નવો વિમર્શ રહી ગયેલાઓને મેઇન-સ્ટ્રીમમાં લાવવા માટે કેવું, કેટલું અને કઈ ઉંમરે અંગ્રેજી શિક્ષણ આપવું એ અંગેનો છે. આ જે નવો ભાષાકીય વિમર્શ છે એ સફળતાલક્ષી વિમર્શ છે. એને વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ સાથે કોઈ સંબંધ નથી
ભારતનાં રાજ્યોના અને કેન્દ્ર સરકારના ગ્રુપ ઑફ સેક્રેટરીઝ ઑન એજ્યુકેશન ઍન્ડ સોશ્યલ ડેવલપમેન્ટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે ભારતભરમાં દરેક સ્કૂલમાં છઠ્ઠા ધોરણથી અંગ્રેજીનું શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ અને પ્રત્યેક તાલુકામાં કમસે કમ એક સ્કૂલ અંગ્રેજી માધ્યમની હોવી જોઈએ. તેમણે આ ભલામણ દેશની સામાન્ય પ્રજાના સામાજિક વિકાસ માટે કરુણાભાવથી પ્રેરાઈને કરી છે.
દેશને આઝાદી મળ્યે ૭૦ વર્ષ થવા આવ્યાં છે, પરંતુ ભાષાનો પ્રશ્ન ઉકેલાતો નથી. કયા માધ્યમમાં બાળકને શિક્ષણ આપવું જોઈએ? જો અંગ્રેજીમાં શિક્ષણ આપવાનો આગ્રહ રાખવામાં આવે તો કયા ધોરણથી અને કઈ વયે અંગ્રેજીમાં શિક્ષણ આપવું જોઈએ? પ્રાદેશિક ભાષાના શિક્ષણનું શું? પ્રાદેશિક ભાષાનું શિક્ષણ પ્રદેશ બહારના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હોવું જોઈએ કે મરજિયાત? રાષ્ટ્રીય ભાષા હિન્દીના શિક્ષણનું શું અને જેને ભાષાઓની માતા તરીકે ઓળખવામાં આવે છે એ ગીર્વાણ ભારતી સંસ્કૃત ભાષાનું શું કરવું? એનું શિક્ષણ ક્યારે આપવું અને કેટલું આપવું? આ તો શિક્ષણની વાત થઈ. વહીવટી તંત્રની ભાષા કઈ હોવી જોઈએ અને કયા સ્તર સુધી હોવી જોઈએ?
ભાષાના પ્રશ્ને આઝાદી પહેલાં જેટલી વિમાસણ હતી એમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો છે અને એનું કારણ હિન્દીનો અસ્વીકાર છે. આઝાદી પહેલાં પ્રાદેશિક સ્તરે શિક્ષણની અને વહીવટી તંત્રની ભાષા માતૃભાષા હોવી જોઈએ એ બાબતે ભાગ્યે જ મતભેદ હતો. જેઓ અંગ્રેજીના પ્રેમી અને આગ્રહી હતા તેઓ પણ અંગ્રેજીની વકીલાત નહોતા કરી શકતા એટલી હદે દેશમાં લગભગ સાર્વત્રિક સંમતિ હતી. વિમાસણ માત્ર રાષ્ટ્રભાષાની હતી. દક્ષિણનાં રાજ્યો, ખાસ કરીને તામિલો હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવે એનો વિરોધ કરતા હતા. દ્રવિડ કુળની ભાષાઓમાં અને સંસ્કૃત કુળની ભાષાઓમાં અંતર છે, પરંતુ એ અંતર એટલું બધું નથી કે લાંઘી જ ન શકાય. જો તામિલો લૅટિન કુળની ભાષા અંગ્રેજી અપનાવી શકે તો હિન્દી કેમ ન અપનાવી શકે? દ્રવિડ કુળ અને લૅટિન કુળમાં તો જરા પણ સામ્ય નથી.
હિન્દી ભાષાના પ્રતિકારનું કારણ અસ્મિતાભાન અને લઘુતાગ્રંથિ હતાં. એક તો તામિલ ભાષા સમય સાથે થોડાઘણા ફરક સાથે બે હજાર વરસથી સતત બોલાતી અને સાહિત્યિક રીતે વપરાતી ભાષા છે એટલે તામિલોમાં અસ્મિતાભાન તીવ્ર છે. આની સામે સંસ્કૃત ભાષા દૈનંદિન વપરાશમાંથી ફેંકાઈ ગઈ છે. બીજું કારણ ઉત્તર ભારતના કહેવાતા આર્યાવર્ત અને દક્ષિણની દ્રવિડભૂમિ વચ્ચેની થોડી ઐતિહાસિક અને વધુ કાલ્પનિક ખાઈ છે. તેઓ હિન્દીને આર્યાવર્તની પ્રતિનિધિ ભાષા તરીકે જુએ છે એટલે હિન્દીના સ્વીકારમાં દ્રવિડ ભૂમિના આર્યાવર્ત સામેના પરાજય તરીકે જુએ છે. પેરિયાર રામસ્વામી નાયકર જેવા દ્રવિડ અસ્મિતાવાદી નેતા તો ઠીક, સી. રાજગોપાલાચારી જેવાએ પણ હિન્દીનો વિરોધ કર્યો હતો. જો રાજગોપાલાચારીએ હિન્દી અપનાવી હોત તો તેમણે કદાચ નેહરુની જગ્યા લીધી હોત એટલા તે રાષ્ટ્રીય સ્તરના મોટા ગજાના નેતા હતા.
દક્ષિણે હિન્દી અપનાવી નહીં એટલે હિન્દી ખરા અર્થમાં રાષ્ટ્રભાષા બની નહીં અને હિન્દી સિવાય બીજી કોઈ ભારતીય ભાષા નહોતી જે રાષ્ટ્રભાષાની જગ્યા લઈ શકે. કોઈ પણ ભાષાના સ્વીકારનો અંતિમ માપદંડ બ્રેડ-બટર છે. જે ભાષા પેટિયું રળી આપે એ ભાષાને લોકો અપનાવે છે, પછી એ પોતાના કુળની ભાષા હોય કે સાવ પરાઈ ભાષા હોય. દેશની અંદર આંતરિક મતભેદને કારણે હિન્દી વહીવટી તંત્રની અને મોટા પ્રતિષ્ઠિત રોજગારની ભાષા તરીકે અંગ્રેજીની જગ્યા લઈ શકી નહીં. અંગ્રેજીની જગ્યાએ જે ભાષાએ રાષ્ટ્રીય વટવૃક્ષ તરીકે વિકસવાનું હતું એ વિકસી શકી નહીં એટલે એની સીધી અસર ભારતીય ભાષાઓ પર થવા લાગી. વટવૃક્ષની પાછળ વડવાઈઓ પણ કમજોર થવા લાગી. આમાં અંગ્રેજીની હિમાયત કરનારાઓને અને અંગ્રેજી દ્વારા સામાજિક તેમ જ આર્થિક સરસાઈ ધરાવનારાઓને અંગ્રેજી ભાષા ટકાવી રાખવાનો મોકો મળી ગયો. આજે જિલ્લા સ્તરથી આગળ વહીવટી તંત્રની ભાષા અંગ્રેજી છે. વડી અદાલતોમાં અને સર્વોચ્ચ અદાલતમાં અંગ્રેજી ચાલે છે. ૫૦ લાખ રૂપિયા કરતાં વધુના મૂડીરોકાણવાળા વ્યવસાયની ભાષા અંગ્રેજી છે.
અંગ્રેજી બ્રેડ-બટરની ભાષા છે, અંગ્રેજી સફળતાની ભાષા છે અને અંગ્રેજી સામાજિક સરસાઈની પણ ભાષા છે. આઝાદ ભારતનું ભાષાકીય સરવૈયું કાઢવું હોય તો એમ કહી શકાય કે જેમની પાસે અંગ્રેજીનું જ્ઞાન નથી એ ઓશિયાળા છે અને હાંસિયામાં છે.
તો સવાલ હવે એ પુછાઈ રહ્યો છે કે જે લોકો હાંસિયામાં છે અને ઓશિયાળા છે તેમને સફળતાની સીડી નજીક કઈ રીતે લાવવા? ઉપાય છે અંગ્રેજી ભાષાનું શિક્ષણ. સાત દાયકા પહેલાંનો માતૃભાષામાં શિક્ષણ અને માતૃભાષામાં શાસનનો મૂળ ભાષાકીય વિમર્શ બાજુએ હડસેલાઈ ગયો છે અને નવો વિમર્શ રહી ગયેલાઓને મેઇન-સ્ટ્રીમમાં લાવવા માટે કેવું, કેટલું અને કઈ ઉંમરે અંગ્રેજી શિક્ષણ આપવું એ અંગેનો છે. આ જે નવો ભાષાકીય વિમર્શ છે એ સફળતાલક્ષી વિમર્શ છે. એને વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ સાથે કોઈ સંબંધ નથી. બસ્તરમાં જન્મેલા આદિવાસી બાળકને અરુણ જેટલીની માફક કડકડાટ અંગ્રેજી બોલતું કરવું છે તો તેને અંગ્રેજી શિક્ષણ કઈ ઉંમરે અને કયા ધોરણથી આપવું જોઈએ એ ચર્ચાનો વિષય છે. બાળમંદિરથી? પહેલા ધોરણથી? પાંચમા ધોરણથી? ફરજિયાત કે મરજિયાત? અંગ્રેજી એક વિષય હોવો જોઈએ કે શિક્ષણના માધ્યમની ભાષા હોવી જોઈએ? દેશભરમાં એકસરખું શિક્ષણ હોવું જોઈએ કે પછી શિક્ષણની બજારમાં ગજવાનો માપદંડ હોવો જોઈએ?
આજનો આ રીતનો ભાષાકીય વિમર્શ જોતાં એને વિનિપાત જ કહેવાય કે બીજું કંઈ? પણ આજની આ વાસ્તવિકતા છે. આ ઉપરાંત પ્રાંતવાદીઓ પ્રાદેશિક ભાષા માટે અને હિન્દુ અસ્મિતાવાદીઓ સંસ્કૃત માટે આગ્રહ રાખે છે. વિદ્યાર્થીને અને તેમનાં મા-બાપને સફળતાની સીડીરૂપ માત્ર અને માત્ર અંગ્રેજી ભાષા અને કૌશલ જોઈએ છે, જ્યારે અસ્મિતાવાદીઓ હિન્દીને બાયપાસ કરીને પ્રાદેશિક ભાષાને બચાવવા અને સંસ્કૃતને પાછી જીવતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાંઝિયા પ્રયત્નો છે જેનું કોઈ પરિણામ આવવાનું નથી. આનો એક જ ઉપાય છે અને એ છે ગાંધીજીનો ભાષાવિમર્શ. તેમનું ભાષાચિંતન પ્રાસંગિક છે, પણ રસ કોને છે! બાળકો બિચારાં આંધળા અસ્મિતાવાદીઓ અને શિક્ષણનો વેપાર કરનારાઓનો શિકાર બની ગયાં છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ ડે”, 16 જાન્યુઆરી 2017