Opinion Magazine
Number of visits: 9664753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંધારી રાતના મુસાફર

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|30 January 2025

ઇશાંત પોતાની મિટિંગ પતાવી કારમાં ઘરે જઈ રહ્યો હતો. આજે મિટિંગ લાંબી ચાલી હતી અને મિટિંગ પૂરી થયા પછી ડિનર હતું. આ બધું પૂરું થતાં થતાં રાતના અગિયાર વાગી ગયા અને ઘરે પહોંચતા એક વાગી જશે એવી ઇશાંતની ગણતરી હતી. ઇશાંતને જતાં સમયે તો સ્ટાફની કંપની હતી, પણ વળતા એકલાએ જ પાછા ફરવાનું હતું એટલે મસ્તીથી ગીતો સાંભળતો સાંભળતો, મોબાઇલ ઉપર વાત કરતો કરતો કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. અચાનક તેને રોડના કિનારે દૂર કોઈ હાથથી હલાવી કાર રોકવાનું કહેતું હોય એમ લાગ્યું. ઇશાંતે કાર ધીમી કરી ઊભી રાખી તો એક ખૂબસુંદર, મદમસ્ત, યૌવનથી ભરપૂર અને ખુશ્બૂ ફેલાવતી યુવતી ઊભી હતી.

ઇશાંતે કાર ઊભી રાખી પૂછ્યું, “તમે કાર ઊભી રાખવા માટે જ હાથ હલાવતા હતાં?”

“હા, મારી કાર બગડી ગઈ છે, મારે વડોદરા જવું છે, કારમાં લિફ્ટ આપશો?” 

ઇશાંત યુવતીની મોહકતાથી મુગ્ધ થઈ ગયો હતો, ના, ન પાડી શક્યો. ઇશાંતે હાથથી કારમાં બેસવા કહ્યું, યુવતી આગળની સીટનો દરવાજો ખોલી બેસી ગઈ.

“આપનો ખૂબ ખૂબ આભાર.” 

“મારુ નામ ઇશાંત છે મારે પણ વડોદરા જ જવાનું છે. આપનું નામ?”

 “મારું નામ મેઘા શર્મા છે. હું ડૉક્ટર છું અને હું પણ એક સેમિનારમાં ગઈ હતી.”

“ઇશાંતજી, આગળ હાઈવે ઉપર હોટલ છે ત્યાં કોફી પીવાની ઈચ્છા છે, આપણે ત્યાં રોકાશું?” ઇશાંત ના, ન પાડી શક્યો, વચ્ચે મમ્મીનો ફોન પણ આવી ગયો, “બેટા બહુ મોડું થયું, ક્યાં છો?” “બસ, રસ્તામાં છું, આજે મિટિંગ બહુ લાંબી ચાલી અને રસ્તા ઉપર ટ્રાફિક છે એટલે ઘરે પહોંચતા મને વાર લાગશે. તમે ચિંતા ન કરતા.” મેઘાએ ઇશાંત સામે જોયું. મેઘા મંદ મંદ હસતી હતી એ ઇશાંતે જોયું.

“ઇશાંતજી, આગળ જતાં શર્મા ફાર્મહાઉસ આવશે ત્યાં રોડ ઉપર કાર ઊભી રાખજો, હું એ ફાર્મહાઉસમાં રહું છું. તમને અત્યારે ફાર્મહાઉસમાં આવવાનું આમંત્રણ આપત, પણ બહુ મોડું થયું છે અને તમારી મમ્મી ચિંતા કરતા હશે.” ઇશાંતે શર્મા ફાર્મહાઉસના બોર્ડ પાસે કાર ઊભી રાખી. મેઘા ઉતરી ગઈ. ઇશાંતે પાછળ ફરીને જોયું પણ મેઘા ન દેખાઈ, ઇશાંતે ધ્યાન આપ્યા વગર કાર દોડાવી મૂકી, કારણ કે તેને ખબર હતી મમ્મી જાગતી હશે અને ચિંતા પણ કરતી હશે.

ઇશાંતના મનમાંથી મેઘા ખસતી નહોતી. એની માદકતાએ તેને વિહવળ કરી દીધો હતો. મેઘાને મળવાની તીવ્રતા વધતી જતી હતી. અંતે નક્કી કયું મેઘા તો વડોદરા નજીકના શર્મા ફાર્મહાઉસમાં રહે છે, તો આજે જ મળી લઉં.

ઇશાંતે, મેઘાને ગઈકાલની રાત્રીએ જ્યાં ઉતારી હતી ત્યાં પહોંચ્યો, તો ત્યાં ફાર્મહાઉસ કે ફાર્મહાઉસનું બોર્ડ એવું કંઈ નહોતું, ખાલી ખેતર હતું. ઇશાંતને મનમાં થયું કે કદાચ કાલે રાતના હિસાબે મને ઠેકાણું બરોબર યાદ ન રહ્યું હોય, હશે! નસીબમાં હશે તો મેઘાની ફરી મુલાકાત થશે.

આજે પણ ઇશાંતને મિટિંગ પૂરી કરી મોડું નીકળવાનું થયું, અને એ જ જગ્યાએ ફરી મેઘાને ઊભેલી જોઈ. “અરે! તમે? હું તમને મળવા આવ્યો હતો પણ તમારું શર્મા ફાર્મહાઉસ મને ક્યાં ય ન મળ્યું.” 

“હું તો ત્યાં જ રહુ છું, કદાચ તમે ખોટું ઠેકાણું યાદ રાખ્યું હશે.”

“તમારી વાત બરોબર છે એવું બન્યું હશે, આજે ઠેકાણું બરોબર યાદ રાખી લઈશ.”

ઇશાંતે, મેઘાએ કહ્યું ત્યાં જ ઉતારી. આજે તેણે શર્મા ફાર્મહાઉસના બોર્ડને બદલે સામે દેખાતા ઓમ પેટ્રોલ પમ્પનું ઠેકાણું યાદ રાખી લીધું. આજે પણ મેઘા ઉતરી પણ પછી દેખાઈ નહીં. ઇશાંતને આ જરા અજુગતું લાગ્યું. ઇશાંતે નક્કી કર્યું કાલે અહીયાં આવી સાચી અને ચોક્કસ હકીકત જાણીશ.

ઇશાંતે ઓમ પેટ્રોલ પમ્પમાં જઈ પૂછ્યું, “આટલામાં ક્યાં ય શર્મા ફાર્મહાઉસ છે.”

“તમારે શું કામ છે? તમે કોણ છો?”

“મારે ડૉક્ટર મેઘા શર્માને મળવું છે.” 

પેટ્રોલ પમ્પનો માલિક ઇશાંત સામે જોઈ રહ્યો, “તમને કંઈક અનુભવ થયો લાગે છે?” ઇશાંતે બધી વાત કરી.

“અમને પણ ખબર નથી. બધાં વાત કરે છે કે વર્ષો પહેલાં અહીંયાં ક્યાંક શર્મા ફાર્મહાઉસ હતું અને તમારી જેવો અનુભવ ઘણાને થયો છે.”

“કેમ, બેટા ચિંતામાં છો? તબિયત તો સારી છે ને?” ઇશાંતે બધી વાત કરી.

“બેટા એવું તો ઘણી વખત બને છે એ વિશે ઝાઝું વિચારવાનું નહીં અને હવે પછી ધ્યાન રાખવાનું.”

“ભલે, મમ્મી.” ઇશાંતને કહેવાનું મન થયું, `મમ્મી` તું પણ જો એકવાર મેઘાને મળે તો ન ભૂલી શકે તો હું તો તેની માદકતા, મનને તરબોળ કરી દેતી ખુશ્બૂ કેમ ભૂલું! પણ મેઘાને ભૂલવી તો પડશે જ. પણ એ અંધારી રાતની મુસાફર તો યાદ રહેશે જ, કેમ ભૂલું એ માદક અનુભવને….

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com 

Loading

આ મુદ્દે ભા.જ.પી. રાજ્યોનું મૌન મુખર અનુભવાઈ રહ્યું છે  

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 January 2025

શિક્ષણ

સૂચિત યુ.જી.સી. માર્ગદર્શિકા 

શિક્ષણ ક્ષેત્રે  સમવર્તી યાદીને ધોરણે વિશેષ વિચારણા જરૂરી છે અને  અધ્યાપક મંડળોએ  આનુષંગિક મુદ્દાઓની ચર્ચામાં વ્યાપક નાગરિક  સમાજને પણ સાંકળવાપણું છે 

પ્રકાશ ન. શાહ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ગાઇડલાઈન્સ (2025) કેન્દ્ર સરકારે જાહેર ચર્ચા માટે રમતી મૂકી પણ પ્રજાકીય સ્તરે, કંઈક અંશે ખુદ શૈક્ષણિક મંડળોમાં પણ તે અંગે વિચારવિનિમયની કોઈ હવા બની હોય એવું કશું કમનસીબે ખુલ્લાણમાં તો વરતાતું નથી. તેલંગણ, તામિલનાડુ અને કેરળમાંથી રાજ્ય સરકારો તરફથી સત્તાવાર ધોરણે જરૂર વિરોધલાગણી પ્રગટ થઈ છે, કેમ કે ભા.જ.પ.શાસિત સરકારોની જેમ એ ઓછેવત્તે અંશે ચૂપ રહેવા બંધાયેલ નથી. 

હાલનું યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન 1956ના કાયદાની અન્વયે રચાયેલું છે. એન.ડી.એ.-2 દરમિયાન કાયદો બદલવાની કોશિશ થઈ હતી પણ તે પડતો મૂકવાની ફરજ પડી હતી. હવે જરા જુદી રીતે કથિત ‘ગાઇડલાઇન્સ’ ઉર્ફે માર્ગદર્શિકાને ધોરણે સરકારે ફેરકોશિશ હાથ ધરી છે. 

1956ના કાયદા પૂર્વે, મૂળે તો, છેક 1946માં યુ.જી.સી. જેવી રચના જરૂર થઈ હતી પણ તે તો કેવળ ત્રણ કેન્દ્રીય યુનિવર્સિટીઓ – અલીગઢ, બનારસ, દિલ્હી – સંદર્ભે જ હતી. હાલ રાજ્યે રાજ્યે જે સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે તે બધી અલબત્ત કેન્દ્ર સરકારની સીધી પાંખ નીચે છે. પણ શિક્ષણ છેવટે તો રાજ્ય સરકારોનો વિષય છે. આ બંધારણીય વાસ્તવિકતા સ્વીકારી ભારત સરકારે સાતમા શિડ્યુલ અને 246મી કલમને અન્વયે શિક્ષણને ઉભયવર્તી અગર સમવર્તી કહેતાં કન્કરન્ટ લીસ્ટમાં સમાવેલ છે જેથી કેન્દ્ર સરકાર માટે સ્વાભાવિક જ સીધા પ્રવેશની બારી ખૂલી ગઈ છે. 

દેખીતી રીતે જ, સમવર્તી યાદીનો પૂરો લિહાજ કર્યા વિના કેન્દ્ર સરકાર એકપક્ષી ધોરણે આગળ જઈ શકે એવી આ શકયતા છે. પોતે આજે વિવિધ રાજ્યોમાં વ્યાપ્ત કેન્દ્રીય યુનિવર્સિટીઓ પર કેવી રીતે ભોગવી શકે, કંઈક એવી મંછા યુ.જી.સી. ગાડઇલાઇન્સ (2025)માં માલૂમ પડે છે. 

આજે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની નિમણૂક પ્રમાણમાં સ્વતંત્ર સર્ચ કમિટી મારફતે પસંદગીને ધોરણે થઈ શકે (થાય જ એવું નહીં પણ થઈ શકે) એવી શક્યતા છે. ગુજરાતમાં રાજ્યપાલ ચાન્સેલર હોય એવું મોટા ભાગની યુનિવર્સિટીઓમાં છે. ગૂજરાત વિદ્યાપીઠ જેવામાં એવું અનિવાર્ય નહોતું, પણ ચોક્કસ દબાણ હેઠળ એણે રાજ્યપાલની ‘સ્વાયત્ત પસંદગી’ કરી એ વળી એક જુદો જ કિસ્સો છે. જેમ રાજ્યની સાહિત્ય અકાદમી તેમ આ પણ ‘ગુજરાત મોડેલ’નો એક ઓર નાદર નમૂનો છે.

જો કે, આ જ મોડેલ અન્વયે ગુજરાત સરકારે કાનૂની ફેરફાર કરી રાજ્યપાલને મુકાબલે વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં મંત્રીમંડળની ભૂમિકા વધારી દીધી છે. ભા.જ.પ. સરકારે આવો નિર્ણય કેમ કર્યો હશે, એનો જવાબ શોધવો સહેલ છે. જે દસકો કેન્દ્રમાં મનમોહનસિંહની સરકારનો હતો તેમાં યુનિવર્સિટી ક્ષેત્રે રાજ્યપાલની સત્તા ઘટાડી રાજ્યના મંત્રીમંડળની સત્તા વધારવી તે વ્યૂહાત્મક રીતે સલાહભર્યું લાગ્યું હશે. 

કેન્દ્રનું નેતૃત્વ આજે તત્કાલીન મુખ્ય મંત્રી પાસે જ છે, એ સંજોગોમાં વળી રાજ્યપાલોને આગળ કરવું સલાહભર્યું જણાયું હોય એ સ્વાભાવિક છે. પણ રાજકીય પેચપવિત્રાથી હટીને વિચારીએ તો પણ ચર્ચા માટે રમતી મુકાયેલ ગાઇડલાઇન્સ (2025) સામે રાજ્ય સરકારોની વિરોધલાગણી એ મુદ્દે ચોક્કસ હોઈ શકે કે સૂચિત ગાઇડલાઇન્સ મુજબ વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં રાજ્યપાલનો હિસ્સો સર્વાધિક મહત્ત્વનો હોઈ રાજ્યપાલ મારફતે કેન્દ્ર સરકાર સીધી ચિત્રમાં આવે છે અને એ રીતે આપણું સમવાયી માળખું કાગળ પર રહી એકતંત્રી વલણ ભણી ઢળે છે. હાલની કેન્દ્રસ્થ વિચારધારા ‘વન નેશન’ એ તરજ પર સર્વ ક્ષેત્રે ‘વન’-‘વન’ની રીતે વિચારવાની વરતાય છે એ લક્ષમાં લઈએ તો સઘળી યુનિવર્સિટીઓમાં રાજ્યપાલની ભૂમિકા વધારી દઈ કેન્દ્રની સીધી દરમિયાનગીરી શક્ય બને તે એના માનસિક ઢાંચા જો કે પણ બંધબેસતું આવે છે. 

સૂચિત ગાઇડલાઇન્સ મુજબનાં બીજાં ભયસ્થાનો વિશે ઝડપથી થોડી નુક્તેચીની કરી લઈએ તો ફંડિગ માટે કેન્દ્ર સરકાર પરનો આધાર, અંદાજપત્રમાં શિક્ષણખર્ચ પરનો કાપ, કંત્રાટી શિક્ષકોની બેંછૂટ ભરતી, શૈક્ષણિક ક્ષેત્રનાં નહીં એવા ઉદ્યોગકર્મી ને સરકારી વહીવટદારો માટે વાઇસ ચાન્સેલર તરીકે ખૂલતો રસ્તો, તરત સાંભળે છે. ગમે તેમ પણ વધુ ચર્ચા જરૂરી હતી અને છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 જાન્યુઆરી 2025

Loading

મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ – ૪

રામચંદ્ર ગુહા [અનુવાદ : ડંકેશ ઓઝા]|Gandhiana|29 January 2025

આ પહેલાના ત્રણ પ્રકરણો આ લિંક પર જોવાવાંચવા પામીએ :

મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ

મેં મારી વાતની શરૂઆત ભારતીય પર્યાવરણ ચળવળ પર ગાંધીની જે સ્પષ્ટપણે દેખાતી અસર છે તેને સ્વીકારીને તેની ચર્ચાથી શરૂ કરી હતી. તે પછી મેં એ તપાસ આદરી હતી કે ગાંધી આજની નિસર્ગની વિશિષ્ટ સમસ્યાઓને કઈ હદ સુધી કલ્પી શક્યા હતા. પુરાવાઓ દર્શાવે છે કે ગાંધીના વિચારો અને તેમના અનુયાયીઓ – જે.સી. કુમારપ્પા અને મીરાંબહેનના વિચારો આજની પર્યાવરણની ચળવળ માટે પૂરેપૂરા ઉપયોગી છે.

રામચંદ્ર ગુહા

હવે આપણે વ્યાપક રીતે પ્રવર્તમાન એક બીજા વિચાર તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. એ વિચારનાં મૂળિયાં એ વાતમાં પડેલાં છે કે આજની ચળવળ ગાંધીને કેટલી હદે અનુસરી શકે તેમ છે. આ ચળવળના પરિઘ પરનાં જે ઉદ્દામ પરિબળો છે તે કમનસીબે કોઈને સારા અને કોઈને ખરાબ તરીકે ઓળખીને આગળ ચાલે છે. ઉદ્દામ પર્યાવરણવાદી જેટલા ગાંધીને સારા ગણે છે તેટલા જ પ્રમાણમાં નહેરુને ખરાબ ગણે છે. ગાંધીને એક આદર્શ તરીકે ગણાવીને તેનો આદર કરે છે અને તેમને અનુસરે છે. તો વળી એ જ સાથે એ નહેરુને બદનામ કરવા તરફ વળે છે અને એવું કહે છે કે ભારતીય સમાજની પર્યાવરણીય કટોકટી માટે જવાહરલાલ નહેરુ જવાબદાર છે.

ઘણા પર્યાવરણવાદીઓ ખરેખર એવું માને છે કે ગાંધીએ પર્યાવરણ સાથેના વિકાસનું એક સરસ મોડેલ રજૂ કરેલું અને નહેરુએ ગાંધીના આ વૈકલ્પિક માળખાને કચરાપેટીમાં નાંખી દીધેલું. તે પછી સ્વતંત્ર ભારત પર તેમણે મૂડી કેન્દ્રિત પર્યાવરણનો વિનાશ કરતા આર્થિક વિકાસનું મોડેલ લાદેલું. આ વાત તાજેતરમાં ભારતના એક પર્યાવરણવાદીએ પોતાના મુદ્દાને દૃઢતા બક્ષવા કહી હતી જે આજે બ્રિટનમાં રહે છે. એ તો જાણીતું છે કે ગાંધી અલ્હાબાદના નહેરુના પૈતૃક ઘરમાં રોકાયા હતા ત્યારે તેમણે એક સવારે એક ડોલ ભરીને પાણી નહાવા માટે માંગેલું. નહેરુએ એમને બે ડોલ પાણી મોકલ્યું. વળી કહ્યું પણ ખરું કે ગાંધીજી, અલ્હાબાદમાં ગંગા અને યમુના જેવી મોટી બે નદીઓનો સંગમ છે. અહીં પાણીની કદી અછત હોતી નથી.

આ પ્રસંગ દર્શાવે છે કે ગાંધી કેટલા કરકસરિયા હતા અને એમના યજમાન કેટલા ઉડાઉ હતા. ૧૯૪૭ પછી આ જ ઉડાઉપણું નવા રાષ્ટ્રના વિકાસના માર્ગ માટે કઈ રીતે પ્રયોજાયું તે આપણે જોયું છે. જો કે આ વાતનો કોઈ પુરાવો નથી. તે પર્યાવરણવાદીની કલ્પનાનો હોઈ શકે છે. પણ ગાંધીવિચારના પર્યાવરણવાદીઓ આજે પણ આ વાત માને છે. હું આવા બીજા ઘણા દાખલા આપી શકું પણ મારે એવો એક અહીં  આપવો છે. કેટલાંક વર્ષો પૂર્વે એક લેખ પ્રગટ થયેલો. તેમાં એક જાણીતા ભારતીય પર્યાવરણવાદી લેખકે દાવા સાથે કહેલું કે ગાંધીએ વધુ પડતા વપરાશના વિકાસના માર્ગને ત્યજી દેવા જવાહરલાલ નહેરુને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો.

આ વિધાન બંને બાજુના કર્મશીલો એક વાતને કેવી રીતે જુએ છે તે બહુ સ્પષ્ટપણે દર્શાવે છે. એમાંથી પ્રગટ થતો પહેલો મુદ્દો એ કે પર્યાવરણની બાબતે નહેરુ ઉડાઉ હતા અને ગાંધી કરકસરિયા. બીજો મુદ્દો એ પ્રગટ થાય છે કે ગાંધી પાસે ભારતના વિકાસનું એક વૈકલ્પિક આયોજન હતું જે નહેરુએ પોતાના અહંકારને કારણે તે છોડી દીધેલું. બંનેના મૃત્યુ પછી પર્યાવરણના વિવાદમાં આજે ગાંધી અને નહેરુને જાહેર રીતે એકબીજાના તીવ્ર હરીફ તરીકે રજૂ કરાય છે. એમ કરતી વખતે એ ભૂલી જવાય છે કે એ બંને મહાનુભાવો વચ્ચે કેવો અતૂટ અને અભૂતપૂર્વ મૈત્રીસંબંધ હતો.

ગાંધી અને નહેરુ બંનેના એકબીજાથી વિરોધી અભિગમમાંથી પર્યાવરણવાદીઓએ એક નવો જ કોયડો ઊભો કર્યો છે. તે એ છે કે સ્વતંત્ર ભારતમાં જે વિકાસનો માર્ગ અખત્યાર થયો છે તેમાં પર્યાવરણની વિચારણા બાબતે ઘણી ઘણી અસંવેદના જોવા મળે છે. આ ત્યારે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એ જ લોકો બહુ આગળના પર્યાવરણવાદી તરીકે ઓળખાવે છે. કરકસરિયા અને શાણા ગાંધીને ઉડાઉ નહેરુ સામે મૂકીને કોયડાને ઉકેલવાનો પ્રયત્ન થાય છે. તેમાં કાવતરાની વાત પણ ઉમેરવામાં આવે છે. કાવતરું એ કે ગાંધી અને નહેરુમાંના ઓછી ઉંમરના જવાહરલાલે ગમે તે રીતે કૉંગ્રેસ પરનો પોતાનો કાબૂ પ્રસ્થાપિત કર્યો અને હળવેકથી ગાંધીના વારસામાંથી છુટકારો મેળવ્યો.

આ એક કોયડો તો છે જ, જેનો હું ઇન્કાર કરતો નથી. પરંતુ મારે કહેવું છે કે પર્યાવરણ ચળવળ સામે એક એવો પડકાર હતો તે મારે આ મિત્રોને સમજાવવું રહ્યું. ગાંધીને ધોળા અને નહેરુને કાળા ચીતરવાનો આ સહેલેા માર્ગ છે. આમ કરીને આપણે એ બંને વચ્ચે જે તાત્ત્વિક મતભેદ હતો તેને બાજુ પર હડસેલી દઈએ છીએ. સ્વતંત્ર ભારતના ગાંધીના સ્વપ્નમાં ગામડાનો પુન:ઉદ્ધાર કેન્દ્રસ્થાને છે. જ્યારે નહેરુના સ્વપ્નમાં કેન્દ્રસ્થાને ઝડપી ઔદ્યોગિક વિકાસ છે. વૃદ્ધ માણસ પરિવર્તનને સ્થાને સ્થિરતા પસંદ કરે છે. અજંપા એવા નહેરુ સ્થિરતાને સ્થાને પરિવર્તન ઝંખે છે. આ સ્પષ્ટ મતભેદો ઑક્ટોબર-૧૯૪૫ દરમ્યાન બંને વચ્ચે ચાલેલા પત્રવ્યવહારમાં જોવા મળે છે.

સામાજિક અને આર્થિક ઉદ્દેશો સ્વતંત્ર ભારતમાં કયા હોવા ઘટે એ અંગેની કારોબારી સમિતિની બેઠક પછી ગાંધી નહેરુને લખે છે કે ગામડાના સાદા-સરળ જીવન થકી જ આઝાદ ભારત સત્ય-અહિંસાના માર્ગે ચાલી શકશે એમ મારું માનવું છે. આગળ લખતાં ગાંધી ઔદ્યોગિક સમાજને એવા ફુદ્દા સાથે સરખાવે છે જે લાઈટની આજુબાજુ ભલે કૂદાકૂદ કરે પણ તેનો અંત તો પેાતાના મૉતમાં જ છે. પ્રત્યુત્તરમાં નહેરુ લખે છે કે મારા મનમાં ગામડું એટલે બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે પછાત તેથી તે કદી સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને સમજી નહિ શકે.

આર્થિક આયોજનનું નહેરુનું ધ્યેય વધુ વપરાશનું નથી. (જે પર્યાવરણવાદીઓ હોવાનું આપણને મનાવી રહ્યા છે.) પણ એ તો ખોરાક, પહેરવેશ, ગૃહનિર્માણ, શિક્ષણ, આરોગ્ય વગેરેમાં સ્વનિર્ભર બનવા માટે છે. પ્રત્યેક ભારતીયને આપણે સ્વ-નિર્ભર બનાવવો છે. હવે, આ સ્વનિર્ભરતાના ઉદ્દેશ બાબતે નહેરુ અને ગાંધી બંને સંમત છે. પણ બંનેના રસ્તા જુદા છે. તે સમયના બૌદ્ધિકોની માફક જવાહરલાલ બહુ સ્પષ્ટ છે કે જો સ્વનિર્ભર થવું હોય તો તે માટે ઝડપી ઔદ્યોગિકીકરણ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જ થશે.

આ મતભેદો ઉપરાંત જે સમજવાનું છે તે તો એ કે ગાંધી અને નહેરુ વચ્ચે ઊંડો અને અતૂટ સ્નેહ છે. જુલાઈ-૧૯૩૬માં તેથી જ ગાંધીએ લખ્યું કે : “હું મારી જાતને જવાહરલાલના હરીફ તરીકે જોતો નથી કે જવાહરલાલ મારા હરીફ નથી.” અમે હરીફ હોઈએ તો એ બાબતમાં છીએ કે અમે બંને ભલે અલગ અલગ માર્ગે પણ એક જ ધ્યેય સિદ્ધ કરવા માંગીએ છીએ. ઘણી બધી વખત સાથે કામ કરતા હોવા છતાં અને એક જ ધ્યેય સિદ્ધ કરવા મથતા હોવા છતાં અમે અલગ અલગ માર્ગ અખત્યાર કરીએ છીએ. આશા છે કે દુનિયા એ વાત સમજશે કે અમે ક્ષણ માટે પણ જુદા પડ્યા નથી. ફરી ફરી પરસ્પરના વધતા આદર અને સ્નેહ સાથે મળતા રહ્યા છીએ.

મને સમજ નથી પડતી કે પર્યાવરણવાદીઓ ગાંધી-નહેરુ વચ્ચેના પ્રગટ દ્વૈત અને અદૃશ્ય અદ્વૈતને સમજી શકશે કે નહિ. એ ભૂલી જાય છે કે મહાત્માએ છેક ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં જાહેર રીતે પોતાના વારસદાર તરીકે નહેરુને જાહેર કર્યા હતા. તે પછીનાં વર્ષોમાં એ વાતને વળગી રહ્યા હતા. આ લોકોએ ૧૯૪૦ના મહત્ત્વનાં વર્ષોમાં શું બન્યું તે વિગતે સમજવાની જરૂર છે. ગાંધીના આર્થિક વિચારોને રાષ્ટ્રિય ચળવળે સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા હતા. બૌદ્ધિકો અને રાજકારણીઓ બંને વર્ગમાં એ બાબતે સર્વસંમતિ પેદા થઈ ગઈ હતી કે આઝાદ ભારતમાં ઝડપી ઔદ્યોગિકીકરણ એ જ આર્થિક વ્યૂહરચનાનો સ્વીકૃત માર્ગ હોઈ શકે. આ માર્ગે જ ગરીબી અને બેકારીની સમસ્યાઓનો હલ નીકળશે. સ્વતંત્ર સમાજ મજબૂત અને સ્વનિર્ભર તો જ બની શકશે. નહેરુએ તો આ સર્વસંમતિ પોતાના આગવા વકતૃત્વથી જાહેર રીતે પ્રગટ કરી હતી. ત્યારે નહેરુ પાછળ આવું જ માનવાવાળો નિષ્ઠાવાન અને દેશભક્ત લોકોનો વર્ગ ઊભો હતો.

જે.સી. કુમારઅપ્પા

જ્યારે દેશનો બહુમતી વર્ગ આવું માનતો હોય ત્યારે ૧૯૪૭માં આર્થિક નીતિના ભાગ રૂપે જો ગાંધીમોડેલને સ્વીકારવામાં આવ્યું હોત તો એ બિનલોકશાહી રીતે ઉપરથી લાદવામાં આવેલું ગણવાનું થાય. ગાંધીનો વૈકલ્પિક માર્ગ ખરેખર હાંસિયામાં ધકેલાઈ ગયો, એ વાત જે.સી. કુમારપ્પાના ઉદાહરણથી બરાબર પ્રગટ થઈ રહે છે. ૧૯૩૭માં કુમારપ્પાને કૉંગ્રેસની રાષ્ટ્રિય આયોજન સમિતિમાં અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘના પ્રતિનિધિ તરીકે નીમવામાં આવેલા. પરંતુ જ્યારે આયોજન સમિતિ ગામને આયોજનના કેન્દ્રમાં મૂકવા સંમત ન થઈ ત્યારે તેમને રાજીનામું આપવું પડેલું. એ તો આઝાદી પહેલાંની વાત પણ આઝાદી પછી પણ કુમારપ્પાને આયોજન પંચના પરામર્શક મંડળમાં સર્વસેવા સંઘના પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવેલા. પરંતુ જ્યારે આ ગાંધીવાદી અર્થશાસ્ત્રીને એવું સમજાયું કે પોતે એકલા પડી ગયા છે ત્યારે તેમણે સમિતિમાંથી નીકળી જવું પસંદ કરેલું.

આપણા ફાયદાની વાત કરીએ તો, પર્યાવરણવાદ પૂર્વેના યુગના આ બે પર્યાવરણવાદીઓ નામે મહાત્મા અને તેમના શિષ્ય નહેરુને આ રીતે સમજવાનું શક્ય છે. વિરોધાભાસ એ છે કે ભારતના પહેલા વડા પ્રધાન રાષ્ટ્રિય ચળવળના બહુમત બૌદ્ધિક અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતા હતા. એ અભિપ્રાય એ હતો કે ભારતને ફરીથી શક્તિવાન બનાવવું હોય તો એ મહત્તમ ઔદ્યોગિકીકરણથી જ શક્ય બનશે. આપણે બહુ યોગ્ય રીતે ગાંધી અને કુમારપ્પાનું સન્માન કરી શકીએ કેમ કે એ બંને પોતાના સમયથી આગળ હતા. પણ તે સાથે નહેરુનો અનાદર કરવો તે ઇતિહાસથી વિપરીત કાર્ય ગણાશે. કારણ કે સમય નહેરુના પક્ષે છે.

એડવર્ડ કારપેન્ટર નામના મહાન અંગ્રેજ સમાજવાદીએ એક વાર કહેલું કે એક યુગનો ઉપેક્ષિત એ બીજા યુગનો વીરનાયક હોઈ શકે છે. વિપરીત રીતે એમ પણ કહી શકાય કે એક યુગનો વીરનાયક એ બીજા યુગનો ઉપેક્ષિત પણ હોઈ શકે છે, તેમ કહેવું ખોટું નથી. નહેરુને પોતાના સમયમાં જેટલાં માન-સન્માન અને પ્રેમ મળ્યાં છે તેટલાં ભાગ્યે જ કોઈ બીજાને મળ્યાં હશે. છતાં મૃત્યુ પછી એમને જેટલા બદનામ કરવામાં આવ્યા છે એટલું બીજું કોઈ બદનામ થયું નથી. આજે તો એવું જણાય છે કે સાંપ્રત ભારતમાં જે કંઈ ખોટું છે એ બધા માટે જાણે નહેરુ જવાબદાર હોય. જમણેરી પરિબળો નહેરુને સુડો સેક્યુલારિઝમની નીતિઓ બદલ જવાબદાર ઠેરવે છે. કોમી વિસંવાદિતા અને આર્થિક સ્થગિતતા માટે એમના સરકારી આયોજનને જવાબદાર ગણે છે. તો બીજી તરફ ડાબેરીઓ આજની આર્થિક અસમાનતા અને પર્યાવરણ વિનાશના મૂળિયાં એ જ નહેરુના સુડો સમાજવાદના અમલીકરણમાં અને પર્યાવરણીય ઉધ્ધતાઈમાં જુએ છે.

બધા જ દોષનો ટોપલો પર્યાવરણ ચળવળવાળા અને બીજા પણ નહેરુ પર ઢોળે છે ત્યારે એ ભૂલી જવાય છે કે જેમ સમય બદલાય છે તેમ માણસો અને તેમના વિચારો પણ બદલાતા હોય છે. સરદાર સરોવર યોજનાની આસપાસના વિવાદનો જ દાખલો લઈએ. પર્યાવરણવાદીઓ એને લઈને ગાંધી / નહેરુ વિરોધને વ્યક્ત કરે છે. યોજનાના ટીકાકારે તે અંગે એવું લખેલું કે ડેમનું પાણી વધવાની સાથે પ્રાચીન ઐતિહાસિક મંદિર પણ ડૂબમાં જવાનું છે. પછી ઉપમા આપી કે “જવાહરલાલ નહેરુના આધુનિક ભારતનું એક મંદિર” એમ પણ કહ્યું.

જે વ્યક્તિ દાયકાઓ પૂર્વે અવસાન પામી તેને આજે ડેમના બાંધકામ બદલ અપરાધી ઠેરવવામાં આવે છે. કારણ માત્ર એટલું જ કે નહેરુએ આઝાદી પછી આવા મોટા બંધ બાંધવા માંડ્યા ત્યારે એ બધાને આધુનિક ભારતનાં મંદિરો ગણાવેલાં. પણ આપણે નહેરુ જેવા ઉદાર અને ખુલ્લા મનવાળી વ્યક્તિ માટે આવું કહેતી વખતે એવો વિચાર કરતા નથી કે એમની સમક્ષ મોટા બંધનાં નવાં નકારાત્મક પાસાં રજૂ થયાં હોત તો  કદાચ તેમણે પણ પોતાનો મત બદલવાનું યોગ્ય ગણ્યું હોત. માત્ર મારી જ વાત કરું તો મને તો એવું લાગે છે કે નહેરુ અને ગાંધી જો આજે હયાત હોત તો સરદાર સરોવર વિવાદ સંદર્ભે એ બંને જણ એક પક્ષે જ હોત, એ નિ:શંક વાત છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 14-15

Loading

...102030...403404405406...410420430...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved