Opinion Magazine
Number of visits: 9882721
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મારે નહોતું ભણવું’

યોગેન્દ્ર પારેખ, યોગેન્દ્ર પારેખ|Opinion - Opinion|28 October 2016

તાજેતરમાં એક જ દિવસે બે ઘટના પ્રકાશમાં આવી. વિદ્યાજગત સાથે સંલગ્ન આ સમાચારમાં એક ઘટના અત્યંત આઘાતજનક છે પણ શોકપ્રૂફ જગતમાં તેનો આઘાત ક્યાં ય વરતાતો નથી અને એક ઘટના ઉમળકાપૂર્વક આવકારદાયક છે, જેની મોટા ભાગના લોકોને ખબર નથી. વિદ્યાજગતમાંથી અભ્યાસપૂર્ણ ઉમળકો અને વિચારમૂલક આઘાતની બાદબાકી આપણા સમયની સ્થિતિજડતાનો વરવો હિસાબ આપે છે. આ દિવસોમાં આધ્યાત્મિક પ્રવચનો આપવાની તીવ્ર તાલાવેલીમાં સાંપ્રતને વિશે ગુનાહિત બેહોશી આપણા સભ્યસમાજમાં અગ્રસ્થાને છે.

આઘાતજનક ઘટનાની વાત કરીએ તો મૂળ કેશોદના અગિયાર સાયન્સમાં રાજકોટ હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી ચિરંતનેે ‘મારે નહોતું ભણવું એટલે ગૂડબાય’ એમ દીવાલ પર લખીને જીવન ટૂંકાવ્યું. ભારવગરના ભણતર વિશે કેળવણીકારો લખીલખીને થાક્યા પણ આપણને હજી દીવાલે લખેલું સત્ય વંચાતું નથી. આવો કપરો નિર્ણય લેનાર વિદ્યાર્થી પાસે જીવનમાં ભણતર સિવાયનો કોઈ વિકલ્પ જ નહીં બચ્યો હોય એવી સમાજવ્યવસ્થા અને તનાવનો કેવો તો ઘેરાવો તેણે અનુભવ્યો હશે! પોતે નહીં ભણે, તો આભ તૂટી પડશે એવી ગેરસમજનું વાવેતર કેટલી વરવી વાસ્તવિકતા બનીને સામે આવ્યું?!

ફરીફરી એ પ્રશ્ન થાય છે કે આપણે શું ભણાવીએ છીએ, કોને ભણાવીએ છીએ, કોણ ભણાવે છે, આ ભણતરનો હેતુ શો? આ પ્રશ્નો કોઈને થતા જ નથી. તેથી ભણવા-ભણાવવાનો કારોબાર ધમધમે છે. બાળકો રહેંસાય છે. રમવાની ઉંમરે ભણવાનું આવે છે અને ભણવાની ઉંમરે રમવાનું – આ વિષમતાના સર્જકો આપણે છીએ. આ વિષમતાથી સંતાનોને ઉગારી શકે તેવાં મા-બાપ કેટલાં? આંગળીના વેઢે ગણી શકાય એટલાના સંપર્કમાં આ લખનાર છે. એની વાત કરીએ એ પહેલાં આપણે આવકારદાયક ઘટનાની વાત કરીએ.

નવી દિલ્હીમાં રહેતાં સુપ્રિયા જોશી નામનાં ગૃહિણીએ વિચાર્યું કે પોતાની દીકરી તનાવ જન્માવે તેવા બોજારૂપ શિક્ષણથી દૂર રહેવી જોઈએ. સાતમા ધોરણ પછી દીકરી માલવિકાને શાળા છોડાવી દીધી. આ નિર્ણય પાછળ પતિનો વિરોધ હતો પણ મમ્મી મક્કમ હતાં. શાળા છોડી દીધા બાદ દીકરી સામે જીવતરનું આકાશ ખૂલી ગયું. ઘરમાં ભણવાયોગ્ય વાતાવરણ ઊભું કર્યું. પોતાની નિરાંત અને મસ્તીમાં માલવિકાનો ઉછેર થયો. મુક્ત ગગનના મસ્ત પંખીને ઊડવાનું મળ્યું. દીકરીએ દસમા-બારમાની પરીક્ષા પણ નથી આપી. સત્તર વર્ષની આ દીકરી ત્રણ વખત પ્રોગ્રામિંગ ઑલિમ્પિયાડમાં મૅડલવિજેતા છે. આપણી પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી.એ તેને ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ ન આપ્યો, કારણ કે તેણે ૧૦ + ૦૨ની પદ્ધતિ મુજબ સરકારી શિક્ષણ નહોતું મેળવ્યું, પણ જ્યાં અસરકારક શિક્ષણનો મહિમા છે, તેવી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક એવી મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાં તેને ઍડ્મિશન મળી ગયું છે. આપણે કાગળિયાનો મહિમા કર્યો, જ્યારે એમ.આઈ.ટી.એ કેળવણીનો. આવી હોનહાર પ્રતિભા ધરાવતી યુવતીને સ્વદેશમાં પ્રવેશ મળતો નથી અને વિશ્વ આવકારે છે. કોહીનૂર હીરો પાછો મેળવવા માથા પછાડતી રાજનીતિને એવું ભાન ક્યારે પડશે કે માલવિકા જોશી જેવી કેટલીયે મૂલ્યવાન પ્રતિભાઓ વિદેશમાં પગ કરી જાય છે?! ખીલવાનો અવસર મળે તે પહેલાં ઘરની દિવાલ પર રક્તરંજિત અક્ષરે કરમાઈ જતી યુવાપેઢી વિશે આપણે કેટલા બેપરવાહ છીએ.

માલવિકાનાં મમ્મી સુપ્રિયા જોશીએ દીકરીને નિશાળ છોડાવી હતી અને દીકરી માટે થઈ પોતે નોકરી છોડી હતી. નિશાળ છોડી દેવાથી બધાં બાળકોને માલવિકા જેવી સફળતા નથી મળતી અને નિશાળે જનાર બધાં બાળકો ચિરંતનની જેમ આપઘાત કરતાં નથી પણ શિક્ષણ આ બંને અંતિમોની વચ્ચે છે. દીકરી હેલીને નિશાળ નામની ઘટનાથી દૂર રાખવાની સીધી સરવાણીના અનુભવાર્થી તરીકે લખનારને ઊંડા પરિતોષની લાગણી છે.

અમદાવાદમાં જાણીતા વાર્તાકાર, અધ્યાપક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની બન્ને દીકરીઓ પંખી અને પરી તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઑપરેશન રિસર્ચ અને મૅનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવતા ડૉ. રવિ ગોરનો દીકરો મંદાર પણ શાળા છોડીને ઘરે જ ભણે છે. વ્યક્તિત્વવિકાસની માનવતાપૂર્ણ સૌરભથી પંખી, પરી, હેલી અને મંદાર જેવાં બાળકો સુવાસિત છે, તેના રોજબરોજના સાક્ષી તરીકે કેળવણીના અર્થનું નવનીત આપને પીરસ્યું છે.

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 14

Loading

‘ના’ કેમ કહી?

હિમાંશી શેલત|Opinion - Opinion|28 October 2016

નિસબત

હજી તો ‘પિન્ક’ ફિલ્મના મુખ્ય મુદ્દાની પ્રશંસા ચાલે છે ત્યાં જ દિલ્હીમાં કરુણા નામની શિક્ષિકાની ધોળે દિવસે કાતરથી સત્તાવીશ ઘા મારીને હત્યા કરવામાં આવે છે. કાતર નથી બંદૂકની ગોળી કે નથી તલવારનો ગળાકાપ ઘા. એટલે પેલો આદિત્ય નામનો ખૂની ઉપરાછાપરી ઘા કરે છે. વાર લાગી હશે એટલું નક્કી, રસ્તા પર લોકો હશે તે પણ હકીકત. કોઈ આગળ ન આવ્યું. એક ઝનૂનીને કાબૂમાં લાવવા કેટલાં જણ જરૂરી હોય? પાંચ, દસ? દિલ્હીમાં, એ ચોક્કસ વિસ્તારમાં, એટલાંયે ન મળ્યાં?

હવે ચિંતા માત્ર કરુણાની સલામતીની કે આદિત્યના જીવલેણ ગાંડપણની જ નહીં, આ દેશની પ્રજાના વલણનીયે કરવાની. પોતાને કામે જતી એક યુવતીનો પીછો પકડી એને મારી નાખવાની ક્રૂરતાનું કારણ એવું કે યુવતીએ આ છોકરાને ‘ના’ કહી હતી. પુરુષના માલિકીભાવને પગલે, એના ભયાનક અહંકારને પરિણામે, સ્ત્રીએ જીવનથી હાથ ધોઈ નાખવાના આવે એ વાસ્તવિકતા સામે શું કરીશું આપણે?

કરુણાની ઘટના પહેલી નથી. આ પહેલાં ‘ના’ સાંભળવા ન ટેવાયેલા, અને માત્ર એ કારણે આક્રમક બનીને ખૂન કરવા ઘસેલા માતેલા પુરુષોની સંખ્યા ઓછી નથી. ખૂન કરવું, એસિડ છાંટવો કે બળાત્કાર કરવો – આ બધું વરવા, ગંદકીથી ખદબદતા પુરુષ માનસમાંથી બહાર આવે છે. આ પુરુષો કંઈ અભણ અને ગુંડાગર્દીમાં રચ્યાપચ્યા રખડતા જીવો નથી. એ પણ ભણેલા, ક્યાંક નોકરી કરતા, અને ઠીકઠાક લાગતા સામાન્ય માણસમાં ખપી જાય તેવા હોય છે. એમની ખાસિયત કહો તો તે એટલી કે કોઈ સ્ત્રી એમને ‘ના’ પાડે તો એમનું લોહી તપી જાય છે. એ એવા તો બત્રીસ લક્ષણા બહાદુરો છે કે સ્ત્રીની ‘ના’થી એમને મસ્તક વઢાયાની પીડા થાય છે. શૌર્ય અને મહત્તા દેખાડવા માટેનો એમને એક જ માર્ગ ફાવે છે અને તે છે ‘ના’ પાડનાર સ્ત્રીને શિક્ષા કરવાનો.

આ ઘટનામાં તેમ જ આ પ્રકારની આગળની ઘટનાઓમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી તો ખરી પણ કાર્યવાહીમાં સ્ત્રીની પાછળ પડેલા માથાભારે જણને સમજાવીને સમાધાનો કરાવ્યાં. પરિણામે થોડા સમય પછી પરિસ્થિતિ એવી જ રહે અને એમાં એક નવો વળ ચડ્યો હોય, ફરિયાદ કેમ કરી! સ્ત્રીની આ મજાલ કે લાખેણા ગાદીપતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવે?

મૂળ પ્રશ્ન માનસિકતાનો છે. પુરુષોના કાન ‘ના’ ખમી શકે એવા બને તે માટે બાળપણથી જ કંઈક કરવું પડે. અભ્યાસમાં એવી સામગ્રી દાખલ કરવી પડે જેમાં કન્યાના અધિકારોની વાત વણાયેલી હોય. પ્રત્યેક માએ પુરુષ-સંતાનને ખાસ કેળવણી આપવાની રહે, ઘરમાં અને ઘર બહાર સ્ત્રીઓને આપવાના આદરની. આ મુદ્દો સતત અભિષેક માગે છે. નઠોર થયેલા માનસમાં, જડત્વના પડ ભેદીને, એ તત્કાલ નથી પ્રવેશવાનો. એનું પુનરાવર્તન અને રટણ અનિવાર્ય બનશે. એમાં કેટલા યુગ જોઈશે એની ખબર કોને છે?

પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવી આવેલી સ્ત્રીને સુરક્ષા અંગે ભરોસો જાગે એવી વ્યવસ્થા આ દેશની મહિલાઓને ક્યારે મળશે તેનીયે ખબર નથી. અત્યાર સુધીની આવી ઘટનાઓમાં ફરિયાદ થઈ હોવા છતાં સ્ત્રીનો જીવ બચાવી શકાયો હોય, કે એના ઉપર થયેલો એસિડનો હુમલો ટાળી શકાયો હોય, એવું ભાગ્યે જ બન્યું છે. કાયદો વ્યર્થ, તંત્ર લાચાર, પ્રજા ડરપોક ને પુરુષો મદોન્મત્ત – ત્યારે મહિલાઓએ અલગ રાજ્યો માગવાનાં જ્યાં એ સલામતી અનુભવે?

પોતાનો પીછો પકડીને પરેશાન કરનાર બાબતે સ્ત્રી બેદરકાર રહી હોય, આવી ગુંડાગીરીને સામાન્ય ગણી એ થશે ખાસ વિચાર ન કર્યો હોય, તો એનોયે વાંક કાઢીએ, પણ ફરિયાદ કરવા છતાં પોલીસની અને પ્રજાની બેવડી નિષ્ક્રિયતાએ એણે જાન ગુમાવ્યો હોય ત્યારે શું? કરુણાના પરિવારના કહેવા મુજબ ફરિયાદ કરવા છતાં આદિત્ય સાથે સમાધાન થાય એવી પોલીસની દાનત હતી. ‘ના’ કહેવામાં જીવનું અથવા અન્ય પ્રકારનું જોખમ રહેલું છે એવો ડર સાથે સ્ત્રીને આ દેશમાં જીવવા વારો આવે એનાથી બદતર દશા કઈ?

આપણા સત્તાધીશોને ‘સ્માર્ટ’ સિટી બનાવવાનો ઉત્સાહ જે પ્રમાણમાં જાગે છે એવો મહિલાઓને પૂરી સલામતી આપવાનો, આદિત્ય વિશે જે થઈ એવી ફરિયાદો આવે ત્યારે પોલીસે તત્કાલ શું કરવું એની સઘન તાલીમ આપવાનો કેમ નથી જાગતો? સ્ત્રીઓ માટે અસુરક્ષિત એવી ‘સ્માર્ટ’ સિટી કેવી હશે?

સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થવા ઝંખે એ વાજબી છે, અને આત્મનિર્ભરતા માટે આવશ્યક પણ. નોકરી માટે એણે ચાર દીવાલોની સલામતી છોડવી પડે એ દેખીતું છે. વળી અત્યારની કપરી ભીંસમાં બે જણની કમાણી કેટલાંયે કુટુંબો માટે અનિવાર્ય હોય છે. પાછળ પડેલા કોઈકને ડરાવી ધમકાવીને સ્ત્રીને સાફ ‘ના’ પાડી હોય ત્યારે એેેેન માથે સતત જોખમ તોળાતું રહે એ સ્થિતિ કોઈ પણ રીતે ચલાવી ન લેવાય, ન લેવાવી જોઈએ. સ્વબચાવ માટે સ્ત્રીઓ શું કરી શકે એની યાદીઓ લાંબી છે, છતાં એનો અમલ થયો હોય એવી માહિતી મળતી નથી. જેની સામે ફરિયાદ કરી છે એ પુરુષ પોતાને કશું નહીં કરે એવો વિશ્વાસ જીવલેણ નીવડી શકે એ યાદ રાખવું ઘટે, ખાનદાની આજકાલ માણસના મરી પરવારેલા, અને દંતકથાનો મોભ્ભો ધરાવતાં લક્ષણોમાં ગણાય છે. અવરજવરવાળા રસ્તા પર કોઈ એમ સરળ રીતે આંતરીને ખૂન ન કરે એમ માનવાનું ભોળપણ સ્ત્રીઓએ છોડવું પડશે.

આમ તો વડાપ્રધાને સ્ત્રીઓ સામેના અપરાધો સંદર્ભે ‘ઝીરો ટોલરન્સ’ની વાત સશક્ત અવાજે કરી હતી, પણ એમ તો ઘણું ઘણુ સશક્ત અવાજે જ કહેવાયું હતું ને! વળી પ્રજાની ‘ટોલરન્સ’તો બેમિસાલ, એમાં ય સ્ત્રીઓની તો વળી અદકી બેમિસાલ. અને ચૂપચાપ આ ખૂની ખેલ જોતાં માણસ નામનાં પૂતળાં ક્યાં જઈને નાંખવા?

મણિબાગ, અબ્રામા, વલસાડ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 20 અને 19

Loading

ડૉ. ગિલક્રિસ્ટ કી અમર કહાની

વિશાલ શાહ|Opinion - Literature|27 October 2016

ભલા, આજ હમ જો હિન્દી ઓર ઉર્દૂ બોલ રહે હૈ, ઉસકી પૂર્વજ હિંદુસ્તાની ભાષા હૈ. યે ભાષા સાતવી સે લેકર ૧૩વી સદીમેં પ્રચલિત થી ઓર ઉસકે બાદ ભી અલગ અલગ સ્વરૂપમેં હિન્દવી, દેહલવી, રેખ્તા યા હિન્દી-ઉર્દૂ કે નામ સે જાની જાતી થી. આજ ભી ઉત્તર ઓર મધ્ય ભારતમેં યે ભાષા બોલી જાતી હૈ. હાલાંકિ યે સબ તો જાનીમાની બાતે હૈ, લેકિન આપ કો બતા દે કિ, યે જો હિંદુસ્તાની ભાષા હૈ, ઉસકી વ્યાકરણ એક અંગ્રેજ ડૉક્ટરને તૈયાર કિ થી …

આજે કોઈ ભાષાપંડિત આપણને આવી માહિતી આપે તો નવાઈ જ લાગે ને! હિંદુસ્તાની ભાષાનું વ્યાકરણ તૈયાર કરનારો એ અંગ્રેજ એટલે મૂળ સ્કોટલેન્ડનો ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ.

ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ

કોણ હતા ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ?

ડૉ. ગિલક્રિસ્ટ ભાષાશાસ્ત્રી કે સાહિત્યકાર નહીં પણ ડૉક્ટર હતા. બ્રિટનમાં હાયર એજ્યુકેશન પૂરું કરીને તેઓ બ્રિટિશ રોયલ નેવીની મેડિકલ ટીમમાં જોડાયા હતા. અહીં થોડો સમય કામ કરીને ડૉ. ગિલક્રિસ્ટ, ફક્ત ૨૪ વર્ષની ઉંમરે, ઈ.સ. ૧૭૮૩માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આસિસ્ટન્ટ સર્જન તરીકે ભારત આવ્યા. 

ડૉ. ગિલક્રિસ્ટ ભારત આવ્યા ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓએ તેમને માહિતી આપી કે, ભારતની મુખ્ય ભાષા પર્શિયન છે. જો કે, એ અંગ્રેજ અધિકારીઓની ગેરમાન્યતા હતી. ભારતમાં ફક્ત વેપારી હેતુથી આવેલા અંગ્રેજોને ખબર જ નહોતી કે, પર્શિયન વિદેશી ભાષા છે, જ્યારે ભારતમાં બોલાય છે એ હિન્દીના જુદા જુદા રૂપ છે. ભારત આવેલા અંગ્રેજોનું વેપાર-ધંધાને લગતું કામકાજ એકબીજાની ભાષા થોડી ઘણી શીખીને તેમ જ અનુવાદકોની મદદથી થઈ જતું. આ કારણસર અંગ્રેજોએ ભાષા તરફ બહુ ધ્યાન નહોતું આપ્યું. જો કે, ડૉ. ગિલક્રિસ્ટની સંશોધક નજરે એ ભૂલ થોડા જ સમયમાં પકડી પાડી.

ડૉ. ગિલક્રિસ્ટે શોધી કાઢ્યું કે, આખા ઉત્તર અને મધ્ય ભારતમાં એકેય ભારતીય સારું પર્શિયન કે અરબી બોલી નથી શકતો. ભારતીયો તો પોતાની ભાષાને હિંદુસ્તાની, ઉર્દૂ કે ખડી બોલી કહે છે. ઉત્તર ભારતમાં વેપાર માટે આવેલા મોટા ભાગના વિદેશીઓ પર્શિયન અને તૂર્ક છે. એ લોકો પર્શિયન શબ્દોથી છલોછલ હિંદુસ્તાની બોલે છે. વિદેશીઓ સાથેના વેપારના કારણે ભારતીયોની ભાષામાં પણ પર્શિયન શબ્દોની ભરમાર હોય છે. આ કારણસર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓ ભારતીયોની મુખ્ય ભાષા પર્શિયન સમજે છે!

ડૉ. ગિલક્રિસ્ટ વ્યવસાયે ડૉક્ટર હતા પણ સ્વભાવે સંશોધક જીવ હતા. આ સ્વભાવના કારણે તેમણે ભારતની ભાષાઓ અને ઈન્ડોલોજીમાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. ઈન્ડોલોજી એટલે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને માલદીવ સહિતના આખા ભારતીય ઉપખંડ તેમ જ તેની સાથે સંકળાયેલા એશિયાઈ વિસ્તારોની ભાષા-સંસ્કૃિત અને સાહિત્યનો અભ્યાસ.

હિન્દી-ઉર્દૂ શબ્દો ભેગા કરવા ૧૨ વર્ષ રઝળપાટ

ઈ.સ. ૧૭૮૫માં ડૉ. ગિલક્રિસ્ટે ભારતીય ભાષાઓનો અભ્યાસ કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે એક વર્ષની રજા માગી, જે મંજૂર નહોતી થઈ. જો કે, ડૉ. ગિલક્રિસ્ટે નોકરીની સાથે જ સંશોધન કરીને સ્થાનિક ભાષાના હજારો શબ્દો ભેગા કર્યા અને ઈ.સ. ૧૭૮૬માં 'એ ડિક્શનરીઃ ઈંગ્લિશ એન્ડ હિંદુસ્તાની' નામની નાનકડી ડિક્શનરીનું પ્રકાશન કર્યું.

આ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈ.સ. ૧૭૮૭માં તેમની એક વર્ષની રજા મંજૂર કરી. જો કે, એ પછી તેઓ મેડિકલ ઓફિસર તરીકે કંપનીમાં પાછા જોડાયા જ નહીં, કારણ કે, 'હિંદુસ્તાની' ભાષાના શબ્દો અને વ્યાકરણને લગતું સંશોધન કરવા તેમણે સળંગ બાર વર્ષ પટણા, ફૈઝાબાદ, દિલ્હી, લખનઉ અને ગાઝીપુરમાં રઝળપાટ કરી. ડૉ. ગિલક્રિસ્ટે શોધી કાઢ્યું કે, ઉત્તર અને મધ્ય ભારતની ભાષાઓ લગભગ એકસરખી છે, જે વિવિધ પ્રદેશોમાં જુદી જુદી બોલીમાં બોલાય છે. વળી, સ્થાનિક સંસ્કૃિત પ્રમાણે તેમાં સંસ્કૃત, પર્શિયન અને અરબી ભાષાના શબ્દોની ભરમાર છે. આ ભાષાની મુખ્યત્વે બે લિપિ છે. એક, નાગરી (દેવનાગરીની પૂર્વજ) અને બીજી, અરેબિક. એ પહેલાં ક્યારે ય ભારતીય ભાષાઓનું ડૉ. ગિલક્રિસ્ટે કર્યું હતું એવું સુવ્યવસ્થિત સર્વેક્ષણ થયું ન હતું.

ઈ.સ. ૧૮૨૫માં પુનઃ પ્રકાશિત કરાયેલી ડિક્શનરીનું કવરપેજ

આટલું સંશોધન કરીને ડૉ. ગિલક્રિસ્ટે ભારતમાં બોલાતી પ્રચલિત ભાષાને 'હિંદુસ્તાની' (પર્શિયન નહીં) નામ આપ્યું. એ વખતે હિંદુસ્તાનીને કેટલાક લોકો ‘ઉર્દૂ’ તરીકે પણ ઓળખતા, પણ બાદમાં ઉર્દૂની લિપિ અરબી થઈ જતાં તેમાં અરબી, પર્શિયન અને ફારસી ભાષાના શબ્દો મોટા પ્રમાણમાં પ્રવેશ્યા. આમ, ઉર્દૂએ દાયકાઓના સાંસ્કૃિતક આદાનપ્રદાન પછી હિન્દીથી અલગ સ્વરૂપ ધારણ કર્યું. આજના હિન્દી અને ઉર્દૂની પૂર્વજ એટલે આ હિંદુસ્તાની ભાષા. સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સંસ્કૃત સહિત ઉર્દૂ, ફારસી, પર્શિયન શબ્દો પ્રચુર માત્રામાં ધરાવતી હોય એવી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરવાનું સૂચન કર્યું હતું. એવી હિન્દી ભાષા એટલે આ હિંદુસ્તાની, જે એ સમયે હિન્દીના એક જુદા સ્વરૂપ તરીકે જાણીતી હતી.

અંગ્રેજોએ શરૂ કરી 'ગિલક્રિસ્ટ કી મદરેસા'

ડૉ. ગિલક્રિસ્ટે બારેક વર્ષ સખત સંશોધન કરીને ઈ.સ. ૧૭૯૬માં 'એ ગ્રામર ઓફ ધ હિંદુસ્તાની લેન્ગ્વેજ' નામનું હિંદુસ્તાની વ્યાકરણની અંગ્રેજી ભાષામાં સરળ સમજ આપતું પુસ્તક લખ્યું, જેનું પ્રકાશન ક્રોનિકલ પ્રેસ ઓફ કોલકાતાએ કર્યું હતું. ‘હિંદુસ્તાની’ ભાષા-વ્યાકરણની સમજ આપતું આવું અંગ્રેજી પુસ્તક જોઈને ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓ પણ ડૉ. ગિલક્રિસ્ટને માનની દૃષ્ટિએ જોવા લાગ્યા હતા.

ઈ.સ.  ૧૭૯૬માં પ્રકાશિત ‘એ ગ્રામર ઓફ ધ હિંદુસ્તાની લેન્ગ્વેજ’ કવરપેજ

હવે યોગાનુયોગ જુઓ. એક સમયે ફક્ત વેપાર કરવાના હેતુથી આવેલા અંગ્રેજોએ ઈ.સ. ૧૮૦૦માં ભારતમાં મજબૂત પગદંડો જમાવવાનું શરૂ કર્યું. સિસ્ટમેટિકલી રાજ કરવામાં માનતા અંગ્રેજોએ ભારતની વિવિધ ભાષા-બોલીઓને ઓળખવા-સમજવા એક યોજના શરૂ કરી, જેનો હેતુ ભારતની ‘અઘરી’ ભાષા, તેના શબ્દો અને વ્યાકરણને વ્યવસ્થિત રીતે સમજીને ધંધા-વેપારમાં એકહથ્થું શાસન કરવાનો હતો. આ જ ગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય સૈનિકોની ભરતી પણ શરૂ કરી. આ સૈનિકો સાથે કામ પાર પાડવામાં પણ અંગ્રેજ અધિકારીઓને ભાષાના કારણે ખાસ્સી તકલીફ પડતી.

આ દરમિયાન ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓમાં પ્રતિષ્ઠા મેળવી ચૂકેલા ડૉ. ગિલક્રિસ્ટે બ્રિટિશ ઇન્ડિયાના ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીને સૂચન કર્યું કે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના સ્ટાફને સ્થાનિક ભાષા શીખવવા એક સ્કૂલ સ્થાપવી જોઈએ. લોર્ડ વેલેસ્લીએ આ સૂચન સ્વીકારી લીધું અને કોલકાતામાં એક સ્કૂલની સ્થાપના કરી. આ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે લોર્ડ વેલેસ્લીએ ડૉ. જ્હોન ગિલક્રિસ્ટની નિમણૂક કરી. અંગ્રેજોમાં આ સ્કૂલ 'ઓરિએન્ટલ સેમિનરી' અને ભારતીયોમાં 'ગિલક્રિસ્ટ કી મદરેસા' નામે ઓળખાતી કારણ કે, શરૂઆતમાં અહીં મુખ્યત્વે હિંદુસ્તાની, ઉર્દૂ અને પર્શિયન ભાષા ભણાવાતી.

'ગિલક્રિસ્ટ કી મદરેસા' એટલે આજના કોલકાતામાં આવેલી ફોર્ટ વિલિયમ કોલેજ અને તેના પહેલાં પ્રિન્સિપાલ એટલે ખુદ ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ.

હિન્દી, ઉર્દૂનો વિકાસ અને ઈસપના અનુવાદો

ફોર્ટ વિલિયમ કોલેજમાં ડૉ. ગિલક્રિસ્ટે ઈ.સ. ૧૮૦૪ સુધી સેવા આપી. આ ચાર વર્ષ દરમિયાન ડૉ. ગિલક્રિસ્ટે 'ધ સ્ટ્રેન્જર્સ ઈસ્ટ ઇન્ડિયા ગાઈડ ટુ ધ હિંદુસ્તાની', 'ધ હિંદુસ્તાની મેન્યુઅલ ઓર કેસ્કેટ ઓફ ઇન્ડિયા' અને 'ધ ઓરિએન્ટલ ફેબ્યુિલસ્ટ' ઓર 'પોલિગ્લોટ ટ્રાન્સલેશન્સ ઓફ ઈસપ એન્ડ અધર એન્સિઅન્ટ ફેબલ્સ' જેવાં અનેક પુસ્તકો લખ્યાં. (પોલિગ્લોટ એટલે બહુભાષી) ડૉ. ગિલક્રિસ્ટનું આ છેલ્લું પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે, જેમાં તેમણે બીજા લેખકોની મદદથી ઈસપની બોધકથાઓનો ઉર્દૂ, પર્શિયન, સંસ્કૃત, બંગાળી અને વ્રજ ભાષામાં અનુવાદ કર્યો, પરંતુ તેની લિપિ રોમન રાખી. ડૉ. ગિલક્રિસ્ટનો રોમન લિપિ રાખવાનો હેતુ અંગ્રેજોને ભારતીય ભાષાઓ શીખવવાનો અને તેમાં રસ લેતા કરવાનો હતો.

‘ધ સ્ટ્રેન્જર્સ ઈસ્ટ ઈન્ડિયા ગાઈડ ટુ ધ હિંદુસ્તાની’ની ઈસ. ૧૮૦૮માં પ્રકાશિત બીજી આવૃત્તિ

એટલું જ નહીં, તેમણે ફોર્ટ વિલિયમ કોલેજમાં લલ્લુ મલ અને સદલ મિશ્રા જેવા હિન્દી ભાષાના વિદ્વાનોની પણ સેવા લીધી. ડૉ. ગિલક્રિસ્ટના સક્રિય પ્રયાસના કારણે થોડા જ વર્ષોમાં સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, અરબી, પર્શિયન અને બંગાળી ભાષાનાં હજારો પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થયો. તેમના કારણે અંગ્રેજી પુસ્તકોના પણ ભારતીય ભાષામાં અનુવાદો થયા અને સાંસ્કૃિતક આદાનપ્રદાન ચરમસીમાએ પહોંચ્યું. ઈ.સ. ૧૮૧૮ સુધીમાં તો ભારતમાં બાઈબલના હિન્દી અનુવાદો પણ ઉપલબ્ધ હતા. ૩૦મી મે, ૧૮૨૬ના રોજ ભારતનું પહેલું હિન્દી અઠવાડિક છાપું 'ઉડંત માર્તંડ' પણ કોલકાતામાં જ શરૂ થયું, જેના તંત્રી પંડિત જુગલ કિશોર શુકલ હતા.

ડૉ. ગિલક્રિસ્ટે ઉર્દૂ ભાષાના પ્રચાર માટે પણ ફોર્ટ વિલિયમ કોલેજમાં વ્યવસ્થા કરી હતી. ભારત આવતા અંગ્રેજો અને બીજા વિદેશીઓ ત્યાં જઈને ઉર્દૂ શીખી શકતા. એપ્રિલ ૧૮૦૬માં ભારત આવેલા મિશનરી હેનરી માર્ટિનને ડૉ. ગિલક્રિસ્ટે જ ઉર્દૂ શીખવ્યું હતું. બાદમાં હેનરી માર્ટિને ‘ન્યુ ટેસ્ટામેન્ટ’ સહિતના ખ્રિસ્તી ધર્મગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો હતો.

આજના હિન્દી અને ઉર્દૂ ભાષાના વિકાસમાં ડૉ. ગિલક્રિસ્ટે આપેલું પ્રદાન એક 'અમર કથા'થી બિલકુલ કમ નથી. ડૉ. ગિલક્રિસ્ટને ભાષાઓ પ્રત્યે પ્રેમ હતો અને તેઓ અંગ્રેજોને ભારતીય સંસ્કૃિતની ઊંડી સમજ આપવા માગતા હતા એ વાત ખરી, પણ તેમનો મૂળભૂત હેતુ અંગ્રેજોને 'સિસ્ટમેટિકલી રાજ' કરવામાં મદદરૂપ થવાનો હતો. એ રીતે ડૉ. ગિલક્રિસ્ટની કહાની એક ભાષાપ્રેમીની જ નહીં, પણ અંગ્રેજો સદીઓ સુધી વિશ્વભરમાં કેમ મજબૂત રીતે રાજ કરી શક્યા એની પણ કહાની છે.

આમ છતાં, ડૉ. ગિલક્રિસ્ટે હિંદુસ્તાની ભાષાનો ભારતભરમાં પ્રચાર કરીને આજની હિન્દી અને ઉર્દૂના વિકાસમાં જબરદસ્ત પ્રદાન આપ્યું છે એમાં કોઈ બેમત નથી.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,6023,6033,6043,605...3,6103,6203,630...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved