Opinion Magazine
Number of visits: 9689856
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંધુ જળસંધિમાં અગસ્ત્યના વાયદા

હરિ દેસાઈ|Opinion - Opinion|8 February 2017

અગાઉ કચ્છને સિંધુ નદીનાં જળ અપાવવા ઉધામા કરનારા મોદી હવે પંજાબને વચનોની લ્હાણી કરે છે

ભારતીય ચૂંટણીઋતુમાં અગસ્ત્ય મુનિના વાયદાનું સ્મરણ થવું સ્વાભાવિક છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબની ચૂંટણી સભાઓમાં પાકિસ્તાન સાથેની 1960ની સિંધુ જળ સંધિ તોડીને પણ પંજાબને દુશ્મનદેશમાં વહી જતાં ભારતીય નદીઓનાં જળ પૂરાં પાડવાના સંકલ્પની ઘોષણાઓ કરી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે, 9 વર્ષની મહેનત પછી, એ વેળાની પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ થયેલી અને 12 જાન્યુઆરી 1961થી અમલમાં આવેલી આ સંધિ પર હસ્તાક્ષર કરનાર ડબલ્યૂ.એ. આઇલિફનો ત્રીજો પક્ષ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે વિશ્વબેંક પણ છે, એ રખે ભૂલાય. વિશ્વ બેંકના એ વેળાના અધ્યક્ષ યુજેન આર. બ્લેક બીમાર હોવાથી બેંકના ઉપાધ્યક્ષ આઇલિફે હસ્તાક્ષર કરવા પડ્યા હતા.

આ સંધિના ઉકેલનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વરવા જળવિવાદને ઉકેલવા માટે 1951માં ટેનેસી વેલી ઓથોરિટીના પૂર્વ અધ્યક્ષ ડેવિડ લિલિએન્થલે અમેરિકાના માતબર સામયિકમાં લખેલા લેખમાં બંને દેશો મળીને સમજૂતી પર આવે અને જરૂરી આર્થિક સહાય વિશ્વ બેંક આપે એવું સૂચવાયું. એને પગલે મંત્રણાઓ શરૂ થઈ અને નવ વરસને અંતે સમજૂતી શક્ય બની. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ જળસંધિ) કહેવાઈ. એમાં કોઈ વિવાદ ઉકેલવા માટે બંને દેશોના કાયમી પંચની જોગવાઈ છે અને એમ છતાં વિવાદ ઉકેલાય એવા સંજોગો ન હોય, તો એ વિશ્વ બેંક પર છોડીને એનો નિર્ણય કબૂલ રાખે. તે પછી પણ બંને દેશોને એનો ચુકાદો સ્વીકાર્ય ન હોય, તો બંનેને સ્વીકૃત લવાદનો ત્રીજો અને અંતિમ વિકલ્પ રહે છે. વિશ્વમાં 20,000 જેટલી જળ સંધિઓ વિવિધ દેશો અને સંસ્થાઓ વચ્ચે થયેલી છે. ભારતે એ સંધિઓ કરાવવામાં કે એ અંગે સુધારા કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી હોઈ એ પોતે ઊઠીને કોઈ જળ સંધિ તોડે તો દુનિયાભરમાં એની બદનામી થવી સ્વાભાવિક છે.

દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનો તખ્તો તૈયાર કરવા માટે વડાપ્રધાન મોદીએ ગયા સપ્ટેમ્બર મહિનામાં સંધિ તોડવાની તૈયારી માટે બેઠક પણ યોજી હતી. જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી પણ ભા.જ.પ.ના ટેકે સરકાર ચલાવતાં હોવાથી કેન્દ્રના નિર્ણયને આગોતરો આવકાર આપવા માંડ્યાં હતાં. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવા આ ઘાટની ભીતર ખૂબ રસપ્રદ છે. અગાઉ કચ્છને પણ સિંધુ નદીનાં જળ અપાવવા માટે ચૂંટણીલક્ષી ઉધામા મારતા રહેલા મુખ્યમંત્રી મોદી હવે વડાપ્રધાન છે, ત્યારે કચ્છને ભૂલીને પંજાબ ભણી વચનોની લ્હાણી કરતા થયા છે.

31 જુલાઈ, 2014ના રોજ મોદી સરકારના વિદેશ રાજ્યમંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહે સંસદમાં આ જળ સમજૂતી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. એ પછી હવે સરકાર એને તોડવાની વાત કરે છે. વિરોધાભાસોથી ભરેલા આ ઘટનાક્રમને જોતાં પાડોશી દેશ પાકિસ્તાન પણ આવી ચૂંટણીલક્ષી ઘોષણાઓને ગંભીરતાથી લેવાને બદલે હસી કાઢે છે. કારણ? ત્રણ-ત્રણ યુદ્ધ લડતાં પણ અખંડ રહેલી આ સમજૂતીને ખરેખર તોડવાનું શક્ય છે ખરું, એ મહાપ્રશ્ન છે.

મુખ્યમંત્રી મોદીએ દિલ્હીની વાજપેયી સલ્તનત પાસે યાચના કરી હતી કે કચ્છને સિંધુ નદીનાં પાણી સિંધુ જળ સંધિ હેઠળ પૂરાં પાડવામાં આવે. વાજપેયી સરકારે 8 એપ્રિલ 2003ના રોજ કચ્છને સિંધુ નદીનાં જળ પૂરાં પાડવાનું શક્ય નથી, એવું સંસદમાં સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આ સંધિમાં કચ્છનો સમાવેશ નથી. આટલું  કહ્યા છતાં એ પછીનાં વર્ષોમાં પણ મોદીએ એ માગણી ચાલુ રાખીને ગુજરાતની પ્રજાને દિલ્હીની કોંગ્રેસી સલ્તનત અન્યાય કરી રહ્યાનું દર્શાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

ઉત્તરે હિમાલયના ચીનમાંથી અને જમ્મુ-કાશ્મીરમાંથી વહી આવતી પૂર્વની નદીઓ સતલજ, બિયાસ અને રાવી તથા પશ્ચિમની નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનાં પાણીની બંને દેશો વચ્ચે વહેંચણી કરવાનું આ સંધિ હેઠળ નક્કી થયેલું છે. સતલજ, બિયાસ અને રાવીનાં મોટા ભાગનાં જળ ભારતને અને સિંધુ, જેલમ અને ચિનાબનાં મોટા ભાગનાં જળનો લાભ પાકિસ્તાનને મળે. ભારતમાં તો આ મુદ્દે ઝાઝી ચર્ચા થતી નથી, પણ પાકિસ્તાનમાં આ સંધિ તોડવાની વાતે અત્યારથી વિશ્વ મંચ પર ફરિયાદ કરી દેવાઈ છે એટલું જ નહીં, ભારત સંધિનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનને મળવાનું થતું પાણી બંધ કરી દે, તો એણે ‘પાણીના ત્રાસવાદ’ તરીકે લેખાવીને દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની ગોઠવણ પણ થઈ ચૂકી છે. પાકિસ્તાન વિરુદ્ધનાં મોદીનાં ભાષણો સાંભળીને હરખપદુડી થનારી પ્રજાને આ સંધિ તોડવાનાં દુષ્પરિણામો અંગે ભાગ્યે જ અંદાજ હશે.

1960માં સિંધુ જળ સંધિ થઈ, એ પહેલાં ભારતે યથાસ્થિતિ કરાર થાય ત્યાં સુધી એટલે કે મે, 1948માં ત્રણેક મહિના માટે પાકિસ્તાનમાં જતાં જળ રોકવા બદલ જે નુકસાની ભરપાઈ કરવી પડી હતી એની કલ્પના પણ મુશ્કેલ છે. આ સંધિ માત્ર ભારત અને પાકિસ્તાન બેઉ દેશનો આપસી મામલો નથી રહેતો, વિવાદ વણસે ત્યારે એ આંતરરાષ્ટ્રીય મામલો બની જાય છે. સંધિ થતાં ભારતે અગાઉ પાકિસ્તાનનું જે પાણી રોક્યું હતું એની નુકસાની પેટે પાકિસ્તાનને 6.2 કરોડ પાઉન્ડ તથા એના બે પ્રકલ્પ વિલંબમાં પડતાં એ પ્રકલ્પ માટે 87 કરોડ અમેરિકન ડોલર ચૂકવવા પડ્યા હતા. આજની કિંમતે આ રકમ કેટલી થાય એનો અંદાજ મેળવવો ભારતને કેટલો મોંઘો પડે એ સમજી શકાય છે.

વાત આટલે અટકતી નથી. આ મુદ્દે યુદ્ધના સંજોગો પેદા થાય પણ બેમાંથી એકેય દેશને યુદ્ધ કરવાનું પરવડે તેમ નથી. ઉલટાનું પાકિસ્તાન તરફ વહી જતું વધારાનું પાણી રાતોરાત રોકવાની યંત્રપ્રણાલિ તૈયાર કરવાની સ્થિતિમાં પણ ભારત નથી. વળી ભારત પાણી સંગ્રહની વ્યવસ્થા કરવા માંગે તો પણ પાંચ કે દસ વર્ષ લાગે. એ પહેલાં નદીઓનાં વધારાનાં જળને વાળવા માટે ડેમ બની શકે નહીં.

સિંધુ જળ સંધિ અન્વયે આ નદીઓનાં પાણીની વહેંચણી બંને દેશોને સ્વીકાર્ય એવા ડેમ બાંધી જળવિદ્યુત ઊર્જાના ઉત્પાદન સહિતના પાણીના વપરાશની એમાં જોગવાઈ છે. ભારત સિંધુ જળ સંધિ તોડવામાં કોઈ આક્રમક પગલું ભારે તો ચીન ટાંપીને બેઠું છે. એ ચીનમાંથી નીકળીને ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદી થકી ભારતની 20 ટકા જળ જરૂરિયાતને ખોરવી નાખે. આમ પણ ચીન દાંડાઈ કરીને એ નદી પર ડેમ બાંધી ભારતનો પાણી પુરવઠો ખોરવવાના વહેંતાં જ છે. એના મિત્ર પાકિસ્તાનની વહારે ધાવાની તક ચૂકવા એ તૈયાર નથી. એટલે પાકિસ્તાન છાતી કાઢીને ગર્જના કરે છે કે ભારત આ સંધિ તોડતાં પહેલાં સો વાર વિચારશે. પાકિસ્તાની મીડિયામાં તો આ મુદ્દાને માત્ર મોદી સરકારનો વધુ એક ચૂંટણીલક્ષી ‘જુમલો’ જ ગણાવવામાં આવે છે.

e.mail : haridesai@gmail.com

હરિ દેસાઈ, લેખક જાણીતા પત્રકાર, સંશોધક વિશ્લેષક છે

સૌજન્ય : ‘પાણી વગરની વાત’, “દિવ્ય ભાસ્કર”, 08 ફેબ્રુઆરી 2017

Loading

મોદીના ભાઈબંધ જાદુગરે કંપની વધારવાની જગ્યાએ મૂંઝવણમાં વધારો કર્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 February 2017

હવે સમસ્યા એ થઈ છે કે પેલો અમેરિકન જાદુગર ખરેખર ૫૬ ઇંચનો સીનો ધરાવે છે અને ખરેખર પોતાને જાદુગર સમજે છે. જુમલાઓ ફેંકીને, ખેલ પાડીને, ઇવેન્ટો યોજીને, મીઠાં સપનાં વહેંચીને, જરૂર પડે તો જાહેરમાં બે ડૂસકાં ભરીને દિવસો ગબડાવતા જવાની અને સત્તાનો આનંદ લૂંટવાની જગ્યાએ પેલો તો ખરેખર એજન્ડા લઈને આવ્યો છે અને એજન્ડા લાગુ કરી રહ્યો છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે કરવામાં આવે છે. હવે એમ લાગે છે કે વડા પ્રધાન ખુદ અને તેમના ભક્તો સરખામણી જોઈને પોરસાવા કરતાં ભોંઠપ તેમ જ મૂંઝવણ વધુ અનુભવતા હશે. ટ્રમ્પે સત્તા ગ્રહણ કરી છે એને પખવાડિયું માંડ થયું છે, પરંતુ તેમણે આવતાંની સાથે તરખાટ મચાવ્યો છે. ટ્રમ્પ જે વિચારે છે એ ખોટું છે, તેઓ આજની સ્થિતિનું જે નિદાન કરે છે એ ખોટું છે, તેઓ જે ઉપાય સૂચવે છે એ ખોટો છે, તેમની રીતભાત અને ભાષા અમેરિકન પ્રમુખને શોભે એવી નથી; આમ છતાં એટલું તો તેમના દુશ્મનોએ પણ કબૂલ કરવું પડશે કે તેઓ જે વિચારે છે એ કહે છે અને જે કહે છે એ કરે છે. ખરેખર ૫૬ ઇંચની છાતી આજે જગતમાં કોઈ ધરાવતું હોય તો એ ડોનલ્ડ ટ્રમ્પ છે. હવે પછી ટ્રોલ (સાઇબર સેલના ભાડૂતી ચારિત્ર્યહનન કરનારાઓ) અને ભક્તો નાની છાતીનું મહિમામંડન કરવા લાગે તો આશ્ચર્ય નહીં પામતા.

શું મેસેજ આપ્યો હતો ચૂંટણીપ્રચાર દરમ્યાન નરેન્દ્ર મોદીએ અને ડોનલ્ડ ટ્રમ્પે? આજની વિકટ સ્થિતિનું મેં ઊંડું આકલન કર્યું છે અને એનો સચોટ ઇલાજ મારી પાસે છે (અંગ્રેજીમાં કહીએ તો ઍનૅલિસિસ, વિઝન ઍન્ડ રોડમૅપ). એ ઇલાજને લાગુ કરવા માટે જરૂરી દૃઢ સંકલ્પ હું ધરાવું છું. આકલન, નિદાન, ઉપાય અને સંકલ્પ પછી જોઈએ હિંમત તો એ માત્ર મારામાં છે. સત્તાવાંછુઓ વચ્ચે સરખામણી કરી જુઓ અને કોને સત્તા આપવામાં તમારું ભવિષ્ય સુરક્ષિત તેમ જ ઉજ્જ્વળ છે એ વિચારી જુઓ. આવી દલીલ ૨૦૧૩-’૧૪ના વર્ષમાં નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કરી હતી અને ડિટ્ટો એવી જ દલીલ ૨૦૧૫-’૧૬ના વર્ષમાં ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કરી હતી. ડિટ્ટો એટલે માત્ર શબ્દો જ નહીં, પોઝ તેમ જ બૉડી-લૅન્ગ્વેજ સહિત ડિટ્ટો અને એટલે તો નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથે અને ટ્રમ્પની નરેન્દ્ર મોદી સાથે તુલના કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી પછી ડોનલ્ડ ટ્રમ્પ પણ જાદુગર તરીકે કે દૈવી શક્તિ લઈને ધરતી પર અવતરેલા દેવદૂત તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

જગતમાં ૯૫ ટકા પ્રજા ઘેટાં જેવી હોય છે જે પોતાની બુદ્ધિથી વિચારતી નથી અને ગોવાળ કે ભરવાડ જેમ દોરવે એમ દોરવાય છે. આમાં ખૂબી એ છે કે દરેકને એમ લાગે છે કે તેનો સમાવેશ ૯૫ ટકામાં નથી થતો. આ જે સામૂહિક અને સાર્વત્રિક ભ્રમ છે એમાં માર્કેટિંગની સફળતાનું રહસ્ય છે. નેતાઓ, બાવાઓ અને ઉત્પાદકો આ સાર્વત્રિક ભ્રમનો લાભ લે છે. ૯૫ ટકા લોકો બેવકૂફ છે, પરંતુ મારો નિર્ણય બુદ્ધિપૂર્વકનો છે એમ તે માને છે અને પોતાના કહેવાતા બુદ્ધિપૂર્વકના નિર્ણયનો પ્રચાર કરે છે. બસ, આ જ તો નેતાઓને, બાવાઓને અને ઉત્પાદકોને જોઈએ છે. માર્કેટિંગવાળાઓ અને એનો લાભ લેનારાઓ પણ કહે છે કે બેટા તું જ એકમાત્ર આવતી કાલનું વિચારી શકનારો તેમ જ દૂરનું જોઈ શકનારો વિચક્ષણ છે અને બાકીના ૯૫ ટકા લોકો તો બેવકૂફ છે. જે લોકો કરવામાં આવતા દાવાઓને દલીલપૂર્વક પડકારે છે તેઓ દેશદ્રોહી કે ધર્મદ્રોહી છે.

ભારતમાં અને અમેરિકામાં ભાડૂતી ભરવાડોને રોકવામાં આવ્યા હતા જેનું કામ બુદ્ધિશાળી, વિચક્ષણ અને દેશપ્રેમી નાગરિકોને અન્યત્ર જતા કે ભટકતા રોકવાનું હતું. જન્નતનો માર્ગ અહીંથી અને માત્ર અહીંથી જ પસાર થાય છે અને જો અન્યત્ર જશો તો નરક હાથ લાગવાનું છે. ધર્મશાસ્ત્રો અને ધર્મગુરુઓ પણ આમ જ કહે છે. ઇલેક્ટ્રૉનિક મીડિયા અને સોશ્યલ મીડિયાના પ્રાદુર્ભાવ પછી લોકતાંત્રિક રાજકારણમાં ભરવાડો ભાડે રાખવાનું નવું પરિમાણ ઉમેરાયું છે, કારણ કે લોકતંત્રને પ્રચાર (માર્કેટિંગ) સાથે સીધો સંબંધ છે.

આઘાતજનક ડેવલપમેન્ટ એ હતું કે અમેરિકાની ચૂંટણીમાં રશિયન ભરવાડોએ કામ કર્યું હતું. અમેરિકાની જેની સાથે સાત દાયકા જૂની દુશ્મની છે એ દેશના ભરવાડોએ પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને મદદરૂપ થવા ભાંગફોડ કરી હતી. એક સાર્વભૌમ રાષ્ટ્રની મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં પારકો દેશ હસ્તક્ષેપ કરે એ ટ્રમ્પ અને રશિયન પ્રમુખની જાણકારી સાથે બન્યું હોય તો એ ગંભીર ઘટના હતી અને જો જાણકારી વગર બન્યું હોય તો વધુ ગંભીર બાબત હતી. ભાડૂતી ભરવાડો રોકીને માર્કેટિંગ કરવાની લોકતાંત્રિક બીમારીનો ઇલાજ નહીં શોધાય તો આવતી કાલે ભારતની ચૂંટણીમાં પાકિસ્તાની કે ચીની ભરવાડો રસ લેશે એ લખી રાખજો. તમે તેમના હાથમાં રમતા હશો અને ઉપરથી પાછા પોતાને ર્દીઘદૃષ્ટિ ધરાવનારા વિચક્ષણ પણ સમજતા હશો.

ખેર, પહેલાં ભારતમાં અને પછી અમેરિકામાં હાથમાં જાદુની છડી અને ૫૬ ઇંચનો સીનો ધરાવનારા જાદુગરો સત્તા સુધી પહોંચી ગયા. હવે સમસ્યા એ થઈ છે કે પેલો અમેરિકન જાદુગર ખરેખર ૫૬ ઇંચનો સીનો ધરાવે છે અને ખરેખર પોતાને જાદુગર સમજે છે. જુમલાઓ ફેંકીને, ખેલ પાડીને, ઇવેન્ટો યોજીને, મીઠાં સપનાં વહેંચીને, જરૂર પડે તો જાહેરમાં બે ડૂસકાં ભરીને દિવસો ગબડાવતા જવાની અને સત્તાનો આનંદ લૂંટવાની જગ્યાએ પેલો તો ખરેખર એજન્ડા લઈને આવ્યો છે અને એજન્ડા લાગુ કરી રહ્યો છે. તરખાટ તો આપણો જાદુગર પણ મચાવી શકે છે, પરંતુ એ માટે ગાંધીની કાવડની જગ્યાએ સાવરકરની કાવડ ઊંચકવા જેટલી હિંમત જોઈએ જે નરેન્દ્ર મોદીમાં નથી. નવ દાયકા દરમ્યાન સંઘે એટલી હિંમત દાખવી નથી ત્યાં નરેન્દ્ર મોદીની ક્યાં વાત કરવી! ટ્રમ્પને ઇમેજની ચિંતા નથી. તેઓ જે માને છે એ બોલે છે અને કરે છે. ખરેખર મરદનો દીકરો છે. નરેન્દ્ર મોદીના ભાઈબંધ જાદુગરે કંપની વધારવાની જગ્યાએ મૂંઝવણમાં વધારો કર્યો છે, નહીં?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામની લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ફેબ્રુઆરી 2017

Loading

ખાનાબદોશી: આંખોમાં વિઝા અને સપનાંની સરહદો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 February 2017

અંગ્રેજી શબ્દ માઇગ્રેશનનો પર્યાયવાચી શબ્દ યાત્રા અથવા યાયાવરી અથવા ખાનાબદોશી અથવા દેશાંતર થાય છે. માનવજીવનની જે કેટલીક નૈસર્ગિક ખૂબસૂરતીઓ છે તે પૈકીની એક આ માઇગ્રેશન અથવા યાયાવરી છે. એનો એક નાનકડો પહેલુ આ શબ્દમાં જ છે. સંસ્કૃત ધાતુ ‘યા’નો અર્થ થાય છે જવું, પસાર થવું અથવા પ્રયાણ કરવું. યા ઉપરથી યાત્રા બને છે અને યાત્રા પરથી યાયાવર. ‘જીવન ચલાયમાન છે’ એ અથવા ‘પરિવર્તન એ પ્રકૃતિનો ક્રમ છે’ તે બંને વિધાનોમાં યાયાવરીનો ભાવ નિહિત છે. પ્રકૃતિમાં રહેતાં પશુ-પંખી અને માનવજીવ યાયાવરી કહેવાયાં છે.  યાયાવરી એટલે એક સ્થાનેથી બીજા સ્થાને પ્રયાણ કરવું તે.

હિન્દી યાતાયાત અથવા અંગ્રેજી ટ્રાન્સપોર્ટમાં પણ આ યાયાવરીનો જ ભાવ છે. લેટિનમાં ફરવા માટે, ટ્રાન્સપોર્ટ માટે મિગ્રો શબ્દ છે, તેના ઉપરથી પશુ-પંખી કે માણસોના સ્થળાંતર માટે માઇગ્રેશન શબ્દ આવ્યો છે. માઇગ્રેશન એ માણસની આદિમ પ્રવૃત્તિ છે. આદિ માણસ લગભગ 100 કરોડ વર્ષોથી દેશાંતર કરતો રહ્યો છે, જ્યારે એણે પહેલીવાર આફ્રિકામાંથી યુરોશિયામાં સ્થળાંતર શરૂ કર્યું હતું. અમેરિકામાં 20 હજાર વર્ષ પૂર્વે માઇગ્રેશન શરૂ થયું હતું, અને 2 હજાર વર્ષ પૂર્વે પ્રશાંત મહાસાગરના તમામ દ્વીપો (જેમાં અમેરિકા એક છે) માણસોથી ભરાઇ ગયા હતા.

ગયા સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ 7 દેશોના મુસ્લિમો ઉપર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો તે સાથે માણસની ખાનાબદોશીની કહાનીએ, છાપાળવી ભાષામાં કહીએ તો, એક વર્તુળ પૂરું કર્યું છે. અમેરિકાના પ્રતિબંધના પગલે ઇરાને અમેરિકનોના ઇરાન પ્રવેશ પર મનાઇ ફરમાવવાની ધમકી આપી છે. ઇરાને કહ્યું છે કે અમેરિકાએ સામે ચાલીને આતંકવાદીઓને ‘રમવા’ માટે ભેટ ધરી છે. પ્રતિબંધના બીજા જ દિવસે બે ઇરાકી મુસ્લિમો ન્યૂ યૉર્કની સ્થાનિક કોર્ટમાંથી મુસ્લિમો પરના પ્રતિબંધ ઉપર એવું કહીને કામચલાઉ મનાઇ હુકમ લઇ આવ્યા કે આ પ્રતિબંધથી અમેરિકન સંવિધાને આપેલી જીવન અને આઝાદીની રક્ષાની ખાતરીનો ભંગ થાય છે.

અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયને અને કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સે ટ્રમ્પની સરકાર સામે નાગરિકોના મુક્ત સ્થળાંતરના સંવિધાનિક અધિકાર ભંગ બદલ અદાલતમાં દાવો માંડવાની તૈયારી કરી છે. મુસ્લિમોના માઇગ્રેશન પર પ્રતિબંધ હોવો જોઇએ કે ન હોવો જોઇએ એની બે અંતિમ ચર્ચાઓ વચ્ચે માનવ જાતના કથિત વિકાસની ટ્રેજેડી એ હકીકતમાં છે કે ઇશુ પછીની ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્ય હેઠળ યુરોપમાં પહેલીવાર કૃષિ-ગુલામો પર પ્રતિબંધ મુકાયા તે પછી વિઝા નિયમો, સરહદો પર કાંટાળી વાડ અને હવે દીવાલો ચણવાની વાતો વચ્ચે માણસના માઇગ્રેશનના વળતાં પગલાં શરૂ થયાં છે.

મેક્સિકોની સરહદે દીવાલ ચણવાની કે માઇગ્રેશન નિયંત્રણો મૂકવાની ટ્રમ્પની યોજના ઉપર આપણે ભલે રોકકળ કરીએ પરંતુ તાત્ત્વિક રીતે સરહદ, દીવાલ કે વિઝા વચ્ચે કોઇ ભેદ નથી. જેવી રીતે પશુ-પંખી કે આદિ માનવ ખોરાકની કે આરામદાયક રહેઠાણની તલાશમાં દેશાંતર કરતાં રહ્યાં હતાં તેવી જ રીતે આધુનિક જગતના વંચિત લોકો સમૃદ્ધ દેશમાં સ્થળાંતર કરતા રહ્યા છે. વિશ્વ બેન્કના એક અભ્યાસ પ્રમાણે સંસારમાં આજે 100 કરોડ જેટલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખાનાબદોશી છે.

200 કરોડ જેટલા લોકો રોજના અઢીસો રૂપિયા ઉપર જીવે છે. માની લો કે તમે આ 200 કરોડ લોકો પૈકીના એક છો અને બહેતર જીવનની તલાશમાં અમેરિકા કે યુરોપમાં જવા ઇચ્છો છો. 1600મી સદીમાં અમેરિકામાં જવાનું એટલું જ આસાન હતું જેટલું એક રસ્તા પરથી બીજા રસ્તા પર જવાનું. આજે? આજે ત્યાં જવા માટે વર્ક કે પરમેનન્ટ વિઝા જોઇએ. એ વિઝા માટે અમેરિકામાં તમારી લોહીની સગાઇ હોવી જોઇએ, અથવા તમારામાં ચકચકતું કૌશલ હોવું જોઇએ. આવું કશું ન હોય અને છતાં ય અમેરિકા જતા વિમાનમાં બેસવું હોય તો તમારે એ સાબિતી આપવી પડે કે તમે ત્યાં નહીં રહી જાવ અને પાછા સ્વદેશ આવશો.

વધતા ઓછા અંશે તમામ સમૃદ્ધ દેશમાં વિઝાની આવી દીવાલો છે જેને લાંઘવાનું ગરીબ દેશોના 100 કરોડ લોકો માટે આસાન નથી, અને આવતાં 40 વર્ષમાં આ સંખ્યા ડબલ થવાની ધારણા છે. 21મી સદી એટલા માટે જ ખાનાબદોશીની સદી ગણાય છે, અને સરહદો પર દેખીતી કે ન દેખીતી દીવાલો ચણવાની ‘જરૂરિયાત’ એક પછી એક ઘણા દેશોમાં ઉદ્દભવી રહી છે. છેલ્લાં 20 વર્ષમાં જ, વિશેષ કરીને 2001માં ન્યૂ યૉર્કમાં આતંકી હુમલા પછી, દુનિયામાં જાત-ભાતની અનેક નવી ‘દીવાલો’, ઇલેક્ટ્રિક કે કાંટાળી વાડ, નજરબંધ કરવાના સેન્ટર, બાયોમેટ્રિક્સ પાસપોર્ટ, ડેટાબેઝ અને સિક્યુરિટી ચેકપોસ્ટ ઊભાં થઇ ગયાં છે.

એક તરફ માણસોની વિના રોકટોક અવરજવરનો હિમાયતી વર્ગ છે ત્યારે બીજી તરફ આવી અવરજવર પર સખત પાબંધી મૂકવાવાળો વર્ગ મોટો થઇ રહ્યો છે. અમેરિકામાં 62 પ્રતિશત લોકો એમની દક્ષિણ સરહદે દીવાલ બનાવવાના વિરોધમાં છે, પરંતુ બાકીના લોકોનો સહમતીનો સૂર પણ મોટો થઇ રહ્યો છે. અમેરિકામાં મેક્સિકન ખાનાબદોશોના આક્રમણનો ‘ભય’ તોળાઇ રહ્યો છે. યુરોપમાં, રોમના બાર્બેરિયનોની જેમ, સીરિયન રેફ્યુઝીઓ ‘દરવાજા’ ખખડાવી રહ્યા છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની ફેવરાઇટ મરિન લે પેને એવી ભવિષ્યવાણી ભાખી છે કે 4થી સદીમાં બાર્બેરિયનોના ધાડાએ ફ્રાન્સની જે હાલત કરી હતી તેવી સ્થિતિ ફરી આવી રહી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે પણ ‘રેફ્યુઝીઓના સૈલાબ’ની ચેતવણી ઉચ્ચારી છે.

અમેરિકા ખાનાબદોશનો દેશ કહેવાય છે. અમેરિકામાં પહેલું સ્થળાંતર ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડથી થયું હતું. 1924માં અહીં પહેલીવાર ઇમિગ્રેશન જાતિ આવી હતી. અમેરિકાના 35મા રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીએ અ નેશન ઑફ ઇમિગ્રંટ્સ નામની ચોપડી લખી હતી. એના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ની જાહેરાત કરીને એ લેબલ દૂર કરવાનું નક્કી કર્યું છે. સમૃદ્ધિ અને વિકાસની સાથે સાથે નિવાસીઓ અને પ્રવાસીઓ વચ્ચેનું અસંતુલન પણ એની ચોટી પર પહોંચ્યું છે. એક સમયે બંધ સરહદો એ માનવ જાતની સૌથી મોટી નૈતિક ત્રુટિ ગણાતી હતી. આજે, સૌથી મોટી આર્થિક આઝાદી હોવા છતાં, ખુલ્લી સરહદો માનવ જાત સામે સૌથી મોટો ખતરો બની ગઇ છે.

સમૃદ્ધ દેશો એમની સરહદો ખોલવા ઇન્કાર કરી રહ્યા છે. એની પેલે પાર માણસોના એક સૈલાબની આંખોમાં‘નો વિઝા’નાં બોર્ડ લટકી રહ્યાં છે, અને એનાં સપનાંની સરહદો સંકોચાઇ રહી છે.

ગુલઝારની સરખામણીમાં ફ્રેન્ચ ચિંતક રુસો કદાચ વધુ ‘વ્યવહારુ’ હતો, જેણે કહ્યું હતું ‘માણસ આઝાદ જન્મે છે, પણ એ સર્વત્ર બંદી છે.’

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 05 ફેબ્રુઆરી 2017

Loading

...102030...3,4933,4943,4953,496...3,5003,5103,520...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved