Opinion Magazine
Number of visits: 10028054
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી કથા, આપણી વ્યથા, આપણો હરખ ઓર …

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|5 June 2015

‘પૂર્વ આફ્રિકામાં’ નામે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરનું એક પ્રવાસવર્ણન છે. આ ચોપડીનું 135મું પાન જોઈએ તો કાકાસાહેબની આ નોંધ વાંચવા મળે છે :

‘કરાટુમાં એક ગુજરાતી ભાઈએ બહુ હેતપૂર્વક અમને કેસરિયા દૂધ પાયું. જતાં એમને ત્યાં થોભ્યાં નહીં એ માટે અમને ઠપકો આપ્યો અને પાકાં કેળાંની એક લૂમ અને જાતજાતના ફળ અમારી મોટરમાં લાદી જ દીધાં ! શો આ લોકોનો નિષ્કામ પ્રેમ ! અમે એમને માટે શું કર્યું હતું ? શું કરી શકવાનાં હતાં ? એમની કે અમારી જિંદગીમાં ફરી વાર મળવાનો સંભવ પણ ઓછો. અને છતાં ઘરનાં કુટુંબી હોઈએ એવા પ્રેમથી અમારી સાથે એ લોકો વર્તતા આવ્યા છે. પોતાની બાહોશી કે બહાદુરીનાં બણગાં ફૂંકવાનું પણ એમને સૂઝતું નથી. આખા પૂર્વ આફ્રિકામાં અમને જ્યાં ત્યાં આવા ગુજરાતી ભાઈઓ મળ્યા છે અને દરેક ઠેકાણે એ જ પ્રેમનો ઊભરો અમે અનુભવ્યો છે.’

લેખકને જેમનું નામ સુદ્ધા યાદ રહ્યું નથી, એવા આફ્રિકે કમાવાધમાવા ગયેલા અસંખ્ય લોકોની આ નિષ્કામી  જમાતમાંના એક, આ તદ્દન સામાન્ય માણસ અબીહાલ જો હયાત હોત, તો આજે પૂરા એકસો વરસના થયા હોત. ઉપરછલ્લું સંશોધન કરીને કહીશું કે પુસ્તકમાં ‘કરાટુ’ સ્થળની વાત લેખક લખે છે, પરંતુ આ ઘટના ‘મ્ટોવામ્બુ’ નામે નાના અમથા ગામની છે. અને એ ગુજરાતી ભાઈનું નામ છે, ભગવાનજી ઓધવજી કલ્યાણી. ન એમને કોઈ બાહોશી કે બહાદુરીનાં બણગાં અને વળી પાછું પોતાનું નામ પણ ઓગળી જાય ત્યાં સુધીનું સરળ સ્ફટિક શું એમનું વ્યક્તિત્વ.

વિક્રમ સંવંત 1956માં, હિંદમાં પડેલા દુકાળને ‘છપ્પનિયો કાળ’ કહે છે. તે સમયે સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયેલું. કહે છે કે બસ્સો વરસમાં ન અનુભવેલો એવો એ દુકાળનો કાળ હતો. કાઠિયાવાડમાં ય તેની ભયંકર અસર પડી. ઇતિહાસવિદ્દ જયકુમાર શુક્લના મત અનુસાર, ‘અનાજ અને ઘાસચારાની તંગી પેદા થઈ. નાના ખેડૂતો, કારીગરો અને જમીનવીહોણા મજૂરોને સૌથી વધારે અસર થઈ.’ ‘છન્નવા’માં ય પાછી આવી અસર ઊભી થયેલી. અને તેને કારણે, ફરી પાછા, કઠિયાવાડમાં ય દુકાળના ઓળા ઊતર્યા હશે. લોકોને માટે ખેતર ખેડવાં મુશ્કેલીઓ અનુભવવી પડતી હશે. ચોગમ નજર કરો તો ય ક્યાં પણ રોજગારી નહીં હોય; તેવા તેવા વસમા દિવસોમાં, કાચી વયે હોડકે સવાર થઈ, ભવિષ્યને ઊજમાળું કરવા, જે પેઢી નીકળી પડેલી, તેમાં જામખંભાળિયે જન્મેલા આ ભગવાનજીભાઈ પણ ખરા.

એ દિવસોમાં પિતા ઓધવજીભાઈ, ગામ વચ્ચે આવેલા એક મંદિરમાં, પૂજારીના સહાયક તરીકે સેવા આપે. બદલામાં તેમને ભોજનની એક થાળી પૂજારી દ્વારા મળે. આ વડીલ એ ભરેલી થાળી ઘેર આણે અને બે માણસ પોતે, તેમ જ છૈયાં સંગાથે, એ ભાણું આરોગે. એવા તે કપરા દિવસો હતા. તેવાકમાં, કિશોરાવસ્થામાં જ પિતા પાછા થયા અને મરણના ત્રીજાચોથા દિવસે, મોટાભાઈ મગનલાલભાઈને તદ્દન કાચી ઉંમરે પરદેશે કમાવા ઉપડી જવું પડ્યું. તેમની પાછળ, પછીના બીજા મોટા ભાઈ, કેશવજીભાઈ નીકળી ગયા, અને 1924ના અરસામાં, ભગવાનજીભાઈ પણ આફ્રિકે ગયા. ત્યાં એમણે નસીબ અજમાવવાનું જ રાખ્યું. મોશી – અરુશાના આગળપાછળના દિવસો ઉપરાંત, મન્યારા અને ઈયાસી સરોવરો વચ્ચે આવેલા ડોંગબેશ, ઇન્દલાકાન, મ્બુલુ, મ્ટોવામ્બુ જેવા જેવા વન્યપ્રદેશમાં એ રોજીરોટી સારુ ઊતરી પડેલા. એ દિવસોમાં ચોપાસ કોઈ પોતીકું જડે નહીં. ભજનકીર્તન અને રામાયણવાંચન એ જ એમના ઘટમાં ઘેરાં ગહેકતાં રહ્યાં. એ ભજનમાં રત રહેવા લાગેલા. સરસ હલકે ગાતા અને રમમાણ બની જતા. ક્યારેક એકતારાના સાથમાં એમને ભજનો ગાતા સાંભળ્યા છે. એમનો કંઠ નરવો હતો. એમના કંઠમાં ગવાયેલાં તુલસીકૃત રામાયણનાં ચોપાઈ, છંદ અને દોહા, ઉપરાંત હનુમાનચાળીસાનો પાઠ, આજે આટઆટલા વરસે ય મનમાં સતત પડઘાયા કરે છે. કેમ કે એમનું સમૂળું જીવન ‘ઘરઆંગણે કૂંડામાં રહેલા તુલસીના છોડ’ જેવું હતું.

સુરેશ દલાલે અન્યત્ર લખ્યું છે તેમ, ‘આખું જગત પ્રવૃત્તિના જાયન્ટ વ્હીલ સાથે વ્યામોહથી જોડાયું હોય ત્યારે કામની બધી જ પ્રવૃત્તિઓથી અળગા રહેવું અને દુનિયા જેને નકામની પ્રવૃત્તિ ગણે એવી પ્રવૃત્તિમાં રહેવું એ વિરલ નહીં, પણ મુશ્કેલ તો છે જ.’  ભગવાનજીભાઈના જીવનની પણ એવી જ કોઈક ઘટમાળ હતી. હિંદથી આફ્રિકે ગયેલા આ જીવને મોટી વયે, ભારત સ્થળાંતર કરવાનો વારો આવ્યો; તથા પાછલી વયે, બ્રિટન. જયંત કોઠારીએ ક્યાંક લખેલું છે તેમ, ‘મૃત્યુ હજો એવું મને – કે છેક છેલ્લી પળ સુધી આ જિંદગી જીવી જવા ઉત્સાહ ના ખૂટે ને મોત જ્યાં નજરે પડે ત્યાં દેહ આ તજતાં જરા ઉદ્વેગ ના ઊઠે મૃત્યુ હજો એવું મને.’ અને લગભગ આવું જ કંઈક ભગવાનજીભાઈના જીવનનું કહી શકાય. સપ્ટેમ્બર 2001 દરમિયાન, એમણે પોતાની જીવનલીલા બ્રિટનમાં સંકેલી લીધેલી. ત્યાં લગીના નવ ઉપરાંત દાયકાના પટમાં, ઉત્સાહ અને ઉદ્વેગ વચ્ચેની ભીંસ વચ્ચે પણ, તેમનો માંહ્યલો ઉત્સાહ વિજેતા બનતો અનુભવાયેલો. મકરંદ દવે ‘વિદાય લેતા આત્માની વાણી’ ગીતમાં લખે છે તેમ, ‘આપણી કથા, આપણી વ્યથા, આપણો હરખ ઓર, સૂના સૂના ગઢમાં બોલે મેના, પોપટ, મોર.’  … ખેર !

કાકાસાહેબ ‘પૂર્વ આફ્રિકામાં’ પુસ્તકના આરંભમાં જ લખે છે : ‘અહીંના લોકો આપણા સામા કાંઠાના પાડોશીઓ જ છે. અહીંનાં મોજાંઓ ત્યાં અથડાય છે, ત્યાંનાં અહીં અથડાય છે. તરત આત્મીયતા બંધાઈ ગઈ. અને એ પણ ખ્યાલ આવ્યો કે આ આત્મીયતા આજની નથી, આજના જમાનાની નથી, આપણો પાડોશ હજારો વરસનો જૂનો છે.’ આવી જ કોઈક પાડોશગત સંવેદનશીલ આત્મીયતા સાથે, ભગવાનજીભાઈના વારસદારોએ, એક અદકેરું કામ હમણાં કર્યું છે. ભગવાનજીભાઈને દેશ્ય ભજનોમાં ઊંડો લગાવ હતો. અને, તેથીસ્તો, ભગવાનજી ઓધવજી કલ્યાણીની સ્મૃિતમાં, આપણી વિરાસત સમા ભજન સાહિત્યનાં જ એક સોજ્જા નક્કર કામમાં ચપટી હાથવાટકો થવાનો જોગ શેષ પરિવારવૃંદે ઊભો કરી આપ્યો છે.

સૌરાષ્ટ્રનાં સંતસાહિત્યનું સંશોધન, ધ્વનિમુદ્રણ, સંકલન, અધ્યયન અને સંરક્ષણનું કામ, વીસબાવીસ વરસોથી, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર પાસેના ઘોઘાવદર ગામે સ્થપાયેલા આનંદ આશ્રમમાંથી, નિરંજન રાજ્યગુરુ કરતા રહ્યા છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નહીં નોંધાયેલા એવા અનેક તેજસ્વી સંત-કવિઓ સોરાષ્ટ્ર પ્રદેશમાં રહ્યા છે. એક એકથી ચડિયાતાં સેવાધામો – સંતસ્થાનો અર્પનારી, ગૌસેવા, માનવસેવા, અન્નદાન અને ઈશ્વરસ્મરણની શીખ આપતી વિવિધ સંતપરંપરાઓ આજે પણ સૌરાષ્ટ્રમાં મોજૂદ છે. સમગ્ર લોકજીવન ઉપર જેની ઘેરી – અમીટ છાયા પથરાયેલી છે અને લોકોના ધર્મ તથા સાહિત્ય વિષયક વિચાર, રહેણીકરણી, આચારવિચાર અને ધાર્મિક ક્રિયાઓ – વિધિવિધાનો ઉપર જેનો વ્યાપક પ્રભાવ આજ સુધી ટકી રહ્યો છે. એવાં સંતસંસ્કૃિત અને સંતવાણી – સંત સાહિત્ય વિશે, સંતોની જીવનપ્રવૃત્તિઓ અને વિભિન્ન પરંપરાઓ વિશે પ્રમાણભૂત કહી શકાય તેવું સંશોધનકાર્ય આજ સુધી થઈ શક્યું નથી. આજ લગીના આ ઉપેક્ષિત કાર્યક્ષેત્રમાં કંઠસ્વરૂપે ઊતરી આવેલું અને ક્યાંક ક્યાંક હસ્તપ્રતોમાં જળવાયેલું આ સાહિત્યધન આજે લુપ્ત થતું જાય છે.

નિરંજન રાજ્યગુરુએ સૌરાષ્ટ્રના 134 જેટલા સંત-કવિઓની વર્ણાનુક્રમે એક યાદી તૈયાર કરી છે. આપણા આ વિસરાતા જતા પરંપરિત વાગ્વારસાને અને લોકસંગીત-ભક્તિસંગીતની લુપ્ત થવાને આરે ઊભેલી વિરાસતને, ભવિષ્યની પેઢી માટે કાયમી જાળવી રાખવા એમણે એક નક્કર યોજના તૈયાર કરી છે. આ અભૂતપૂર્વ કામમાં ‘મેગ્નેટ ટેકનોલોજિસ’ના અશોક કરણિયાની સહાય મળતા, એ યોજનાને હવે ચિરંજીવ કરી શકાય તે માટે ભગવાનજી ઓધવજી કલ્યાણીનાં પત્ની રાધાબહેન તથા શેષ પરિવારે આર્થિક યોગદાન આપવાનું રાખ્યું છે.

દુલા ભાયા કાગ પારિતોષિક વિજેતા તથા શિવમ્ પારિતોષિક વિજેતા નિરંજન રાજ્યગુરુ ખુદ સૌરાષ્ટ્રની આ સંતસાહિત્ય પરંપરાના પરખંદા છે. એમણે આ ક્ષેત્રે સંશોધનકામ કરતાં કરતાં ડૉક્ટરેટપદ પણ હાંસલ કરેલું છે. આ સમૂળા કામનો આદર ગુજરાત સ્થાપન દિને એટલે કે ગઈ 01 મે 2008ના રોજ કરવામાં આવ્યો છે. નિરંજનભાઈના કહેવા મુજબ એમના આ કામને જોમ મળ્યું છે, અને અત્યાર સુધીમાં 45 ઑડિયૉ કસેટ્સ બાબતનું કામ પૂરું થયું છે. આવી બીજી છસ્સો ઉપરાંત કસેટ્સનું કામ હવે હાથ ધરવાનું રહે છે. આ કામ મોટું છે, અટપટું છે અને યાત્રા લાંબી છે. એમ છતાં, એ યાત્રાને સફળ કરવાની તેમ જ જોવાની તાતી આવશ્યક્તા પણ છે. આ સઘળાં ભજનોનું અક્ષરાંકન કરવાનું અને તે દરેકને ડિજિટલાઇઝ્ડ કરવાનું કામ કરવાને સારુ પણ એમણે ત્રણચાર સાથીસહાયકોની ગોઠવણ કરી છે. આટલું કમ હોય તેમ મકરંદ દવે તથા નિરંજનભાઈ વચ્ચે અરસપરસ લખાયેલા 144 પત્રોનું સંકલન – સંપાદનનું કામ પણ આ સંગાથે છોગારૂપ બનવાનું છે. આગામી બેએક વરસના સમયગાળામાં આ સમૂળું સંતસાહિત્ય ચિરંજીવ કરવાનું કામ બનશે, એમ અબીહાલ દેખાઈ રહ્યું છે. મકરન્દ દવેએ કહ્યું હતું તેમ, ‘ભાઈ નિરંજનના અંતરમાં અવધૂતી રંગ ઘોળાયો છે. એ રંગના છાંટણા સહુને મળે એવી મનીષા છે. ’

આવા અવધૂતી રંગમાં રગરગ એકરૂપ બનેલા નિરંજન રાજ્યગુરુ પ્રત્યેની એ મનીષાને સાકાર જોવામાં અહીંનો એક પરિવાર સક્રિયપણે જોડાયો છે, તેથી પણ આ સમૂળા સોજ્જા પ્રકલ્પનું સહૃદય સ્વાગત છે.

(૨૬ મે ૨૦૦૮)

સૌજન્ય : ‘લંડન કૉલિંગ’ નામે “જન્મભૂમિ – પ્રવાસી”માં પ્રગટ થયેલી લેખકની કટાર, “ઓપિનિયન”, 26 જૂન 2008; પૃ. 03-04

Loading

સમજણ અને સમાદારને માર્ગે હિંદનો વેપારવણજ આફ્રિકે ખીલશે

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|5 June 2015


દ્રવિણ દ્રવ્ય વસુ વિત્ત બલ રાય અર્થ સુખઓક,
ધન જેવું વ્રજનંદનું તેવું નહીં ત્રણ લોક.

ભૂતપૂર્વ ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી અને ‘ભગવદ્દગોમંડલ’ કોશ કચેરીના મુખ્ય અધિકારી ચંદુલાલ બહેચરભાઈ પટેલને, ‘ભગવદ્દગોમંડલ’ના ભાગ – 1ના, 488મે પાને, શું અભિપ્રેત હશે, તે વિશે, ચાલો, સમજણની થોડીઘણી મથામણ કરી લઈએ. ‘પિંગળલઘુકોષ’માંથી ઉદ્ધૃત કરેલું એક અવતરણ અહીં વાંચવા મળે છે. આ શબ્દકોશ / જ્ઞાનકોશમાં, અર્થના (એટલે કે પૈસો; ધન; દોલત) ત્રણ પ્રકારના અર્થ (એટલે કે માયનો; સમજ; સમજૂતી) અભિપ્રેત છે : એક, શુક્લ એટલે પ્રમાણિકપણે મેળવેલ; બે, શબલ એટલે પ્રમાણિક અને અપ્રમાણિક બંને રીતે ભેગો કરેલ; અને ત્રણ, કૃષ્ણ એટલે અપ્રમાણિકપણે એકઠો કરેલ.

‘બ્રિટિશ બ્રોડકાસ્ટીંગ કોરપોરેશન’ની આફ્રિકી તેમ જ હિન્દી સેવાઓ દ્વારા, ‘આફ્રિકા અને ભારત વચ્ચેના સંબંધો અર્થતંત્ર સિવાયના છે ખરા કે ?’ — વિષય બાબત, ગઈ 11 જૂને, નભોવાણીના સ્તરે, એક જાગતિક સ્તરનો પરિસંવાદ અહીં યોજાઈ ગયો. સંયોજકોને, ભલા, કયો અર્થ અભિપ્રેત હશે, તેનો ઝાઝો તાગ નથી. પરંતુ ઇન્ટરનેટી માધ્યમ વાટે 239 જેટલી, આની જે વિવિધ ચર્ચા વાંચવા મળી છે તે, જાણવાસમજવા જેવી છે.

07 જૂન 1893. તે ઘટનાને આજે 115 વર્ષ થયા. જગત ભરમાં, હિંદી જમાત પર આ ઘટનાની ભારે મોટી અસર પડી છે. આપણે દરેક મગરૂરીથી જીવી શકીએ છીએ તેનો યશ આ ઘટનાને ફાળે ઓછો નથી. દક્ષિણ આફ્રિકાના રંગભેદ સંબંધક કાયદાકાનૂનોનો સામનો કરવા પીટરમારિત્સબર્ગના રેલવે સ્ટેશન પરે ગાંધીને ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. તેમાંથી સત્યાગ્રહનો જન્મ થયેલો. મોહનમાંથી મહાત્મા તરફની મહાયાત્રાની એ પ્રયોગશાળા હતી. નેલસન મન્ડેલા કહે જ છે કે તમે બેરિસ્ટર ગાંધીની નિકાસ કરી હતી; અમે મહાત્મા ગાંધીની નિકાસ કરી.

અંગ્રેજીમાં લખતા ભારતના એક અગ્રગણ્ય લેખક અમીતાવ ઘોષનું સ્થાન સ્વાભાવિક પહેલી હરોળમાં આવે. ‘સી ઑવ્ પૉપીસ’ નામની તેમની નવલકથા હાલમાં પ્રગટ થઈ છે. અફીણના જાગતિક વેપારની વાત પણ લેખકે અહીં વણી છે. અમીતાવ ઘોષ કહે છે : ‘બ્રિટિશરો હિંદમાં આવ્યા, તે પહેલાં, હિન્દુસ્તાન જગતનું ભારે અગત્યનું અર્થતંત્ર હતું. એ પછીના બસ્સો વરસ લગી ભારતની પડતી થતી રહી અને પછી તેની ક્ષમતા તળિયે જઈને બેઠી !’ અને હવે જુઓ, આ સાંપ્રત એક ધ્રુવી વિશ્વમાં, અમેરિકી દાદાગીરી ફૂલેકે ચડી છે. અને તે પછી, આ મહાસત્તાનાં વિદેશ મંત્રી કોન્ડોલિઝા રાઈસે હાલમાં એક નિવેદનમાં કહેલું કે ભારત, રશિયા તેમ જ ચીન જેવા કેટલાક મોટા દેશો સાથે વહેવારુ અને વિધેયક સંબંધ જળવાય તે આવશ્યક છે. તે વગર જગતના અનેક કોયડાઓ ઉકેલી શકાય તેમ નથી, તેમ તેમનું માનવું છે. મૂળગત ભારતની આર્થિક તાકાત વધી રહી છે તેની આમાં સાહેદી વર્તાય છે.

વારુ, દક્ષિણ આફ્રિકાની આપણે વાત કરતા હતા. તે મુલક સાથે, સ્વતંત્રતા પહેલાંથી, હિંદને વેપારવણજનો સંબંધ રહ્યો છે. તત્કાલીન સરકારની રંગભેદની નીતિને કારણે ભારતે 1948થી દક્ષિણ આફ્રિકા સાથે કોઈ અધિકૃત સંબંધ રાખ્યો નહોતો, છતાં વેપારવણજને ઝાઝી આંચ આવેલી નહીં. પરંતુ હવે પરિસ્થિતિ કેવી છે ? ભારતનો પગપેસારો આફ્રિકા ખંડમાં વધતો રહ્યો છે. દક્ષિણ આફ્રિકા તેમ જ પૂર્વ આફ્રિકાના અનેક મુલકોમાં પણ હિંદી વેપારીઓ નાની મોટી ધંધાકીય પેઢીઓ દાયકાઓથી ચલાવતા રહ્યા છે. દક્ષિણ આફ્રિકા આઝાદ થયું અને તેણે મેઘધનુષી રાષ્ટ્ર તરીકેની છાપ ઊભી કરી. દરેક વર્ણના અને રંગના લોકોને સમાદાર મળે તેમ જાહેર પણ રહ્યું. અને તેમ છતાં, આ વૈશ્વિક અર્થતંત્રની રૂખમાં ત્યાં પણ બહારના લોકો પ્રત્યેનો રોષ હવે વધવામાં છે. છેવટે રોજગારીનો સવાલ અહીં પણ સર્વત્ર કેન્દ્રસ્થ રહ્યો છે. ભૂમિપુત્રોની આવી ઘટનાઓએ પરિણામે ત્યાં જોર પકડ્યું છે. આફ્રિકા ખંડના બીજા મુલકોમાંથી આવેલી પ્રજાઓ ભણીનો જ એ રોષ હવે રહ્યો નથી; એ વિસ્તરી રહ્યો છે. ડરબન સરીખા શહેરમાં રાધિકા અને ગોપાલ મોહન જેવાં કેટલાંક મૂળ હિન્દવી કોમનાં લોકોને પણ રંજાડ સહેવાનો વારો આવ્યો છે. તે સૌએ ઉચાળા ભરી પોતાના વતનમાં ચાલી જવું રહ્યુંની કોઈક ઝુંબેશ ચલાવાઈ રહી છે.

બી.બી.સીનાં આ રેડિયો પરિસંવાદ વિષે ઉપલકિયા નજરે અવલોકન કરીએ તો સમજાય છે કે દક્ષિણ અને પૂર્વ આફ્રિકાના મુલકોમાંથી ભાગ લેનારાઓની ઊંચી ટકાવારી હિંદીઓની રીતરસમની ટીકા કરે છે અને સાથે સાથે ભારતના સૂચિતાર્થો વિશે શંકાશીલ છે. જ્યારે નાયજિરિયા સમેતના પશ્ચિમી મુલકોમાંના મોટા ભાગનાઓ ભારતની સરાહના કરે છે. નાયજિરિયાના લિંકન ઓરોનના મત મુજબ તો ભારત પાસેથી ખૂબ પામી શકાય તેમ છે. પરંતુ સવાલ એ છે કે આફ્રિકામાં મોટા ભાગે આગેવાનો રાજ કરતા નથી, શાસકો શાસન ચલાવે છે, તેમણે ઉમેરેલું. આવો મત નાયજિરિયાના જેકબ એકેલેનો પણ રહ્યો. એ કહે : મારા પિતા ભારતમાં ભણ્યા. પાછળના વરસોમાં હિંદીઓ અમારી પડોશમાં રહેતા હતા. મહાત્મા ગાંધીના જ જાણે કે વારસદાર સમા. ક્યારે ય ઝગડા વહોરે નહીં. પરંતુ જગતનો વિકાસ સાધવાને સારુ એશિયાઈ વાઘની પેઠે ફટાક દઈને બેઠા ગયા. ભારતીય અર્થતંત્રમાંથી આફ્રિકાએ ઘણું શીખવા જેવું છે.

યુગાન્ડાની મૂળ વતની પણ હાલ યુરોપમાં વસતી ગ્રેઇસ કહેતી હતી કે અમારા મુલકની જેમ, સઘળે હિંદીઓ વેપાર કરી જાણે છે; પરંતુ મૂડીનું રોકાણ જે તે આવા મુલકમાં કરવાને બદલે સઘળું પશ્ચિમી દેશો ભણી તાણી જાય છે. ઝામ્બિયાના શૂટી એફ.એન. લિબૂટા કહેતા હતા : બ્રિટન અને અમેરિકાના નમૂનાઓ અનુભવ્યા પછી તેમના જેવા થવાની જરૂર નથી. આફ્રિકા ખંડે અને ભારતે એક બીજા પ્રત્યે સમજણ કેળવવી જોઈએ. અરસપરસ સહાયભૂત થવાનું રાખવું જોઈએ. બ્રિટનમાં વસતા માલકમ ઝાંગ કહેતા હતા : ભારત રાષ્ટ્રસમૂહનો દેશ છે અને તેથી ચીનની સરખામણીએ વધુ મહત્ત્વનો મુલક છે. મોટા ભાગના આફ્રિકી દેશના કાયદાકાનૂનો, રીતરસમો, મૂલ્યો, અને વળી ભાષા પણ લગભગ એકસરાખાં છે. આથી ભારતની સહાય વિશેષ કામની છે. આવાં હૂંફટેકાને કારણે ભારત અને આફ્રિકા તો મજબૂત બનશે, પણ સાથે સાથે દુનિયાનો ય વિકાસ થશે.

હિંદ અને આફ્રિકાના સંબંધો આજના નથી. એ સંબંધો સંસ્થાનવાદને કારણે ય બંધાયા નથી. કાકાસાહેબ કાલેલકર કહેતા હતા તેમ તે સામે પારના પાડોશીઓના સંબંધો છે. આફ્રિકાના મોટા ભાગના દેશોની સ્વતંત્રતાની લડતમાં ભારતની સ્વતંત્રતાની ઝુંબેશનું બહુ જ મોટું યોગદાન છે. આ દેશોમાં આજે પણ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની ભારે મોટી અસર જોવાની સાંપડે છે. અને પરિણામે, સમાદાર સમજણ તથા સલુકાઈ સાથે ભારત જો અર્થતંત્રના વિકાસ અર્થે પગલાં ભરશે તો ભારત માટે આફ્રિકા ખંડ સંગાથે મજબૂત સંબંધ ખીલવવામાં લગીર તકલીફ પડવાની નથી.

(૨૩.૦૬. ૨૦૦૮)

સૌજન્ય : ‘લંડન કૉલિંગ’ નામે “જન્મભૂમિ – પ્રવાસી”માં પ્રગટ થયેલી લેખકની કટાર, “ઓપિનિયન”, 26 જુલાઈ 2008; પૃ. 04-05

Loading

સાત દરિયા વીંધીને … મોતીડાંના દેશમાં

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|5 June 2015

આપણા લોકલાડીલા કવિ ઝવેરચંદ મેઘાણીએ, સન 1929ના અરસામાં, ‘કિલ્લોલ’ નામે કાવ્યસંગ્રહમાં એક બાળકાવ્ય લીધું છે. 1922 દરમિયાન લખાયેલું આ બાળગીત ‘દાદાજીના દેશમાં’, દાયકાઓથી માણતો રહ્યો છું. દાદાજીના દેશથી દૂરસુદૂર જન્મ, ઉછેર થયો હોવાને કારણે એ કાવ્યનું એક અલાયદું પરિમાણ પણ અમને રહ્યું છે. કવિની આ પંક્તિ, ચાલો, જોઈએ :

સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે,
નાગ-કન્યાના મ્હેલ રૂડા આવશે,
એની આંખોમાં મોતી ઝરતાં હશે,
હાં રે દોસ્ત ! હાલો મોતીડાંના દેશમાં.

બ્લાન્ચ રોચ દ’સૂઝાકૃત ‘હારનેસીંગ ધ ટ્રેડ વીન્ડ્સ’ નામની એક ચોપડી નાયરોબીસ્થિત પ્રકાશન સંસ્થા ‘ઝેન્ડ ગ્રાફિક્સ’ દ્વારા તાજેતરમાં પ્રગટ થઈ છે. વરસાદી વાયરાઓના સહારે સહારે, સૈકાઓથી, આફ્રિકાના ઊગમણા કાંઠા વિસ્તારના મુલકો સાથે હિંદનો જે વેપારવણજ થતો રહ્યો છે, તેની ઐતિહાસિક સામગ્રી અને દાસ્તાઁ આ ચોપડીમાં ભરી પડી છે. કેન્યામાં જન્મેલાં અને ઉછરેલાં બ્લાન્ચ રોચ દ’સૂઝાએ કરાંચી ને મુંબઈમાં શિક્ષણ લીધેલું તથા શિક્ષક થવાની તાલીમ મેળવી હતી. ગ્રંથાલય વિજ્ઞાનનો ઉચ્ચ અભ્યાસ તેમણે કેન્યામાં આટોપીને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાની લાયબ્રેરી ઑવ્ કાઁગ્રેસમાં વરિષ્ટ સૂચિકાર તરીકેની સેવાઓ ય આપી છે. આ પુસ્તકનાં અધ્યયન-સંશોધન માટે બ્લાન્ચબહેને નાયરોબી, ઝાંઝીબાર, મુંબઈ તેમ જ ગોવાના વિવિધ દફ્તર ભંડારોમાં સારો એવો વખત પસાર કરેલો છે.

હિંદી મહાસાગરમાં, સૈકાઓથી, વેપારવણજ સારુ આરબો, અંગ્રેજો તેમ જ ફિરંગીઓ વચ્ચે ચડસાચડસી થતી રહેલી, તેમ ઇતિહાસ નોંધે છે. તેની જ પછીતે વેપારવણજ, કામદારો અને વસાહતીઓનાં સ્થળાંતરની વિધવિધ કથાઓ આલેખાતી રહી છે. આથીસ્તો, તેની જ ચોપાસ, ‘તપખીરિયા આદમી’ની રોમાંચક દાસ્તાઁને કેન્દ્રસ્થ રાખવાનો ઉજમાળો પ્રયાસ આ લેખિકાએ કર્યો છે. આરબો અને હિંદી લેખકોની અને ઇતિહાસકારોએ લખી સામગ્રીઓ લેખિકાને જૂજ જ મળેલી. ઇતિહાસ સાથે જાણે કે આપણને કોઈ સ્નાનસૂતકનો વ્યવહાર પણ નથી, એમ આજે ય જ્યાં આપણે માનતા હોઈએ, ત્યારે તે વેળાની આપણી ઉદાસીનતાઓ અને ઉપેક્ષાઓ પ્રત્યેનો રંજ હોવા છતાં, તે સમજાય છે.

“ધ ઇસ્ટ આફ્રિકન”ની તાજેતરની એક પૂર્તિમાં, કેન્યાના એક વિચારક લેખક વામ્બૂઈ મ્વાન્ગી લખતા હતા : ‘રોટલી સાથેનો આપણો સંબંધ કેવો મજેદાર છે ! આપણે પૂરી સ્વસ્થતા સાથે એમાં ચેવડો ભરીને આરોગીએ છીએ. મટોકે(કાચાં કેળાંની એક સ્વાદિષ્ટ વાનગી)ની જેમ, આપણે આફ્રિકાની જ વાનગી હોય તેમ જાણીને સમોસાં ય ઝાપટીએ છીએ. આપણા ખોરાકથી માંડીને આપણી વેષભૂષામાં, આપણા રાજકીય દૂરાચરણોમાં, આપણાં વ્યક્તિગત ગમાં-અણગમાંમાં, આપણા જીવનવ્યવહારમાં આપણને ચોમેર હિંદી અસર જોવા સાંપડે છે.’ નાયરોબીના સંગીતકાર એરિક વાઈનાઈનાએ ભારતીય સંગીતને આફ્રિકી પરંપરાનાના સંગીત સાથે મિશ્રણ કરીને આમ લોકોમાં લોકપ્રિય થયેલાં જે ગીતસંગીત આપ્યાં છે, તેને, ભલા, શું કહીશું ?

ગયા સૈકાના પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં, લેખિકા, એક વેળા, નાયરોબીના ઇન્ડિયન બજાર વિસ્તારમાં ખરીદીએ ગયાં હતાં. કરાંચીના બહોરી બઝારની પેઠે અહીં પણ તેમને દુકાનવાળાઓ ચોમેર જોવા મળ્યા. સરખાપણું ભાળતાં લેખિકાને થયું કે સંબંધીઓ થતા હશે. આમ તો તે સૌ સંબંધીઓ જ હતા, કેમ કે, તે સૌ એક જ મુલકમાંથી આવતા હતા. બંને દેશોમાં આ લોકોનું અંગ્રેજી ભારે નબળું હતું. બ્રિટિશ તાબા વિસ્તારમાં લાંબા સમયથી રહેવા છતાં, ભલા, આવું કેમ બનતું હશે ? પછી લેખિકાને સમજાયું કે એ સૌ પોતાના વારસા અંગે ઊંચો મત ધરાવતા હતા. પોતાની માદરી જબાન માટે તેમને ઊંડી લાગણી ય હતી. લેખિકાને આથી સવાલ રહ્યો : તો પછી તે લોકો અહીં આવ્યા કેમ હશે ?

પૂર્વ આફ્રિકાસ્થિત લેખિકા સિન્થિયા સાલવાડોરીએ, ‘વી કેમ ઈન ડાઉસ’ (આશરે બસ્સો ટન વજનના, અરબી સમદ્રમાંનાં વહાણો) નામે, ત્રણ ભાગમાં, ઐતિહાસિક પુસ્તકો આપણને આપ્યાં છે. તેમ ડાના એપ્રિલ સીડનબર્ગે, સન 1996માં, ‘મર્કનટાઈલ એડવેન્ચર્સ’ નામે એક પુસ્તક આપ્યું છે. આ પુસ્તકમાં નોંધાયું છે કે ઇતિહાસ, અલબત્ત, વિજેતાઓ દ્વારા લખાય છે, પરાજિતો વાટે નહીં. બ્લાન્ચબહેન, આથીસ્તો, સિક્કાની બીજી બાજુની શોધમાં રહ્યાં છે.

આજકાલ પશ્ચિમમાં વૈશ્વિકરણની જે વાતો થાય છે તે લગીર નવી નથી. અમર્ત્ય સેનના મત મુજબ, એ હજારો સાલથી અસ્તિત્વમાં છે. મુસાફરીઓ, વેપારવણજ, સ્થળાંતર, સાંસ્કૃિતક અસરોનો વિસ્તાર તેમ જ માહિતી તથા સમજણના ફેલાવામાં તેનો વિકાસ થતો રહ્યો છે. યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશો સાથે વેપારવણજના સંબંધો કેળવવામાં હિંદી નસ્સલની કેટકેટલી પેઢીઓ અહીં અસ્તિત્વમાં હતી તેની પણ લેખિકા સ-આદર નોંધ કરે છે.

જંગબાર યાને કે ઝાંઝીબારમાં, 1884ના અરસામાં, સ્થપાયેલી પેઢી કાવસજી દિનશા ઍન્ડ બ્રધર્સની કામગીરી ગૌરવ અપાવે તેવી છે. તેનું વડું મથક જો કે એડનમાં હતું અને મુંબઈ, જીબુટી, બેનાદિર અને સોમાલિયાના પ્રદેશ વિસ્તારોમાં તે પેઢીનો પ્રભાવ બોલતો હતો. ઝાંઝીબારની બીજી પેઢી અબ્દુલહુસૈન ગુલામહુસૈન ઍન્ડ બ્રધર્સનો વિસ્તાર અમેરિકાના ડેટ્રોઈટ શહેર સુધી ચાલતો હતો. તે પ્રમાણે યૂસુફ નૂરભાઈ પિશોરી, ફઝલ એચ. નાસર, હુસૈની ધરમશી હસમાની, જાદવજી દેવજી, વાલજી હીરજી ઍન્ડ બ્રધર્સ, મોહમ્મદ ધનજી, બી. સિન્ઘો અપ્પુ, બન્દાલી હીરજી ઍન્ડ કમ્પની, કરીમજી જીવણજી ઍન્ડ કમ્પની, કાસમઅલી ઇસ્માઈલ ઍન્ડ કમ્પની, ઈસ્માઈલજી જીવણજી ઍન્ડ કમ્પની શા મોટાં મોટાં નામોની લેખિકા આપણને ફેર યાદ આપે છે. એ યાદી જોતાં વાંચતાં તો પોરસ ચડે છે અને તેના નશામાં છાતી અને પીઠ ટટ્ટાર બની જાય છે. વળી, મૂળજીભાઈ માધવાણી, નાનજી કાળીદાસ મહેતા, ચંદરિયા જૂથ, જટાણિયા જૂથની પેઢીઓ, કિસુમુના પાઠક પરિવારવૃંદની અને તેવી બીજી સેંકડો પેઢીઓની દેણગીને પણ સામૂકી બિરદાવાઈ છે.

તમે માનશો ? નાળિયેરી, ફણસ, જામફળ, કેરી, આમલી અને કાજુનાં વિવિધ વૃક્ષો; બાજરી, ચોખા, ઘઉં, જુવાર, તલ જેવાં જેવાં ધાન્યો; મોસંબી, લીંબુ, પપૈયાં, અંજીર, કેળાં, દાડમ, અન્નાનસ જેવાં ફળો;, ભીંડાં, રીંગણાં, કાકડી, રતાળુ, મરચાં, ભોંયસિંગ જેવાં જેવાં વિવિધ શાકભાજી ઉપરાંત આદુ, લસણ, કાંદાં, લીમડો, તુલસી, કપાસ વગેરે વગેરે ક્યાંથી આફ્રિકે પહોંચ્યાં હશે ?  દોસ્ત !  માથું ખંજવાળવાની કોઈ જ જરૂર નથી. આ અને આવાં બીજાંત્રીજાં વસાણા સમેત બીજું કેટકેટલું બધું હિંદ સરીખા મુલકો સાથેનાં આદાનપ્રદાનને કારણે અહીં સુલભ થયાં છે, એમ બ્લાન્ચબહેન ગૌરવભેર નોંધે છે.

વરસાદી વાયરે, વાંચક દોસ્ત, સાત સાત દરિયા વીંધીને, દાદાજીના દેશમાંથી મોતીડાંના દેશ ભણીની આ ખેપ વાટે જે આ લીલાલહેર જોવા અનુભવવા સાંપડી છે, તેની આ ગૌરવગાથા છે. 

ટૂંકામાં, આ ચોપડીએ કોઠો ટાઢો કરી આપ્યો છે.

Harnessing the Trade Winds : The Story of the Centuries-Old Indian Trade with East Africa, using the Monsoon Winds : Blanche Rocha D’Souza : ISBN 9789966712325 | 208 pages | 216 x 140 mm | B/W Illustrations | 2008 | Zand Graphics, Kenya | Paperback : Categories : History | Humanities & Social Sciences : £19.95

(૦૭.૦૭.૨૦૦૮)

સૌજન્ય : ‘લંડન કૉલિંગ’ નામે “જન્મભૂમિ – પ્રવાસી”માં પ્રગટ થયેલી લેખકની કટાર, “ઓપિનિયન”, 26 જુલાઈ 2008; પૃ. 05-06

Loading

...102030...3,8993,9003,9013,902...3,9103,9203,930...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved