Opinion Magazine
Number of visits: 9557449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુને કેટલીક નિવાપાંજલિ 

——|Gandhiana|4 January 2025

પોતાની પ્રજાનો નેતા – જેને બહારની કોઈ પણ સત્તાનો સહારો નથી; રાજપુરુષ – જેની સફળતા ખટપટ કે આયોજનિક યુક્તિઓ પરના પ્રભુત્વ પર નહિ પણ કેવળ પોતાના વ્યક્તિત્વની સામાને સમજાવી લેતી શક્તિ ઉપર અવલંબે છે; વિજયી યોદ્ધો–જેણે હંમેશાં હિંસાના ઉપયોગને ધુત્કારી કાઢ્યો છે; પ્રજ્ઞા અને નમ્રતાની મૂર્તિ – જે દૃઢ સંકલ્પ અને અદમ્ય સંગતતાથી સુસજ્જ છે, જેણે પોતાની પ્રજાને ઉદ્ધારવામાં અને એમની દશા સુધારવામાં પોતાની સમગ્ર શક્તિ સમર્પી છે; એક માણસ – જેણે એક સામાન્ય મનુષ્યના ગૌરવ વડે યુરોપની પાશવતાને સામને કર્યો છે અને એ રીતે સર્વદા જે ઉત્તરોત્તર ઊંચે ચડ્યો છે. સંભવ છે કે આવતી પેઢીઓ ભાગ્યે જ એ વાત માનશે કે આવો માણસ ખરેખર જીવતા-જાગતા સ્વરૂપે આ ભૂતલ ઉપર વિચર્યો હતો !

− આલ્બર્ટ આઇન્સ્ટાઇન

ગાંધીજીએ એક આખી પ્રજાને ટટ્ટાર ઊભી રહેતી કરી અને તેમના બોલથી એ પ્રજા ટટ્ટાર ઊભી. ગાંધીજી જડતત્વ પર આત્મતત્ત્વના વિજયના, હિંસા પર હિંમતના, અને અન્યાય પર ન્યાયના વિજયના પ્રતિનિધિ હતા. હિંદમાં બ્રિટિશ શાસનની રૂઢ પ્રણાલી ચાલુ રહે એ એમણે તદ્દન અશક્ય બનાવી દીધું. આ એમનો નાનો સૂનો વિજય નથી. ઇતિહાસની અદાલતમાં હિંદી પ્રજાને નામે તેઓ એક ફરિયાદી તરીકે ઊભા રહ્યા અને જ્યારે એમણે એમની દલીલો પૂરી કરી ત્યારે બીજો કોઈ ચૂકાદો શક્ય નહોતો. સ્વાતંત્ર્ય એ જ ચૂકાદો હતો.

− પ્રો. હેરોલ્ડ લાસ્કી

અમારે મન ગાંધીજી તે પોતે જેને સાચું માને તેને માટે ઊભા રહેનારા બહાદુર પુરુષોમાંના એક હતા, પૃથ્વી પરના રડ્યા-ખડ્યા સંતોમાંના એક હતા. અમે હિંદ માટે ગૌરવ અનુભવીએ છીએ કે ગાંધીજી તેનાં સંતાનોમાંના એક હતા; અને અમને હિંદ માટે દયા ઉપજે છે કે હિંદના જ એક સંતાને એમને હિચકારી રીતે ઠાર કર્યા! ગાંધીજીના મૃત્યુની સંજ્ઞા સાથે સરખાવી શકાય એવો ઇશુના ક્રૂસ-આરોહણ સિવાય બીજો કોઈ પ્રસંગ નથી. પોતાના દેશના જ હત્યારાને હાથે નીપજેલું ગાંધીજીનું મૃત્યુ એ બીજું ક્રૂસારોહણ છે.

− શ્રીમતી પર્લ બક

02 જાન્યુઆરી 2025

•

આજની દુનિયાના ઇતિહાસમાં આ પૂજ્ય પુરુષની નિરર્થક હત્યાથી વધારે અકારું કશું બન્યું નથી. સભ્યતા જો ટકી શકવાની હોય તો તેની ઉત્ક્રાંતિમાં સૌ મનુષ્યે કાળે કરીને ગાંધીજીની માન્યતાને અખત્યાર કર્યા વગર રહી શકશે નહિ કે તકરારી મુદ્દાઓના ઉકેલ માટે હિંસાને સામુદાયિક ઉપયોગ એ તત્ત્વતઃ ખોટો છે. એટલું જ નહિ, પણ તે પોતાની અંદર આત્મનાશનાં બીજ ધરાવતો હોય છે. ગાંધીજી એવા પયગંબરોમાંના એક હતા કે જેઓ પોતાના જમાનાથી ઘણા આગળ વધેલા હોય છે.

− જનરલ ડગલાસ મેકઆર્થર

ગાંધીજી ગૌતમ બુદ્ધ પછીના સૌથી મહાન હિંદી અને ઈશુ પછીના દુનિયાના સૌથી મહાન પુરુષ હતા. 

− ડૉ. હોમ્સ

હિંદના સ્વાતંત્ર્યનો સંગ્રામ એટલે ગાંધીજીનું સમસ્ત જીવનચરિત્ર. મારું પોતાનું જીવન ગાંધીજી સાથે ગાઢ રીતે સંકળાયેલુ હતું. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો બનાવો કેવું સ્વરૂપ લેત એ કહેવું મુશ્કેલ છે. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો હિંદને કદાચ અત્યાર સુધી આઝાદી મળી જ ન હોત. એ સત્યનો ફિરસ્તો પગલે પગલે હિંદની પ્રજાને આઝાદીની મંઝિલ ભણી દોરી ગયો, અને કૂચ પૂરી થઈ કે તરત જ એક દુષ્ટાત્માએ તેમનો જાન લીધો! ગાંધીજી જેવી વિભૂતિનું ખૂન થઈ શકે તો પછી દેશમાં બીજા ભયંકર બનાવોની ધારણા કેમ ન રાખી શકાય ?

− સરદાર વલ્લભભાઈ પટેલ

દુનિયાભરમાંથી જે અંજલિઓ બાપુને મળી, તેવી આજ સુધીના કોઈ પણ મહાપુરુષને તેમના જીવિતકાળ દરમિયાન કે દેહાંત પછી તુરત મળી નથી. કેટલાયને એ અનાથના નાથ જેવા હતા. કેટલાયને બાપુ એક જ શરીરે મા અને બાપ બન્ને હતા.

બાપુના સ્નેહીજને પોતાની ખરી શાંતિ બાપુ પાછળ ઝૂરીઝૂરીને જીવન પૂરું કરવામાં ન માની શકે, તથા એમની પૂજા આરતી કરવા – વધારવામાં પણ ન માની શકે. પણ બાપુની જેમ જ કોઈને કોઈ દુઃખગ્રસ્ત જીવને છાતીએ વળગાડી, પીડાયેલાના મિત્ર બની, ન્યાય અને સત્ય માટે એકલે હાથે પણ સત્ય-અહિંસાપૂર્વક ઝઝૂમી, પોતાનું સેવામાં જીવન ગાળીને મેળવી શકે. હવે આપણે કોઈએ શોકના સંગ્રહને જ ધર્મ કરી ન મૂકવો અને ખેદનો નિ:શ્વાસ નાખવો એ જ કાર્યક્રમ ન થવા દેવો. પણ સૌએ બાપુના પ્રજાવિધાયક, જનસેવાનાં કામો પર ચડી જવું. બાપુને એ જ સાચી અંજલિ હશે.

− કિશોરલાલ મશરૂવાળા

03 જાન્યુઆરી 2025

•

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક : 199 તેમ જ 200

Loading

નવું વર્ષ ‘હોપ ઈઝ ઍ ડિસીઝન’ની પ્રેરણા સાથે શરૂ કરીએ …

સોનલ પરીખ|Opinion - Opinion|3 January 2025

મારા થોડા નિયમ હતા – મેં નક્કી કર્યું હતું કે ભલે ચીંથરેહાલ હોઉં, ઊંચાં માથે ચાલીશ. જિંદગીને પૂર્ણપણે જીવીશ અને જ્યાંથી આશાનું કિરણ મળશે તેને સ્વીકારીશ. ગમે તે સ્થિતિમાં હોઉં, મેં મારાથી બનતું કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે પોતે માણસ તરીકે શ્રેષ્ઠ આપ્યું તેની પ્રતીતિ એ જ અંતિમ વિજય છે …   

— દાઇસાકુ ઇકેડા

વધુ એક વર્ષ વિદાય થવાની તૈયારીમાં છે. સુખોની, દુ:ખોની એક દાસ્તાન પૂરી થશે. આપણે ઘણું પામ્યા હોઈશું અને એક કે બીજા રૂપે કપરી પરિસ્થિતિનો સામનો પણ કર્યો હશે. ધૈર્ય, કરુણા, સાદગી અને સંબંધોની કદર શીખ્યા હોઈશું. કોરોનાનાં વર્ષે પણ આપણને ઘણું આપ્યું નહોતું? એ વર્ષે આપણે ભૂલોને સમજ્યા ને સમસ્ત પૃથ્વીવાસીઓ સાથે અલગ રીતે એક થયા હતા. એટલે વીતેલા વર્ષ પ્રત્યે આદરનું ભાથું બાંધી નવા વર્ષ માટેની આશાને આપણી સફરની સાથી બનાવીએ.

દાઇસાકુ ઇકેડા

આશા માટે અંગ્રેજીમાં હોપ શબ્દ છે. જૂના અંગ્રેજીમાં હોપા, ડચ ભાષામાં હૂપ અને જર્મનમાં હોફના શબ્દો છે. ઓપ્ટીમિઝ્મ, એસ્પિરેશન જેવાં શબ્દો પણ વપરાય છે. આશાનો અર્થ બધા જાણે છે, પણ તેના જબરજસ્ત વ્યાપ અને ઊંડાણ સુધી બહુ ઓછા પહોંચે છે. હમણાં એક પુસ્તક વાંચ્યું, ‘હોપ ઈઝ ઍ ડિસીઝન’. આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આશાની ક્ષિતિજોના ખરા વિસ્તારનો ખ્યાલ આવે.

આ પુસ્તકમાં જાપાનના બૌદ્ધ ચિંતક દાઇસાકુ ઇકેડા(1928–2023)એ પ્રસંગોપાત આપેલાં થોડાં વ્યાખ્યાનો સમાવાયાં છે. તેઓ કહે છે કે આશા જ આદિ છે અને આશા જ અંત છે. એનાથી જ માણસ જાગે છે, સંકલ્પબદ્ધ થાય છે, આંતરિક શક્તિઓ પર એકાગ્ર થાય છે અને પોતાનામાં વસતા બુદ્ધ સુધી પહોંચી શકે છે. બુદ્ધ કોઈ વ્યક્તિનું નહીં, એક અવસ્થાનું નામ છે. માણસના મનમાં પશુત્વ પણ છે અને બુદ્ધત્વ પણ છે. એ બેની વચ્ચે પણ આઠ અવસ્થાઓ છે. પોતાના પશુત્વને ક્રમશ: બુદ્ધત્વ સુધી પહોંચાડવું તેને જ ઇકેડાના ગુરુ જોસાઈ તોડા ‘હ્યુમન રિવોલ્યુશન’ કહેતા અને આ હ્યુમન રિવોલ્યુશન એ જ સાકા ગોકાઈ ઇન્ટરનેશનલ નામના જાપાની બૌદ્ધ મહાયાન પંથનો મુદ્રાલેખ છે. દાઇસાકુ ઇકેડા તેના પ્રમુખ છે.

ઇકેડા કહે છે કે અન્યને પ્રોત્સાહિત કરવાથી પોતાને પણ આશા અને આનંદનો અનુભવ થાય છે. સાચું પ્રોત્સાહન યોગ્ય વ્યક્તિ સાથે પીડા અને સમસ્યા વહેંચવાથી મળે છે. કોઈ કોઈની પીડા લઈ શકે નહીં, કોઈ કોઈની સમસ્યા ઉકેલી આપી શકે નહીં – પણ સાથ અને પ્રોત્સાહનથી માણસનો ઉદ્વેગ શમે અને એથી તે પોતાનામાં જ રહેલી શક્તિ પર એકાગ્ર થઈ શકે. આ એકાગ્રતા એક તરફ ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે અને બીજી તરફ આંતરયાત્રાને બુદ્ધત્વ પ્રાપ્તિની દિશામાં આગળ વધારે છે. બહાર પણ વિકાસ, અંદર પણ વિકાસ. આ જ છે હ્યુમન રિવોલ્યુશન.

પણ આશાની વાત લેખક માત્ર સિદ્ધાંત તરીકે નથી કરતા, એ એમની અનુભવવાણી છે. વિશ્વયુદ્ધ, તેમાં ચાર ચાર ભાઈઓનું ઓરાઈ જવું, ગરીબી, તારાજી, પિતાની પથારીવશ સ્થિતિ, માની અસહાયતા, પોતાને થયેલો ટી.બી. – આ બધું તરુણ વયમાં જ ભોગવી લીધા પછી તેમણે કહ્યું છે, ‘આશા બધું બદલી નાખે છે અને એની શરૂઆત પોતાની જિંદગીથી થાય છે. આશા આપણને સક્રિય અને સક્ષમ કરનારું બળ છે. આશામાં શિયાળાને વસંતમાં ને ઉજ્જ્ડને પુષ્પિતમાં પરિવર્તિત કરવાની તાકાત છે. આશાન્વિત વ્યક્તિ દુનિયા કરતા બે ડગલાં આગળ ચાલે છે. આશા કુદરતે જ આપણામાં પ્રગટાવેલી જ્યોત છે પણ તેને પ્રજ્વલિત રાખવા માટે સંકલ્પની હવા આપણે આપવાની છે. આશા એટલે પોતાની અને અન્યની અંદર રહેલી અનંત શક્યતાઓમાં શ્રદ્ધા રાખવી અને તેના પર એકાગ્ર થવાનો સંકલ્પ કરવો.’

એમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપ્યું છે : અનેક વિઘ્નો વચ્ચે મહાત્મા ગાંધી સફળ થતા રહ્યા તેનું કારણ તેમનો અદમ્ય આશાવાદ હતો. ગાંધીજી પોતાને ‘ઈરરિપ્રેસિબલ ઓપ્ટીમીસ્ટ’ કહેતા. એમની આશા સંજોગો પર, વ્યક્તિઓ પર, સફળતા-નિષ્ફળતા પર કે ચડઉતર પર નિર્ભર ન હતી. એમની આશા માનવીની સારપ, ક્ષમતા અને પુરુષાર્થ પરની અચળ શ્રદ્ધા પર નિર્ભર હતી. આ શ્રદ્ધાનો એમણે એક પળ માટે પણ ત્યાગ કર્યો ન હતો. અન્યની સારપ પર શ્રદ્ધા અને પોતાની સારપ માટે પુરુષાર્થ એ બે ગાંધીજીની ચાવીઓ હતી.

મહાન માણસોનાં ચરિત્રો આ જ કહે છે – કસોટીઓ તેમને હરાવી ન શકી, આફતો તેમને અટકાવી ન શકી. તેઓ તૂટ્યા નહીં કારણ કે તેમની આશા જ્વલંત હતી. અને આ આશા માત્ર પોતાની ઈચ્છાપૂર્તિ કે પોતાના વિકાસ માટે ન હતી, એ સમગ્રના સુખ માટેની હતી. ‘એટલે, સમજો’, ઇકેડા કહે છે, ‘સાચી આશા વિશાળ ધ્યેય માટે માણસને પ્રતિબદ્ધ કરે છે – જેમ કે યુદ્ધ વિનાનું વિશ્વ, સૌને ગરિમાપૂર્વક જીવવા મળે એવું વિશ્વ.’

પણ પરિસ્થિતિ અંધકારમય હોય, અને વધારે અંધકારમય થવાના જ એંધાણ હોય ત્યારે આશા કેવી રીતે રાખવી? ઇકેડા કહે છે કે એવે વખતે આશા સર્જવી પડે અને તેને માટે પોતાની જાતમાં ઊંડે, વધુ ઊંડે, વધુ ને વધુ ઊંડે ઊતરવું પડે. એમણે ડીગીંગ શબ્દ વાપર્યો છે – ડીગીંગ ડીપર વિધીન. જે આશાની કસોટી નથી થતી તે સુંદર મનગમતા સ્વપ્નથી વિશેષ કંઈ નથી – તરત તૂટી જાય. મુશ્કેલ સંજોગોમાં આશા વધુ શક્તિશાળી, વધુ વિસ્તૃત બનતી જાય છે. ખરી કરુણતા શરીરનો અંત નથી; ખરી કરુણતા આશાનો અંત, પોતાની શક્યતાઓ પરના વિશ્વાસનો અંત છે.

અને નિષ્ફળતા – એનાથી કદી ન ડરવું. એનાથી માનવી બચી નથી શકતો એ સાચું છે, પણ એ આપણને એવા અનુભવ આપે છે જે દસ હજાર પુસ્તકો વાંચવાથી પણ ન મળે. દુઃખ અને પીડાનો પણ એક ઉપકાર હોય છે. એમાંથી પસાર થયા પછી માણસ વધારે નમ્ર, વધારે પરિપક્વ બને છે. જિંદગી એક લાંબી પ્રક્રિયા છે. તમે ગમે તેટલું લાંબુ જીવો, પણ અંતે પરાજય અને દુઃખ અનુભવતા હો તો તેનો કોઈ અર્થ નથી. નિર્ભય બનો, નિષ્ફળતામાંથી શીખો અને જે પણ બને તેની જવાબદારી પોતે જ લો. અન્ય પર દોષ ન નાખો.

ઇકેડા યુવાનોને કહે છે, ‘યુદ્ધ, ગરીબી, તારાજી, બીમારી આ મારી તરુણાવસ્થાનું વર્ણન છે. પણ એ બધાને લીધે ત્યારે પણ મને શરમ કે હતાશાનો અનુભવ નહોતો થતો. હું પોતાને નાટકના એક પાત્ર તરીકે જોતો. એક તરુણ, જે હસતા હસતા લડી રહ્યો છે. મને ગૌરવનો અનુભવ થતો. અત્યારે હું જે છું તેનાં મૂળ ત્યાં છે. પણ મારા થોડાં નિયમ હતા – મેં નક્કી કર્યું હતું કે ભલે ચીંથરેહાલ હોઉં, ઊંચાં માથે ચાલીશ. જિંદગીને પૂર્ણપણે જીવીશ અને જ્યાંથી આશાનું કિરણ મળશે તેને સ્વીકારીશ. હું જે પણ સ્થિતિમાં હોઉં, મેં મારાથી બનતું કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે પોતે માણસ તરીકે શ્રેષ્ઠ આપ્યું તેની પ્રતીતિ એ જ અંતિમ વિજય છે.’

ભલે આજે બેજવાબદારીની બોલબાલા છે, પણ માનવસમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિશ્વસનીયતા આદરને પાત્ર રહી છે. વિશ્વાસઘાતી અંતે હાર્યો છે, ફેંકાઇ ગયો છે. કોઈનો વિશ્વાસ જીતવો એ સૌથી મોટી સંપદા છે અને શક્તિ પણ. આજે ભૌતિકવાદની પણ બોલબાલા છે, પણ તેણે આપણને પરમ ચૈતન્યની વિશાળતા અને ગહનતાથી વિખૂટાં પાડ્યા છે. પરમ ચૈતન્ય સાથે જોડાનાર એક વધુ ઊંચાઈ પર, એક વધુ જાગૃતિમાં અને સમસ્ત સૃષ્ટિ સાથેની એક આગવી નિકટતામાં જીવે છે.

એક વ્યક્તિ વધુ સમજદાર, વધુ શક્તિશાળી, વધુ સંવેદનશીલ બને ત્યારે શાંતિમય સહઅસ્તિત્વ તરફની યાત્રાના પૈડાનું પહેલું ચક્ર ફરે. આશાપ્રેરિત માનવી તોફાનો વચ્ચે સ્થિર પ્રકાશતી શાંત જ્યોત જેવો હોય છે. જે બીજા માટે મશાલ હાથમાં લે છે તેનો પોતાનો માર્ગ પણ પ્રકાશિત થતો આવે છે. નવા વર્ષે સ્વના અને સર્વના કુશળક્ષેમ પર એકાગ્ર થઈએ, અને સક્રિય પણ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 29 ડિસેમ્બર  2024

Loading

‘સંઘ’ કાશીએ પહોંચશે કે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 January 2025

રવીન્દ્ર પારેખ

‘હિન્દુ-મુસ્લિમ’, ‘હિન્દુ-મુસ્લિમ’ કરતાં કરતાં બંધારણનાં 75 વર્ષ (અમૃત પર્વ) સુધી આવી પહોંચ્યા, પણ નથી હિંદુઓને જપ વળતો કે નથી મુસ્લિમોને નિરાંત થતી. મંદિર-મસ્જિદ મુદ્દે પણ વિવાદ ચાલ્યા કરે છે ને એનો પણ છેડો દેખાતો નથી એટલે નિરાંત ક્યારે થશે એ નક્કી નથી. સંઘના રાષ્ટ્રીય સંચાલક મોહન ભાગવત પણ વિવાદો નોતરતા રહે છે. વચમાં હિન્દુઓ વધુ બાળકો પેદા કરે એવું વિધાન કરી બેઠેલા ને તેણે ચર્ચા જગાવેલી. અયોધ્યા મંદિર બન્યું એ પછી બીજા મંદિરો પણ મસ્જિદોની નીચે હોવાની શંકાએ કેટલીક મસ્જિદો તપાસવાની ચર્ચાએ જોર પકડ્યું, ત્યારે ભાગવતે ઠાવકાઈથી આવી તપાસ પડતી મૂકવાનો અનુરોધ કર્યો, તો બીજી તરફ સંત સમાજ બધી મસ્જિદો નીચેથી શિવલિંગ ન શોધવાની ભાગવતની સલાહની સામે પડ્યો છે. એનું ઠેકાણું પડે ત્યાં અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમમાં અરજી કરીને 1991નો કાયદો લાગુ કરવાની માંગ કરી છે. આવી ચર્ચાઓ, માંગણીઓ ચાલ્યા જ કરશે કે એનો કોઈ ઉકેલ પણ આવશે એ ખબર નથી.

19 ડિસેમ્બરે મોહન ભાગવતે પુણેમાં કહ્યું કે રામ મંદિરનાં નિર્માણ પછી કેટલાકને એવું લાગે છે કે નવી જગ્યાએ મંદિરના મુદ્દા ઉઠાવીને હિન્દુ નેતા બની જવાશે. રોજ જ આવા મુદ્દાઓ સામે આવતા હોય તો તેને મંજૂરી કેવી રીતે આપી શકાય? ભારતે એ બતાવવાની જરૂર છે કે બધાં એકબીજા સાથે રહી શકે છે. ઉગ્રવાદ, આક્રમકતા, અન્ય દેવતાઓનું અપમાન એ ભારતીય સંસ્કૃતિ નથી. આ દેશમાં હિન્દુને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે એ જ રીતે બીજાને પણ તેનો ધર્મ પાળવાની છૂટ છે. સાચું તો એ છે કે રામ મંદિર વિવાદ અંગ્રેજો દ્વારા ઊભો કરવામાં આવેલો. ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની ઘાતક અસરો હજી દેશમાં છે. આયોધ્યાથી મંદિર-મસ્જિદ વિવાદ થયો ને એ પછી તો બીજા નવ વિવાદો સામે આવ્યા છે. 2019માં સુપ્રીમ કોર્ટે મંદિરનું અસ્તિત્વ પ્રમાણ્યું ને રામ મંદિર થયું, પણ તે જ વખતે કાશી-મથુરાની મસ્જિદો પણ ચર્ચામાં આવી. અહીં પણ મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે ને હાલ મેટર કોર્ટમાં છે. હિન્દુ મંદિરોની ઉપર મસ્જિદો બાંધવામાં આવી હોવાનો દાવો કરતી અરજીઓ સંદર્ભે ભાગવતની ટિપ્પણી આવી હતી, પણ ભાગવતની વાતોથી સંત સમાજ ખાસો નારાજ થયો હતો. 

ઉત્તર પ્રદેશના સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સંઘના વડાના નિવેદનનો જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને વાંધો પડ્યો ને તેમણે કહ્યું કે ભાગવત અમારા અનુશાસનવાદી નથી, અમે છીએ. ભાગવત સંઘના વડા છે, ધર્મના વડા નથી. સ્વામીનું માનવું છે કે ભાગવતે મંદિરોની તપાસ રોકવાનું કહીને સારી વાત કરી નથી. એ તેમનું અંગત મંતવ્ય છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ ટીકા કરતાં કહ્યું કે ભાગવત સત્તા મેળવવા માંગતા હતા ત્યારે મંદિરો સુધી ગયા ને હવે સત્તા મળી ગઈ તો મંદિરો ન શોધવાની સલાહ આપી રહ્યા છે. હિન્દુ સમાજ, મંદિરોને પુનર્જીવિત કરવા માંગતો હોય તો એમાં ખોટું શું છે? ભૂતકાળમાં આક્રમણખોરોએ જે મંદિરો તોડી પાડ્યાં તેની યાદી બનાવવી જોઈએ ને સર્વે કરાવીને મંદિરોની પુન:સ્થાપના કરવી જોઈએ. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્દ્રાનંદે તો ત્યાં સુધી કહ્યું કે ધર્મગુરુઓ જે નિર્ણય લે તેને સંઘે અને વિશ્વ હિન્દુ પરિષદે સ્વીકારવો પડશે. સ્વામીએ એ પણ ઉમેર્યું કે ભાગવતની ટિપ્પણીઓ વચ્ચે 56 નવાં સ્થળે મંદિરોની સંરચનાઓ મળી આવી છે. એ વખતે સવાલ થાય કે ધાર્મિક સંગઠનો રાજકીય એજન્ડાને મહત્ત્વ આપે કે જાહેર જનતાની લાગણીને?

એ પછી સંઘના મુખપત્ર ‘પાન્ચજન્યે’, મંદિર-મસ્જિદ વિવાદ પર ભાગવતની ટિપ્પણીનું, તંત્રી હિતેશ શંકરે, ‘મંદિરો પર આ કેવું હુલ્લડ’ શીર્ષકવાળા લેખમાં સમર્થન કર્યું હતું. લેખમાં એમ પણ નોંધ્યું કે કેટલાક લોકો પોતાના રાજકીય હેતુસર મંદિરોનો પ્રચાર કરે છે ને પોતાને હિન્દુ વિચારક ગણાવે છે, પણ મંદિરોનો રાજકીય ફાયદા માટે ઉપયોગ સ્વીકાર્ય નથી. ભાગવતનું નિવેદન દીર્ઘ દૃષ્ટિ અને સામાજિક વિવેકનું આહ્વાન છે. 

એ પણ છે કે આર.એસ.એસ.ના અંગ્રેજી મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’નો મત ભાગવતના મતથી અલગ પડ્યો. તેનું કહેવું હતું કે ભાગવતનો મત ઐતિહાસિક સત્ય અને સભ્યતાના ન્યાયને જાણવાની લડાઈ માત્ર છે. ‘પાન્ચજન્ય’નું માનવું છે કે ભાગવતનાં નિવેદન પછી મીડિયામાં લડાઈ જેવી સ્થિતિ સર્જાઇ તે ઉપજાવવામાં આવી હતી. કેટલાંક અસામાજિક તત્ત્વો પોતાને સામાજિક રીતે બૌદ્ધિક ગણાવે છે, પણ  તેઓ સોશિયલ મીડિયા પર સમાજની લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. આવા વિચારોથી અંતર જાળવવું જોઈએ. વિવિધતામાં એકતાના ભારતીય સિદ્ધાંતથી આવા વિચારો વિપરીત છે. આજના સમયમાં મંદિરો સંબંધિત મુદ્દાઓને રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવા યોગ્ય નથી. સંઘના રાષ્ટ્રીય વડાએ એ મુદ્દે ટકોર કરી છે કે હિન્દુ સમાજે તેના સાંસ્કૃતિક વારસાને જાળવીને વ્યક્તિગત મહિમા અને રાજકીય વિવાદોથી દૂર રહેવું જોઈએ. ઇતિહાસના ઘા પર ઘા મારવાને બદલે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જવું જોઈએ. ‘ઓર્ગેનાઇઝર’ના સંપાદક પ્રફુલ્લ કેતકરનું કહેવું છે કે ઐતિહાસિક સત્યને જાણવાની આ લડાઈ ધાર્મિક સર્વોપરિતાની નથી. આ લડાઈ રાષ્ટ્રીય ઓળખને પુન: પુષ્ટિ આપવાની અને સભ્યતાના ન્યાય માટેની છે.

મોહન ભાગવત

સંઘની નીતિ રીતિ પણ ચર્ચામાં રહી છે. એ પણ દેખાય છે કે સંઘ અને ભા.જ.પ. વચ્ચેનો મેળ ઘટતો જાય છે. ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીએ કહેલું કે હું છેલ્લા શ્વાસ સુધી સંઘનો સ્વયંસેવક રહીશ. તો, મહંમદ અલી ઝીણાને બિનસાંપ્રદાયિક ગણાવવા બદલ સંઘે લાલકૃષ્ણ અડવાણીનું ભા.જ.પ.ના અધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લીધેલું, એટલું જ નહીં, તે વખતના સંઘના વડા સુદર્શને વાજપેયી અને અડવાણીને ભા.જ.પ.માંથી રિટાયર થઈ જવાનું પણ કહેલું. 

તો, આ પરિસ્થિતિ છે. લાગે છે એવું કે ક્યાં ય એકવાક્યતા નથી. ભાગવતના નિવેદન અંગે સંઘનાં જ હિન્દી મુખપત્ર ‘પાન્ચજન્ય’ અને અંગ્રેજી મેગેઝીન ‘ઓર્ગેનાઇઝર’ના તંત્રીઓના મત જુદા પડે છે. સંઘને જરૂર હતી ત્યારે રામ મંદિરનો મુદ્દો ખપમાં લઈને સત્તા હાંસલ કરી ને હવે સત્તા છે તો ધાર્મિકોની એ જ ધોરણે અન્ય મંદિરોને ઉગારવાની વાતને ભાગવત અટકાવવાનું કહે છે. જો કે, ભાગવતનાં નિવેદન અગાઉ સુપ્રીમ કોર્ટે તો 12 ડિસેમ્બરે જ કહી દીધેલું કે 18થી વધુ વિવાદિત જ્ગ્યાઓના કેસ ચાલી રહ્યા છે ત્યારે તેની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી નવી અરજી કરવી નહીં અને કોઈ પણ જગ્યા, મંદિર છે કે મસ્જિદ, એ સુપ્રીમ કોર્ટ પોતે નક્કી કરશે. 

આટલું ઓછું હોય તેમ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ 17 ડિસેમ્બરની અરજીમાં પૂજા સ્થળ કાયદો લાગુ કરવાની માંગ કરી છે. ઓવૈસીના વકીલે હવાલો આપતા જણાવ્યું કે ઘણી કોર્ટે કેટલીક અરજીઓ સંદર્ભે મસ્જિદોનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ઓવૈસીએ મસ્જિદોની વર્તમાન સ્થિતિ જાળવી રાખવા 1991ના પૂજા સ્થળ કાયદાને લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પૂજા સ્થળ (વિશેષ જોગવાઈ) એક્ટ 1991 કોઈ પણ ધાર્મિક સ્થળના સ્વરૂપમાં આવતું પરિવર્તન રોકે છે. આ કાયદા હેઠળ કોઈ પણ પૂજા સ્થળ 15 ઓગસ્ટ, 1947ને રોજ જેવું હતું, તેવું જ રહેશે. એ હિસાબે મસ્જિદ નીચે મંદિર હોય તો પણ તેને સ્પર્શી ન શકાય, કારણ 1991ના કાયદા મુજબ તો 15 ઓગસ્ટ, 1947 પછી કોઈ પણ ધાર્મિક સ્થળને છે તેથી જુદું સ્વરૂપ આપવાનું શક્ય જ નથી.

લાગે છે તો એવું કે આવું જ ચાલ્યા કરશે. બીજું કૈં થાય કે ન થાય મંદિર-મસ્જિદ વિવાદ ચાલ્યા કરે એવું બને. અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિને 75 વર્ષનાં પોતીકાં બંધારણ છતાં ભારતીયો ખોટી પાડવા જ નથી માંગતા. એ અત્યંત દુ:ખદ છે કે કોઈ વિદેશી આક્રમણોને તે વખતના રાજા-મહારાજાઓએ ખાળ્યું જ નહીં. એટલે કોઈ વિદેશી પ્રજા ભારતમાં પ્રવેશતી રોકી શકાઈ જ નહીં ! એ રોકાઈ હોત તો કોઈ પણ મસ્જિદને કેટલો અવકાશ હોત તે પ્રશ્ન જ છે. મસ્જિદ જ ન હોત તો મંદિરોને તોડવાનો સવાલ જ ન હોત, પણ ત્યારે હિન્દુ રાજાઓ વિદેશી પ્રજાઓ સાથે ટકરાવાને બદલે અંદરોઅંદર ટકરાવામાં જ વ્યસ્ત હતા. અંગ્રેજી સલ્તનતનો પાયો નાખનાર રોબર્ટ ક્લાઇવને ભારતમાં શાસનનું નિમંત્રણ આપનાર અમીચંદ અને મીરજાફર ભારતના જ હતા. મોગલોએ ઢગલો મંદિરો તોડીને મસ્જિદો બાંધી તે રાતોરાત કે અંધારામાં તો નહીં જ બંધાઈ હોય, તે ભારતીય રાજાઓ રોકી શકતા હતા. એ બાંધકામ રોકાયું હોત તો આજે મસ્જિદ નીચે મંદિર ખોળવાનો વારો આવ્યો ન હોત ને હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો સમય આવ્યો છે. 

અત્યારની પરિસ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટ જ આનો નિર્ણય લઈ શકે. એમાં કોઈ શંકા નથી કે મંદિરોને બહાર લાવવાં હોય તો ન્યાયની રાહ જોવી પડે ને ન્યાય થવા દેવો પડે. આટલું થાય તો લાંબે ગાળે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય, મગર વો દિન કહાં કિ … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જાન્યુઆરી 2025

Loading

...102030...392393394395...400410420...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved