળીનાં દિવસે તો તેનું ઘર સપ્તરંગોથી ભરાઈ જતું આખી સોસાયટીનો ભોજન સમારંભ પણ તેને ત્યાં જ હોય. પંદર વર્ષ પહેલાં આવો જ હોળીનો તહેવાર હતો; બધા હોળી રમવામાં મશગૂલ હતા ને કોઈક વાહન અમૂલખભાઈનાં પાંચ વર્ષના નીરવને ઠોકર મારી જતું રહ્યું; માથામાં અને શરીર પર ઠેકઠેકાણે ખૂબ જ ઈજાઓ થઇ હતી. તરત જ હોસ્પિટલ લઈ ગયા પણ વિધિનો ક્રૂર પંજો ફરી વળ્યો; નીરવને ન બચાવી શકાયો. ત્યારથી અમૂલખભાઈ અને મીનાબહેન હોળીનાં બે દિવસ પોતાની જાતને ઘરમાં કેદ કરી દેતાં હતાં. લોકોથી, સમાજથી અલિપ્ત થઇ પોતાના દુઃખને બંને સહન કરી લેતાં હતાં.

સોસાયટીમાં એક યુવાન ચાર મહિનાથી રહેવા આવ્યો હતો. નામ પણ નીરવ હતું. તેણે જોયું કે અમૂલખકાકા અને કાકી ક્યાં ય બહુ ભળતાં નથી, કામથી કામ રાખે છે. નીરવને અમૂલખકાકામાં રસ પડ્યો; તેણે માહિતી મેળવી અને સમજી ગયો કે કાકા તેના મૃતપુત્ર નીરવનાં શોકમાંથી હજી બહાર આવ્યા નથી, બાકી માહિતી મળી એ પ્રમાણે માણસ ઉમદા છે.

નીરવે વિચાર્યું હું અનાથ છું અને અનાથાશ્રમમાં મોટો થયો છું. મારી ઉપર ક્યાં માબાપની છત્રછાયા છે. નીરવે મનમાં એક સંકલ્પ કર્યો કે આ હોળીમાં અમૂલખકાકા અને કાકીનું પુત્રવિયોગનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ. નીરવના મનમાં પ્રશ્ન ઊભો થયો કે મારા નિર્ણયથી કાકાકાકીના મનને ઠેશ તો નહીં પહોચે ને? વળી, મનમાં પ્રશ્ન થયો પ્રયત્ન કરવામાં શું વાંધો છે ? હું કાકાકાકીનું મન ન દુભાય તેનું પૂરતું ધ્યાન રાખીશ. કાકાકાકી મારી વાત પર ધ્યાન આપે, તેવી વંદન કરીને વિનંતી કરીશ. મને ઈશ્વરે જ આ તક આપી છે. મારે ખરા મનથી પ્રયત્ન કરવો જોઈએ. અંતે નીરવે પોતાનો નિર્ણય અમલમાં મુકવાનું નક્કી કરી અમૂલખભાઈ ઘરે ગયો.

“કાકા, બારણું ખોલો.”

“કોણ છે?”

“હું, નીરવ.”

અમૂલખભાઈએ મીનાબહેન સામે જોયું. બંને નીરવ નામ સાંભળી ચમકી ગયા. આ પહેલાં આવો અનુભવ ક્યારે ય થયો નહોતો. અમે નામ તો બરોબર સાંભળ્યું છેને; નીરવ, નીરવ અહીંયા ક્યાંથી હોય? નીરવને તો મૃત્યુ પામ્યા પંદર વર્ષ થઈ ગયાં.અમને નીરવના નામનો ભાસ થયો છે. અમૂલખભાઈએ બારણું ન ખોલ્યું.

ફરીથી બારણું ખખડ્યું, “કાકા, હું નીરવ છું અને તમારી સોસાયટીમાં રહું છું.”

“અમે આ હોળીના બે દિવસ બહાર નથી નીકળતાં; તારે અમારું શું કામ છે? કોઈ કામ હોય તો બે દિવસ પછી આવજે.” 

“કાકા, બારણું ખોલો તો ખરા; હું તમને કોઈ તકલીફ કે મુશ્કેલી ઊભી નહીં કરું; ફક્ત પાંચ મિનિટ માટે તમારું બારણું ખોલો, મારે તમારાં દર્શન કરવાં છે.”

અમૂલખભાઈએ ભારે હૃદયે બારણું ખોલ્યું. નિરવ હાથમાં લાલરંગ લઈને ઊભો હતો. અમૂલખભાઈના ચહેરા ઉપર ગુસ્સો આવી ગયો. બારણું બંધ કરવા હાથ લંબાવ્યો.

“કાકા, મારી એક વાત સાંભળો; પછી તમે યોગ્ય લાગે તો મને ધક્કો મારી બારણું બંધ કરી દેજો. હું ચાલ્યો જઈશ.”

“કાકા, હું અનાથ છું. અનાથાશ્રમમાં મોટો થયો છું. મારાં માતાપિતા કોણ છે, એ મને ખબર નથી. અનાથાલયે મને ઉછેરી ભણાવી-ગણાવી મોટો કર્યો છે. મને સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ છે; પગાર પણ સારો છે. હું અનાથાશ્રમનું ઋણ ભૂલ્યો નથી. શહેરમાં જોબ મળવાથી ચાર મહિના પહેલાં આ સોસાયટીમાં રહેવા આવ્યો છું. મેં તમારી વિશે વાત જાણી. મારા મનમાં વિચાર આવ્યો કે અમૂલખકાકાને તેના દીકરા નીરવનાં મૃત્યુનું દુઃખ છે; મારે માતાપિતાની છત્ર છાયા નથી. હું અમૂલખકાકાના નીરવને પાછો તો ન લાવી શકું પણ નીરવ બની માતાપિતાની છત્રછાયા તો મેળવી શકું. આ વિનંતી લઈ તમારી પાસે આવ્યો છું. આ બાબતે તમને જે યોગ્ય લાગે તે કહો. હું આજ પછી તમારી પાસે વિનંતી લઈને ક્યારે ય નહીં આવું.” નીરવની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

નીરવે કહ્યું, “કાકા મારા હાથમાં લાલ રંગ છે. લાલરંગ ગુસ્સાનું પ્રતીક છે સાથે સાથે પ્રેમ અને શુભદાનું પણ પ્રતીક છે. મેં મારી વાત આપણે જણાવી દીધી. હું નિર્ણય આપની ઉપર છોડું છું.તમારો જે કંઈ નિર્ણય હશે, એ મને માન્ય છે.”

અમૂલખભાઈ અને મીનાબહેનની આંખો ચોધાર આસુથી વહી રહી હતી. નીરવના હાથના ખોબામાં રહેલા લાલરંગમાં આસું ભળી રહ્યાં હતાં. અમૂલખભાઈએ પોતાનાં આસું અને લાલરંગ મેળવી જમણા હાથના અંગૂઠાથી નીરવના કપાળમાં તિલક કર્યું. મીનાબહેને પણ તિલક કરી દુઃખણાં લીધાં. નીરવે બંનેનાં ગાલ પર હળવેથી આંગળાંથી લાલરંગ લગાડી પગે લાગી કહ્યું, “આજથી હું આપ બંનેને મારા માતાપિતાનું સ્થાન આપું છું. સદા ય તમારી સાથે રહીશ, એવું વચન આપું છું.”

સોસાયટીનાં બધાં લોકો અમૂખલભાઈને ઘરે એકઠા થઈ ગયાં હતાં. બનતા બનાવનાં સાક્ષી બનીને ઊભા હતાં. બધાંની આંખમાંથી ખુશીનાં આસુંઓ વહી રહ્યાં હતાં.

અમૂલખભાઈ, મીનાબહેન અને નીરવ બહાર આવ્યાં. બધાં એ ત્રણેયને હર્ષનાદ અને તાળીઓથી વધાવી લીધાં.

અમૂલખભાઈએ કહ્યું, “આજે મને મારો નીરવ પાછો મળી ગયો છે. આજે પહેલાંની જેવી જ હોળીનું આયોજન કરો. વિવિધ રંગોને ગુલાલ ઉડાડો. રંગની છોળોથી સોસાયટીને રંગી નાખો. ભોજન સમારંભનું આયોજન પણ અહીં જ કરો. પહેલાં જેવો જ ઉત્સવ મનાવો. આજે અમે બહુ જ ખુશ છીએ. તમને બધાંને અમારી ખુશીમાં ભાગીદાર થવાનું આમંત્રણ આપું છું.”

આખી સોસાયટી હિલોળે ચડી ગઈ. અમૂલખભાઈ, મીનાબહેન અને નીરવની ખુશીમાં સામેલ થઈ સપ્ત રંગે રંગાઈ ગઈ.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...405406407408...420430440...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved