Opinion Magazine
Number of visits: 10028188
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Alexander Forbes : British Adhikaari

લલિત ખંભાયતા|Opinion - Literature|8 September 2015

એલેક્ઝાન્ડર ફાર્બસઃ બ્રિટિશ અધિકારી

ગુજરાતી સાક્ષર કઈ રીતે બન્યા?

એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ પરદેશી હોવા છતાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃિતમાં તેમનું પ્રદાન મહત્ત્વપૂર્ણ છે. દોઢસો વર્ષ પહેલાં અવસાન પામેલા ફાર્બસે સતત સંઘર્ષ કરીને પણ ગુજરાતમાં અર્વાચીનતાના સૂર્યોદયની છડી પોકારી હતી. ૧૯મી સદીમાં જઈને જાણીએ એમનો સંઘર્ષ અને તેમની સફળતા ..

નવેમ્બર ૧૫, ૧૮૪૩. દિવસો પહેલાં લંડનથી નીકળેલું જહાજ આજે મુંબઈની ગોદીમાં આવી પહોંચ્યું. જહાજમાંથી મુસાફરો ઊતરવા શરૂ થયા. મુંબઈના બારામાં આવતાં જહાજો અને તેમાંથી ઊતરતાં બ્રિટિશરો .. એ રોજનો ક્રમ હતો. પણ એ દિવસે એક ૨૨ વર્ષનો યુવા બ્રિટિશર જહાજમાંથી ઊતર્યો. બ્રિટનની કંપની સરકારે આઈ.સી.એસ. થયેલા જુવાનને હિન્દમાં નોકરીએ મોકલ્યો હતો.

યુવાન ભારતની ધરતી પર તો પ્રથમવાર જ પગલાં માંડી રહ્યો હતો. પણ પોતાના અભ્યાસને કારણે તેને ભારત વિશે જાણકારી હતી. ખાસ તો કોલેજકાળમાં યુવાને સ્થાપત્યવિદ્યા અને ભારતીય કળા સંસ્કૃિત વિદ્યા (ઈન્ડોલોજી)નો અભ્યાસ કર્યો હતો. પુસ્તકમાં ભણેલા એ પાઠો હવે અહીં ભારતમાં તેને વાસ્તવમાં જોવા મળવાના હતા. એ યુવાનનું નામ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ.

*  *  *

લંડનમાં જન્મેલા ફાર્બસ વગર આજે ગુજરાતી સાહિત્ય-ભાષાના ઇતિહાસની વાત થઈ શકે એમ નથી, એટલું માતબર તેમનું પ્રદાન છે. દલપતરામના તેઓ મિત્ર હતા અને તેમના અવસાન પછી દલપતરામે લાંબી કવિતા પણ લખી હતી, જે ગુજરાતી સાહિત્યમાં 'ફાર્બસ વિરહ' તરીકે જાણીતી છે. એટલી માહિતી ઉપરાંત પણ ફાર્બસ વિશે જાણવા જેવુ ઘણું છે!

*  *  *

૧૮૬૫ની ૩૧મી ઓગસ્ટે ફાર્બસે દેહ છોડયો ત્યારે તેઓ પૂના હતા. ફાર્બસના મૃત્યુની દોઢ સદી પ્રસંગે તેમને યાદ કરીને સાહિત્યિક સંશોધક દીપક મહેતાએ ફાર્બસ અંગે રસપ્રદ પુસ્તક તૈયાર કર્યું છે, 'અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર – એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ઃ જીવન અને કાર્ય'. એ પુસ્તક માહિતી આપે છે કે શા માટે પરદેશી ફાર્બસને ગુજરાતી અર્વાચીનતાના છડીદાર ગણવા રહ્યા?

*  *  *

બ્રિટિશ સત્તાધીશોએ એવો નિયમ બનાવ્યો હતો કે જેમની હિન્દુસ્તાનમાં નોકરી લાગે તેમણે હિન્દુસ્તાની ભાષા શીખવી ફરજિયાત છે. એ નિયમ હેઠળ જ ફાર્બસ હિન્દુસ્તાની ભાષા શીખીને મુંબઈ ઊતર્યા હતા. એ વખતે ગુજરાત નામનો અલગ પ્રાંત ન હતો. જે વિસ્તાર હતો એ મુંબઈ ઈલાકો હતો. ૨૦૦થી વધારે રજવાડાંઓ અને બીજા કેટલાક ટુકડાઓ મળીને બનેલા મુંબઈ પ્રાંતમાં અનેક ભાષાઓ બોલાતી હતી. માટે મુંબઈના ગવર્નરે વળી નિયમ આકરો બનાવતાં એવુ નક્કી કર્યું કે મુંબઈ પ્રાંતમાં નોકરી કરવી હોય તો એક હિન્દુસ્તાની ઉપરાંત એક સ્થાનિક ભાષા પણ શીખવી જોઈશે. અને તો જ પ્રમોશન મળશે.

ભાષાને વળગેલું ભૂર

ફાર્બસ ભારત આવ્યા ત્યારે એટલે જ તેમણે ગુજરાતી શીખવાનું નક્કી કરી લીધું, કેમ કે એ તેમની મજબૂરી હતી. ભાષાના શિક્ષક તરીકે તેમને મળ્યા કવિ દલપતરામ. તેમની પાસેથી ભાષાનો અભ્યાસ કરતાં કરતાં ફાર્બસને ખબર પડી કે આ વિસ્તારનો (એટલે આજના ગુજરાતનો) સાંસ્કૃિતક ઇતિહાસ ભારે સમૃદ્ધ છે. પરંતુ અત્યારે તો (૧૯મી સદીના મધ્યાહ્ને) હાલત ખંડેર જેવી છે. એ વખતે અમદાવાદ માન્ચેસ્ટર હતું નહીં. એક સામાન્ય શહેર હતું અને એ પણ ખાડે ગયેલું.

ગુજરાતી શીખી રહેલા ફાર્બસે એટલે સૌથી પહેલાં તો જનજીવન સુધરે એ માટે પ્રયાસો શરૂ કર્યા. ૧૮૪૮માં નાતાલ વખતે રજાઓ ગાળવા ઊપડી જવાને બદલે બીજા અંગ્રેજોને ભેગા કરી એક સંસ્થા સ્થાપી. એ સંસ્થા એટલે આજની 'ગુજરાત વિદ્યાસભા', પણ ત્યારનું નામ હતું, 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'. એ સંસ્થાનું કામ સાંસ્કૃિતક વિકાસ કરવાનું હતું. સાથે સાથે ફાર્બસે શાળાઓ શરૂ થાય, લોકોનો વાંચન રસ-રુચી વધે, એવી સંસ્થાઓ સ્થાપવા પણ સામાજિક અગ્રણીઓને પ્રોત્સાહન આપ્યું. સોસાયટીની સ્થાપના થતાં પહેલું કામ અમદાવાદમાં ગ્રંથાલય શરૂ કરવાનું કર્યું. આજે 'હિમાભાઈ ઈન્સ્ટિટયૂટ' તરીકે અમદાવાદમાં ધૂળ ખાતી એ ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી હતી.

ઇતિહાસ સમૃદ્ધ છે, પણ નોંધ ક્યાં?

અભ્યાસ કરતાં ફાર્બસને જણાયું કે ગુજરાતનો જોઈએ એવો ઇતિહાસ ક્યાં ય નોંધાયો નથી. તો પછી એક પ્રાંત તરીકે ગુજરાતનો ઇતિહાસ શા માટે તૈયાર ન કરવો? ફાર્બસે એ માટે દલપતરામને કામે લગાડયા. પ્રાચીન હસ્તપ્રતો, ગ્રંથો, દસ્તાવેજો, શિલ્પો, સ્થાપત્યો .. જેમાંથી જાણકારી મળી શકે એમ હોય તેનો અભ્યાસ કર્યો. દલપતરામને સાથે લઈને ફાર્બસ જ્યાં-ત્યાં ફરી વળ્યા. ઇતિહાસ લખવા માટે જોઈએ એવી સામગ્રી એકઠી કરી.

ચાલુ નોકરીએ ઇતિહાસ લખવાનું કામ સરળતાથી નહીં કરી શકે એમ લાગતાં ફાર્બસ ૩ વર્ષની રજા લઈ ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા. ભારતમાં રહીને દલપતરામની મદદથી જે સંદર્ભ સામગ્રી એકઠી કરી હતી, તેનો ઉપયોગ કરી ફાર્બસે ઇતિહાસ લખ્યો. ૧૮૫૬માં એ ઇતિહાસ બે ભાગમાં પ્રકાશિત થયો, જે આજે 'રાસમાળા' તરીકે ઓળખાય છે. રાસમાળા નામને રાસ-ગરબા સાથે સંબંધ નથી. પરંતુ રાસ અથવા રાસો એ ગુજરાતી ભાષા જ્યારે ગુજરાતી પણ ન હતી એ જમાનાનો સાહિત્ય પ્રકાર છે. તો વળી ભગવદ્દગોમંડલ રાસોનો અર્થ 'જૈન કવિઓએ રચેલ કાવ્યપ્રબંધ' એવો કરે છે. એટલે પ્રાચીન ગ્રંથો 'મુંજરાસો', 'પૃથુરાજરાસો' વગેરે નામે ઓળખાય છે. ટૂંકમાં રાસો એ એક સાહિત્ય-લખાણ પ્રકાર છે. અને માળા એટલે સિરીઝ. ગુજરાતી ભાષાના ઇતિહાસની પહેલી સિરીઝ એટલે રાસમાળા.

બ્રિટનમાં ભણતા હતા ત્યારે ફાર્બસની ઈચ્છા ઈજનેર થવાની હતી. ઈજનેર તો ન થયા પણ સ્થાપત્યો-બાંધકામો અંગે તેમને જાણકારી હતી, જે ભારતમાં કામ લાગી. એક વખત પાટણમાં વનરાજ ચાવડાના શિલ્પનો ફોટો પાડવાની કોઈએ તેમને ના પાડી તો ફાર્બસે ઊભાઊભ તેનું રેખાચિત્ર બનાવ્યું અને પાછળથી તેમાં રંગો પણ પૂર્યા. એવાં ઘણાં ચિત્રો ફાર્બસે તૈયાર કર્યાં હતાં, કેમ કે ચિત્રકળામાં પણ તેઓ ઉસ્તાદ હતા. રાસમાળામાં આવા ચિત્રો પણ હતાં. ફાર્બસે પોણા બે સદી પહેલાં ગુજરાતનો સચિત્ર ઇતિહાસ તૈયાર કર્યો હતો!

ગુજરાતના પછી તો ઘણા ઇતિહાસ લખાયા. પણ ફાર્બસનો ઇતિહાસ પ્રથમ હોવા ઉપરાંત તેની લાક્ષણિકતાને કારણે મહત્ત્વનો છે. કેમ કે તેમણે ઇતિહાસ લખવા માટે પહેલી વખત હિન્દુ લેખકોનાં લખાણો, શિલાલેખો, વહી-વંચાઓના ચોપડા, શિલ્પ-સ્થાપત્યો વગેરેનો અભ્યાસ કરીને ઇતિહાસ લખ્યો હતો. તો વળી મેઘાણીએ નોંધ કરી છે કે પરદેશી હોવાને નાતે ફાર્બસ સાહેબ તટસ્થ રીતે તવારીખ નોંધી શક્યા છે.

આજે રાસમાળામાં ઘણી ભૂલો જણાય, કેમ કે આપણે માહિતી વિસ્ફોટના યુગમાં જીવીએ છીએ. સવાલ થાય ત્યાં ગૂગલનો સહારો લઈ શકીએ છીએ. પરંતુ તેનાથી ફાર્બસની મહેનત અને રાસમાળાનું ઐતિહાસિક મૂલ્ય ઓછાં નથી થઈ જતાં. રાસમાળાની રચના પછી સાડા ત્રણ દાયકા સુધી લખાયેલા ગુજરાતી સાહિત્ય પર રાસમાળાની પ્રચંડ અસર રહી છે. મહિપતરામ નીલકંઠે નોંધ કરી છે કે નંદશંકર મહેતા લિખિત પ્રથમ ગુજરાતી નવલકથા 'કરણઘેલો' રાસમાળાથી પ્રભાવિત હતી. 'પ્રબંધચિંતામણિ' ગુજરાતી ઇતિહાસનો આધારભૂત ગ્રંથ ગણાય છે. ફાર્બસે તેનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો હતો.

જ્યાં કામ, ત્યાં કમાલ

ફાર્બસે સુરત, અમદાવાદ, ધોળકા-વિરમગામ, મહિકાંઠાની એજન્સી, ઈડર .. વગેરે સ્થળે કામ કર્યું અને દરેક સ્થળે સાંસ્કૃિતક વિકાસની શરૂઆત કરી દીધી. અંગ્રેજ હતા, ચામડીનો કલર અલગ હતો .. છતાં પણ ફાર્બસને લોકો સ્વીકારતા હતા. કેમ? કેમ કે તેઓ દેશ તેવો વેશ કહેવતને જીવનમાં ઉતારી ચૂક્યા હતા. એ વખતે ભારતીયો સામાન્ય ગોરા અમલદારને પણ સાહેબ તરીકે માન-પાન આપતા હતા. ફાર્બસ તો માઈ-બાપ ગણવા પડે એવા હોદ્દા પર હતા. છતાં ય ફાર્બસ ધાર્મિક સ્થળોમાં જાય તો બૂટ બહાર ઉતારતા હતા. બેસવા માટે ખુરશી-ટેબલ ગોઠવાય તો પણ જમીન પર શેતરંજી પાથરીને બેસતા. એટલે સ્થાનિક લોકો તેને આસાનીથી સ્વીકારી લેતા અને તેમની સાથે મૈત્રીપૂર્ણ વર્તાવ કરતા હતા.

પોતાના કામ માટે ફાર્બસ જે શીખવું પડે એ શીખવા તૈયાર હતા. દલપતરામ સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા. તો ફાર્બસે એ સંપ્રદાયની પણ ખાસ્સી જાણકારી મેળવી હતી. એટલે એ વખતે તો એવી વાતો પણ થતી હતી કે ફાર્બસ ટૂંક સમયમાં ખિસ્ત્રી ધર્મ ત્યજીને સ્વામીનારાયણ ધર્મ અંગીકાર કરવાના છે! ઊંચેરા અંગ્રેજ અમલદાર હોવાને કારણે ફાર્બસ પાસે કેમેરા પણ હતો. ફોટોગ્રાફી એ જમાનામાં સાવ નવી કળા હતી. પરંતુ પોતાના કામ માટે ઉપયોગી હોવાથી ફાર્બસે એ નવી કળા પણ હસ્તગત કરી લીધી હતી.

સોરઠના ઓખામંડળમાં વાઘેરોના બળવા વખતે તેમણે સોમનાથ-પાટણની મુલાકાત લીધી અને સોમનાથ મંદિરના કેટલાક ફોટા પણ પાડયા. એ ફોટા આજે અત્યંત મહત્ત્વના દસ્તાવેજો ગણાય છે. કેમ કે ફાર્બસે ફોટા પાડયા હતા, એ સોમનાથ મંદિર આજે રહ્યું નથી. એ જૂના મંદિરનું બાંધકામ કેવું હતું એ સમજવા ફાર્બસ અને તેના જેવા બીજા અભ્યાસુએ પાડેલા ફોટોગ્રાફ્સ જ કામ આવી શકે એમ છે. એ વખતે ફાર્બસ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ હતા. વાઘેરોનો બળવો કાબૂમાં લેવા જ તેમને મોકલાયા હતા અને તેમણે એ કામ બખૂબી પાર પાડયું હતું.

૧૮૫૦ની સાલમાં સરકારે તેમની બદલી મુંબઈ કરી. દલપતરામને સાથે લઈ તેઓ મુંબઈ જવા નીકળ્યા. ખંભાત સુધી બળદગાડામાં અને ત્યાંથી આગબોટમાં પ્રવાસ કર્યો. છ દિવસનો એ પ્રવાસ પૂર્ણ કરી ફાર્બસ મુંબઈ તો પહોંચ્યા પણ અહીં તેમને લાંબો સમય કામ કરવાનું થયું નહીં. થોડા સમયમાં સુરત બદલી થઈ. ભારત આવ્યા ત્યારે તેમની નોકરી આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાની હતી. પણ સુરતમાં આગળ વધતાં વધતાં તેઓ જજના હોદ્દા સુધી પહોંચ્યા હતા. સુરતમાં પણ તેમણે સાહિત્ય-સંસ્કૃિતને મહત્ત્વ મળે એવી સંસ્થાઓ સ્થાપી. કોઈ વ્યક્તિ પાસેથી માહિતી-મદદ મળે, તેને તેઓ સારું એવુ વળતર આપતા હતા.

પોતે શરૂ કરાવેલી સંસ્થાઓ બરાબર કામ કરે છે કે કેમ એ જોવા ફાર્બસે એક વખત ખેપાની આઈડિયા અમલમાં મૂક્યો હતો. મુંબઈ બદલી થયા પછી ૧૮૬૪ના ડિસેમ્બરમાં ફાર્બસ વેશપલટો કરીને અમદાવાદ આવ્યા હતા. અહીં આવીને વર્નાક્યુલર સોસાયટી વગેરે બરાબર કામ કરે છે કે કેમ તેની તપાસ કરી હતી!

જાણકારી .. ભાષાની અને ભૂગોળની

ફાર્બસે સાહિત્યિક કામગીરીની શરૂઆત અનુવાદથી કરી હતી. દલપતરામ પાસેથી તેઓ કવિતા દ્વારા ગુજરાતી શીખી રહ્યા હતા. સાથે સાથે તેમણે દલપતરામે લખેલા 'ભૂતનિબંધ'નો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો એ પહેલો અંગ્રેજી અનુવાદ હતો. નામ પ્રમાણે જ નિબંધમાં ભૂત-પલીત અંગેની ગેરમાન્યતાઓની વાત કરવામાં આવી હતી.

મુંબઈ ઈલાકામાં કામ કરતા હોવા છતાં ફાર્બસ ગુજરાત પ્રાંતની ભૌગોલિક સીમાઓ અંગે સ્પષ્ટ હતા. એટલે જ તેમણે તાપીથી માંડીને ઉત્તરમાં બનાસ સુધીનો ઇતિહાસ સાંકળી લીધો છે. ફાર્બસે ગુજરાતની જે સીમાનો ઉલ્લેખ કર્યો છે, એ આજના ગુજરાત કરતાં ખાસ અલગ નથી. એટલે ગુજરાતી પ્રજાની સંસ્કૃિત ક્યાં પૂરી થાય છે અને મરાઠી સહિત સંસ્કૃિત ક્યાંથી આરંભાય છે, તે ફાર્બસે બરાબર પારખ્યું હતું.

મોભાદાર નોકરી કરતો મુફલિસ અંગ્રેજ

૧૮૪૬માં તેઓ મુંબઈ હાઈકોર્ટના જજ હતા. એ વખતે બીમાર પડયા. ડોક્ટરોએ તેમને સલાહ આપી કે તમે પૂના જઈને હવા-ફેર કરો. ફાર્બસ પૂના ગયા અને એ તેમની છેલ્લી સફર સાબિત થઈ. તેમને મગજની કશીક બીમારી હતી. તેમાંથી બેઠા થઈ શક્યા નહીં. ૧૮૬૫ની ૩૧મી ઓગસ્ટે ફાર્બસ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું ૪૩મું વર્ષ ચાલતુ હતું. જિંદગીના ૪૩ પૈકી ૧૩ વર્ષ તેમણે ગુજરાતને આપ્યા હતાં.

એ વખતના અંગ્રેજ અમલદારોની માફક ફાર્બસે ધન-સંપદા ભેગી કરી ન હતી. પોતાનો પગાર આવતો એમાંથી ઘણી રકમ સાહિત્ય-લેખન-સંશોધન પાછળ ખર્ચાતી હતી. એટલે થયું એવું કે મૃત્યુ વખતે ફાર્બસની સંપત્તિ પૂરા ૧૦૦ પાઉન્ડ પણ ન હતી. તેમની નોકરી મોભાદાર હતી, પણ છેવટે તેઓ મુફલિસ સાબિત થયા હતા. બ્રિટિશ સરકારી અમલદાર માટે એ રકમ બહુ નાની કહેવાય. રકમ નાની હોવાનો અહેસાસ ફાર્બસ પરિવારને ટૂંક સમયમાં થયો. ફાર્સબનાં પત્ની અને છ સંતાનોનું ગુજરાન ૧૦૦ પાઉન્ડમાં ક્યાં સુધી ચાલે? તેમની પાસે ઈંગ્લેન્ડ પરત ફરવાની જોગવાઈ પણ ન હતી. એટલે ગુજરાતી સભાએ ફાર્બસનાં પત્ની પાસેથી ફાર્બસની હસ્તપ્રતોની ખરીદી કરી તેમને આર્થિક મદદ કરી હતી.

એટલે છડીદાર હતા ..

તો ફાર્બસ પ્રથમ ગુજરાતી સાહિત્યિક સંસ્થાના સ્થાપક હતા, પ્રથમ લાયબ્રેરીના સ્થાપક હતા, ગુજરાતી નિબંધનો પ્રથમ અંગ્રેજી અનુવાદ કરનારા હતા, અમદાવાદનું પ્રથમ ગુજરાતી અખબાર 'વરતમાન' શરૂ કરાવનાર હતા, પ્રથમ વખત ગુજરાતનો ઇતિહાસ લખનારા હતા .. એવા ઘણાં કામો પ્રથમ વખત કરનારા હતા .. અને એટલે જ તેઓ ગુજરાતમાં અર્વાચીનતાના છડીદાર હતા!

સૌજન્ય : ‘સમયાંતર’, ‘રવિ પૂર્તિ’, “ગુજરાત સમાચાર”, 06 સપ્ટેમ્બર 2015

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/smyatar6347

Loading

Kaalaan Naanaanni Janani Karchori ke Dhanlolupta ?

આશા બૂચ|Opinion - Opinion|8 September 2015

કાળાં નાણાંની જનની કરચોરી કે ધનલોલુપતા?

આજકાલ ભારતમાં ‘વિદેશી બેંકોમાં મુકાયેલાં કાળાં નાણાં જનતાને ક્યારે મળશે?’ એવા સવાલો સરકારી તંત્રને પુછાઈ રહ્યા છે. હવે માનનીય મોદી સાહેબ એનો જવાબ ક્યાંથી આપે? કોઈ વસ્તુ ક્યાં છે તે ખબર હોય તો શોધીને પાછી આણી શકાય, પણ જેના સગડ ન હોય તેવી જણસ  લાવવી એ તો અસંભવ છે.

ચર્ચાએ ચડેલ આ વિષય પર વિચાર કરતાં સવાલ થયો કે ભાઈ, નાણાંને તે કોઈ રંગ હોતો હશે? તાંબા વર્ણ અને ચાંદી જેવા વર્ણના સિક્કા ચલણમાં છે, પણ કાળા – ધોળા રંગનું નાણું ક્યાં ય અસ્તિત્વમાં હોય તેવું જાણ્યું નથી. જો જો, હો ભાઈ, કોઈ એમ ના કહેશો કે નાણાં એમ તો લીલા, ભગવા, સફેદ કે લાલ રંગના હોય છે! ચાલો સ્વીકારીએ કે બેહિસાબી નાણાંને કાળું નાણું કહેવામાં આવે છે તો બીજો પ્રશ્ન એ ઊઠે કે આનો ઉદ્દભવ ક્યાં અને ક્યારે થયો હશે? આ અનિષ્ટનું મૂળ શોધતાં લાગ્યું કે કાળાં નાણાંની જનની કરચોરી, તેની જનની ધનલોલુપતા, તેની જનની ભૌતિક સંપત્તિનો મોહ, તેની ય જનની દુન્યવી સાધનોમાં સુખને ભાળવાની દ્રષ્ટિ, તેની જનની ……… આમ કેટલી પેઢીનો આંબો બનાવીશું?

કહે છે કે છેલ્લા બાર પંદર વર્ષમાં ભારતમાં કમાણી કરીને જમા કરેલી સંપત્તિમાંથી લગભગ 500 બિલિયન ડોલર જેટલું ધન વિદેશી બેંકોમાં જતું રહ્યું છે. આ હકીકત બે ત્રણ વાતો ઉઘાડી પાડે છે, એક તો એ કે ભારતમાં કરવેરાની વ્યવસ્થા નબળી છે. એક અંદાજ મુજબ દેશની કુલ વસતીના માત્ર 3% લોકો કરવેરા ભરે છે જેનો અર્થ એ હોઈ શકે કે કાં તો મોટા ભાગના લોકો કરવેરા ભરવા જેટલું નાણું કમાતા નથી અથવા કર ચોરી કરે છે. એટલે કે દેશમાં એવા અને એટલા વ્યવસાયો ઉપલબ્ધ નથી જેમાં કમાનાર તેના કુટુંબનું ભારણપોષણ કરવા જરૂરી હોય તેટલી રકમ બાદ કરતાં વધે તેવી રકમ ફાળવી શકે. અને બીજો અર્થ એ પણ થઈ શકે કે સારી એવી સંખ્યા કરચોરી કરે છે. પ્રથમ સ્થિતિ સમગ્ર અર્થવ્યવસ્થા કેવી ખોખલી છે તે દર્શાવે છે અને બીજી સ્થિતિ નીતિમત્તાનાં નબળા ધોરણનો ખ્યાલ આપે છે. બંને સ્થિતિ શરમજનક છે.

કાળાં નાણાંના સંદર્ભમાં જોઈએ તો ધોળું નાણું કાળું કેમ બને? કાયદેસરના નોકરી-ધંધા કરનાર માણસ સરકારે નક્કી કરેલ ધોરણ પ્રમાણે પોતાની આવકમાંથી આવકવેરો અથવા વેચાણવેરો ભરે તો બાકી રહેલી તેની આવક અને બચત ધોળું નાણું ગણાય અને કરચોરી કરી જમા થયેલ રકમ કાળું નાણું બને એવી મારી સાદી સમજ છે. એટલે જ કાળા નાણાંની જનની કરચોરી છે એમ કહી શકાય. માણસ શા માટે કરચોરી કરતો હશે, ભલા? પોતાની આવકમાંથી કુટુંબનું ભરણપોષણ થઈ જાય તેનાથી તેને કે તેના કુટુંબીજનોને સંતોષ ન રહે ત્યારે વધુ કમાણી કરવાના માર્ગ શોધવાને બદલે કરચોરી કરીને એ ધનથી મોજ-શોખની વસ્તુઓ વસાવીને પોતાને મધ્યમમાંથી ઉચ્ચ મધ્યમ વર્ગ તરફ લઈ જઈ શકે.

ગાંધીજીએ કહેલું, ‘There is enough for every body’s need, but not for every body’s greed.’ આથી સાબિત થયું કે કરચોરીને જન્મ આપનાર છે ધનલોલુપતા.

માનવી ધનલોલુપતાનો શિકાર શા કારણે બનતો હશે? એક દોહો છે, ‘ગોધન, ગજધન બાજીધન ઔર રતન ધન ખાન; જબ આવત સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન.’ જો દરેક બાળકને આ મૂલ્યનું મહત્ત્વ સમજાવીને તે મુજબ જીવન જીવવાની ચાવી આપવામાં આવે તો ધન લાલસાનો રોગ લાગુ ન પડે. ધન દ્વારા મળતી ભૌતિક સંપત્તિ માણસને વધુ ને વધુ ધન સંચય તરફ દોરી જાય એથી ભૌતિક સંપત્તિનો મોહ ધનલોલુપતાની માતા છે એ સમજી શકાય.

હવે સવાલ થાય કે ભૌતિક સુખમાં માણસ એવું તે શું ભાળી ગયો કે દિવસ-રાત, બસ, લક્ષ્મી મેળવવા પાછળ ઘેલો થઈને દોડ્યા જ કરે છે? સામાન્ય માનવી એમ માને છે કે ભૌતિક સંપત્તિ તેને સુખ અને આનંદ આપે, ભવિષ્યની સુરક્ષા અને સમાજમાં પ્રતિષ્ઠા આપે. દુન્યવી સાધનોમાં સુખ ભાળવાની દ્રષ્ટિ એ ભૌતિક સંપત્તિ પ્રત્યેના મોહને જન્મ આપે એ સાબિત થઈ જાય છે.

આમ જોઈએ તો સુખની શોધમાં માનવી ભૌતિક સંપત્તિ એકઠી કરવા પ્રયત્નશીલ બને, જે તેને ધનલોલુપ બનાવે. અને ધન એકઠું કરવા તેને કરચોરી કરવાની ફરજ પડે જેનાથી એ કાળાં નાણાંનો સ્વામી બને એ સ્વાભાવિક છે. એટલે કે કાળાં નાણાંનું મૂળ સુખની શોધમાં મળી આવે છે. તો પછી દેશના વડાપ્રધાન વિદેશી બેંકોમાં કાળાં નાણાં શોધી પણ કાઢે તો આ પ્રશ્ન કેવી રીતે હલ થશે? એમ થવાથી તો સામાન્ય જનતાના બેંક ખાતામાં મજૂરી કર્યા વિના, ભણાવ્યા વિના કે ખેતી કર્યા વિના પંદર લાખ રૂપિયા જમા થઈ જશે એટલે એ પણ વધુ ‘સુખી’ થવા કાર, ફ્રીજ, મોબાઈલ ફોન અને કમ્પ્યુટર ખરીદવા ઉત્સુક બનશે. એ તમામ વસ્તુઓ ખરીદવા પંદર લાખ રૂપિયાથી વધુ મિલકત જોઈએ એ લાલસા તેને પોતાની સાધારણ આવકમાંથી ચોરી કરવા પ્રેરશે અને છેવટ ભારતનો દરેકે દરેક નાગરિક કે જે હાલમાં એક પ્રામાણિક નાગરિક છે એ પણ કાળાં નાણાંનો સ્વામી બની જશે. તેનાથી બધા ‘કરચોરી કરીને બનેલ કાળાં નાણાંના સ્વામી’ હોવાને કારણે સમાન બની જશે એ ફાયદો થશે. તો શું આપણને આવી અર્થવ્યવસ્થા જોઈએ છે?

ખરેખર તો કાળાં નાણાં વિદેશમાં શોધવા જવાને બદલે આપણા જ દેશમાં તેના સગડ મેળવવા  કોશિષ કરવી રહી. પેલી વાર્તા જાણીતી છે તે ટાંકું : ત્રણ સોદાગર પોતાના કામ અર્થે ગામે ગામ મુસાફરી કરતા એક ગામની ધર્મશાળામાં રાતવાસો કરવા રોકાયા. એક સોદાગરની બાજુમાં એક ચોર સૂતેલો, જેની નજર આ શાહુકારની દોલત પડાવી પાડવા તરફ ખોડાયેલી હતી. પેલો સોદાગર રાત દરમ્યાન એક કરતાં વધુ વખત કુદરતી હાજતે જવા ઊઠ્યો અને દરેક વખતે પેલો ચોર તેના સામાનને ધનની પોટકી મળી જશે એવી ધારણા સાથે ફેંદી નાખતો. સવાર પડી, પણ ચોરના હાથે કંઈ ન આવ્યું. પોતાને રસ્તે રવાના થતા સોદાગરને ચોરે પૂછ્યું, ‘તમારી પાસે ઘણું નાણું હશે જ, મેં ઘણું શોધ્યું પણ ન મળ્યું, તમે ઘણા ચાલાક લાગો છો, તો ક્યાં સંતાડ્યું હતું તે કહો.’ સોદાગરે હસતાં હસતાં કહ્યું, ‘અરે ભાઈ, મેં તો એ તારા પોતાના ઓશિકા નીચે જ સંતાડ્યું હતું, તો પણ તને ન મળ્યું?’

આપણે કરચોરી થકી એકઠી થયેલ સંપત્તિને પરદેશ શોધવા જઈએ છીએ, પણ પોતાના જ દેશમાં છુટ્ટી છવાયેલ પડેલ ધન-દોલતને ખોળી નથી શકતા. આમ તો ધનની માફક સુખ-શાંતિ પણ બાહ્ય ઉપકરણો અને અન્ય દુન્યવી-ભૌતિક સાધનોમાં શોધીએ છીએ અને પોતાના જ દિલમાં, મનમાં છુપાયેલ સુખ-શાંતિ શોધી કાઢતા નથી. ચાલો, આપણે સહુ આંતર શોધ આદરીએ. વિદેશી પાણી ડહોળવાથી તો કદાચ વિષ પણ નીકળે, જ્યારે અંતરમાં ખોળવાથી માત્ર નિષ્ઠા, પ્રામાણિકતા, આત્મ સંતોષ, સ્વમાન અને ગૌરવ જેવાં પંચરત્નો જ લાધશે.

e.mail : 71abuch@gmail.com

Loading

Englandman Badhun All Right Chhe

ઋતુલ જોષી|Opinion - Opinion|8 September 2015

ઇંગ્લૅંડમાં બધું ઑલરાઈટ છે

’ગ્રેટ બ્રિટન’ – મને હંમેશાં લાગતું કે આ ખરો અહંકારી દેશ છે કે જેણે પોતાના નામમાં જ ’ગ્રેટ’ ઉમેરી લીધું. એ તો ખાંખાંખોળા કરીને ખબર પડી કે ’ગ્રેટ’ અહીં ’ગ્રેટર’ના અર્થમાં છે. ’ગ્રેટ’ બ્રિટન એટલે ’મહાન બ્રિટન’ નહિ પણ બૃહદ્દ‌ બ્રિટન – વિસ્તૃત બ્રિટન કે જેમાં સ્કૉટલૅન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડ આવી જાય છે. પણ શાણા અંગ્રેજોને જરૂર એવું લાગ્યું હશે કે કોઈ ’ગ્રેટર’ને ’ગ્રેટ’ સમજતું હોય તો તેમાં સામે ચાલીને સાચી સ્પષ્ટતા કરવાની જરૂર નથી. સ્પષ્ટતા ન કરીને મહાન થવાતું હોય તો સસ્તામાં પતે છે. જો કોઈ અંગ્રેજોને અહંકારી સમજતું હોય તો તેને ટિપિકલ ઇંગ્લિશ અદામાં સલૂકાઈથી કહી શકાય કે ’અંગ્રેજી તમારી સ્થાનિક ભાષા ન હોવાથી કદાચ તેના સૂક્ષ્મ અર્થવિસ્તારો અંગેની તમારી અણસમજ સમજી શકાય તેવી છે’. અંગ્રેજો આવું કહે ત્યારે સમજી લેવાનું કે એ તમારા અંગ્રેજીના અજ્ઞાનની ફિલમ ઉતારી રહ્યા છે. ઇંગ્લૅંડમાં કોઈ જાહેર જગ્યામાં કોઈ તમને કહે કે ’તમારું બાળક કેટલું ખુશમિજાજી છે!’ ત્યારે પોરસાવાને બદલે એવું તપાસી લેવાનું કે તમારું બાળક બહુ ઘોંઘાટ તો નથી કરી રહ્યુંને! અંગ્રેજી રીતભાત, શિષ્ટાચાર અને સલૂકાઈમાં રહેલો કરપીણ વ્યંગ અને મોટે ભાગે નિર્દોષ તુમાખી સમજતાં મને એકાદ-બે વર્ષ લાગ્યાં.

પીએચ.ડી.ના અભ્યાસ માટે હું બ્રિસ્ટલમાં એક-દોઢ વર્ષ રહ્યો હતો. પછી ત્રણેક વર્ષ સુધી આવવા-જવાનો સિલસિલો ચાલુ રહેલો. આપણે કોઈ એક જગ્યાએ નિયમિત આવન-જાવન કરીએ છીએ ત્યારે, ત્યાં પહોંચતાં પહેલાં જાતને નવા રૂપમાં ઢાળી લઈએ છીએ. મુંબઈ આવવાનું હોય તો બમ્બૈયા થઇ જઈએ અને દિલ્હી આવવાનું હોય તો દિલ્હીવાળા. આને જ કદાચ પરકાયાપ્રવેશ કહેતાં હશે. હીથરૉ કે ગેટવિકના ઍરપોર્ટ પર ઊતરીને મારા અંગ્રેજીમાં બ્રિટિશ એક્સેન્ટની ઝાંય દેખાતી થઈ જાય છે અને અમદાવાદ ઊતરીને ગુજરાતી બોલવા મન તરસતું હોય છે. આ પ્રવાસો દરમિયાન મને અંગ્રેજી કે બ્રિટિશ પ્રજા, તેમનાં ફિતૂર અને ફિતરત નજીકથી જોવાનો અનુભવ સાંપડ્યો છે. તેમાંના કેટલાક અહીં ત્રણ ઝૂમખાંમાં રજૂ કરું છું, ભારત ભણી ત્રાંસી નજર રાખીને.

* * *

સમાજ : લઘુમતીમાં હોવું કે ’એ લોકો’ હોવું એટલે શું?

મારા એક પ્રોફેસરમિત્ર કે જેમના પિતા ભારતીય હતા, તે હંમેશાં મારી સાથે ક્રિકેટની ચર્ચા કરતા. ઇંગ્લૅંડમાં ક્રિકેટ હવે ’હેરિટેજ’ રમત છે. મોટા ભાગના યુવાનોને તેમાં રસ નથી. પણ ક્રિકેટમાં જ્યારે યુવરાજ છ છગ્ગા મારે કે તેંદુલકર બસ્સો રન મારે ત્યારે પેલા પ્રોફેસર મને શોધતાં આવીને ’કૉક’ માટે લઈ જાય છે. ઇંગ્લૅંડમાં ’ડ્રિંક’ એ બહુ શાકાહારી શબ્દ છે. એ લોકો વિવિધ પ્રકારનાં ચા-કોફી ’ડ્રિંક’ સમજીને પીવે છે, આપણા ગુજરાતની જેમ નહીં! જાણે કે આખો દેશ બસો વર્ષ સુધી દુનિયા પર લગભગ એકહથ્થુ શાસન કર્યાનો થાક (તડકો ખીલે ત્યારે) બગીચામાં બેસીને, ચા પીને ઉતારતો જોવા મળે છે.

આપણે ભલે ચા ઉગાડતા હોઈએ, પણ સાદી મસાલા ચા સિવાયની ચા પીવાની રીતો આપણને ’એ લોકો’એ જ શિખવાડી છે.  હા, ’આપણે’ અને ’એ લોકો’ – આપણી આખી દુનિયા આ બે ભાગોમાં વહેંચાયેલી હોય છે. આવા બે ભાગ પાડીને, તેમને ઊંડે સુધી આંકીને આપણે આખું જીવન વિતાવી દઈએ છીએ. કેટલાક લોકોને આ આંકા ઊંડા ને ઊંડા પાડવાની ટેવ હોય છે, જ્યારે બીજા કેટલાયને આ આંકાને ઘસી કાઢીને બુઠ્ઠા કરી દેવાની ટેવ હોય છે. ’આપણે’ અને ’એ લોકો’ વચ્ચે ઊંડા પડેલા આંકા સમાજમાં લાંબા ગાળાના ભંગાણ અને અસમાનતા દર્શાવે છે.

ઇંગ્લૅંડના રહેવાસ દરમિયાન મને પહેલી વાર જ ભાન થયું કે ’લઘુમતી’ કે ’એ લોકો’ હોવું એટલે શું, ગુજરાતમાં જો તમે હિંદુ, પુરુષ, કહેવાતા સવર્ણ, આર્થિક રીતે ઠીક-ઠાક હો, તો પછી બહુ અઘરું હોય છે એ સમજવું કે બીજા લિંગના, બીજા લઘુમતી ધર્મના, દલિત કે ગરીબ હોવું એટલે શું? રોજબરોજની જિંદગીમાં ’એ લોકો’ તરીકેની ઓળખ સાથે જીવવું એટલે શું, લિંગભેદ, રંગભેદ, વર્ણભેદ, ધર્મ કે કોમભેદ વગેરેનાં અનેક છૂપાં સ્વરૂપ હોય છે. કોઈક કારણસર ઇંગ્લૅંડમાં રંગભેદનો મુદ્દો મને ભારતમાં જાતિભેદના મુદ્દા સરીખો લાગ્યો છે. કોઈ મને પૂછે કે ’ઇંગ્લૅંડમાં રંગભેદ વિશે શું લાગે છે? તો હું કહું કે ’ભારતમાં જાતિભેદ વિશે લાગે છે તેવું’. સખત કાયદાઓને લીધે રંગભેદ કે જાતિભેદનાં પ્રત્યક્ષ સ્વરૂપો અદૃશ્ય થયાં હોય તો પણ આ ભેદ કોઈક ને કોઈક રીતે બહાર આવી જાય છે. ક્યારેક હિંસા, ક્યારેક અપમાન, ક્યારેક અન્યાય – મને પોતાને રંગભેદનો કોઈ સીધો, ખરાબ અનુભવ ન થયો હોવા છતાં તેના વિશે સાંભળવા-સમજવા ચોક્કસ મળે છે.

જો કે ભારતમાં અને ઇંગ્લૅંડમાં એક ફરક છે. ઑક્સફર્ડની એક પબ્લિક સ્કૂલમાં વર્ષો સુધી ટીચર રહેલી મિત્રે મને આ વાત કરેલી. શહેરના મધ્ય ભાગમાં આવેલી સ્કૂલમાં પંચરંગી બાળકો ભણે છે – પાકિસ્તાની, ચાઇનીઝ, આફ્રિકન-ઇંગ્લિશ કે કૅરેબિયન ઇંગ્લિશ અને બીજાં ઇંગ્લિશ મધ્યમ વર્ગનાં સંતાનો. ટીચરમિત્રના કહેવા મુજબ, તેમની સ્કૂલમાં કોઈને ’રેસિસ્ટ’ કહેવું તે સૌથી મોટી ગાળ છે. સ્કૂલમાં દાદાગીરી કરતાં છોકરાને પણ કોઈ ’રેસિસ્ટ’ કહે તો તેની આંખમાં આંસુ આવી જાય અને તે ટીચરને ફરિયાદ કરે. શું ભારતમાં જાતિવાદી, કોમવાદી કહેવું તે હજી સુધી ગાળ બની શકી છે? ઘણા લોકો ગર્વથી કહે છે કે ‘અમે તો અમુક જ્ઞાતિના’ અને સાથે-સાથે એ જ શ્વાસમાં કહે કે ’ના રે ના, અમે તો નાત-જાતમાં ન માનીએ’. ઇંગ્લૅંડમાં પણ એવું બોલવાવાળા લોકો મળી જાય કે ’હું રેસિસ્ટ નથી, પણ …’ પછીનું જે બોલવાનું હોય છે તે કંઈક રેસિસ્ટ પ્રકારનું હશે તેની પૂરી ગૅરંટી છે. જો કે ઇંગ્લૅંડમાં બહુમતી વર્ગ માનતો થયો છે કે ’રેસિસ્ટ’ હોવું ખરાબ છે, ‘પૉલિટિકલી ઇનકરેક્ટ’ છે. વિવિધ રાજકીય ઉતાર-ચઢાવને બાદ કરતાં, રાજ્યસત્તા કે સરકાર રંગભેદ અંગે તટસ્થ રહેવાનો અને પોતાની તટસ્થતા સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.

લઘુમતીમાં હોવું એટલે જાણ્યે-અજાણ્યે એ અહેસાસ થાય કે તમે બીજા કરતાં અલગ છો, સતત અમુક પ્રકારના, ક્યારેક માની લીધેલા અને ક્યારે સાચા ભય હેઠળ જીવાતું હોય, પોતાના ટોળાને વળગી રહેવાનાં કારણો મળી આવે, પોતાની જાતને અન્યાય તો નથી થતો, તેની સતત જાત-તપાસ ચાલે. સરકાર સાથેના સંવાદમાં, નાગરિક તરીકે હક-ફરજોમાં એક પ્રકારની લઘુતાગ્રંથિ હોય. લઘુમતીઓની પરિસ્થિતિ માટે સરકારની કે કાયદો-વ્યવસ્થાની તટસ્થતા ઉપરાંત બહુમતીમાં રહેલા લોકોનાં વર્તન-વ્યવહાર મહત્ત્વનાં છે. ઉદાહરણ તરીકે, ‘ઇંગ્લિશ ડિફેન્સ લીગ’ નામનું એક રાજકીય અંતિમવાદી, વ્હાઇટ સુપ્રીમિસ્ટ કે નિયો-નાઝી પ્રકારનું ગ્રૂપ છે. આ ગ્રૂપ ઘણીવાર નોન-વ્હાઇટ વિસ્તારોમાં રાજકીય રેલીઓ કાઢે છે, મોટે ભાગે અહિંસક રીતે હિંસક અને રંગભેદી સૂત્રોચ્ચાર કરે છે. મજાની વાત એ છે કે જ્યારે-જ્યારે ’ઇંગ્લિશ ડિફેન્સ લીગ’ રેલીઓ કાઢે છે, ત્યાં જ અને ત્યારે જ ’યુનાઇટેડ અગેન્સ્ટ ફાસીઝમ’ નામનું એક બીજું પંચરંગી ગ્રૂપ પહોંચી જાય છે. તેઓ વળતી રેલી કાઢીને, અહિંસક રીતે વળતો સૂત્રોચ્ચાર કરે છે અને નૉન-વ્હાઇટ લોકોની પડખે ઊભું રહે છે. દક્ષિણ એશિયાઈ મૂળની લઘુમતી પ્રજા માટે આટલું પૂરતું હોય છે કે રાજકીય નફરત ધરાવતાં સ્થાપિત હિતો સામેનો રાજકીય પ્રતિકાર પણ મોજૂદ છે. પછી તે રાજકીય નફરત નહીં, રાજકીય દ્વંદ્વ લાગે છે. તેથી લઘુમતી લોકોની અસલામતીઓનો ભાર વધતો નથી. ભારતમાં પણ લિંગભેદ હોય કે જાતિભેદ કે કોમભેદ, બોલકા રાજકીય પ્રતિકારની જરૂર છે.

* * *

વિજ્ઞાન : તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી

આધુનિકતા અને પ્રગતિશીલતાને વિજ્ઞાન સાથે ઊંડો સંબંધ છે. આપણે ત્યાં અમુક-તમુક લેખક-કમ-ચિંતકોએ ધર્મ, સંસ્કાર અને પરંપરાની ભેળસેળ એવી તો કરી છે કે રોજ-બ-રોજના જીવનમાંથી વૈજ્ઞાનિક અભિગમો ગાયબ થતા જાય છે. અધ્યાત્મને નામે અવૈજ્ઞાનિક અભિગમો લોકપ્રિય થતા જાય છે અને વિજ્ઞાન સામે ધર્મની લીટી લાંબી થતી જાય છે. ઇંગ્લૅંડમાં ટીવી અને રેડિયો પર વિવિધ ધાર્મિક માન્યતાઓ અને મર્યાદાઓ અંગેની ચર્ચાઓ ખુલ્લેઆમ થાય છે, જેની કમી હું અહીં મહેસૂસ કરું છું. બી.બી.સી. પર આવતા કાર્યક્રમો, તેમની એકંદરે નો-નૉનસૅન્સ નીતિ અને નિષ્પક્ષ અભિગમનો હું મોટો ફેન છું. સ્વસ્થ લોકશાહી માટે સંવાદ થવો જરૂરી છે અને ‘સંવાદ’ એટલે ટીવી પર ટોળું ભેગું કરીને બૂમાબૂમ કરવી એમ નહિ. આપણી ટીવી પરની ચર્ચાઓના બહુ જ મર્યાદિત વિષયો હોય છે, જે ઊંડા સામાજિક પ્રવાહો પર કોઈ પ્રકાશ પાડી શકતા નથી.

વિજ્ઞાન, વન્યજીવન, ઇતિહાસ વગેરે પરના કાર્યક્રમો ટીવી પર ભરચક પ્રમાણમાં જોવા મળે છે. રિચાર્ડ ડોકિન્સનો પરિચય મને બી.બી.સી.ના ટીવી-પ્રોગ્રામ પરથી થયો હતો. રિચાર્ડ ડોકિન્સ વૈજ્ઞાનિક છે, લેખક છે, ઑક્સફર્ડના રિટાયર્ડ પ્રોફેસર છે. તેમના વિરોધીઓ તેમને ’ઉગ્રવાદી નાસ્તિક’ કહે છે અને તેમનો ચાહકવર્ગ તેમને એકવીસમી સદીના ફિલસૂફ તરીકે ઓળખાવે છે. રિચાર્ડ ડોકિન્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અંગે સમકાલીન સમજ આપે છે, ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવે છે, જાહેર ચર્ચામાં ભાગ લે છે અને તેમને મળતાં ’હેઇટ મેઇલ’નું ખુલ્લેઆમ પઠન કરે છે. એવા જ એક બીજા લેખક છે એ. સી. ગ્રેઇલિંગ કે જેમણે પશ્ચિમી ઉદારમતવાદનો ઇતિહાસ લખ્યો છે, ધર્મ પર આધાર ન રાખતી નૈતિકતાની હિમાયત કરી છે અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આંતરરાષ્ટ્રીય માનવવાદની વિભાવના કરી છે. ’ગાંધી’ ફિલ્મ બનાવનાર રીચાર્ડ એટનબરોના નાના ભાઈ ડેવિડ એટનબરો વર્ષોથી બી.બી.સી. પર વન્યજીવન, પ્રાકૃતિક લેન્ડસ્કેપ અને તેમની વૈજ્ઞાનિક સમજ અંગેના અદ્દભુત પ્રોગ્રામ્સ કરે છે. ડેવિડ એટનબરોની અમુક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો તો કલેક્ટર્સ આઇટેમ છે.

ઇંગ્લૅંડમાં વિતાવેલા સમયમાં મને સમજાયું કે દરેક વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવાનો મોકો આપવો જરૂરી છે. આપણે ત્યાં ધર્મ અને તેની ફિલસૂફીને ધર્મગુરુઓએ હાઇજેક કરેલાં છે. દરેક ધર્મમાં રૂઢિચુસ્તતા, ધર્માંધતા, વૈજ્ઞાનિક સમજનો વિરોધ અને ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત છે. ઐતિહાસિક રીતે બધા જ ધર્મોએ અલગ-અલગ સમયે થતી વૈજ્ઞાનિક શોધખોળોનો વિરોધ કરેલો છે અને હજી સુધી કરે છે. ક્યારેક દરિયો ઓળંગવો પાપ મનાતું, તો ક્યાંક પૃથ્વીને ગોળ માનવાનો ઇનકાર થતો, તો પછી ક્યારેક દૂરબીન કે બીજાં મશીન વગેરેને અધાર્મિક માનવામાં આવતા. હજી પોતાનો ધર્મ કે સંપ્રદાય બીજા કરતાં કેટલો મહાન છે અને બીજા કેટલા પામર-પાપી-દુષ્ટ છે, તે અંગે વ્યવસ્થિત, સુનિયોજિત જૂઠાણાં ચાલે જ છે.

મૂળ પ્રશ્ન એ છે કે ધર્મો કે તેમનાં સ્થાપિત હિતોના લીધે અસ્તિત્વમાં આવેલી સંકુચિતતાઓ માનવવિકાસ કે વૈજ્ઞાનિક સમજણના સામા છેડે જ કેમ રહી છે? ધાર્મિક સંસ્થાનોને વ્યક્તિના સાર્વત્રિક વિકાસમાં રસ છે કે પછી પોતાનો કક્કો ખરો ઠરાવવામાં? વ્યક્તિમાં આત્મવિશ્વાસ જગાડવો તે ધર્મ છે કે ઈશ્વરના નામે તેને ડરાવી રાખવો, નરકની બીક બતાવવી અને સ્વર્ગની લાલચ બતાવવી તે ધર્મ છે? નાત-જાત જેવા સામાજિક અન્યાય, કોમવાદ, સ્ત્રીઓ કે બાળકોનું શોષણ આખરે તો ધર્મના નામે જ કરવામાં આવે છે. ચાલો માની લઈએ કે આ ધર્મના નામનો દુરુપયોગ છે, જો એમ હોય તો ધર્મગુરુઓ અને તેમનાં સંસ્થાનો આવા સામાજિક ભેદભાવનો કે શોષણનો ખુલીને વિરોધ કેમ નથી કરતાં?

નૈતિકતા માટે ધાર્મિકતા બિલકુલ જરૂરી નથી અને ધાર્મિકતા એ નૈતિકતા ન પણ હોય, તે સમજવા માટે મોટા વિચારક હોવાની જરૂર નથી. ભગવાનમાં માનવું કે ન માનવું તે અંગત બાબત છે, તેનો વિરોધ ન હોઈ શકે. પણ પછી ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ધાર્મિક દંભ અને આડંબર સહેવો તે આધુનિક સમાજને ન પોસાય. સમાજ-કલ્યાણ અને જાહેર હિત માટે ધાર્મિક માન્યતાઓને અંગત પરિઘમાં રાખવી જરૂરી છે. તકલીફ એ છે કે આપણે ત્યાં આ પ્રકારની ચર્ચાઓ થઈ શકે તેવી સ્પેસ હજી સુધી તો જાહેર માધ્યમો આપી શક્યાં નથી. જાહેર માધ્યમોની સંખ્યા વધતી જાય છે અને ગુણવત્તા ઘટતી જાય છે. એવું નથી કે ઇંગ્લૅંડમાં બધે જ આવું બૌદ્ધિક વાતાવરણ જોવા મળે છે. પણ આ પ્રકારની ચર્ચા ખુલ્લા મને સમજવી હોય તો તે માટેની સ્પેસ મળી રહે છે. યુવાનોને વિવિધ મુદ્દે મોકળાશ ધરાવવાની તક મળતી રહે છે. જો કે તેનો કેટલા યુવાનો યોગ્ય ઉપયોગ કરે છે તે બીજી વાત છે.

ડોકિન્સ કે ગ્રેઇલિંગ કે એટનબરો ખરા અર્થમાં ’પબ્લિક ઇન્ટલેક્‌ચ્યુઅલ’ છે. આ લોકો એવા ધરખમ પ્રતિભાવાન હોય છે કે જે કોઈના બાપની સાડાબારી ન રાખતા હોય. તેમની પાસે મૌલિક વિચારો હોય. તે દુનિયાને ઊંચી-નીચી, આગળ-પાછળ, લાંબી-ટૂંકી કરીને જોતા હોય. તેમનાં ચશ્માં અલગ હોય ને લેન્સ પણ. ક્યારેક તે તમને હસાવી જાય, ગભરાવી જાય, આશ્ચર્યચકિત કરી નાખે અને ક્યારેક તેમનાથી નફરત થઈ જાય. તમને જે ગમતું હોય તેને ગાળો આપે, તમે જેને મહાન માની લીધા હોય તેની બીજી બાજુ બતાવે, તમે જેની ફરતે ફુદરડી ફરતા હો તેની હસ્તી જ છે કે કેમ તેવા સવાલ કરે. એ કોઈનો ’પગાર ન ખાતા હોય’ એટલે તમે આવા માણસને શું કરી શકો? ટૂંકમાં, તમને શાંતિથી જીવવા ન દે, નવા-નવા પડકારો ફેંક્યા જ કરે. ડોકિન્સ કે ગ્રેઈલિંગ કે એટનબરો જેવા લોકોની ઘણી મજબૂત ઓળખાણો હોય છે એટલે તેને માત્ર ’નાસ્તિક’ માનીને (એટલે કે તે રીતે ઉતારી પાડવા) પૂરતું નથી. તેમનાં લખાણોમાં નાસ્તિકતાનો પ્રચાર નથી, પણ આડંબરોનો વિરોધ છે અને વૈજ્ઞાનિક અભિગમ, તર્ક અને વિવેકબુદ્ધિની તરફેણ છે એક પ્રકારની આંતરરાષ્ટ્રીય નૈતિકતાની તરફેણ છે, જે જાતે વાંચવાથી કે તેમના કાર્યક્રમો જોવાથી સમજાઈ જશે.      

* * *

ઇતિહાસ : વિવિધ પાસાં જાળવવાનું શાણપણ

ભારતીય અને અંગ્રેજી પ્રજાના આંતર-સંબંધોનો ત્રણસોથી વધુ વર્ષોનો ઇતિહાસ છે. ઘણા ભારતીયો અંગ્રેજો કે યુરોપિયન લોકોનો સ્વીકાર-સંમતિ ઝંખતા હોય છે તો અંગ્રેજો પણ આવી તક જવા દેતાં નથી. મેં એવી વાયકાઓ સાંભળી છે કે બ્રિટિશ રાજના સમયમાં ઘણાં ભારતીય ઉપખંડના રહેવાસીઓ ઇંગ્લેન્ડના રાણીને 'અમારી રાણી' કહેતાં. પોતાનાં ઘરમાં રાણી વિક્ટોરિયાનો ફોટો જડી રાખતાં. ઇંગ્લેન્ડને પોતાનો દેશ ગણતાં – ભલે પછી ઇંગ્લેન્ડમાં કોઈ તેમની દેશભાવનાની કદર કરે કે ન કરે. તો પછી ઇંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીયો ક્યાં સુધી ભારતનું સમર્થન કરતાં હોય છે અને ક્યારથી ઇંગ્લેન્ડનું સમર્થન કરતાં થાય છે? કેટલાં લાંબા વસવાટ પછી એક દેશની સરહદ ઓળંગીને બીજા દેશની સરહદને અપનાવી લેવામાં આવે છે, કે પછી હંમેશાં બે દેશની વચ્ચે લોલકની સ્થિતિમાં રહેવું સદી જાય છે. શું પાસપોર્ટ કે નાગરિકત્વ બદલવાથી દેશભાવના પણ બદલાઈ જાય છે? નજીકથી જોઈએ તો બે દેશો વચ્ચેની સરહદો બહુ પ્રવાહી હોય છે. 

"Mutiny' or 'War of Independence? – 'The Indian Mutiny' remains a commonly used term in Britain; but this description ignores the scale and wider significance of the uprising. 'The first war of Independence' is favoured by many in India. However, this term implies a unified and organised uprising, ignoring the local complexity of the events. Neither interpretation is adequate. How to describe the violence of 1857-58 is still contested today."


એક મ્યુિઝયમમાં ઉપર મુજબનું લખાણ વાંચ્યું. તે સાથે જ ઇતિહાસ અને તેના નિરૂપણ અંગે વિચારોના ચકડોળે ચઢી જવાયું. ભારતમાં ૧૮૫૭ની ઘટનાઓને 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બ્રિટિશ ઇતિહાસકારો તેને લશ્કરમાં થયેલા બળવાની રીતે જુવે છે. ઉપર લખ્યા મુજબ, 'સિપાઈઓના બળવા' તરીકેનું અર્થઘટન બધી ઘટનાઓની વ્યાપકતા, તેમને સુગઠિત કરવાના પ્રયત્નો વગેરેને મહત્ત્વ આપતા નથી. જ્યારે તેને 'પહેલા સ્વતંત્રતા સંગ્રામ'નું અર્થઘટનનો મતલબ એ થાય કે આ બધી ઘટનાઓ કેન્દ્રીય નેતાગીરી દ્વારા દોરવાઈને એક જ રાષ્ટ્રની વિભાવના સાથે થયેલી અને તેમાં સ્થાનિક પ્રશ્નોની જટિલતા કે વિવિધતા ન હતી. તેમાં પણ કેતન મહેતાની ફિલ્મ 'મંગલ પાંડે' તો વળી આખી ઘટનામાં મંગલ પાંડેને કેન્દ્રમાં મૂકીને તેને આખા સંગ્રામના નેતા (તાત્યા ટોપેની જેમ) તરીકે દર્શાવે છે, જે ઐતિહાસિક ઘટનાઓથી ઘણું વેગળું છે. જો બે દેશોમાં ઇતિહાસની અમુક ઘટનાઓના બે અર્થઘટન થવાના હોય તો પછી ઇતિહાસને ભણવો કેવી રીતે? કયું અર્થઘટન વધારે સાચું?

ઇતિહાસના અભ્યાસ અંગે નાગરિકો તરીકે આપણો આગ્રહ શું હોવો જોઈએ? મને ૧૮૫૭ના વિષે પેલા મ્યુિઝયમમાં જે રીતે રજૂઆત થઈ તે ગમ્યું. તે ઐતિહાસિક ઘટનાને કોઈ અર્થઘટન તરીકે નહિ પણ એક વિવાદ કે બે અર્થઘટનો વચ્ચે થતા દ્વંદ્વ તરીકે રજૂ કરે છે. કોઈ પણ ઘટના એક તરફી નહિ પણ બહુ-તરફી હોય છે, બહુ આયામી હોય છે. ઇતિહાસના શિક્ષણની વાત આવે ત્યારે કોઈ પણ ઘટનાનાં વિવિધ અર્થઘટનો બાળકો સામે રજૂ થવા જોઈએ અને તેમને પોતાની સમજ પ્રમાણે, તેમાંના અર્થઘટનો માનવા કે નહિ માનવાની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. આ સાચા શિક્ષણની દિશામાં સાચું કદમ હશે. આજે આપણો ઇતિહાસ ડાબેરી, જમણેરી કે કોંગ્રેસી વચ્ચે વહેંચાઈ ગયો છે, જે રાજ્યમાં જે પ્રકારની સરકાર તેમને મનગમતો ઇતિહાસ ભણાવાય છે. જે અત્યંત દુખદ છે. શું શિક્ષણના અભ્યાસક્રમોને રાજકારણથી દૂર ન રાખી શકાય?


બીજું કે, આ વાત એટલા માટે મહત્ત્વની છે કે તે દર્શાવતું મ્યુિઝયમ કોઈ તટસ્થ દેશ કે ભારતમાં નહિ પણ ગ્રીનીચ(લંડન)માં આવેલું નેશનલ મેરીટાઈમ મ્યુિઝયમ છે (http://www.nmm.ac.uk/). તેઓ કદાચ એવું માને છે કે બાળકોને ૧૮૫૭ જેવી ઘટનાની બંને બાજુ ખબર હોવી જોઈએ, તેમના પૂર્વજોનું અર્થઘટન શું હતું અને સામેની પ્રજાનું અર્થઘટન શું હતું, તેની વ્યાપક સમજ બુદ્ધિશાળી બાળકોને હોવી જોઈએ. આવતીકાલે 'ગ્લોબલ સંસ્કૃિત'નો ભાગ બનનાર અને વિવિધ સંસ્કૃિતના લોકો સાથે આંતર-રાષ્ટ્રીય સ્તર પર કામ કરનાર તરીકે, વ્યક્તિ તરીકે એ વિદ્યાર્થીઓને તૈયાર થવાના છે. વિચારોની મોકળાશ અને વિચારવાની સ્વંત્રતા આપી શકે તે શિક્ષણ. તેથી જ તો કોઈ એક ઘટનાના બે વિરોધાભાસી અર્થઘટનો હોઈ શકે તેનો સ્વીકાર તે ઇતિહાસની સાચી સમજની દિશામાં લીધેલું પહેલું પગલું છે. આવો એક પ્રયત્ન ગ્રીનીચના મ્યુિઝયમમાં જોવાનો આનંદ થયો.

તેનાથી એક ડગલું આગળ વધીને નીચેનું અવતરણ પણ ત્યાં જોવા મળ્યું. જે જવાહરલાલ નહેરુએ અંગ્રેજો અને અંગ્રેજીપણા પર કરેલો કટાક્ષ છે કે ‘મહત્ત્વની વાત છે કે આજે એક હિન્દુસ્તાની શબ્દ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયો છે અને તે શબ્દ છે લૂંટ’. કટાક્ષને હસી કાઢવો એક વાત છે અને તેને પોતાના 'રાષ્ટ્રીય સંગ્રહાલય'માં સ્થાન આપવા માટે 'છપ્પનની છાતી' જોઈએ. એક સ્પષ્ટતા – અહીં મૂળ મુદ્દો 'બ્રિટિશ સમાજ કેટલો સ્વસ્થ/શાલીન/મહાન છે' તે નથી. આવા છૂટાછવાયા ઉદાહરણોથી હું તે અંગેની કોઈ માન્યતા બાંધતો નથી. પણ આવા ઉદાહરણો, ભારત જેવા 'વિવિધતામાં એકતા' જેવા દેશમાં ઇતિહાસનું શિક્ષણ અને સંગ્રહાલયોમાં માહિતીની રજૂઆત અંગે નવા વિચારો જરૂર આપી જાય છે. આખરે, "सा विद्या या विमुक्तये" (Education is that which liberates)નું સૂત્ર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે નાત-જાતના અને રાજકીય વાડા ભૂલી જઈને અભ્યાસક્રમોમાં વિચારોની મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન મળે. શિક્ષણમાં વિમુક્ત કરવાની શક્તિ હોવાની વાત બહુ જાણીતી છે. કોપી-પેસ્ટ, ગોખણપટ્ટી, ટ્યુશન-સંસ્કૃિત જેટલા જ ખતરનાક હોય છે એક-તરફી, સાંકડા-સંકુચિત વિચારો. ઇતિહાસનું શિક્ષણ ભવિષ્યની તૈયારી છે અને સંગ્રહાલયો કે કળાકેન્દ્રો તે ઇતિહાસ વગેરેની રસપ્રદ ઉડાનો હોય છે. આ બે ક્ષેત્રે ઘણા બદલાવો જરૂરી છે. 

* * *

રસેલ પીટર્સ નામક ભારતીય મૂળનો કોમેડિયન કહે છે કે તમારે કોઈ અંગ્રેજનું અપમાન કરવું હોય તો તેને અંગ્રેજીમાં એવું પૂછવું કે, 'આ ઇંગ્લેન્ડ ક્યાં આવ્યું અને લોકો ત્યાં કઈ ભાષા બોલે છે?' દુનિયાની બીજી પ્રજાને જે સામાન્ય સવાલ લાગે તેવું કોઈ અંગ્રેજોને પૂછી જાય તેની કલ્પના પણ તેમણે ન કરી હોય. અંગ્રેજી ભાષા અને અંગ્રેજોને તો બધા જાણતા જ હોય ને! દુનિયા પર બસ્સો વર્ષના આધિપત્યનો ઇતિહાસ ધરાવતાં આ નાનકડા ટાપુએ ક્યારેક ઓળખની કટોકટી અનુભવી નથી. છેલ્લાં પચાસ વર્ષમાં કળા-સંગીત-સંસ્કૃિત, સંશોધનો અને વૈજ્ઞાનિક જ્ઞાનને ક્ષેત્રે ઇંગ્લેન્ડ ઘણું આગળ વધ્યું છે. દુનિયામાંથી એકઠી કરેલી સંપત્તિનો ઉપયોગ અંગ્રેજોએ મહાન સંસ્થાઓ ઊભી કરવામાં કર્યો છે, જે આજે પણ ઇંગ્લેન્ડને માનવ-વિકાસ મૂલ્યાંકન અને વિવિધ સંશોધનોની બાબતમાં દુનિયામાં આગળ પડતું મૂકી દે છે. 

મારા પરિવાર માટે ખૂબ જ પ્રેમથી તેમનું ઘર ખુલ્લું મૂકી દેનાર વયોવૃદ્ધ દંપતી જેસ્સા અને ક્રીસ સાથે ઇંગ્લેન્ડ અને તેના રાજકીય-સામાજિક પ્રવાહો વિષે ડીનર ટેબલ પર ખૂબ જ ચર્ચાઓ થઈ છે. અમે લોકો પોતપોતાના દેશો અને સમાજોના ક્યારેક વખાણ કરતાં તો ક્યારેક કૂથલી. એક ધનાઢ્ય, ઔદ્યોગિક રીતે વિકસિત સમાજના પોતાના પ્રશ્નો હોય છે.

એકવારની અમારી ચર્ચાનું તારણ એ હતું કે પાયાની સુવિધાઓની બાબતમાં ઇંગ્લેન્ડમાં બધું 'ઓરરાઈટ' છે, પણ જે 'ઓરરાઈટ' નથી તે 'ઓરરાઈટ' કરવાનો સંઘર્ષ ચાલુ રહેવો જોઈએ. આ જ કોઈ પણ પ્રગતિશીલ સમાજનું મુખ્ય લક્ષણ છે. 

e.mail : joshirutul@gmail.com

http://charkho.blogspot.co.uk

સૌજન્ય : મહદ્દ પૂર્વાર્ધ "નિરીક્ષક", 01 સપ્ટેમ્બર 2015

Loading

...102030...3,8433,8443,8453,846...3,8503,8603,870...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved