બડેદાદા ગુરુદેવ રવીન્દ્રનાથના સૌથી મોટાભાઈ. એટલે કુટુંબ-પરિવારમાં, મિત્રમંડળમાં અને શાંતિનિકેતનમાં સહુ તેમને ‘બડો દા'(બડેદાદા)ના વહાલસોયા નામે બોલાવતા. બાળક જેવું નિર્દોષ, નિર્મળ, પવિત્ર અને ભોળું એમનું હૃદય; એમની ચેતના સમુદ્ર જેવી શાંત ગંભીર હતી. બડેદાદા સાચે જ પ્રજ્ઞાવાન પુરુષ હતા. હિન્દુ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રોનો એમનો અભ્યાસ તલસ્પર્શી અને ઊંડો હતો. પ્રકાંડ પંડિત હોવા છતાં હંમેશાં ફૂલ શા હળવા અને પ્રફુલ્લ રહેતા. જ્ઞાન ગુમાનની ગાંસડી એમણે ક્યારે ય શિરે નહોતી ઉપાડી. એમનું વ્યક્તિત્વ પ્રાચીન ઋષિઓ જેવું હતું. પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ એમના હેતાળ હૈયાને પારખી ગયેલાં – ચકલાં, ખિસકોલાં તો નિર્ભયતાથી પોતાના માળામાં રમતાં હોય એમ, બડેદાદાના શરીર પર આવીને બેસતાં, ગેલ કરતાં!
બડો દા’નું પૂરું નામ દ્વિજેન્દ્રનાથ ઠાકુર (ટાગોર). બાપુ પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ અને આદર હતો. બાપુના અવતારકાર્યને એ દૃષ્ટા ઋષિએ ઓળખી લીધું હતું. ભારતની જ નહીં, પણ સમસ્ત માનવજાતની મુક્તિનો મંત્ર બાપુની સાધનામાં એમણે જોઈ લીધો હતો.
બાપુ પ્રથમ વાર શાંતિનિકેતન ગયા ત્યારે એમણે પહેલી જ વાર બડેદાદાના દર્શન કર્યાં. ત્યારે બાપુએ કહેલું : ‘ભારતવર્ષના પ્રાચીન ઋષિની જીવન્ત મૂર્તિ આજે મને જોવા મળી ! આજ સુધી મેં કેવળ પુસ્તકોમાં જ વાંચેલું. જે પશુ પંખીઓ માત્ર અવાજ સાંભળીને ભયથી નાસી છૂટે છે તેઓ બડેદાદા પાસે પ્રેમથી આવીને ખેલકૂદ કરે છે! મૈત્રી અને પ્રેમની જ આ લીલા છે!’
બાપુએ જ્યારે એમને ‘બડો દા’ !’ કરીને બોલાવ્યા ત્યારે તેઓ ખૂબ હસ્યા. પછી બાપુને કહ્યું : “તમે વયમાં મારાથી નાના છો પણ કર્મે મારાથી શ્રેષ્ઠ છો. તમે તો અનંત ગુણવાળા મોહન કૃષ્ણ છો, જ્યારે હું તો તમારો ગુણહીન ગાંડો બલરામ દાદા છું! પણ હું તમને ચાહીશ. દુઃખની વાત છે કે હવે હું ઘરડો થવા લાગ્યો છું. તમારી સાધનાની સિદ્ધિ જોવાનું મારા નસીબે નથી લખાયું, એટલે નહીં જોઈ શકું. પણ એટલું તો હું આજે અત્યારે ય જોઈ શકું છું; કે દરેક યુગમાં જે મહાન ઋષિમુનિઓ થઈ ગયા છે તેમની જ પરંપરામાં તમે આવો છો. ભીષ્મ, વિદુર, મહાવીર, બુદ્ધ, કબીર, તથા નાનક જેવા મહાપુરુષો આ જ રસ્તે ગયા છે. આ સાધકોની ધારા લાંબા કાળથી અણખૂટ વહી છે. એ ધારા સુકાવા આવી હતી ત્યાં તમે આવી એને ઝડપથી વહેતી કરી દીધી છે. ભારતની એ શાશ્વતધારાને અખંડિત રાખવાનો પુરુષાર્થ એ જ તમારું અવતારકાર્ય છે.
આમ શ્રેષ્ઠ તો તમે જ છો. પણ જ્યેષ્ઠ તો હું જ છું. તમે મને ‘બડેદાદા’ કહો છો એટલે મોટાભાઈના નાતે આશીર્વાદ આપું છું કે તમારી સાધના અમર તપો! ભારત આઝાદ થશે તે પછી પણ તમારી સાધનાની દેશને જરૂર રહેશે જ.”
દ્વિજેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ ઠાકુર
બડેદાદાને સૌથી નાનાભાઈ રવિ – રવીન્દ્રનાથ ઠાકુર પર ખૂબ જ વહાલ. કવિ વિશ્વપ્રેમના સિદ્ધાંતનો પ્રચાર કરતાં તેની તેમને જાણ હતી. છતાં બાપુની જીવનદૃષ્ટિ અને યુગકાર્યમાં બડો દા’ને અનન્ય શ્રદ્ધા-ભક્તિ હતી. કવિ જ્યારે સિદ્ધાંતની બાબતમાં બાપુથી જુદા પડતા ત્યારે બડેદાદાને દુઃખ થતું. બાપુના અસહકાર આંદોલન સાથે જ્યારે કવિ સંમત ન થયા ત્યારે બડેદાદાને ખૂબ જ દુઃખ થયેલું. એમણે તો બાપુને એક ગુપ્ત કાગળ પણ લખ્યો : “રવિ ખોટે માર્ગ જઈ રહ્યો છે. જ્યારે ભારતમાતા પોતાના નવા પુત્ર ‘સ્વરાજ’ને જન્મ આપવા પ્રસૂતિ પહેલાંની પીડા સહન કરી રહી છે; ત્યારે રવિ ગાવા-બજાવવામાં રત છે. તે વિશ્વબંધુત્વના વૃક્ષની ડાળો પર પાણી છાંટી રહ્યો છે, પણ એનાં મૂળ તો પાણીના અભાવે સૂકાઈ રહ્યાં છે ! હું હાર્દિક રીતે દુઃખી છું. તમે જ મારી આશાના ધ્રુવતારક છો. ઈશ્વર તમારા પર અહોર્નિશ આશીર્વાદ વરસાવતા રહો!”
બાપુ ગુરુદેવની વિશ્વવ્યાપી પ્રતિભાને બરાબર જાણતા હતા. ક્ષુદ્ર રાગદ્વેષથી પર એવા એમના ઉદાર હૃદયને ઓળખતા હતા. તેથી એમણે બડેદાદાને વળતા જવાબમાં લખ્યું કે, “આપ રવિબાબુ વિશે ચિંતા ન કરશો. તેઓ જે કંઈ લખે છે તે સદ્ભાવથી લખે છે. હું તેમને મળીશ ત્યારે આ અંગે વાતચીત કરીશ.”
સ્વાભાવિક ભોળપણને કારણે બડેદાદા એમ જ માનતા કે નાના રવિમાં જરૂરથી વધારે ઉત્સાહ અને કલ્પનાશક્તિ છે; અને તેને પ્રસંગોપાત નિયંત્રણમાં રાખવાની જરૂર છે! એક દિવસ સવાર સવારમાં કવિને બોલાવીને ઠપકો આપતા કહેવા લાગ્યા : “રવિ, તારી સંસ્થાને ગાંધીજીને કેમ સોંપતો નથી? ભારતને એમણે જે રીતે જાગ્રત કર્યું છે તેમ તો તું ક્યારે ય કરી શકવાનો નથી.” એ જ દિવસે સાંજે વળી એમને ડંખવા લાગ્યું કે રવિને સવારમાં નકામો ઠપકાર્યો! એમણે વિચાર્યું કે સમસ્ત સંસ્કૃતિઓનું આતિથ્ય કરવાનો રવિનો આદર્શ તો બહુ જ ઊંચો છે, પણ એ આદર્શને સમજનારાં કેટલાં? એ આદર્શ સુધી પહોંચતા દેશને યુગો લાગશે. વળી રવિની તબિયત પણ હમણાં સારી રહેતી નથી. એ પ્રવૃત્તિનો ભાર ઉપાડી શકે એમ નથી એ જ વસ્તુ ચિંતાજનક છે.
26મી નવેમ્બર 1925ના રોજ બડેદાદાનું અવસાન થયું ત્યારે બાપુએ ‘યંગ ઈન્ડિયા’માં એમને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું : ‘બડેદાદા ચાલ્યા ગયા.’
આવા હતા બાપુના બડેદાદા.
06 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 304