Opinion Magazine
Number of visits: 9768408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ ઉકરડા માટે છે સ્વચ્છતા-અભિયાન?

હિમાંશી શેલત|Opinion - Opinion|17 March 2017

આ છે દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાં ભણતી વીસ વર્ષની ગુરમેહર કૌર. એણે એની ફેસબુક પર પોતાની તસવીર મૂકી, હાથમાં પૂંઠા સાથે, એમાં લખાણ કે ‘હું એ.બી.વી.પી.થી ડરતી નથી.’ તાજેતરમાં એ.બી.વી.પી.ના, યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પરના, હિંસક હુમલાના વિરોધમાં ગુરમેહરનો આ પ્રતિભાવ હતો. એણે જાહેર મંચ પરથી નથી કોઈનું અપમાન કર્યું કે નથી અપશબ્દો વાપર્યા. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામેલા કૅપ્ટન મનદીપ સિંહની આ પુત્રીને દેશભક્તિ એટલે શું, એની ખબર હોય એ સ્વાભાવિક છે. એણે જે હિંમતપૂર્વક કહ્યું, એના અર્થની ભીતર જવાને બદલે સોશિયલ મીડિયા પર એની સામે ગાળોનો મારો ચાલ્યો. આ આક્રમણ પાછળના હલકટ પુરુષ માનસને એક વિચાર પહેલો આવે, એટલે એવા કોઈ ગંદકીથી ખદબદતાએ ઓક્યું કે ‘નિર્ભયા કરતાંયે બૂરા હાલ થશે તારા!’

અહીં પ્રશ્ન ભાવ-પ્રતિભાવ પૂરતો મર્યાદિત ન રહેતાં એક વ્યક્તિ, જે સ્વતંત્ર અને નિર્ભય રહી વિચારે છે, એને થથરાવવા માટેની નિમ્ન સ્તરની યોજનાઓ સુધી વિસ્તરે છે, અને એમાં સરકારી પદાધિકારીઓ પણ ઝંપલાવે છે! ગુરમેહરને જે આઘાતક ધમકીઓ મળે છે, એની સામે બુલંદ પડકાર ફેંકવાને બદલે, યુનિવર્સિટી પ્રાંગણમાં હિંસા બિલકુલ ચલાવી ન લેવાય, એવી કૃતનિશ્ચય જાહેરાતને બદલે, સહુ ગુરમેહર પર તૂટી પડે છે. છોકરી છે, તે ય વીસ વરસની અને પોતે નિર્ભય છે એમ કહે છે? ચલાવી લેવાય આવો અનાચાર આ દેશમાં? માતૃભૂમિનાં ગુણગાન ગાવાનાં હોય, ત્યારે નાની કે મોટી ટિપ્પણી કરનાર આ બેઅદબ કોણ? આપો ધમકી બળાત્કારની. માની રક્ષા કરવાની વાતો કરવાની મોટે અવાજે, અને ટ્‌વીટર-બ્લૉગ પર ડરાવવાનું બળાત્કાર નામના નમાલાઓના શસ્ત્ર વડે! ગુરુમેહર કૌરની સામે જે જોખમ છે, તે દેશની બોલતી અને બોલી શકતી કોઈ પણ સ્ત્રી સામે હોઈ શકે. જો તમે હા જી હાની જમાતમાં નથી, જો તમે ખુશામતખોરોની ધમધમાટ દોડતી ગાડીમાં નથી, જો તમે ચૂપ રહીને ‘કશામાંયે હાજર નથી’ની મૃતઃપ્રાય દશાને પસંદ કરનારાં નથી, તો તમે અનેકોને ખૂંચવાના એ નક્કી.

વિરોધનો એકાદ સૂર કાઢનારી વ્યક્તિને ‘દેશદ્રોહી’ કહેવાની ફૅશન ચાલી છે આજકાલ. રેમ્પ પર ચાલનારા વરવા વેશધારીઓનું ટોળું મોટું થતું જાય છે. પોતાની આસપાસ આવડી મોટી જમાત છે એનો ઉન્માદ ભલભલાંને નશીલી અવસ્થામાં મૂકી દે છે. ચૂંટણીપ્રચારમાં કેવું-કેવું બોલ્યા છે સત્તાધારીઓ અથવા સત્તા-મહત્ત્વાકાંક્ષીઓ ! બંધારણના સોગંદ લઈ ગળું ફાડતાં કોઈને યાદ નથી આવતું કે ગુરમેહર પરનું આક્રમણ અંતે તો બંધારણ પરનું આક્રમણ ઠરે છે. હજી હમણાં જ કોણ બોલ્યું હતું કે સ્ત્રીઓ પર અત્યાચાર કરનારને રહેંસી નાખવા જોઈએ, એ બોલનારાં ઉમા ભારતી કે …?

સત્તાને શરણે બધાં ન્યાય-અન્યાય, અધિકાર-ગુલામી, સમતુલા અને ઉદ્દંડતાનો અર્થો ભૂલી જાય છે. બાકી ગુરમેહરને બળાત્કારની ધમકી મળે અને મેનકા ગાંધી કે સુષમા સ્વરાજ કશું જ ન અનુભવે એમ બને? પદલાભ મેળવવો એટલે સ્વતંત્રતા અભરાઈ પર ધૂળ ખાવા મૂકી દેવી. પદ મેળવ્યા બાદ એ ક્યારે ય ખપ ન લાગે એવી ચીજ. એની હાજરીની જાણ કેટલાકને હોય ખરી, પણ ધૂળની ઝાપટઝૂપટ કરી એનો ઉપયોગ કરવા જેટલી સજગતા કેટલા પાસે?

સત્તાનો મદ વિવેકને ધક્કે ચડાવે છે. ‘અમને કોઈ કહેનાર નથી’ એવો અહંકાર વાણી અને વર્તનને નિરંકુશ બનાવે છે. ઠેઠ ઉપર બેઠેલા કોઈને ડારતા નથી, રોકતા નથી, એમને તો આ ઘાતક ખેલમાં નથી કશું ખોટું દેખાતું, નથી કંઈ અટકાવવા જેવું લાગતું! પહેલાંયે ક્યારે લાગેલું, તે હવે લાગે?

મારા દેશમાં વીસ વર્ષની એક છોકરીને ધમકી મળે છે. નિર્ભયાથીયે બૂરા હાલ થવાની, અને સઘળો નાટારંગ યથાવત્‌ ચાલતો રહે છે એનો માથાવાઢ પ્રહાર ખમવા જેટલાં જડસુ આપણે છીએ, એને પણ આમ તો વિકાસ જ કહેવાયને? ને આ મંદવાડ અને ગંદવાડ માટે છે સ્વચ્છતા – અભિયાનની જોગવાઈ આપણે ત્યાં?

અબ્રામા, વલસાડ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 04

Loading

વિનાશ કરવો એ દેશપ્રેમ નહીં, જોહુકમી છે

પેટ્ટી ડેવિસ|Opinion - Opinion|17 March 2017

હું મોટી થતી ગઈ એમ મારા ડૅડીની દેશદાઝ પ્રત્યે મારો આદર વધતો ગયો, પરંતુ તેમના મોટા ભાગના રાજકારણની હું વિરોધી છું. ખાસ કરીને, ૬૦ના દાયકાના તેમના રાજકારણનો હું સખત વિરોધ કરું છું. એ ગાળામાં વિયેતનામ યુદ્ધ વખતે યુએસ મરીન્સમાં ફરજ બજાવતા મારા એક મિત્રે એ ભૂમિ પર ખેલાયેલા મોતના તાંડવ વિશે મને પત્ર લખીને જાણકારી આપી, ત્યારે હું ખળભળી ઊઠી હતી. કોઈની લાગણીઓની કદર કરવી અને તેમને ઓળખવા એ બે બિલકુલ અલગ બાબત છે. હું ક્યારે ય અમેરિકાનું રાષ્ટ્રગીત ગાતી વખતે કે ધ્વજ ફરકતો હોય, એ સ્થળે રડી નથી.

જો કે ૯/૧૧ પછી એ સ્થિતિ બદલાઈ ગઈ. એ પછી મારા ડૅડી પણ અલ્ઝાઇમરમાં પટકાયા અને પથારીવશ થઈ ગયા. એ અત્યંત ઉદાસ હતા. એક સવારે હું ડ્રાઇવ કરીને મારાં માતા-પિતાના ઘરે જઈ રહી હતી. એ દિવસે મેં એક ખૂણામાં ટોળાં નજીક ઊભેલો એક ભિખારી જોયો, જે ચીંથરેહાલ અમેરિકન ધ્વજ ફરકાવી રહ્યો હતો. એનાં આંસુ જોઈને મારા માટે આગળ ડ્રાઇવ કરવું અઘરું થઈ ગયું અને એ બધા આગળ વધ્યા ત્યાં સુધી હું ઊભી રહી. એ લોકો જ્યાંથી આવતા હતા એ વાતે જ મને પરેશાન કરી મૂકી. મને એવું લાગ્યું કે મારા આખા જીવન દરમિયાન તેઓ મારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું જાણતી હતી કે દેશ માટે રડ્યા પછી મને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવામાં આવી શકે છે!

મને એવા લોકો માટે રડવું આવ્યું કે જે સ્વચ્છ આકાશ હતું, ત્યારે સવારે વિમાનમાં ક્યાંક જવા નીકળ્યા હતા, જેમણે ક્યારે ય વિચાર્યું પણ ન હતું કે સ્વતંત્રતાની આ ભૂમિ પર આવો કાળ ત્રાટકવાનો છે. એ લોકો જાણતા ન હતા કે તેઓ આવતી કાલ જોવાના નથી. મારાં માતાપિતાના ઘરે પહોંચ્યાં પછી હું અને મારી મમ્મા, મારા પિતાની પથારી નજીક બેઠાં હતાં. એ વખતે મેં તેમને કહ્યું, આપણી સાથે, અમેરિકા સાથે કંઈક ખરાબ થયું છે. એક વિમાન બિલ્ડિંગમાં ઘૂસી ગયું અને અનેક લોકોનાં મોત થયાં છે, પરંતુ કોઈ જાણતું નથી કે આવું કેવી રીતે શક્ય બન્યું. હવે એ વિશે તમે અમને કંઈક કહો.

જો કે, એ વખતે ડૅડી કશું જ બોલવા સક્ષમ ન હતા, પરંતુ હું હંમેશાં માનતી હતી કે તેમનો આત્મા મને સાંભળતો હતો. તેઓ અલ્ઝાઇમરના ભોગ બન્યા ત્યારથી મારી માન્યતા હતી કે તેમનો આત્મા ક્યારે ય બીમાર ના થઇ શકે. એ સમયે તેઓ પોતાના વ્હાલા દેશને લઈને હૃદયભગ્ન થઈ ગયા હતા.

હું ડૅડીને મળવા જતી હતી, ત્યારે કારમાં રેડિયો પર વ્હિટની હ્યુસ્ટનનું ‘અમેરિકા ઇઝ બ્યુટીફૂલ’ વાગી રહ્યું હતું, અને એ વખતે આંસુ રોકાયાં નહીં ત્યાં સુધી હું ફરી એક વાર અટકી ગઈ હતી. મેં યાદ કર્યું કે, આ દેશ માટે મારા શરીરમાં ક્યાં પ્રેમ છે અને ક્યાં છે એ જખમોનું દુઃખ. ૨૦મી જાન્યુઆરીથી, મારી અંદરની એ એક જ જગ્યાના કારણે હું એકથી વધુ વખત આંસુ સારી ચૂકી હતી. જે કંઈ થયું એ ભયાનકતા અને જાનહાનિના કારણે હું ઊભરાઈ ગઈ હતી. મેં બીજી વાર બંધારણ વાંચ્યું, કારણ કે અમે કદાચ એ ગુમાવી ચૂક્યાં ત્યાં. એ ઉત્કૃષ્ટ દસ્તાવેજના પાયા પર જ આ ભૂમિ સર્જાઈ છે, જેને આપણે અમેરિકા કહીએ છીએ, તેના કારણે જ આપણી પાસે સ્વતંત્રતા, નિખાલસતા અને ન્યાયપ્રિયતા વચ્ચે સંતુલન સાધતી સરકારો છે. અમારી પાસે સ્વતંત્ર પ્રેસ છે, જેમાં સેન્સરની મુશ્કેલી નથી અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. અમે વિશ્વમાં સૌથી વિરલ છીએ. અમે અમારા ઇતિહાસનાં કાળાં પ્રકરણોને પાછળ છોડી દીધાં છે, પરંતુ અમેરિકા જે પાયા પર રચાયું છે એ મૂલ્યોને યાદ રાખીને અમે હંમેશાં સાચી દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ.

૨૦મી જાન્યુઆરીથી મેં ‘અમેરિકા ફર્સ્ટ’ સાંભળ્યું, એ દરેક વખતે મને કંપારી છૂટી ગઈ છે. એ ચાર્લ્સ લિન્ડબર્ગ જેવા યહૂદી વિરોધીનો નારો હતો. એ નારો અમેરિકા ફર્સ્ટ કમિટીનો હતો, જેમણે જર્મનીમાં થતા સામૂહિક નરસંહારને પણ અવગણ્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે તમારી આંખો બંધ કરી દો, હૃદય બંધ કરી દો અને તમારી સરહદો પણ. મહેરબાની કરીને, ‘અમેરિકા ફર્સ્ટ’ નારો ક્યાંથી આવ્યો, એ ભૂલી ના જતા.

ટ્રમ્પ એડ્‌મિનિસ્ટ્રેશનના સલાહકાર સ્ટિવ બેને કહ્યું હતું કે ‘મને યાદ નથી કે મેં ક્યારે ય મારી જાતને લેનિનવાદી ગણાવીને કહ્યું હોય કે હું બધું જ ખતમ કરવા ઇચ્છું છું.’ જો કે, એક વાર તેઓ વહીવટી રાજ્ય ખતમ થઈ જવું જોઈએ એવું બોલ્યા હતા. તેઓ વિલિયમ સ્ટ્રોસ અને નીલ હોવે સ્વીકારેલી ઇતિહાસની સાઈકલની થિયરીમાં માને છે. આ થિયરીમાં હાલની કટોકટી અને દાવાનો સમાવેશ થઈ જાય છે, જેની કિંમત બીજાએ ચૂકવવાની છે. મિ. બેનન આવું કરવા કટિબદ્ધ છે. જે લોકો આ દેશનો તંતુ તોડી નાંખવા માંગે છે અને તેના પાયા હચમચાવી મૂકવા માગે છે, એ લોકોને આ દેશ સાથે કોઈ પ્રેમ નથી. વિનાશ કરવો એ દેશપ્રેમ નથી, પરંતુ જોહુકમી છે.

જોહુકમીથી ભયાનક વાવાઝોડા જેવો પ્રહાર નથી થતો અને તેનાથી રાતોરાત કશું પણ બદલાઈ નથી જતું, પરંતુ તેનાથી ધીમે-ધીમે આયોજનપૂર્વકનો સડો આવે છે. તેનાથી ભય વધે છે, તે દુશ્મનો પેદા કરે છે, તેનાથી સ્વતંત્રતા જોખમાય છે, ખાસ કરીને પ્રેસની સ્વતંત્રતા. બેનન જ્યારે મીડિયાને સંબોધીને એવું કહે છે કે, જો તમે એવું વિચારો છો કે અમે લડ્યા વિના તમને તમારો દેશ પાછો અપાવીએ, તો કમનસીબે તમે ભૂલ કરો છો.

આવું બોલીને તેઓ ભયનો માહોલ ઊભો કરે છે. કદાચ તેઓ બહુ અનુભવી નથી, પરંતુ ઘણા હોશિયાર છે અને જોહુકમીની સ્કૂલના નિષ્ણાતો છે. એવું પણ નથી કે અમેરિકાની શક્તિ અને તેની ટકી શકવાની ક્ષમતા અચળ છે. કોઈ દેશ એવો ના હોય. જેણે આ દેશને બનાવ્યો છે એવા આપણે ભયના માહોલમાં જીવીએ અને ગુસ્સે રહીએ અથવા આપણાં મૂલ્યોના પ્રેમ ખાતર એકજૂટ થઈએ. આપણે બેનનને સાંભળ્યા વિના, ફરી એક વાર એબ્રહામ લિંકનને સાંભળીએ.

લિંકને કહ્યું હતું કે ‘પરમાત્માની સાક્ષીએ આ દેશમાં સ્વતંત્રતાનો જન્મ થશે. આ ઉપરાંત લોકોની, લોકો વડે અને લોકો માટે સરકાર રચાશે, જેનો આ પૃથ્વી પરથી નાશ નહીં થાય …’

[અનુ.ઃ વિશાલ શાહ]

(Patti Davis, લેખિકા અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગનનાં દીકરી અને રેસિઝમની પરની જાણીતી નવલકથા The Earth Breaks in Colorsનાં સર્જક છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 17 માર્ચ 2017; પૃ. 05

Loading

માતૃભાષાનું ગૌરવ : આપણા હાથની વાત

મનસુખ સલ્લા|Samantar Gujarat - Samantar|17 March 2017

જીવનભારતી (સુરત) સંસ્થા એની ઉત્તમ અને ઉજ્જવળ પંરપરાઓ અને મૂલ્યોથી જાણીતી છે. ચંદ્રવદનભાઈ શાહ અને સાથીઓએ અહીં શૈક્ષણિક આબોહવા સર્જી હતી. માણસ મૃત્યુશીલ હોવાથી ભલે જાય, પરંતુ ઉત્તમ પરંપરાઓ અખંડ રહેવી જોઈએ. આજના ટ્રસ્ટીઓ અને સંચાલકો એ માટે સક્રિય છે, એ જોઈને હૈયું ઠરે છે. બહેન મીતાબહેન ઝવેરીનાં માર્ગદર્શનમાં આપે ભાષા ઑલમ્પિયાડનું આયોજન કર્યું અને એમાં સુરત શહેરની આટલી બધી શાળાઓને સાંકળી તથા ભાષાનાં પણ વીસ જેટલાં ક્ષેત્રોને આવરી લીધાં તે ભાષા માટેની પ્રીતિ ઊભી કરવામાં જરૂર મદદરૂપ થશે. માતૃભાષાદિન નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે તેનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે ભાષા જીવે છે, એને માટેના ગૌરવને કારણે અને ભાષા મરે છે એની અવગણના અને ઉપેક્ષાને કારણે.

એક પ્રજા તરીકે આપણે જાગૃત થવાનું છે કે ભાષા એ કેવળ વ્યવહારનું સાધન નથી, પરંતુ એમાં એક આખી સાંસ્કૃિતક પરંપરા સચવાયેલી હોય છે. જેમ એક વૃક્ષ જીવંત રહે છે તેનાં મૂળિયાં જમીનમાં ઊંડે જઈને પોષણ મેળવે છે તેથી. માતૃભાષાને જીવંત રાખવી એનો અર્થ આપણાં સાંસ્કૃિતક મૂળિયાંને જાળવવાં અને પોષણ આપવું. આજે ધંધો, કમાણી અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ અંગ્રેજીનું પ્રભુત્વ એટલું વધ્યું છે કે માતૃભાષાની અવગણના થઈ રહી છે. આ પ્રશ્ન કેવળ ગુજરાતી ભાષાનો જ નથી, તમામ ભારતીય ભાષાઓનો છે. ગઈ ૨૧મી માર્ચે દિલ્હીમાં સાહિત્ય અકાદમીના ‘માતૃભાષાનું રખોપું’ અંગેના સેમિનારમાં એક વિદ્વાને કહ્યું કે ભારતમાં ભાષા અને બોલીઓની સંખ્યા ૧૦૦૦ જેટલી છે, પરંતુ હવે જો કાળજી નહીં લેવામાં આવે તો આવતાં પચાસ વર્ષમાં એમાંથી ૮૦૦ જેટલી ભાષાઓ કે બોલીઓ નાશ પામશે. ભાષાને જીવંત રાખવી, એનો અર્થ એ કે એ ભાષામાં બોલો, લખો અને વાંચો.

આ મુદ્દો અંગ્રેજી ભાષાના નકારનો નથી. અંગ્રેજીનું સ્થાન છે અને સ્વીકાર્ય છે, પરંતુ માતૃભાષાના ભોગે નહીં. સ્વરાજ પહેલાં રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે ‘માતૃભાષા અને ભણવાની ભાષા વચ્ચે છૂટાછેડા કેવળ ભારતમાં જ છે. એને પરિણામે બાળકની સર્જનાત્મકતાને ગંભીર હાની પહોંચે છે.’ માતૃભાષા બાળકને પોતાનો સાંસ્કૃિતક વારસો આપે છે. આપણે માતૃભાષાને કેવળ ગુણગાન રૂપે જ જોઈએ એ પૂરતું નથી. એની પાછળનાં વૈજ્ઞાનિક-સંશોધનાત્મક કારણો અને તારણો સમજવાં પડશે.

મૂળમાંથી એમ પૂછી શકાય કે શિક્ષણરચના શા માટે છે ? તેનો જવાબ એ છે કે શિક્ષણને પરિણામે મનુષ્યમાં ત્રણ બાજુઓનો વિકાસ થવો જોઈએ :

૧. માનવતાનો વિકાસ. માનવતા વગરના ડિગ્રીધારીઓ આજે સમાજ અને રાષ્ટ્રને પારાવાર નુકસાન પહોંચાડી રહ્યા છે. માનવતાનો વિકાસ એટલે સંવેદનશીલતાનો વિકાસ. પોતાનાથી પાછળ રહેલાઓ, સહન કરનારાઓ, અન્યાય વેઠનારાઓ, ધર્મ-પંથ-જાતિ-વર્ણ-લિંગની ભેદની દીવાલો વેઠવાની આવે છે, તે સૌ માટેની આત્મીયતા એ સંવેદનશીલતાનો વિકાસ છે. આવી સંવેદનશીલતાના વિકાસમાં કલા અને સાહિત્ય સૌથી મોટો ભાગ ભજવે છે. એમાં માતૃભાષા જે સંસ્કાર- પોષણ કરે છે, એની અસરો અમીટ હોય છે, માટે આપણે માતૃભાષાનો મહિમા કરીએ છીએ.

૨. બીજું તત્ત્વ છે સર્જનાત્મકતાનો વિકાસ. આજે આપણે શિક્ષણમાં બીબાંમાં ઘડેલાં ચોકઠાંઓ તૈયાર કરીએ છીએ. બધાં એકસરખાં, જાણે અમુક કામ માટે જ સર્જેલાં પૂતળાં. વિકાસ માત્ર સ્મૃિતવ્યાપારનો, એથી મનુષ્યમાં વિકાસની જે અનેકવિધ શક્યતાઓ (અવલોકન, તાર્કિકતા, તારણશક્તિ, વિરોધી વસ્તુઓ / બાબતો વચ્ચે રહેલી સમાનતા પારખવી, પ્રયોગશીલતા, નાના એકમને વ્યાપક ભૂમિકામાં સમજવું, જીવનનું અખંડ દર્શન વગેરે) રહેલી છે તે પ્રગટ જ નથી થતી. સર્જનાત્મકતા એ કેવળ કવિતા, ચિત્ર કે સંગીતના રાગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રત્યેક ઘટનામાં વ્યવહારમાં, સંબંધમાં સર્જનાત્મકતા સક્રિય બને. મનુષ્યનો એ સાચો વિકાસ છે. આજે જાણે હૃદયહીન, પૈસા કમાનારા, રૉબોટ તૈયાર થાય છે. આને દૃષ્ટાંત દ્વારા સમજીએ તો ૧૦૦ વૉટના બલ્બમાં એટલો પ્રકાશ આપવાની ક્ષમતા હોય છે. જો એ બલ્બ ૧૦ વૉટ જેટલો જ પ્રકાશ આપે, તો ૯૦ વૉટની ખોટ જાય છે એ આપણને પરખાતું નથી. વિદ્યાર્થીઓનું પણ આવું થાય છે. આ ખોટ સમગ્ર રાષ્ટ્રની છે. આમાં માતૃભાષા વિદ્યાર્થીને પોષણ આપે છે. દા.ત., બધાં વાલીઓ ઇચ્છે છે કે પોતાના બાળકને ગણિતમાં ૧૦૦માંથી ૯૯ માર્ક્સ આવે. આ અંગે દુનિયાભરમાં સંશોધનો થયાં છે. તેનાં તારણો એવાં મળ્યાં છે કે આપણા મગજમાં એવા સેન્સર્સ છે જેમાંથી ગણિતની અમૂર્ત વિભાવનાઓ પસાર થાય છે અને વિષય ગ્રહણ થાય છે. જો બાળક માતૃભાષા દ્વારા શીખતો હશે, તો તેની ગ્રહણશીલતા અનેક ગણી વધી જશે. મગજનાં સેન્સર્સ વધુ સક્રિય રહેશે. આ અંગે તો આપણે વિચાર જ નથી કર્યો. આપણે એક બે નહિ, હજારો વિક્રમ સારાભાઈ, એ.પી.જે. કલામસાહેબ, ઉમાશંકર જોશી કે મનુભાઈ પંચોળી – દર્શકની જરૂર છે. આ વિરાટ દેશના હજારો મૂંઝવતા પ્રશ્નો છે. તેના ઉકેલો શોધનારા, માનવતાપ્રેરિત ઉકેલો શોધનારાની આપણે જરૂર છે. એ માટે સર્જનાત્મકતાનો વિકાસ જરૂરી છે.

૩. ત્રીજું તત્ત્વ છે જે કાંઈ કરીએ, તે શ્રેષ્ઠ રીતે કરીએ. સફાઈ કરવાથી લઈને વિમાન ચલાવવું કે એક ઉદ્યોગગૃહ સંભાળવાથી લઈને આંખનું સૂક્ષ્મ ઑપરેશન કરવા સુધીનાં તમામ કાર્યો શ્રેષ્ઠ રીતે થવાં જોઈએ. આજે આપણે ચોતરફ બેદરકારી, કામચોરી, બગાડ, ઉપેક્ષા, ભ્રષ્ટાચાર જોઈએ છીએ. એ અધૂરા કે ખોટા શિક્ષણનું પરિણામ છે. ગુણવત્તા અને શ્રેષ્ઠતાની ઉપેક્ષા કદી કોઈ રાષ્ટ્ર કરી ન શકે. આ ત્રણે તત્ત્વોના વિકાસમાં માતૃભાષાની પણ મદદ મળે છે.

આજે શિક્ષણ ઊલટી દિશામાં ચાલી રહ્યું છે, એટલે આખા રાષ્ટ્રમાં પ્રશ્નો જ પ્રશ્નો છે. એટલે હિંસા, શોષણ, અન્યાય, અત્યાચાર, લાંચરુશ્વત જોવા મળે છે. આ ઘણા મોટા પ્રશ્નો છે. પ્રશ્નો વિશે બે પ્રકારના પ્રતિભાવો હોય છે : (૧) શાહમૃગની જેમ થાકીને રેતીમાં મોં નાખી દઈને માનવું કે કોઈ પ્રશ્ન (આફત) છે જ નહીં. આ પલાયનવાદ છે. એમાં પ્રશ્નોનો ઉકેલ નથી, વિનાશ તરફની ગતિ હોય છે. (૨) પ્રશ્નનો ઉકેલ શોધો. આર્નોલ્ડ ટૉયન્બી વીસમી સદીના મહાન ઇતિહાસકાર ગણાય છે. તેમણે જગતભરની સંસ્કૃિતઓનો અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું કે, જે સંસ્કૃિત અને સભ્યતા સમસ્યાઓ સામે હાર સ્વીકારવાને બદલે એના ઉકેલો શોધો છે તે મહાન બને છે. આ વાત ખૂબ સાચી છે. આપણે ઉકેલો શોધવાના છે.

આજે તો અંગ્રેજી માધ્યમમાં પણ અંગ્રેજી ખરાબ રીતે શીખવાય છે અને ગુજરાતી તો મુદ્દલ ભણાવતા નથી. ગુજરાતી માધ્યમમાં પણ ગુજરાતીની દશા અત્યંત કંગાળ અને કરુણ છે. ગુજરાતી એટલી ખરાબ અને નીરસ રીતે શીખવાય છે કે એ માટે પ્રીતિ જાગતી નથી. ઊલટાનો બોજ લાગે છે. આમાં મોટી જવાબદારી શિક્ષકોની છે. એક જાણીતો વિચાર છે કે જેનાથી પોતે હલી ગયો નથી એ બીજાના હૈયાને હલાવી શકતો નથી. માતૃભાષાના મોટા ભાગના શિક્ષકોની સજ્જતા અત્યંત કંગાળ છે. તેમાં ય વળી (સરકારથી સંચાલકો સુધી) એવી માન્યતા છે કે ગુજરાતી વિષય તો ગમે તે ભણાવી શકે. એટલે ચિત્ર, સંગીત, રમતગમત, સમાજવિદ્યા કે કોઈ પણ વિષયના સરપ્લસ થયેલા શિક્ષકોને ગુજરાતી શીખવવાનું સોંપાય છે. એટલે ગુજરાતીનું શિક્ષણ વધુ કથળ્યું છે. આ રીત જ ખોટી છે. આપણે સરકાર પાસે માગણી કરવી જોઈએ કે માતૃભાષા શીખવવા માટે અમારાં બાળકોને સજ્જ અને ગુજરાતી ભણેલા સારા શિક્ષકો આપો. તમે સૌ વાલીઓ દર અઠવાડિયે આવી માગણી કરતું પોસ્ટકાર્ડ લખો. જો શિક્ષણમંત્રીશ્રીના ટેબલ ઉપર દર અઠવાડિયે આવા દસ હજાર પત્રોનો ઢગલો થશે, તો તેઓ જરૂર વિચાર કરશે.

આપણે શહેરી જીવનશૈલીમાં વડીલો ગુમાવ્યા છે. બાળકોને દાદા-દાદીનો ખોળો મળે, તો માતૃભાષાનો સાચો વિકાસ થાય. માતા અને પિતા બંને કામ કરે છે, એથી સમય આપી શકતાં નથી. એટલે આપણાં બાળકો સંસ્કાર અને સંસ્કૃિતથી દૂર થતાં જાય છે. શાળાઓ આ અંગે પોતાની જવાબદારી ગણતી બંધ થઈ છે એ મોટી કરુણતા છે. કારણ કે હવે શાળાઓમાં સરસ્વતીનું સ્થાન લક્ષ્મીજીએ લીધું છે. એટલે મર્યાદિત કે દેખાવ પૂરતું જ શિક્ષણ થાય છે. અહીં જીવનભારતીમાં એની કાળજી લેવાય છે, એટલે આપણને જીવનભારતીના સંચાલકો અને શિક્ષકો માટે આટલો ભાવ જાગે છે. અહીં પ્રામાણિક પ્રયત્ન થઈ રહ્યો છે. કેતનભાઈ શેલત અને સૌ અગ્રણીઓ આ માટે જાગૃત છે.

માતૃભાષાના મહિમાનો, પુરસ્કારનો, ગૌરવનો આ કાર્યક્રમ આપણા ચિત્તમાં ઠરે અને વાલીઓ આ અંગે જાગૃત થાય એ જરૂરી છે. વાલીઓ દેખાદેખીથી નહીં વિચારીને નિર્ણય કરે. આજે અહીં ભાષાનાં વિવિધ પાસાંઓ વિશે ઉત્તમ કામગીરી કરનારા ૫૫ જેટલા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને શીલ્ડ અપાશે એ સૌને અભિનંદન પાઠવું છું. વાલીઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તેમને ધન્યવાદ પાઠવું છું.

(જીવનભારતી, સુરતમાં માતૃભાષાદિન નિમિત્તે યોજાયેલ ભાષા ઑલમ્પિયાડમાં મુખ્ય મહેમાન તરીકે આપેલું વક્તવ્ય, સુધારા-વધારા સાથે, તા. ૨૮-૨-૨૦૧૭)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 08-09

Loading

...102030...3,4933,4943,4953,496...3,5003,5103,520...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved