Opinion Magazine
Number of visits: 9843420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રમ્પની સામે પડેલા અર્બન નક્સલ અને દેશદ્રોહીઓ છે! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|7 April 2025

તમને યાદ છે? ૨૦૨૦માં જ્યોર્જ ફ્લોઇડ નામના ૪૬ની વયના એક કાળા માણસને એક ગોરા પોલિસ અધિકારીએ ગળા પર પગ મૂકીને જાહેરમાં ફૂટપાથ પાસે મારી નાખેલો, ત્યારે થયેલા દેખાવોના માહોલમાં ટ્રમ્પ બાઇબલ લઈને એક ચર્ચની બહાર ફોટો પડાવવા ઊભેલા. કેટલો બધો ધાર્મિક માણસ છે આ! ટ્રમ્પ તો ખ્રિસ્તી ધર્મપ્રેમી કહેવાય.

આવા દેશભક્ત માણસ સામે આંદોલન થાય? આખા અમેરિકામાં અત્યારે જે આંદોલનો ટ્રમ્પની નીતિરીતિ સામે થઈ રહ્યાં છે, એ તો રશિયાના પુતિન અને ચીનના જિનપિંગનું કાવતરું છે. બાઈડન અને ઓબામા અને આખી ડેમોક્રેટિક પાર્ટી વિદેશી કાવતરાનો ભાગ બની ગઈ છે! નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતી અહીં કામમાં લાગે એમ નથી, કારણ કે એમણે તો આ વખતની ચૂંટણીમાં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નો નારો લગાવ્યો નહોતો. 

જો કે, મોદીએ ત્યાંના ભારતીયોને આદેશ આપી દીધો છે કે તેમણે ટ્રમ્પ વિરોધી આંદોલનમાં ભાગ લેવો નહીં. બદલામાં મોદીએ હમણાં જ ટ્રમ્પે ભારતની ચીજો પર લગાડેલી ઊંચી જકાત પાછી ખેંચી લેવી પડશે. મોદીની આ શરત ટ્રમ્પ સ્વીકારી ચૂક્યા છે એટલે અહીં ભારતમાં રામ મંદિરોમાં આજે ભારે ભીડ જામી છે! જેઓ કોઈ દિવસ મંદિરોમાં જતા નહોતા એવા યુવાનો પણ આજે તેથી ભગવાન રામને મોદીનું રાજ કાયમ તપે એવા આશીર્વાદ આપવા બે હાથ જોડીને વીનવવા દોડી ગયા છે. 

ટ્રમ્પે જે ભારતીયોને તગેડી મૂકેલા એમને પાછા બોલાવીને વ્હાઈટ હાઉસમાં જ એમને નોકરી આપવાની જે બીજી શરત મોદીએ મૂકી તે પણ ટ્રમ્પે સ્વીકારી લીધી છે. ટ્રમ્પે તો ફોન પર એવું વચન આપ્યું કે તેઓ જાતે એમને આવકારવા એરપોર્ટ જશે. 

અમેરિકનોને સમજણ જ પડતી નથી. એ લોકો ખોટેખોટો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરી રહ્યા છે. આવી સ્વતંત્રતા તો હોવી જ ન જોઈએ. કોણ આવા દેખાવો માટે ત્યાં પરવાનગી આપે છે? ગુજરાતની પોલિસને ટ્રમ્પ બોલાવે તો કોઈને દેખાવો માટે પરવાનગી આપે જ નહીં. ટ્રમ્પનો આ બાબતે ભૂપેન્દ્ર પટેલ પર ફોન આવ્યાના સમાચાર હમણાં જ મળ્યા છે! 

અમેરિકાને ફરી મહાન બનાવવા માટે ટ્રમ્પ રોજ કેટલી બધી મહેનત કરે છે એનો અમેરિકનોને ખ્યાલ જ નથી. એમની મહેનત નકામી જશે. એમણે તો હમણાં જ કહ્યું કે તેઓ ત્રીજી વાર પણ પ્રમુખ બનવા તૈયાર છે. એને માટે કાયદામાં શો ફેરફાર કરવા એ તેઓ વિચારી રહ્યા હોય ત્યારે આવાં આંદોલનો થાય કંઈ? 

ટ્રમ્પ જ દેશપ્રેમી છે. જુઓ, સમજો જરા એમણે ગેરકાયદે ઘૂસેલા લોકોને તગેડી મૂકવા ઝુંબેશ ઉપાડી, અને વિદેશી ચીજો પર વધુ જકાત નાખીને મોંઘી કરી નાખી. દુનિયા આખીને ડરાવીને ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવી રહ્યા છે. એટલે અમેરિકામાં અમેરિકન ચીજો વધુ ઉત્પન્ન થાય અને વેચાય. એ તો મહાત્મા ગાંધીના સ્વદેશીના સિદ્ધાંતને અનુસર્યા કહેવાય! આવા પવિત્ર માણસ સામે આંદોલન કરનારા બધા અમેરિકાનો ભવ્ય ઇતિહાસ ભૂલી ગયા છે. આ આંદોલનજીવીઓ ટ્રમ્પને કામ કરવા દેતા નથી. હજુ અમેરિકા ફરી મહાન થવાનું તો બાકી છે. આ તો ટ્રમ્પના પાશેરામાં પહેલી પૂણી છે! 

એમની સામે આંદોલન કરનારા બધા અર્બન નક્સલ, દેશદ્રોહી, રાજદ્રોહી, વિકાસદ્રોહી, આંદોલનજીવી છે. ટ્રમ્પ હવે પાદરીઓને સંસદમાં બોલાવીને તેમનો ટેકો છે એમ પુરવાર કરે! બાઇબલ માથે મૂકીને કે છાતી પર રાખીને ટ્રમ્પ પોતે ગોડ દ્વારા મોકલવામાં આવેલો ઉદ્ધારક છે એમ જાહેર કરે તો બધું શાંત થઈ જશે. 

ટ્રમ્પ મિસિસિપી નદીમાં સ્નાન કરશે તો પણ તેમનો વાળ વાંકો નહીં થાય એ નક્કી છે. એવી સલાહ એમને મોદીએ ફોન પર આપી દીધી છે! 

આ આંદોલન કરનારા પર કે તેમના નેતાઓને વીણી વીણીને તેમના પર FBI અને CIA લગાડો. જો એવું કંઇ એમને ન આવડતું હોય તો નરેન્દ્ર મોદી અહીંથી ED, IT અને CBIના અધિકારીઓ મોકલીને દોસ્તી નિભાવવા તૈયાર છે!

રામનવમી, ૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારત માતા આજે શોકમગ્ન છે, તેનો સૌથી લાડલો રાજકુમાર ખોવાઈ ગયો : અટલ બિહારી વાજપેયી

શેષ નારાયણ સિંહ [અનુવાદ : હિદાયત પરમાર]|Opinion - Opinion|7 April 2025

જવાહરલાલ નેહરુનું 27 મે 1964ના રોજ અવસાન થયું હતું. સંસદમાં ભારતીય જનસંઘના યુવા નેતા અટલ બિહારી વાજપેયીએ 29 મે, 1964ના રોજ સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમનું ભાષણઃ આ ભાષણ સંસદના રેકોર્ડનો એક ભાગ છે. 29 મે 1964ના રોજ રાજ્યસભાની કાર્યવાહીમાં પ્રકાશિત છે.

મહોદય,

અટલ બિહારી વાજપેયી

એક સપનું હતું જે અધૂરું રહી ગયું, એક ગીત જે મૌન બની ગયું, એક જ્યોત જે અનંતમાં વિલિન થઈ ગઈ. સ્વપ્ન એક એવા સંસારનું હતું જે ભય અને ભૂખથી મુક્ત હશે, ગીત હતું એક મહાકાવ્યનું જેમાં ગીતાની ગૂંજ અને ગુલાબની સુગંધ હતી. જ્યોત એક એવા દીવાની હતી જે આખી રાત પ્રગટતી રહી, દરેક અંધકાર સામે લડતા રહ્યા અને આપણને રસ્તો બતાવતી, એક સવારે નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા .

મૃત્યુ ધ્રુવ છે, શરીર નશ્વર છે. ગઈકાલે, કંચનના જે મૃતદેહને આપણે ચંદનની ચિતા પર ચઢાવીને આવ્યા, તેનો નાશ નિશ્ચિત હતો. પણ શું એ જરૂરી હતું કે મૃત્યુ આટલી ચોરીછૂપીથી આવશે? જ્યારે સંગી-સાથીઓ સૂતા હતા, જ્યારે પહેરેદાર બેખબર હતા, ત્યારે આપણા જીવનનો એક અમૂલ્ય ખજાનો લૂંટાઈ ગયો હતો.

ભારત માતા આજે શોકમગ્ન છે – તેનો સૌથી લાડલો રાજકુમાર ખોવાઈ ગયો. માનવતા આજે ઉદાસ છે – તેના પૂજારી ઊંઘી ગયા. આજે શાંતિ ખોરવાઈ ગઈ – તેનો તારણહાર ચાલ્યો ગયો છે. દલિતોનો સહારો છુટી ગયો. જન-જનની આંખોનો તારો તૂટી ગયો. યવનિકા ભાંગી પડી. વિશ્વની રંગભૂમિના અગ્રણી અભિનેતા તેમના છેલ્લો અભિનય બતાવી અંતરધ્યાન થઈ ગયા.

મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં ભગવાન રામના સંબંધમાં કહ્યું છે કે તેઓ અશક્યનો સમન્વય હતા. મહાન કવિના આ જ વિધાનની ઝલક પંડિતજીના જીવનમાં જોવા મળે છે. તેઓ શાંતિના પૂજારી હતા, પરંતુ ક્રાંતિના અગ્રદૂત હતા; તેઓ અહિંસાના ઉપાસક હતા, પરંતુ સ્વતંત્રતા અને સન્માનની રક્ષા માટે દરેક હથિયારથી લડવાના હિમાયતી હતા.

તેઓ વ્યક્તિગત સ્વતંત્રતાના સમર્થક હતા પરંતુ આર્થિક સમાનતા લાવવા માટે પ્રતિબદ્ધ હતા. સમાધાન કરવામાં તેઓ કોઈનાથી ડરતા ન હતા, પરંતુ કોઈનાથી ડરીને તેમણે સમાધાન કર્યું ન હતું. પાકિસ્તાન અને ચીન પ્રત્યેની તેમની નીતિ આ અદ્ભુત સંયોજનનું પ્રતીક હતું. તેમનામાં ઉદારતા હતી, દૃઢતા પણ હતી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઉદારતાને નબળાઈ તરીકે લેવામાં આવી હતી, જ્યારે કેટલાકે તેમની મક્કમતાને હઠવાદિતા તરીકે માન્યું.

મને યાદ છે, ચીનના આક્રમણના દિવસોમાં જ્યારે આપણા પશ્ચિમી મિત્રો કાશ્મીરના પ્રશ્ન પર પાકિસ્તાન સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ મેં તેમને ખૂબ ગુસ્સે જોયા હતા. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જો કાશ્મીર પ્રશ્ન પર કોઈ સમાધાન નહીં થાય તો અમારે બે મોરચે લડવું પડશે, તો તેઓ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે જો જરૂર પડશે તો અમે બંને મોરચે લડીશું. કોઈપણ દબાણમાં આવી વાતચીત કરવાની તેઓ વિરુદ્ધ હતા.

મહોદય, જે સ્વતંત્રતા માટે તેઓ લડવૈયા અને રક્ષક હતા, આજે તે સ્વતંત્રતા જોખમમાં છે. આપણે આપણી બધી શક્તિઓથી તેનું રક્ષણ કરવું પડશે. જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના તેઓ હિમાયતી હતા તે આજે પણ મુશ્કેલીમાં છે. આપણે કોઈપણ મૂલ્ય ચૂકવીને પણ તેને કાયમી જાળવી રાખવાનો છે. તેમણે જે ભારતીય લોકશાહીની સ્થાપના કરી, તેને સફળ બનાવી, આજે તેના ભવિષ્ય વિશે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે આપણી એકતા, અનુશાસન, આત્મવિશ્વાસથી આ લોકશાહીને સફળ બનાવવાની છે. નેતા ચાલ્યા ગયા, અનુયાયીઓ રહી ગયા. સૂર્ય આથમી ગયો છે, આપણે તારાઓની છાંયમાં આપણો રસ્તો શોધવાનો છે. આ એક મહાન પરીક્ષણનો સમયગાળો છે. જો આપણે બધા એવા ઉમદા હેતુ માટે આપણી જાતને સમર્પિત કરી શકીએ કે જેના હેઠળ ભારત મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ બને અને વિશ્વ શાંતિની શાશ્વત સ્થાપનામાં આત્મસન્માન સાથે યોગદાન આપી શકે, તો આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં સફળ થઈ શકીશું.

સંસદમાં તેમની ગેરહાજરી ક્યારે ય ભરાશે નહીં. કદાચ તેમના જેવી વ્યક્તિને પોતાના અસ્તિત્વમાંથી ત્રિમૂર્તિને ક્યારે ય સાર્થક નહીં કરી શકે. એ વ્યક્તિત્વ, એ જોમ, એ પ્રતિસ્પર્ધીને સાથે લેવાની ભાવના, એ સૌમ્યતા, એ મહાનતા કદાચ નજીકના ભવિષ્યમાં જોવા નહીં મળે. મતભેદો હોવા છતાં, તેમના મહાન આદર્શો પ્રત્યે, તેમની પ્રામાણિકતા, તેમની દેશભક્તિ અને તેમની અતૂટ હિંમત માટે આપણા હૃદયમાં આદર સિવાય બીજું કંઈ નથી.

આ શબ્દો સાથે હું એ મહાન આત્માને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

‘હેરિટેજ ટાઇમ્સ’માંથી સાદર 
May 2024
સૌજન્ય હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક અફલાતૂન લેખકની અફલાતૂન આપકથા 

દીપક મહેતા|Opinion - Literature|7 April 2025

06 એપ્રિલ – આજે ચંદ્રવદન ચીમનલાલ મહેતાનો જન્મ દિવસ 

એ નિમિત્તે થોડીક વાત એમની આપકથા શ્રેણી ‘બાંધ ગઠરિયાં’ વિષે 

ચંદ્રવદન ચી. મહેતા

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા એટલે ઉમાશંકર જોશીએ કહેલું તેમ ‘ચંદ્રવદન એક ચીજ, ગુજરાતે ના જડવી સહેલ.’ અને તેમની બીજી એક અનોખી ચીજ તે તેમની અફલાતૂન આત્મકથા. નિર્જન ટાપુ પર થોડો વખત સાવ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર એક જ ગુજરાતી પુસ્તક લઇ જવાની છૂટ હોય તો કયું પુસ્તક સાથે લઈ જવું તે નક્કી કરતાં આ લખનારને જરા ય વાર ન લાગે. હા, થોડી અંચઈ કરવી પડે, કારણ કે સાથે લઈ જવાનું એ પુસ્તક તે ૧૪ પુસ્તક રૂપે પ્રગટ થયેલી આપકથાની ગઠરિયાં શ્રેણી. 

પણ આ જ પુસ્તક કેમ? આ શ્રેણી સાથે હોય તો સુરત, મુંબઈ, ગુજરાત, દિલ્હી, ભારત તો સાથે હોય જ, પણ પોણી દુનિયા પણ સાથે હોય. સી.સી.ની આપકથા તો સાથે હોય જ, પણ ધ્રુવ પ્રદેશ સુધીની ભ્રમણ કથા સાથે હોય, દેશ વિદેશનાં નાટક, રંગભૂમિ, રંગકર્મીઓ, ફિલ્મો, સભા-સમારંભોની ઢગલાબંધ વાતો સાથે હોય, બાળપણમાં જે રેડિયો પરથી ચન્દ્રવદનનો અવાજ પહેલી વાર સાંભળેલો તે ઓલ ઇન્ડિયા રેડિયોની અવનવી વાતો સાથે હોય, અનેક જાણી-અજાણી વ્યક્તિઓની અંતરંગ વાતો સાથે હોય, ગણિતનો કોઈ ખેરખાં પણ ન કરી શકે એવો શૂન્યનો સરવાળો સાથે હોય. 

ગુજરાતી સાહિત્યમાં ચન્દ્રવદને પ્રવેશ કર્યો કવિતાથી. અને તેમને સૌથી વહાલું તે તો નાટક. પણ ચન્દ્રવદનનું હૃદય અને કલમ  સોળે કળાએ ખીલે અને ખૂલે છે તે તો ૧૯૫૪થી પુસ્તકરૂપે પ્રગટ થયેલી તેમની આ ૧૪ ગઠરિયાંઓમાં. હા, જાગ્રત અને કર્તવ્યનિષ્ઠ લાયબ્રેરિયન માટે આ શ્રેણી મોટી વિમાસણ ઊભી કરે તેવી છે. આ પુસ્તકોને આત્મકથાના ખાનામાં ગોઠવવાં? કે પ્રવાસવર્ણનોની છાજલી પર? નાટક અને રંગભૂમિ વિશેનાં પુસ્તકોની બાજુમાં રાખવાં? સાહિત્યના રૂઢ પ્રકારોમાંથી કોઈ એક પ્રકારમાં ફીટ થાય તેવું તેનું રૂપ નથી. ચંદ્રવદન પોતે જ ક્યારે ય કોઈ ચોકઠામાં ફીટ થાય એવા ક્યાં હતા? અનેક રૂઢ સાહિત્યપ્રકારોના અજબગજબના કોકટેલમાંથી અહીં ચન્દ્રવદને પોતાના વ્યક્તિત્વને અને વક્તવ્યને હાથ-મોજાંની જેમ બરાબર ફીટ થઈ જાય એવો આગવો ઘાટ નીપજાવ્યો છે. પરિણામે ચન્દ્રવદનના ઘટમાં જે કાંઈ હતું તે બધું જ આ ઘાટમાં ઠલવાયું છે. અહીં આપકથા (લેખક ‘આત્મકથા’ને બદલે ‘આપકથા’તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે) રેખાચિત્ર, પ્રવાસકથા, સ્મરણગાથા, નિબંધ, સમીક્ષા, વિવેચન, ટૂચકા, કિસ્સા, કવિતા, કથા, ઇતિહાસ, ભૂગોળ, જેવા અનેક જુદા જુદા પ્રકારોના ઘટકોનું અત્યંત મદીલું, મારકણું કોકટેલ તૈયાર થયું છે. 

‘બાંધ ગઠરિયાં’ના બે ભાગ ૧૯૫૪માં પુસ્તક રૂપે પ્રગટ થયા તે પહેલાં એમાંનું લખાણ ‘કુમાર’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થતું હતું. જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ૧૯૫૪માં ચન્દ્રવદનની ઉંમર બાવન વર્ષની. નેવું વર્ષની ઉંમરે ૧૯૯૧માં અવસાન થયું. તેને આગલે વર્ષે, ૧૯૯૦માં, છેલ્લી કડી ‘શૂન્યનો સરવાળો’ લખીને પૂરી કરી. અવસાન થયું ત્યારે તે ‘જન્મભૂમિ-પ્રવાસી’માં હપ્તાવાર પ્રગટ થઈ રહી હતી. ૧૯૯૧ના જૂનની ૧૬મી તારીખે તેનો છેલ્લો હપ્તો પ્રગટ થયો. પુસ્તકરૂપે તો છેક ૧૯૯૫માં આ છેલ્લો મણકો પ્રગટ થયો. એટલે કે ચન્દ્રવદનની લગભગ અડધી જિંદગી સુધી આ શ્રેણીનું લેખન-પ્રકાશન ચાલ્યું. ગુજરાતી આત્મકથાના લેખન-પ્રકાશનમાં આ એક રેકર્ડ ગણાય.

આટલા લાંબા ગાળામાં દુનિયા તો બદલાઈ જ, પણ ચંદ્રવદન જેવા ચંદ્રવદન પણ બદલાયા. એમની બદલાતી જતી તાસીર આ ચૌદ પુસ્તકોમાં બરાબરની ઝીલાઈ છે. પહેલાં, ચીડ, અફસોસ, દોષદર્શન વધુ જોવા મળે. પછીના ભાગોમાં શમ, ઉપશમ, અને છેવટે નિર્વેદ અને ‘શાન્તોપિ નવમો રસઃ’ સુધી પહોંચે છે તેમની લેખન જાતરા. ‘બાંધ ગઠરિયાં’ની પ્રસ્તાવનાનું છેલ્લું વાક્ય છે : “હે ભગવાન! જેવી રહી તેવી સહી, આ કાયાની ગઠરિયા હાથ-વાંસે બંધાવી ચિતામાં ખડકાવી દેજે.” સારે નસીબે તેમની આ અરજી ભગવાન સુધી પહોંચતાં ખાસ્સી વાર લાગી. કારણ ગુજરાતની જેમ સ્વર્ગમાં પણ કોઈ પુસ્તકો ખરીદતું કે વાંચતું નહિ હોય. અને ‘લખવાનું તદ્દન બંધ કરવું’ એવી પ્રસ્તાવનામાંની જોહુકમી ચન્દ્રવદનના હૈયા અને હાથે જ માની નહિ. 

આપણા દેશની આખેઆખી રેલવે-સૃષ્ટિને તો તેઓ ગળથૂથી સાથે જ મેળવીને પી ગયેલા. ચૌદ પુસ્તકોની આ આગગાડી પણ સતત બે પાટે ચાલતી રહે છે. એક પાટો છે પોતે જિંદગીમાં જે ભરપૂર જોયું, જાણ્યું અને માણ્યું તેનો, તેમના જીવનની આગગાડીના ડબ્બામાં જુદે જુદે વખતે જે છડિયાં ચડ્યાં-ઉતર્યાં તેમને વિશેનો. તો બીજો પાટો છે જીવનમાં સતત અને સખત રીતે જે નરી અને નકરી એકલતા અનુભવી તેનો. ‘શૂન્યનો સરવાળો’ના છેલ્લા પ્રકરણમાં લખે છે : ‘પચાસ વર્ષથી એ એકલતા સદી ગઈ છે.’ અલબત્ત, આ એકલતા જેટલી શબ્દોમાં પ્રગટ થઈ છે તેના કરતાં વધારે તો શબ્દો વચ્ચેના ખાલીપામાં પ્રગટ થઈ છે. 

પણ ગઠરિયાં શ્રેણીનું સૌથી વધુ આગવું અને મોહક તત્ત્વ તો છે તેની બહુરંગી ભાતીગળ ગદ્યશૈલી. જેવું શીલ તેવી શૈલી એ કથન આ ગદ્યશૈલીને પૂરેપૂરું લાગુ પડે. લેખકના વ્યક્તિત્વની એકેકેક રંગઝાંયનું આબેહૂબ અને પૂરેપૂરું પ્રતિબિંબ ઝીલતું આવું ગદ્ય આપણી ભાષામાં ક્યારેક જ જોવા મળે છે – નર્મદના લેખોમાં, ગાંધીજીની આત્મકથામાં, સરદાર પટેલનાં ભાષણોમાં, સ્વામી આનંદના નિબંધોમાં, — અને આ ગઠરિયાં-શ્રેણીમાં. એ વાંચતા હો ત્યારે જાણે ધસમસતી નદીના પ્રવાહમાં ખેંચાતી નાનકડી હોડીમાં તમે બેઠા હો તેવું લાગે. નદીના પ્રવાહ સાથે આગળ ને આગળ ખેંચાતા જાવ. ક્યારેક ડાબે-જમણે નજર જાય, ક્યારેક ઉપર, ક્યારેક તમારી અંદર પણ જાય. ક્ષણે ક્ષણે દૃશ્યો બદલાતાં જાય, હવાની રૂખ પણ બદલાતી રહે. ક્યારેક ગુલાબી ટાઢ, ક્યારેક કુમળો તડકો, ક્યારેક તાપ-સંતાપ પણ ખરો. તો ક્યારેક વરસાદ ભીંજવે. આવો અનુભવ થાય ગઠરિયાં વાંચતાં. પણ ગઠરિયાંના લેખકનો, અને તેથી તેમના ગદ્યનો મૂળ સ્વભાવ જાતે ભીંજાવાનો, અને બીજાને ભીંજવવાનો. ચન્દ્રવદનના પ્રિય કવિ આખાબોલા અખાની પંક્તિ જરા જુદા અર્થમાં વાપરીને આ ગઠરિયાં માટે કહી શકાય : ‘અક્ષયરસની ચાલે છે નદી.’ ગઠરિયાંનાં ૧૪ પુસ્તકો તો સી.સી., અને માત્ર સી.સી. જ, લખી શકે. અને જે પુણ્યશાળી હોય તે જ તેમની આ આપકથાની ગંગામાં નહાય. 

ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર બંને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડી સી.સી.નો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાંવાળી ટોપી પહેરાવેલી અને મેનાબાઈએ રાજતિલક કરેલું. તલવાર મળી નહિ એટલે જાંબુડાની ડાળખીથી કામ ચલાવેલું. જ્યાં તલવાર ન મળી ત્યાં તાજ તો ક્યાંથી લાવવો? પણ ના. આજે હવે ચંદ્રવદનભાઈને માથે મૂકવા તાજ ક્યાંથી લાવવો એવી વિમાસણ થાય તેમ નથી. કારણ ચૌદ રત્નોવાળો ગઠરિયાં શ્રેણીનો તાજ હવે ચંદ્રવદનભાઈને માથે શોભે છે.   

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...380381382383...390400410...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved