Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9379738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂડીવાદની માયાજાળ

ભરત શાં. શાહ|Opinion - Opinion|24 September 2015

મૂડીવાદના સાચા સ્વરૂપને ન સમજવાથી અનેક અનર્થોના ભોગ બનવાનો વખત આવે છે. તેનું સ્વરૂપ છેતરામણી મયાજાળને લીધે આસાનીથી જોઈ શકાય તેમ નથી. વળી, અમેરિકન મૂડીવાદીઓ અહીંના રૂઢિચુસ્ત પક્ષો તથા ક્રિશ્ચિયન ચર્ચના સહકારથી ભાતભાતના ભ્રામક દાવાઓ અને દલીલો રજૂ કર્યે રાખે છે, તે ખોટી સાબિત થયા પછી પણ, સત્યનું મોં સુવર્ણના પાત્રથી ઢંકાયેલું જ રહે છે. આ લેખકે પોતે મૂડીવાદનાં ફળો ચાખ્યાં છે, તેથી મૂડીવાદનો આંધળો વિરોધ તો તે ન કરે. આ ટચૂકડા લેખમાં હું આજનો મૂડીવાદ તેના મૂળ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે, તે ખુદ અમેરિકાના હિતમાં પણ નથી, અને વિશ્વભરમાં તેની નિકાસ કરવાથી તે આખી દુનિયાને તેની ગુલામ બનાવી દઈ શકે તેમ છે, એ ત્રણ મુદ્દાઓનું પ્રતિપાદન કરવા પ્રયત્ન કરીશ.

ફ્યૂડલ અર્થવ્યવસ્થાના રક્ષણ માટે અસ્તિત્વમાં આવેલ કૅપિટાલિસ્ટ પદ્ધતિ અમેરિકાના જમીનદાર સ્થાપકોએ સ્વાભાવિક રીતે જ અપનાવી લીધી. સ્વાતંત્ર્યનાં ઘોષણાપત્રમાંથી ગુલામી નાબૂદ કરવાની વાત ઉડાવી દઈને કાળી પ્રજાનાં શોષણ અને ભવિષ્યનાં આંતરવિગ્રહનાં બીજ રોપ્યાં, અમેરિકાના ઉત્તરનાં રાજ્યોએ મશીનો અપનાવ્યાં, જ્યારે દક્ષિણનાં રાજ્યોએ કાળી પ્રજાના લોહી ઉપર સમૃદ્ધિનું ચણતર કર્યું. જે મશીનોએ ગુલામોની મુક્તિનો માર્ગ સરળ કરી આપ્યો, તે જ મશીનો આગળ જતાં બેકારીનું કારણ બન્યાં. મુક્તિના ફિરસ્તાઓ તરીકે પ્રવેશેલાં મશીનોએ પ્રજાના અતિ નાના ખંડ માટે મુક્તિ અને પ્રચંડ બહુમતી માટે એ લઘુમતીની કદમબોસી સરજી આપી.

આજે અમેરિકાની વસ્તીના એક ટકા લોકો પાસે અર્ધા ઉપરની સંપત્તિ છે. એ લોકો પૈસા વેરીને તેમને અનુકૂળ કાયદાઓ પસાર કરાવી શકે છે. ચૂંટણીમાં બંને પક્ષોને લાખો ડૉલર્સ આપીને મન ફાવતાં પરિણામ લાવી શકે છે. બેમાંથી ગમે તે જીતે પણ તે ભલું તો મૂડીવાદીઓનું જ કરે, તમારું કે મારું નહીં. આપણું કામ તો તેમનાં અઘટિત કૃત્યો ઉપર સમર્થનની મહોર મારી આપવાનું જ. કેટલા ય મતદારોએ પોતાના મત આપવાનું બંધ કરી દીધું છે. અહીંના ૯૯ ટકા લોકો તેમની માંગણી રજૂ કરવા માટે મોરચો કાઢે છે, અને નિષ્ફળ ચળવળો કરે છે, અને એક ટકાવાળાઓની પોલીસ તેમની ધરપકડ કરે છે. આ લોકશાહી છે કે લોકોના મોં ઉપર ચોપડેલી કાળી શ્યાહી છે? અમેરિકા લોકશાહીની અને મુક્ત અર્થતંત્રની નિકાસ કરવાની વાતો કરે છે, પણ હકીકતમાં તો તેને દેશનિકાલ કરવા બરોબર જ છે.

યંત્રયુગને પરિણામે ઉત્પાદન વધ્યું, તેથી કાચા માલની અને નવાં બજારોની શોધમાં ઇંગ્લૅન્ડ વગેરેએ સંસ્થાનો સ્થાપ્યાં. ભારતને તો તેનાં ફળ યાદ હોવાં જ જોઈએ. જે મહાકાય કંપનીઓને કાઢવા માટે આપણે આઝાદીની ચળવળ કરી, તેમને પાછા બોલાવવા આપણે આજે મથી રહ્યા છીએ. અલબત્ત, પ્રગતિ જરૂર થાય છે, પણ તે આપણી નહીં, કંપનીઓની જ. એ કંપનીઓ અમેરિકાની શક્તિશાળી સરકારને પણ વશ રહેતી નથી, એટલું જ નહીં પણ તેને ખિસ્સામાં રાખે છે, તે કંપનીઓ ભારતની સરકારને બદલશે? એક-એક કંપનીનું અંદાજપત્ર ભારતના અંદાજપત્ર કરતાં મોટું છે. અમેરિકાની કૉંગ્રેસ અને સેનેટ ખરીદી લેનારને ભારતની સંસદ ખરીદતા શું તકલીફ પડશે? આ સંસ્થાનવાદનો આર્થિક પુનર્જન્મ છે.

અમેરિકાના મુઠ્ઠીભર મૂડીવાદીઓએ બાકીના ૯૯ ટકા અમેરિકાને તેમનું સંસ્થાન બનાવી દીધું છે અને હવે સમસ્ત વિશ્વ તરફ ડોળો માંડ્યો છે. આ છટકામાં તેમને અમેરિકાની સરકારનો પણ સાથ છે. વિશ્વબૅંક, ઇત્યાદિ તેમનાં હથિયારો છે. મધ્યપૂર્વમાં અમેરિકાએ સરમુખત્યારશાહીની જ તરફેણ કરી છે, લોકશાહીની નહીં જ. કઠપૂતળી જેવા સરમુખત્યારો પાસેથી ગમે તે કરાવી લેવાય, લોકોના વિરોધની પરવા કર્યા વિના. લોકશાહી સરકારો સાથે બિરાદરીનો દેખાવ કરીને તેમને પણ ધૂંસરીએ જોતરી શકાય. જોહુકમીથી આ સરકારો પાસેથી કરમુક્તિ, પર્યાવરણ કાયદાઓમાંથી બાકાતી, સસ્તા કે મફતના ભાવે કાચો માલ વગેરે મેળવી શકાય અને મોંઘાદાટ તથા બિનજરૂરી માલ માથે મારી શકાય. ખેડૂતોની જમીનો પાણીના ભાવે પડાવી લેવાય કે પૂરા ભાવે લેવાય, પણ ત્યાં કામ કરતાં ખેતમજૂરોનું શું થાય તે જોવાની જવાબદારી કોઈની નહીં. આપઘાત સિવાય કોઈ ઉપાય તેમના માટે બાકી ન જ રહે.

શિક્ષણ પણ ખાનગી કરી નખાય, જેથી સસ્તી કે મફતની શાળાઓમાં બાળકોને ન મોકલી શકતાં માબાપ, પોતાનાં બાળકોને મોંઘીદાટ, વિદેશી માધ્યમની શાળાઓમાં મોકલી શકે. ભલેને બાળક, માબાપ કે શિક્ષક કોઈને અંગ્રેજી આવડતું ન હોય. કૉપીરાઇટના અને એવા બીજા કાયદાઓ દ્વારા રોજબરોજની વસ્તુઓ, જેવી કે લીમડો, અને અરડૂશી પણ કબજે કરી દેવાય. વળી, બહારનું કાપડ આવતું હોય, તો તેનો માર્ગ ખુલ્લો રાખવા માટે સ્થાનિક ઉત્પાદન ઉપર નિયંત્રણ મૂકાવી શકાય. જો કે દેખીતી પ્રગતિ તો અપાર થાય.

મૂડીવાદ (કૅપિટાલિસ્ટ) વ્યવસ્થા ‘અમેરિકન છે, સર્વશ્રેષ્ઠ છે, લોકશાહી પદ્ધતિ છે, સૌના ઉદ્ધારની તેમાં તક રહેલી છે, ઇત્યાદિ બણગાં ફૂંકાય છે. તેની વિરુદ્ધ જે કંઈ છે તે બધું ‘સામ્યવાદી’ છે કે ‘સમાજવાદી’ છે, તેવી ઘોષણા કરાય છે. ‘ગાંધીજી વગેરેના વિચારો જુનવાણી અને પ્રગતિવિરોધી છે,’ તેમ એ વિચારોના અભ્યાસ વિના પણ કહી શકાય છે. મૂડીવાદ અમેરિકાને પણ સંસ્થાન બનાવે છે, તેની લોકશાહીને ઘોળીને પી જાય છે, માત્ર ગણતરીના થોડા લોકોનું તેમાં ભલું થાય છે, તે આપણે જોયું, છતાં ય એની એ જ વાતો જોરશોરથી થાય છે. તેમ કરવાથી કીટભ્રમર ન્યાયે અસત્ય પણ સત્ય બની જાય છે.

મૂડીવાદી વ્યવસ્થા લોકશાહી નથી, એટલું જ નહીં, તે સદંતર લોકદ્રોહી વ્યવસ્થા છે, તે અમેરિકામાં પણ કોઈને સમજાતું નથી, કારણ કે સૌએ માલેતુજાર થવું છે, અને તેથી જ કદાચ, તે ‘અમેરિકન વ્યવસ્થા છે’, તેમ છાતી ફુલાવીને તેઓ કહેતા ફરે છે. લોકો સાથે તેને શોષણ કરવા સિવાય કંઈ જ સંબંધ નથી. લોકોની સરકાર પરત્વે તેને અપાર ઘૃણા છે. મૂડીવાદી સિદ્ધાંત છે કે બજારોમાં મુક્ત રીતે હરીફાઈ થવી જોઈએ, અને સરકારે તેમાં જરા પણ દખલ ન કરવી જોઈએ. સગવડભરી રીતે એ ભૂલી જવાય છે કે મોટીમસ કંપનીઓ ઇજારાશાહી જ ભોગવે છે, અને ઇજારાશાહીને હરીફાઈ સાથે ડાંગે માર્યા વેર સિવાય બીજો કોઈ સંબંધ નથી. સરકારના અવરોધોનો અસ્વીકાર કરીને તો મૂડીવાદ સાર્વભૌમત્વનો જ છેદ ઉડાવી દે છે. સરકાર વિના કાયદાનું પાલન કોણ કરાવશે? કાયદો અને વ્યવસ્થા સિવાય મૂડીવાદ પોતે પણ કેટલી ક્ષણ ટકી શકશે? કાયદાનું રક્ષણ કરવાની સરકારને છુટ્ટી છે, એટલું જ નહીં, તેની ફરજ છે.

‘સરકાર પૈસાનો દુર્વ્યય કરે છે, નિરર્થક નોકરીની જગ્યાઓ ઊભી કરે છે, ગરીબોને વેલફેરના પૈસા આપી તેમને આળસુ બનાવે છે, નફાકારક કામો તો ખાનગી ક્ષેત્ર કરતાં બિનઅસરકારક રીતે કરે છે,’ ઇત્યાદિ કાગારોળ તો ચાલુ જ હોય છે. સરકારને કરવેરા વધારવા દેવા સામે તેને વિરોધ છે, પૈસાદાર ઉપર તો નહીં જ. ગરીબોને રાહત આપવા સામે તેને એથી પણ વધારે મોટો વાંધો છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે સરકારનાં બધાં કામો નફાકારક નથી હોતાં, જે કામ બીજું કોઈ ન કરે કે ન કરી શકે તે બધાં કામ સરકાર કરે છે. રાહતનાં, દયાનાં, આપદ્ગ્રસ્તોને સહાયનાં, જાહેર સુખાકારીનાં, સુધરાઈનાં, લશ્કરને લગતાં, આ સૌ કામ કરવાં એ તો ખોટનો જ ધંધો છે.

મૂડીવાદીઓ નફાકારક કામો સરકાર પાસેથી પડાવી લેવા માંગે છે, ખોટનાં કામોમાં તેને રસ ન હોય તે સમજી શકાય. પણ એ કામો કોઈએ તો કરવાં જોઈએ એ વાત તેના મગજમાં તે ઉતારવા માંગતા નથી. પોસ્ટઑફિસ પાસેથી પાર્સલનો ધંધો ખાનગી કંપનીને અપાવી દીધો, પણ દેશના ખૂણે ને ખાંચરે પહોંચાડવામાં તેમને રસ નથી. વીમાકંપનીઓ પૈસા ચૂકવતી હોય તેવા દર્દીઓને ખાનગી હૉસ્પિટલોમાં ડૉક્ટરો, ઑપરેશન થિયેટર, ફાર્મસી, લૅબોરેટરી, બધાં અગલ-અલગ બિલ કરે, જ્યારે સરકારી હૉસ્પિટલમાં એ બધો ય ખર્ચ એક જ, અને પ્રમાણમાં ઘણા નાના બિલમાંથી નીકળે, સરકારી નોકરો કંગાળ હાલતમાં કામ કરે અને ઉપરથી વગોવાય.

ધંધાના વિકાસનો આધાર નવાં બજારો, નવી-નવી પેદાશો, અને સર્જનાત્મક તરકીબો ઉપર આધાર રાખે છે. હવેની કંપનીઓને આમાંથી કશાયની પડી નથી. તે તો અર્ધા કર્મચારીઓને છૂટા કરી નાખી, બાકીના પાસેથી ડબલ કામ કરાવવામાં માને છે. આમ, થોડા કર્મચારીઓ વડે એટલું જ કામ લેવાથી તેમની ઉત્પાદનક્ષમતામાં ૧૦૦ ટકા વધારો થાય છે, તેના શૅરના ભાવો વધે છે, શૅરહૉલ્ડરો રાજી થાય છે, અને આ સિદ્ધિ બદલ તેના વડા અફસરને જબ્બર પગારવધારો અને બોનસ મળે છે, ધંધામાં કશોય ફરક પડ્યા વિના. બાકી રહેલા કર્મચારીઓ જો ચૂં કે ચાં કરે તો તેમને તેમનું કામકાજ ભારતમાં કે બીજે ક્યાંક મોકલી દેવાની ધમકી અપાય છે. બીજી બાજુ, ‘ભારત આપણી ભૌગોલિક કામગીરી પચાવી પાડે છે.’ તેવી પોક મુકાય છે.

જેમની નોકરી જાય છે, તે ઘેર જઈને તેના માળી, ઘાટી, ધોબી, વગેરેને રજા આપી દે છે. જેઓની નોકરી બચી ગઈ છે, તે પણ ડરીને ખર્ચો ઓછો કરે છે. એક જણની નોકરી જવાથી દસ જણ બજારમાં ખરીદી કરતાં બંધ થઈ જાય છે. દસ ટકા બેકારી થાય ત્યારે સોએ સો ટકા ઘરાકો અદૃશ્ય થઈ જાય છે, એટલે પછી, ‘લોકો પૈસા ખરચતા નથી.’ એવાં રોદણાં શરૂ થાય છે. મૂડીવાદીઓ પોતાને ‘નોકરી આપનારા’ કહેવરાવે છે, પણ ખપતના અભાવથી કોઈને નોકરી આપવાની પોતાની લાચારી દર્શાવે છે. સરકાર નોકરીઓ ઊભી કરે, તો તેને ખમાતું નથી. તદુપરાંત પ્રજાના પૈસા બચાવવા માટે એ લોકો બેકારીભથ્થું બંધ કરવાની હિમાયત કરે છે. બેકાર માણસને મરવા સિવાય બીજો રસ્તો જ રહેતો નથી. ગરીબી નાબૂદ કરવાનો અફલાતૂન ઉપાય છે, ગરીબોને મારી નાખવાનો.

ન કરે નારાયણ અને જો કોઈ બૅન્ક કે વીમાકંપની મુશ્કેલીમાં આવી પડે, તો સરકારે ખડાપગે તેમને ઉગારી લેવા તત્પર રહેવું જોઈએ. જો બેકાર લોકો ઘરની લોનના હપતા ન ભરી શકે અને બૅન્ક નાદાર થવાનો વારો આવે તો સરકારે ઘરમાલિકને મદદ ન કરાય પણ બૅન્કને તો બચાવવી જ પડે. સરકારને ખાધ પડે તો પૈસાદારો ઉપર કર વધારો ન લદાય, પણ માતા-બાળકેન્દ્રો બંધ કરવાં જોઈએ. વળી, તમાકુથી દર વર્ષે ૨,૫૦,૦૦૦ લોકો મરી જતા હોય તો પણ તમાકુના ઉત્પાદકોને રાહત આપવી જ પડે.

આ છે આધુનિક મૂડીવાદ અને તેની માયાજાળ. એ નિર્દય અને પાશવી છે. તેને પોતાના સિવાય કોઈની પડી નથી. એ નથી અમેરિકાના હિતમાં કે નથી દુનિયાના ભલામાં, એને બધા જ હકો જોઈએ છે, પણ એકેય જવાબદારી સ્વીકારવામાં તેને રસ નથી. તેને નથી પડી પર્યાવરણની કે લોકોના અધિકારોની કે લોકશાહીની.આર્થિક સંસ્થાનવાદનું એ છડીદાર છે.                                                                   

ન્યૂયોર્ક

e.mail : bhrtshah@yahoo.com

(મૂડીવાદ ઉપર લેખકના બે પુસ્તકો બહાર પડ્યાં છે, Capitalsim and Colonization of America અને Slave Ship Earth : The Ultimate Triumph of Capitalism. બંને પુસ્તકો ઉપર પ્રાપ્ય છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 02-03

Loading

મૃત શૈશવને*

‘બાબુલ’|Poetry|24 September 2015

નિર્દોષ  આયુ

વંચિત પ્રાણવાયુ

નાની બે હથેળી ઉઠાવીને બાળ

કહેતું હશે શું – મને સંભાળ

ન કિલ્લા, ન પગલીઓ  રેત બસ રેત

કિનારે ઢગલીઓમાં રહેત બસ હેત

દરિયો પસવારે નિશ્ચેત ગાલને

કદાચ ઝંખે જીવંત ગઈ કાલને

એક ડૂસકું  ડૂબ્યું મધ્યે

મૂંગા મોં  રક્તપાત પ્રત્યે

સાગર થયો વધુ ખારો

આંસુ એક ખર્યું કે તિખારો

થશે ઈદ – યોમ કીપુર -દીપાવલી- નાતાલ

હાલ તો જાણે ખૂટતા શ્વાસનો સવાલ     

૦૫.૦૯.૧૫

(યુ.કે.)

* તુર્કીના દરિયાકાંઠે ચિરનિદ્રામાં પોઢેલા શરણાર્થી શિશુને અંજલિ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 09

Loading

સાહિત્યિક પારિતોષિકોની પ્રણાલી અંગે

અભિજિત વ્યાસ|Opinion - Literature|24 September 2015

હમણાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે આંદોલન ચાલી રહ્યું છે. એ દરમિયાન જ અકાદમીએ સાહિત્યના વિવિધ પ્રકારો અંગેનાં પારિતોષિકો અંગે ‘શબ્દસૃષ્ટિ’ના અંકમાં જાહેરાત કરીને ૨૦૧૪ની સાલનાં પુસ્તકોની ઍન્ટ્રીઓ મંગાવી છે. શક્ય છે કે ઘણા લેખકો અકાદમી સામેના આંદોલનમાં જોડાયા હોવાથી પોતાનાં પુસ્તકોને અકાદમીમાં ન મોકલે. અને પરિણામે એવું બની શકે કે કોઈ યોગ્ય પુસ્તક અકાદમીને ન મળ્યું હોય તેવા સંજોગોમાં જે મળ્યાં છે, તેમાંથી જ કોઈ અન્ય પુસ્તકને પારિતોષિક મળી જાય.

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, એ બંને સાહિત્યના વિવિધ વિભાગોમાં અનેક પારિતોષિકો આપે છે. એ અંગે જે રીત અપનાવવામાં આવે છે, તે મને ઘણી વખતે અજુગતી લાગી છે. અકાદમી અને પરિષદ જેવાં જે વર્ષનાં પારિતોષિકો આપવાનાં હોય તે અંગેની જાહેરાત એમના મુખપત્રમાં કરે છે. લેખકો એ જાહેરાતને વાંચીને પોતાનાં પુસ્તકો અકાદમી કે પરિષદમાં મોકલે છે. અને પછી પ્રાપ્ત થયેલાં પુસ્તકોમાંથી નિર્ણાયકો કોઈ એક પુસ્તકની પસંદગી કરે છે. આમાં એવું બની શકે કે કોઈ સર્જક કોઈ કારણવશ આ જાહેરાત જે અંકમાં પ્રગટ થઈ હોય તે કોઈ કારણસર ન વાંચી શક્યો હોય. અથવા તો અન્ય કોઈ કારણસર પોતાનું પુસ્તક ન મોકલી શક્યો હોય. પુસ્તક મોકલવામાં કોઈને કદાચ સંકોચ પણ થાય એવું બને, તેથી તેનું પુસ્તક પારિતોષિકને યોગ્ય હોવા છતાં પારિતોષિક ન પામે.

આમ જોઈને તો આ સમગ્ર પ્રક્રિયા જ કેટલેક અંશે ખોટી છે. આ બંને સંસ્થાઓએ પુસ્તક મંગાવવાને બદલે જે-તે વર્ષમાં પ્રકાશકોએ કરેલાં પ્રકાશનોની વર્ગીકૃત સૂચિ તૈયાર કરીને નિર્ણાયકોને મોકલી આપવી જોઈએ. અને એ સૂચિને આધારે નિર્ણાયકો પુસ્તકોને વાંચીને યોગ્યતાને આધારે તૈયાર પારિતોષિકો માટેની સૂચિ જે-તે સંસ્થાને આપી દે, અને એ આધારે આ સંસ્થાઓ પુસ્તકોને પારિતોષિકોની જાહેરાત કરે. આ સૌથી યોગ્ય રીત થઈ શકે. આમ કરવાથી કોઈ જ લેખકનું કોઈ જ પ્રકાશન રહી જવા ન પામે. કોઈ સંજોગોમાં લેખકો કે પ્રકાશકો પાસેથી પુસ્તકો મંગાવવામાં આવે તો પણ મળેલા પ્રત્યેક પુસ્તકની કિંમત સંસ્થા ચૂકવે. સામેથી પુસ્તક મંગાવવા અને તે પણ મફત, તે પ્રણાલી મને યોગ્ય નથી લાગતી. ડાયરેક્ટરેટ ઑફ ફિલ્મ-ફૅસ્ટિવલ સિનેમા ઉપરનાં પુસ્તકોને માટેનાં પારિતોષિકો માટે જે પુસ્તકો મંગાવે છે તે બધાંજની બધા પ્રકાશકો કે લેખકોની તેની છાપેલી કિંમતો ચૂકવતી હોય છે. અન્ય પણ અનેક જગ્યાઓ આવી પ્રણાલી મેં જોઈ છે.

આપણે ત્યાં સામયિકોમાં પણ પ્રકાશકોના પ્રગટ થયેલાં પુસ્તકોનાં અવલોકનો માટે લેખકો કે પ્રકાશકો પાસેથી બે કે ત્રણ નકલો મફતમાં મંગાવવાની પ્રણાલી છે. સામયિકોને અનેક પ્રકાશનો ભેટ રૂપે પણ મળતાં હોય છે. તો પણ તે બધાનાં અવલોકનો થતાં નથી હોતાં. અકાદમી અને પરિષદ તો પોતાનાં પુસ્તકાલયો પણ ધરાવે છે. તંત્રી-સંપાદકોએ સામયિકને ભેટ ન મળ્યું હોય તો પણ યોગ્ય પુસ્તકનું અવલોકન લખવાનું વિવેચકોને સોંપવું જોઈએ. તો જ યોગ્ય પુસ્તકોની માહિતીઓ વાચકો સુધી પહોંચશે.

સંસ્થાઓની પારિતોષિક એનાયત કરવાની રીત-રસમ વિશે મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. આ અંગે વ્યાપક ચર્ચા કરીને ચર્ચા કરીને આ રસમને સુધારવી રહી.                                                        

e.mail : abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 11

Loading

...102030...3,5213,5223,5233,524...3,5303,5403,550...

Search by

Opinion

  • મુઝકો તુમ જો મિલે યે જહાં મિલ ગયા
  • ગુરુદત્ત શતાબ્દીએ –
  • PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક
  • સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે
  • ચલ મન મુંબઈ નગરી—297

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

Poetry

  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved