Opinion Magazine
Number of visits: 9552734
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઍવૉર્ડવાપસીનો વિરોધ

રમેશ બી. શાહ|Opinion - Opinion|3 December 2015

દેશમાં વધતી જતી અસહિષ્ણુતાથી વ્યથિત થઈને કેટલાક સાહિત્યકારો, ફિલ્મ-કલાકારો વગેરેએ તેમને સાહિત્ય અકાદમી તરફથી મળેલા ઍવૉર્ડ પાછા વાળ્યા. તે વિવાદનો મુદ્દો બન્યો છે. પણ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતાના સામે અવાજ ઉઠાવનારાઓમાં કેવળ સાહિત્યકારો અને કલાકારોનો જ સમાવેશ થતો નથી. તેમાં કેટલાક વૈજ્ઞાનિકો, ઇતિહાસકારોની સાથે વિદેશ સ્થિત ૧૯૦ જેટલા ભારતીય વિદ્વાનો પણ જોડાયા છે. કેટલાક મહાનુભાવોએ વ્યક્તિગત રીતે પણ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેની શરૂઆત છેક જાન્યુઆરીથી થઈ હતી. પ્રજાસત્તાકદિનના મહેમાન તરીકે ભારત આવેલા અમેરિકાના પ્રમુખ ઓબામાએ ભારતમાં કોમી એખલાસ જાળવી રાખવાનો અનુરોધ ભારતની ભૂમિ ઉપરથી જ કર્યો હતો. છેલ્લા બે મહિના દરમિયાન રાષ્ટ્રપતિએ દેશની બહુવિધ સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાનો અનુરોધ એકાધિક વાર કર્યો. રિઝર્વબૅંકના ગવર્નર રઘુરામ રાજને વિકાસના હિતમાં સહિષ્ણુતા, ખાસ કરીને વૈચારિક સહિષ્ણુતા જાળવી રાખવા પર બે પ્રસંગે ભાર મૂક્યો. નારાયણ મૂર્તિએ દેશમાં લઘુમતી બિનસલામતી અનુભવી રહી છે, એવો તેમનો મત પ્રગટ કર્યો. મુદ્દો એ છે કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે, એવો મત કોઈ એક જ જૂથના લેખકો અને કલાકારોએ વ્યક્ત કરીને તેનો વિરોધ કર્યો નથી. તેથી આ વિરોધ કૉંગ્રેસ-સામ્યવાદીઓ દ્વારા યોજિત (મૅન્યુફેક્ચર્ડ) છે. એવું નાણાપ્રધાન જેટલીનું વિધાન તદ્દન બેબુનિયાદ છે. એટલું જ નહિ, વિવાદને અસહિષ્ણુતાના મુદ્દા પરથી ખસેડીને રાજકીય સ્વરૂપ આપવાનો  એક ચાલાકીભર્યો પ્રયાસ છે.

પ્રશ્ન સહિષ્ણુતા અને અસહિષ્ણુતાનો હોવાથી પ્રથમ આ ખ્યાલો વિશે સ્પષ્ટ થઈ જઈએ. સહિષ્ણુતાના મૂળમાં સમાનતાનો ભાવ રહેલો છે. જેવી રીતે મને મારા વિચારો ધરાવવાનો, પ્રગટ કરવાનો તથા બીજાને હાનિ ન પહોંચે એ રીતે મારા વિચારો તથા રુચિ પ્રમાણે જીવવાનો અધિકાર છે, એ રીતે સમાજના અન્ય તમામ સભ્યોને પણ પોતાના વિચારો ધરાવવાનો, પ્રગટ કરવાનો અને પોતાની રીતે જીવવાનો અધિકાર છે, એ જો સ્વીકારવામાં આવે તો એ સહિષ્ણુતા છે. બીજાઓનો આ અધિકાર ન સ્વીકારવામાં આવે, તો એ અસહિષ્ણુતા છે. સહિષ્ણુતા-અસહિષ્ણુતાની આ સમજના સંદર્ભમાં દેશમાં બનેલી જે ઘટનાઓને અનુલક્ષીને અસહિષ્ણુતાનો વિરોધ કરવામાં આવ્યો છે, તેની નોંધ લઈએ.

બે વર્ષ પહેલાં રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકરની પૂણેમાં હત્યા કરવામાં આવી. તેઓ ધર્મને નામે પોષવામાં આવતી અંધશ્રદ્ધા સામે ચળવળ ચલાવતા હતા. માંસાહાર કરવામાં તેમની દૃષ્ટિએ કશી અનૈતિકતા નહોતી. બ્રાહ્મણો પણ માંસાહાર કરે તો તેમાં તેમની નજરે કશું ટીકાપાત્ર નહોતું. એક વર્ષ પહેલાં ગોવિંદ પાનસરેની કોલ્હાપુરમાં હત્યા કરવામાં આવી. તેઓ પણ રેશનાલિસ્ટ હતા અને આરએસએસના કડક ટીકાકાર હતા. ગયા ઑગસ્ટની ૩૦મીએ સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મેળવનાર કન્નડ સાહિત્યકાર તથા પૂર્વવાઇસ ચાન્સેલર અધ્યા. કલબુર્ગીની ધારવાડમાં હત્યા કરવામાં આવી. તેઓ રેશનાલિસ્ટ સાહિત્યકાર હતા. કર્ણાટકનો લિંગાયત સમાજ તેમનાથી નારાજ હતો. લિંગાયતોના જનક મનાતા ૧૨મી સદીના ગુરુ બસવની કેટલીક માન્યતાઓ અને પ્રથાઓની કલબુર્ગીએ ટીકા કરીને લિંગાયત સમાજનો રોષ વહોર્યો હતો. પહેલાં પણ લિંગાયત નેતાઓના દબાણ નીચે તેમને પોતાનું કેટલુંય લખાણ પાછું ખેંચવું પડ્યું હતું. તે વખતે તેમણે કહ્યું હતું. ‘પરિવારનો જીવ બચાવવા માટે મેં બૌદ્ધિક આત્મહત્યા કરી છે.’ એવી જ આત્મહત્યા તાજેતરમાં તમિલનાડુમાં એક લેખકને તેના સમાજે આપેલા ત્રાસથી કરવી પડી. તેમણે જાહેર કર્યું કે એક લેખક તરીકે તે મૃત્યુ પામ્યો છે. મતલબ કે તેમણે લખવાનું બંધ કર્યું છે.

બે વર્ષ દરમિયાન બનેલી આ ઘટનાઓની સાહિત્ય અકાદેમીએ કોઈ નોંધ લીધી નહીં. આ વૈચારિક અસહિષ્ણુતા લેખકોના વાણીસ્વાતંત્ર્યને છીનવી લેનારી છે. શું લેખકોનું વાણીસ્વાતંત્ર્ય અકાદમીની નિસબતનો પ્રશ્ન જ નથી, એવો પ્રશ્ન અકાદેમીની ઉદાસીનતામાંથી ઉદ્‌ભવે તે સહજ છે. લેખકોના વાણીસ્વાતંત્ર્ય પર વધી રહેલા જોખમથી જેમને પોતાનું વાણીસ્વાતંત્ર્ય જાળવવાની ખેવના છે એવા સાહિત્યકારોએ પોતાનો ઉગ્ર વિરોધ ઍવૉર્ડવાપસી દ્વારા વ્યક્ત કર્યો. અલબત્ત, જે સાહિત્યકારો સામાજિક વિષમતાઓ, ભેદભાવો, અન્યાયો ધાર્મિક કટ્ટરતા અને રાજકારણથી સલામત અંતરે રહીને સાહિત્યસર્જન કરે છે, તેમનું વાણીસ્વાતંત્ર્ય પણ સલામત રહે છે, તેથી તેઓ લેખકોના વાણીસ્વાતંત્ર્ય પરત્વે અનાગ્રહી હોય છે.

અસહિષ્ણુતાનું બીજું પાસું લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો માટેના ભાજપ અને તેના જેવી હિંદુત્વવાદી વિચારધારા ધરાવનારાં જમણેરી સંગઠનોએ અપનાવેલી નીતિમાંથી ઊપસી આવ્યું છે. ભાજપની સરકાર રચાઈ એ પછી આ બધાં જૂથો દેશને હિંદુ રાષ્ટ્ર બનાવી દેવા અધીરાં થયાં છે. પ્રથમ લવજિહાદ અને ઘરવાપસીનો મુદ્દો ઉછાળવામાં આવ્યો. પછી દેશમાં હિંદુઓ લઘુમતીમાં ન આવી જાય તે માટે હિંદુઓને  પાંચદસ બાળકો પેદા કરવાની ભલામણ કરવામાં આવી. પણ હિંદુ સ્ત્રીઓ બાળકો પેદા કરવાનાં કારખાનાં નથી, એવું સમજાયા પછી હવે મુસ્લિમોની વધતી જતી વસ્તીને રોકવા માટે વસ્તીનીતિ ઘડવાની હિમાયત કરવામાં આવી રહી છે. ૨૦૦૧થી ૨૦૧૧ દસકામાં દેશની વસ્તીમાં હિંદુઓની વસ્તીનું પ્રમાણ ૮૦.૫ ટકાથી ઘટીને ૭૯.૮ ટકા થયું અને મુસ્લિમોની  વસ્તીનું પ્રમાણ ૧૨.૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થયું, એ ટકાવારી આંકડાઓના આધારે આ ભય ઊભો કરવામાં આવ્યો છે, જોકે સંખ્યાની રીતે જોઈએ તો દસકામાં હિંદુઓની વસ્તીમાં ૧૪ કરોડનો અને મુસ્લિમોની વસ્તીમાં સાડા ત્રણ કરોડનો વધારો થયો છે.

આ પૂર્વે અને આની સાથે ગૌવંશ માંસ (બીફ)નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ગૌહત્યાનો પ્રશ્ન ૧૯મી સદીથી આપણી સાથે છે. દેશમાં ગાયની હત્યા ન થવી જોઈએ, એમ ગાંધીજી માનતા હતા. વિનોબાજીએ પણ એ વિચાર સ્વીકાર્યો હતો. ઘણાં વર્ષો ગૌવંશહત્યા રોકવા માટે દેવનારમાં વિનોબા પ્રેરિત સત્યાગ્રહ પણ ચાલ્યો હતો. દેશનાં કેટલાંક રાજ્યોમાં ગૌવંશની કતલ પર પ્રતિબંધ મૂકતા કાયદા કૉંગ્રેસની સરકારોએ જ કર્યા છે. આમ, આ મુદ્દા પર ભાજપ-સંઘની વિચારધારા તેની આગવી નથી. પરંતુ બીફ ખાવાના મુદ્દા પર સંઘવાદી કાર્યકરોએ જે આક્રમક વલણ અપનાવ્યું તે તેમનું આગવું છે. ‘બીફ ખાનારાઓ હિંદુઓનું અપમાન કરી રહ્યા છે’, ‘બીફ ખાવું હોય એ પાકિસ્તાનમાં જઈને રહે’, ‘બીફ ખાનારનું માથું વાઢી નાખીશ’ એવી ધમકી કર્ણાટકના ખુદ મુખ્યમંત્રીને એક ભાજપી કાર્યકરે આપી. આ બધાની વચ્ચે દાદરીકાંડ બન્યો, જેમાં એક મુસ્લિમ અખલાકની બીફ ખાવાની શંકા માત્રથી ટોળાએ હત્યા કરી નાખી અને તેના દીકરાને મરણતોલ માર માર્યો.

આ દાખલામાં એક હકીકતની નોંધ લેવા જેવી છે. ૨૦૧૪ના તેમના ચૂંટણીપ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘પિન્ક રૅવોલ્યુશન’નો મુદ્દો છેડ્યો હતો. તેમનો ઇશારો ભારતમાંથી મોટા જથ્થામાં (દુનિયામાં કદાચ સહુથી વધુ) થઈ રહેલી બીફની નિકાસ પરત્વે હતો. ભારતમાંથી નિકાસ થતી બીફ બીજા દેશોમાં ખવાય છે. ભારતમાં પણ કેવળ વિધર્મીઓ જ બીફ ખાતા નથી, હિંદુઓમાં પણ કેટલાક ખાય છે. આમ, બીફ ખાવાનું બધા હિંદુઓ વાંધાજનક ગણતા નથી. આમ છતાં હિંદુઓનો એક વર્ગ અન્ય હિંદુઓ અને વિધર્મીઓ પર બીફ ખાવા પર પ્રતિબંધ લાદવા ઇચ્છે છે. દેશમાં વધી રહેલી અસહિષ્ણુતાનું આ એક ઉદાહરણ છે.

મુંબઈમાં શિવસેનાએ પાકિસ્તાની ગાયકનો કાર્યક્રમ ધાકધમકીથી બંધ રખાવીને તથા પાકિસ્તાનના એક લેખકના પુસ્તકના વિમોચનના કાર્યક્રમનું આયોજન કરનાર સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરીને અસહિષ્ણુતા દાખવી. તેનો વાંધો પાકિસ્તાનના સામે છે. પાકિસ્તાન જો ભારત સાથે દુશ્મનાવટ રાખતું હોય અને ભારતના કલાકારોને પ્રવેશવા ન દેતું હોય તો ભારતે પણ ‘જેવાની સાથે તેવા’ની નીતિ અપનાવીને પાકિસ્તાનના કલાકારોને ભારતમાં પ્રવેશવા ન દેવા જોઈએ. પ્રથમ નજરે તેની આ દલીલ પ્રબળ જણાય છે. પણ થોડા ઊંડા ઊતરીને તપાસતાં એ ટકી શકે એવી દલીલ નથી. અન્ય દેશો સાથે કેવો સંબંધ રાખવો તે કેન્દ્ર સરકારે જેને વિઝા આપ્યો હોય એવો વિદેશી નાગરિક દેશમાં તેના કાર્યક્રમ માટે આવી ન શકે તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એ બંને સત્તાઓને પડકાર રહેલો છે.

આ ઘટનાનું એક બીજું પાસું પણ વિચારવાનું છે. પાકિસ્તાનના ગાયકનો કાર્યક્રમ મુંબઈના જે નાગરિકો (સરકારની મંજૂરી સાથે) સાંભળવા માગતા હતા, તેમને તેમની પસંદગીના ગાયકને સાંભળતા રોકવાનો અધિકાર કોઈ સંગઠનને હોઈ શકે?

શિવસેનાએ પાકિસ્તાની લેખકના પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજનાર સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરીને દેશમાં અસહિષ્ણુતા કેટલી હદે વકરી છે તથા કાયદો અને વ્યવસ્થાના કેટલાં નબળાં પડ્યાં છે તેનું ચિત્ર દેશ અને દુનિયાને પૂરું પાડ્યું. દુનિયામાં દેશની ઇમેજ ઍવૉર્ડ વાપસીથી નથી ખરડાઈ. દાદરીકાંડ અને સુધીન્દ્ર કુલકર્ણીના કાળા કરવામાં આવેલા મોંથી ખરડાઈ છે.

દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા દર્શાવતી જે ઘટનાઓએ ઍવોર્ડ પરત કરવા કેટલાક લેખકો-કલાકારોને પ્રેર્યા તે નોંધ્યા પછી ઍવૉર્ડ પરત કરનારાઓની જે ટીકાઓ કરવામાં આવી છે, તેમાંથી કેટલીક તપાસીએ.

એક, બહુ ભોળા થઈને એક પ્રશ્ન પૂછવામાં આવે છેઃ દેશમાં અસહિષ્ણુતા છે જ ક્યાં? બે વર્ષના ગાળામાં ત્રણ લેખકોની હત્યા થાય અને એક લેખકને, લેખક તરીકે આત્મહત્યા કરવી પડે, એને જો વધી રહેલી અસહિષ્ણુતા ન ગણવાની હોય તો તેમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે. દેશમાં હજી બીજા કેટલા લેખકોની હત્યા થાય તો તે વધી રહેલી અસહિષ્ણુતાનો સંકેત ગણાય? પૂર્વે કેટલાકોને ન ગમતાં કે વિવાદાસ્પદ પુસ્તકો સામેનો રોષ ભાંગફોડ દ્વારા વ્યક્ત થયો હોય એવા કિસ્સા દેશમાં બન્યા છે. એ ઘટનાઓને થોડા શાબ્દિક વિરોધ સાથે સહી લેવામાં આવી. હવે વૈચારિક અસહિષ્ણુતા આગળ વધીને લેખકોની હત્યા સુધી પહોંચી છે. લેખકોની હત્યાને પણ જો કેવળ શાબ્દિક વિરોધ દ્વારા જ સહી લેવાની હોય તો બંધારણે આપેલું વાણીસ્વાતંત્ર્ય લેખકો ભોગવી શકે નહિ. લોકોના વાણીસ્વાતંત્ર્યને કેવળ રાજ્ય તરફથી ભય નથી, ટોળાંશાહીની સેન્સરશિપનો પણ એટલો જ ભય છે. એ આ કિસ્સા પરથી જોઈ શકાય છે. આતંકવાદીની કક્ષામાં મૂકી શકાય એવાં સંગઠનોની લેખકો સામેની તાનાશાહી સામે લેખકોને રક્ષણ આપવાની જેની જવાબદારી છે એ સરકારના એક સિનિયર પ્રધાન લેખકો દ્વારા દર્શાવવામાં આવેલા વિરોધને પ્રાયોજિત ગણીને તેની મજાક ઉડાવે તે એક ચિંતા ઉપજાવે તેવી ઘટના છે.

લેખકો દ્વારા દર્શાવવામાં આવેલો વિરોધ પ્રાયોજિત છે, એના સમર્થન રૂપે પ્રશ્નો પૂછવામાં આવે છેઃ કાશ્મિરમાંથી પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા, કટોકટી લાદવામાં આવી, ૧૯૮૪માં શીખોની હત્યા કરવામાં આવી ત્યારે તમે ક્યાં ગયા હતા? (૨૦૦૨માં ગુજરાતમા થયેલાં રમખાણો વખતે તમે ક્યાં ગયા હતા, એમ પૂછવામાં નથી આવતું.) મતલબ કે ભૂતકાળમાં જે ઘટનાઓને અમે વિરોધ કરેલો તેમાં તમે જોડાયા નહોતા તો હવે તમને કોઈ ઘટનાનો વિરોધ કરવાનો અધિકાર રહેતો નથી. બીજી રીતે મૂકીએ. ભૂતકાળમાં જો તમે કોઈ ઘટનાનો વિરોધ ન કર્યો હોય તો બાકીના તમારા જીવનમાં તમે કોઈ સામાજિક કે રાજકીય ઘટનાનો વિરોધ કરવાનો અધિકાર ગુમાવો છો. પ્રસ્તુત પ્રશ્નનો એક બીજો પણ સૂચિતાર્થ છે. દેશમાં વિરોધ કરવા જેવા જે મુદ્દાઓ હોય તેમાંથી તમારા પસંદગીના પ્રશ્નોનો જ વિરોધ કરવાનો તમને અધિકાર નથી; વિરોધ કરવો હોય તો બધા મુદ્દાઓનો કરો, નહીંતર એકનો ન કરો.

ઉપર્યુક્ત ટીકા કરનારાઓ આમ જાહેર વિરોધ કોણ કરી શકે તેની લાયકાત નક્કી કરી આપે છે. આ લાયકાત નક્કી કરવામાં વાણી- સ્વાતંત્ર્યના એક ભાગ રૂપે વિરોધ કરવાનો અધિકાર સીમિત કરી દેવાનું અભિપ્રેત છે. મતલબ કે બહુ ઓછા નાગરિકોનો વિરોધ કરવાનો અધિકાર તેમને માન્ય છે. તેઓ એ ભૂલી જાય છે કે લોકશાહીમાં વિરોધ કરવાનો નાગરિકોનો અધિકાર બિનશરતી છે.

કેટલાકે વિરોધ વ્યક્ત કરવા માટે ઍવૉર્ડ પાછો આપવામાં આવ્યો તેનો વિરોધ કર્યો, કેટલાકે એમાં પ્રસિદ્ધ માટેનો સ્ટંટ જોયો, કેટલાકને એમાં નાટક દેખાયું પણ આઝાદીની લડત દરમિયાન કેટલાક મહાનુભાવોએ સરકારે આપેલ ઇલકાબ પાછા વાળીને સરકારનાં જે-તે અન્યાયી પગલાં સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તેનું સ્મરણ કરવું ઘટે. લોકશાહીમાં વિરોધ વ્યક્ત કરવાનો એ પણ એક માર્ગ છે. એ સમયે રાષ્ટ્રની આઝાદીનો પ્રશ્ન હતો, આજે લેખકોના વાણીસ્વાતંત્ર્યનો પ્રશ્ન છે. લેખકોની તેમના વિચારો વ્યક્ત કરવા માટે કરવામાં આવતી હત્યાનો વિરોધ જો લેખકો અને કલાકારો જ નહિ કરે તો સમાજનો કયો વર્ગ કરશે? વિરોધ કયા માર્ગે કરવો તે વિરોધ કરનાર જ નક્કી કરતા હોય છે. અંગ્રેજ શાસન સામેનો વિરોધ ભગતસિંહે એમના માર્ગે કર્યો હતો અને ગાંધીજીએ એમના માર્ગે કર્યો હતો. લેખકોએ વિરોધ વ્યક્ત કરવા માટે ઍવૉર્ડ વાપસીનો માર્ગ પસંદ કર્યો, જે અસરકારક નીવડ્યો છે. એ પ્રસિદ્ધિ આપનારું નાટ્યાત્મક પગલું હોવાથી જ અસરકારક નીવડ્યું છે. એની વિરુદ્ધ, ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ આવેદન રૂપે કરેલા વિરોધની અખબારોમાં માત્ર નોંધ જ લેવાઈ.

દાદરીકાંડમાં થયેલી એક હત્યાને વધારે પડતી ચગાવીને વિદેશોમાં દેશની ઇમેજ બગાડવામાં આવી છે, એવી રાષ્ટ્રપ્રેમને અપીલ કરતી ટીકા પણ કરવામાં આવી છે. અહીં દેશની ઇમેજનો વિચાર દેશના બે નાગરિકો સાથે થયેલા દારુણ અન્યાયને નજર સમક્ષ રાખીને કરવાનો છે. આ વિચારણા માટે અમેરિકામાં સાવ નજીકના ભૂતકાળમાં ઘટેલી એક ઘટનાને પિછવાઈ તરીકે પ્રયોજવા જેવી છે.

બે-અઢી મહિના પહેલાં અમેરિકાની એક શાળામાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનના જ્ઞાનને પ્રયોજતો પ્રોજેક્ટ કરવાની કામગીરી સોંપવામાં આવેલી. આઠમા ધોરણના એક વિદ્યાર્થી અહમદ મહમદે પેન્સિલ રાખવાના એક ખોખામાં ડિજિટલ ઘડિયાળ બનાવ્યું. વિદ્યાર્થી મુસ્લિમ હોવાથી એની બનાવટ જોઈને તેના શિક્ષકને તેણે ટાઇમબૉંબ બનાવ્યો છે, તેવી શંકા પડી. શિક્ષકે તત્કાળ પોલીસને ખબર આપી. પોલીસ તરત જ શાળામાં પહોંચી. ઘડિયાળ ફૉરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવી. પોલીસની તેમજ ફૉરેન્સિક તપાસમાં સત્ય બહાર આવી ગયું. વિદ્યાર્થીને પોલીસે સન્માનભેર છોડી મૂક્યો.

પણ વિદ્યાર્થીએ પોલીસને પ્રશ્ન પૂછ્યોઃ ‘ખરેખર મારો વાંક શું હતો? મારું નામ એ જ મારો વાંક છે?’ નિર્દોષ વિદ્યાર્થીનો આ સવાલ સોશિયલ મીડિયામાં પહોંચ્યો. ટિ્‌વટર પર સંખ્યાબંધ અમેરિકનોએ વિદ્યાર્થીની માફી માગી અને અમે તારી સાથે છીએ, એવો સધિયારો આપ્યો. અમેરિકાના નાગરિકોનો આ પ્રતિભાવ જોઈને અમેરિકાના પ્રમુખ ઓબામાએ પણ આ બનાવ અંગે માફી માંગી અને અહમદને પરિવાર સાથે વ્હાઇટહાઉસ બોલાવ્યો. અમેરિકાના નાગરિકો તથા પ્રમુખના આ પ્રતિભાવથી અમેરિકાની ઇમેજ ઊજળી થઈ કે ઝાંખી પડી? આની પડછે દાદરીકાંડની  ઘટનાના દેશમાં પડેલા, પ્રત્યાઘાતો તપાસવાના છે. દાદરીકાંડના દેશમાં થયેલા વિરોધની દેશની ઇમેજ ઊજળી થઈ કે ઝાંખી પડી? અમેરિકાના પ્રમુખના અને દેશમાં વડાપ્રધાને મૌન સેવીને અને જેટલીએ બોલીને આપેલા પ્રત્યાઘાતની તુલના કરીએ ત્યારે કેવું ચિત્ર ઊપસે છે? પ્રશ્ન દેશમાં નાગરિકોને થતા અન્યાય સામેની નાગરિકો અને સત્તાધીશોની સંવેદનશીલતાનો છે.

ત્રણ સાહિત્યકારો અને દાદરીકાંડમાં થયેલી હત્યાથી ભાજપ અને બીજાં જમણેરી સંગઠનોએ સંવેદના અનુભવી નહોતી, પણ હત્યાઓના વિરોધમાં થયેલી ઍવૉર્ડવાપસીથી તેઓ અકળાઈ ઊઠ્યા. આ સમગ્ર ઘટના દરમિયાન ભાજપે જે પૉઝિશન લીધી છે, તે પ્રમાણે તેમણે રોષે ભરાવાની કોઈ જરૂર નહોતી. તેમની દૃષ્ટિએ આ એક કાયદો અને વ્યવસ્થાનો જ પ્રશ્ન છે અને તેના માટે રાજ્ય સરકારો જવાબદાર છે. આ રાજ્યોમાં વિપક્ષોની સરકારો છે, જેમ કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષનું, કર્ણાટકમાં કૉંગ્રેસનું અને તમિલનાડુમાં અન્ના ડીએમકેનું શાસન છે. આમ, ભાજપની દૃષ્ટિએ અસહિષ્ણુતાના આ મામલામાં તેની કોઈ જવાબદારી નથી. પ્રશ્ન આ છેઃ તો પછી ભાજપ અસહિષ્ણુતાનો વિરોધ કરનારાઓની સાથે કેમ જોડાઈ જતો નથી? ઍવૉર્ડવાપસીનો આવો આકરો વિરોધ કેમ કરે છે? પ્રશ્નનો ઉત્તર દાદરીકાંડ પછી બનેલા બનાવમાંથી સાંપડે છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ પોતે ગૌમાંસ ખાશે એવું જાહેરમાં કહ્યું, તેનો પ્રત્યાઘાત આપતાં ભાજપના એક કાર્યકરે તેમનું માથું કાપી નાખવાની ધમકી જાહેરમાં આપી. યાદ રહે, દાદરીકાંડ અંગે થયેલા મોટા ઊહાપોહ પછી આ ધમકી ઉચ્ચારવામાં આવી હતી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2015; પૃ. 13-15

Loading

‘દિયા ટિમટિમા રહા હૈ’

સુદર્શન આયંગાર|Opinion - Opinion|3 December 2015

માધ્યમિક શાળામાં ભણતી વેળાએ હિંદીના વિદ્વાન સાહિત્યકાર વિદ્યાનિવાસ મિશ્રનો એક નિબંધ ‘દિયા ટિમટિમા રહા હૈ’ વાંચેલો. ૧૯૬૦ના દાયકામાં આ નિબંધલખાયો હશે. દિવાળીની અંધારી રાત્રે વીજળીના ગોળાઓ અને કંઈક ટ્યૂબ અને નિયોન બત્તીઓ ઝગારા મારી બનારસ શહેરની શેરીઓને ઝળહળાવતી હશે, ત્યારે લેખકની ભાવોર્મિઓ તેમને ગામડા ભણી લઈ જાય છે. પોતે ગામડાના હોવાનું જણાવી લેખક કહે છે કે રોમના સમયથી અંગ્રેજોના સમય સુધી તો દેશ લૂંટાયો-પીંખાયો જ હતો. સ્વતંત્રતા મળ્યા બાદ શહેરો આધુનિકતા અને વિકાસના નામે રાત્રે દિવસની છલામણી ઝાકઝમાળ પેદા કરે છે. રાજ્ય આમ કરવામાં ગૌરવ અને ધન્યતા અનુભવી રહ્યું છે. આ સમયે ગ્રામીણ ભારત સમક્ષ ફેલાયેલા પ્રગાઢ અંધકાર, ભયાનક નિઃસ્તબ્ધતા અને અનેકાનેક આશંકાઓ વચ્ચે કૃષિસંસ્કૃિતનો તળસ્તરે પહોંચેલો દીવો સ્નેહનાં પૂરણ કરતાં પોતાની જિજીવિષાથી દેદીપ્યમાન થઈ રહ્યો છે અને વિદ્યાનિવાસ મિશ્ર લખે છે. ‘પર અબ ભી ઇન સબ કો નગણ્ય કરતા હુઆ દિયા ટિમટિમા રહા હૈ.’

સ્વતંત્રતા બાદ દેશના કર્ણધારોએ અંગ્રેજોની શિક્ષણપ્રણાલીમાં સમૃદ્ધિ અને મુક્તિ નિહાળી તેને જ આગળ વધારવામાં શ્રેય જોયું. તો નાનાભાઈ ભટ્ટ અને તેમના વિચાર તેમ જ જીવનના સહમાર્ગીઓએ નાનાભાઈને સ્ફુિરત અને પ્રયોજિત શિક્ષણ, જે ગાંધીસંજ્ઞા ‘બુનિયાદી તાલીમ’ તરીકે ઓળખાયું, તેનો દીવો પ્રગટાવ્યો. આ ધીરવીર પ્રયોગના અનુભવો અને વિચારોની અભિવ્યક્તિ માટેનું વિચારપત્ર એટલે ‘કોડિયું’. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને મૂળશંકરભાઈ ભટ્ટ બાદની પેઢીના એક સશક્ત શિક્ષક અને પ્રયોગવીર અનિલભાઈ ભટ્ટે અડધી સદી સુધી ‘કોડિયું’માં અનુભવ અને વિચારોનું સ્નેહ પૂર્યું છે. વાચકો સમક્ષ પ્રસ્તુત પુસ્તક મુખ્યત્વે અનિલભાઈનાં લખાણોનો સંચય છે. આજે શિક્ષણજગતમાં ફેલાયેલી નરી અરાજકતા, નીતિપક્ષાઘાત અને લોભી તથા તકસાધુ વેપારીઓના હાથમાં સપડાઈને વેચાણ માટે ગિલેટ ચઢેલી શિક્ષણવ્યવસ્થાના કૃત્રિમ ઝગારા અને ઝળાહળ વચ્ચે આ સંચય પ્રકાશે છે, ત્યારે મને લાગ્યું કે ‘ઇન સબ કો નગણ્ય કરતા હુઆ દિયા અબ ભી ટિમટિમા રહા હૈં.’

માંદગીના કારણે તળાજાએ એક શહેરી યુવાખેડુ ગુમાવ્યો, તો બીજી તરફ ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાને બાળકો માટે એક શરમાળ પણ કૃતનિશ્ચયી શિક્ષક અને સંસ્થા માટે દૃષ્ટિવંત અને સહૃદયી સંચાલક મળ્યો. અનિલભાઈની અભિવ્યક્તિ તેમને એક સંવેદનશીલ અને વિચારવાન શિક્ષક તરીકે સુપેરે રજૂ કરે છે. બાળકના ઘડતરમાં વાતાવરણની ઊંડી અસર થતી હોય છે. વાતાવરણના નિર્માણમાં માતાપિતા, ઉછેરનારા અને જોડે ઊછરનારા તેમ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની અસર જોવા મળે છે. અનિલભાઈ એવા પરિવારનું સંતાન છે, જેના વડા ગાંધીવિચારથી પ્રભાવિત થઈ સત્યાગ્રહી બન્યા અને એકાધિક જેલવાસ પણ કર્યો. અનિલભાઈના બાળમાનસ પર પરિવારનું વાતાવરણ અને વિચારોની અસર થઈ  હશે.

વીસમી સદીના પહેલા દાયકાથી જ ગુજરાત પ્રદેશના ભાવનગર રાજ્યમાં શિક્ષણના ક્ષેત્રે શાંતક્રાંતિનો આરંભ થયો. દક્ષિણામૂર્તિ અને ઘરશાળા જેવી શાળાઓના શિક્ષણના પ્રયોગોએ શિક્ષણશાસ્ત્ર વિશેની મૌલિક સમજ ઊભી કરી દેશમાં શિક્ષણના ક્ષેત્રે અંગ્રેજીનું પ્રભુત્વ વ્યાપક હોવાને લીધે સૌરાષ્ટ્રના એક દેશી રાજ્યમાં થયેલી ક્રાંતિની નોંધ ભાગ્યેની લેવાઈ. પણ ગાંધીજી આ પ્રયોગો વિશે જાણવાનું ચૂકી જાય તે ન બને. કારણ કે તે જ અરસામાં સુદૂર દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ વસાહત તેમ જ ટૉલ્સ્ટૉય ફાર્મ પર રહેનારાં બધાં જ બાળકોના શિક્ષણ અંગે તેમણે કંઈક પ્રયોગો કર્યા હતા. સ્વદેશાગમન બાદ ભાવનગર રાજ્યમાં ચાલતા શિક્ષણના પ્રયોગો અને તેને ચલાવનારી વિભૂતિઓ અંગે એમને માહિતી મળે જ. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તપાસી જઈએ, તો એક કરતાં વધુ વખત ગાંધીજી દક્ષિણામૂર્તિનો ઉલ્લેખ કરે છે. ત્યાં ચાલતા શિક્ષણ વિશે તેઓ સુપેરે પરિચિત હોવાનું જણાઈ આવે છે. જાન્યુઆરી ૧૯૧૫માં ગાંધીજી અને તેમના સાથીદારો દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન પાછા ફર્યા અને ૭ ડિસેમ્બર, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ ભાવનગરમાં કરેલી ચર્ચા-ગોષ્ઠીમાં નાનાભાઈ હાજર હતા. નવાઈ નથી કે શિક્ષણ માટે માતૃભાષાને શ્રેષ્ઠ માનનારા ગાંધીજીએ ૧૯૨૭-૨૮ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ માટે નાનાભાઈ ભટ્ટને કુલનાયક તરીકે તેડાવ્યા. શિક્ષણમાં થઈ રહેલી આ શાંતક્રાંતિના કાળના સદ્ભાગી વિદ્યાર્થીઓમાંના એક અનિલભાઈ. અનિલભાઈએ દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના શિક્ષકો પાસે બાલ્યકાળ વિતાવ્યો. ત્યાર બાદ તેઓ જુગતરામભાઈની નિશ્રામાં વેડછીમાં દીક્ષિત થયા. આમ, માતા-પિતાએ તૈયાર કરેલી આવી ફળદ્રુપ જમીન પર દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના શિક્ષકોએ રોપેલા બીજને વેડછીમાં જુગતરામભાઈ અને અન્ય યોગ્ય શિક્ષકોએ અંકુરિત કર્યું. પરિણામે સમાજને એક સશક્ત શિક્ષક મળ્યો, તે અનિલભાઈ આ વિશેષતા શિક્ષણજગતના સૌ જાણે છે.

પ્રસ્તુત સંચય ચાર ભાગોમાં વહેંચાયેલો છે : કેળવણીનાં શીલ અને દર્શન; કલ્યાણયાત્રા અને હૃદયયાત્રા. આ સ્થળે સંચયનો આસ્વાદ કરાવવાનો હેતુ નથી. તેમ છતાં લેખકની વિચારયાત્રા વિશે તેમના જ લેખનના આધારે કંઈક કહેવા માટે મેં લેખોનો કાળક્રમ લીધો છે. તેમની લેખનયાત્રા ૧૯૬૧થી શરૂ થાય છે. વીસી વટાવેલ થનગનતા યુવાનનો પહેલો લેખ કેળવણીની પ્રક્રિયામાં ઉદ્યોગની ભૂમિકા અંગેનો છે. યુવા વયે આયોજનબદ્ધ રીતે ઉદ્યોગ શિખવાડવા માટે લેખક જણાવે છે. વિચાર અને પુરુષાર્થનું સંયોજન સંકલ્પ અને આયોજનને જન્મ આપે છે. આયોજન સાથે ગોઠવાયેલો ઉદ્યોગ વિદ્યાર્થી, શિક્ષક અને સંસ્થા ત્રણેયને શિક્ષણલાભ આપે છે. ૧૯૬૬ના લેખ ‘ઉદ્યોગમંદિર શા માટે’માં લેખકની વિચારયાત્રા આગળ ચાલે છે. શાળામાં ઉદ્યોગ દાખલ કરવાથી ગ્રામના અર્થકારણની મુખ્ય પ્રવૃત્તિઓને વેગ મળે છે. ગ્રામસંસ્કૃિત પુષ્ટ થાય છે અને યંત્રોદ્યોગોની ઘેલછા ઓછી થાય છે. યંત્રોદ્યોગના જ્ઞાનને ગ્રામજીવનના સંદર્ભે યથાયોગ્ય ટેક્નોલૉજીના વિકાસમાં લગાડી શકાય. ૧૯૭૧ના લેખમાં વિદ્યાર્થી, સંસ્થા અને સમાજમાં ઉદ્યોગશિક્ષણના કારણે જન્મતાં શ્રમના ગૌરવ અને તેના આર્થિક લાભની ચર્ચા કરવામાં આવી છે. ૧૯૮૭માં વ્યાવસાયિક શિક્ષણ અને ઉદ્યોગશિક્ષણ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરતાં અનિલભાઈ વ્યાવસાયિક શિક્ષણને એકાંગી, જ્યારે ઉદ્યોગ શિક્ષણને વ્યક્તિ અને સમાજના સ્વસ્થ ઘડતર માટે ઉપયોગી જણાવે છે. ઉદ્યોગ શિક્ષણ અંગે તેમની છેવટની સમજ ૧૯૯૩ના લેખમાં પ્રકટ થાય છે. તેમની ઉંમર ૬૩ની. આ પરિપક્વ ઉંમરે ઉદ્યોગ શિક્ષણની જરૂરિયાત વિશે એક તાત્ત્વિક વાત કરી છે. ‘એક બાજુ ઉદ્યોગ દ્વારા માનવીનું સર્વાંગીણ ઘડતર; બીજી બાજુ ન્યાયી, સ્વાતંત્ર્ય આપનારી, સહકારી સમાજવ્યવસ્થા અને ત્રીજી બાજુ પ્રકૃતિને નુકસાન ન થાય તેની કાળજી. આ ત્રણેય હોય ત્યારે ઉદ્યોગ કેળવણીનો ભોગ બને છે.’ અનુભવમાંથી પસાર થયેલી વિચારવંત વ્યક્તિ પાસેથી જ આવો સમૃદ્ધ વિચાર મળે.

ત્રીસીના વયકાળે અનિલભાઈની સમજ અને પરિપક્વતા ધ્યાનાકર્ષક છે. મેળવેલા જ્ઞાનને આત્મસાત્ કર્યાની અભિવ્યક્તિ લેખનમાં પ્રતિબિંબિત થાય. બે લેખ વિશે કહું. ‘સમાજ નવનિર્માણ’માં વ્યક્તિ અને સમાજ તરફની જવાબદારી સ્પષ્ટ રીતે ચિત્રિત કરતાં અનિલભાઈ લખે છે કે વર્ષોથી ગુલામી દૂર થવા છતાં ખોળિયામાં પૂરો પ્રાણ નથી આવ્યો. વ્યક્તિગત સ્વાતંત્ર્ય, આર્થિક સમાનતા, સામાજિક ન્યાય અને સરળ, ઝડપી અને શાંતિભર્યો લોકશાહી વહીવટ, આ ચારે બાબતમાં પ્રગતિ એટલે સમાજ નવનિર્માણ. ગાંધીશતાબ્દી માટે શું કરવાનું? અનિલભાઈનો જવાબ છે : શક્તિ પ્રમાણે શ્રમ કરવો. ગાંધીજીનાં જીવન અને વિચારોને સમજવા માટે સતત અધ્યયનશીલ રહેવું; સામૂહિક જીવનની ગુણવત્તા સુધારવી; શ્રમજીવીઓના ભાગે વેઠ અને મજૂરી તો શ્રીમંતોના ભાગે એશોઆરામના સ્થાને કેળવણી દ્વારા આ બે વર્ગો વચ્ચે રચાતી સાંકળ નવો સૂર્યોદય કરાવશે.

૧૯૭૦નો દાયકો અનિલભાઈનો ચાલીસનો દાયકો છે. શિક્ષક તરીકેના સમૃદ્ધ અનુભવ સાથે નિયામક તરીકે કામગીરી શરૂ કરી ને લોકવિદ્યાલય માઇધારમાં સંચાલક તરીકે ગયા. નિર્ણય સમયે ક્યારેક અનિલભાઈ ખચકાટ અનુભવે. પણ અંતમાં તો દર્શકના વિશ્વાસે જવાબદારી લે અને યોગ્ય રીતે પાર પાડે. આ સમયના તેમનાં લખાણોનું પ્રયોજન શિક્ષકોને સજ્જતા અને જવાબદારીઓ તરફ ધ્યાનાકર્ષિત કરવાનું છે. મેઘાણીએ જુવાનિયાઓને કરેલી હાકલ છતાં શિક્ષકે તો સમજવાનું છે કે ‘નાનું દરેક બાળક જ્ઞાતનો ઘોડો કરી અજ્ઞાતને પકડવા, અણતગાનો તાગ લેવા મથે છે’ આ અણદીઠાને શિક્ષકે પણ જોવાં ઘટે. બે શિક્ષકો – ગિજુભાઈ, મૉન્ટેસોરી અને એક સંત-કબીર વચ્ચે સમય, અભ્યાસ અને પરિસ્થિતિના બહોળા અંતર છતાં શિક્ષકની યોગ્યતા અંગે કહેલી વાત લગભગ એકસમાન છે. બાળકો માટેનો પ્રેમ અને માનવીય આદર એ અનિવાર્ય શરત. ત્યાર બાદ વૈજ્ઞાનિક દૃષ્ટિ અને અભિગમ. અંતમાં ‘गुरू कुम्हार शिश कुंभ है, गढि गढि काढै खोट, अंदर हाथ सहार दे, बाहर वाहै चोट।’ કેટલાક વાચકો આ જાણતા જ હશે, પણ પુસ્તકમાં તેને સંદર્ભ અને અનુભવોનો સાથ મળ્યો છે. પરિણામે તેનો સ્વાદ અનેરો છે. ગાંધીવિચાર અને નઇ તાલીમના શિક્ષણમાં તાત્ત્વિક મુદ્દો સમાજપરિવર્તન માટે કેળવણી છે. આ સમજ સાથે પરિવર્તન માટે કેળવણી અને પરિવર્તનમાં શિક્ષકના સ્થાન વિશે ગંભીર ચિંતન રજૂ થયું છે. આ કાળમાં અનિલભાઈ શિક્ષકોના શિક્ષક તરીકે તરી આવે છે.

૧૯૮૦ના દાયકામાં અનિલભાઈનો વનપ્રવેશ થઈ ગયો છે. વિચારપ્રવાહ વધુ સહજતા અને આત્મવિશ્વાસથી વહે છે. આ દાયકામાં અનિલભાઈએ ઓછું લખ્યું જણાય છે. પણ એક વિશદ લેખ એમણે ગુરુ અને અભિભાવક સમા દર્શકની કેળવણી અંગે કર્યો છે. આ કેળવણીને લોકાભિમુખ કેળવણી તરીકે સરસ રીતે ઉપસાવી છે. નાનાભાઈ ભટ્ટના અને મૂળશંકરભાઈ ભટ્ટના કેળવણી અંગેના વિચારો પણ અનિલભાઈ અનેરી સમજ સાથે રજૂ કરે છે. ગાંધીજીના વિચારો રજૂ કરવાનું ઘણું અઘરું કામ કિશોરલાલ મશરૂવાળાએ કર્યું, જે વિચારસારને ગાંધીજીની મંજૂરી મળી હતી. અનિલભાઈ પોતાના પૂર્વસૂરિઓના વિચારો એટલી જ અસરકારક રીતે રજૂ કરે છે કે તેઓ મશરૂવાળાની યાદ અપાવે.

ગાંધીજીએ વ્યક્તિસ્વતંત્રતાના સંદર્ભે સરસ ટકોર કરેલી છે. જે. એસ. મિલના ‘લિબર્ટી’ના ખ્યાલ વિશે ગાંધીજીએ કહ્યું હતું કે તેઓ હિંદુસ્તાનના યુવાનને મિલ અને સ્પેન્સર પાસેથી વ્યક્તિસ્વાતંત્ર્ય વિશેના પાઠ શીખવવાની ના પાડશે. કારણ કે આ પશ્ચિમી શિક્ષણ તેના માટેનું નથી. સ્વાતંત્ર્યની કેળવણીના સંદર્ભે અનિલભાઈ બાળકને ભયમુક્ત બનાવવાનું કહે છે, આ અત્યંત અગત્યની સમજ છે, જે શિક્ષણના સૌ વિદ્વાનો જ્ઞાન અને અનુભવથી કહે છે. વિદ્યાપીઠના सा विद्या या विमुक्तयेना ધ્યાનમંત્ર છતાં મારા કાર્યકાળમાં ઉચ્ચશિક્ષણના વિદ્યાર્થીઓને શિક્ષકોથી ભયભીત રહેતા જોયા છે. વધુ દુઃખદ તો એ લાગે કે તાલીમી શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના શિક્ષકો વિદ્યાર્થીઓને બીકના ઓથારમાં રાખે. આવી તાલીમમાંથી નીકળેલા પોતે કેવા શિક્ષક થતા હશે? ખેર, અનિલભાઈ સ્વાતંત્ર્યની કેળવણી અંગે શું કહે છે તે જોઈએ. તેઓ લખે છે, ‘મુક્તિ માટે પાયાની આવશ્યકતા તરીકે આત્મસંયમને ગાંધીજી મૂકતા હતા. સ્વનિયમન અને આત્મસંયમ કોઈ પણ પ્રજા માટે અનિવાર્ય છે અને તે ન હોય તો કોઈ પ્રજા ટકી શકે નહીં. કોઈ કેળવણી સ્વનિયમન ન શીખવે તો સ્વાતંત્ર્યની વાત તેણે છોડી જ જેવી પડે.’ આજે નવી પેઢી સ્વનિયમનની  કેળવણી વગર સ્વાતંત્ર્યની જાતતાલીમ લઈ વિધ્વંસ તરફ અગ્રેસર છે.

૧૯૯૦માં દાયકામાં અનિલભાઈએ પુષ્કળ લખ્યું છે. જીવનના છઠ્ઠા દાયકામાં ઊંચાં સ્થાન-અવસ્થાએ પહોંચીને તેઓ સ્પષ્ટ જોઈ શકે છે. આ અરસામાં તેમનાં લખાણો વિશદ છે. કેળવણીનો પ્રાણ નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન; ત્યારે કરીશું શું; કેળવણીની યાત્રાનું ધ્રુવબિંદુ; ગુજરાતમાં નઇ તાલીમ-પુરુષાર્થ અને સિદ્ધિ; સર્વોદયની કેળવણી : પડકાર, આંદોલન અને સમાજરચના તેમ જ અન્ય લેખ બહોળા અનુભવ, પ્રયોગ અને વાંચનને અંતે નીપજેલાં સારતત્ત્વો છે. પૂર્વસૂરિઓનાં વિચારતત્ત્વો છતાં અનિલભાઈની યાત્રા અંગત છે. ગાંધીવિચાર અને જીવન; નાનાભાઈ, મૂળશંકરભાઈ અને દર્શકથી પ્રભાવિત હોવા છતાં વિચારોમાં તાજગી અને મૌલિકતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. અનિલભાઈની યાત્રા લાંબી, ઊંડી અને આત્મખોજી રહી હોય તેવું તેમનાં લખાણોમાં તરી આવે છે. લખાણોમાંથી તેઓ ઊંડી લાગણીવાળા, વિશ્લેષણાત્મક બુદ્ધિ ધરાવનારા અને નિષ્ઠાવાન શિક્ષક તરીકે ઓળખાઈ આવે છે. ગાંધીયુગમાં અંતિમ કાળમાં જન્મેલા અને તે પહેલાંના અનેકોએ સ્વયંશિસ્તની જરૂરિયાત અને અગત્ય સમજી આજીવન તપ કરીને તેજ વધાર્યાં છે. આપણા સમાજમાં આ તેજસ્વી લોકોને બીજી પેઢી અનુસરવા તૈયાર નથી થતી. ગાંધીવિચાર આધારિત કાર્યોમાં તો આની નોંધપાત્ર ઊણપ રહી જવા પામી હોવાનું જણાય છે. પશ્ચિમી ફિલસૂફીમાં પ્લેટો બાદ ઍરિસ્ટોટલની જેમ નઇ તાલીમની પરંપરામાં નાનાભાઈ જેવા તેજસ્વી શિક્ષણવિદો બાદ અનિલભાઈ જેવા કેટલાક સમર્થ શિષ્ય આવ્યા છે. અનિલભાઈ શિક્ષણમાં અનુબંધ વિશે લખે છે, ‘ચાલુ પરિસ્થિતિ સાથે કશો સંબંધ જ ન હોય તેવી સ્થિતિમાં કોઈ સમાજ ટકી શકે જ નહિ. કેળવણીએ વ્યક્તિ તથા સમાજના ભૌતિક, આધિ-ભૌતિક તથા આત્મિક વિકાસ માટેનાં દ્વાર ખોલી આપવાનાં છે. પણ તે જ જો બંધિયાર અંધારી કોટડીમાં પુરાઈ રહેવાની હોય તો તેવી કેળવણીની સમાજને શી જરૂરત છે?’

ગુજરાતમાં માતૃભાષામાં શિક્ષણ આપતા તાલીમી શિક્ષકોને શીખવા-સમજવા માટે સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ છે. નાનાભાઈથી શરૂ કરી અનિલભાઈ અને ત્યારબાદની પેઢીમાં પણ કેટલાક તેજસ્વી શિક્ષકોએ આ સાહિત્યમાં ઉમેરો કર્યો છે. સંકટ એ છે કે માતૃભાષામાં શિક્ષણ આપતી મોટા ભાગની સંસ્થાઓ કાચી અને અયોગ્ય બની છે. અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આજે નઈ તાલીમનાં તત્ત્વોને ઓળખીને દાખલ કરી રહ્યું છે. માતૃભાષામાં શિક્ષણ આપતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ પણ બહારથી આવેલા વિચારો અને પદ્ધતિ ચલાવી ધન્યતા અનુભવે છે. આ પરિસ્થિતિમાંથી નીકળવાની તાકીદે જરૂર છે. અનિલભાઈના લેખોનું આ સંકલન પ્રસ્તુત જરૂરિયાતપૂર્તિનું એક સાધન બની રહે તેમ છે. સંકલન અને સંપાદનની જહેમત ઉઠાવનાર રમેશ સંઘવી અભિનંદનને પાત્ર છે. પ્રસ્તુત સંકલન વિદ્વાનો, શિક્ષકો અને વિદ્યાર્થી તેમ જ સામાન્ય નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2015; પૃ. 17-18 

Loading

બંધારણ નિષ્ઠા અને વૉટ બેંક નિષ્ઠા

હરિ દેસાઈ|Samantar Gujarat - Samantar|3 December 2015

સંસદમાં સત્તાપક્ષ ને વિપક્ષે પોતાને અનુકૂળ ડૉ. આંબેડકરનાં બયાન કરીને ખાસ વૉટબેંકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો

ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકરના ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ૨૬ નવેમ્બર ૨૦૧૫ના રોજ સંસદમાં દ્વિદિવસીય ચર્ચા આરંભાઈ. લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રાજ્યસભામાં નાણાં મંત્રી અરુણ જેટલીએ બંધારણ ભણી નિષ્ઠા વ્યક્ત કરવાને નામે કરેલાં ભાષણની શબ્દશઃ નોંધ વાંચતાં ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ જેવું જ અનુભવાતું હતું. વડાપ્રધાન મોદીએ ભારતીય વિચારને કાવ્યશૈલીમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો અને રાજનાથ-જેટલીથી વિપરીત રાજકીય ટીકાટિપ્પણીને બદલે પરિપક્વ ભાષણમાં વિપક્ષને પણ સાથે લેવાની કોશિશ કરી.

બ્રિટિશ ઇન્ડિયાને ભારત અને પાકિસ્તાન બે સંઘમાં વિભાજિત કરવાની અને દેશી રજવાડાંને બેમાંથી એક સંઘની સાથે જોડાવા કે સ્વતંત્ર રહેવાની લોર્ડ માઉન્ટબેટન યોજના ૩ જૂન ૧૯૪૭ના રોજ જાહેર થઈ. ત્યાર પછી કુલ ૩૮૯ સભ્યોની બંધારણસભા અસ્તિત્વમાં આવી, પરંતુ પાકિસ્તાનની અલગ બંધારણસભા હિંદુ દલિત નેતા જોગેન્દ્રનાથ મંડળના અધ્યક્ષપદ હેઠળમાં બનતાં ભારતીય બંધારણસભા ૨૯૯ સભ્યોની જ રહી. પ્રારંભમાં ડૉ. સચ્ચિદાનંદ સિંહાના હંગામી વડપણ હેઠળની બંધારણસભાએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષપદે ચૂંટ્યા.

૯ ડિસેમ્બર, ૧૯૪૬થી ૨૬ નવેમ્બર, ૧૯૪૯ દરમિયાન ભારતીય બંધારણ ઘડવાનું કામ પૂર્ણ કરાયું. એટલે ૨૬ નવેમ્બરને પ્રજાસત્તાક રાષ્ટ્રના ‘બંધારણ દિવસ’ તરીકે મનાવવમાં આવે છે. એ દિવસે મંજૂર થયેલા ભારતીય બંધારણનો અમલ ૨૬ જન્યુઆરી ૧૯૫૦થી કરવાનો સંકલ્પ થયો. એટલે ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ ગણવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, આચાર્ય જે.બી. કૃપલાણી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, શ્રીમતી સરોજિની નાયડુ, હરેકૃષ્ણ મેહતાબ, પંડિત ગોવિંદ વલ્લભ પંત, ડૉ. બી.આર. આંબેડકર, ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી, સરતચંદ્ર બોઝ, સી. રાજગોપાલાચારી, અસફઅલી, ક.મા. મુનશી, કે.ટી. શાહ સહિતના અનેક મહાનુભાવોએ બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. દેશના એ વેળાના સામ્યવાદી નેતાઓ અને ડૉ. રામમનોહર લોહિયાના નેતૃૃત્વવાળા સમાજવાદીઓએ બંધારણસભાનો બહિષ્કાર કર્યો હતો.

બંધારણ ગૌરવ દિવસ નિમિત્તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ભણી આદરભાવ વ્યક્ત કરીને દેશની પ્રજામાં પોતાના રાજકીય પ્રભાવને વિસ્તારવાની કોશિશથી વિશેષ દ્વિદિવસીય ચર્ચાનું સ્તર ઝાઝું અભ્યાસપૂર્ણ હોય એવું લાગ્યું નહીં. બંધારણના આત્માના જતનને બદલે ‘સૅક્યુલર’ના અર્થઘટન અને સહિષ્ણુતા-અસહિષ્ણુતા પૂરતી જ ચર્ચા જાણે કે સીમિત રહી. સત્તારૂઢ મોરચા અને વિપક્ષી મોરચા તેમ જ સામ્યવાદી – માર્ક્સવાદીઓ વચ્ચે રકઝક થતી વધુ જોવા મળી. ભાજપના પ્રધાનો અને વિપક્ષ કૉંગ્રેસના આગેવાનો બાલસહજભાવથી જાણે કે ’તમે બાબાસાહેબ આંબેડકરનો વિરોધ કાં કરો?’ કે ‘કોંગ્રેસે બાબાસાહેબની ક્ષમતા સૌ પ્રથમ પીછાણી’ કે પછી ‘તમે મોરારજીભાઈ દેસાઈનું નામ લ્યો છો, પણ પંડિત જવાહરલાલ નેહરુના યોગદાનનો ઉલ્લેખ કરતા નથી’- આવી ચર્ચા સંસદનાં બંને ગૃહોની ગરિમાને કેટલી અનુરૂપ ગણાય, એનું ચિંતન પરિપક્વ થતી વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વિચારણીય મુદ્દો બની જાય છે.

ચર્ચા ઘણી થઈ. રાજ્યસભા અને લોકસભાની સત્તાવાર વેબસાઇટ પર ચર્ચાની રાતે જ મૂકાતી શબ્દશઃ ડિબેટમાં ખૂટતું લાગ્યું એ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સચ્ચાઈભર્યું વિરાટ વ્યક્તિત્વ. સત્તાપક્ષ નેે વિપક્ષે પ્રજ્ઞાચક્ષુઓની દૃષ્ટિએ હાથીનું વર્ણન થાય, એમ પોતાને અનુકૂળ ડૉ. આંબેડકરનાં બયાન કરીને ખાસ વૉટબેંકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. ડૉ. ભીમરાવ આંબેડકરના બહુમુખી વ્યક્તિત્વ ભણી સદ્‌ભાવ વ્યક્ત કરવાની સાથે બંધારણ ભણી નિષ્ઠા વ્યક્ત કરવાની ચર્ચામાં બંધારણ ઘડનારી સમિતિના બીજા સભ્યો ક.મા. મુનશી, અલાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલસ્વામી આયંગાર, મોહમ્મદ સાદુલ્લાહ અને બી.એલ. મિત્તર કે માધવરાવ કે પછી સર બેનેગલ નરસિંહ રાવ તથા ટી.ટી. કૃષ્ણામાચારી જેવા સલાહકાર કે સમિતિ સભ્યોના યોગદાનના ઉલ્લેખનો અભાવ કઠ્યો. પંડિત નેહરુ અને સરદાર પટેલના યોગદાનના વિશદ ઉલ્લેખ પણ ઝાઝા થયા નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણને રાષ્ટ્રીય ધર્મગ્રંથ ગણાવીને, નેશન ફર્સ્ટનો આલાપ રજૂ કરી બંધારણ અને એની પવિત્રતા જાળવવાની અને કોઈ ફેરફાર નહીં કરવાની ખાતરી આપી, ત્યારે હજુ થોડાંક વર્ષો પહેલાં ભાજપના વડપણવાળી અટલ બિહારી વાજપેયીની સરકારે પૂર્વ મુખ્ય ન્યાધીશ એમ. વેૅંકટચલૈયાના વડપણ હેઠળ બંધારણ સમીક્ષા પંચ નિયુક્ત કર્યું હતું એ વાતને અનુકૂળતાએ બધાએ વિસારે પાડી. ડૉ. આંબેડકરરચિત ભારતીય બંધારણને ફગાવી દેવા એ દિવસોમાં આચરવામાં આવેલી ઝુંબેશ અને કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને વિપક્ષી નેતા પદેથી દૂર કરવાના ઇરાદા ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના હોદ્દે એ આવી જાય નહીં એવી ગણતરીથી બંધારણ સમીક્ષા હાથ ધરવામાં આવ્યાની હકીકતને ભૂલી શકાય નહીં. જો કે સમીક્ષા પંચે જ એ ઇરાદાઓને ફગાવી દીધા હતા, પણ સંસદની તાજી ચર્ચામાં એનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો ત્યારે સત્તામોરચા અને વિપક્ષી મોરચા વચ્ચે ફ્રેંડલી મેચ રમાતી હોય એવું વધુ લાગ્યું.

વર્ષ ૧૯૪૦માં જ ‘પાકિસ્તાન ઑર ધ પાર્ટિશન ઓફ ઇન્ડિયા’ ગ્રંથ લખીને અલગ પાકિસ્તાન માટેની મોહમ્મદઅલી ઝીણાની માગણીના સમર્થનમાં પ્રભાવી તર્ક રજૂ કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના એ અંગેના વિચારોનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો. સ્વતંત્રતા પછી પણ ૧૯૫૧-’૫૨થી લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષ ડિપ્રેસ્ડ ક્લાસીસ ફેડરેશનના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરનો ખીણપ્રદેશ પાકિસ્તાનને સોંપી દેવાનું સમર્થન વ્યક્ત કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની વાત થઇ જ નહીં. સંસદમાં આ વખતની ચર્ચા ચાલતી હતી ત્યારે જ ‘લાઇન ઑફ કંટ્રોલ’ને આંતરરાષ્ટ્રીય સરહદ જ માની લેવાના ટેકામાં રાજ્યસભાના સભ્ય અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લાના કથિત કથન અંગે ભાજપી નેતાઓ ઊહાપોહ મચાવે છે. બધા પોતાની અનુકૂળતા મુજબ વાત કરવા ટેવાયેલા છે. ડૉ. ફારુકે તો વડાપ્રધાન વાજપેયીની પાકિસ્તાન મુલાકાત ટાણે ઇસ્લામાબાદને તેમણે કરેલી દરખાસ્તની વાત ટાંકી વિવાદનો નવો મધપૂડો છંછેડયો છે.

સત્તારૂઢ ભાજપ અને એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેમ જ સંઘ પરિવારના અનેક આગેવાનો ભારતને હિંદુરાષ્ટ્ર ગણાવે છે ત્યારે ડૉ. આંબેડકરે નોંધેલા શબ્દોનું સંસદમાં સ્મરણ કરાવવાનું વિપક્ષના પ્રબુદ્ધ અગ્રણીઓ પણ ચુક્યા, એને ઐતિહાસિક ભૂલ ગણવી કે રાષ્ટ્રદ્રોહ? ડૉ. આંબેડકરના શબ્દો હતાઃ ‘આપણે કોઈપણ ભોગે આ દેશને હિંદુરાજ બનતાં અટકાવવાની જરૂર છે.’ સરદાર પટેલ પણ ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાના ખ્યાલનો ‘પાગલોં કા ખયાલ’ ગણાવતા હતા, એ વાતને પણ રખે આપણે વીસારે પાડીએ.

સૌજન્ય : ‘સગવડવાદ’, “દિવ્ય ભાસ્કર”, Dec 02, 2015

Loading

...102030...3,6483,6493,6503,651...3,6603,6703,680...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved